CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - CIA Live

May 23, 2026
1min75

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક ખતરનાક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનની સેના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પનો જીવ લેવાની સંપૂર્ણ યોજના (પ્લાન) તૈયાર કરી લીધી હતી.

એક રિપોર્ટ મુજબ, આ આતંકવાદી છ વર્ષ પહેલા અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા તેના ગુરુ અને ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો.

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા આતંકવાદીને પકડી લીધો છે. તેની ઓળખ 32 વર્ષના મહોમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઈરાકનો નાગરિક હોવાનું કહેવાય છે.

6 વર્ષ પહેલા બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ એક મોટા ઓપરેશનમાં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને મારી નાખ્યો હતો. અલ-સાદી આ હુમલાને પોતાના ગુરુનું મોત માનતો હતો અને ત્યારથી જ તે ટ્રમ્પ પરિવારને બરબાદ કરવાની ફિરાકમાં હતો.

આરોપી અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર, ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાના સોગંદ લીધા હતા. તપાસ દરમિયાન સુરક્ષા દળોને અલ-સાદી પાસેથી ફ્લોરિડામાં આવેલા ઇવાન્કા ટ્રમ્પના આલીશાન ઘરની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ મળી આવી છે. તે ઘણા સમયથી તેમના ઘરની રેકી (જાસૂસી) કરી રહ્યો હતો.

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના ભૂતપૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી એન્તિફાધ કનબરે આ આતંકવાદીના ઇરાદાઓ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘કાસિમ સુલેમાનીના માર્યા ગયા પછી, અલ-સાદી લોકોને કહેતો ફરતો હતો કે આપણે ઇવાન્કા ટ્રમ્પને મારવી પડશે. તે કહેતો હતો કે આપણે ટ્રમ્પના આખા ઘરને એ જ રીતે સળગાવીને રાખ કરી દેવું જોઈએ, જે રીતે તેણે આપણા ઘરને (કમાન્ડર સુલેમાનીને) તબાહ કર્યું હતું.’

May 17, 2026
image-9.png
1min72

ભારત અને નેધરલેન્ડ વચ્ચે પ્રગાઢ થઈ રહેલા સંબંધોના પ્રતીક સમાન એક ઐતિહાસિક ઘટના તેમની મુલાકાત સમયે ઘટી છે. નેધરલેન્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 11મી સદીના ચોલ રાજવંશ સાથે જોડાયેલા અત્યંત દુર્લભ તામ્રપત્રો ભારતને સોંપી દીધા છે. આ ખાસ પ્રસંગે ડચ વડાપ્રધાન માર્ક રૂટે પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત આ તામ્રપત્રોને, જેને નેધરલેન્ડમાં લીડેન પ્લેટ્સ (Leiden Plates) તરીકે ઓળખવામાં આવે છે, તેને પરત લાવવા માટે વર્ષ 2012 થી પ્રયાસો કરી રહ્યું હતું, જે આખરે સફળ થયા છે.

19 મી સદીથી નેધરલેન્ડમાં સચવાયેલા હતા આ તામ્રપત્ર

વડાપ્રધાન મોદીએ આ ક્ષણને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તામ્રપત્રો તમિલનાડુના નાગપટ્ટિનમ સ્થિત ‘ચૂલામણિવર્મ -વિહાર’ને આપવામાં આવેલા દાનના ઐતિહાસિક દસ્તાવેજો છે. આમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્રો સામેલ છે. આ તામ્રપત્રો આશરે 30 કિલો વજન ધરાવે છે અને તેના પર તમિલ તથા સંસ્કૃત ભાષામાં શિલાલેખ અંકિત છે.

