CIA ALERT

બિઝનેસ Archives - CIA Live

August 6, 2026
textile.jpg
1min14

Intertextile Shanghai અને SPINEXPO સહિતના આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પોમાં જવા ઇચ્છુક ઉદ્યોગકારોની 65થી 70 ટકા વીઝા અરજીઓ રિજેક્ટ; મશીનરી ખરીદી અને નવા વેપાર સંબંધો પર અસરની ભીતિ

સુરત: વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી બજારોમાં સ્થાન ધરાવતા ચીનમાં આગામી દિવસોમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પો પહેલાં ભારતીય ઉદ્યોગકારોને મોટો ઝટકો લાગ્યો છે. સુરત, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરના સેંકડો ટેક્સટાઇલ ઉદ્યોગકારો, મશીનરી આયાતકારો અને વેપારીઓની ચીનના વીઝા માટે કરવામાં આવેલી અરજીઓ તાજેતરમાં મોટા પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 65થી 70 ટકા વીઝા અરજીઓ નામંજૂર થઈ છે.

વિશેષ ચિંતાજનક બાબત એ છે કે અગાઉ અનેક વખત ચીનની મુલાકાત લઈ ચૂકેલા અને નિયમિત વ્યાપારિક વ્યવહાર ધરાવતા ઉદ્યોગકારોની પણ વીઝા અરજીઓ મંજૂર કરવામાં આવી નથી. પરિણામે આગામી 25થી 27 ઑગસ્ટ દરમિયાન શાંઘાઈમાં યોજાનારા Intertextile Shanghai Apparel Fabrics (Autumn Edition) તથા SPINEXPO Shanghai જેવા મહત્વના ટેક્સટાઇલ એક્સ્પોમાં ભારતીય પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ઘટી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

સુરતના ગ્રે, પ્રોસેસ્ડ ફેબ્રિક, ગાર્મેન્ટ ફેબ્રિક, ટેક્નિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગકારોને ચીનના આયોજકો તથા મશીનરી ઉત્પાદકો તરફથી સત્તાવાર આમંત્રણપત્રો (Invitation Letters) અને સ્પોન્સર્ડ લેટર પણ પ્રાપ્ત થયા હતા. તેમ છતાં વીઝા ન મળતાં તેઓ પ્રવાસ કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ચીનના ટેક્સટાઇલ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી. અહીં નવીન ફેબ્રિક ટ્રેન્ડ્સ, ઓટોમેશન ટેક્નોલોજી, હાઇ-સ્પીડ લૂમ્સ, ડિજિટલ પ્રિન્ટિંગ, ડાઇંગ-ફિનિશિંગ મશીનરી, એનર્જી-સેવિંગ ટેક્નોલોજી અને નવા સપ્લાયર્સ સાથે વ્યાપારિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ બને છે. વીઝા ન મળતાં આ તમામ વ્યવસાયિક તકો પર સીધી અસર થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના મોટા ટેક્સટાઇલ એક્સ્પો અંગે પણ ચિંતા

ઉદ્યોગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં યોજાનારા વધુ એક મોટા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ પ્રદર્શન માટે પણ અનેક ભારતીય ઉદ્યોગકારોએ અગાઉથી આયોજન કર્યું છે. જો હાલ જેવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો તે એક્સ્પોમાં પણ ભારતીય ભાગીદારી પર ગંભીર અસર પડી શકે છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક મશીનરીમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવી ટેક્નોલોજી અપનાવવા માટે ઉદ્યોગકારો ચીનની મુલાકાત લેતા હોય છે. વીઝા પ્રક્રિયામાં સર્જાયેલી અનિશ્ચિતતાથી નવા પ્રોજેક્ટ, મશીનરી અપગ્રેડેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર પણ અસર થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે જો વ્યાપારિક વીઝા મંજૂરીમાં વિલંબ અથવા અસ્વીકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત-ચીન વચ્ચેના વેપાર સંબંધો ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા રોકાણ અને ટેક્નિકલ સહયોગ પર પણ તેની અસર જોવા મળી શકે છે.


બોક્સ : લેબગ્રોન ડાયમંડ ખરીદદારોને પણ વીઝાનો ઝટકો

ટેક્સટાઇલ ક્ષેત્ર ઉપરાંત સુરત અને મુંબઈના HPHT લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે જરૂરી મશીનરી, કાચા માલ, સાધનો અને વેપારિક બેઠકઓ માટે ચીનની નિયમિત મુલાકાત લેતા અનેક વેપારીઓની પણ ચાલુ મહિનામાં વીઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ વેપારીઓ અગાઉ અનેક વખત ચીન જઈ ચૂક્યા હોવા છતાં આ વખતે વીઝા ન મળતાં વેપારિક મુલાકાતો અટકી ગઈ છે. જેના કારણે નવા સપ્લાય કરાર, કાચા માલની ખરીદી, ટેક્નિકલ ચર્ચાઓ અને વ્યવસાયિક વિસ્તરણના આયોજન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

August 5, 2026
image-9.png
3min18

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

July 29, 2026
image-63-1280x853.png
1min39

દેશની બેંકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાહકો પાસેથી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી પેટે રૂપિયા 26,170.37 કરોડ વસૂલ્યા છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આપી હતી.

આ અંગે રાજયસભામાં માહિતી આપી હતી કે બેંકોએ છેલ્લા ચાર નાણાકીય વર્ષ 23 થી નાણાકીય વર્ષ 26 દરમિયાન ગ્રાહકો પાસેથી જરૂરી મિનિમમ બેલેન્સ જાળવવામાં બદલ દંડ વસૂલ્યો છે.

આ ડેટા મુજબ દંડમાં વધારો થઈ રહ્યો છે. સંસદીય માહિતી અનુસાર, બેંકોએ 2025-26 નાણાકીય વર્ષ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂપિયા 7,086.63 કરોડ, વર્ષ 2024-25 નાણાકીય વર્ષમાં રૂપિયા 6,974.79 કરોડ દંડ વસૂલ્યો હતો. વર્ષ 2022-23 અને 2025-26 નાણાકીય વર્ષો વચ્ચે બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં બદલ રૂપિયા 26,100 કરોડથી વધુ દંડ વસૂલ્યો હતો.

વર્ષ 2025-26 ના નાણાકીય વર્ષના ડેટા દર્શાવે છે કે દંડ વસૂલવામાં ખાનગી બેંકોએ જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. જેમાં ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 4948.71 કરોડ દંડ વસૂલ્યા હતા. એચડીએફસી બેંકે રૂપિયા 1798. 14 કરોડ અને એક્સિસ બેંકે રૂપિયા 1081.33 કરોડ વસૂલ્યા હતા.

જેમાં સામૂહિક રીતે 12 જાહેર ક્ષેત્રની બેંકોએ કુલ રૂપિયા 2137.92 કરોડ વસૂલ કર્યા. તેમાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ રૂપિયા 477.27 કરોડ વસૂલ કર્યા હતા. ત્યારબાદ બેંક ઓફ બરોડા રૂપિયા 394.1 કરોડ વસૂલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસબીઆઇએ માર્ચ 2020 થી બચત ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ દંડ અગાઉ ફક્ત ચાલુ ખાતાઓ અથવા અન્ય ચોક્કસ પ્રકારના ખાતાઓ પર લાગુ પડતો હતો. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માર્ગદર્શિકા હેઠળ, બેંકોને તેમની વ્યવસાયિક નીતિઓના આધારે દંડ નક્કી કરવાની પરવાનગી છે. જો કે આ નીતિઓ પારદર્શક હોય.

જોકે, ગ્રાહકોને રાહત આપવા માટે, દેશની 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 10 બેંકોએ બચત ખાતાઓ પર દંડ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે.જ્યારે બાકીની બે બેંકોએ તેમને વધુ વાજબી બનાવવા માટે તેમના ચાર્જ ઘટાડ્યા છે. જો કોઈ ગ્રાહકનું બેલેન્સ ન્યૂનતમ મર્યાદાથી નીચે જાય તો બેંકે કોઈપણ દંડ કાપતા પૂર્વે ગ્રાહકને એસએમએસ , ઇમેઇલ અથવા પત્ર દ્વારા જાણ કરવી જોઈએ.

