CIA ALERT
26. September 2023

વુમન્સ વર્લ્ડ Archives - CIA Live

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-16.58.56-2-1280x853.jpeg
2min107

બિઝનેસ વુમન, વર્કિંગ વુમન નવા નવા આઇડીયા પર કામ કરેઃ ડો. રેણુકા ગર્ગ

સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા

ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં ટકી રહેવા સેલ્ફ મોટીવેશન, એબિલિટી, અનુભવ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે સમજણ આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.

ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

July 14, 2023
ritu-karidhal.jpg
1min93

‘રોકેટ વુમન’ તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ રિતુ કરિધાલ શ્રીવાસ્તવ આ મિશનને ફ્રન્ટથી લીડ કરી રહ્યાં છે

ચંદ્રયાન-3ના ઉતરાણની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલને સોંપવામાં આવી છે. ચંદ્રયાન 3 ના મિશન ડિરેક્ટર તરીકે રિતુ કરિધાલ તેમની ભૂમિકા ભજવશે. લખનઉમાં રહેતી રિતુ વિજ્ઞાનની દુનિયામા ભારતીય મહિલાઓની વધતી ધાકનું ઉદાહરણ છે.  મંગળયાન મિશનમાં પોતાનું કૌશલ્ય દર્શાવનાર રિતુ ચંદ્રયાન-3 સાથે સફળતાની બીજી ઉડાન ભરશે. અગાઉના મિશનમાં તેમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને રિતુ કરિધાલ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. રિતુ મંગળયાન મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. લખનૌની દીકરી રિતુ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેમણે ચંદ્રયાન-મિશન 2માં મિશન ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.

રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર છે 

રિતુ કરિધાલનો ઉછેર લખનૌમાં થયો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું છે. વિજ્ઞાન અને અવકાશમાં રસ જોઈને રિતુએ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં એડમિશન લીધું. આ પછી રિતુએ ઈસરોમાં નોકરી શરૂ કરી. એરોસ્પેસમાં નિષ્ણાત રિતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી છે. રિતુને 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે. વિવિધ મિશનમાં તેમની ભૂમિકા માટે દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે. રિતુને ‘રોકેટ વુમન’ પણ કહેવામાં આવે છે.

રિતુએ ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે

રિતુએ તેમનું સ્કૂલિંગ નવયુગ ગર્લ્સ કોલેજમાંથી કર્યું છે. રિતુએ લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે.  રિતુએ વર્ષ 1997માં ISRO સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. રિતુ કરિધાલે મિશન મંગળયાન અને મિશન ચંદ્રયાન-2માં મહત્વની ભૂમિકા ભજવી હતી. નાનપણથી જ તેમને અવકાશ અને અવકાશ વિજ્ઞાનમાં રસ હતો. રિતુને મળેલા પુરસ્કારોની યાદી તેમની સિદ્ધિઓ જેટલી લાંબી છે. ડૉ એપીજે અબ્દુલ કલામ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ, માર્સ આર્બિટર મિશન માટે ISRO ટીમ એવોર્ડ, ASI ટીમ એવોર્ડ, સોસાયટી ઓફ ઈન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર રિતુ તેમની ધગશ અને કામ પ્રત્યેના જુસ્સા માટે વખણાય છે. 

April 20, 2023
neet-UG.jpg
1min288

Jayesh Brahmbhatt 98253 44944

આ વર્ષે મેડીકલ, પેરામેડીકલમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG 2023) પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યાએ 20 લાખનો આંકડો પાર કર્યો છે. નીટ યુજી આપનારા વિદ્યાર્થીઓની આ વિક્રમી સંખ્યા છે. સમગ્ર ભારતમાં લગભગ MBBS/BDSની 1 લાખ 40 હજાર જેટલી બેઠકો માટે આ વર્ષે રેકોર્ડ 20 લાખ 87 હજારથી વધુ અરજીઓ મળી છે. મહત્વની વાત એ છે કે 11 લાખ 80 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા ગયા વર્ષ કરતા 2 લાખ વધુ છે અને આ વર્ષે પુરૂષ ઉમેદવારો કરતાં પણ 2.8 લાખ વધુ છે.