આ દસ્તાવેજો ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમ સાથે સંબંધિત છે, જે તેમના પિતા રાજારાજા ચોલ પ્રથમ દ્વારા અપાયેલા મૌખિક વચનને ઔપચારિક સ્વરૂપ આપે છે. તે 19 મી સદીથી નેધરલેન્ડની લીડેન યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

તામ્રપત્રોની વાપસી સિવાય વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડની રાજધાની હેગ (The Hague) ખાતે યોજાયેલી ભારત-નેધરલેન્ડ સીઈઓ રાઉન્ડટેબલ બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ હાઈ-લેવલ મીટિંગમાં બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી અને રોકાણ વધારવા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને હાઇ-એન્ડ મેન્યુફેક્ચરિંગ, શિપિંગ, લોજિસ્ટિક્સ અને ગ્રીન એનર્જી, એગ્રીટેક (કૃષિ ટેકનોલોજી) અને વોટર મેનેજમેન્ટ, ભારત-યુરોપિયન યુનિયન (EU) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA),

બેઠકમાં નેધરલેન્ડની અગ્રણી કંપનીઓના વડાઓએ ભારતમાં છેલ્લા 10-12 વર્ષમાં આવેલા આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાવોની પ્રશંસા કરી હતી. રોટરડમ પોર્ટ અને એપીએમ ટર્મિનલ્સના CEOએ જણાવ્યું કે, “ભારતમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલું રોકાણ અદ્ભુત છે. જહાજો બંદરો પર આરામ કરવા માટે નહીં પણ વ્યાપાર માટે બને છે. ભારતની આર્થિક પ્રગતિ જોઈને ભવિષ્યમાં રોકાણની મોટી તકો દેખાઈ રહી છે.” ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ: સેમિકન્ડક્ટર ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓએ જણાવ્યું કે પીએમ મોદીની સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવાની મહત્વાકાંક્ષાના કારણે ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-EU વ્યાપાર કરાર આગામી સમયમાં ટેકનોલોજી અને વેપારના ક્ષેત્રે બંને દેશોના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

April 29, 2026
image-24.png
1min167

મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ 1 મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જોકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની સામ-સામે છે. યુએઈના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે.

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, યુએઈ 1967થી ઓપેક અને ઓપેક પ્લસનું સભ્ય રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં દુનિયાને વધુ ઊર્જાની જરૂર પડશે તથા માગ વધશે. આવા સમયે ઊર્જા ક્ષેત્ર, પેટ્રોલિયમ સેક્ટર અને અન્ય રણનીતિઓની સાવધાનીપૂર્વક સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે. હોર્મુઝની ખાડી પર નાકાબંધીના વર્તમાન અવરોધોના કારણે ઓઈલ બજાર પહેલા કરતાં વધુ અસ્થિર છે. તેથી યુએઈએ આ નિર્ણય લીધો છે, જેથી બજાર પર વધુ અસર ના પડે. ઓપેક અને ઓપેક પ્લસ સંગઠનમાં સાઉદી આરબનું પ્રભુત્વ છે, જે ઓઈલના વૈશ્વિક ભાવોને ઊંચા રાખવા ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય કરે છે. બીજીબાજુ યુએઈએ પોતાની ઓઈલ ઉત્પાદન ક્ષમતા વધારવા અબજો ડોલરનું રોકાણ કર્યું છે, પરંતુ ઉત્પાદનમાં કાપના ઓપેકના પ્રતિબંધના કારણે યુએઈ પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ નથી કરી શકતું. યુએઈ હાલમાં દૈનિક 2.9 મિલિયન બેરલ ઓઈલનું ઉત્પાદન કરે છે જ્યારે તેની વર્તમાન ક્ષમતા દૈનિક 4.85 મિલિયન બૈરલની છે તથા યુએઈનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ઉત્પાદનની ક્ષમતા દૈનિક પાંચ મિલિયન બેરલ કરવાની છે. આવા સંજોગોમાં ઓપેકમાંથી બહાર નીકળવાથી યુએઈ પર ઉત્પાદનના પ્રતિબંધો લાગુ નહીં પડે અને તે બજારની માગ મુજબ પોતાની ક્ષમતાથી ઓઈલનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે. આ સિવાય ઓપેક માત્ર ડોલરમાં જ ઓઈલના સોદા કરે છે જ્યારે આ સંગઠનમાંથી બહાર નીકળ્યા પછી યુએઈ ઓઈલ માટે ચીન સાથે યુઆનમાં પણ સોદા કરવા સ્વતંત્ર થઈ શકે છે. યુએઈએ આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાને ચેતવણી આપી હતી કે, ઈરાન સામેનું યુદ્ધ લાંબુ ચાલશે અને તેને આર્થિક નુકસાન થશે તો તે ચીન સાથે યુઆનમાં ઓઈલના સોદા કરવા તૈયાર છે.

