CIA ALERT
19. March 2024

ક્રાઇમ Archives - CIA Live

July 14, 2023
gold-smuggling.jpg
1min407

પાછલા એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલા ત્રણ યુવકો અને એક મહિલા દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરાગ દવેની સંડોવણી સામે આવી હતી. એ પછી ચાર જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરો દ્વારા કરાયેલી સોનાની દાણચોરીમાં અમદાવાદ એરપોર્ટ સ્ટાફની સંડોવણી સામે આવી છે.

અમદાવાદ એરપોર્ટ સ્ટાફ જ ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે. DRIએ બાતમીના આધારે તપાસ કરી તો આ અંગે માહિતી સામે આવી હતી. બેંગકોકથી આવેલા 2 મુસાફરો પાસે 1 કિલો આસપાસ સોનું હતું. જે તેણે ચેકઈન કાઉન્ટર પાસે એક ટોઈલેટમાં એરપોર્ટ અધિકારીને સોંપી દીધું હતું. DRIની ટીમે ત્યારપછી આ અધિકારીને પકડી પાડ્યો અને ત્યારપછી હવે એરપોર્ટ પર થઈ રહેલી ગોલ્ડ સ્મગલિંગ અને ચોરીની ઘટનાઓનો પણ પર્દાફાશ થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી 947 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની માર્કેટમાં અંદાજિત કિંમત 58 લાખ રૂપિયા આસપાસ છે. અધિકારીઓએ આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે એરપોર્ટ સ્ટાફની આ હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. અત્યારે આમાં સામેલ અધિકારીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે બાતમીના આધારે કાર્યવાહી કરીને, DRI અધિકારીઓ બુધવારે બે મુસાફરોને ફોલો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન અધિકારીઓને મોટી સફળતા મળી હતી. એટલું જ નહીં એરપોર્ટ સ્ટાફ કેવી રીતે ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલો છે એ પણ સામે આવી ગયું હતું. જાણો કેવી રીતે DRIએ ભાંડો ફોડ્યો હતો.

એરપોર્ટ સ્ટાફની ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવણી
અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અગાઉ પણ આવી એક ઘટના સામે આવી ચૂકી હતી. તેવામાં બુધવારે અમદાવાદ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ત્યાં મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેંગકોકથી અમદાવાદ મુસાફરી કરી રહેલા 2 પેસેન્જર પાસે 58 લાખ રૂપિયાનું સોનું હોવાની બાતમી મળી હતી. DRIની ટીમ સતત એરપોર્ટ સ્ટાફ અને પેસેન્જરો પર નજર રાખીને બેઠી હતી. ત્યારે તેમની સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બેંગકોક ફ્લાઈટ પર નજર રાખીને બેઠેલી અધિકારીઓની ટીમને એ 2 શખસો મળી જ ગયા જેમની પાસે લગભગ 1 કિલો આસપાસ સોનુ હતું.

ઉલ્લેખનીય છે કે આ 2 શખસો પાસેથી ગોલ્ડ બાર લઈને એરપોર્ટ સ્ટાફના કર્મચારીએ મોટી ગેમ રમી હતી. DRIને જાણ થઈ ગઈ હતી કે અહીં એરપોર્ટ સ્ટાફનો કર્મચારી પણ આ કાંડમાં સંડોવાયેલો છે. તેવામાં તેણે જેવું ગોલ્ડ બારને એરપોર્ટ પ્રિમાઈસિસથી સગેવગે કરવાની કોશિશ કરી કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સ્ટાફની પણ આ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં સંડોવણી હોવાથી હવે આ તપાસનો ગંભીર મુદ્દો બન્યો છે.

