ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ
સુરત, તા.18 તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.
ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.
અવાસ્તવિક DCR નિયમો, દૈનિક 70% સુધીનો પાવર કાપ અને ડિસ્કોમ દ્વારા બિનજરૂરી ચાર્જિસ ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકો અને અબજોના રિન્યુએબલ રોકાણો માટે જોખમરૂપ સુરત-
દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (C&I) સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે ખાનગી મૂડી રોકાણો અને દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોખમમાં મુકાયા છે. સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકોના સંગઠનોએ સંયુક્ત રીતે ગંભીર વહીવટી, નિયમનકારી અને નાણાકીય અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે.
મનઘડત નિયમો, સ્થાનિક સ્તરે સોલાર સેલના પુરવઠાની ભારે અછત, નીતિગત અસ્થિરતા અને જેટકો (GETCO) તથા ડિસ્કોમ (DISCOMs) દ્વારા કરવામાં આવતા પાવર કાપને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગ જગતે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાની યોજના નિષ્ફળ જશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી. સોલાર ઉદ્યોગ એવા વળાંક પર છે કે જ્યાં વગર વિચારે લેવાયેલા નિર્ણયો ઉદ્યોગના જ રિન્યુએબલ એનર્જીના પ્રોગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રોજેક્ટ્સના ખર્ચમાં રાતોરાત 30% સુધીનો વધારો થયો છે, જ્યારે કાર્યરત પ્લાન્ટમાંથી આધુનિક ગ્રીડના અભાવે 70% જેટલી સ્વચ્છ ઊર્જા ગુમાવવી પડે છે. સોલાર ઉદ્યોગને બંધ થતો બચાવવા સરકારને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અમારી માંગણી છે.
સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા 8 મુખ્ય મુદ્દાઓ:
1. સપ્લાય ચેઈનની સમસ્યા (DCR અને ALCM નીતિ): હાઈ-એફિશિયન્સી સોલાર સેલના સ્થાનિક ઉત્પાદનની અછત હોવા છતાં DCR નિયમો ફરજિયાત કરાતા પ્રોજેક્ટ ખર્ચમાં 25% થી 30% નો તોતિંગ વધારો થયો છે.
2. નીતિગત ગૂંચવણ (DCR સેલ્સ વિરુદ્ધ ALMM મોડ્યુલ્સ): સ્થાનિક સ્તરે સેલ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી, આ નિયમના કારણે બજારમાં જૂજ ઉત્પાદકોની મોનોપોલી (Monopoly) સર્જાવાનું અને ભાવવધારો થવાનું જોખમ છે.
3. ગ્રીડની બિનકાર્યક્ષમતા અને ભારે પાવર કાપ: GETCO અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનને 60% થી 70% સુધી ઘટાડી દેવા અથવા બંધ કરવા દબાણ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
4. વીકએન્ડ દરમિયાન અનપેક્ષિત શટડાઉન: શનિવાર અને રવિવાર દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વગર ગ્રીડ બ્રેકડાઉન અને શટડાઉન કરવામાં આવે છે. ઉદ્યોગ જગત આ માટે અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવે છે.
5. ડિજિટલ મીટર રીડિંગના નામે ઉઘાડી લૂંટ: સોલાર પ્લાન્ટ્સ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હોવા છતાં, ડિસ્કોમ દ્વારા મીટર રીડિંગ દીઠ આશરે ₹5,000 નો જંગી ચાર્જ વસૂલવામાં આવે છે, જે તદ્દન ગેરવાજબી છે.
6. જટિલ અને અસ્પષ્ટ બિલિંગ સિસ્ટમ: C&I, કુસુમ (KUSUM) અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાં બિલ જનરેટ થવામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
7. લાઈવ હિતધારક પરામર્શનો અભાવ: પાયાની વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ બંધ બારણે મોટા નીતિગત નિર્ણયો લેવાય છે. સરકારે ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ આ અમારી માંગણી છે.
