CIA ALERT

બિઝનેસ Archives - CIA Live

August 24, 2026
image-29-1280x768.png
1min25

દેશભરમાં આગામી મહિનાથી બૅંક કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવા જઈ રહ્યા છે, જેના કારણે બૅંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે. યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (UFBU) એ પરફોર્મન્સ લીન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) અને 5 દિવસના બૅંકિંગ કામકાજના દિવસો(5-Day Banking)ની માંગ સાથે હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે બૅંક ગ્રાહકોને સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મચારીઓ અને અધિકારીઓના મુખ્ય સંગઠન UFBU એ ત્રણ તબક્કામાં દેશવ્યાપી હડતાળ યોજવાનું આયોજન કર્યું છે.

  • પ્રથમ તબક્કો
    (11 સપ્ટેમ્બર): દેશભરમાં 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ રહેશે. આ સમયગાળા દરમિયાન શનિવાર અને રવિવારની રજાઓ આવતી હોવાથી બૅંકો સતત 3 દિવસ બંધ રહેશે.
  • બીજો તબક્કો
    (28, 29 અને 30 સપ્ટેમ્બર): સપ્ટેમ્બરના અંતમાં કર્મચારીઓ સતત 3 દિવસ હડતાળ પર રહેશે. શનિવાર-રવિવારની રજાઓ ઉમેરીને બૅંકો સતત 5 દિવસ માટે બંધ રહેશે.
  • ત્રીજો તબક્કો
    (26 ઑક્ટોબરથી): જો સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.

5 દિવસનું બૅંકિંગ (5-Day Banking Week): 8 માર્ચ 2024ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં સોમવારથી શુક્રવાર સુધી રોજનો કામકાજનો સમય 40 મિનિટ વધારીને 5 દિવસનું બૅંકિંગ લાગુ કરવા સહમતિ બની હતી. જોકે, હજુ સુધી સરકારની મંજૂરી બાકી છે.

સંશોધિત PLI સ્કીમનો વિરોધ: યુનિયનોનો આરોપ છે કે, નવી PLI (Performance Linked Incentive) સ્કીમમાં મોટા અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે મોટો તફાવત રાખવામાં આવ્યો છે, જે ભેદભાવપૂર્ણ છે.

રાષ્ટ્રીયકૃત બૅંકની વિવિધ બ્રાન્ચના કામકાજ પર અસર પડી શકે તેમ હોવાથી ગ્રાહકોને પોતાના જરૂરી કામ સમયસર પતાવી લેવા વિનંતી કરવામાં આવી છે.

August 19, 2026
sgcci-yarn-expo-26-1280x449.jpeg
1min31
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાર્ન એક્સ્પોની 8મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન: ચીન સહિત દેશભરમાંથી 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે
  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા આયોજન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે
  • કોટન, સિલ્કથી લઈને ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ સ્પેશ્યાલિટી યાર્નનું એક જ છત નીચે પ્રદર્શન
  • સુરતના વિવર્સ નવા યાર્નમાંથી ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ બનાવી એક્સપોર્ટ વધારી શકશે: ગિરધરગોપાલ મુંદડા

સુરત, 19 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ બાયર્સ અને 88 એક્ઝિબિટર્સની સહભાગિતા: અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થાય અને ઉત્પાદકોને યાર્ન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે તે આ એક્સ્પોનો મુખ્ય આશય છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત મિ. કોન્ટે અલાસ્સેન તેમજ બાંગ્લાદેશ સ્થિત સોલ સોર્સિંગ લિ.ના સીઈઓ મિ. શમીન અહેમદ તેમજ માર્કેટીંગ હેડ મિ. અબુ સોહેલ રસીલ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે.”

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્સ્પોની આઠમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો અને સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર આવશે. આ એક્સ્પોમાં નેચરલ તથા બ્લેન્ડેડ યાર્ન જેમ કે, કોટન, વુલ, સિલ્ક, લિનન અને રેમી તેમજ મેન-મેડ તથા બ્લેન્ડેડ યાર્નમાં રિજનરેટેડ અને સિન્થેટિક યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફેન્સી અને સ્પેશ્યાલિટી યાર્નમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્સચર્ડ અને સ્લબ યાર્ન સહિતની વિવિધ પ્રોડક્ટસ પણ જોવા મળશે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને યાર્ન ક્ષેત્રના ઉત્પાદકોને ખરીદદારો સાથે જોડવાનો તથા નવા વેપારી સંબંધો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્‌ઘાટન
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉત્તર પ્રદેશ સરકારના નેશનલ ઇન્ટિગ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી (IAS) શ્રી હીરા લાલ પટેલ, એલાયન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી કુલદીપ પટેલ તેમજ રિગન ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ ધનકાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેસ-ટુ-ફેસ નેટવર્કિંગ અને બિઝનેસ ગ્રોથ
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત ઉપરાંત તિરુપુર, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ મિટિંગ્સથી નવા વેપારી સંબંધો બંધાશે. માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે ઉમેર્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેન મેઈડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચુરાઈઝ્ડ યાર્ન, ડોપ ડાઈડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિસએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ય્ચુરાઈઝ્ડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઈનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઈનહેરન્ટ એન્ટી બેક્ટેરિયલ યાર્ન વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

બજેટ-ફ્રેન્ડલી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ
ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.

યાર્ન એક્સ્પો-2026ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, પ્યોર સિલ્ક અને વૂલ જેવા મોંઘા ફેબ્રિક્સ સામે પોલિએસ્ટર અને કેટોનિક યાર્ન ઉત્તમ વિકલ્પ બન્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગાર્મેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. સુરતના વિવર્સ આ પ્રદર્શિત યાર્નમાંથી નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીને સુરતથી રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટમાં વધારો કરી શકશે.

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.25.27-1280x445.jpeg
1min38

  • ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા માટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આઈટી મંત્રાલયની વિશેષ વર્કશોપ યોજાઈ
  • દેશના GDPમાં 2.3%નો ફાળો આપતા ટેક્સટાઇલ સેક્ટરને AIથી સજ્જ કરવા કેન્દ્રનો રાષ્ટ્રીય સર્વે પ્રોજેક્ટ
  • MSMEsને સસ્તા અને અસરકારક ટેકનિકલ વેન્ડર્સ સાથે જોડવા કેન્દ્ર સરકાર તૈયાર કરશે ‘MAX’ (MSME AI Exchange) પ્લેટફોર્મ

સુરત, 12 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરસાણા ખાતે ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) મંત્રાલયના ઉપક્રમે ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા અને સ્વીકાર્યતા વધારવા માટે ‘એથેના ઇન્ફોનોમિક્સ’ના વિશેષ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંદેશ આપતાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ભવિષ્યની નહીં પણ વર્તમાન સમયની જરૂરિયાત છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ MSME એકમો જો ‘AI લાઇટહાઉસ’ મોડલ અપનાવશે તો તેમની પ્રોડક્શન કોસ્ટ ઘટી જશે. IT મંત્રાલય દ્વારા દેશની 350 અને ખાસ કરીને સુરત સહિત ટેક્સટાઇલ ક્ષેત્રની 200 ફેક્ટરીઓ પર સર્વે માટે પસંદગી ઉતારવી એ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત માટે સુવર્ણ તક છે. સુરતના ટેક્સટાઇલ MSME ઉદ્યોગકારોએ આનો લાભ લેવો જોઈએ.”

ટેક્સટાઇલ સેક્ટરમાં ઉત્પાદકતા વધારવી અને ખર્ચ ઘટાડવો મુખ્ય લક્ષ્ય
એથેના ઇન્ફોનોમિક્સના AI એડવાઇઝરી એન્ડ સ્ટ્રેટેજી ડાયરેક્ટર શ્રી મહેશ અને પબ્લિક પોલિસી ડાયરેક્ટર શ્રી અંકિત છત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં 350 ફેક્ટરીઓનો સર્વે કરવામાં આવશે, જેમાં સૌથી વધુ 200 ફેક્ટરીઓ એકલા ટેક્સટાઇલ ક્ષેત્રની પસંદ કરાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના GDPમાં 2.3% ફાળો આપે છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ MSME એકમોમાં AIના અમલ દ્વારા પ્રોડક્ટિવિટી વધારવી, કોસ્ટ રિડક્શન (ખર્ચમાં ઘટાડો) કરવો અને ફેક્ટરીના ગ્રાઉન્ડ લેવલના પડકારો (Pain Points) ઉકેલવાનો રોડમેપ તૈયાર કરવાનો છે.”

ગ્રાઉન્ડ લેવલ સોલ્યુશન્સ અને ‘MAX’ પ્લેટફોર્મ: બેઠકમાં યાર્ન બ્રેકેજ (Yarn Breakage) શોધવા લેઝર લાઇટનો ઉપયોગ, ફેબ્રિક ઇન્સ્પેક્શનની ક્ષતિઓ નિવારવી, લેબર ટ્રેકિંગ અને ક્વોલિટી કંટ્રોલ જેવા વિષયો પર ચર્ચા કરાઈ હતી. દરેક ફેક્ટરીની કાર્યપ્રણાલી અલગ હોવાથી AIનો ઉપયોગ પણ કસ્ટમાઇઝ્ડ રહેશે. ઉપરાંત, MSMEsને આધુનિક AI ટેકનોલોજી પૂરી પાડનારા વેન્ડર્સ સાથે સાંકળવા માટે ‘MAX’ (MSME AI Exchange) નામનું સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરવાની યોજના છે, જે ઉદ્યોગકારોને સસ્તા અને અસરકારક ટેકનિકલ ઉકેલો પૂરા પાડશે.

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.