આ વર્ષે 2023માં NEET-UG પરીક્ષા તા. 7 મે એ લેવાનાર છે.

નીટ યુજી 2023ના રજીસ્ટ્રેશન ડેટા અનુસાર, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ માટે 20,87,445 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જે ગયા વર્ષે નોંધાયેલા ઉમેદવારોની સરખામણીમાં આ વર્ષે 2023માં 2.57 લાખ ઉમેદવારો વધુ નોંધાયા છે.

ભારતના રાજ્યોમાં સૌથી વધુ 2.77 લાખ ઉમેદવારો મહારાષ્ટ્રમાંથી પરીક્ષા આપશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ 2.73 લાખ એ નીટ યુજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ (ઉમેદવારોની સંખ્યાના ઉતરતા ક્રમમાં) – સાત રાજ્યો છે જેમાં પ્રત્યેક એક લાખથી વધુ નોંધણી છે.

2023ની પરીક્ષા માટે કુલ 11,84,502 મહિલા ઉમેદવારોએ નોંધણી સામે પુરુષ ઉમેદવારોની સંખ્યા 9,02,930 છે. કેટેગરી મુજબ ઓબીસીમાં 8.9 લાખ સાથે અનામત કેટેગરીમાં સૌથી વધુ ઉમેદવારો છે અને ત્યારબાદ 3 લાખથી વધુ ઉમેદવારો સાથે અનુ. EWS કેટેગરીના 1.5 લાખ અને ST કેટેગરીના 1.3 લાખ ઉમેદવારો છે. 6 લાખથી વધુ ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે.

NEET-UG પરીક્ષાના સ્કોરથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS), બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS), બેચલર ઓફ આયુર્વેદ, મેડિસિન અને સર્જરી (BAMS), બેચલર ઓફ સિદ્ધ મેડિસિન એન્ડ સર્જરી (BSMS), બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS), અને બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS) અને BSc (H) નર્સિંગ અભ્યાસક્રમો માં પ્રવેશ આપવામાં આવે છે.

September 28, 2022
Asha_Parekh.jpg
1min325

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thackeray) Dated 27/9/22, મંગળવારે કહ્યું કે દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને (Legendry Actress Asha Parekh) 2020ના દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી (Dadasaheb Falke Award) સન્માનિત કરવામાં આવશે. જણાવવાનું કે દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. ભારતીય સિનેમા જગત આજે જે મુકામ પર છે આને ત્યાં સુધી લઈ જવામાં આશા પારેખનું મોટું યોગદાન છે.

આશા પારેખ (ફાઈલ તસવીર)

79 વર્ષીય આશા પારેખે દિલ દેકે દેખો, કટી પતંગ, ત્રીજી મંજિલ અને કારવાં જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને હિન્દી સિનેમાની આઇકૉનિક એક્ટ્રેસ માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદા સાહેબ ફાળકે એવૉર્ડ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતે પ્રશંસિત ટેલીવિઝન શૉ કોરા કાગજનું નિર્દેશન કર્યું હતું. એક નિર્માતા અને નિર્દેશક તરીકે પણ તેમનું કામ અભૂતપૂર્વ રહ્યું છે.

આશા પારેખે બાળ કલાકાર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને બેબી આશા પારેખના નામે ઓળખતા હતા. સિનેમા જગતમાં તેમનો પ્રવાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આશાનું જીવન ત્યારે બદલાયું જ્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર બિમલ રૉયે તેમને ઇવેન્ટમાં ડાન્સ કરતા જોયા અને તેમને પોતાની ફિલ્મમાં (1952) કામ આપ્યું. તે સમયે આશા માત્ર 10 વર્ષનાં હતાં.