ગોલ્ડ સ્મગલિંગની 15 દિવસમાં બીજી ઘટના
નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં આ બીજી ઘટના છે જેમાં એરપોર્ટ પરથી સોનુ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગોલ્ડ સ્મગલિંગ રેકેટમાં સામેલ અમદાવાદ એરપોર્ટના સ્ટાફના કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ વધારે અહીં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એવી વિગતો પણ મળી રહી છે. નોંધનીય છે કે અગાઉ એક કિસ્સા પર નજર કરીએ તો કેનેડા જતી એક વૃદ્ધ મહિલાએ બેગેજમાં 10 તોલા સોનાના દાગીના અને ચાંદીના વાસણો મૂક્યા હતા. પરંતુ તે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં તો તેના હેન્ડબેગમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. અત્યારે હવે ચિંતાજનક વાત એ છે કે અમદાવાદ એરપોર્ટ પર ચોરી અને ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આને લઈને કાર્યવાહી પણ વધુ વેગવંતી થવી જોઈએ.

October 31, 2022
morbi.png
1min623

મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

October 7, 2022
darbhanga.jpg
1min425

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ઉડાડી દેવાની ધમકી આપનાર શખ્સની બિહારના દરભંગામાંથી ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલ યુવક રાકેશ કુમાર મિશ્રા છે જેની દરભંગાના મનિગાછી થાણાના બ્રહ્મપુરા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેના પિતા સુનીલ કુમાર મિશ્રા છે.

Mukesh Ambani: Threatened Mukesh Ambani's family, person arrested from  Bihar

મુંબઈ પોલીસ તેને પોતાની સાથે કૉર્ટમાં રજૂ કર્યા પછી લઈ ગઈ છે. તેની પુષ્ઠિ દરભંગાના અવકાશ કુમારે કરી છે. આરોપીનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે જેના દ્વારા તેણે ધમકી આપી હતી.

દરભંગા એસએસપી અવકાશ કુમારે આ મામલે જણાવ્યું કે મુકેશ અંબાણી પરિવાર દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં ફોન કરીને ઉડાડવાની ધમકી એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. એક જ દિવસમાં બે વાર ધમકી આપવામાં આવી. તપાસમાં તે મોબાઈલનું લોકેશન દરભંગામાં મળ્યું જેણે અંબાણી હૉસ્પિટલ અને ફેમિલીને ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસ દ્વારા દરભંગા પોલીસને આની સૂચના આપવામાં આવી તેના પછી મનીગાછી અધ્યક્ષને આરોપીને ટ્રેક કરવાનો નિર્દેશ આપવામાં આવે. રાતે જ મુંબઈ પોલીસ અહીં આવી હતી અને લગભગ 1 કલાક એક્સરસાઇઝ પછી દરભંગા પોલીસની મદદથી આરોપીને પકડી લેવામાં આવ્યો. પોલીસે તે મોબાઈલ અને સિમ પણ જપ્ત કર્યું છે જેના પરથી અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી.

આરોપી રાકેશ કુમારના પિતા સુનીલ કુમારને આખી ઘટનાની માહિતી આપવામાં આવી. મુંબઈ પોલીસે રાતે જ આરોપીને કૉર્ટમાં રજૂ કર્યો અને પછી પોતાની સાથે લઈને પાછી ફરી.

September 28, 2022
nia.png
1min631

ગૃહ મંત્રાલયે દેશમાં 5 વર્ષ માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મુકી દીધો છે. અનેક રાજ્યો દ્વારા PFI પર પ્રતિબંધની માગણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના અનેક ઠેકાણે દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને પીએફઆઈ વિરૂદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા હતા. 

ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન ઘોષિત કર્યું છે. તે સિવાય અન્ય 8 સહયોગી સંગઠનો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.

  • પીએફઆઈ ઉપરાંત
  • રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF),
  • કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI),
  • ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC),
  • નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO),
  • નેશનલ વીમેન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને
  • રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવાસહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

રાષ્ટ્રીય તપાસ એજન્સી, ઈડી અને રાજ્યોની પોલીસે સાથે મળીને 22મી સપ્ટેમ્બરના રોજ પીએફઆઈ સામે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી હતી અને દરોડાઓ પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 106 લોકોની ધરપકડ કરાઈ હતી. બીજા રાઉન્ડના દરોડા દરમિયાન પીએફઆઈ સાથે સંકળાયેલા 247 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો અમુકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને પીએફઆઈ સામે પૂરતા પુરાવાઓ હાથ લાગ્યા હતા.