July 28, 2026
image-62.png
1min49

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

July 26, 2026
Diamond.jpg
2min36

અમેરિકા પરની નિર્ભરતાનો અંત: હવે વિશ્વના બિન-યુએસ બજારોમાં સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો આક્રમક પ્રવેશ
જાપાનથી યુરોપ, હોંગકોંગ, થાઇલેન્ડ અને યુએઈ સુધી યોજાનારા મેગા જ્વેલરી શોમાં સુરતના ઉત્પાદકો-નિકાસકારો તૈયારીઓમાં વ્યસ્ત; સેમ્પલ્સ, નવી ડિઝાઇન, પ્રાઇસલિસ્ટ અને બ્રોશર્સ સાથે નવા ગ્રાહકો મેળવવા પર ફોકસ

સુરત:

છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક વેપારના બદલાયેલા સમીકરણોએ સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગની નિકાસની દિશા જ બદલી નાખી છે. એક સમય એવો હતો જ્યારે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગનો મોટો આધાર અમેરિકન બજાર પર હતો, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. અમેરિકામાં વધતા ટેરિફ, વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય પડકારો વચ્ચે સુરતના ઉત્પાદકો અને નિકાસકારોએ બિન-અમેરિકન બજારોને વિકાસનું નવું કેન્દ્ર બનાવી દીધા છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ નિકાસના વૈવિધ્યીકરણ (Export Diversification) પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત જેમ એન્ડ જ્વેલરી શો અને એક્સ્પો જાપાન, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, થાઇલેન્ડ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાવાના છે. આ તમામ પ્રદર્શનોમાં સુરતના હીરા અને જ્વેલરી ઉત્પાદકો, ઉત્પાદકો અને નિકાસકારો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ અનેક કંપનીઓમાં નવા કલેક્શનના સેમ્પલ્સ, કેટલોગ, બ્રોશર્સ, ડિજિટલ પ્રેઝન્ટેશન, પ્રાઇસલિસ્ટ, કોસ્ટિંગ શીટ, પેકેજિંગ, સર્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ તેમજ વિવિધ દેશોના ગ્રાહકોને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. યુરોપિયન, જાપાનીઝ, મધ્યપૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કલેક્શન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે હવે સુરતના ઉદ્યોગકારો માત્ર ઓર્ડરની રાહ જોતા નથી, પરંતુ નવા બજારોમાં પોતાનું બ્રાન્ડિંગ, સીધી B2B બેઠક, ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક અને લાંબા ગાળાના વેપારી સંબંધો ઉભા કરવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યા છે.

આગામી બે મહિનાના મુખ્ય આંતરરાષ્ટ્રીય જ્વેલરી શો

  • Japan Jewellery Fair – ટોક્યો (26-28 ઓગસ્ટ)
  • Jewellery Show London – લંડન (2-3 સપ્ટેમ્બર)
  • Bijorhca Who’s Next – પેરિસ (5-7 સપ્ટેમ્બર)
  • Vicenza Oro – ઇટાલી (5-9 સપ્ટેમ્બર)
  • Bangkok Gems & Jewellery Fair – થાઇલેન્ડ (8-12 સપ્ટેમ્બર)
  • Jewellery & Gem World Hong Kong – હોંગકોંગ (15-21 સપ્ટેમ્બરના વિવિધ તબક્કા)
  • Jewellery Industry Fair – સિડનીWatch & Jewellery Middle East Show – શારજાહ (30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર)

આ પ્રદર્શનોમાં વિશ્વભરના હજારો ખરીદદારો, બ્રાન્ડ્સ, રિટેલ ચેઇન્સ, હોલસેલર્સ અને ડિઝાઇનર્સ ભાગ લેતા હોવાથી સુરત માટે નવા ઓર્ડર મેળવવાની મોટી તક ઉભી થઈ છે.

તાજેતરના સમયગાળામાં ભારતે યુરોપ, ઓશનિયા સહિત વિવિધ દેશો સાથે વેપાર સંબંધો મજબૂત કરવાની દિશામાં લીધેલા પગલાં પણ ઉદ્યોગ માટે સકારાત્મક સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગ સંસ્થાઓના મતે નવા બજારોમાં શૂન્ય અથવા ઓછા શુલ્કની સુવિધા મળવાથી ભારતીય ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા વધશે અને અમેરિકા પરની નિર્ભરતા વધુ ઘટશે.

સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર હોવાના કારણે અહીં વિકસિત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, ઝડપી ડિલિવરી, કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન અને લેબ-ગ્રોન ડાયમંડ સહિતના નવા સેગમેન્ટ્સ પણ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષી રહ્યા છે. પરિણામે સુરત હવે માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ વૈશ્વિક જ્વેલરી સપ્લાય ચેઇનના મહત્વપૂર્ણ હબ તરીકે પોતાની નવી ઓળખ મજબૂત કરી રહ્યું છે.

