CIA ALERT

ક્રાઇમ Archives - CIA Live

August 19, 2026
image-25.png
1min35

ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

August 11, 2026
cyber-Surat.jpg
1min37

સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝારખંડ અને બિહારમાં 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી, પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે. આ ગેંગ ₹8,000માં ખરીદેલી APK ફાઇલ ₹70,000 સુધીમાં વેચી 336 નકલી ફાઇલો દ્વારા 5,613 લોકોના ₹125.39 કરોડથી વધુ પડાવ્યા હતા.

Surat Cyber Crime Jamtara Patna Gang Arrest: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક અત્યંત શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ડેવલપર પાસેથી માત્ર ₹8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને ₹10,000થી લઈને ₹70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.

આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે ₹125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત Google Play Store કે App Store પરથી જ ડાઉનલોડ કરવી. RTO ચલણ, KYC અપડેટ કે બેંક પ્રોફાઇલ સુધારવાના નામે મોકલેલી લિંક્સ પર ક્લિક કરવું નહીં. OTP, PIN, કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી. છેતરપિંડી થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો.

August 7, 2026
image-10.png
1min60

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બજરંગદાસજી સીતારામ આશ્રમ સનાતન સંસ્થા બગદાણા દ્વારા બજરંગદાસ બાપાના વાસ્તવિક સ્વરૂપ, પવિત્રતા અને આશ્રમની અધિકૃત પરંપરાઓની જાળવણી અર્થે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત આવેદનાત્મક આવેદન જાહેર કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી પૂજ્ય બાપાના કલ્પનિક ફોટા, બનાવટી દ્રશ્યો અને મનઘડંત વાર્તાઓ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી રહી છે, જે અંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભારે ચિંતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

​સંસ્થાન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે બાપાનું સમગ્ર જીવન રામનામના જપ, સાદગી, સરળતા અને માનવતાની પરમ સેવામાં જ આધારિત રહ્યું છે. તેમણે ક્યારેય ચમત્કારોના દાવો કર્યા નથી પરંતુ પોતાની ઉચ્ચ સાધનાના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

આવા સમયે AI વડે તૈયાર કરાતી ખોટી સામગ્રી પૂજ્ય બાપાના પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે. જો આ કલ્પનિક સામગ્રીને તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી સાચા ઇતિહાસથી વંચિત રહી જશે અને AI દ્વારા જનરેટ થયેલા વિકૃત ચિત્રોને જ સત્ય માની લેશે.

​આ પરિસ્થિતિને ધ્યાને રાખી ગુરુ આશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળ, મેનેજર અને સ્વયંસેવકો દ્વારા તમામ ભક્તોને અવાસ્તવિક AI ફોટા કે રીલ્સ આગળ શેર ન કરવા, તેને પ્રોત્સાહન ન આપવા અને જે લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા ફોટા મૂક્યા હોય તેને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક સૂચના સાથે વિનંતી કરવામાં આવી છે. પૂજ્ય બાપાના મૂળ ચિત્રો અને સાચા વિચારોને જાળવી રાખીને આવનારી પેઢી સુધી સાચો વારસો પહોંચાડવો એ જ સાચી ભક્તિ હોવાનું આશ્રમ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

August 2, 2026
image-5.png
1min77

દમણમાં 2011ના એક્સાઈઝ સબ ઇન્સ્પેક્ટર ભરતી કેસમાં 15 વર્ષે ચુકાદો આવ્યો છે. દમણની કોર્ટે હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુબ્બા પટેલને 2-2 વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શારીરિક પરીક્ષા વખતે પોલીસ સાથે મારામારી કરી સરકારી કામમાં અવરોધ ઊભો કરાયો હતો. જોકે, તેમને જામીન મળ્યા છે.

દમણમાં વર્ષ 2011માં એક્સાઈઝ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક પરીક્ષા વેળા કામગીરીમાં અવરોધ, ગેરવર્તણૂક, ઢીક-મુક્કીનો માર મારવાના ગુનામાં 15 વર્ષ બાદ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં દમણ-દીવના હાલના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ અને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુબ્બા પટેલને બે-બે વર્ષની કેદ અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

કેસની વિગત એવી છે કે, દમણ એક્સાઈઝ વિભાગે 12-03-2011ના રોજ મોટીદમણ ફૂટબોલ મેદાન ખાતે સબ ઈન્સ્પેક્ટરની ભરતી અંતર્ગત શારીરિક પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા દરમિયાન દમણ-દીવના હાલ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ, દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુબ્બા પટેલ, ઉમેદવાર વિપુલ ભગવાન પટેલ અને અન્ય બે શખસોએ ગેટ પર પહોંચી ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે બૂમાબૂમ કરી અસભ્ય વર્તન કરી ઢીક-મુક્કી કરી અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તમામે હોલમાં હાજર કમિટી સભ્યો સાથે ગાળામાંળી કરી પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવવાનો આક્ષેપ કરી ઉમેદવાર વિપુલની ફરીથી ઊંચાઈ માપવાનું શરૂ કરી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સરકારી કામગીરીમાં અવરોધ, અસભ્ય વર્તન, ઢીક-મુક્કીના માર સહિતની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. દમણ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ ગોરધન પુરોહિતે અનેકની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ પર દલીલો કરતા કોર્ટે સાંસદ ઉમેશ પટેલ અને સુરેશ ઉર્ફે સુબ્બા પટેલને કસૂરવાર ઠેરવી બે-બે વર્ષની કેદની સજા અને 5-5 હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જોકે, ઉમેશ પટેલ અને સુરેશ પટેલને જામીન પર મુક્ત કરાયા હતા. સાંસદને સજા થતાં હવે તેઓ હાઈકોર્ટ કે સુપ્રિમકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવશે તો પદ બચી શકે તેવી જાણકારી મળી છે.