દરોડા દરમિયાન NIAને ટેરર ફન્ડિંગ, ટેરર મોડ્યુલ તૈયાર કરવા, સિમી સહિતના અનેક આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવા સહિતના અનેક અન્ય ગંભીર આરોપો સાથે સુસંગત દસ્તાવેજો હાથ લાગ્યા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય સમક્ષ કાર્યવાહી માટેની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ બાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. 

September 24, 2022
talati.png
1min331

નર્મદા જિલ્લા (Narmada District)ની નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલને સુરત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. તેમણે ખેતરમાં વીજ કનેક્શન માટે જમીન માલિક પાસે આ લાંચ માગી હતી. લાંચના રૂપિયા લેવા માટે તેમણે એક નવી જ મોડસ ઓપરન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ એસીબીથી બચવા માટે લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર (Gandhinagar)માં અન્ય એક વ્યક્તિને ત્યાં મંગાવી હતી.

i

નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે જમીન માલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. તલાટીએ આ રૂપિયા હાથોહાથ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા મહેશ આહજોલિયા નામની વ્યક્તિને મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, જમીન માલિકે સુરત એસીબીનો સંપર્ક કરી તલાટી લાંચ માગતા હોવા અંગે ફરિયાદ કરી હતી. તે પછી એસીબીએ છટકું ગોઠવી તલાટી અને તેમના સાથીદાર મહેશને ઝડપી લીધા હતા.

જેમની પાસે લાંચ માગવામાં આવી હતી તેમના ખેતરમાં બિયારણ, ખાતર વગેરે સામાન તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી તેમણે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. પરંતુ, અરજી પર કાર્યવાહી આગળ વધતી ન હતી. ફરિયાદ મુજબ, ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા વીજ કનેક્શનની કાર્યવાહી આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી.

તલાટીએ લાંચની આ રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં મહેશ આહજોલિયા નામની વ્યક્તિને પહોંચાડવા કહ્યું હતું. જમીન માલિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં આંગડિયા મારફતે લાંચની રકમ સ્વીકારનારા મહેશ આહજોલિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લાંચ લેવા મામલે તલાટી નીતા પટેલની પણ એસીબીએ ધરપકડ કરી હતી.

September 19, 2022
fakefb.jpg
1min239

વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો

ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.

પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.

ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.

તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.

September 15, 2022
vipul-chaudhari.jpeg
1min234

– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે. 

વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.

320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત

જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

September 13, 2022
nia.png
1min245

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)એ સમગ્ર ભારતમાં ગેંગસ્ટરોના ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. દિલ્હી, એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૬૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. 

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે  લોરેન્સ બિશ્નોઇ, બામબિહા ગેંગ અને નિરજ બવાના ગેંગ સાથે સંકળાયેલા ૧૦ ગેંગસ્ટર વિરુદ્ધ અનલોફુલ એક્ટિવિટિસ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ)  હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો અને સિધુ મૂસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો વચ્ચે મજબૂત સાઠગાંઠ છે. 

એનઆઇએના અહેવાલ અનુસાર નિરજ સેહરાવત ઉર્ફે નીરજ બાવના અને તેની ગેંગ પ્રખ્યાત લોકોને નિશાન બનાવી તેમની હત્યા કરવામાં સંડોવાયેલી છે.ં પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયલ આતંકી ગેંગના સંબધમાં  નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં  દરોડા પાડી રહી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર નિરજ બવાના અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે હાલમાં ગેંગવોર ચાલી રહ્યો છે. પેજાબી સિંગર સિધૂ મૂસેવાલાની હત્યાના થોડાક જ કલાકો પછી નિરજ બવાનાએ જાહેરાત કરી હતી કે તે મૂસેવાલાની હત્યાનો બદલો લેશે અને લોરેન બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ભારત અને વિદેશની જેલોમાં બંધ ગેંગસ્ટરો દ્વારા ચલાવવામાં આવતી ગેંગને પકડવા માટે પણ એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિધૂ મૂસેવાલાની હત્યા સાથે સંકળાયેલ ગેંગસ્ટર ગોલ્ડી બરાડ કેનેડામાં છે. 