ત્યાર બાદ બિમલે વર્ષ 1954માં આવેલી ફિલ્મ `બાપ બેટી`માં આશાને તક આપી અને ફિલ્મ હિટ ન થઈ તો તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરવાની સાથે સાથે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું અને સોળ વર્ષની ઉંમરમાં તેમણે લીડ એક્ટ્રેસ તરીકે શરૂઆત કરી છે. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ `ગૂંજ ઉઠી શહનાઈ`માં કરવામાં આવેલા કામ માટે તેમને કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

September 19, 2022
kavita.jpg
1min319

ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક ‘કૌન બનેગા કરોડપતિ’ના 14મી સિઝનની પ્રથમ કરોડપતિ બની છે કોલ્હાપુરની રહેવાસી 45 વર્ષની કવિતા ચાવલા.

Exclusive! Kavita Chawla becomes Kaun Banega Crorepati Season 14's first  crorepati, says, 'I wanted to be on this show since 2000' - Times of India

કવિતા ચાવલા વર્ષ 2000માં ‘કૌન બનેગા કરોડપતિ’ની શરૂઆતથી આ શોમાં ભાગ લેવાનો પ્રયાસ કરી રહી હતી અને અંતે 21 વર્ષ અને 10 મહિના બાદ તેને અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાની તક મળી.

કવિતા ચાવલાએ જણાવ્યું કે, આટલા પ્રયત્નો બાદ મારું સપનું સાકાર થયું છે. મારા મનમાં એ વાત આવતી હતી કે ઘણા લોકો પહોંચી ગયા છે હું ક્યારે પહોંચીશ. હું હજુ ઘરે બેઠી છું મારો નંબર ક્યારે લાગશે? શોમાં આવતા લોકોની વાર્તા જાણીને હું પણ ભાવુક થઈ જતી હતી. એ લોકો શોમાં બેસીને રડતા હતા અને હું ઘરે બેસીને રડતી હતી. મેં દર વર્ષે પ્રયત્ન કરતી પણ મને નિરાશા જ મળતી હતા.

કવિતાને વર્ષ 2021માં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડમાં પહોંચવાની તક મળી પરંતુ તે તેનાથી આગળ ન વધી શકી. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને સખત મહેનત ચાલુ રાખી. તેમના કહેવા પ્રમાણે અમિતાભ બચ્ચને તેમને પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા આપી હતી.

તેના સ્કૂલિંગનો ઉલ્લેખ કરતાં કવિતાએ જણાવ્યું કે, જ્યારે હું 10મું પાસ થઈ ગઈ હતી ત્યારે અમારે ત્યાં છોકરીઓ માટે 10માં ધોરણ સુધી ભણવું એ ખૂબ મોટી વાત હતી. પરંતુ તેમ છતાં મારા પરિવારના સભ્યોએ મારી વિનંતી પર મને 12મા સુધીનો અભ્યાસ કરાવ્યો.

સંજોગો એવા હતા કે અમારા ઘરની માતા અમારા ચાર બાળકોને ઉછેરવા માટે સિલાઈકામ કરતી હતી. તેને જોઈને હું પણ સિલાઈ શીખી ગઈ અને મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું. આગળનો અભ્યાસ છોડીને હું તેમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારબાદ મારા લગ્ન થઈ ગયા હતા અને ગૃહિણી બની ગઈ પરંતુ મેં મારું જ્ઞાન વધારવાનું ચાલું રાખ્યું.

‘કૌન બનેગા કરોડપતિ’માં કયો સવાલ સૌથી મુશ્કેલ હતો તેના પર કવિતાએ કહ્યું કે, 3 લાખ 20 હજારના ઉપર વાળા સવાલ ખૂબ જ કઠિન હોય છે. મેં કેટલાક વાંચ્યા હતા અને કેટલાક ખૂબ જ સમજી વિચારીને જવાબ આપ્યા. હું કેબીસીને શરૂઆતથી ફોલો કરી રહી હતી. તેના વધતા લેવલ પ્રમાણે પોતાને અપડેટ કરતી હતી.

