CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - CIA Live

August 3, 2026
image-8.png
1min24

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 1, 2026
image.png
1min27

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’

July 29, 2026
image-67.png
2min36

29 Jul 2026 | 02:02 PM
લોકસભામાં બળપ્રયોગના આદેશો મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે વિપક્ષી સાંસદોએ ભારે શોરબકોર કરતા ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને તથા તથ્યોના આધારે વાત રજૂ કરવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે અને અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. બીજી તરફ, વિપક્ષી સભ્યો ગૃહમંત્રીના રાજીનામા અને જવાબની માગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સભ્યો દ્વારા સ્પીકરના આદેશોની વારંવાર અવહેલના કરવામાં આવતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

29 Jul 2026 | 01:53 PM
અખિલેશ યાદવે કહ્યું કે જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.

કિરેન રિજિજૂએ કહ્યું કે, આ અલગ વાત છે. રાહુલ ગાંધીએ સીધું નામ લઈને કહ્યું છે. ઈન્ક્વાયરીની માંગ ઠીક છે, અમે સમજીએ છીએ. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે.

સ્પીકરે કહ્યું કે, રાહુલજી તમે બિલ પર બોલો, તમે ઈન્ક્વાયરીની માંગ કરી શકો છો, પણ આ રીતે વાત ના કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સર જ્યારે આતંકીને ગોળી મારવામાં આવે છે, ત્યારે રિજિજૂએ તેમને રોકતા કહ્યું કે, તમે ગૃહ મંત્રીનું નામ લઈને જે શબ્દો વાપર્યા છે, તેના માટે માફી માંગવી પડશે. કાલે કોઈ પણ મેમ્બર ઊઠીને કંઈ પણ બોલશે. તમને કેવી રીતે આ ખબર પડી અને કયા બેસિસ પર તમે બોલી રહ્યા છો? આવું ના કરી શકાય. રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે, અમે અહીં એવું બોલી શકીએ શું? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે. માફી માંગો અથવા બતાવો કે કેમ બોલ્યા, કેવી રીતે બોલ્યા, સદન આ રીતે નહીં ચાલે.

સ્પીકરે કહ્યું કે તમે જે રીતે વાત બોલી છે, એવા શબ્દો સદનની અંદર અને સદનની બહારની કાર્યવાહીમાં ના જવા જોઈએ.

29 Jul 2026 | 01:48 PM
પ્રધાન નહીં, RSS ચલાવી રહ્યું હતું શિક્ષણ મંત્રાલય : લોકસભામાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી?

ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.

29 Jul 2026 | 01:38 PM
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.

આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.

આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.

સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

29 Jul 2026 | 01:29 PM
લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો, આ નિયમો અમે નથી બનાવ્યા. જો તમે સંસદીય મર્યાદા જાળવી રાખશો તો જ તમારું ભાષણ સાંભળવામાં આવશે. હું રાહુલજીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારના શબ્દો ટાળીને પોતાનું વક્તવ્ય ફરી શરૂ કરે. ભૂતકાળમાં તમે પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પૂરું કરી શક્યા નહોતા, પરંતુ હવે તમે આ રીતે લાગણીશીલ થઈને ગૃહને ગુમરાહ કરી શકો નહીં.’

29 Jul 2026 | 01:22 PM
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સ્ટુડન્ટને વ્યાખ્યાયિત કરી રહ્યો છું. સ્ટુડન્ટ સત્યની પાછળ દોડતો રહે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, ઘરની બારી તમામ પ્રકારની હવા માટે ખુલ્લી રહેવી જોઈએ. મેં એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે ઈડિયટ વિશે તમારી શું રાય છે? જે સ્ટુડન્ટ નથી, તેના વિશે શું? વિદ્યાર્થીએ કહ્યું કે, સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો, જેના પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.

29 Jul 2026 | 01:18 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.

29 Jul 2026 | 01:10 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.’ તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.’

29 Jul 2026 | 01:07 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી અને દેશના યુવાનોનું સન્માન થવું જ જોઈએ. આજે દેશના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે, જ્યારે કે તેઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે કે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને જ્ઞાનનું મહત્ત્વ સૌથી વધુ છે.

