ઇન્ડીયન પોલિટીક્સ Archives - CIA Live

February 8, 2026
image-10.png
1min16

દેશની આર્થિક રાજધાની મુંબઈના મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ઇતિહાસમાં દાયકાઓ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાનો મેયર બેસાડવા જઈ રહી છે. ભાજપના હાઈકમાન્ડે વરિષ્ઠ નગરસેવિકા રિતૂ તાવડેના નામ પર સત્તાવાર મહોર મારી છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમએ BMC મુખ્યાલય ખાતે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. 29 વર્ષ બાદ મુંબઈને ભાજપના નેતૃત્વ હેઠળના મેયર મળશે, જે મુંબઈના રાજકીય સમીકરણોમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

રિતૂ તાવડેએ 07/02/2026 શનિવારે ભવ્ય રીતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 10 પંડિતોને બોલાવીને મંત્રોચ્ચાર અને શંખનાદ કરવામાં આવ્યો હતો. એક તરફ શિવાજી મહારાજના જયઘોષ થઈ રહ્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિતૂ તાવડે ઘાટકોપર વિસ્તારના ત્રણ ટર્મથી કોર્પોરેટર છે અને તેઓ મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની છબી એક મિલનસાર અને પાયાના કાર્યકર તરીકેની છે, જે તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.

આ વખતે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે સત્તાની વહેંચણી ખૂબ જ સંતુલિત રીતે કરવામાં આવી છે. મહાયુતિ ગઠબંધન હેઠળ ડેપ્યુટી મેયર પદ શિવસેના શિંદે જૂથના ફાળે ગયું છે, જેમાં સંજય શંકર ઘાડીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે. ભાજપ પાસે 89 બેઠકો છે, જ્યારે શિંદે જૂથ પાસે 29 બેઠકો છે. આ બંને પક્ષોના જોડાણથી આંકડો 118 પર પહોંચે છે, જે બહુમતી કરતા વધારે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ 65 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દેશની સૌથી ધનિક નગરપાલિકા છે, જેનું બજેટ અનેક નાના રાજ્યો કરતા પણ વધુ હોય છે. આથી જ તેના મેયર પદ માટે હંમેશા ખેંચતાણ રહેતી હોય છે. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મેયર પદ માટે સત્તાવાર ચૂંટણી યોજાશે. ભાજપે મહિલા મેયરનો દાવ ખેલીને આગામી ચૂંટણીઓ માટે પણ મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ અને શિંદે જૂથ વચ્ચેનું આ મજબૂત સત્તા સમીકરણ આગામી દિવસોમાં મુંબઈના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે.

રિતૂ તાવડે ભાજપના જૂના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. તેઓ 2012માં વોર્ડ નંબર 127 થી પ્રથમ વખત જીત્યા હતા. ત્યારબાદ 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121 અને 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132 માંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગ્રાઉન્ડ લેવલ પર તેમની પકડ અને વહીવટી અનુભવને કારણે જ પક્ષે મુંબઈ જેવી મહત્વની મહાનગરપાલિકાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. તેમના મેયર બનવાથી મુંબઈના પાયાના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારો આવવાની અપેક્ષા છે.

January 29, 2026
image-21.png
1min30

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને સ્પષ્ટપણે નારાજ કરતાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે 28/01/2026 બુધવારે કહ્યું હતું કે તેમના ભત્રીજા અજિત પવાર અને અન્ય ચાર લોકોનો વિમાન તૂટી પડવામાં નિધન થયું તે હોનારત એક અકસ્માત જ હતો જેનું રાજકારણ ન કરવું જોઈએ.

પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું હતું કે અજિત પવારનું મૃત્યુ મહારાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો, જેણે એક મહેનતુ અને કાર્યક્ષમ નેતા ગુમાવ્યો છે અને આ નુકસાન ભરપાઈ ન થઈ શકે તેવું છે. ‘બધી બાબતો આપણા હાથમાં નથી હોતી,’ એમ તેમણે ઉમેર્યું હતું.

‘કોલકાતાથી એવી થિયરી સામે આવી હતી કે આ ઘટનામાં થોડું રાજકારણ સામેલ છે, પરંતુ આવું કંઈ નથી. તેમાં કોઈ રાજકારણ નથી. તે એક અકસ્માત હતો. હું આ પ્રકરણમાં રાજકારણ ન લાવવાની વિનંતી કરું છું,’ એમ તેમણે જણાવ્યું હતું.