8. લાંબા ગાળાની નીતિગત સ્થિરતાની માંગ: સોલાર પ્રોજેક્ટ્સમાં કરોડોનું રોકાણ લાંબા ગાળા માટે થતું હોય છે. વારંવાર બદલાતી નીતિઓ અસ્થિરતા લાવે છે, તેથી મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખવી જરૂરી છે.
ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈના હેતુથી ઉતરેલા 4 સફાઈ કામદારોના અંદર ફસાઈ જવાથી મોત નીપજ્યા છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેન્કની અંદર એકત્રિત થયેલા અતિ ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની પ્રબળ આશંકા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ ઘટનાની વિગતો મુજબ, આજે સવારે અંદાજે 10.22 વાગ્યે સુરત ફાયર કંટ્રોલ રૂમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. આ કોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ચોર્યાસી ડેરીની બાજુમાં, ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) પરિસરમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બચાવ ટુકડી સત્વરે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ટેન્ક ચેમ્બર સાફ કરવા અંદર ઉતરેલા કુલ ચાર શ્રમિકો અંદર ઝેરી ગેસની અસરમાં આવીને બેભાન થઈ ગયા છે.
ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તમામની ગંભીર સ્થિતિને જોતા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિકહોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કયા કારણોસર આ બેદરકારી દાખવવામાં આવી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આવી સ્થિતિમાં પાછળ ચાલતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે ગૌરવની વાત છે.
વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:
• કુલ થાપણો : ₹4,411.11 કરોડ
કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ
• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ
• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ
બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.
“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.
બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે ૧૦૦૦ વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. ૪૨૫ બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજનની ભારત રત્ન સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત ૫૧ ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં ૫૦૦ દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા ૨૦૦ કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.
તારીખ ૨૪-૦૫-૨૦૨૬ રવિવારે સાંજે ૫ કલાકે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી શ્રી જયંતીભાઈ એકલેરા વાળા તથા અમદાવાદથી શ્રી રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા શ્રી વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ, કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સમાજના અગ્રણીશ્રીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી.
૨૦૨૧ માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.
આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે.
સુરત ખાતે ગૌરવંતા જમનાબા વિદ્યાર્થી ભવનના ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે. મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, કેશુભાઈ ગોટી, અગ્રણીશ્રી વસંતભાઈ ગજેરા, લાલજીભાઈ ટી પટેલ, અમદાવાદ થી ગુણવંતભાઈ સોજીત્રા, મગનભાઈ રામાણી, રાજકોટથી વિજયભાઈ ડોબરીયા, ચંદુભાઈ વિરાણી, અનુભાઈ તેજાણી, જયંતીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ શંકર અને દિનેશભાઈ કુંભાણી સહિત મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. સૌરાષ્ટ્રથી સુરત સ્થળાંતર થયેલા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજના અગ્રણીઓએ ચાર દાયકા પહેલા ૧૯૮૨ માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વ. જે. આર. સવાણી સમૂહલગ્ન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રમુખ તરીકે સુરેશભાઈ જી. પટેલ અને પૂર્વ પ્રમુખ કે. ડી વાઘાણીએ સમાજનું નેતૃત્વ કરી સામાજિક પ્રવૃત્તિનો દોર ચાલુ રાખ્યો હતો. વર્તમાન સમયે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક, ખજાનચી મનહરભાઈ સાસપરા અને ભવનના નિર્માણ માટે કાર્ય કરનાર શ્રી ધીરૂભાઈ માલવિયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, જી. આર. આસોદરીયા તથા શ્રી નટુભાઈ ચોવટીયા વગેરે અગ્રણીશ્રીઓ સહીત વ્યવસ્થાપક ટ્રસ્ટીઓ અને કાર્યકરો છે. સંસ્થામાં ખૂબ ઉદાર ભાવ સાથે સમાજના શ્રેષ્ઠીઓએ આર્થિક સહયોગ આપ્યો છે. પરિણામે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ શરૂ થયું છે. નાના વ્યક્તિઓએ ભૂમિદાન પણ આપેલ છે. મહિલાઓએ એકવારનું દાન આપી મહિલા ટીમ પણ કાર્યરત બની છે. યુવા મિત્રો પણ સમાજ જાગૃતિ અને સેવા પ્રવૃત્તિમાં ઉત્સાહથી કાર્યરત છે.
શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓની યાદી :
૧૦૦૦ વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. ૪૦,૦૦૦ છે.
૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન
૫૦ હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય
વિશાળ વાંચનાલય (સવારે ૬ થી રાત્રીના ૧ સુધી)
ડીઝીટલ લાઈબ્રેરી
૪૨૫ બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
૩૦૦ બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય
કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.
જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.
મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.
બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.
આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તા.૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ગરિમામય અવસરની શરૂઆત તા.૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેક્ટર ડો.સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો/એમ.નાગરાજન દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ
તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૫૦ મિનિટની આ ભવ્ય સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ના.મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
મુકેશ દલાલ: સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ
મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી
હર્ષ સંઘવી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
પુરુષોત્તમ રૂપાલા, સાંસદ
પ્રફુલ પાનશેરિયા, મંત્રી, ગુજરાત રાજ્ય
કનુભાઈ દેસાઈ, નાણા અને ઉર્જા મંત્રી
અરવિંદ રાણા: સુરત પૂર્વ
કાંતિભાઈ બલર: સુરત ઉત્તર
કુમાર કાનાણી: વરાછા રોડ
પ્રવિણ ઘોઘારી: કરંજ
સંગીતા પાટીલ: લિંબાયત
હર્ષ સંઘવી: મજુરા
વિનુ મોરડિયા: કતારગામ
પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ
મુકેશ પટેલ: ઓલપાડ
સંદીપ દેસાઈ: ચોર્યાસી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપાએ 120માંથી 115 બેઠકો કબજે કરીને આમ આદમી પાર્ટીએ જ્યાંથી ગુજરાતમાં પગપસારો કર્યો હતો એ જ સ્થળેથી તેમનો સફાયો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારના નભૂતો ન ભવિષ્યતિ વિજયમાં સુરત શહેર ભાજપા સંગઠનના સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન), મહામંત્રીઓ વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલીયા અને દુર્ગાપ્રસાદ પાંડે, ખજાનચી શૈલેષ જરીવાલા સમેત સમગ્ર સંગઠનની ટીમનો સિંહફાળો રહ્યો છે.
સુરત શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારોએ બિલકુલ વિવાદમાં આવ્યા વગર, ચર્ચામાં રહ્યા વગર શાંત ચિત્તે કામ કરતી રહી અને આજે તેમની સફળતાએ એવો શોર મચાવી મૂક્યો છે કે ન પૂછો વાત. કેટલાક લોકો સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ, વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડેની ટીમને બિનઅનુભવી માનતા હતા અને આ ચૂંટણીમાં ભાજપા 2021 કરતા પણ ઓછી બેઠકો લાવશે એવી આગાહીઓ પીઠ પાછળ કરતા હતા, આજે આવી તમામ નકારાત્મક વાતો ફેલાવનારા ભાજપની અંદરના અને બહારના તમામ લોકોને પરચો મળી ગયો છે કે સુરત શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ કુનેહપૂર્વક કામગીરી બજાવીને આજે ભારતના સૌથી પહેલા નંબરના સ્માર્ટ સિટી સુરતમાં ભાજપાને ઝળહળતી સફળતા અપાવી લાવ્યા છે.