એફઆઇઆર અનુસાર સ્પેશિયલ સેલને માહિતી મળી છે કે લોરેન્સ બિશ્નોઇ, ગોલ્ડી બરાડ, વિક્રમ બરાડ,  જગ્ગુ ભગવાનપુરિઆ, સંદીપ, સચિન થાપણ અને અનમોલ બિશ્નોઇ દેશ અને કેનેડા, પાકિસ્તાન અને દુબઇની જેલોમાંથી ઓપરેટ કરી રહ્યાં છે. 

એફઆઇઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઇ ખાલિસ્તાની આતંકવાદી હરવિન્દર સિંહ રિન્દા સાથે સંકળાયેલો છે. જે હાલમાં પાકિસ્તાનમાં રહેતો હોવાનું માનવામાં આવે છે. 

અન્ય એક એફઆઇઆરમાં બામ્બિહા ગેંગના સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લોરેન્સ બિશ્નોઇ ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગ છે.બામ્બિહા ગેંગનો લકી પટિઅલ અર્મેનિયાથી, કૌશલ ચૌધરી હરિયાણાની જેલમાંથી અને નિરજ બવાના તિહાર જેલમાંથી ઓપરેટ કરી રહ્યાં છે. 

September 4, 2022
ed_logo.png
1min252

– બેંગ્લુરુ પોલીસના સાઈબર સેલની 18 એફઆઈઆરના આધારે કાર્યવાહી

– મર્ચન્ટ આઈડી- કંપનીઓના બેન્ક ખાતામાંથી 17 કરોડ જપ્ત ગેરકાયદે દસ્તાવેજોથી ભારતીયોને ડમી ડિરેક્ટર બનાવાય છે

– મોબાઈલ ફોન મારફત ઈન્સ્ટન્ટ લોન એપ્સના વ્યવહારોમાં મની લોન્ડરિંગની સંભાવના : ઈડી

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ચીનની લોન એપ કેસમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પેટીએમ, રેઝરપે અને કેશ ફ્રીના પરિસરો પર  દરોડા પાડયા હતા. ચીનના લોકો દ્વારા નિયંત્રિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ સ્માર્ટફોન આધારિત લોન સાથે સંકળાયેલા કેસમાં ઈડીએ પીએમએલએની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી છે. ઈડીએ જણાવ્યું કે શુક્રવારે બેંગ્લુરુમાં પેમેન્ટ ગેટવે કંપનીઓના છ સ્થળો પર દરોડાથી શરૂઆત કરાઈ હતી. ઈડીએ દરોડા દરમિયાન મર્ચન્ટ આઈડી અને ચીનના લોકો તરફથી નિયંત્રિત કંપનીઓના બેન્ક એકાઉન્ટ્સમાં રખાયેલા ૧૭ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. વધુમાં ઈડીના દરોડા હજુ ચાલુ છે.

કેટલીક કંપનીઓ ઓનલાઈન એપના માધ્યમથી લોન્સ આપે છે. આ કંપનીઓ ગેરકાયદે રીતે કામ કરી રહી હતી. તેમાંથી મોટાભાગની ચીની એપ્સ છે. ઈડી આ સોદાઓમાં મની લોન્ડરિંગની સંભાવનાઓની તપાસ કરી રહી છે. ઈડીનું કહેવું છે કે કેટલીક કંપનીઓ ગેરકાયદે રીતે કમાણી કરી રહી છે. તેઓ ભારતીયોના દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ કરી તેમને ડમી નિર્દેશક બનાવીને આવું કરી રહી છે.

ઈડીનું કહેવું છે કે એપ આધારિત ‘ગેરકાયદે’ ઈન્સ્ટન્ટ લોન કેસમાં એપ કંપનીઓનું નિયંત્રણ ચીની લોકોના હાથમાં છે. આ કંપનીઓ પેમેન્ટ ગેટવે અને બેન્કો પાસે રખાયેલા વિવિધ મર્ચન્ટ આઈડી તથા ખાતાના માધ્યમથી શંકાસ્પદ અને ગેરકાયદે વ્યવસાય કરી રહી હતી. રેઝરપે પ્રાઈવેટ લિમિટેડ, કેશફ્રી પેમેન્ટ્સ અને પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ સાથે જ ચીની લોકો દ્વારા નિયંત્રિત કંપનીઓની તપાસ ચાલી રહી છે.

