CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

June 26, 2026
image-19.png
2min93

અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે 26/06/26 ગુરુવારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને એસઆઈટી (SIT)ની ભલામણ બાદ આ FIR નોંધવામાં આવી છે.

એફઆઈઆરમાં આઠ લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. આ FIR

  • રમાશંકર યાદવ (ટિન્નુ યાદવ),
  • અનુકલ્પ મિશ્રા,
  • અવિનાશ શુક્લા,
  • મનીષ યાદવ,
  • રમાશંકર મિશ્રા,
  • સુભાષ,
  • કરુણેશ અને
  • લવકુશ મિશ્રા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

આ પૈકીના બે મુખ્ય આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા નોટો ગણવાનું કામ કરતા હતા. બીજી તરફ, અવિનાશ ત્રિપાઠી, કરુણેશ પાંડે, સુભાષ ચંદ્ર અને મનીષ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

યુપી સરકારના નિર્દેશ પર બીએનએસ (BNS)ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5)ની હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR ચોરી, ચોરીમાં મદદ કરવી, ઉચાપત, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને સરકારી કર્મચારી અથવા સંસ્થાના કર્મચારી દ્વારા ગુનાહિત કાવતરા હેઠળ વિશ્વાસઘાત કરવાના ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલો રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જે લોકો પાસેથી રકમ મળી આવી છે, તે તમામના નામ એફઆઈઆરમાં સામેલ કરાયા છે. એવું પણ માનવામાં આવે છે કે આ મામલે મોટાપાયે ધરપકડો પણ થશે.

આવી સ્થિતિમાં હવે આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર મંડરાયેલી છે. આ ઘટનાક્રમ પર વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વિવાદ ઊભો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આખી દુનિયા બધું જોઈ રહી છે.’

અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં ઉચાપતના આરોપો સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ FIR બીએનએસની કલમ 61, 306, 316 અને 317 હેઠળ ગુનાહિત કાવતરું ઘડવા, ચોરી, વિશ્વાસઘાત અને ચોરીની મિલકત સાથે જોડાયેલા ગંભીર ગુના માટે નોંધવામાં આવી છે. આ કલમોમાં ગુનાની વિગતવાર વિગતો અને તેના હેઠળ મળનારી સજાની જોગવાઈ પણ સ્પષ્ટ છે. BNSની કલમ 61 ગુનાહિત કાવતરા એટલે કે, ક્રિમિનલ કોન્સ્પિરેસી વિશે છે, એટલે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગેરકાયદેસર કામ કરે છે, ત્યારે આ કલમ લાગે છે. જો કાવતરા હેઠળ કરવામાં આવેલા ગુનાની સજા મૃત્યુદંડ, આજીવન કેદ અથવા બે વર્ષથી વધુની સખત કેદ હોય, તો કાવતરું ઘડનારને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળશે, જ્યારે તેનાથી ઓછા ગંભીર ગુનામાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.

આ મામલો પહેલીવાર 7 જૂને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગરબડ થઈ છે. અખિલેશ યાદવે કોર્ટને પણ આ મામલાની નોંધ લેવાની માંગ કરી હતી.

June 23, 2026
image-14.png
1min103

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

May 19, 2026
jay-dalal.png
1min210

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.

જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.

બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.

May 17, 2026
image-11.png
1min166

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

May 11, 2026
image-8.png
1min179

સુરત ગ્રામ્ય એલ.સી.બી. (LCB) એ ટેક્સ ચોરી અને છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે સુરત સ્થિત “સદ્દગુરુ શિવમ ટ્રાવેલ્સ” ના માલિક અજયકુમાર વામજા સરકારી ટેક્સ બચાવવા માટે પોતાની અલગ-અલગ પેસેન્જર બસો પર એક જ રજીસ્ટ્રેશન નંબર લગાવીને ગેરકાયદેસર રીતે પરિવહન કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસની ટીમે કડોદરા ખાતેથી નાશિક-સુરત રૂટની બસને અટકાવી હતી. આ જ સમયે બાતમી મળી હતી કે આ જ નંબરની બીજી બસ અમરેલીથી સુરત તરફ આવી રહી છે, જેથી પોલીસે સુરત શહેરમાં રેઈડ કરી બીજી બસ પણ ઝડપી પાડી હતી. આશ્ચર્યજનક રીતે, બંને બસોમાં એક જ રજીસ્ટ્રેશન નંબર હોવા ઉપરાંત તેના એન્જિન અને ચેસિસ નંબર સાથે પણ ચેડા કરી તેને એકસરખા બનાવ્યા હોવાનું રેકેટ બહાર આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સરકારને લાખો રૂપિયાનો પેસેન્જર ટેક્સ ન ચૂકવવો પડે તે માટે માલિક દ્વારા આ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી.