યુએઈના ઓપેકમાં નિકળવાથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. ભારત લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે. યુએઈ ઓપેકની ક્વોટા સિસ્ટમમાંથી બહાર થઈને ઓઈલ ઉત્પાદન વધારશે તો વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ ઘટશે. તેનાથી ભારતને પણ આયાતી ઓઈલ સસ્તુ મળી શકે છે.

ઓપેક મધ્ય-પૂર્વમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણ કરતા દેશોનું જૂથ છે. આ જૂથ દુનિયામાં ઓઈલના ઉત્પાદન અને ભાવ પર નિયંત્રણ ધરાવે છે ત્યારે યુએઈની ઓપેકમાંથી બહાર નીકળવાની જાહેરાતને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પ લાંબા સમયથી ઓપેક સંગઠન પર ઓઈલના ભાવ વધારીને દુનિયાનું શોષણ કરવાનો આક્ષેપ કરતા રહ્યા છે. ટ્રમ્પે અમેરિકાના ખાડી ક્ષેત્રને અપાતા સૈન્ય સમર્થનને પણ ઓઈલના ભાવ સાથે જોડયું છે. તેમનું કહેવું છે કે અમેરિકા ઓપેક સભ્ય દેશોની સુરક્ષા કરે છે, પરંતુ તેઓ ઊંચા ઓઈલ ભાવથી તેનો ફાયદો ઉઠાવે છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ પોતાની વિદેશ નીતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે સાઉદી અરબ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થઈ ગયું છે. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સાઉદીમાં વિદેશી રોકાણ આકર્ષવાનું શરૂ કરતા યુએઈ સાથે તેના હિતોનું ઘર્ષણ શરૂ થયું હતું. આર્થિકની સાથે યુએઈ અને સાઉદી વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ આ નિર્ણયનું મહત્વનું કારણ છે. જાન્યુઆરી ૨૦૨૬માં સાઉદીએ યમનમાં યુએઈ સમર્થિત સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલના સ્થળો પર હુમલા કર્યા હતા. સાઉદીએ યમનમાં અલગતાવાદી જૂથોને સમર્થન કરી યુએઈ તેના દેશને અસ્થિર કરવા માગતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ બંને દેશો વચ્ચે આર્થિક અને પ્રાદેશિક પ્રભુત્વની સ્પર્ધા પણ મહત્વનું કારણ છે.

April 27, 2026
image-22.png
1min119

મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ યથાવત છે. તેવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનના ટોચના નેતૃત્વને ખાસ સંદેશ પણ આપ્યો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.તેમજ કહ્યું કે અમે તમામ મદદ કરીશું જેમા ઈરાનના હિતમાં હશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ઈરાન અને પ્રદેશના અન્ય દેશોના હિતમાં બધું જ કરશે. આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે ઈરાન અમેરિકા વચ્ચે તણાવ યથાવત છે. તેમજ ઈસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટોનું કોઇ પરિમાણ આવ્યું નથી.

આ મુલાકાત બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું કે ઈરાન સાથે સબંધ વધુ મજબૂત થશે.

આ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે તેમને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની તરફથી એક ખાસ સંદેશ મળ્યો છે. પુતિને અરાઘચીને તેમના પરત ફર્યા બાદ સર્વોચ્ચ નેતાને તેમની શુભકામનાઓ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ પહોંચાડવા કહ્યું. આ એક રાજદ્વારી માધ્યમ છે જેના દ્વારા બે રાષ્ટ્રોના ટોચના નેતાઓ એકબીજા સાથે વાતચીત કરે છે.

April 12, 2026
image-7-1280x853.png
1min111

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ છે. 21 કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તેમની શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે અમેરિકન ટીમ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે ખુલ્લા મને મંત્રણા માટે આવ્યા હતા અને અમારો ‘અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ’ રજૂ કર્યો હતો. સારી વાત એ છે કે ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી. મારો વિશ્વાસ છે કે આ સમાચાર અમેરિકા કરતા ઈરાન માટે વધુ ચિંતાજનક છે.”