ઈડીએ કહ્યું કે તેનો મની લોન્ડરિંગ કેસ બેંગ્લુરુ પોલીસના સાઈબર ક્રાઈમ સ્ટેશન દ્વારા દાખલ કરાયેલી ૧૮ એફઆઈઆર પર આધારિત છે. ઈડીએ એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અનેક ચીની લોન એપ કંપનીઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયની એમસીએની વેબસાઈટ પર નોંધણી કરાવાયેલ સરનામા પર કામ નથી કરી રહી. તેઓ નકલી સરનામા પરથી ઓપરેટ કરી રહી છે. વધુમાં આ કેસ એવી કંપનીઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ છે, જેઓ મોબાઈલ એપના માધ્યમથી નાની રકમની લોન લેનારા લોકો પાસેથી બળજબરીથી વસૂલી કરી રહી છે અને તેમનું શોષણ કરી રહી હતી.

ભારતમાં લોન એપથી છેતરપિંડી અને બદનામી થયા પછી આત્મહત્યાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં ચીની નાગરિકોની સંડોવણી સામે આવી છે. તાજેતરમાં જ તામિલનાડુ પોલીસે લોન એપ કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે ચીનના બે નાગરિક સહિત ચાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી.

દેશમાં ઝડપથી સાઈબર ક્રાઈમના કેસ વધ્યા છે અને લોકો મોટી સંખ્યામાં નાણાકીય છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. એપથી તુરંત મળી રહેલી લોન લોકોને દેવાની જાળમાં ફાસવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ જાન્યુઆરી અને ફેબુ્રઆરી ૨૦૨૧ વચ્ચે ૮૧ એપ સ્ટોરની તપાસમાં જણાયું હતું કે તે સમયે ભારતમાં ૧,૧૦૦થી વધુ ડિજિટલ લોન એપ હયાત હતી. તેમાંથી આરબીઆઈએ લગભગ ૬૦૦ એપને ગેરકાયદે ગણાવી હતી. આરબીઆઈના નિર્દેશ પછી ગૂગલ પ્લે સ્ટોરને આ એપને પ્લે સ્ટોરથી હટાવવા નિર્દેશ પણ આપ્યા હતા.

September 2, 2022
rajkot.jpg
1min565

આંખમાં કેમિકલ પ્રે છાંટી બે બુકાનીધારી ફરાર ! એક કર્મચારીની આંખો સોજી જતાં તેમજ બીજાને હાથમાં ચાંદા પડી જતાં સારવાર અર્થે ખસેડાયાંમ્યુનિ.કચેરીએ ઘટનાના ઘેરા પડઘા : કર્મચારી યુનિયનો, આગેવાનોની મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત : પોલીસે નોંધ્યો ફરજ રુકાવટનો ગુનો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છાશવારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના અકસ્માતો તેમજ અઘટિત મૃત્યુની ઘટના બાદ હાઈકોર્ટના આદેશથી ગુજરાતભરમાં ઢોર પકડ ઝુંબેશને સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ ‘ડે-નાઈટ’ ઢોર પકડવાની કામગીરી કરતા બે કર્મચારીઓની આંખોમાં કેમિકલ પ્રે છાંટીને અજાણ્યા શખસો નાખી છૂટતા બન્ને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મ્યુનિ.કચેરીએ આ ઘટનાના ઘેરા પડઘા પડયાં હતાં, એક તબક્કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવવાની માંગ સાથે મ્યુનિ.કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યાં હતાં અને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.’

1/9/22 આજરોજ વહેલી સવારે થોરાળા વિસ્તારમાં શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરસિયા (ઉ.વ.52) અને મેરુ કરણભાઈ ચાવડા (ઉ.વ.28) ઢોર પકડ પાર્ટી સાથે નિકળ્યાં હતાં, તેઓ ગાયો પકડીને ભાવનગર રોડ સ્થિત મનપાના ઢોરડબ્બે જઈ રહ્યાં હતાં ત્યારે અમૂલ સર્કલ નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે વાહન રોકી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં બન્નેએ અચાનક કેમિકલ પ્રે છાટીને નાસી છુટયાં હતાં. પ્રેની અસર થતાં ધીરુભાઈ અને મેરુભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને દેખાતું બંધ થઈ ગયું હતું. એક વ્યક્તિની આંખ સોજી ગઈ હતી અને જ્યારે બીજાને હાથમાં ચાંદા પડી ગયાં જતાં બન્નેને ઈન્સ્પેક્ટર નંદાણિયાએ તાબડતોબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં.

બનાવ અંગે સારવાર લીધા બાદ હોસ્પિટલ ચોકી સ્ટાફે એમએલસી કેસ જાહેર કર્યા બાદ થોરાળા પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હોવાનું ઈન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું. દરમિયાન આજની ઘટનાના મનપામાં પણ ઘેરા પડઘા પડયાં હતાં. કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લ સહિતના હોદ્દેદારો, કર્મચારી આગેવાનો અને કર્મચારીઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી તેમજ ઢોર પકડ સ્ટાફને પૂરતો વિજીલન્સ બંદોબસ્ત આપવાની માંગણી કરી હતી જેને મ્યુનિ.કમિશનરને ગ્રાહ્ય રાખી હતી.

રખડતા ઢોર હવે ગામડાઓમાંથી પણ પકડાશે !

હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી ઢોરપકડ કાર્યવાહીના આદેશ થયાં છે ત્યારે શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગામડાઓમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરાશે. આજરોજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આ અંગેનો પરિપત્ર જિલ્લાભરના અધિકારીઓને ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવાયું હતું કે, પંચાયત તલાટીઓએ આવતીકાલે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને સભ્યોને વાકેફ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પશુપાલન તથા જીવદયા સાથે સંકળાયેલા આગેવાનો સાથે બેઠક કરીને કામગીરી વિષે માહિતી આપવાની થશે. આગામી તા.5ને સોમવારથી પાલિકાની પાંચ કિ.મીની હદમાં આવતા ગામડાઓ, તાલુકા મથકે તથા 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને હાઈવે ઉપર ઢોર પકડવા તેમજ તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરીને દૈનિક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. જો કે, પકડાયેલા ઢોરને ક્યાં રાખવા ? તે મુદ્દો હજુ વણઉકેલ છે.

ઢોરને રખડતા મૂકનાર સામે ગુનો નોંધીને પગલાં લેવાશે

શહેરના માર્ગો પર ઢોરને રખડતાં મૂકી દેનાર પશુપાલક સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ છે. આ જોગવાઇનો કડક અમલ કરાશે. એટલું જ નહીં પણ ઢોર પકડ પાર્ટીને એસઆરપી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં માનવ જિંદગી જોખમમાં મૂકે તે રીતે ઢોરને રખડતાં મૂકી દેનાર સામે ગુનો નોંધવાની જોગવાઇ છે. આઇપીસીની કલમ 289 હેઠળ પશુપાલક સામે ગુનો નોંધી શકાય છે. આ ગુનામાં છ માસની કેદ અને દંડની જોગવાઇ છે.

રાજકોટવાસીઓને ઢોરના ત્રાસમાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરાયું છે. મનપા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી પણ છે. આ ઢોર પકડ પાર્ટીના ફૂટેલા કર્મચારીઓ દ્વારા માલધારીઓને તે કયા વિસ્તારમાં જાય છે તેની સૂચના આપી દેવામાં આવે છે. તેના કારણે રસ્તા પર રખડતાં ઢોરને માલધારી યુવકો શેરીમાં ખદેડી મૂકે છે. કેટલાય કિસ્સામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં ઢોર પકડ પાર્ટી સારી રીતે કામ કરી શકે અને તેના પર હુમલો ન થાય તે માટે એસઆરપી જવાન અને પોલીસનો બંદોબસ્ત આપવાનું પોલીસ કમિશનર દ્વારા આયોજન કરાયું છે. ઢોર પકડ પાર્ટી સાથે હથિયારધારી એસઆરપીમેન અને’ પોલીસનો બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે.