ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.
GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.
તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.
GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.
સુરત, 15 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મંગળવાર, તા. 14 જુલાઈ 2026ના રોજ રિયાધ (સાઉદી અરેબિયા) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. આ ઓનલાઇન મીટમાં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી (કોમર્સ) શ્રી વિપુલ બાવા અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવા અને સાઉદી અરેબિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની નવી તકો શોધવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય મજબૂત ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાઓ રજૂ કરી હતી.
બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેચરલ ફાઇબર, કોટન અને સિન્થેટિક કાપડ ક્ષેત્રે સુરતના મોનોપોલી સમાન સ્થાનની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં સુરતના કાપડની નિકાસ સરળતાથી વધારી શકાય તે માટેના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વિપુલ બાવાએ સાઉદી અરેબિયામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો વ્યાપાર વધે તે માટે સાઉદીના વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ત્યાંના બજારની માહિતી મેળવવા ચેમ્બરના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ચેમ્બરનું આ ડેલિગેશન જ્યારે સાઉદી આવશે ત્યારે દૂતાવાસ દ્વારા તેમની બેઠકો ‘નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ – રિયાધ’, ‘ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સાઉદી અરેબિયા)’ અને ‘સાઉદી ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના ટોચના હોદ્દેદારો અને બાયર્સ સાથે ગોઠવવામાં આવશે.
શ્રી બાવાએ સાઉદી અરેબિયાના ‘વિઝન-2030’ અંતર્ગત ટેક્સટાઇલ્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ક્ષેત્રે સાઉદી સરકાર દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો, સબસિડી અને લિબરલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.
અંતમાં ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સાઉદી અરેબિયાના બાયર્સને સુરતના આગામી પ્રદર્શનોમાં લાવવા અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.
દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.
CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.
ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી
એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.
આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન
ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.
આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.
રિંગરોડથી સારોલી સુધી અનેક માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યાં; લાખોના સાડી-ડ્રેસ મટિરિયલના સ્ટોકને નુકસાન, પ્રાથમિક સર્વે બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે
CiA Live ન્યુઝ વેબ
સુરતમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના રિંગરોડ, કમેલા દરવાજા, લિંબાયત, પરવટ પાટિયા, સારોલી, પૂણા સહિતના ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં આવેલી અસંખ્ય માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સટાઇલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર સાડીઓ, ડ્રેસ મટિરિયલ તથા અન્ય કાપડના મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા સ્ટોક પાણીમાં પલળી જતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે નુકસાનનું વાસ્તવિક ચિત્ર આવતીકાલથી સ્પષ્ટ થશે, જ્યારે વેપારીઓ બેઝમેન્ટમાંથી પલળેલો માલ બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.
વેપારી સંગઠનોના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસભર વિવિધ માર્કેટોના બેઝમેન્ટમાંથી પમ્પ દ્વારા ડી-વોટરિંગ કરીને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. અનેક સ્થળોએ કલાકો સુધી પાણી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે. હાલ તંત્ર તેમજ વેપારી સંસ્થાઓ માટે સૌથી પ્રથમ પ્રાથમિક સર્વે કરાવવો જરૂરી બન્યો છે, જેથી કઈ માર્કેટમાં કેટલી દુકાનો અને ગોડાઉનોને અસર થઈ છે તથા કુલ નુકસાનનો અંદાજ મેળવી શકાય.