પરેશ પટેલ અને તેમની ટીમને નવા નિશાળીયા કહેવાવાળા ભેરવાયા
સુરત શહેર ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ મનાતા પરેશ પટેલની નિયુક્તિ પછી પરેશ પટેલે તેમની ટીમ બનાવી હતી. ત્રણ મહામંત્રીઓ નિમાયા અને એ પછી સંગઠનનું આખું માળખું રચાયું હતું. મોટા ભાગે 50 વર્ષથી ઓછી વયના લોકોને ભાજપના સંગઠનના પદો ફાળવવામાં આવ્યા ત્યારે ભાજપના જ કેટલાક બડબોલા સિનિયર નેતાઓ બોલી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખબર પડી જશે કે નવા નિશાળીયાઓને કારણે ભાજપાને કેટલું નુકસાન થશે, છેક મતદાન પૂરું થયું ત્યાં સુધી અનેક લોકોએ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને તેમની યંગસ્ટરની ટીમો સામે આકરાં સરશંધાન વવ્યક્ત કરવામાં કોઇ કચાશ છોડી નહતી. પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે ભાજપાના ફાળે 120માંથી 115 સીટો આવતા પરેશ પટેલ સામે બોલનારા તમામ નેતાઓના મોઢા સિવાય ગયા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સમય કરતા પણ જોરદાર દેખાવ પરેશ પટેલના પ્રમુખપણા હેઠળ નોંધાયો છે.
1995થી શરૂ થયેલો સિલસિલો યથાવત્ જાળવી રાખ્યો પરેશ પટેલ અને તેમની ટીમે
સુરત મહાનગરપાલિકામાં 1995થી શરૂ થયેલો ભાજપા શાસનનો દબદબો 2026માં આજે 7મી વખત પણ યથાવત્ રહ્યો. સુરત મહાનગરપાલિકાની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો ગુમાવવી પડી હતી. પરંતુ, આજે 2026ની ચૂંટણીની થયેલી મતગણના અંતે 120માંથી 115 બેઠકોની થમ્પિંગ મેજોરિટી સાથે સુરત મહાનપાલિકાએ સતત સાતમી વખત સુરત મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ભાજપા કરતા પણ ચૂંટણીની સભાઓ વધુ ગજવનાર આમ આદમી પાર્ટીએ ગઇ ચૂંટણીની 27 બેઠકો પૈકી 23 ગુમાવવી પડી છે અને આ વખતે આપ પાર્ટીના ફાળે માત્ર 04 બેઠકો જ્યારે કોંગ્રેસ માટે જેટલો વકરો તેટલો નફો, સમ ખાવા પૂરતી 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજય બની શક્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકોનું સરવૈયુ ચકાસીએ તો 115 ભાજપા, 04 આપ અને 01 બેઠક પર જ કોંગ્રેસ સિમીત બનીને રહી ગઇ છે.
સુરત મહાનગપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ભાજપાના ઉમેદવારોની આખે આખી પેનલોની જીતની જાહેરાતો થતી ગઇ હતી તેમ તેમ સુરત ભાજપાના 12 ધારાસભ્યોની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ બદલાતો જોવા મળ્યો હતો. મત ગણતરી પૂર્વે સુધી કોઇ ધારાસભ્યો છાતી ઠોકીને કહી શકતા ન હતા કે તેમના ઉમેદવારો જીતી રહ્યા છે પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં ભાજપાના ઉમેદવારોને મળી રહેલા મતોના ઢગલા જોઇને ધારાસભ્યોના કોલર ઉંચા થઇ જવા પામ્યા છે. આ વખતે ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શાસનકાળમાં પહેલી વખત ધારાસભ્યો પાસેથી ઉમેદવારોનું લિસ્ટ માગીને મોટા ભાગના કિસ્સામાં ટિકીટ ફાળવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આજે ભાજપાના 115 ઉમેદવારોનો વિજય થતાં ભાજપાના ધારાસભ્યોનો હરખ સમાતો ન હતો. અનેક ધારાસભ્યો પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરી હોવાના દાવાઓ મિડીયા ઇન્ટરવ્યુમાં કરી રહ્યા હતા.