જીતેલા 1 કરોડ રૂપિયાનું શું કરશે? આ સવાલ પર કવિતાએ કહ્યું કે, જીતવા બાદ તેમાનો થોડો હિસ્સો પોતાના 22 વર્ષના પુત્રના આગળના અભ્યાસ માટે ખર્ચ કરશે. તેમણે આગળ કહ્યું કે, મારે આખા ભારતમાં ફરવું છે. મારે મેઘાલય જવું છે અને ચેરી બ્લોસમ ફેસ્ટિવલ જોવો છે જે મેં અત્યાર સુધી માત્ર ટીવી પર જ જોયો છે.

આ વખતે કેબીસી કેવી રીતે અલગ છે તેનો ઉલ્લેખ કરતાં કવિતાએ કહ્યું કે, આ વખતે શોમાં જે બદલાવ લાવવામાં આવ્યો છે તે ખૂબ જ સારો છે. આઝાદીના 75મો પર્વ છે  તે માટે તે 75 લાખ પર ધન અમૃત પ્રશ્ન લઈને આવી છે. તેના કારણે એવું થશે કે, કોઈ એક કરોડનો પ્રશ્ન અજમાવશે તે જોખમમાં નહીં આવશે. ભલે તે ખોટો હોય તે ત્રણ લાખ 20 હજારથી નીચે નહીં આવે. 75 લાખ તો કમસેકમ ઘર લઈ જશે.

કવિતાએ કહ્યું કે, આ રેકોર્ડ બનાવવો સરળ તો નથી પરંતુ તમે બધા મારા માટે દુઆ કરો. આગળ જોઈએ કે, હું 75 લાખનો પડાવ પાર કરી શકું કે, ક્વિટ કરીશ કે પછી ફરી રેકોર્ડ બનાવી શકું.

કવિતાએ કહ્યું કે, તેમની અત્યાર સુધીની જિંદગી પતિ અને બાળકોની દેખરેખમાં જ નીકળી ગઈ. તેમણે આગળ કહ્યું કે, હાઉસ વાઈફનું કામ સરકારી નોકરી કરતા પણ મોટું છે. હાઉસ વાઈફ મલ્ટીટાસ્કિંગ કામ હોય છે. પતિ પ્રત્યે જવાબદારી હોય છે. બાળકોનું સાસુ-સસરાનું અને ઘરમાં બીજા લોકો પણ હોય છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

અગાઉ આપણા સમાજના કારણે મારી પણ એવી જ વિચારસરણી હતી કે, હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી છું. મારી પાસે કોઈ ડિગ્રી નથી હું આગળ શું કરીશ? કવિતાએ કહ્યું કે, ‘કૌન બનેગા કરોડપતિ’ શો જોયા બાદ તેમની વિચારસરણી બદલાઈ અને નક્કી કર્યું કે, કોઈ ડિગ્રી ન હોવા છતાં પણ તે પોતાના જ્ઞાનથી પૈસા કમાશે. હું વિચારતી હતી કે, જો મહેનત કર્યા બાદ હું કરોડપતિ બનીશ તો તે મને સૌથી મોટી ડિગ્રી મળશે- કરોડપતિ કવિતાની. ત્યારબાદ મને કોઈ ડિગ્રીની જરૂર નથી. હવે મને ખરેખર લાગે છે કે, મને બીજી કોઈ ડિગ્રીની જરૂર નથી.

September 4, 2022
rubi-khan.jpg
1min447

– રૂબી ખાન ભાજપના મહિલા મોરચાની ઉપાધ્યક્ષ

– મૂર્તિ પૂજા કરનારી રૂબી ખાન ઈસ્લામ વિરોધી : દેવબંધ મુફ્તિનો ફતવો, લોકોએ કહ્યું, સલમાન ખાન સામે પણ ફતવો જાહેર કરીને બતાવો

અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની ઉપાધ્યક્ષ રૂબી ખાને ગણેશ પૂજન કર્યું હતું. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. એનો વીડિયો સામે આવ્યો તે પછી દેવબંધના મુફ્તિએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડયો હતો અને તેને ઈસ્લામ વિરોધી ગણાવી હતી.