આ કામગીરીમાં પોલીસે બસ ચાલક બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (રહે. ભાવનગર) ની ધરપકડ કરી છે, જ્યારે ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા (રહે. વરાછા, સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે બંને લક્ઝરી બસો જપ્ત કરી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

April 27, 2026
image-21.png
1min215

સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

April 25, 2026
image-15.png
1min183

સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

ગત રાત્રે 24/04/2026 અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે 24/04/2026 પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

આજે 25/04/2026 પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

April 20, 2026
image-10.png
1min132

સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ફંડ મોકલવનાર દિલ્હીના માજી આરોગ્ય મંત્રીના વિશ્વાસુ હિમાંશુ પાહુજા અને ફંડ રિસીવ કરનાર પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારીના નામ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં 1.25 કરોડ રૂપિયા આંગડિયા મારફતે મોકલાવ્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસે સંયુક્ત રીતે દેશની રાજધાની દિલ્હી અને સુરત વચ્ચે પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગત 10મી એપ્રિલના રોજ આંગડિયા મારફતે દિલ્હીથી લાખો રૂપિયા સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારીને મોકલવામાં આવ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે પીપલોદના પ્રગતિ નગર સોસાયટીમાં રહેતા આકાશ મિશ્રાને બોલાવી પૂછપરછ કરી હતી. જે અંતર્ગત દિલ્હી ખાતેથી હિમાંશુ પાહુજાએ અઠવાડિયા અગાઉ 19 લાખ રૂપિયા સુરત મોકલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ હોવાનું મનાય રહ્યું છે. જેથી આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે રૂપિયા દિલ્હીથી સુરત રૂપિયા મોકલાવતો હતો. આ રૂપિયા આકાશ મિશ્રા અને અજય તિવારી કર્ડિંગ નેટવર્કમાં રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકેની મહત્ત્વની કડી હોવાનું મનાય છે.

પ્રાથમિક પૂછપરછમાં આકાશ મિશ્રાએ છેલ્લા પાંચથી છ મહિનામાં અંદાજે 1.25 કરોડ રૂપિયા દિલ્હીથી હિમાંશુંએ મોકલાવ્યાની કબૂલાત કરી છે. જેથી પોલીસને આશંકા છે કે, આ ફડિંગનો ઉપયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવામાં આવી રહ્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉપરાંત આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

દિલ્હી-સુરત વચ્ચેના પોલિટીકલ ફડંગ સિન્ડિકેટમાં સંડોવાયેલો સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રાનો જન્મ સુરતમાં જ થયો છે અને અભ્યાસ પણ અહીં કર્યો છે. પરંતુ થોડા સમય માટે દિલ્હી શીફ્ટ થયો હતો અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પી.એ તરીકે કામ કર્યું હોવાની કબૂલાત કરી છે.

દિલ્હી-સુરત વચ્ચે પોલિટીકલ કડિંગ સિન્ડિકેટ અંતર્ગત 10મી એપ્રિલે મહિધપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢી મારફતે રૂપિયા આવ્યા હતા. પરંતુ પોલીસને આશંકા છે કે, માત્ર અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં જ નહીં પરંતુ અન્ય પેઢી મારફતે પણ ફડિંગ આવ્યું હોવાની આશંકા હોવાથી પોલીસ અલગ અલગ આંગડિયા પેઢીમાં તપાસ હાથ ધરવા સાથે ઈન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે.

March 30, 2026
image-14.png
1min109

ગુજરાત સહિત દેશની જુદી જુદી સરકારી કચેરીઓ, શાળાઓ, અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલથી સુરક્ષાને મુદ્દે ખૂબ સવાલો ઉઠયા હતા. ત્યારે દેશની વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને અદાલતોમાં બોમ્બ હોવાની નકલી ધમકીભર્યા ઈમેલ મોકલીને ગભરાટ ફેલાવનાર આરોપીની દિલ્હી પોલીસે કર્ણાટકના મૈસુરુથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ શ્રીનિવાસ તરીકે થઈ છે, જે મૈસુરુના વૃંદાવન લેઆઉટ વિસ્તારમાં એક મકાનમાંથી આ ગતિવિધિઓ ચલાવી રહ્યો હતો. છેલ્લા એક મહિનાથી સતત મળી રહેલી આ નકલી ધમકીઓને સત્તાવાળાઓએ ગંભીરતાથી લીધી હતી, જેના પગલે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે શ્રીનિવાસ ટૂંકા ગાળામાં અનેક ધમકીભર્યા ઈમેલ મોકલતો હતો, જેમાં વિસ્ફોટ કરવાની ચેતવણી આપીને વ્યાપક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. દિલ્હી પોલીસની ટીમે ટેકનિકલ ઇનપુટ્સ અને સર્વેલન્સની મદદથી લોકેશન ટ્રેસ કર્યું હતું, જેમાં માલૂમ પડ્યું કે આ તમામ મેસેજ મૈસુરુથી મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક વી.વી. પુરમ પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી દિલ્હી પોલીસે ઓચિંતો દરોડો પાડીને શ્રીનિવાસને તેના રહેઠાણ પરથી ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૈસુરુમાં છુપાઈને ઈમેલ દ્વારા ધમકીઓ આપવાનું ચાલુ રાખતો હતો. દરોડા દરમિયાન પોલીસને તેના કબજામાંથી અનેક સિમ કાર્ડ અને એક લેપટોપ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ હોક્સ (નકલી) મેસેજ મોકલવા માટે કરવામાં આવતો હોવાનું મનાય છે. હાલ પોલીસ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે દિલ્હી લઈ જઈ રહી છે, જેથી આ ગુના પાછળનો તેનો હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય.

March 21, 2026
image-8-1280x853.png
1min93

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.