પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ અને લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજાયેલા દબદબાભર્યા શાનદાર કાર્યક્રમમાં શહીદ સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કર્યું

ઇન્ડોર સ્ટેડીયમ દર્શકોથી ખચાખચ ભરેલું હતું રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ

લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુટ્સના પ્રણેતા જયસુખભાઇ કથિરીયા અને તેમના પરિવારજનોએ સૈનિકોના પરિવારજનોના હિતાર્થે સફળ કાર્યક્રમ યોજ્યો
પરમવીર શહીદ સહાય ટ્રસ્ટ સુરત તેમજ લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ગયા રવિવાર તા.24મી માર્ચ 2019ના રોજ સાંજે 7 કલાકે શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે શહાદત તુઝે સલામ કાર્યક્રમ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિયન્સથી જેમપેક્ડ ઇન્ડોર સ્ટેડીયમમાં ઉપસ્થિત સૌનું સંસ્થા વતી જયસુખભાઇ કથિરીયાએ સ્વાગત પ્રવચન કરીને તમામને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.

પુલવામાં પછીની ઘટનાઓમાં દેશ કાજે જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરાયું હતું.

આ કાર્યક્રમમાં ગઇ તા.18મી ફેબ્રુઆરી 2019 (પુલવામા પછીની ઘટના)ના રોજ અને એ પછીની ઘટનાઓમાં દેશ સેવા કાજે પોતાનો જીવ ન્યોછાવર કરી દેનારા સૈનિકોનું રુણ અદા કરવા માટે તેમના પરિવારજનોને આર્થિક મદદરૂપ થવાનો હતો અને એ તમામ 7 શહીદ સૈનિકના પરિવારજનોને સુરત તેડાવાયા હતા અને ઇન્ડોર સ્ટેડીયમમાં ખાસ તેમનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. દેશ કાજે પોતાના પરિવારનો આધારસ્તંભ ગુમાવનારા પરિવારજનોને રૂ.3 લાખની સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું..
કુલ 21 લાખ ઉપરાંતની આર્થિક સહાય માટેનું ભંડોળ કોઇ ધનવાનો કે દાનવીરોના દાનમાંથી ન હતું કરવામાં આવ્યું પરંતુ, સાવ જ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો, વિદ્યાર્થીઓએ તેમની પોકેટમનીમાંથી ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે ભંડોળ એકત્રિત કરીને શહીદ સૈનિકોના પરિવારજનો પ્રત્યે પોતાની જવાબદારી અદા કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે.


પરમવીર શહીદ સહાય ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો

લીઓ ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને તેની સહયોગી સંસ્થાઓએ કુલ રૂ.21 લાખની માતબર સહાય શહીદ સૈનિકોના પરિવારજનોને કરી
શહીદ સૈનિકોના પરિવારજનો માટે એકત્રિત ભંડોળમાં લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સનગ્રેસ, સનરેઝ અને સનલાઇટ સ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના રહેણાંક વિસ્તારમાં ફરી ફરીને સ્થાનિક રહેવાસીઓ પાસેથી દાન માટે ગલ્લા-ડબ્બામાં યથાશક્તિ રકમ નંખાવીને એકત્રિત કર્યું હતું. આ પ્રકારે કુલ રૂ.12 લાખ એકત્રિત કરવામાં આવ્યા હતા. એથી વિશેષ શાળામાં અભ્યાસ કરીને એ-વન ગ્રેડ મેળવનારા 10 વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રત્યેકને રૂ.11 હજાર ઇનામની ઘોષણા કરવામાં આવી હતી. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ પોતાને ઇનામ રૂપે મળેલી કુલ રૂ.1.10 લાખની રકમ પણ શહીદ સૈનિકોના પરિવારજનો માટેના ભંડોળમાં આપી દીધી છે. એવી જ રીતે લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લખાણી દ્વારા ડાયરાના માધ્યમથી રૂ.3 લાખ, દિશા શ્રીમાણી જૈન સમાજ દ્વારા રૂ.2.75 લાખ, સુરત એકેડેમિક એસોસીએશન દ્વારા રૂ.1.10 લાખ, પ્રેસિડેન્સી સ્કુલ દ્વારા રૂ.1.75 લાખ, જેકેએસ ઝીપર્સ દ્વારા રૂ.2.03 લાખ મળીને કુલ રૂ.21 લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી છે.

પુલવામાની ઘટના બાદ આ સૈનિકોએ દેશ કાજે જીવનું બલિદાન આપી દીધું હતું
- શહીદ હવાલદાર શ્યોરામજી ઝુંજનું, રાજસ્થાન — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ સિપાહી અજયકુમારજી, મેરઠ, ઉત્તરપ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ સિપાહી હરીસીંગજી, રેવારી, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંગજી, ભરતપુર, રાજસ્થાન — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદજી, જમ્મુકાશ્મીર પોલીસ — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ સોમબીરજી, ભીવાની, હરીયાણા — આર્થિક સહાય રૂ.3 લાખ
- શહીદ વિનોદકુમારજી, મેરઠ, ઉત્તર પ્રદેશ — આર્થિક સહાય રૂ.3 લાખ
આ તમામ શહીદ સૈનિકોના પરિવારજનો તા.24મી રવિવારે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહાનુભાવોના હસ્તે તેમનું જાહેર અભિવાદન કરીને તેમના સ્વજનોએ આપેલા બલિદાનને બિરદાવ્યું હતું. દેશ માટે શહીદ સૈનિકોના પરિવારજનોએ પોતાના પરિવારના આધારસ્તંભ ગુમાવ્યા એ પરિવારોને ક્યારેય એકલવાયું ન લાગે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે માટેના તમામ પ્રયાસો કરવા તમામ વક્તાઓએ હિમાયત કરી હતી.

શહીદોના પરિવારજનોનું જાહેર અભિવાદન કરવા માટે કાર્યક્રમના મહેમાન તરીકે ઇન્ડિયન આર્મીના મેજર જનરલ શ્રી સુભાષ શરન (લખનૌ), મેજર જનરલ રાજ મહેતા, બ્રિગેડીયર અજિતસિંહ, બ્રિગેડિયર બી.એસ. મહેતા, સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી હરેકૃષ્ણ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.




