ગણેશ ચતુર્થીએ અલીગઢમાં ભાજપના મુસ્લિમ નેતા રૂબી ખાને ઘરમાં ગણેશ ભગવાનનું સ્થાપન કર્યું હતું અને ગણેશપૂજન કર્યું હતું. આખો પરિવાર ગણેશ ભગવાનની પૂજા કરતો હોય અને લાડુનો પ્રસાદ ધરાવતો હોય એવો વીડિયો પણ શેર કર્યો હતો. 

મુસ્લિમ પરિવારે ગણેશ પૂજન કર્યું એનો વીડિયો સામે આવ્યો પછી કેટલાક કટ્ટરવાદીઓએ એનો વિરોધ કર્યો હતો. દેવબંધના મુફ્તિ અરશદ ફારૂકીઅ એક નિવેદનમાં કહ્યું હતું કે ગણેશ ભગવાન હિન્દુધર્મમાં પૂજનીય છે અને જ્ઞાાન, સુખાકારી, સમૃદ્ધિના દાતા છે. પરંતુ ઈસ્લામમાં મૂર્તિ પૂજા થતી નથી. તેથી મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામ વિરોધી છે. એવું કરનારા સામે જે હુકમ જાહેર થાય છે એવો જ હુકમ રૂબી ખાન સામે પણ જાહેર થવો જોઈએ. મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામના વિરોધી છે એટલે રૂબી ખાન પણ ઈસ્લામની વિરોધી છે.

આ ફતવા પછી રૂબી ખાને કટ્ટરવાદીઓની ઝાટકણી કાઢી હતી. રૂબી ખાને કહ્યું હતું કે તેને આવા ફતવાની કોઈ જ પરવા નથી. આવા ફતવાથી દેશમાં ભાગલા પડે છે. આપણાં દેશમાં હિન્દુ-મુસ્લિમ એક થઈને રહે છે. એ જ આપણી સદીઓ જૂની પરંપરા રહી છે. 

સાચા મુસ્લિમો આ ભાષામાં વાત કરતા નથી. લોકોએ રૂબી ખાનના સમર્થનમાં કટ્ટરવાદી ધાર્મિક નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રૂબી ખાન જેમ ઘરમાં ગણેશ સ્થાપન અને પૂજા કરે છે, એમ સલમાન ખાન પણ કરે છે. મુફ્તિઓ અને મૌલાનાઓ સલમાન ખાન સામે ફતવો જાહેર કરી બતાવે. 

August 26, 2022
nikita_chandwani-1.jpg
1min295

સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડમાં આવેલી ઇગ્નાઇટ એકેડેમીમાં સી.એ. સ્નેહ ભાટીયા પાસેથી કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ લેનારી વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ તા.25મી ઓગસ્ટ 2022ના રોજ જાહેર થયેલા કંપની સેક્રેટરી પરીક્ષા 2022ના પરીણામમાં ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો હતો. આ પ્રસંગે ઇગ્નાઇટ એકેડેમીના હેડ સ્નેહ ભાટીયા તથા એકેડેમીના જ ભૂપેન્દ્ર જૈને નિકીતાને શુભેચ્છાઓ આપી હતી. – CiA Live News Web

ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટે હબ બની ચૂકેલા સુરત શહેરના યુવક યુવતિઓ હવે સી.એ. જેવા જ કંપની સેક્રેટરી (સી.એસ.) અભ્યાસક્રમમાં પણ નેશનલ લેવલે ઝળકી રહ્યા છે.

આજે તા.25મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એસ.ના રાષ્ટ્રવ્યાપી પરીણામોમાં સુરત શહેરની નિકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવતા સમગ્ર દેશમાં ફરીથી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે ચર્ચામાં આવ્યું હતું. કંપની સેક્રેટરી કોર્સની ફાઇનલ્સ પરીક્ષામાં નિકીતા ચંદવાણીએ 900 ગુણની પરીક્ષામાં 676 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં હજારો વિદ્યાર્થીઓમાંથી સર્વપ્રથમ (ઓલ ઇન્ડીયા ફર્સ્ટ) રેન્ક હાંસલ કરતા સમગ્ર દેશમાં આ સમાચાર ભારે વાઇરલ થયા હતા. નિકીતા ચંદવાણીએ રાંદેર રોડની સંસ્કારભારતી વિદ્યાલયમાંથી ધો.12ની પરીક્ષા સામાન્ય પ્રવાહમાંથી પાસ કર્યા બાદ કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ ઘોડદોડ રોડના ઇગ્નાઇટ એકેડેમીમાં શરૂ કર્યું હતું.