29 Jul 2026 | 12:38 PM
પૂર્નિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે RTI અને ઓડિટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ બાબતોને તમામ પ્રકારની ગડબડીઓથી દૂર કરી દેવામાં આવી છે, ત્યારે આખરે જવાબદારી કોની નક્કી થશે? NTA ના ચેરમેનને કેમ હટાવવામાં આવ્યા નથી, તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે 2018માં જેમને NTA માં લાવવામાં આવ્યા હતા તેઓ અગાઉ મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કરોડો ઉમેદવારોના ફોર્મના કરોડો રૂપિયા NTA ને શા માટે આપવામાં આવે છે અને તેની તપાસ કોણ કરશે? રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે NTA સામે યોગ્ય તપાસ કમિટી અને SIT ની માંગણી કરી હતી અને સંજીવ મુખિયાને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

29 Jul 2026 | 12:20 PM
લોકસભામાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર બીજા દિવસની ચર્ચાનો પ્રારંભ થઈ ગયો છે. ચર્ચાની શરૂઆત બિહારના સુપૌલથી JDU સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે આ બિલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક NDA સરકાર પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે અને દેશના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

29 Jul 2026 | 12:17 PM
લોકસભામાં આજે પણ એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધશે. બિલ પર વિપક્ષ તરફથી મોટો પ્રહાર કરવાની તૈયારી છે.

29 Jul 2026 | 12:16 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

29 Jul 2026 | 12:15 PM
બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

July 28, 2026
gujarat_vidhansabha.jpg
1min35

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બજેટ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ સહિત દર ચારમાંથી એક ધારાસભ્યએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા બજેટ સત્ર અંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના રિપોર્ટના વિશ્લેષણ મુજબ, 182માંથી 45 ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કોઈ પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. રાજ્યના બજટે, સરકારી વિધેયકો, દરખાસ્તો, મુતલવી રાખેલી દરખાસ્તો અને અહેવાલ સહિતની મહત્વપૂર્ણ બંધારણીય બાબતોમાં કોઈ ચર્ચામાં જોડાયા નહોતા.

ચર્ચામાં ભાગ ન લેનારા ધારાસભ્યોની યાદીમાં રાજ્યકક્ષાના પ્રધાનો ત્રિકમ છાંગા, કાંતિલાલ અમૃતિયા, પી. સી. બરંડા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરષોત્તમ સોલંકી, કમલેશ પટેલ અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રધાનો વહીવટી જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે અને પોતાના ખાતાને લગતી બાબતોમાં જ મર્યાદિત જવાબ આપતા હોય છે, પરંતુ ગૃહના ચોથા ભાગના સભ્યોની નિષ્ક્રિયતા વિધાસભાની ચર્ચાઓની ભાગીદારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રિપોર્ટ અનુસાર, આ સત્ર દરમિયાન વિવિધ કામગીરીમાં કુલ 493 વખત સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં બજેટ પરની ચર્ચામાં સૌથી વધુ 223 વખત રજૂઆતો થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યનું વાર્ષિક નાણાકીય નિવેદન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિષયો પર 144 વખત, સરકારી વિધેયકો પર 65, રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર 28, ખાનગી સભ્યોના પ્રસ્તાવ પર 18, ખાનગી સભ્યોના બિલ પર 8 અને સરકારી પ્રસ્તાવ પર 7 વખત સભ્યોએ રજૂઆતો કરી હતી.

આંકડાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની કામગીરીમાં ભાગીદારી અમુક જ સભ્યો પૂરતી મર્યાદિત રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહનું સંચાલન કરવાની તેમની જવાબદારીના ભાગરૂપે સૌથી વધુ 47 વખત ભાગ લીધો હતો, જ્યારે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ 10 વખત ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સત્ર દરમિયાન 5 વખત અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ 7 વખત ચર્ચામાં ભાગ લીધો હતો.

સત્તાધારી પક્ષમાંથી પ્રધાન ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા 15-15 વખત ચર્ચામાં ભાગ લઈને સૌથી વધુ સક્રિય રહ્યા હતા. સામે વિપક્ષમાં, કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ 15 વખત રજૂઆતો કરી હતી, જ્યારે AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણા 14-14 વખત ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સભ્યોમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 13 વખત, ચૈતર વસાવાએ 12, રમણલાલ વોરાએ 11, મંત્રી જીતુ વાઘાણીએ 10 અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 8 વખત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતોના મતે, પોતાના વિસ્તારના કામો અને સમિતિઓની જવાબદારીઓ ઉપરાંત ગૃહની ચર્ચાઓમાં ભાગ લેવો એ પણ ધારાસભ્યની કામગીરીનું એક મહત્વનું માપદંડ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને સ્પર્શતા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે જ ગૃહમાં જાય છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ મૌન રહે, ત્યારે લોકશાહીમાં તેમની જવાબદારી અને પારદર્શિતા પર અસર પડે છે.

June 17, 2026
image-9-1280x720.png
1min158

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી 9 સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી… જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના 9માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

June 9, 2026
image-5-1280x720.png
1min150

દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે…

સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.

ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.

જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.

May 11, 2026
image-7.png
1min263

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશના ઈંધણનો જથ્થો પૂરતો છે.

આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લોકો કારપૂલિંગ અપનાવે છે અને માલસામાન માટે રેલવેને પસંદ કરે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ઊર્જા બચાવવાનો પ્રયાસ કરે તો દેશ પરનો આર્થિક દબાણ ઘટાડી શકાય છે.

તેમણે પેટ્રોલ ડીઝલની સ્થિતી અને જણાવ્યું કે દેશમાં ક્રુડ ઓઈલનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને બધી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત નથી અને એલપીજી એજન્સીઓ પર પણ પુરવઠો સામાન્ય રહ્યો છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે રાંધણ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં 1 કરોડ 14 લાખ બુકિંગ સામે 1 કરોડ 26 લાખ એલપીજી સિલિન્ડર ઘરોમાં પહોંચાડવામાં આવ્યા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શીયલ એલપીજીનું વેચાણ પણ 17 હજાર ટનથી વધુ થયું છે. સરકારે કહ્યું કે ઓટો એલપીજીનું વેચાણ પણ 762 ટનથી વધુ નોંધાયું છે. તેમજ પુરવઠા પ્રણાલી સામાન્ય રીતે કાર્યરત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

May 10, 2026
image-6.png
1min297
  • વીસીકે અને આઈયુએમએલના બે-બે ધારાસભ્યોના સમર્થન સાથે થલાપતિ વિજય 120 ધારાસભ્યોના ટેકાથી બહુમતે પહોંચ્યો
  • કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોનો વિજયને શરૂઆતથી જ ટેકો

તમિલનાડુમાં અંતે શનિવારે Dated 09/05/2026 અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.

તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા ૨૩૪ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

વિજય હવે 10/05/2026 રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.

આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા.

ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.

May 5, 2026
image-2.png
1min237

દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બે રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત UDF સરકારની રચના કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMCની કારમી હાર

જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે.

આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી

આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.

પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે એક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 6 અને ટીવીકેને 3 બેઠકો મળી છે. તેમજ ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઇ છે. આમ, પુડુચેરીમાં એનડીએ સરકારની રચના કરશે.

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકે કિંગ બની

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષ ડીએમકે અને એઆઇએડીએમકેને પછાડી દીધા છે. તેમજ ટીવીકે 104 બેઠક પર જીત મેળવી છે તેમજ 03 બેઠકો પર આગળ છે. જોકે, ટીવીકેને પૂર્ણ બહુમત માટે 118 બેઠકોની જરૂર છે. જ્યારે સત્તાધારી ડીએમકેએ 72 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે. જ્યારે એઆઇએડીએમકે એ 51 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતી

જ્યારે કેરલમમાં 140 બેઠકમાંથી કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતીને સત્તા મેળવી છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફએ 35 બેઠક જીતી છે. તેમજ એનડીએ માત્ર 3 બેઠક જીતી છે.

April 29, 2026
image-23.png
2min230

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પુરુષ મતદારો: 1,64,35,627
  • મહિલા મતદારો: 1,57,37,418
  • થર્ડ જેન્ડર: 792
  • કુલ ઉમેદવારો: 1,448

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

  • ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  • કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
  • સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
  • કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
  • ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
  • 142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.