ગઇ તા.26મીએ યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી સુરતના મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 30 વોર્ડની મતગણતરી માટે 10 હોલમાં 3 સેટમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો અને અપક્ષોના કાઉન્ટિંગ એજન્ટોથી આખું ગાંધી કોલેજ કેમ્પસ ભરાયેલું રહ્યું હતું. પહેલા રાઉન્ડની મતગણના શરૂ થવાની સાથે જ ભાજપના ઉમેદવારો દરેકે દરેક રાઉન્ડમાં લીડ મેળવતા જણાયા હતા અને જોતજોતામાં તો એક પછી એક પહેલા સેટમાં 10 વોર્ડની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે 40 સીટોમાંથી 39 સીટો પર ભાજપા અને 01 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. પહેલા સેટથી જ એવો ટ્રેન્ડ જોવાયો હતો કે આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપાની ક્લીન સ્વીપ જોવા મળશે. પહેલા સેટમાં જ આમ આદમી પાર્ટીના મેયર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા મનોજ સોરઠીયા હારી ગયા હતા, જેને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અણસાર આવી ગયા હતા કે હવે ભાજપાના ઉમેદવારો દરેકેદરેક વોર્ડમાં સફાયો બોલાવી દેશે.
અપેક્ષા મુજબ કોટ વિસ્તારમાં વોર્ડ નં.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરસદ જરીવાલા 20769 મત મેળવીને ચોથા ક્રમે ઓપન કેટેગરીની સીટ પર વિજેતા નિવડ્યા હતા. આ સિવાય પહેલા સેટમાં 40માંથી 39 સીટો પર ભાજપાના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા.
મતગણતરીના બીજા સેટમાં 10 સીટોની 9 વોર્ડની 36 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે મતગણતરીના બીજા સેટમાં વોર્ડ નં.17 પૂણા પૂર્વમાં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસ્મિતા નિલેશ ધોરાજીયા, રચના અંકુર હીરપરા, પંકજ વ્રજલાલ ચાવડા અને ધર્મેશ ભંડેરી વિજેતા નિવડ્યા હતા.
આંજણા વોર્ડમાં જ્યાં કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના પુત્ર વિજેતા બનશે તેવા દાવાઓ બિલકુલ પોકળ નિવડ્યા હતા. આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બન્યા હતા. એવી જ રીતે ઉધના, લિંબાયત વિસ્તારમાં ભાજપાના અમિતસિંહ રાજપૂત કે દિનેશ રાજપૂરોહિત જેવા નેતાઓ સામે લોકરોષ હોઇ, તેઓને જીતવામાં તકલીફ પડી જશે તેવી ચૂંટણી પૂર્વે વહેતી થયેલી વાતોનો આજે છેદ ઉડી ગયો હતો અને આજે આ વિસ્તારમાં તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો જ સારામાં સારી લીડથી વિજય થયો હતો.
મજૂરાગેટ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર આજે બપોરે બાર વાગ્યાથી જ ભાજપાના ઉમેદવારોના વિજય સરઘસ નીકળવાના શરૂ થયા હતા. વિજેતા ઉમેદવારોને વિજય સરઘસ, રેલી કાઢવા માટે પરવાનગી મળી જાય તે માટે ગાંધી કોલેજના કેમ્પસમાં જ મંજૂરી આપનાર અધિકારીને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને એક પછી એક ભાજપાના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનીને બહાર આવતા હતા એ તમામ વિજય સરઘસ સાથે પોતાના મત વિસ્તારોમાં રવાના થયા હતા.
1995માં સુરત મહાનગરપાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી 2000, 2005, 2010, 2015 અને છેલ્લા 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ ક્લીન સ્વીપ મેળવી હતી. અને એ વાતનું પુનરાવર્તન આજે સતત 7મી વખત 2026ની ચૂંટણીઓમાં પણ થયેલું જોવા મળ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.