મહત્વના મુદ્દા

  • અમેરિકા પરની એકમાત્ર નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો.
  • યુરોપ, જાપાન, હોંગકોંગ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વમાં નવા ગ્રાહકો મેળવવા પર ભાર.
  • સેમ્પલ્સ, બ્રોશર્સ, પ્રાઇસલિસ્ટ, ડિજિટલ કેટલોગ અને નવી ડિઝાઇનની તૈયારીઓ તેજ.
  • B2B મીટિંગ્સ દ્વારા લાંબા ગાળાના નિકાસ કરારો મેળવવાનો પ્રયાસ.
  • વૈશ્વિક વેપારના બદલાયેલા માહોલમાં ‘માર્કેટ ડાયવર્સિફિકેશન’ સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે સૌથી મોટી વ્યૂહરચના બની રહી છે.
July 26, 2026
image-56.png
1min29

50% ટેરિફના પડકારમાંથી પણ ઉદ્યોગે કાઢ્યો હતો રસ્તો; હવે દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા બજારો બન્યા મજબૂત આધાર

સુરત : અમેરિકાએ ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હોવા છતાં સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં કોઈ ગભરાટનો માહોલ નથી. ઉદ્યોગકારોનું સ્પષ્ટ માનવું છે કે અગાઉ જ્યારે અમેરિકા તરફથી 50 ટકા સુધીના ઊંચા ટેરિફનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ નિકાસ અટકી નહોતી. તેના બદલે સુરતના નિકાસકારોએ ઝડપથી વૈકલ્પિક બજારો શોધીને પોતાના વેપારને નવી દિશા આપી હતી.

ઉદ્યોગના અગ્રણીઓ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતના હીરા અને ઝવેરાત નિકાસકારોએ માત્ર અમેરિકી બજાર પરની નિર્ભરતા ઘટાડીને દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં વેપાર વધાર્યો છે. આ ઉપરાંત યુરોપિયન દેશોના સમૂહ સાથેના વેપાર સંબંધો પણ સતત મજબૂત બની રહ્યા છે અને આગામી મહિનાઓમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ મળતા યુરોપિયન બજારમાં ભારતીય હીરા-ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ 10 ટકા ટેરિફ ઉત્પાદન ખર્ચ કે ઓપરેશનલ કોસ્ટનો ભાગ નથી. આ આયાત પર લાગતો કર હોવાથી તેનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અથવા ગ્રાહક પર જ આવે છે. પરિણામે સુરતના ઉત્પાદકોની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અથવા સ્પર્ધાત્મકતા પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી છે.

હીરા ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે સુરત આજે વિશ્વના મોટા ભાગના રફ હીરાના કટિંગ અને પોલિશિંગનું કેન્દ્ર છે. ઉચ્ચ ગુણવત્તા, કુશળ માનવબળ, આધુનિક ટેક્નોલોજી અને સમયસર સપ્લાય કરવાની ક્ષમતાના કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે સુરત આજે પણ પ્રથમ પસંદગી છે. તેથી માત્ર ટેરિફના આધારે ખરીદદારો અન્ય દેશોમાં સ્થળાંતર કરશે તેવી શક્યતા ખૂબ જ મર્યાદિત છે.

તાજેતરના સમયમાં ભારતે અનેક દેશો સાથે વેપાર કરારોને પ્રાધાન્ય આપ્યું છે. બ્રિટન સાથેના વેપાર સંબંધો વધુ મજબૂત બનવાના છે, જ્યારે યુરોપિયન યુનિયન સાથે ચાલી રહેલી ચર્ચાઓ સફળ થાય તો હીરા-ઝવેરાત નિકાસને નવી ગતિ મળી શકે છે. ઉદ્યોગકારોનું માનવું છે કે એક જ બજાર પર આધાર રાખવાને બદલે વિવિધ દેશોમાં ગ્રાહકોનું મજબૂત નેટવર્ક ઉભું કરવું એ જ ભવિષ્યની સૌથી મોટી વ્યૂહરચના છે.