આ વાર્તામાં અમેરિકાની સૌથી કડક શરત પરમાણુ કાર્યક્રમને લઈને હતી. અમેરિકાએ એવી ગેરંટી માંગી હતી કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. વેન્સે કડક લહેજામાં કહ્યું કે, “અમે અમારી ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી દીધી છે. કઈ બાબતો પર સમજૂતી થઈ શકે અને કઈ બાબતો પર બિલકુલ નહીં, તે અમે કહી દીધું હતું. ઈરાની પ્રતિનિધિમંડળે અમારી શરતો ન સ્વીકારવાનો વિકલ્પ પસંદ કર્યો છે.”

બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી તસનીમના જણાવ્યા અનુસાર, અમેરિકાની અતિશય અને અતાર્કિક માંગણીઓને કારણે કોઈ કોમન ફ્રેમવર્ક તૈયાર થઈ શક્યું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકાએ સમજૂતીમાં અવરોધ ઊભા કર્યા છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા તણાવ અને તેલના પુરવઠાના જોખમ વચ્ચે આ શાંતિ મંત્રણા પર આખી દુનિયાની નજર હતી. પરંતુ જેડી વેન્સના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલ પૂરતી શાંતિની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ ચેતવણી આપી હતી કે જો ઈરાન શરતો નહીં માને તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

April 8, 2026
image-5.png
1min59

વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હતું તેવા સમાચાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. ટ્રમ્પે પોતાની કડક ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી છે કે તેઓ ઈરાન પરના બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. આ નિર્ણયને વ્યાપક યુદ્ધવિરામ (Ceasefire) તરફનું પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સૈન્ય પ્રમુખ અસીમ મુનીર સાથેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાની નેતૃત્વએ ટ્રમ્પને સૂચિત હુમલાઓ ટાળવા માટે અપીલ કરી હતી. જોકે, આ રોક સશર્ત છે; ઈરાને હવે તણાવ ઓછો કરવા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને તાત્કાલિક ફરીથી ખોલવું પડશે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ પોતાના તમામ સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે, બલ્કે તેનાથી પણ વધુ સફળતા મેળવી છે. તેમણે તેહરાન સાથેની વાતચીતને નિર્ણાયક મોડ પર ગણાવતા કહ્યું કે, “અમે દીર્ઘકાલીન શાંતિ માટે એક નક્કર કરારની દિશામાં ઘણા આગળ વધી ગયા છીએ.” વૉશિંગ્ટનને ઈરાન તરફથી 10 મુદ્દાઓનો પ્રસ્તાવ મળ્યો છે, જેને ટ્રમ્પે વાતચીત માટે વ્યવહારુ આધાર ગણાવ્યો છે.

  • આ એક ‘ટુ-વે સીઝફાયર’ (બેતરફી યુદ્ધવિરામ) હશે, જેમાં બંને પક્ષો પાછા હટશે.
  • આ 15 દિવસનો સમય બંને દેશોને શાંતિ કરારને અંતિમ ઓપ આપવાની તક પૂરી પાડશે.
  • આગામી 10 એપ્રિલના રોજ પાકિસ્તાનમાં આ અંગેની મહત્ત્વની બેઠક યોજાય તેવી શક્યતા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, ટ્રમ્પના વલણ અને અમેરિકાની શક્તિશાળી સેનાના દબાણને કારણે ઈરાન હોર્મુઝ ખોલવા માટે રાજી થયું છે. હવે આગળની વાતચીત ચાલુ રહેશે અને ટ્રમ્પના નિવેદન મુજબ જ આગળની દિશા નક્કી કરવામાં આવશે.

અગાઉ ટ્રમ્પે ઈરાનની આખી સભ્યતા ખતમ કરી નાખવાની (જેને પરમાણુ હુમલાની ધમકી માનવામાં આવતી હતી) વાત કરી હતી, પરંતુ આ નવી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજાર અને તેલના ભાવમાં મોટી રાહત જોવા મળી છે.