ટેક્સટાઇલ વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા વીમા સુરક્ષાની છે. વર્ષ 2006ના ઐતિહાસિક પૂર બાદ મોટાભાગની વીમા કંપનીઓએ બેઝમેન્ટમાં આવેલી નવી દુકાનો અને ગોડાઉનો માટે વીમા કવર આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. પરિણામે 2006 પછી વિકસેલી અનેક નવી ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં વ્યવસાય કરતા વેપારીઓ પાસે હાલમાં વરસાદી નુકસાન સામે કોઈ વીમા સુરક્ષા ઉપલબ્ધ નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ 2006 પહેલાં જેમના બેઝમેન્ટના વીમા પોલિસી ચાલુ હતા અને જેમણે સતત તેનું રિન્યૂઅલ કરાવ્યું છે, તેઓ નુકસાનના ક્લેઇમ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી શકશે. પરંતુ ત્યારબાદ બનેલી માર્કેટોમાં બેઝમેન્ટ માટે વીમાની જોગવાઈ ન હોવાથી આવા વેપારીઓને થયેલું સમગ્ર નુકસાન પોતાના ખર્ચે સહન કરવું પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બેઝમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે તૈયાર સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય કાપડના મોટા જથ્થાના સંગ્રહ માટે થાય છે. એક જ ગોડાઉનમાં લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો માલ રાખવામાં આવતો હોવાથી પાણી ભરાવાની ઘટનામાં નુકસાનનું પ્રમાણ પણ ખૂબ ઊંચું રહે છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર આંકડા સર્વે પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
વેપારી સંગઠનોએ તંત્ર સમક્ષ અસરગ્રસ્ત તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સંયુક્ત સર્વે હાથ ધરવાની માંગ કરી છે, જેથી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ અથવા સહાય જાહેર કરવામાં આવે તો તેનો લાભ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચી શકે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા અને બેઝમેન્ટ સુરક્ષા માટે લાંબા ગાળાના આયોજનની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.
Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.
નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.
નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.
આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો – ૨૦૨૬’ યોજાશે
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે – ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા
આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૧,૦૦૦થી વધુ બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું અગાઉ ‘વિવનીટ એક્ઝિબિશન’ના નામથી પ્રખ્યાત અને સફળ રહેલ એક્ઝિબિશન હવે ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોના નામથી ઓળખાશે. નામને અર્થસભર બનાવતા ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનો ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ અને ગારમેન્ટ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આ એક્ઝિબિશન થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અગાઉના વિવનીટ એક્ઝિબિશનને મળેલી જબરદસ્ત સફળતાને પગલે આ વર્ષે એક્ઝિબિશનનું પાંચમું એડીશન ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ સુરતના મેન્યુફેક્ચરર્સને માત્ર સુરત કે ભારત પૂરતુ મર્યાદિત ન રાખતા તેમને વૈશ્વિક એટલે કે લોકલ ટુ ગ્લોબલ કરવાનો છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક પણ જોવા મળશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૫૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે એકિઝબિશન મોટા પાયે થવા જઈ રહ્યું છે, ત્યારે એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ટેક્ષ્ટાઈલ મેન્યુફેક્ચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને ક્વોલિટીઓ આપવામાં આ એક્ઝિબિશન મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ શુક્રવારે, તા. ૨૬ જુન ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ (UKM), સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી જયરામ ગામિત ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્લોબલ પ્રેસિડેન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ) શ્રી મૃગન થેન્કોન્ડાર, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને સંસ્થાપક શ્રી અજય અજમેરા, સર્જન ઈન્ટરનેશનલના સંસ્થાપક શ્રી અમિત ડોબરિયા, બોમ્બે ડાઈંગના મેનેજર શ્રી રજનેશ દત્ત અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયાના પીલરલેસ એસી હોલમાં યોજાનાર ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની સાથે ચીનના શેન્ગઝુહો શહેરના મળીને કુલ ૨૦૦ જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ એક્ઝિબિશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઈનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ મેન્યુફેક્યરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ એક્ઝિબિશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઈરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૨૫,૦૦૦થી વધુ બીટુબી બાયર્સ અને વિઝીટર્સ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, ડિજિટલ પ્રિન્ટ અને ફેન્સી પ્રિન્ટ ફેબ્રિક અને ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સ નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડક્ટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો– ર૦ર૬ના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેક્નિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પર્ચેસ કરવાની તક મળશે. સાથે લેટેસ્ટ ટેક્નોલોજીના નવા-નવા સેમ્પલ જોવા મળશે. એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, શીફલી મશીન અને બીડસ એમ્બ્રોઈડરી મશીન્સમાંથી બનાવવામાં આવેલ ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે.
ગત મે મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી દેશમાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાતમાં 86.65 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત 13મી મેના રોજથી અમલી બને તેમ સરકારે સોનાચાંદીની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ચાંદીની આયાત મે, 2025નાં 56.622 કરોડ ડૉલર સામે ઘટીને 7.557 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ગત મે મહિનામાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત)28.21 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે નવી દિલ્હી ખાતે ગત મે મહિનામાં સોનાના વેરા સહિતનાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.60 લાખ આસપાસ રહ્યા, જ્યારે ચાંદીના ભાવ 2.60 લાખ આસપાસ રહ્યા હતા.