આજે પરીણામ જાહેર થયા બાદ મિડીયા ઇન્ટરેકશનમાં નિકીતા ચંદવાણીએ કહ્યું કે આ મુકામ પર પહોંચવા માટે તેણે સ્ટડીને ટોપ પ્રાયોરિટીમાં રાખ્યું હતું.નિકીતા ચંદવાણીને સી.એસ.નું કોચિંગ આપતા સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે ભારતમાં હવે કોર્પોરેટ નેટવર્ક વધી રહ્યું છે, પ્રાઇવેટ લિમીટેડ કંપનીઓ આવી રહી છે, સ્ટોક બજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે, યંગસ્ટર્સમાં હવે આ અભ્યાસક્રમનો ક્રેઝ વધ્યો છે. તેમણે કહ્યું કે આપણી આસપાસ વધતા કોર્પોરેટ કલ્ચરને કારણે વિદ્યાર્થીઓ આ પ્રોફેશન ડિગ્રી પ્રોગ્રામમાં ખૂબ જ રસ દાખવી રહ્યા છે.

કંપની સેક્રેટરીનું ઓવરઓલ પરીણામ ફક્ત 18થી 22 ટકા

એક તરફ આજે સુરતની નિકીતા રમેશભાઇ ચંદવાણી નામની વિદ્યાર્થીની સી.એસ.માં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થઇ છે તો બીજી તરફ કંપની સેક્રેટરી કોર્સનું પરીણામ ફક્ત 18થી 22 ટકા જેટલું નીચું આવ્યું છે. આઇ.સી.એસ.આઇ.સુરત બ્રાન્ચની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ પ્રોફેશનલ પ્રોગ્રામની મોડ્યુલ-1 પરીક્ષાનું પરીણામ 22.07 ટકા, મોડ્યુલ-2નું પરીણામ 18.17 ટકા અને મોડ્યુલ-3નું પરીણામ ફક્ત 18.90 ટકા આવ્યું છે. પ્રમાણમાં કઠિન ગણાતા આ કોર્સ સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોને સારી જગ્યાએ પ્લેશમેન્ટ મળી જ જાય છે.

August 8, 2022
sandhu.jpg
1min220

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી.

પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.

બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે 2018 કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.

પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ 21-19, 21-17 થી પોતાના નામે કરી હતી.

July 25, 2022
murmu.jpeg
1min222

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક દેશોના રાજદૂત તથા ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે.

સીજેઆઈ એન.વી.રમણાએ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મુર્મુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે સમારંભના સમાપન બાદ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે અને ત્યાં તેમને ઈન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સેનાઓના શૌર્ય અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું.

‘ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે’

મહામહિમ મુર્મુએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગીએ એ વાતનો પુરાવો છે કે, ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘મેં મારા જીવનની સફર ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણની પ્રાપ્તિ પણ એક સ્વપ્ન સમાન હતી. પરંતુ અનેક અડચણો છતાં મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણી લોકશાહીની જ તાકાત છે જેમાં એક ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ય બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.’

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘દેશે મને એક એવા મહત્વપૂર્ણ કાલખંડમાં રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી અમુક દિવસો બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક સંયોગ કહી શકાય કે, દેશ જ્યારે પોતાની આઝાદીના 50મા વર્ષનો પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષે મને આ નવી જવાબદારી મળી છે.’

પોતાના સંબોધન દરમિયાન દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં પ્રયત્નો તેજ કરવા પડશે. મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીમાં એ તાકાત છે કે, મને અહીં સુધી પહોંચાડી.

રામનાથ કોવિંદ તથા તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી.

June 22, 2022
draupadi_murmu.jpg
1min228

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી. 

મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.

દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.

વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.