સુરતના નિકાસકારોનું કહેવું છે કે વૈશ્વિક વેપારમાં ટેરિફ, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ અને ચલણના ઉતાર-ચઢાવ જેવા પડકારો સતત આવતા રહે છે. પરંતુ આવા પડકારો વચ્ચે પણ સુરતના ઉદ્યોગે દરેક વખતે નવી તકો ઊભી કરી છે. આજે મધ્યપૂર્વ, એશિયા-પેસિફિક અને યુરોપ જેવા વિસ્તારોમાં ભારતીય હીરા-ઝવેરાતની માંગ સતત વધી રહી છે, જેના કારણે અમેરિકન બજારમાં થતી કોઈપણ મર્યાદિત અસરને સંતુલિત કરી શકાય છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે આગામી સમયમાં ડિઝાઇન આધારિત જ્વેલરી, બ્રાન્ડેડ ઉત્પાદનો, ઝડપી ડિલિવરી અને નવા વૈશ્વિક બજારોમાં વિસ્તરણ પર વધુ ભાર મૂકવામાં આવશે. તેના કારણે સુરતનો હીરા અને ઝવેરાત ઉદ્યોગ માત્ર અમેરિકી બજાર પર નિર્ભર નહીં રહે, પરંતુ વૈશ્વિક સ્તરે વધુ મજબૂત અને સ્થિર નિકાસ આધાર ઉભો કરશે.

મુખ્ય મુદ્દા
અમેરિકાના 10 ટકા ટેરિફથી સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ગભરાટ નથી.
અગાઉ 50 ટકા ટેરિફ દરમિયાન પણ નિકાસ યથાવત રહી હતી.
દુબઈ, અબુધાબી, બ્રિટન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જેવા નવા બજારોમાં નિકાસ વધી.
ટેરિફનો અંતિમ બોજ અમેરિકન આયાતકાર અને ગ્રાહક પર રહેવાની ઉદ્યોગની દલીલ.
યુરોપિયન દેશો સાથે સંભવિત ફ્રી ટ્રેડ વ્યવસ્થાથી નિકાસમાં નવી તકો ઊભી થવાની આશા.
વૈશ્વિક બજારોમાં વૈવિધ્યકરણને કારણે સુરતનો હીરા ઉદ્યોગ વધુ મજબૂત સ્થિતિમાં.

July 26, 2026
export-textile.jpg
1min36

ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) કહે છે કે યુએસ ટેરિફ ભારતીય કાપડ નિકાસકારોને પાછા પાડશે

બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા ટેરીફ રેટ ક્વોટામાં છે કેમકે તેઓ અમેરીકન ઓરિજન કોટન તેમજ ફાઇબરનો ઉપયોગ કરીને ફેબ્રિક તેમજ ગારમેન્ટ્સનું ઉત્પાદન કરીને અમેરીકામાં નિકાસ કરે છે

અમેરીકાએ લાદેલા 10 ટકાના ટેરીફ પછી ભારત, સુરતના અન્ય ઉદ્યોગો કરતા સૌથી આકરો ફટકો ટેક્સટાઇલ ઉદ્યોગને પડશે એવું ઉદ્યોગ આગેવાનો જણાવી રહ્યા છે. તા.24મી જુલાઇને શુક્રવારથી અમલમાં આવે એ રીતે અમેરીકાએ 10 ટકા ટેરીફ વસૂલ કરવાની નીતિ અખત્યાર કરી છે. આ ડ્યુટી, સામાન્ય યુએસ મોસ્ટ-ફેવર્ડ-નેશન ટેરિફ ઉપર લાગુ પડે છે અને ટેરિફ લાદવા માટે ઉપયોગમાં લેવાતા 1974 ના યુએસ ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ ભારતના ઉત્પાદિત નિકાસના મોટા ભાગને આવરી લે છે, કન્ફેડરેશન ⁠ઓફ ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી (CITI) એ જણાવ્યું હતું.

ટેરીફ લાદ્યો એ પહેલી ઇફેક્ટ છે જ્યારે બીજો ફટકો ભારતને આયોજિત ટેરિફ-રેટ ક્વોટામાંથી પણ બાકાત રાખવામાં આવ્યું છે એ છે. ઓર્ગેનાઇઝ્ડ ટેરીફ-રેટ ક્વોટામાં ટેક્સટાઇલ એક્સપોર્ટમાં ભારત હરીફ ગણાતા બાંગ્લાદેશ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયાનો સમાવેશ થાય છે. આ દેશો યુએસ-મૂળના કપાસ અને ફાઇબરનો ઉપયોગ કરીને ચોક્કસ કાપડ અને વસ્ત્રોનું ઉત્પાદન કરે છે અને તેના શિપમેન્ટને કલમ 301 ડ્યુટીથી મુક્ત યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. આમ ભારત, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો, નિકાસકારોને બેવડો ફટકો પડવાનો શરૂ થયો છે કેમકે ભારતીય કાપડ ઉત્પાદકો કે ગારમેન્ટ ઉત્પાદકો અમેરીકન ઓરિજિન કપાસ કે ફાઇબરનો રો મટિરિયલ તરીકે ઉપયોગ કરતા નથી.

CITI ના ચેરમેન અશ્વિન ચંદ્રને જણાવ્યું હતું કે, “આ પ્રકારની ડિફ્રન્શિયલ ટ્રીટમેન્ટ (વિભેદક સારવાર) ભારત, સુરતના કાપડ અને વસ્ત્રોને વૈશ્વિક સ્પર્ધામાંથી હટાવી દેવા માટે પર્યાપ્ત છે. સોર્સિંગ ઓર્ડરના માપદંડથી ભારત, સુરતના ટેક્સટાઇલ ઉત્પાદકો, નિકાસકારોની ચીજવસ્તુઓ સ્વાભાવિક રીતે બાંગ્લાદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા દેશો કરતા કિંમતમાં વધુ મોંઘી થશે.

CITI એ જણાવ્યું હતું કે, ભારતની યુએસમાં કાપડ અને વસ્ત્રોની નિકાસ, જે તેમનું સૌથી મોટું બજાર છે, તે વાર્ષિક લગભગ $11 બિલિયનનું છે.

બાંગ્લાદેશે 2024 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ $8 બિલિયનના મૂલ્યના વસ્ત્રોની નિકાસ કરી હતી, જ્યારે ઇન્ડોનેશિયા અને કંબોડિયાએ લગભગ $4 બિલિયન મોકલ્યા હતા. મલેશિયા સાથે મળીને, તેઓ નવા કાપડ ક્વોટા મિકેનિઝમ માટે પાત્ર છે, જે તેમને યુએસ બજારમાં ભારતીય સપ્લાયર્સ કરતાં આગળ લાવે છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.

July 24, 2026
image-50-1280x720.png
1min33

સુરત-કડોદરા જવાના બન્ને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાન્સપોર્ટરોએ બુકિંગ બંધ રાખ્યાં; ગોડાઉનોમાં હજારો પાર્સલો અટવાયા, શનિવારે માર્ગ ખુલશે તો જ રાહત નહીં તો સીધું સોમવારથી જ પરિવહન શરૂ થવાની શક્યતા

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને શહેર તેમજ આસપાસ સર્જાયેલી જલભરાવની સ્થિતિએ દેશના સૌથી મોટા મેન-મેડ ટેક્સટાઇલ હબ સુરતના વેપારને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને ટેક્સટાઇલ ગુડ્ઝનું પરિવહન સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. સુરતથી કડોદરા થઈને નેશનલ હાઇવેને જોડતા બંને વૈકલ્પિક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં ટ્રાન્સપોર્ટર્સ માટે વાહનો બહાર કાઢવા પણ મુશ્કેલ બન્યું છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના મોટાભાગના ટ્રાન્સપોર્ટરોએ છેલ્લા બે દિવસથી નવા માલનું બુકિંગ લેવાનું બંધ રાખ્યું છે. પરિણામે વેપારીઓ તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલી શક્યા નથી. અગાઉના દિવસોમાં બુક થયેલા હજારો પાર્સલો પણ વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઓના ગોડાઉન અને હબમાં જ અટવાઈ ગયા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને હજારો ટન તૈયાર માલ દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમાં આશરે 65 ટકા માલ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાય છે. આવી સ્થિતિમાં રોડ પરિવહન બંધ થતાં વેપારની સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. નવા ઓર્ડરની ડિલિવરી મોડી પડતાં વેપારીઓને ગ્રાહકો સમક્ષ જવાબ આપવો મુશ્કેલ બની રહ્યો છે.

ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ જો શનિવાર સુધી પાણી ઉતરી માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા થશે તો જ કામગીરી તબક્કાવાર શરૂ થઈ શકશે. અન્યથા રવિવારે સામાન્ય રીતે મર્યાદિત કામગીરી રહેતી હોવાથી હવે સીધા સોમવારથી જ નિયમિત પરિવહન શરૂ થઈ શકે તેવી શક્યતા છે. એટલે કે અસરકારક રીતે પાંચ દિવસ સુધી માલની હેરફેર પ્રભાવિત રહેવાની આશંકા છે.
વેપારીઓનું કહેવું છે કે પરિવહન અટકતાં ગોડાઉનમાં સ્ટોક વધતો જાય છે, જ્યારે બીજી તરફ દેશભરના હોલસેલર્સ અને રિટેલર્સ સુધી સમયસર માલ ન પહોંચતાં નવા ઓર્ડર પર પણ અસર પડી શકે છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો માત્ર ટેક્સટાઇલ જ નહીં પરંતુ ડાઈંગ-પ્રિન્ટિંગ, પેકિંગ, લોડિંગ-અનલોડિંગ, કુરિયર અને લોજિસ્ટિક્સ સહિત સમગ્ર ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. હાલમાં સમગ્ર ઉદ્યોગની નજર વરસાદની સ્થિતિ અને સુરત-કડોદરા માર્ગો ફરી ક્યારે કાર્યરત થાય તેના પર ટકેલી છે.