દેશમાં સોનાની આયાત માટેના મુખ્ય સ્રોતમાં સ્વિટ્ઝર્લેન્ડ 40ના હિસ્સા સાથે મોખરે છે. ત્યાર બાદ અનુક્રમે યુએઈનો હિસ્સો 16 ટકા અને દક્ષિણ આફ્રિકાનો હિસ્સો અંદાજે 10 ટકા છે. જોકે, ગત મે મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડથી સોનાની આયાતમાં 57.73 ટકાનો અને એપ્રિલ તથા મે મહિનાની કુલ આયાતમાં 20.34 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય બાબત એ છે કે દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુઓની આયાતનો હિસ્સો પાંચ ટકા જેટલો હોય છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત એપ્રિલ અને મે મહિનામાં સોનાની કુલ આયાત ગત સાલના સમાનગાળાની તુલનામાં 60.14 ટકા વધીને 9.04 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાત 33 ટકા વધીને 48.658 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની સોનાની આયાત 24 ટકા વધીને 71.98 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી, પરંતુ પ્રમાણની દૃષ્ટિએ આયાત 4.76 ટકાના ઘટાડા સાથે 721.03 ટનના સ્તરે રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકનો સૌથી મોટો સોનાનો વપરાશકાર દેશ છે અને સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની માગ આયાતથી સંતોષાય છે, પરંતુ સોનાની આયાત થતી હોવાથી તેની સીધી અસર ચાલુ ખાતાની ખાધ પર પડતી હોય છે. ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં અથવા તો ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં 0.7 ટકા અથવા તો 7.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, તે પૂર્વેના નાણાકીય વર્ષના સમાનગાળામાં ચાલુ ખાતાની પુરાંત જીડીપીના 1.4 ટકા અથવા તો 13.7 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.
જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 25.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે તે પૂર્વેના નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 22.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી.
ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં (ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતું ફ્રીઝ કરી દેવું એક બંધારણીય અધિકારના ઉલ્લંઘન (ભંગ) સમાન છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ દરમિયાન બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા માટે તપાસની એજન્સીની સત્તા પર વિવાદ હોઈ શકે નહીં પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિની રીતે કરવો ખૂબ જરૂરી છે.
બેન્ક ખાતું ફ્રીઝ કરવા પર હાઇકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઇકોર્ટે સામાન્ય નાગરિકોના હિતમાં એક ઘણો મોટો અને મહત્ત્વનો નિર્ણય આપ્યો છે. ઘણીવાર એવું બને છે કે સાયબર ક્રાઇમની તપાસના નામે પોલીસ કે તપાસ એજન્સીઓ કોઈ પણ વ્યક્તિની સાચી સંડોવણી કે ભૂમિકા સાબિત કર્યા વિના જ તેનું આખું બેન્ક ખાતું ફ્રીઝ કરી દે છે. આના કારણે જે-તે વ્યક્તિ ગુનામાં ક્યાંય સામેલ ન હોય તો પણ તેના પોતાના કાયદેસરના નાણાં બ્લોક થઈ જાય છે અને રોજિંદા ખર્ચ માટે તેને બિનજરૂરી રીતે ભારે હાલાકી ભોગવવી પડે છે.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શંકાસ્પદ રકમ કેટલી છે તેની ચોખવટ કર્યા વગર કે નાગરિકનો વાંક સાબિત કર્યા વિના આખું એકાઉન્ટ બંધ કરી દેવું એ તેના મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. અદાલતનો આ ચુકાદો સાયબર ક્રાઇમની તપાસના બહાને હેરાન થતા નિર્દોષ લોકો માટે બહુ મોટી રાહત સમાન સાબિત થશે, કારણ કે હવે તપાસના નામે આડેધડ આખા ખાતા ફ્રીઝ કરી શકાશે નહીં.
ગુજરાત હાઇકોર્ટે ખાતાને તાત્કાલિક ડી-ફ્રીઝ કરવાનો કર્યો હુકમ
ગુજરાત હાઇકોર્ટે પીડિત ખાતાધારકને મોટી રાહત આપતા તેનું બેન્ક ખાતું તાત્કાલિક ચાલુ (ડી-ફ્રીઝ) કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે વચગાળાનો માર્ગ કાઢતા જણાવ્યું કે, ખાતામાં જે માત્ર 1100 રૂપિયાની રકમ શંકાસ્પદ જણાઈ છે, બેન્ક ફક્ત એટલા જ રૂપિયા હોલ્ડ (લીયન) પર રાખે અને બાકીનું આખું ખાતું ઓપરેટ કરવાની ખાતાધારકને છૂટ આપે. આ કેસનો છેલ્લો નિર્ણય હવે પોલીસ તપાસના પરિણામ પર આધારિત રહેશે, પરંતુ ત્યાં સુધી નાગરિક પોતાના ખાતામાંથી કાયદેસરની લેવડ-દેવડ ચાલુ રાખી શકશે.
હાઇકોર્ટમાં અરજદાર ખાતાધારકની રિટ અરજી
આ કેસમાં પીડિત ખાતાધારકે હાઇકોર્ટમાં રિટ અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમનું ગાંધીનગરની ઇન્ફોસિટી બ્રાંચની એચડીએફસી બેન્કમાં એક સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. આ તેમનું મુખ્ય બેન્ક ખાતું છે, જેનો ઉપયોગ તેઓ પોતાના પગાર મેળવવા તેમજ ઘરખર્ચ, મકાનનું ભાડું અને લોનના ઇએમઆઈ ચૂકવવા જેવી રોજિંદી જરૂરીયાતો માટે કરે છે.
પરંતુ સાયબર ક્રાઇમ વિભાગ તરફથી મળેલી માત્ર બે ફરિયાદોના આધારે, બેન્કે તેમના આ આખા ખાતામાંથી થતા તમામ નાણાકીય વ્યવહારો પર સંપૂર્ણ રોક લગાવી દીધી હતી. આ આડેધડ લેવાયેલા પગલાના કારણે નિર્દોષ ખાતાધારકને પોતાના જ પૈસા વાપરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અરજદારનો સાયબર ગુનામાં કોઈ જ હાથ નથી
અરજદારનો કોઈ સાયબર ગુનામાં હાથ નથી અને તેઓ આ કેસમાં આરોપી કે શંકાસ્પદ પણ નથી. પરંતુ સાયબર ક્રાઇમની તપાસમાં જે ખાતાઓના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે, તેમાં અરજદારના ખાતાના રૂ. 1100ના બે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનના કારણે આખું ખાતું ફ્રીઝ કરી દેવાયું હતું, જેના લીધે તેઓ પોતાની કાયદેસરની કમાણી વાપરી શકતા નથી કે ઉપયોગ કરી શકતા નથી.
જસ્ટિસ નિરલ આર. મહેતાએ પક્ષકારોને સાંભળ્યા બાદ આપ્યો આદેશ
જસ્ટિસ નિરલ આર. મહેતાએ આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, સાયબર ક્રાઇમની તપાસમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફરની જે કડી (ટ્રેલ) સામે આવી છે, તેમાં અરજદારનું બેન્ક ખાતું પણ જોડાયેલું જોવા મળ્યું હતું. જોકે, આ કેસમાં શંકાસ્પદ વ્યવહાર માત્ર 500 અને 600 રૂપિયા મળીને કુલ 1100 રૂપિયા જેટલો જ મર્યાદિત હતો, છતાં પણ એજન્સી દ્વારા નાગરિકનું આખું બેન્ક ખાતું જ ફ્રીઝ કરી દેવાયું હતું.
આ બાબતને ધ્યાને રાખીને હાઇકોર્ટે વચગાળાનો રસ્તો કાઢ્યો અને આદેશ આપ્યો કે ખાતામાં માત્ર વિવાદિત 1100 રૂપિયાની રકમ પર જ પ્રતિબંધ રહેશે, જ્યારે બાકીનું આખું એકાઉન્ટ અરજદાર પહેલાની જેમ જ ઓપરેટ કરી શકશે. તેની સાથે જ કોર્ટે અરજદારને એવો પણ આદેશ કર્યો છે કે જ્યારે પણ તપાસ એજન્સીને જરૂર જણાય ત્યારે તેમણે તપાસમાં પૂરો સહકાર આપવો પડશે.
ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે ગૌરવની વાત છે.
વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:
• કુલ થાપણો : ₹4,411.11 કરોડ
કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ
• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ
• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ
બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.
“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.
બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.