March 25, 2026
image-10.png
1min66

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 23/03/2026 સોમવારે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ અપેક્ષા મુજબ બજાર પર મોટી અસર જોવા મળી. શેરબજારમાં જંગી તેજી અને ક્રૂડમાં ભારે કડાકો બોલાયો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત પહેલાં જ બજારમાં ખેલ ખેલાઈ ગયો. સટ્ટાબાજો સક્રિય થઈ ગયા અને તેમણે મિનિટોમાં જ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવી કરોડોની કમાણી કરી લીધી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા મુદ્દે ઈરાનને આપેલું 48 કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા પછી યુદ્ધ વધુ ભયાનક બનશે તેવી દુનિયાને આશંકા હતી, જેને પગલે સોમવારે શેરબજારથી લઈને સોના-ચાંદી, કરન્સી સહિતના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ક્રૂડના ભાવ પણ 117 ડોલરે પહોંચી ગયા હતા. જોકે, દુનિયા અને બજારની અપેક્ષાથી વિપરિત ટ્રમ્પે અચાનક જ ઈરાન સામે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે અપેક્ષા મુજબ જ શેરબજારમાં જંગી ઊછાળો આવ્યો અને ક્રૂડના ભાવ તૂટીને 100 ડોલર નીચે જતા રહ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પ યુદ્ધવિરામની જાહેરાત કરે તેની 15 મિનિટ પહેલાં જ સટ્ટાબાજો સક્રિય થયા હતા. તેમણે ક્રૂડના ભાવ અંગે 580 મિલિયન અંદાજે રૂ. 5,440 કરોડથી વધુ દાવ પર લગાવી દીધા. સટ્ટાબાજોએ ઈક્વિટી અને ઓઈલમાં સોદા કર્યા અને કરોડોની કમાણી કરી હતી. ઈરાન પર હુમલા ટાળવાની ટ્રમ્પની જાહેરાતની 15 મિનિટ પહેલા જ શેરબજારમાં તેજી અને ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહીમાં સટ્ટાબાજોએ મોટો દાવ લગાવ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું કે, આ સમયમાં થયેલા અનેક સોદાઓમાં ચોક્કસ સમય પર કરાયેલા સોદાઓથી સટ્ટાબાજોએ માત્ર 20 મિનિટની અંદર લગભગ 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 840 કરોડ)ની કમાણી કરી લીધી હતી. ટ્રેડિંગ પ્લેટફોર્મ અનયુઝ્યુઅલ વ્હેલ્સ મુજબ સટ્ટાબાજોએ બજારમાં બે તરફ એક સાથે દાવ લગાવ્યો હતો. યુદ્ધવિરામની સંભાવનાથી શેરબજારમાં તેજીની આશાથી લગભગ 1.5 અબજ ડોલર (અંદાજે રૂ. 12,600 કરોડ)ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. બીજીબાજુ યુદ્ધની આશંકા ખતમ થવા અને ક્રૂડના ભાવમાં ઘટાડાની આશાએ 192 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,615 કરોડ)ના ફ્યુચર્સ વેચાયા.

સૂત્રો મુજબ ન્યૂયોર્કના સમય મુજબ સવારે 6.50 કલાકે સીએમઈ પર એસએન્ડપી 500 ઈ-મિની ફ્યુચર્સમાં અચાનક ભારે ટ્રેડિંગ જોવા મળ્યું. આ સાથે જ ક્રૂડ ઓઈલના બજારમાં પણ હલચલ જોવા મળી હતી. આ સમય ઘણો જ અસામાન્ય હતો, કારણ કે બજાર ખૂલવાના પહેલાના કલાકોમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં સોદા થતા નથી. જોકે, બરાબર 15 મિનિટ પછી સવારે 7.05 કલાકે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