August 11, 2026
aashish_gujarathi-1.jpg
3min43

યાર્નના બેઝિક રો મટિરિયલમાં અસામાન્ય ભાવ વધારોથી સુરતના વીવિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાશે

પોલિએસ્ટર મેલ્ટનો ભાવ એક જ મહિનામાં રૂ.89.59થી વધીને રૂ.102.94 પ્રતિ કિલો : ક્રૂડમાં માત્ર 4.57 ડોલરની તેજી સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો, ગ્રે કાપડ મોંઘું થવાની ભીતિ

સુરતના વિશાળ મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ ક્લસ્ટરમાં યાર્નમાંથી ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વીવર્સ માટે બેઝિક કી-રો મટિરિયલના ભાવમાં થયેલી અસામાન્ય વધઘટ ચિંતાનો વિષય બની છે. પોલિએસ્ટર યાર્નના ઉત્પાદન માટે જરૂરી મૂળભૂત કાચા માલના ભાવમાં એકતરફી તેજી આવતા તેની સીધી અસર યાર્નના ભાવ પર અને ત્યારબાદ વીવર્સ દ્વારા ઉત્પાદિત ગ્રે કાપડની પડતર કિંમત પર પડી રહી છે. પરિણામે ગ્રે કાપડ મોંઘું થવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નિલમ શમી રાવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં થયેલો વધારો ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલી વધઘટની સરખામણીએ અસામાન્ય રીતે વધારે છે. 11 ઓગસ્ટે કરાયેલી રજૂઆતમાં પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં છેલ્લા એક મહિનામાં થયેલા વધારાને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે.

ક્રૂડમાં રૂ.2ની અસર સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો

રજૂઆત મુજબ છેલ્લા એક મહિનામાં પોલિએસ્ટર મેલ્ટનો ભાવ આશરે રૂ.89.59 પ્રતિ કિલોથી વધીને રૂ.102.94 પ્રતિ કિલો થયો છે. એટલે કે માત્ર એક મહિનામાં રૂ.13.35 પ્રતિ કિલો અથવા લગભગ 15 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ આ સમયગાળામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 8 જુલાઈના આશરે 78.17 ડોલર પ્રતિ બેરલથી વધીને 7 ઓગસ્ટે 82.74 ડોલર થયો હતો. એટલે કે ક્રૂડમાં માત્ર 4.57 ડોલરનો વધારો થયો છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં 5 ડોલર પ્રતિ બેરલના વધારાની સામે પોલિએસ્ટર મેલ્ટમાં અંદાજે રૂ.2.04 પ્રતિ કિલો જેટલી અસર થવી જોઈએ. તેની સામે મેલ્ટના ભાવમાં રૂ.13.35નો વધારો થયો હોવાથી બંને વચ્ચેનો ભાવવધારો અસમાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

PTA અને MEG : યાર્નથી ગ્રે કાપડ સુધીની કડી

પોલિએસ્ટર મેલ્ટના ઉત્પાદન માટે PTA અને MEG મુખ્ય કાચા માલ છે. રજૂઆત અનુસાર હાલમાં આ બંને કાચા માલની સ્થાનિક ઉપલબ્ધતા ડાઉનસ્ટ્રીમ પોલિએસ્ટર ઉદ્યોગની જરૂરિયાતની સરખામણીએ અપૂરતી હોવાના કારણે પુરવઠામાં ખાધ ઊભી થઈ છે.

આ સ્થિતિમાં યાર્ન ઉત્પાદકો પાસે કાચા માલના વૈકલ્પિક સ્ત્રોતો મર્યાદિત રહે છે. પરિણામે ભાવ નક્કી કરવાની સ્થિતિમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગની સોદાકીય શક્તિ ઘટે છે અને કાચા માલના વધેલા ભાવનો બોજ આગળની સમગ્ર ટેક્સટાઇલ ચેઇન પર પડે છે.

PTA + MEG → પોલિએસ્ટર મેલ્ટ → ફાઇબર/યાર્ન → ગ્રે કાપડ → પ્રોસેસિંગ → ગારમેન્ટ/હોમ ટેક્સટાઇલ

આ ચેઇનમાં શરૂઆતના તબક્કે કાચા માલનો ભાવ વધે ત્યારે તેની અસર યાર્નના ભાવ મારફતે સીધી વીવિંગ કારખાનેદારો સુધી પહોંચે છે. વીવર્સ માટે યાર્ન મુખ્ય ઇનપુટ હોવાથી યાર્ન મોંઘું થતાં ગ્રે કાપડની ઉત્પાદન પડતર કિંમતમાં પણ વધારો થાય છે.

વીવર્સની મુશ્કેલી : યાર્ન મોંઘું, ગ્રે કાપડની પડતર વધી

સુરતના વીવિંગ ઉદ્યોગ માટે આ ભાવવધારો માત્ર યાર્નની ખરીદીનો પ્રશ્ન નથી. યાર્નના ભાવમાં વધારો થતાં એક મીટર ગ્રે કાપડ પાછળ આવતો કાચા માલનો ખર્ચ વધે છે. પરિણામે વીવર્સે ઊંચી પડતરે ગ્રે કાપડનું ઉત્પાદન કરવું પડે છે.

