CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

July 21, 2026
image-29.png
1min18

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 18, 2026
solar.jpeg
1min43

એસજીસીસીઆઈ પ્રમુખ અશોક જીરાવાલાની રજૂઆતને મોટી સફળતા: એમએનઆરઇ (MNRE) દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે એલએમએમ (ALMM) માંથી મુક્તિની મુદત વધારી

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલા દ્વારા નવી દિલ્હી ખાતે કરવામાં આવેલી સક્રિય રજૂઆતો અને બેઠકોના પરિણામે, ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) દ્વારા આજે તા.18મી જુલાઇને શનિવારના રોજ સોલાર ઉદ્યોગ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ્સ માટે ALMM (એપ્રુવડ લિસ્ટ ઓફ મોડેલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ) માંથી મુક્તિની મુદતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ટૂંકમાં સોલાર પાવર પ્લાન્ટમાં હવે નવી મુદત સુધી આયાતી (ઇમ્પોર્ટેડ પેનલ) તેમજ સેલ્સનો વપરાશ કરી શકાશે.
આ નિર્ણયના સંદર્ભમાં પૃષ્ઠભૂમિ એ છે કે, એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાની અધ્યક્ષતામાં એક પ્રતિનિધિમંડળ દ્વારા ગત ૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે MNREના સેક્રેટરી સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ બેઠકમાં, સોલાર ઉદ્યોગ દ્વારા નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ સોલાર પ્રોજેક્ટ્સમાં ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ)ના ફરજિયાત ઉપયોગ કરવાના નિર્ણયને કારણે ઉપસ્થિત થયેલા પડકારોની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
એસજીસીસીઆઈની આ મજબૂત રજૂઆત અને ત્યારબાદ સોલાર ઉદ્યોગના વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે કરવામાં આવેલી વિગતવાર ચર્ચા-વિચારણાના અંતે, MNRE દ્વારા આજે તા.18 જુલાઈ 2026ના રોજ ઓફિસ મેમોરેન્ડમ (No. 283/53/2026-GRID SOLAR) બહાર પાડવામાં આવ્યું છે

મુક્તિની મુદતમાં વધારો: તમામ નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ્સ, જે ALMM ની ફરજિયાત જરૂરિયાતોને પાત્ર હતા, હવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં અમલીકૃત (commissioned) થશે, આથી તેમને ALMM લિસ્ટ-૧ (સોલાર પીવી મોડ્યુલ્સ માટે) અને ALMM લિસ્ટ-૨ (સોલાર પીવી સેલ્સ માટે)માંથી મુક્તિ આપવામાં આવી છે.

અગાઉની મુદત: અગાઉ, નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ માટે આ મુક્તિ માત્ર ૩૧ મે ૨૦૨૬ સુધી જ ઉપલબ્ધ હતી.

નિયમોની સુધારણા: આ મુક્તિ સાથે, એવા પ્રોજેક્ટ્સ કે જેઓ પહેલેથી જ રોકાણ કરી ચૂક્યા છે, તેઓ હવે ALMM લિસ્ટ-૨ ના કડક નિયમોના પાલન વિના પણ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી શકશે.

એસજીસીસીઆઈના પ્રમુખ અશોક જીરાવાલાએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ આયાતી ALMM મુદતમાં વધારો એ દક્ષિણ ગુજરાત અને સમગ્ર ભારતના સોલાર ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને અત્યંત રાહતકારી સમાચાર છે. આ નિર્ણયથી નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા અસંખ્ય ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને MSME સેક્ટરને મોટી રાહત મળશે. અગાઉ ALMM ના નિયમોને કારણે પ્રોજેક્ટ્સમાં થઈ રહેલા વિલંબ અને નાણાકીય બોજમાંથી ઉદ્યોગને મુક્તિ મળશે. હું MNRE મંત્રાલય અને ખાસ કરીને સચિવનો આભાર માનું છું કે જેમણે ઉદ્યોગની વાસ્તવિક સમસ્યાઓને સમજીને તાત્કાલિક અસરકારક પગલાં લીધા.
એસજીસીસીઆઈ તમામ સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઉદ્યોગ સાહસિકોને વિનંતી કરે છે કે તેઓ આ અદ્યતન મુદત (૩૧ ડિસેમ્બર ૨૦૨૬) નો લાભ લઈને તેમના નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરે જેથી તેમને આ મુક્તિનો લાભ મળી શકે.

July 18, 2026
image-19.png
1min48

જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી હટાવ્યા છે. 20 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકને વહેલી સવારે પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. સતત ઉપવાસથી તેમની તબિયત લથડી હતી અને 9 કિલો વજન ઘટ્યું હતું. પોલીસે અન્ય પ્રદર્શનકારીઓને પણ હટાવી, બેનર-પોસ્ટરો જપ્ત કર્યા. વિદ્યાર્થીઓએ લાઠીચાર્જનો આક્ષેપ કર્યો, જોકે પોલીસે નકાર્યો છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.

દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

‘કોકરોચ જનતા પાર્ટી’ના નેતાનો પોલીસ પર માર મારવાનો આરોપ

આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min279

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • પીએમ મિત્રા પાર્ક માટે ગ્લોબલ ટેન્ડર જાહેર, સુરત-નવસારી ટેક્સટાઇલ બેલ્ટને મળશે વૈશ્વિક ગતિ
  • ૧,૧૪૨ એકરમાં મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક વિકસાવવા માસ્ટર ડેવલપરની પસંદગી પ્રક્રિયા શરૂ; ફાઇબરથી ફેશન અને નિકાસ સુધીની સમગ્ર ઇકોસિસ્ટમ એક જ કેમ્પસમાં ઉભી થશે, સુરતના ઉદ્યોગને મળશે લાંબા ગાળાનો મોટો લાભ

કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી PM MITRA (Mega Integrated Textile Region and Apparel) યોજના હેઠળ નવસારી જિલ્લાના વાંસી ખાતે ૧,૧૪૨ એકરમાં વિકસનારા મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક માટે સોમવારે વૈશ્વિક ટેન્ડર (RFP) જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મિત્રા પાર્ક ગુજરાત લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ પાર્કના વિકાસ, સંચાલન અને જાળવણી માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ માસ્ટર ડેવલપરની પસંદગી કરવામાં આવશે. આ સાથે રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે વર્ષોથી રાહ જોવાતો સૌથી મોટો ઔદ્યોગિક પ્રોજેક્ટ હવે અમલીકરણના મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યો છે.

ટેન્ડર પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ છે. 27 જુલાઈએ પ્રી-બિડ કોન્ફરન્સ યોજાશે, ઓનલાઈન ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ અને ભૌતિક દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર (DBFOT) મોડલ પર અમલમાં મૂકવામાં આવશે.

સુરત દેશનું સૌથી મોટું મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ હબ છે. દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન, હજારો વીવિંગ યુનિટ, પ્રોસેસ હાઉસ, ડાઇંગ-પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ગારમેન્ટ અને વિશાળ ટ્રેડિંગ નેટવર્ક ધરાવતું સુરત અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં વિખરાયેલા ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. PM MITRA પાર્ક આ સમગ્ર મૂલ્ય શૃંખલાને (Value Chain) એકીકૃત કરવાની દિશામાં સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉદ્યોગકારોના મતે પાર્કમાં સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, રેડીમેડ એપેરલ, લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ લેબ, ડિઝાઇન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ અને એક્સપોર્ટ સુવિધાઓ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનશે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને પણ એક જ સ્થળે સંપૂર્ણ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ થશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પાર્ક માત્ર નવા ઔદ્યોગિક પ્લોટ્સ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ “ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફોરેન માર્કેટ” સુધીની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. ખાસ કરીને ગારમેન્ટ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં રોકાણ વધવાથી સુરતની ઓળખ ગ્રે અને પ્રોસેસ્ડ ફેબ્રિકથી આગળ વધી તૈયાર વસ્ત્રોના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સુરતમાંથી મોટા પ્રમાણમાં ફેબ્રિક દેશભરમાં મોકલાય છે, જ્યારે ગારમેન્ટિંગ અને બ્રાન્ડિંગનું મૂલ્યવર્ધન અન્ય રાજ્યોમાં થાય છે. PM MITRA પાર્ક કાર્યરત બન્યા બાદ આ વેલ્યુ એડિશન ગુજરાતમાં જ થવાની સંભાવના છે, જેના કારણે રોજગારી, નિકાસ અને રોકાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પાર્ક સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમગ્ર ઔદ્યોગિક પટ્ટા માટે ગ્રોથ એન્જિન સાબિત થઈ શકે છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, નજીકના બંદરો, એરપોર્ટ અને રેલ-રોડ કનેક્ટિવિટીના કારણે નિકાસ આધારિત ઉદ્યોગોને પણ સીધો લાભ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓને કારણે દેશ-વિદેશના મોટા રોકાણકારોને પણ આકર્ષવાની અપેક્ષા છે.

ઉદ્યોગજગતનું માનવું છે કે જો ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે અને માસ્ટર ડેવલપર ઝડપથી નિયુક્ત થશે તો આગામી વર્ષોમાં PM MITRA પાર્ક સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી વૈશ્વિક ઓળખ આપવાની સાથે ગુજરાતને વિશ્વના અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

July 8, 2026
image-12.png
1min83

છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.

ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે.
ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.

પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.

July 7, 2026
image-10.png
3min133

મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.

મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.

સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.

IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.

IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદના કારણે મુંબઈ બન્યું ‘વર્ચ્યુઅલ ટાપુ’! ત્રણ તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ, હાઈવે બંધ

મહારાષ્ટ્રમાં 3 દિવસના ભારે વરસાદે મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ NDRF ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય હાઈવે ઠપ્પ કરોડોના ખર્ચે બનેલી ‘મિસિંગ લિંક’ પર ભૂસ્ખલન

સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર કાં તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: માત્ર બે મહિના પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ 2 ના એક્ઝિટ પાસે ભારે ભૂસ્ખલન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ ન હોવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘અભૂતપૂર્વ’ ગણાવી હતી, કારણ કે ત્યાં અંદાજે 100 ટન જેટલો કાટમાળ ખડકાયો હતો. જો કે, મોડી સાંજે આ રૂટ ફરી શરૂ કરાયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઈવે: ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.

કોંકણ રૂટ: નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.

ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર માઠી અસર પડી છે. પુણે અને મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી છે, જેથી મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (૮૦૦ વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. નાસિકમાં મંગળવારે ‘ક્લાઉડબર્સ્ટ’ (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર ૮ જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન અને BMC ના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.
નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પર્યટન સ્થળો કે ધોધ નજીક ન જવા અપીલ કરાઈ છે.
ખાનગી ઓફિસોને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) આપવા સલાહ અપાઈ છે, જ્યારે બિન-જરૂરી સરકારી કચેરીઓમાં હાફ-ડે જાહેર કરાયો છે.

July 6, 2026
image-6-1280x960.png
1min85

mumbai-pune-highway-closed-heavy-rain-mumbai-university-exams-postponed

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ

સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.

સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત

મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

June 29, 2026
image-25.png
1min57

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.

29/06/26 આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન!

મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.

રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.

બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

June 26, 2026
image-18.png
2min70
  • સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને રાહત

કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPGનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, PNG તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.

પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.

નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ LPGના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.

સરકારે માત્ર LPG સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક LPGના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.

  • કોમર્શિયલ પેક્ડ LPG > 100% સપ્લાય પુનઃસ્થાપિત (પ્રી-ક્રાઈસિસ લેવલ)
  • બલ્ક LPG કન્ઝ્યુમર્સ > પ્રી-ક્રાઈસિસ વપરાશના 50% સપ્લાયની ફાળવણી
  • નવા PNG કનેક્શન્સ (માર્ચથી અત્યાર સુધી) > 10,00,000થી વધુ કનેક્શન્સ અપાયા
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી (ભવિષ્યના કનેક્શન્સ) > 3,22,000 વધારાના કનેક્શન્સ માટે લાઈનો તૈયાર
  • મે 2026 માં કુલ LPG વપરાશમાં ઘટાડો > 19% નો ઘટાડો (પ્રોવિઝનલ સરકારી ડેટા મુજબ)

સરકારે ભલે LPG સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે LPG પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને PNG પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ PNG પર જ રહેશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે PNG નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ PNG તરફ વાળવામાં આવશે.

June 23, 2026
image-15.png
1min76

ગરમીથી રાહત, આખો દિવસ ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ: નૈર્ઋત્યના ચોમાસાએ દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો: બે દિવસ યલો અલર્ટ

અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા મુંબઈગરાઓ માટે સારા સમાચાર ગણીએ તો ખાસ્સી રાહ જોવડાવ્યા પછી આખરે મંગળવારે મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું હતું. સતત બે દિવસ વરસાદે હાજરી પુરાવ્યા પછી આવેલા નૈર્ઋત્યના ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો હતો અને ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે. આગામી બે દિવસ મુંબઈ-થાણે માટે યલો અલર્ટ હોવાની આગાહી વેધશાળાએ કરી હતી.

સખત તાપમાં શેકાયેલા મુંબઈગરા કાગડોળે ચોમાસાની રાહ જોતા હતા. છેલ્લા બે દિવસથી મુંબઈના અમુક વિસ્તારમાં જોરદાર તો કેટલાક પરિસરમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં ઝરમર વરસીને વરસાદે હાજરી પુરાવતાં ગરમીથી થોડી રાહત મળી હતી. વળી, જળાશયોમાં પાણીની સપાટી નીચી જતાં પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મંગળવારે મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસતાં મુંબઈગરાઓએ હાશકારો અનુભવ્યો હતો..

સાધારત રીતે મુંબઈમાં 10 જૂને ચોમાસાનું આગમન થાય છે. ગયા વર્ષે તો મેના છેલ્લા સપ્તાહમાં જ ચોમાસાએ દેખા દીધી હતી, પરંતુ આ વર્ષે ચોમાસાએ લાંબી પ્રતીક્ષા કરાવડાવી હતી. ખાસ્સા 13 દિવસ મોડું આગમન થયું હતું. આઈએમડીના રેકોર્ડ અનુસાર ચોમાસું સૌથી વધુ 1974 અને 1958માં લંબાયું હતું. તે વર્ષે છેક 28 જૂને ચોમાસું બેઠું હતું.

આઈએમડીનાં વિજ્ઞાની સુષમા નાયરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈમાં બેસેલા ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો છે. મહારાષ્ટ્રના અમુક જ ભાગ ચોમાસાથી વંચિત રહ્યો છે. નૈર્ઋત્યનું ચોમાસું ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે.

મુંબઈ મહાપાલિકાના આંકડા દર્શાવે છે કે મંગળવારની સવારે આઠથી સાંજે સાત વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ શહેરમાં મુંબઈ સેન્ટ્રલમાં 79 મિ.મી. નોંધાયો હતો. ત્યાર બાદ લોઅર પરેલમાં 74.4 મિ.મી., એફ સાઉથ વૉર્ડમાં 72.63 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.

પશ્ર્ચિમી પરામાં સૌથી વધુ મલાડમાં 61.8 મિ.મી., માલવણીમાં 52.2 મિ.મી. વરસાદ નોંધાયો હતો તો પૂર્વ પરાના માનખુર્દ ખાતે 51.2 મિ.મી. પવઈમાં 37.4 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પાણી ભરાવાની કોઈ ફરિયાદો પાલિકાના ક્ધટ્રોલ રૂમને મળી નહોતી. એ સિવાય વરસાદી ઘટનાઓની પણ નોંધ થઈ નહોતી. જોકે રાતે આઠ વાગ્યાની આસપાસ શહેરના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું હતું.