સટ્ટાબાજોએ સવારે 6.49થી 6.50 કલાકના માત્ર એક મિનિટના ટૂંકા સમયમાં બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લગભગ 6,200 સોદા કર્યા હતા, જેની કિંમત 580 મિલિયન ડોલર (અંદાજે રૂ. 4,870 કરોડ) હતી, જે તે સમયના સામાન્ય ટ્રેડ કરતા ચારથી છ ગણા વધુ હતા. ટ્રમ્પની જાહેરાત સાથે જ બજારમાં અપેક્ષા મુજબ એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો અને ક્રૂડમાં 6 ટકાનો કડાકો બોલાયો. આ ઉતાર-ચઢાવમાં રહસ્યમય ટ્રેડરે માત્ર 20 મિનિટમાં રૂ. 840 કરોડનો નફો કર્યો. શેરબજારનો નફો ઉમેરવામાં આવે તો કુલ નફો અનેક ગણો વધી જાય. આ સોદાઓ અંગે નિષ્ણાતો ઈનસાઈડર ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિર્ણયની અગાઉથી કોઈને જાણ નહીં હોવાનો દાવો કર્યો હતો.

બજારમાં હેરાફેરી માટે ટ્રમ્પે ખોટા સમાચાર ફેલાવ્યા : ઈરાન

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી. ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.

March 4, 2026
image-3.png
1min95

અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોત વચ્ચે ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે.

UK સ્થિત ‘ઈરાન ઈન્ટરનેશનલ’ના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા 3 માર્ચ 2026ના રોજ આ ચૂંટણી થઈ હતી, જ્યારે દેશ યુદ્ધની સ્થિતિમાં હતો અને અલી ખામેનેઈનું ગત શનિવારે ઈઝરાયલી અને અમેરિકાના હુમલામાં મોત થઈ ચૂક્યું હતું. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સમાં 88 સભ્યો હોય છે, જે દેશના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. સુરક્ષાના હેતુસર મતદાન રિમોટથી કરવામાં આવ્યું હતું.

મોજતબા ખામેનેઈની ઉંમર આશરે 56 વર્ષ છે. તેઓ લાંબા સમયથી રાજકીય પડદા પાછળ સક્રિય હતા. તેઓ એક મિડ-રેન્ક ધાર્મિક નેતા છે, પરંતુ તેમની અસલી તાકાત રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને બસીજ ફોર્સ સાથેના તેમના ઊંડા સંબંધો છે.

આ ચૂંટણી અત્યંત વિવાદાસ્પદ છે કારણ કે ઈરાનની 1979ની ઈસ્લામિક ક્રાંતિ રાજશાહીને ખતમ કરવા માટે થઈ હતી. ક્રાંતિના મૂળ સિદ્ધાંતોમાં પિતા-પુત્રના ઉત્તરાધિકારને ગેર-ઈસ્લામિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખામેનેઈના પુત્રને સુપ્રીમ નેતા બનાવવો એ ક્રાંતિની ભાવના વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવા નેતા મોજતબા ખામેનેઈ સામેની સૌથી મોટો પડકાર પોતાની વૈધતા સાબિત કરવાની રહેશે. તેમની પાસે તેમના પિતા જેવો ધાર્મિક દરજ્જો (આયતુલ્લાહ) નથી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવા માટે IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) પર જ નિર્ભર રહેવું પડી શકે છે. આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તેને રાજશાહી જેવા વંશવાદી પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અત્યારે યુદ્ધ અને વિવાદિત નવા નેતૃત્વના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે.

March 1, 2026
image.png
1min69

Ayatollah Khamenei died : મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા ‘પ્રેસ ટીવી’એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટી કરી દેવામાં આવી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતા જણાવ્યું કે, “ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક હવે નથી રહ્યો.” ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી. ટ્રમ્પે આને ઈરાની જનતા માટે સ્વતંત્રતાની સૌથી મોટી તક ગણાવી છે.

ઈરાની ન્યૂઝ ચેનલ ‘પ્રેસ ટીવી’ (Press TV) એ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે. આ જાહેરાત બાદ ઈરાનમાં 40 દિવસના જાહેર શોકની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેમનો મૃતદેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી (Immunity) માંગી રહી છે. ટ્રમ્પે સૈનિકોને સંદેશ આપતા કહ્યું કે, “અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી માત્ર મોત જ મળશે.” તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દેશભક્તો સાથે મળીને દેશને ફરીથી બેઠો કરવામાં મદદ કરશે.

પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યુહાત્મક સ્થળો પર બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે. માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

February 28, 2026
image-34.png
1min59

Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.’