બીજી તરફ બજારમાં કાપડની માંગ અને ભાવની મર્યાદા હોવાને કારણે દરેક વખતે વધેલી પડતર પ્રમાણે ભાવ વધારવો શક્ય બનતો નથી. આવી સ્થિતિમાં વીવરનો નફો અને વર્કિંગ કેપિટલ માર્જિન દબાણ હેઠળ આવે છે. રજૂઆતમાં પણ યાર્નના ભાવમાં વધારો, વુવન અને નિટેડ ફેબ્રિકની ઊંચી પડતર, MSMEના વર્કિંગ કેપિટલ માર્જિનમાં ઘટાડો અને નિકાસમાં સ્પર્ધાત્મક ભાવ આપવાની મુશ્કેલી જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

સુરતના હજારો MSME અને લાખો કામદારો પર અસર

રજૂઆતમાં ખાસ કરીને સુરતના MMF ટેક્સટાઇલ ક્લસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં હજારો MSME એકમો અને લાખો કામદારો સસ્તા અને સતત ઉપલબ્ધ પોલિએસ્ટર કાચા માલ પર સીધી કે આડકતરી રીતે નિર્ભર છે.

કાચા માલના ભાવમાં અસામાન્ય વધારો ચાલુ રહે તો તેની અસર માત્ર યાર્ન ઉત્પાદકો સુધી મર્યાદિત રહેતી નથી. વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલ સહિતની સમગ્ર ડાઉનસ્ટ્રીમ ચેઇનની ઉત્પાદન પડતર વધી શકે છે.

વીવર્સની સરકાર સમક્ષ મુખ્ય માંગ

આ ભાવવધારાને નિયંત્રિત કરવા પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા સરકાર સમક્ષ PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે. વૈકલ્પિક રીતે સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી બંને કાચા માલની ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરવાની માંગ છે.

સાથે સાથે PTA અને MEGના સ્થાનિક ઉત્પાદન, આયાત, ઉપલબ્ધતા અને ભાવની પારદર્શક દેખરેખ માટે મોનિટરિંગ મિકેનિઝમ ઊભું કરવા તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચેના તફાવતની સમયાંતરે સમીક્ષા કરવાની પણ માંગ કરાઈ છે.

એક તબક્કાનો ભાવવધારો સમગ્ર ચેઇનને મોંઘી બનાવે છે

રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં એક મહિનામાં થયેલો રૂ.13.35 પ્રતિ કિલોનો વધારો અંતે ફાઇબર, યાર્ન અને ગ્રે કાપડ સુધી પહોંચે છે. ત્યારબાદ આ વધેલી પડતર પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલના ઉત્પાદનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

અર્થાત્, બેઝિક કાચા માલનો ભાવ વધે છે → મેલ્ટ મોંઘો થાય છે → યાર્ન મોંઘું થાય છે → વીવર્સની ગ્રે કાપડની પડતર વધે છે → બજારમાં કાપડ મોંઘું થાય છે.

આથી સુરતના વીવિંગ ઉદ્યોગ માટે હાલનો મુદ્દો માત્ર યાર્નના ભાવનો નહીં પરંતુ સમગ્ર MMF ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનની કોસ્ટ-કોમ્પિટિટિવનેસનો બની ગયો છે.

સરકાર સમક્ષ કરાયેલી મુખ્ય માંગ

  • PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક 0 ટકા કરવામાં આવે.
  • સ્થાનિક પુરવઠો સામાન્ય થાય ત્યાં સુધી ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરાય.
  • PTA અને MEGના ભાવમાં અસામાન્ય વધઘટ પર નજર રાખવા પારદર્શક મોનિટરિંગ સિસ્ટમ બનાવાય.
  • સ્થાનિક પુરવઠો અને ઉદ્યોગની માંગ વચ્ચે મોટો તફાવત હોય ત્યારે ટેરિફ સ્ટ્રક્ચરની સમીક્ષા કરાય.
  • 6થી 12 મહિના માટે કામચલાઉ ડ્યૂટી-ફ્રી વિન્ડો પર વિચાર કરવામાં આવે.
  • ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઇલ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ભાવે કાચો માલ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.

August 8, 2026
msmed.png
4min40

સરકારી કંપનીઓ પાસેથી પેમેન્ટ મેળવવું સરળ બનશે, વિવાદના ઝડપી ઉકેલની સમયમર્યાદા નક્કી થશે અને 6 મહિના કેસ લંબાય તો ઓછામાં ઓછા 50 ટકા રકમ મળવાનો માર્ગ ખુલશે

દેશના કરોડો નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે લાંબા સમયથી સૌથી મોટી સમસ્યા પૈસાની વસૂલાતની રહી છે. માલ સપ્લાય કરી દીધો, સેવા પૂરી પાડી દીધી, બિલ પણ આપી દીધું, પરંતુ પેમેન્ટ સમયસર ન મળે તો નાના ઉદ્યોગકારની મૂડી બજારમાં ફસાઈ જાય છે. પરિણામે કાચો માલ ખરીદવા, કર્મચારીઓનો પગાર ચૂકવવા કે નવો ઓર્ડર લેવા માટે પણ નાણાંની અછત ઊભી થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Micro, Small and Medium Enterprises Development (Amendment) Bill, 2026 સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. રાજ્યસભાએ 3 ઑગસ્ટે અને લોકસભાએ 7 ઑગસ્ટે બિલ મંજૂર કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ MSME ક્ષેત્રમાં પેમેન્ટમાં થતો વિલંબ ઘટાડવો, વિવાદોનો ઝડપી નિકાલ કરવો અને વ્યવસાય કરવાનું સરળ બનાવવાનો છે.

સૌથી મોટો ફાયદો : સરકારી કંપની પાસેથી પેમેન્ટ મેળવવાની નવી વ્યવસ્થા

નાના ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની જોગવાઈ TReDS સાથે જોડાયેલી છે.

હવે દરેક Central Public Sector Enterprise (CPSE)એ MSME પાસેથી ખરીદેલા માલ કે સેવાઓના તમામ ઇન્વૉઇસનું સેટલમેન્ટ TReDS મારફતે કરવાનું રહેશે.

સરળ ભાષામાં સમજીએ તો—

તમે સરકારી કંપનીને ₹10 લાખનો માલ આપ્યો → ₹10 લાખનું બિલ બન્યું → પેમેન્ટની રાહ જોવાને બદલે TReDS મારફતે એ ઇન્વૉઇસના આધારે નાણાં મેળવવાની વ્યવસ્થા થઈ શકે છે.

TReDS RBI દ્વારા નિયંત્રિત ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી MSME પોતાના બાકી ઇન્વૉઇસ સામે ફાઇનાન્સ મેળવી શકે છે.

એટલે નાના ઉદ્યોગકાર માટે શું ફાયદો?

પૈસા બજારમાં ફસાયેલા રહેવાની સમસ્યા ઘટશે અને વર્કિંગ કેપિટલની ઉપલબ્ધતા વધશે.

ખાસ કરીને નાના મેન્યુફેક્ચરર, કોન્ટ્રાક્ટર, સપ્લાયર અને સર્વિસ પ્રોવાઇડર માટે આ મહત્વની જોગવાઈ બની શકે છે.

વિવાદ થાય તો હવે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે

નાના ઉદ્યોગકાર અને ખરીદદાર વચ્ચે પેમેન્ટને લઈને વિવાદ થાય તો હાલની પ્રક્રિયા લાંબી બની શકે છે. નવા સુધારામાં આ પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મધ્યસ્થી માટે 90 દિવસ

વિવાદનું મેડિએશન (મધ્યસ્થી) કરવામાં આવે તો પ્રથમ હાજરી માટે નક્કી થયેલી તારીખથી 90 દિવસની અંદર મેડિએશન પૂર્ણ કરવાનું રહેશે.

મેડિએશન નિષ્ફળ જાય તો 30 દિવસમાં આર્બિટ્રેશન

જો મધ્યસ્થીથી વિવાદ ઉકેલાય નહીં તો મેડિએશન પૂર્ણ થયાની તારીખથી 30 દિવસની અંદર આર્બિટ્રેશન માટે રેફરન્સ કરવાનું રહેશે.

આર્બિટ્રેશનનો નિર્ણય પણ સમયબદ્ધ

પક્ષકારોની દલીલો અને દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 90 દિવસની અંદર આર્બિટ્રેશન એવોર્ડ આપવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

નાના ઉદ્યોગકાર માટે તેનો સીધો અર્થ

“મારા પૈસા અટવાયા છે, પણ કેસ કેટલાં વર્ષ ચાલશે તેની ખબર નથી” — એવી સ્થિતિ ઘટાડવાનો પ્રયાસ.

સૌથી મહત્વની સુરક્ષા : 6 મહિના કેસ લંબાય તો 50% રકમ

આ જોગવાઈ નાના ઉદ્યોગકાર માટે ખાસ મહત્વની છે.

જો એવોર્ડ સામેનો કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહે, તો કોર્ટને સપ્લાયર MSMEને ઓછામાં ઓછા 50 ટકા એવોર્ડની રકમ ચૂકવવાનો આદેશ આપવો પડશે.

ઉદાહરણથી સમજીએ

માનો કે કોઈ નાના ઉદ્યોગકારને ₹20 લાખ મળવાના હતા અને તેના પક્ષમાં એવોર્ડ આવ્યો.

ખરીદદાર કોર્ટમાં ગયો અને કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહ્યો.

નવી જોગવાઈ હેઠળ ઓછામાં ઓછા ₹10 લાખ MSME સપ્લાયરને મળવાનો માર્ગ ખુલશે.

નાના ઉદ્યોગકાર માટે આ માત્ર કાનૂની જોગવાઈ નથી, પરંતુ વર્કિંગ કેપિટલ બચાવવાની વ્યવસ્થા બની શકે છે.

MSME તરીકે નોંધણી હવે વધુ સરળ બની શકે

નવા બિલમાં MSMEની નોંધણી માટેની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે.

હાલની વ્યવસ્થામાં અલગ-અલગ પ્રકારના MSME માટે મેમોરેન્ડમ ફાઇલ કરવાની જોગવાઈ છે. સુધારા બિલમાં તમામ MSME માટે આ ફાઇલિંગ સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર ડિજિટલ પ્લેટફોર્મ નક્કી કરી શકશે. રાજ્ય સરકારો પણ પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ નોટિફાઇ કરી શકશે.

એટલે નાના ઉદ્યોગકાર માટે ફાયદો શું?

કાગળની પ્રક્રિયા ઘટશે અને ડિજિટલ માધ્યમથી વ્યવસાયની નોંધણી તથા સરકારી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.

MSMEની વ્યાખ્યામાં પણ મોટો ફેરફાર

નવા બિલમાં MSMEનું વર્ગીકરણ માત્ર પ્લાન્ટ, મશીનરી કે સાધનોમાં કરવામાં આવેલા રોકાણના આધારે કરવાની હાલની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ છે.

હવે સરકાર રોકાણ ઉપરાંત ટર્નઓવરને પણ ધ્યાનમાં રાખીને MSMEનું વર્ગીકરણ કરી શકશે. તેની ચોક્કસ મર્યાદા સરકાર નોટિફિકેશન દ્વારા નક્કી કરશે.

નાના ઉદ્યોગકાર માટે તેનો અર્થ

વ્યવસાય વધે, ટર્નઓવર વધે અને ઉદ્યોગકાર આગળ વધે ત્યારે MSME વર્ગીકરણને વર્તમાન અર્થતંત્ર અને વ્યવસાયના કદ પ્રમાણે વધુ લવચીક બનાવવાનો પ્રયાસ થશે.

ખરીદદાર માટે પણ જવાબદારી વધશે

MSME પાસેથી માલ કે સેવા લીધા પછી ચૂકવણી બાકી હોય તો ખરીદદાર દ્વારા તેની જાણ કરવાની જવાબદારી સંબંધિત જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા બિલમાં પ્રથમ ભૂલ માટે ચેતવણી, બીજી વખત માટે ₹10,000થી ₹50,000 સુધી દંડ અને ત્યારબાદની ભૂલ માટે ₹50,000થી ₹1 લાખ સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આથી નાના ઉદ્યોગકારની બાકી રકમને માત્ર “વેપારી પક્ષો વચ્ચેનો મામલો” માનીને લાંબા સમય સુધી અવગણવાની સ્થિતિ પર દબાણ વધવાની શક્યતા છે.

ખોટી માહિતી આપનાર માટે પણ નિયમોમાં ફેરફાર

MSME નોંધણી વખતે જાણપૂર્વક ખોટી માહિતી આપવી અથવા અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી હોય તો પ્રથમ વખત ચેતવણી અને ત્યારબાદ ₹1,000થી ₹50,000 સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અર્થાત્ બિલનો એક હિસ્સો કાયદાકીય ગુનાહિતીકરણ ઘટાડીને દંડાત્મક-પ્રશાસકીય વ્યવસ્થા તરફ જવાનો પણ છે.

August 8, 2026
E-Textiles.jpg
1min47

જો તમે આધુનિક અને ફ્યુચરીસ્ટીક કપડાં વિશે વિચારો છો, ત્યારે મનમાં શું વિચાર આવે?

કદાચ એવા શર્ટનો વિચાર આવે કે જે પહેરનાર વ્યક્તિના લોહીમાં સુગર લેવલ વધે તેને માપીને સુગર લેવલ ઓછું કરવાની ચેતવણી આપશે અથવા એવા મોજાં (શોક્સ)નો વિચાર આવશે કે જે પહેર્યા પછી રનિંગ(દોડ)ના સ્વરૂપ, સ્ટેપ કાઉન્ટ્સ (પગલાઓની ગણતરી) અને તમારી દોડવાની સ્પીડ (ગતિ)ને ટ્રેક કરી આપશે? અથવા એવા પાયજામાંનો વિચાર આવે કે જે પહેરીને તમે સૂતા હોવ ત્યારે શરીરમાં થતાં સૂક્ષ્મ શારીરિક ફેરફારોનું અવલોકન કરે છે જેના આધારે કેન્સર જેવી જીવલેણ બિમારીનું વહેલું નિદાન કરી શકશે અથવા આ પ્રકારના દર્દીઓની સંભાળ રાખનારાઓ કેર ટેકરોને થોડા સમયમાં થનારા સંભવિત હુમલાની ચેતવણી આપી શકશે?

તમે ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો તો કલ્પના કરો કે જો ઉપરોક્ત પ્રકારના ફેબ્રિક અને તેમાંથી બનેલા ગારમેન્ટ્સને જે તે કામગીરી કરવા માટે કોઈ એક્ષ્ટર્નલ પાવર સોર્સ (બાહ્ય શક્તિ સ્ત્રોત)ની જરૂર ન હોય, આવે ફેબ્રિક કે ગારમરેન્ટ્સ ફક્ત તેને પરીધાન કરનારના પોતાના શરીર (બોડી) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાની મદદથી જ ઉપરોક્ત કામો કરી આપશે. આવા ફેબ્રિકનું હાલમાં વિશ્વની પ્રયોગશાળાઓમાં પરીક્ષણ થઇ રહ્યું છે, જોકે આ ઉત્પાદનો હજુ સુધી કમર્શિયલ દુકાનો સુધી પહોંચ્યા નથી, પણ પહોંચે તે દિવસો પણ દૂર નથી.

ટેક્સટાઇલ રિસર્ચર્સ સતત એવા આધુનિક કાપડ ડિઝાઇન કરી રહ્યા છે જે એક્ઝેટ આપણા રેગ્યુલર રેડીમેડ ગારમેન્ટ્સ, કપડાં અથવા કાપડ ફેબ્રિક જેવા દેખાય છે પરંતુ એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક ટેકનિક્સ તેમાં વણી લેવાયેલી હોય છે. ભવિષ્યમાં આવા ફેબ્રિક કે ગારમેન્ટ્સને ઇ-ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ કાપડ અથવા સ્માર્ટ કાપડ તરીકે ઓળખવામાં આવશે.

ઇ-ટેક્સટાઇલ સેન્સિંગ, ગણતરી (કમ્પ્યુટેશન) અને શક્તિ (પાવર)ને કાપડમાં એકીકૃત કરે છે જેથી થ્રેડ્સ (દોરા-ધાગા) પોતે સેન્સર બને અને ટાંકા (સ્ટીચીસ) સર્કિટ બની જાય. આ પ્રકારે ઉત્પાદિત થનારું ફેબ્રિક (કાપડ) આરોગ્ય (હેલ્થ), તાપમાન (ટેમ્પરેચર), ગતિ (મોશન) અને હવાની ગુણવત્તા (એર ક્વોલિટી)ને સતત મોનિટર કરી શકે છે. તેઓ (કમ્યુનિકેટ વાયરલેસલી) વાયરલેસ રીતે વાતચીત, (સંકલન સાધી) કરી શકે છે અને વિવિધ પ્રકારની ઊર્જા એકત્રિત કરી શકે છે.

ઉપરોક્ત પ્રકારના ઇ-ટેક્સટાઇલ્સ વિશ્વની જુદી જુદી યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ પ્રોટોટાઇપ હાલમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી આગળ વધી રહ્યા છે અને પ્રયોગશાળાઓની બહાર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવો અંદાજ છે કે ૨૦૨૮ સુધીમાં ઈ-ટેક્સટાઈલનું વૈશ્વિક બજાર ૧૫ બિલિયન યુએસ ડોલર (૧૧.૧૪ બિલિયન પાઉન્ડ)થી વધુ થવાનો અંદાજ છે.

August 6, 2026
textile.jpg
1min43

Intertextile Shanghai અને SPINEXPO સહિતના આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પોમાં જવા ઇચ્છુક ઉદ્યોગકારોની 65થી 70 ટકા વીઝા અરજીઓ રિજેક્ટ; મશીનરી ખરીદી અને નવા વેપાર સંબંધો પર અસરની ભીતિ

સુરત: વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી બજારોમાં સ્થાન ધરાવતા ચીનમાં આગામી દિવસોમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પો પહેલાં ભારતીય ઉદ્યોગકારોને મોટો ઝટકો લાગ્યો છે. સુરત, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરના સેંકડો ટેક્સટાઇલ ઉદ્યોગકારો, મશીનરી આયાતકારો અને વેપારીઓની ચીનના વીઝા માટે કરવામાં આવેલી અરજીઓ તાજેતરમાં મોટા પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 65થી 70 ટકા વીઝા અરજીઓ નામંજૂર થઈ છે.

વિશેષ ચિંતાજનક બાબત એ છે કે અગાઉ અનેક વખત ચીનની મુલાકાત લઈ ચૂકેલા અને નિયમિત વ્યાપારિક વ્યવહાર ધરાવતા ઉદ્યોગકારોની પણ વીઝા અરજીઓ મંજૂર કરવામાં આવી નથી. પરિણામે આગામી 25થી 27 ઑગસ્ટ દરમિયાન શાંઘાઈમાં યોજાનારા Intertextile Shanghai Apparel Fabrics (Autumn Edition) તથા SPINEXPO Shanghai જેવા મહત્વના ટેક્સટાઇલ એક્સ્પોમાં ભારતીય પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ઘટી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

સુરતના ગ્રે, પ્રોસેસ્ડ ફેબ્રિક, ગાર્મેન્ટ ફેબ્રિક, ટેક્નિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગકારોને ચીનના આયોજકો તથા મશીનરી ઉત્પાદકો તરફથી સત્તાવાર આમંત્રણપત્રો (Invitation Letters) અને સ્પોન્સર્ડ લેટર પણ પ્રાપ્ત થયા હતા. તેમ છતાં વીઝા ન મળતાં તેઓ પ્રવાસ કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ચીનના ટેક્સટાઇલ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી. અહીં નવીન ફેબ્રિક ટ્રેન્ડ્સ, ઓટોમેશન ટેક્નોલોજી, હાઇ-સ્પીડ લૂમ્સ, ડિજિટલ પ્રિન્ટિંગ, ડાઇંગ-ફિનિશિંગ મશીનરી, એનર્જી-સેવિંગ ટેક્નોલોજી અને નવા સપ્લાયર્સ સાથે વ્યાપારિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ બને છે. વીઝા ન મળતાં આ તમામ વ્યવસાયિક તકો પર સીધી અસર થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના મોટા ટેક્સટાઇલ એક્સ્પો અંગે પણ ચિંતા

ઉદ્યોગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં યોજાનારા વધુ એક મોટા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ પ્રદર્શન માટે પણ અનેક ભારતીય ઉદ્યોગકારોએ અગાઉથી આયોજન કર્યું છે. જો હાલ જેવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો તે એક્સ્પોમાં પણ ભારતીય ભાગીદારી પર ગંભીર અસર પડી શકે છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક મશીનરીમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવી ટેક્નોલોજી અપનાવવા માટે ઉદ્યોગકારો ચીનની મુલાકાત લેતા હોય છે. વીઝા પ્રક્રિયામાં સર્જાયેલી અનિશ્ચિતતાથી નવા પ્રોજેક્ટ, મશીનરી અપગ્રેડેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર પણ અસર થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે જો વ્યાપારિક વીઝા મંજૂરીમાં વિલંબ અથવા અસ્વીકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત-ચીન વચ્ચેના વેપાર સંબંધો ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા રોકાણ અને ટેક્નિકલ સહયોગ પર પણ તેની અસર જોવા મળી શકે છે.


બોક્સ : લેબગ્રોન ડાયમંડ ખરીદદારોને પણ વીઝાનો ઝટકો

ટેક્સટાઇલ ક્ષેત્ર ઉપરાંત સુરત અને મુંબઈના HPHT લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે જરૂરી મશીનરી, કાચા માલ, સાધનો અને વેપારિક બેઠકઓ માટે ચીનની નિયમિત મુલાકાત લેતા અનેક વેપારીઓની પણ ચાલુ મહિનામાં વીઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ વેપારીઓ અગાઉ અનેક વખત ચીન જઈ ચૂક્યા હોવા છતાં આ વખતે વીઝા ન મળતાં વેપારિક મુલાકાતો અટકી ગઈ છે. જેના કારણે નવા સપ્લાય કરાર, કાચા માલની ખરીદી, ટેક્નિકલ ચર્ચાઓ અને વ્યવસાયિક વિસ્તરણના આયોજન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

August 5, 2026
image-9.png
3min46

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

July 29, 2026
image-63-1280x853.png
1min50

દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી.

આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી કે બેંકોએ છેલ્લા ચાર નાણાકીય વર્ષ 23 થી નાણાકીય વર્ષ 26 દરમિયાન ગ્રાહકો પાસેથી જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં બદલ દંડ વસૂલ્યો છે.

આ ડેટા મુજબ દંડમાં વધારો થઈ રહ્યો છે. સંસદીય માહિતી અનુસાર, બેંકોએ 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂપિયા 7,086.63 કરોડ, વર્ષ 2024-25 નાણાકીય વર્ષમાં રૂપિયા 6,974.79 કરોડ દંડ વસૂલ્યો હતો. વર્ષ 2022-23 અને 2025-26 નાણાકીય વર્ષો વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં બદલ રૂપિયા 26,100 કરોડથી વધુ દંડ વસૂલ્યો હતો.

વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષના ડેટા દર્શાવે છે કે દંડ વસૂલવામાં ખાનગી બેંકોએ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. જેમાં ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 4948.71 કરોડ દંડ વસૂલ્યા હતા. એચડીએફસી બેંકે રૂપિયા 1798. 14 કરોડ અને એક્સિસ બેંકે રૂપિયા 1081.33 કરોડ વસૂલ્યા હતા.

જેમાં સામૂહિક રીતે 12 જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા 2137.92 કરોડ વસૂલ કર્યા. તેમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂપિયા 477.27 કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ બેંક ઓફ બરોડા રૂપિયા 394.1 કરોડ વસૂલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસબીઆઇએ માર્ચ 2020 થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ દંડ અગાઉ ફક્ત ચાલુ ખાતાઓ અથવા અન્ય ચોક્કસ પ્રકારના ખાતાઓ પર લાગુ પડતો હતો. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માર્ગદર્શિકા હેઠળ, બેંકોને તેમની વ્યવસાયિક નીતિઓના આધારે દંડ નક્કી કરવાની પરવાનગી છે. જો કે આ નીતિઓ પારદર્શક હોય.

જોકે, ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 10 બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.જ્યારે બાકીની બે બેંકોએ તેમને વધુ વાજબી બનાવવા માટે તેમના ચાર્જ ઘટાડ્યા છે. જો કોઈ ગ્રાહકનું બેલેન્સ ન્યૂનતમ મર્યાદાથી નીચે જાય તો બેંકે કોઈપણ દંડ કાપતા પૂર્વે ગ્રાહકને એસએમએસ , ઇમેઇલ અથવા પત્ર દ્વારા જાણ કરવી જોઈએ.

July 28, 2026
image-62.png
1min77

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.