મમતા બેનર્જીએ અજિત પવારના મૃત્યુની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માગણી કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે ‘અન્ય બધી એજન્સીઓ’ ‘સંપૂર્ણપણે સધાઈ ગયેલી’ છે.

January 28, 2026
image-17.png
1min29

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.

સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. ઇતિહાસમાં પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે. વિપક્ષ ‘વીબી-જીરામજી’ કાયદા પર ચર્ચા ઈચ્છતો હતો. આ કાયદો મનરેગા (MGNREGA) ની જગ્યા લઈ રહ્યો છે અને ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેથી તેના પર ફરી ચર્ચા થઈ શકે નહીં.

‘SIR’ એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (મતદારી યાદીના વિશેષ સુધારણા) ને લઈને છે. પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારૂ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે.

આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.

January 22, 2026
image-12-1280x720.png
1min28

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદેએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું મોટો ઝટકો લાગ્યો છે.

વાસ્તવમાં શિંદેએ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં રાજ ઠાકરેની મનસે સાથે હાથ મિલાવ્યા છે, જેના કારણે ભાજપ એકલું પડી ગયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શિંદેની પાર્ટી અને રાજ ઠાકરેની પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બંને પાર્ટીએ આ પાલિકા માટે ગઠબંધન કરતા હવે શિંદેની શિવસેનાને પાલિકાની સત્તા મળી જશે.

કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી શિવસેનાએ 53, ભાજપે 50, ઉદ્ધવની શિવસેનાએ 11 અને રાજ ઠાકરેની MNSએ પાંચ બેઠકો જીતી હતી. હવે ચૂંટણી બાદ શિંદેએ મનસેના પાંચ કોર્પોરેટરનું સમર્થમ મેળવી લીધું છે. આ મહાનગરપાલિકાની સત્તા કબજે કરવા માટે કુલ 62 બેઠકો હોવી જરૂરી છે. શિંદેએ મનસેના સમર્થનથી કુલ 58 બેઠકો મેળવી લીધા બાદ હવે તેમની નજર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કોર્પોરેટરો પર છે. જો ઉદ્ધવની પાર્ટીના ચાર કોર્પોરેટરો શિંદેને સમર્થન આપશે તો શિંદેની પાર્ટીની કુલ બેઠકનો આંકડો 62 પર પહોંચી જશે અને તેઓ પાલિકામાં સત્તા મેળવી શકશે. આમ તો શિંદે ભાજપનું સમર્થન મેળવીને આરામથી સત્તા હાંસલ કરી શકે છે, જોકે આ નિર્ણય બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ હોવાના સંકેત આપી રહી છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે આ વિસ્તારના સાંસદ હોવાથી તેઓ અહીં ભાજપનું વર્ચસ્વ વધવા દેવા માંગતા નથી તેવું ચર્ચાઈ રહ્યું છે.

બીજી તરફ મુંબઈ સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે મેયર પદની અનામતની લોટરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં મુંબઈમાં મેયરનું પદ સામાન્ય મહિલા શ્રેણી માટે અનામત રાખવામાં આવ્યું છે જેથી હવે કોઈ મહિલા નેતા મુંબઈના મેયર બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે.

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે લોટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે, કઈ શ્રેણીના ઉમેદવાર મેયર પદ માટે ચૂંટણી લડી શકશે. મુંબઈ મહાનગરપાલિકામાં આ વખતે લોટરી દ્વારા મેયરનું પદ મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ લોટરી સિસ્ટમ લોકશાહીમાં પારદર્શિતા લાવવા અને અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી તથા મહિલાઓને સમાન તક મળે તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. સચિવાલય ખાતે વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં સીલબંધ બોક્સમાંથી કાપલીઓ કાઢીને આ અનામત નક્કી કરવામાં આવે છે.

January 16, 2026
image-6.png
3min35

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.

BMC ચૂંટણીમાં શું છે સ્થિતિ?

કુલ બેઠક 227
પાર્ટી વલણો
ભાજપ+ 69
કોંગ્રેસ+ 04
UBT+ 27
NCP 0

નાગપુરના વલણોમાં ભાજપને બહુમતી

નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે.

બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે.

આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.

નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે.

પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે.

રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે.

સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?

બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.

આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર:

  • ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): 130 થી 150 બેઠકો.
  • ઉદ્ધવ ઠાકરે (UBT) + રાજ ઠાકરે (MNS) ગઠબંધન: 58-68 બેઠકો.
  • કોંગ્રેસ + VBA ગઠબંધન: 12-16 બેઠકો.
  • અન્ય અને અપક્ષ: 6-12 બેઠકો.

આ હતા મુખ્ય રાજકીય ગઠબંધન

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

  • મહાયુતિ: ભાજપે 137 અને શિંદે જૂથની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
  • ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) 163 બેઠકો પર અને મનસે (MNS) 52 બેઠકો પર લડી હતી.
  • કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે 143 અને વંચિત બહુજન આઘાડી (VBA) એ 46 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
  • અજિત પવાર NCP: એકલા હાથે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મુંબઈમાં 41-50% મતદાન

15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.

December 28, 2025
bjplogo.png
2min130

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે(27 ડિસેમ્બર, 2025) પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનાત્મક નિમણૂકોની મુખ્ય વિગતોનવી ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

સંગઠનમાં 10 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે.

10 ઉપપ્રમુખની નિમણૂક

નામ જીલ્લો
જયદ્રથસિંહ પરમાર પંચમહાલ
રમેશ ધડુક પોરબંદર
ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો
રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો
નટુજી ઠાકોર મહેસાણા
ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર
ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર
અરવિંદ પટેલ વલસાડ
રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો
ઝંખનાબેન પટેલ સુરત શહેર

4 મહામંત્રીની નિમણૂક

અનિરુદ્ધ દવે કચ્છ
ડો. પ્રશાંત કોરાટ રાજકોટ જીલ્લો
અજય બ્રહ્મભટ્ટ ખેડા
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર

10 મંત્રીની નિમણૂક

શંકર આંબલિયાર દાહોદ
ડો. સંજય દેસાઈ બનાસકાંઠા
નીરવ અમીન આણંદ
કૈલાશબેન ગામીત તાપી
મુક્તિબેન મયંકકુમાર જોષી મહીસાગર
સોનલબેન સોલંકી વલસાડ
પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા
સીતાબેન પટેલ મહેસાણા
આશાબેન નકુમ જામનગર
હરજીવન પટેલ બનાસકાંઠા

1 કોષાધ્યક્ષ અને 1 સહ કોષાધ્યક્ષની નિમણૂક

ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ) કર્ણાવતી
મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ) મોરબી

કાર્યાલય મંત્રીની નિમણૂક

શ્રીનાથ શાહ અમદાવાદ

મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જની નિમણૂક

ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા) કર્ણાવતી
પ્રશાંત વાળા (મીડિયા ઈન્ચાર્જ) રાજકોટ શહેર

વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક

મોરચો પ્રમુખનું નામ જીલ્લો/શહેર
યુવા મોરચા ડો. હેમાંગ જોશી વડોદરા શહેર
મહિલા મોરચા અંજુબેન વેકરીયા સુરત શહેર
કિસાન મોરચા હિરેન હિરપરા અમરેલી
ઓ.બી.સી. મોરચા માનસિંહ પરમાર ગીર સોમનાથ
એસ.સી. મોરચા ડો. કિરીટ સોલંકી કર્ણાવતી
એસ.ટી. મોરચા ગણપત વસાવા સુરત જીલ્લો
લઘુમતી મોરચા નાહિન કાઝી ભાવનગર શહેર

December 23, 2025
image-22.png
1min49

ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ (Electoral Bond Scheme) ને અસંવૈધાનિક ગણાવીને રદ કરી દીધી હતી. ઘણાને એમ હતું કે આ નિર્ણયથી રાજકીય પક્ષોના ફંડિંગમાં ઘટાડો થશે, પરંતુ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસ્સામાં ચિત્ર તદ્દન ઉલટું જોવા મળ્યું છે. ચૂંટણી પંચના તાજેતરના અહેવાલ મુજબ, બોન્ડ સ્કીમ બંધ થયા પછી પણ ભાજપના ડોનેશનમાં ધરખમ વધારો થયો છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ભાજપના ‘કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ 2024-25’ મુજબ, લોકસભા ચૂંટણીના આ વર્ષમાં પાર્ટીને કુલ ₹6,088 કરોડનું દાન મળ્યું છે. આ આંકડો વર્ષ 2023-24 માં મળેલા ₹3,967 કરોડ કરતા 53 ટકા વધુ છે. નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષમાં ભાજપને મળેલું આ સૌથી વધુ વાર્ષિક ફંડ છે.

કોંગ્રેસ કરતા 12 ગણું વધુ ફંડ
વિપક્ષી પાર્ટીઓની સરખામણીએ ભાજપનો ખજાનો ઘણો મોટો છે. આંકડાઓની સરખામણી કરીએ તો:

ભાજપ: ₹6,088 કરોડ
કોંગ્રેસ: ₹522.13 કરોડ

વિપક્ષી એકતા: કોંગ્રેસ સહિત દેશની મુખ્ય 12 વિપક્ષી પાર્ટીઓનું કુલ દાન માત્ર ₹1,343 કરોડ થાય છે. એટલે કે ભાજપને આ 12 પાર્ટીઓના કુલ ફંડ કરતા 4.5 ગણું વધુ દાન મળ્યું છે.

રિપોર્ટની વિગતો તપાસતા જાણવા મળે છે કે ભાજપને મળેલા કુલ ફંડમાંથી:

ઈલેક્ટોરલ ટ્રસ્ટ (Electoral Trusts): ₹3,744 કરોડ (કુલ ફંડના 61%) ટ્રસ્ટ મારફતે મળ્યા છે.
કોર્પોરેટ્સ અને વ્યક્તિગત દાન: બાકીના ₹2,344 કરોડ કંપનીઓ અને વ્યક્તિગત દાતાઓ પાસેથી મળ્યા છે.

ટોપ ડોનર્સ: કોણે કેટલી તિજોરી ખોલી?

ભાજપને મોટું દાન આપનારી કંપનીઓની યાદીમાં દેશના મોટા કોર્પોરેટ જૂથો સામેલ છે:

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII): ₹100 કરોડ
રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: ₹95 કરોડ
વેદાંતા લિમિટેડ: ₹67 કરોડ
મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ): ₹65 કરોડ
આઈટીસી (ITC Limited): ₹39 કરોડ
મેનકાઇન્ડ ફાર્મા: ₹30 કરોડ

કેન્દ્ર સરકારે 2017-18 માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી, જેનો હેતુ રાજકીય પક્ષોને અજ્ઞાત રીતે દાન આપવાનો હતો. ફેબ્રુઆરી 2024 માં સુપ્રીમ કોર્ટે આ સ્કીમને પારદર્શિતાના અભાવે અસંવૈધાનિક જાહેર કરી હતી.

જોકે, નવા આંકડા સૂચવે છે કે કોર્પોરેટ જગત હવે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ કે બેંક ટ્રાન્સફર જેવા અન્ય કાયદેસરના માધ્યમો દ્વારા ભાજપને રેકોર્ડબ્રેક દાન આપી રહ્યું છે.

December 22, 2025
maharashtra-leaders.jpg
1min35

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીઓમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધને ક્લીન સ્વીપ કર્યું છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA)ને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, આ ચૂંટણી પરિણામોમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નું રહ્યું છે, જેનું ખાતું પણ ખુલી શક્યું નથી.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 21 ડિસેમ્બરે જાહેર કરાયેલા પરિણામો મુજબ, ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને કુલ 207 નગર અધ્યક્ષ પદો પર ભવ્ય જીત મેળવી છે. આમાં, ભાજપ 117 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જ્યારે એકનાથ શિંદે જૂથની શિવસેનાને 53 અને અજિત પવાર જૂથની NCPને 37 પદ મળ્યા છે. બીજી તરફ, વિપક્ષી મહા વિકાસ અઘાડી (MVA) માત્ર 44 નગર અધ્યક્ષ પદો પર જ સમેટાઈ ગયું હતું. MVAમાં કોંગ્રેસે 28, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ 9 અને શરદ પવાર જૂથની NCPએ 7 પદ જીત્યા છે.