July 23, 2026
WhatsApp-Image-2026-07-23-at-16.54.11.jpeg
1min46

મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળ્યું છે, અને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે…

21 જુલાઈ, 2026 2 મીન વાંચો
મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે, તેમણે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા, કુદરતી હીરાને પ્રોત્સાહન આપવા અને હીરા મૂલ્ય શૃંખલામાં વૈશ્વિક સહયોગને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું છે.

સિંગાપોરમાં તાજેતરમાં યોજાયેલી WFDB કોંગ્રેસ દરમિયાન તેમની ચૂંટણી બાદ બોલતા, શાહે જણાવ્યું હતું કે સંગઠનની તાત્કાલિક પ્રાથમિકતા ત્રણ દિવસની વ્યૂહાત્મક ચર્ચાઓમાં ઉદ્યોગના નેતાઓ દ્વારા વિકસાવવામાં આવેલા સહિયારા દ્રષ્ટિકોણને અમલમાં મૂકવાની રહેશે.

શાહે જણાવ્યું હતું કે, “અમે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા અને કુદરતી હીરાના સ્થાયી મૂલ્યને મજબૂત બનાવવા માટે ઉદ્યોગની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

તેમણે ઉમેર્યું હતું કે WFDB પારદર્શિતા, ટ્રેસેબિલિટી અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સુધારવા માટે વૈશ્વિક અને દેશ-વિશિષ્ટ વેપાર સંગઠનો સાથે નજીકથી કામ કરશે, જેનો હેતુ ગ્રાહકોમાં વિશ્વાસ વધારવાનો છે.

૧૯૪૭માં એન્ટવર્પમાં સ્થપાયેલ, WFDB એ વિશ્વભરમાં ૨૮ હીરા બજારો અને છ સંલગ્ન સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં ખાણકામ કંપનીઓ, હીરા એક્સચેન્જો અને વેપાર સંગઠનોનો સમાવેશ થાય છે. ફેડરેશન નૈતિક વેપાર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી વખતે વૈશ્વિક ઉદ્યોગ પડકારોનો સામનો કરે છે.

શાહની નિમણૂક ભારત માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદન કેન્દ્ર છે. 46 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી હીરાના વેપારી, 2001 માં ભારત ડાયમંડ બોર્સ (BDB) બોર્ડમાં જોડાયા અને 2009 માં તેના ઉપપ્રમુખ બન્યા. તેમણે 2002 થી દરેક WFDB કોંગ્રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2016 થી ફેડરેશનના ટ્રેઝરર જનરલ તરીકે સેવા આપી છે.

“આ હીરા ઉદ્યોગમાં ભારતની મુખ્ય ભૂમિકાની સમયસર ઓળખ છે. અમે વસુધૈવ કુટુંબકમના ભારતીય દર્શન દ્વારા માર્ગદર્શન મેળવીશું અને વૈશ્વિક હીરા પાઇપલાઇનમાં પરસ્પર ફાયદાકારક સહયોગને પ્રોત્સાહન આપીશું,” શાહે જણાવ્યું.

તેમણે ટોચના પદ સુધીની તેમની સફરમાં BDB પ્રમુખ અનૂપ મહેતા અને GJEPCના વાઇસ ચેરમેન શૌનક પરીખના સમર્થનનો સ્વીકાર કર્યો.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શાહે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર વધુ સારી વાર્તા કહેવા, ડિજિટલ નવીનતા અને મજબૂત ઉદ્યોગ-વ્યાપી સહયોગ દ્વારા કુદરતી હીરાની ઇચ્છનીયતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બીજી મુખ્ય પ્રાથમિકતા WFDB ના વૈશ્વિક સ્તરે પ્રવેશને વિસ્તારવાની રહેશે, જેમાં તેની સભ્યપદ વર્તમાન 34 સંસ્થાઓથી વધારીને ઓછામાં ઓછા 50 પૂર્ણ અને સંલગ્ન સભ્યો કરવામાં આવશે. કતાર ડાયમંડ એક્સચેન્જનો તાજેતરમાં સમાવેશ, ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ અને ન્યુ ઇઝરાયેલ ક્લબ ફોર કોમર્સની વાપસી સાથે, આ વિસ્તરણ વ્યૂહરચના પ્રતિબિંબિત કરે છે.

શાહે નવા વિચારો અને લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવા હીરાના કારીગરોને માર્ગદર્શન આપવા અને ફેડરેશનના વહીવટમાં આગામી પેઢીને સામેલ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

“એક મજબૂત, વધુ સમાવિષ્ટ WFDB દરેક સભ્ય શેરબજારને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે અને વૈશ્વિક કુદરતી હીરા ઉદ્યોગના સહિયારા વિકાસમાં ફાળો આપશે,” તેમણે કહ્યું.

July 18, 2026
image-20.png
1min38

સુરત ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું

  • :
  • સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે : નાયબ મુખ્યમંત્રી
  • પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ
  • સુરતમાં આગામી સમયમાં વધુ ૧૦થી ૧૫ હજાર નવા એર જેટ લૂમ્સ મશીનો ધમધમશે

માહિતી બ્યુરો, સુરત, શનિવાર:

ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન’ દ્વારા ‘વિવર્સ પરામર્શ સંમેલન’ યોજાયું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય, વ્યાવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ છે. આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એર જેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે એમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘વેલ્યુ એડિશન’ સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ.

તેમણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની સાહસિકતાને બિરદાવતા કહ્યું કે, સુરત હંમેશાં નવી ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં કાર્યરત અંદાજિત ૩૦ હજાર જેટલા અત્યાધુનિક ‘એર જેટ લૂમ્સ’ મશીનો છે. ઉદ્યોગકારોના હકારાત્મક અભિગમ અને સાનુકૂળ વાતાવરણને કારણે આગામી વર્ષમાં જ સુરતમાં વધુ ૧૦ થી ૧૫ હજાર નવા એર જેટ મશીનો કાર્યરત થશે, આવનાર પાંચ વર્ષમાં સુરત દુનિયાનું સૌથી મોટું એર જેટ લૂમ્સ હબ બનશે. જે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે.

સરકાર ઉદ્યોગકારોની પડખે હોવાની ખાતરી આપતા શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની સરકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના વિવર્સ સુધી પહોંચાડવામાં આવશે. સુરતના કાપડને વૈશ્વિક સ્તરે મોટું બજાર મળી રહે તે માટે આગામી સમયમાં ‘એક્સપોર્ટ ફેસિલિટેશન’ અને ‘ક્લસ્ટર ડેવલપમેન્ટ’ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથે જ તેમણે દેશના વિવિધ પ્રાંતોમાંથી રોજગારી અર્થે સુરત આવીને સ્થાયી થયેલા નાગરિકોના સપના સાકાર કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્ય સરકારના પ્રોત્સાહનોની વિગતો આપતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં આઠ હજાર કરોડ રૂપિયા ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવતા MSME હેઠળ પહેલા દરરોજ ૧૭૦ ફાઇલો ક્લિયર થતી હતી, જે અત્યારે વધીને ૩૯૭ થઈ છે અને આગામી સમયમાં દરરોજ ૫૦૦ વેપારીઓને ઇન્સેન્ટિવ ડાયરેક્ટ બેંક ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, હાલમાં ‘પીએમ મિત્રા પાર્ક’નું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની સૌથી મોટી ઇકો-સિસ્ટમ બનાવવાની તકો ઉભરી રહી છે. મંત્રીશ્રીએ ઉદ્યોગકારોને વેલ્યુ-એડિશન સાથે ગાર્મેટિંગ તરફ વળવા અનુરોધ કરી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેટિંગ હબ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પરામર્શ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં વધતા જતા ‘એર જેટ લૂમ્સ ઈન્ડસ્ટ્રીઝ’ના વ્યાપ, નવી ટેકનોલોજીના સ્વીકાર અને કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક સ્તરે સુરતની પકડ મજબૂત કરવાનો રહ્યો હતો.
આ સંમેલનમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ધોળિયા, ગ્રીનલેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, ગોલ્ડી સોલરના ઈશ્વરભાઈ ધોળકિયા, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, અગ્રણી મનહરભાઈ સાચપરા, સંદિપભાઈ કેડિયા, ઔદ્યોગિક ઝોન કમિશનર જે. પી. દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.