ચાલુ વર્ષની ટર્મના તમામ હોદ્દેદારોને આગામી વર્ષ માટે પણ જવાબદારી સોંપવાનો કારોબારી મિટીંગમાં નિર્ણય
ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓના સૌથી મોટા સંગઠન સુરત ડાયમંડ એસોસીએશનની કારોબારી મિટીંગ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઇ હતી. મિટીંગમાં એસોસીએશનના વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષની ટર્મમાં ફરજ બજાવી રહેલા તમામ હોદ્દેદારોને આગામી ટર્મ માટે પણ રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
એસોસીએશન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વર્ષ 2026-27 માટે પણ હાલના હોદ્દેદારો જ પોતાની જવાબદારી સંભાળશે. આ નિર્ણયથી એસોસીએશનની વર્તમાન ટીમ પર કારોબારી સભ્યો દ્વારા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
વર્ષ 2026-27 માટેની હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઇ પી. ખુંટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ એમ. પટેલ, મંત્રી તરીકે ધીરુભાઇ પી. સવાણી, સહમંત્રી તરીકે શ્રીકિર્તીકુમાર એલ. શાહ તથા ખજાનચી તરીકે શાંતિલાલ વી. ધાનાણીની જવાબદારી યથાવત્ રાખવામાં આવી હોવાનું એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.
એસોસીએશનની કારોબારી મિટીંગમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને પગલે આગામી વર્ષ દરમિયાન પણ સંગઠનની કામગીરી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે હાલની ટીમ જ આગેવાની કરશે. હોદ્દેદારોની પુનઃવરણી અંગેનો નિર્ણય એસોસીએશનની સતત કામગીરી અને વર્તમાન ટીમના અનુભવને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મિટીંગની વિગતો પરથી સ્પષ્ટ થાય છે.
ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વધુ એક મહત્વની જવાબદારી: હિમાંશુ એચ. બોડાવાલાની ફિયાસ્વી મુંબઈના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી
સુરતના અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ હિમાંશુ બોડાવાલાને ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી (ફિયાસ્વી)ના વર્ષ 2026-27 માટે ચેરમેનની જવાબદારી
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના માજી પ્રમુખ હિમાંશુ એચ. બોડાવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી (FIASVI)ના ચેરમેન તરીકે વર્ષ 2026-27 માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ જવાબદારી તરીકે જોવામાં આવી રહી છે.
ફિયાસ્વી, મુંબઈની 02 સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈ ખાતે યોજાયેલી 49મી વાર્ષિક સામાન્ય સભામાં આ વરણી કરવામાં આવી હતી. ધ સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (SASMIRA)ના બોર્ડરૂમ ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં મિહિર મહેતા પ્રમુખ, હિમાંશુ એચ. બોડાવાલા ચેરમેન અને અમિતાબેન યવલે વાઇસ ચેરમેન તરીકે વર્ષ 2026-27 માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
લાંબા સમયથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સક્રિય જોડાણ
હિમાંશુ એચ. બોડાવાલા લાંબા સમયથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ અગાઉ ફિયાસ્વીના વાઇસ ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SASM)ના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં લાંબા સમયથી સક્રિય રહેલા બોડાવાલાનું ઉદ્યોગ સાથેનું જોડાણ માત્ર વ્યવસાય પૂરતું મર્યાદિત નથી રહ્યું. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓમાં જવાબદારી સંભાળીને તેમણે સંગઠનાત્મક સ્તરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના આ અનુભવને ધ્યાનમાં લેતા ફિયાસ્વીના ચેરમેન તરીકેની નવી જવાબદારી ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને પડકારોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં ઉપયોગી બની શકે છે.
હિમાંશુ એચ. બોડાવાલાની ફિયાસ્વીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી બદલ સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા બોડાવાલાને હવે આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રીની રાષ્ટ્રીય સ્તરની સંસ્થા FIASVIનું નેતૃત્વ કરવાની તક મળી છે. તેમની નવી જવાબદારી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ ગૌરવની બાબત બની છે.
આજે બુધવાર, તા.2 સપ્ટેમ્બર 2026ના રોજ, FOSTA બોર્ડરૂમ ખાતે શહેરની વિવિધ ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓની મિટીંગ મળી હતી. આ મિટીંગની મુખ્ય કાર્યસૂચિ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રસ્તાવિત દર વધારા પર ચર્ચા વિચારણા કરીને વ્યાપારીક હિત જળવાય તેવી કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવાનો હતો.
મીટિંગ દરમિયાન, વેપારીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા લેવાયેલો નિર્ણય વ્યાજબી નથી. વેપારીઓનો આગ્રહ હતો કે આ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય લેતા પહેલા, પ્રોસેસર્સ એસોસિએશને FOSTA અને વેપારીઓ સાથે પરામર્શ કરવો જોઇતો હતો. ટેક્સટાઇલ વેપારીઓ પણ ઇન્ડસ્ટ્રીઝના એક મહત્વના સ્ટેક હોલ્ડર છે અને તેમની પરિસ્થિતિઓને સમજી યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકાયું હોત. પણ કમનસીબે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવાયો છે જે દુખદ છે.
ટેક્સટાઇલ વેપારીઓએ વધુમાં ટિપ્પણી કરી હતી કે યોગ્ય પરામર્શ અને સર્વસંમતિ વિના દર વધારો એક સરમુખત્યારશાહી વલણ દર્શાવે છે, જે વ્યવસાયિક હિત માટે હાનિકારક છે.
મીટિંગમાં હાજર વેપારીઓએ FOSTAને આ બાબતે પ્રોસેસર્સ એસોસિએશન સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેમણે વિનંતી કરી હતી કે 7 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત પ્રસ્તાવિત દર વધારાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવે, જેથી સર્વસંમતિના આધારે નિર્ણય લેવા માટે તમામ હિસ્સેદારો વચ્ચે યોગ્ય ચર્ચા થઈ શકે.
FOSTA એ પ્રોસેસર્સ એસોસિએશનને પણ પત્ર લખ્યો હતો, જેમાં ભાર મૂક્યો હતો કે આવા નિર્ણયો બંને ક્ષેત્રો વચ્ચે સતત પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવા માટે સંગઠન સાથે પરામર્શ કરીને લેવા જોઈએ.
ઉધના-જલગાંવ લાઇન પર સ્થિત નિયોલ સ્ટેશનને વિકસાવવાથી ઉધના યાર્ડનું ટ્રાફિક ભારણ ઘટશે અને DFC કોરિડોર સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે: ચેમ્બર
સુરતના ટેક્સટાઇલ, કેમિકલ્સ, સ્ટીલ અને હેવી એન્જિનિયરિંગ ઉદ્યોગોના લાખો ટન કાર્ગો માટે રેલ સુવિધા અનિવાર્ય
રેલવે ગુડ્ઝ શેડના અભાવે ખાનગી વેરહાઉસિંગ પાછળ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30નો જંગી ખર્ચ વેપારીઓએ ભોગવવો પડે છે
રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભરતા ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને રેલવેની આવકમાં વધારો થશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
વર્ષ 2023-24માં રેલવે દ્વારા મંજૂર કરાયેલા નિયોલ ફ્રેટ ટર્મિનલના પ્રપોઝલને તાત્કાલિક આગળ ધપાવવા માગણી
સુરત, 22 ઓગસ્ટ 2026: સુરત અને દક્ષિણ ગુજરાતના વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પન્ન થતા માલસામાનના ઝડપી અને કિફાયતી પરિવહન માટે નિયોલ રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુવિધાસભર ‘ગૂડ્ઝ હેન્ડલિંગ હબ / ફ્રેટ ટર્મિનલ’ તરીકે વિકસાવવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM – મુંબઈ સેન્ટ્રલ) સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્ર પાઠવી જણાવ્યું છે કે, સુરત દેશનું અગ્રણી કોમર્શિયલ હબ છે જ્યાંથી દરરોજ હજારો ટન આઉટવર્ડ અને ઇનવર્ડ કાર્ગોનું પરિવહન થાય છે. જો કે, નિયોલ ખાતે ગુડ્ઝ હેન્ડલિંગની પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ન હોવાથી તેમજ નજીકના ઉધના જંક્શન પર ભારે ટ્રાફિક કન્જેશન રહેતું હોવાથી સ્થાનિક વેપાર-ઉદ્યોગ જગત ભારે લોજિસ્ટિક્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
નિયોલ સ્ટેશનનું વ્યૂહાત્મક સ્થાન અને કનેક્ટિવિટી
નિયોલ સ્ટેશન ઉધના-જલગાંવ લાઇન પર અત્યંત મહત્વના લોકેશન પર આવેલું છે. તે વેસ્ટર્ન રેલવેની મુખ્ય ટ્રંક લાઇન (મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી)ની તદ્દન નજીક છે અને સુરત/ઉધના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCCL) નેટવર્ક સાથે સીધું જોડાયેલું છે. નિયોલ ખાતે હબ બનવાથી ભારે માલગાડીઓનું ટ્રાફિક ઉધના જેવા ગીચ શહેરી યાર્ડમાં ગયા વિના ડાયવર્ટ થઈ શકશે, જેનાથી ટ્રેનોની મૂવમેન્ટ ઝડપી બનશે અને વેગન/રેકનો ટર્ન-અરાઉન્ડ ટાઇમ સુધરશે.
ઔદ્યોગિક ક્લસ્ટર્સને મળશે સીધો ફાયદો
ટેક્સટાઇલ અને સિન્થેટિક ફેબ્રિક્સ: સુરતના સારોલી, પુણા, કડોદરા અને સચીન પંથકમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને યાર્ન ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં મોકલવામાં આવે છે.
કેમિકલ્સ, ડાઇઝ અને પોલિમર્સ: પાંડેસરા, ઇચ્છાપોર, અંકલેશ્વર-હજીરા બેલ્ટમાંથી ઔદ્યોગિક કેમિકલ્સ અને પ્લાસ્ટિક રો-મટિરિયલના બલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે રેલ સુવિધા અતિ જરૂરી છે.
હેવી એન્જિનિયરિંગ અને સ્ટીલ: હજીરા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી સ્ટીલ કોઇલ્સ, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ્સ અને ભારે મશીનરીના પરિવહન માટે નિયોલ આદર્શ રેલ-હેડ બની શકે છે.
ખાંડ અને કૃષિ ઉત્પાદનો: દક્ષિણ ગુજરાતની સુગર મિલો અને કૃષિ બજારોને દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુશન માટે સીધી રેક લોડિંગની સુવિધા મળશે.
વેપારીઓ પર વેરહાઉસિંગ અને ડેમેજનો મોટો બોજ: અશોક જીરાવાલા
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “નિયોલ ખાતે યોગ્ય લોડિંગ, અનલોડિંગ અને સ્ટેકિંગ ફેસિલિટી ન હોવાથી વેપારીઓએ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30ના ઊંચા દરે ખાનગી ગોડાઉનો રાખવા પડે છે, જેનાથી પ્રોડક્ટની પડતર કિંમત વધી જાય છે. ફેક્ટરીથી ગોડાઉન અને ગોડાઉનથી રેલવે હેડ સુધી વારંવાર માલની હેન્ડલિંગ પ્રક્રિયામાં લેબર ખર્ચ વધે છે અને માલ ડેમેજ થવાનું જોખમ રહે છે. રેલ સુવિધાના અભાવે વેપારીઓ મોંઘા રોડ ટ્રાન્સપોર્ટ તરફ વળવા મજબૂર બને છે.”
ચેમ્બરની મુખ્ય માંગણીઓ: ચેમ્બર દ્વારા પશ્ચિમ રેલવે સમક્ષ માંગ કરાઈ છે કે નિયોલમાં ડેડિકેટેડ ગુડ્ઝ લૂપ લાઇન્સ, લોંગ-હોલ રેક હેન્ડલિંગ કેપેસિટી, હાઇ-કેપેસિટી કવર્ડ શેડ્સ, પેવ્ડ પ્લેટફોર્મ્સ, હાઇ-માસ્ટ લાઇટિંગ અને મિકેનાઇઝ્ડ મટિરિયલ હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે.
ચેમ્બરના પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચેમ્બર દ્વારા લોજીસ્ટિક પાર્કની માંગણી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષ 2023-24માં નિયોલ ખાતે વર્લ્ડ ક્લાસ ફ્રેટ ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો. ચેમ્બરે રેલવે તંત્રને આ દરખાસ્તની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી ટર્મિનલનું કામ શરૂ કરવા તથા રેલવે અધિકારીઓ અને વેપારી સંગઠનો વચ્ચે સંયુક્ત બેઠક યોજી વિઝિબિલિટી સ્ટડી હાથ ધરવા અપીલ કરી છે.
આ રજૂઆતની નકલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM), ચીફ ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CFTM), સીનિયર DOM અને સીનિયર DCMને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલ ૧૭૨માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ભારત પાસે અઢળક કુદરતી સંશાધનો છે. અને વિશાળ જન સમૂહ છે. જો માનવબળ વધુ પ્રગતિશીલ બને તો ભારત વિકસિત રાષ્ટ્ર ઝડપથી બની શકે છે. તા. ૧૩/૦૮/૨૦૨૬ ગુરૂવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૧૭૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ, સાધનો અને પડકારો વિશે વાત કરતા કાનજીભાઈ એ જણાવ્યું કે, આવક, સંપત્તિ, સુવિધાઓ ઉપરાંત લોકોનું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન વિકસિત રાષ્ટ્રની ઓળખ છે. અર્થાત વિકાસ માત્ર અર્થતંત્રનો નહિ પરંતુ માનવજીવનની ગુણવત્તાનો પણ થવો જોઈએ.
સામાન્ય રીતે રાષ્ટ્રને ત્રણ ભાગ પાડવામાં આવે છે. પછાત, વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર. અમેરિકા, જર્મન, જાપાન, સિંગણપોર, દક્ષીણ કોરિયા અને સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશો વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યામાં આવે છે. તો સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય છે કે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? વિકસિત રાષ્ટ્રની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ વર્લ્ડ બેંક રાષ્ટ્રોની કેટેગરી નક્કી કરવામાં માપદંડ નક્કી કર્યા છે. તેમાં જે રાષ્ટ્રની વાર્ષિક માથાદીઠ આવક ૧૪૩૭૫ ડોલર એટલે કે રૂપિયા ૧૪ લાખ વાર્ષિક આવક હોય એ વિકસિત રાષ્ટ્ર ગણવા માટે એક માપ છે. અંતરીક્ષ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ભારતની માથાદીઠ આવક હજુ ૨૬૫૦ ડોલર એટલે કે વાર્ષિક રૂ. ૧૯૩૪૮૦/- છે.
વિકસિત રાષ્ટ્રના લક્ષણો જોઈએ તો ઉંચી માથાદીઠ આવક, ઉચ્ચ માનવ વિકાસ, ઉત્તમ શિક્ષણ – આરોગ્ય, વધુ ઉત્પાદન અને રોજગાર, ટેકનોલોજીનો ઉપયોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની સારી ગુણવત્તા છે. ભારત દેશ પાસે વિકસિત રાષ્ટ્ર બનવાના ઘણા સંજોગો છે. ઝડપી વિકસિત મોટી અર્થવ્યવસ્થા છે. વિશાળ માનવબળ, ભારત યુવાનોનો દેશ છે. જે રાષ્ટ્રની મોટી તાકાત બની શકે છે. ડીઝીટલ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સામે ઘણા મોટા પડકારો પણ છે. માથાદીઠ ઓછી આવક અને આર્થિક અસમાનતા, બેરોજગારી, ભ્રષ્ટાચાર, માનવવિકાસ આંકમાં ભારત ઘણું પાછળ છે. શિક્ષણ અને આરોગ્યમાં ઘણા પ્રશ્નો છે. સુસારૂ શાસન અને જાગૃત નાગરિક પણ વિકાસ માટે મોટા પરિબળો છે.
વિકસિત ભારતના સ્વપ્નને કેન્દ્રમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની ખરી મૂડી છે. વધુ સારી માથાદીઠ આવક એ વિકસિત રાષ્ટ્રનું પ્રથમ લક્ષણ છે. જયારે આવક-આરોગ્ય સેવા અને માનવવિકાસ એ વિકસિત રાષ્ટ્ર બનવા માટે શરતો છે. જયારે વર્તમાન સમયે બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર એ વિકસિત ભારત સામેના મોટા પડકારો છે.
નાગરિક એ રાષ્ટ્રની તાકાત છે. ત્યારે સારા નાગરિક બનવા પંચામૃત : ૧. જાગૃત અને જવાબદાર નાગરિક બનો. ૨. પ્રગતિશીલ રહો. ૩. રાષ્ટ્રહિત હંમેશા રાખો. ૪. તંદુરસ્ત રહો. ૫. સારા માણસ બનો.
વિકસિત ભારત માટે વિકસિત માનસિકતા જરૂરી છે. – સંજયસિંહ ગુર્જર
સુરત રીજીયનના પ્રોવિડંડફંડ કમિશ્નર સંજયસિંહ ગુર્જરે વિકસિત ભારત માટે જાગૃત નાગરિક આધાર વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત એટલે માત્ર વ્યક્તિગત વિકાસ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ માત્ર રોડ રસ્તા, બિલ્ડીંગ કે ભૌતિક સુવિધાઓ નહી,પરંતુ માનવીય વિકાસ અને જીવનની ગુણવત્તા પણ જરૂરી છે. વિકસિત ભારત માટે સૌ પ્રથમ દરેક નાગરિકની વિકસિત અને જવાબદાર માનસિકતાનો વિકાસ કરવો ખુબ જરૂરી છે. જાતિવાદ, અમીર-ગરીબ વચ્ચેનો ભેદભાવ દુર કરવો એ વિકસિત ભારતનું પ્રથમ પગથીયું છે. વિકસિત ભારત માટે “મારૂ પણું” છોડીને “આપણું” વિચારવું ખુબ જરૂરી છે. રાષ્ટ્રભક્તિ માટે નાગરિકે સીમા પર લડવા જવું જરૂરી નથી જ્યાં છીએ ત્યાં રહીને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ યોગદાન આપવું વધુ જરૂરી છે.
દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક ફરજ છે કે તે પોતાના સંતાનોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેયની જવાબદારી શીખવે છે. દરેક નાગરિક પોતાના હકોની સાથે જવાબદારીનું કર્તવ્ય સમજે તે પણ વિકસતા ભારત બનાવવા જરૂરી છે.
જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર જરૂરી છે. – જૈનીલ દેસાઈ (IFS)
વર્ષ ૨૦૨૩ માં UPSC ની IFS પરીક્ષામાં સફળતા મેળવી હાલ ડાંગના જંગલ વિભાગના આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફિસર જૈનીલ જગદીશભાઈ દેસાઈ વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના જીરા ગામના વતની અને અભ્યાસ સુરતમાં કરી તેઓ IFS થયા તથા વધુમાં UPSC પરીક્ષા ૨૦૨૪ પણ પાસ કરી છે. પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, માણસ માત્ર આર્થિક રીતે સદ્ધર કે શિક્ષિત બનવાથી જાગૃત નાગરિક બનતો નથી. જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર ખુબ જરૂરી છે. સેન્સ ઓફ ઓનરશીપ એટલે કુદરતી કે રાષ્ટ્રની સંપત્તિને પોતાની સમજવી તે છે. વિચારોનું વાવેતર કાર્યક્રમ પણ જાગૃત નાગરિકતા વિકસાવવા માટેનું એક ઉત્તમ પરિબળ છે. જરૂરિયાતમંદ લોકોને તેને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી તે પણ જાગૃત નાગરિકતાની એક મહત્વપૂર્ણ નિશાની છે.
આ પ્રસંગે જૈનીલ દેસાઈના પિતા જગદીશભાઈ, માતા દક્ષાબેન તથા દાતાટ્રસ્ટી હસમુખભાઈ સાવલિયા તથા કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ તાલુકામાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. વિવેક ભૂવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડ બાબતે તેમનું માર્ગદર્શન જમનાબા ભવન ખાતે લોકોને મળશે.
ગત ગુરૂવારના વિચાર ધર્મેશ ચોવટિયાએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંકલન ડો. અજય દેસાઈ તથા અંકિત સુરાણીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વોને સુરત મહાનગરપાલિકા યુવા મોરચા તરફથી ઉપસ્થિત દરેકને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેન-મેડ ટેક્સટાઇલ્સ રિસર્ચ એસોસિએશન (મંત્રા)ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting -A.G.M.) આજે તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬, ગુરુવારના રોજ મંત્રા ખાતે યોજાઈ હતી.
સભાની શરૂઆતમાં મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા દ્વારા પ્રેસિડેન્ટ એડ્રેસ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થાની વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાનની કામગીરી તથા વિવિધ પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.
મંત્રાના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ ગાંધી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના ઓડિટેડ હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સભા દરમિયાન પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કાઉન્સિલ મેમ્બર્સની યાદી પણ રજૂ કરી હતી. ઉપરાંત, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓડિટરની નિમણૂક કરવા તથા ઓડિટરની ફી નક્કી કરવાની સત્તા કાઉન્સિલને આપવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
આ વાર્ષિક સામાન્ય સભામાં મંત્રાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ ઝવેરી, સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્ર જરીવાલા, ડિરેકટર ડૉ. પંકજ ગાંધી, ઉપરાંત સંસ્થાના સભ્યો તથા મંત્રાના સ્ટાફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રા દ્વારા મેન-મેડ ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ, પરીક્ષણ તથા ટેક્નિકલ સેવાઓના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સંસ્થાની આગામી કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યો, પદાધિકારીઓ તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
બિઝનેસ મેળાઓ થકી મહિલા સાહસિકોને પગભર થવા અને પોતાની નવીન પ્રોડક્ટ્સ સીધી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટી મદદ મળે છે: ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી
સુરત, 12 ઓગસ્ટ 2026: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની ખરીદી અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. 12 ઓગસ્ટ અને ગુરુવાર, તા. 13 ઓગસ્ટ 2026ના રોજ દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પાટીયા, આઇ માતા રોડ સ્થિત માહેશ્વરી લક્ઝુરિયા ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાતનું આર્થિક માળખું નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોની મહેનત પર નિર્ભર છે. આ બિઝનેસ મેળો સ્થાનિક કળા, નારી સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. સુરતની જનતા શ્રાવણી તહેવારોની ખરીદી આ મેળામાંથી કરીને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બને તે ઇચ્છનીય છે.”
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વ્યાપાર અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓની કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળો લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને સીધા નવા બજારો સાથે જોડવાનું કાર્ય કરશે.”
ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે, સુરતમાં વેપારી સંસ્થાઓ અને સમાજના સંગઠનો દ્વારા આયોજિત આવા બિઝનેસ મેળાઓ થકી મહિલાઓને પગભર થવામાં મોટી મદદ મળે છે અને તેઓ પોતાની યુનિક પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.
માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડ બનાવવાની શરૂઆત નાના પાયાથી જ થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં એક્ઝિબિશન એ ડાયરેક્ટ કસ્ટમર કનેક્ટનો શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્ટ્રીય યુવા વક્તા ડો. અંકિતા મુલાણીએ પદ્મશ્રી કલ્પના સરોજના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી મહિલાઓને પગભર બનવા પ્રેરિત કર્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ ઉમેર્યું હતું કે ચેમ્બર ‘વોકલ ફોર લોકલ’ અને રોજગારી નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.
એક જ છત નીચે તહેવારલક્ષી વિશાળ શ્રેણી: ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કરતાં શ્રાવણ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે જણાવ્યું હતું કે, મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશન, સાડીઓ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાઈ છે.
કાર્યક્રમના અંતે લેડિઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો સતીષભાઈ મૈસુરીયા, અનિલભાઈ સોજીત્રા, સરોજબેન પટેલ, મનિષાબેન આહીર, હિનાબેન વાછાણી, વિધિબેન રાઠોડ, દિપકભાઈ રબારી અને દિનેશભાઈ રાજપુરોહીત સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વેડિંગ, ઇવેન્ટ, હૉસ્પિટાલિટી અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ ક્ષેત્રને વૈશ્વિક મંચ આપવાનો પ્રયાસ; ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ એક મંચ પર આવશે
સુરત : સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક ફ્લેગશિપ કોન્ફરન્સ **‘Evolve 2.0’**નું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસીય આ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવનો ઉદ્દેશ ઇવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોને એક મંચ પર લાવીને જ્ઞાન, નેટવર્કિંગ, બિઝનેસ તકો અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.
આ વર્ષે Evolve 2.0નો વ્યાપ સાઉથ ગુજરાતથી આગળ વધારીને સમગ્ર ગુજરાતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ‘Local to Global’ થીમ હેઠળ ગુજરાતને વેડિંગ, સેલિબ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, ફેસ્ટિવલ્સ, એક્ઝિબિશન્સ અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ માટે અગ્રણી ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
કોન્ફરન્સમાં ઇવેન્ટ પ્લાનર્સ, વેડિંગ પ્રોફેશનલ્સ, વેન્યુ માલિકો, હોટેલિયર્સ, હોસ્પિટાલિટી લીડર્સ, કલાકારો, પ્રોડક્શન કંપનીઓ, ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ, સપ્લાયર્સ, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો ભાગ લેશે.
ચાર મુખ્ય અનુભવથી કોન્ફરન્સનું આયોજન
Evolve 2.0માં ‘SGEMA Sangam’ હેઠળ નેટવર્કિંગ સેશન, ‘SGEMA Manthan’ હેઠળ નોલેજ કોન્ફરન્સ, ‘SGEMA Bazaar’ હેઠળ બિઝનેસ શોકેસ અને ‘SGEMA Utsav’ હેઠળ એવોર્ડ્સ, મનોરંજન અને સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે.
‘SGEMA Manthan’માં વેડિંગ અને ડેસ્ટિનેશન ટુરિઝમ, ઇવેન્ટ બિઝનેસ ગ્રોથ, AI અને ટેક્નોલોજી, લક્ઝરી એક્સપિરિઅન્સ, માર્કેટિંગ, ફોટોગ્રાફી-કન્ટેન્ટ ક્રિએશન, ડિઝાઇન-ડેકોર, હોસ્પિટાલિટી, લીડરશિપ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.
ગુજરાતના ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો ઉદ્દેશ
Evolve 2.0ને માત્ર પરંપરાગત કોન્ફરન્સ નહીં પરંતુ લર્નિંગ, નેટવર્કિંગ, બિઝનેસ શોકેસ અને સેલિબ્રેશનને એકસાથે જોડતા સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. ગુજરાતની સંસ્કૃતિ, વારસો, ડેસ્ટિનેશન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરી નવી બિઝનેસ તકો અને સહયોગ ઊભા કરવાનો પણ તેનો ઉદ્દેશ છે.
સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝારખંડ અને બિહારમાં 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી, પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે. આ ગેંગ ₹8,000માં ખરીદેલી APK ફાઇલ ₹70,000 સુધીમાં વેચી 336 નકલી ફાઇલો દ્વારા 5,613 લોકોના ₹125.39 કરોડથી વધુ પડાવ્યા હતા.
Surat Cyber Crime Jamtara Patna Gang Arrest: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક અત્યંત શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ડેવલપર પાસેથી માત્ર ₹8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને ₹10,000થી લઈને ₹70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.
આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે ₹125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત Google Play Store કે App Store પરથી જ ડાઉનલોડ કરવી. RTO ચલણ, KYC અપડેટ કે બેંક પ્રોફાઇલ સુધારવાના નામે મોકલેલી લિંક્સ પર ક્લિક કરવું નહીં. OTP, PIN, કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી. છેતરપિંડી થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.