આ ચૂંટણીઓમાં રાજ ઠાકરેની MNSનું શરમજનક પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. પાર્ટીનું ખાતું પણ ન ખુલતા તેની જમીની પકડ પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ પહેલીવાર નથી જ્યારે MNSને આવી હારનો સામનો કરવો પડ્યો હોય. ઓગસ્ટ 2025માં મુંબઈ BEST કર્મચારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં પણ MNS અને શિવસેના (UBT)ની સંયુક્ત પેનલ એક પણ સીટ જીતી શકી ન હતી. આ પહેલા, નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ MNS 135 બેઠકો પર લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી.

સતત હાર બાદ હવે સૌની નજર 15 જાન્યુઆરી, 2026ના રોજ યોજાનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત 29 નગર નિગમોની ચૂંટણીઓ પર છે. આ ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર થશે. આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરશે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

December 19, 2025
SIR.png
1min60

ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.

અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.

નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.

December 15, 2025
image-9.png
1min55
  • નીતિન નબિન ૧૨મું ભણેલા છે, તેમની સામે પાંચ કેસ છે અને તેમના નામે સંપત્તિ નથી
  • લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને સાત વખત સાંસદ બનનારા પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક

ભાજપ સંસદીય બોર્ડે રવિવારે Dt 14/12/2025 બિહાર સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન નબિનની રવિવારે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરીને વધુ એક વખત બધાને ચોંકાવી દીધા છે. નીતિન નબિન જેપી નડ્ડાનું સ્થાન લે તેવી શક્યતા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારમાં મંત્રી અને લોકસભા સાંસદ પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. કુર્મી નેતા પંકજ ચૌધરીની પસંદગી કરીને ભાજપે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કુર્મી મતબેન્ક પર નજર હોવાના સંકેત આપ્યા છે.

ભાજપમાં લાંબા સમયથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના સ્થાને સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂક વિલંબમાં મુકાતી રહી છે. જોકે, આખરે રવિવારે ભાજપે નવા પક્ષપ્રમુખની નિમણૂકનો માર્ગ મોકળો કરી દીધો છે. ભાજપના સંસદીય બોર્ડે બિહાર કેબિનેટના મંત્રી અને બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનનારા ૪૫ વર્ષના નિતિન નવીનની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે, જેઓ આગામી સમયમાં પ્રમુખ જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે. નીતિન નબિનની નિમણૂક કરીને ભાજપે પક્ષના સંગઠન માળખામાં પેઢીગત પરિવર્તનના સંકેત આપ્યા છે.

નીતિન નબિન ભાજપના દિવંગત નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નબિન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેમને અત્યંત ગતિશીલ અને વૈચારિક રીતે સંગઠન પ્રત્યે કટિબદ્ધ માનવામાં આવે છે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. નીતિન નબિનની સંગઠન ક્ષમતા, ચૂંટણી રણનીતિ, વહીવટી અનુભવ અને જમીની સ્તર પર પકડને ધ્યાનમાં રાખતા તેમને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. પક્ષના સૂત્રો મુજબ આ નિમણૂક માત્ર સંગઠનાત્મક પરિવર્તન નહીં, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણની દિશા નિશ્ચિત કરનારું પગલું માનવામાં આવે છે.

બિહારમાં બે વખત મંત્રી તરીકેની સેવા તેમજ છત્તીસગઢમાં પક્ષના ઈન્ચાર્જ તરીકે તેમની ભૂમિકા અસાધારણ રહી છે. તેમણે પક્ષમાં સંગઠનના દરેક સ્તર પર કામ કર્યું છે. યુવા મોરચાથી લઈને રાજ્ય સરકાર અને હવે રાષ્ટ્રીય સંગઠન સુધીમાં તેમનો પ્રવાસ પક્ષની અંદર વિશ્વાસનું પ્રતિક મનાય છે.

દરમિયાન ભાજપે રવિવારે ઉત્તર પ્રદેશમાં પણ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પીયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનઉમાં પક્ષની ઓફિસમાં એક કાર્યક્રમાં પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે ઔપચારિક જાહેરાત કરી હતી. પંકજ ચૌધરીએ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરી લીધું છે.

મહારાજગંજથી સાત વખત સાંસદ બનેલા અને કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્ય મંત્રી પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. પ્રદેશ અધ્યક્ષપદ પર તેમની નિમણૂકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતબેન્કને મજબૂત કરવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં શનિવારે પંકજ ચૌધરીએ એકમાત્ર ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી