સુરતીઓની દુનિયા Archives - CIA Live

July 17, 2026
Dinesh-Navadiya-1280x971.jpg
1min19

CiA Live ન્યુઝ વેબ

સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.

વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.

આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે.
સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની

નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.

વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.

July 17, 2026
taada-1280x960.jpg
1min22

સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટિનમ હોલ ખાતે 19 જુલાઇએ કોન્કલેવ સાથે ફેશનોવા 2026 ફેશન શોનું પણ આયોજન

ટેક્ષટાઇલ ઉદ્યોગના આગેવાન અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્ય અને કેટલાક ઉદ્યોગપતિઓએ ત્રણેક મહિના પૂર્વે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેલપમેન્ટ એસોસીએશન TAADAની રચના કરી છે અને આ સંગઠનની સૌથી પહેલી ઇવેન્ટ, નેશનલ ટેક્ષટાઇલ એક્સપોર્ટ કોન્કલેવનું આયોજન આગામી તા.19મી જુલાઇને રવિવારના રોજ સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટીનમ હોલ ખાતે કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા TAADAના પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્ય તેમજ મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે દૈનિક 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત ટેક્ષટાઇલ ક્લસ્ટરમાંથી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ વધે તે માટેના પ્રયાસો TAADA હાથ ધરવામાં આવ્યા છે. સુરતની પોતાની ઓળખ મેનમેડ ફાઇબર ઉપરાંત ડેનિમ, વિસ્કોસ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને એમ્બ્રોઇડરી જેવા ક્ષેત્રોમાં સુરતમાં જે કામ થાય છે તેને જો વૈશ્વિક બજારમાં મૂકવામાં આવે તો વિદેશી ખરીદારો તેને ફટાફટ ખરીદી કરી શકે. પરંતુ, ચોક્કસ કારણોસર એક્સપોર્ટ થઇ શકતું નથી. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યમીઓમાં નિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ કોન્કલેવમાં તમામ પ્રકારના પાસાઓને આવરી લઇને નોલેજ શેરીંગ સેશન રાખવામાં આવ્યા છે, જેનાથી કોન્કલેવમાં જોડાનારા એમ.એસ.એમ.ઇ.થી લઇને મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામને નિકાસ માટે જરૂરી ગાઇડન્સ મળી રહે.

અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ કોન્કલેવમાં દેશના કાપડ ઉદ્યોગના આગેવાનો ખુદ ગાઇડન્સ આપશે.કોન્કલેવ બપોરે 2.30 કલાકથી શરૂ થશે અને એ પછી સાંજે 7 વાગ્યે ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇ.ડી.ટી.)ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશનોવા 2026 ફેશન શો યોજાશે. આ ફેશન શોમાં સસ્ટેનેબિલિટી આધારીત વિશિષ્ટ થીમ્સ રજૂ કરવામાં આવશે.

July 17, 2026
STM.jpg
1min23

તા.18મી જુલાઇને શનિવારે સુરતના વિકસેલા કાપડ ઉદ્યોગની સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે પેનલ વચ્ચે હરીફાઇ છે. એક પેનલનું નામ એકતા પેનલ છે જે સત્તાધારી પક્ષના ઉમેદવારોની પેનલ છે જેમાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વિક્રેતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. જ્યારે એકતા પેનલની સામે ટેક્ષટાઇલ માર્કેટના અસંતુષ્ઠ શોપ ઑનર્સની બનેલી પેનલ છે, જેનું નામ પ્રગતિ પેનલ છે.

સુરત ટેક્ષટાઇલ માર્કેટની પૂર્વ સંધ્યાએ જે પ્રકારનો માહોલ માર્કેટમાં અને શોપ ઑનર્સમાં જોવા-જાણવા મળ્યો એ મુજબ ચૂંટણીમાં સત્તાધારીઓની એકતા પેનલનો વિજય નિશ્ચિત મનાય છે. માર્કેટના મોટાભાગના દુકાનદારોએ કહ્યું કે તેઓ વર્તમાન મેનેજમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને અત્યાર સુધી એકતા પેનલના ઉમેદવારોએ જે પણ કંઇ કર્યું છે એ સંપૂર્ણપણે પારદર્શી અને દુકાનદારોના હિતમાં કર્યું છે. કેટલાક દુકાનદારોને તેમના વહીવટથી વિરોધ છે, તેનો મતલબ એ નથી કે સુરત ટેક્ષટાઇલ માર્કેટના બધા વેપારીઓમાં વિરોધ છે. જે લોકોને સુરત મહાનગરપાલિકા સાથે થયેલી લીઝ એગ્રિમેન્ટ સામે વિરોધ છે તેમણે એકતા પેનલના ઉમેદવારો સામે એલફેલ અને મનઘડંત આરોપો લગાડ્યા અને ચૂંટણીમાં માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ, એકતા પેનલના ઉમેદવારો સહેજ પણ વિચલિત થયા વગર સુરત ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદારોમાં ફર્યા અને પ્રચાર કર્યો. એકતા પેનલના ઉમેદવારો સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના મનઘડંત આક્ષેપો કરવામાં આવ્યા, જે માની શકાય તેવા નથી એવું મોટા ભાગના દુકાનદારો જાણે છે અને એટલે જ ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણીમાં એકતા પેનલના ઉમેદવારોનો વિજય નિશ્ચિત જણાય રહ્યો છે.

મતદાનની પૂર્વ સંધ્યાએ સુરત ટેક્ષટાઇલ માર્કેટના મોટા ભાગના વેપારીઓમાં એ વાત પહોંચી ચૂકી છે કે સમાજના શ્રેષ્ઠીઓની બનેલી એકતા પેનલ જ સુરત ટેક્ષટાઇલ માર્કેટનો ભાવિ વિકાસ કરી શકવા માટે સમર્થ છે, કેટલાક લોકોનો દુષ્પ્રચાર એકતા પેનલે કરેલી કામગીરીને કલંકિત કરી શકે નહીં.

July 16, 2026
WhatsApp-Image-2026-07-16-at-16.10.53-1280x876.jpeg
1min86

CiA Live ન્યુઝ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સહયોગથી આજે (16મી જુલાઇ 2026)ના રોજ એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે કાર્યાન્વિત કર્યો છે. આ એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુરત કલેક્ટર તેજસ પરમાર તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. એસવીએનઆઇટીના ડિરેક્ટર પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, સાથે એએમએનએસના વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. અને એડમિનિસ્ટ્રેશન આશુતોષ તેલંગ, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.

વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે સુરત કલેક્ટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”

પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.

આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

July 14, 2026
image-13.png
1min224

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

July 13, 2026
Cia_business_news-1280x936.jpg
1min87
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લડ લોન યોજનાનું લોકાર્પણ
  • પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ

સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત બનેલા વેપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકોને આર્થિક રાહત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ સહકારી બેંક – ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા માત્ર 9% વ્યાજદરે રૂ|. 5 લાખ સુધીની વિશેષ “ફ્લડ લોન” યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે પૂર અને પાણી ભરાવાના કારણે વેપારીઓના માલસામાન, સ્ટોક અને મિલકતને થતા નુકસાન સામે રક્ષણ આપતી વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ બંને લોકહિતકારી યોજનાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશા લોકોની પડખે ઊભી રહે છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોની સાથે વરાછા બેંકે પણ સામાજિક જવાબદારી નિભાવી પૂરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય મળે તે માટે વિશેષ ફ્લડ લોન યોજના અને ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરી છે, જે અત્યંત પ્રશંસનીય અને સમયોચિત પહેલ છે. તેમણે બેંકના ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સમગ્ર મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પૂરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા માટે સતત કાર્યરત છે અને વરાછા બેંક દ્વારા કરવામાં આવેલી આ લોકહિતકારી પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે.

બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ફ્લડ લોન યોજના હેઠળ અસરગ્રસ્તોને રૂ. 5 લાખ સુધીની લોન માત્ર 9 % વ્યાજદરે અને 60 મહિનાની સરળ ચુકવણી મુદત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોનની મંજૂરી ઝડપથી મળી રહે તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે વિશેષ Dedicated Flood Assistance Counter શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં અરજદારોને માર્ગદર્શન તથા જરૂરી સહાય ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત, ભવિષ્યમાં પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન, દુકાન તથા અન્ય વ્યવસાયિક મિલકતને થતા નુકસાન સામે આર્થિક રક્ષણ મળે તે માટે વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને બેંકની શાખાઓ મારફતે જ બેંકિંગ તથા વીમા – બંને સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે.

ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયાના નેતૃત્વ હેઠળ વરાછા બેંકે પૂરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને ઝડપથી આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા બેંકની ફ્લડ લોન યોજના વેપારીઓ અને નાગરિકોને ફરી આર્થિક રીતે સશક્ત બનવામાં મહત્વપૂર્ણ સહાયક બનશે.

આ યોજના અંગે વધુ માહિતી માટે ગ્રાહકો સુરત, નવસારી, અંકલેશ્વર, અમદાવાદ તથા રાજકોટ ખાતે આવેલી વરાછા બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરી શકશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડીયા, ઉદ્યોગપતિ શ્રી જયંતીભાઈ એકલારા, સામાજિક અગ્રણી શ્રી મુકેશ પટેલ, બેંકના તમામ ડિરેક્ટર્સશ્રીઓ, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલ ધાનાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એજીએમ શ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડિરેક્ટર શ્રી વલ્લભભાઈ ચોથાણી દ્વારા કરવામાં આવી હતી.

July 9, 2026
અશોક-જીરાવાલા.png
2min82

છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”

ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:

  • 1.એસોસિએશનો મારફતે:
    વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
  • 2.સીધી રજૂઆત:
    જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
  • પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
  • નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
  • એકમનું નામ:
  • સરનામું:
  • GST નંબર:
  • ઉદ્યોગનું ક્ષેત્ર:
  • MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
  • નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
  • નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
  • નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
  • ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર પાઠવી રજૂઆતો કરી

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.

આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.

અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.

July 9, 2026
Cia_business_news-1280x936.jpg
1min82
  • ભેદવાડ ખાડીના ઓવરફ્લોથી પાંડેસરા જીઆઇડીસીમાં ઉત્પાદન ઠપ
  • 20થી વધુ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલોમાં 5થી 7 ફૂટ પાણી ઘૂસ્યાં, સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન બંધ થતાં 125થી વધુ મિલો ત્રણ દિવસથી બંધ

પાંડેસરા જીઆઇડીસીને અડીને આવેલી ભેદવાડ ખાડીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત 6 જુલાઇથી પાણીનો આવરો શરૂ થયો હતો. જોતજોતામાં છેલ્લા અંદાજે 75 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી ખાડીમાં આવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભેદવાડ ખાડીની વહન ક્ષમતા વર્ષોથી ઘટી જવા ઉપરાંત અનેક સ્થળોએ થયેલા દબાણો અને બોટલનેક જેવી સ્થિતિના કારણે પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો નહોતો. પરિણામે ખાડીમાંથી પાણી ઓવરફ્લો થઈ પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યું હતું.

આ અચાનક આવેલા પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીની 20થી વધુ ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોમાં પાંચથી સાત ફૂટ સુધી પાણી ઘૂસી જતાં મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને વ્યાપક નુકસાન થયું છે. અનેક મિલોમાં ઉત્પાદન માટે જરૂરી સાધનો પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.

પૂરની સૌથી ગંભીર અસર પાંડેસરા જીઆઇડીસીના પમ્પિંગ સ્ટેશન તથા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) પર જોવા મળી છે. પમ્પિંગ સ્ટેશન અને સીઇટીપીમાં ચાર ફૂટથી લઈને છથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. પાણી પમ્પિંગ માટે ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પંપ, મોટરો અને અન્ય મહત્વપૂર્ણ મશીનરી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં સમગ્ર પમ્પિંગ વ્યવસ્થા બ્રેકડાઉન થઈ ગઈ છે.

સીઇટીપીની ઓફિસોમાં પણ પાણી ઘૂસી જતાં ફર્નિચર, દસ્તાવેજો તથા અન્ય ઓફિસ સાધનોને નુકસાન થયું છે. પ્લાન્ટની મશીનરી ઉપરાંત ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને પણ પારાવાર નુકસાન પહોંચ્યું હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. મશીનરીને ફરી કાર્યરત કરવા માટે મોટા પાયે સમારકામ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની જરૂર પડશે.

સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી પાંડેસરા જીઆઇડીસીની 125થી વધુ ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ મિલો પાસે ઉત્પાદન બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. એફ્લ્યુએન્ટના નિકાલની વ્યવસ્થા બંધ હોવાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવા તમામ એકમોએ કામગીરી સ્થગિત કરી છે. ત્રણ દિવસથી ઉત્પાદન ઠપ રહેતાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગકારોએ ભેદવાડ ખાડીનું ડીપનિંગ, પહોળાઈ વધારવાની કામગીરી અને દબાણો દૂર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે જો ખાડીની વહન ક્ષમતા સમયસર વધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.

સીઇટીપી અને અમૃતવનમાં 60 હજારથી વધુ છોડ-ઝાડ પાણીમાં ગરકાવ

ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે પાંડેસરા જીઆઇડીસીના સીઇટીપી કેમ્પસ તેમજ અમૃતવન વિસ્તારમાં મળીને અંદાજે 60 હજારથી વધુ છોડ અને ઝાડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં હરિયાળી પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ છોડને બચાવવા માટે વિશેષ જાળવણી અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન-મેઇન્ટેનન્સ ચાર્જમાં 50 ટકા રાહત

ભારે વરસાદ અને પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સીઇટીપી સંચાલન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઓ. એન્ડ એમ.) ચાર્જિસમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત માટે કોઈ મિલને નુકસાન થયું છે કે નહીં તે માપદંડ રાખવામાં આવ્યો નથી. પાણી ભરાવાની સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીઆઇડીસીની તમામ મિલોને સમાન રીતે આ રાહતનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયથી પૂરગ્રસ્ત ઉદ્યોગોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

July 7, 2026
cia_multi-1280x1045.jpg
2min751

તા.8મી જુલાઇને બુધવારે સુરત શહેર જિલ્લામાં તમામે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કામ બંધ રહેશે

ભારે વરસાદની આગાહીને પગલે આજે મંગળવારની જેમ આવતીકાલ તા.8મી જુલાઇને બુધવારે પણ સુરત શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જારી કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલસચિવની 8 જુલાઇના રોજ રજા અંગેની જાહેરાત

તા.7મી જુલાઇ, આજરોજ સવારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ કોલેજ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી કોલેજોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોલેજએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય કૉલેજના આચાર્યશ્રી/વિભાગીય વડા શ્રી એ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.સુરત જિલ્લા ઉપરાંત ના દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના વિસ્તાર માં આચાર્ય શ્રી વિધાર્થી ઓને રજા આપવા બાબતે વિવેકબુદ્ધિ ને આધિન યોગ્ય નિર્ણય લઈ શકે છે

નોંધ :જો કોલેજ ખાતે કોઈ પરીક્ષા ચાલતી હોય તો યુનિવર્સિટી સાથે યોગ્ય સંકલન/પરામર્શન કરવું પરીક્ષા બાબતે અને પછી રજા અંગે નિર્ણય કરવાનો રહેશે અથવા યુનિ એ પરીક્ષા સંબંધિત કરેલ જાહેરાત મુજબ કરવું

આજે તા.7મી જુલાઇના રોજ વહેલી સવારથી સુરતમાં વરસાદ ત્રાટક્યો હતો. સવારે 8થી સાંજે 4 સુધીના 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. BRTS અને ST બસ વ્યવહાર ઠપ થયો. ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઈંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બેંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

July 6, 2026
WhatsApp-Image-2026-07-06-at-17.27.38-1280x853.jpeg
1min83
  • SGCCI અને CAIT ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવા’ વિશે સેશન યોજાયું
  • બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ અને વેપાર વૃદ્ધિના માર્ગો જાણવા ઉદ્યોગકારો માટે અનિવાર્ય: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • સરકાર ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાવવા પ્રયત્નશીલ, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને PLI સ્કીમનો લાભ લેવા હાકલ

સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”

૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ
સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્‌ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.

આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.