July 28, 2026
image-61.png
1min61

સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે, નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો તાબડતોબ દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા.

આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે.

આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી પાડવાનું આખો પ્લાન ઘડ્યો હતો.

સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વનિયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાઇરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતાં જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા.

ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.

પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા!

દાગીના ગાયબ હોવાની જાણ થતાં જ ફરિયાદી રમેશ વાઘાણી, તેમના પત્ની અને પરિવારજનો તા. 14 જુલાઈ, 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી હતી. બપોરથી સાંજ સુધી CCTV તપાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સેફના કાઉન્ટર પર બેસતા પૂર્વઆયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંથી એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે, બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે! આટલું કહી તેણે સીસીટીવી બતાવવાના બંધ કરી દીધા હતા અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. આથી ફરિયાદીને શંકા જતાં તેમણે તાત્કાલિક સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી. કામળીયા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસઘાત), 316 (5) અને પૂર્વઆયોજિત કાવતરા અંગેની કલમ 61 (2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણા દિયોરાની ધરપકડ કરી છે.

પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર અને લોકર બ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આ રીતે લોકર તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસની વિશેષ ટીમો ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

July 17, 2026
image-18.png
1min80

ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યા છે. અગાઉ પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસા થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ આતંકીઓ ગુજરાતમાં સક્રિય હતા અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની ફિરાકમાં હતા. ATSની આ મોટી સફળતાથી આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

Gujarat ATS Busts Terror Network: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય હતા, જેમને ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.

ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

June 26, 2026
image-19.png
2min149

અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે 26/06/26 ગુરુવારે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને એસઆઈટી (SIT)ની ભલામણ બાદ આ FIR નોંધવામાં આવી છે.

એફઆઈઆરમાં આઠ લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. આ FIR

  • રમાશંકર યાદવ (ટિન્નુ યાદવ),
  • અનુકલ્પ મિશ્રા,
  • અવિનાશ શુક્લા,
  • મનીષ યાદવ,
  • રમાશંકર મિશ્રા,
  • સુભાષ,
  • કરુણેશ અને
  • લવકુશ મિશ્રા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

આ પૈકીના બે મુખ્ય આરોપીઓ લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી લેવામાં આવી છે. અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા નોટો ગણવાનું કામ કરતા હતા. બીજી તરફ, અવિનાશ ત્રિપાઠી, કરુણેશ પાંડે, સુભાષ ચંદ્ર અને મનીષ યાદવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

યુપી સરકારના નિર્દેશ પર બીએનએસ (BNS)ની કલમ 306, 316(5), 317(4), 317(5), 61 અને 3(5)ની હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIR ચોરી, ચોરીમાં મદદ કરવી, ઉચાપત, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને સરકારી કર્મચારી અથવા સંસ્થાના કર્મચારી દ્વારા ગુનાહિત કાવતરા હેઠળ વિશ્વાસઘાત કરવાના ગુના હેઠળ દાખલ કરવામાં આવી છે. આ મામલો રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જે લોકો પાસેથી રકમ મળી આવી છે, તે તમામના નામ એફઆઈઆરમાં સામેલ કરાયા છે. એવું પણ માનવામાં આવે છે કે આ મામલે મોટાપાયે ધરપકડો પણ થશે.

આવી સ્થિતિમાં હવે આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર મંડરાયેલી છે. આ ઘટનાક્રમ પર વિશ્વ હિન્દુ પરિષદના વડા આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વિવાદ ઊભો કરીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આખી દુનિયા બધું જોઈ રહી છે.’

અયોધ્યાના રામ મંદિરના ચઢાવામાં ઉચાપતના આરોપો સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ FIR બીએનએસની કલમ 61, 306, 316 અને 317 હેઠળ ગુનાહિત કાવતરું ઘડવા, ચોરી, વિશ્વાસઘાત અને ચોરીની મિલકત સાથે જોડાયેલા ગંભીર ગુના માટે નોંધવામાં આવી છે. આ કલમોમાં ગુનાની વિગતવાર વિગતો અને તેના હેઠળ મળનારી સજાની જોગવાઈ પણ સ્પષ્ટ છે. BNSની કલમ 61 ગુનાહિત કાવતરા એટલે કે, ક્રિમિનલ કોન્સ્પિરેસી વિશે છે, એટલે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને કોઈ ગેરકાયદેસર કામ કરે છે, ત્યારે આ કલમ લાગે છે. જો કાવતરા હેઠળ કરવામાં આવેલા ગુનાની સજા મૃત્યુદંડ, આજીવન કેદ અથવા બે વર્ષથી વધુની સખત કેદ હોય, તો કાવતરું ઘડનારને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળશે, જ્યારે તેનાથી ઓછા ગંભીર ગુનામાં છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.

આ મામલો પહેલીવાર 7 જૂને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગરબડ થઈ છે. અખિલેશ યાદવે કોર્ટને પણ આ મામલાની નોંધ લેવાની માંગ કરી હતી.

June 23, 2026
image-14.png
1min149

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

May 19, 2026
jay-dalal.png
1min253

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.

જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.

મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.

બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.

May 17, 2026
image-11.png
1min190

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.

આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.