CIA ALERT

Slider Archives - CIA Live

August 24, 2026
SGCCI.jpg
2min31

  • ઉધના-જલગાંવ લાઇન પર સ્થિત નિયોલ સ્ટેશનને વિકસાવવાથી ઉધના યાર્ડનું ટ્રાફિક ભારણ ઘટશે અને DFC કોરિડોર સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે: ચેમ્બર
  • સુરતના ટેક્સટાઇલ, કેમિકલ્સ, સ્ટીલ અને હેવી એન્જિનિયરિંગ ઉદ્યોગોના લાખો ટન કાર્ગો માટે રેલ સુવિધા અનિવાર્ય
  • રેલવે ગુડ્ઝ શેડના અભાવે ખાનગી વેરહાઉસિંગ પાછળ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30નો જંગી ખર્ચ વેપારીઓએ ભોગવવો પડે છે
  • રોડ ટ્રાન્સપોર્ટ પર નિર્ભરતા ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને રેલવેની આવકમાં વધારો થશે: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • વર્ષ 2023-24માં રેલવે દ્વારા મંજૂર કરાયેલા નિયોલ ફ્રેટ ટર્મિનલના પ્રપોઝલને તાત્કાલિક આગળ ધપાવવા માગણી

સુરત, 22 ઓગસ્ટ 2026: સુરત અને દક્ષિણ ગુજરાતના વિશાળ ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પન્ન થતા માલસામાનના ઝડપી અને કિફાયતી પરિવહન માટે નિયોલ રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુવિધાસભર ‘ગૂડ્ઝ હેન્ડલિંગ હબ / ફ્રેટ ટર્મિનલ’ તરીકે વિકસાવવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM – મુંબઈ સેન્ટ્રલ) સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્ર પાઠવી જણાવ્યું છે કે, સુરત દેશનું અગ્રણી કોમર્શિયલ હબ છે જ્યાંથી દરરોજ હજારો ટન આઉટવર્ડ અને ઇનવર્ડ કાર્ગોનું પરિવહન થાય છે. જો કે, નિયોલ ખાતે ગુડ્ઝ હેન્ડલિંગની પૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ન હોવાથી તેમજ નજીકના ઉધના જંક્શન પર ભારે ટ્રાફિક કન્જેશન રહેતું હોવાથી સ્થાનિક વેપાર-ઉદ્યોગ જગત ભારે લોજિસ્ટિક્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

નિયોલ સ્ટેશનનું વ્યૂહાત્મક સ્થાન અને કનેક્ટિવિટી

નિયોલ સ્ટેશન ઉધના-જલગાંવ લાઇન પર અત્યંત મહત્વના લોકેશન પર આવેલું છે. તે વેસ્ટર્ન રેલવેની મુખ્ય ટ્રંક લાઇન (મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી)ની તદ્દન નજીક છે અને સુરત/ઉધના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFCCL) નેટવર્ક સાથે સીધું જોડાયેલું છે. નિયોલ ખાતે હબ બનવાથી ભારે માલગાડીઓનું ટ્રાફિક ઉધના જેવા ગીચ શહેરી યાર્ડમાં ગયા વિના ડાયવર્ટ થઈ શકશે, જેનાથી ટ્રેનોની મૂવમેન્ટ ઝડપી બનશે અને વેગન/રેકનો ટર્ન-અરાઉન્ડ ટાઇમ સુધરશે.

ઔદ્યોગિક ક્લસ્ટર્સને મળશે સીધો ફાયદો

  • ટેક્સટાઇલ અને સિન્થેટિક ફેબ્રિક્સ: સુરતના સારોલી, પુણા, કડોદરા અને સચીન પંથકમાંથી દરરોજ લાખો મીટર કાપડ અને યાર્ન ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં મોકલવામાં આવે છે.
  • કેમિકલ્સ, ડાઇઝ અને પોલિમર્સ: પાંડેસરા, ઇચ્છાપોર, અંકલેશ્વર-હજીરા બેલ્ટમાંથી ઔદ્યોગિક કેમિકલ્સ અને પ્લાસ્ટિક રો-મટિરિયલના બલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે રેલ સુવિધા અતિ જરૂરી છે.
  • હેવી એન્જિનિયરિંગ અને સ્ટીલ: હજીરા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાંથી સ્ટીલ કોઇલ્સ, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ્સ અને ભારે મશીનરીના પરિવહન માટે નિયોલ આદર્શ રેલ-હેડ બની શકે છે.
  • ખાંડ અને કૃષિ ઉત્પાદનો: દક્ષિણ ગુજરાતની સુગર મિલો અને કૃષિ બજારોને દેશવ્યાપી ડિસ્ટ્રિબ્યુશન માટે સીધી રેક લોડિંગની સુવિધા મળશે.

વેપારીઓ પર વેરહાઉસિંગ અને ડેમેજનો મોટો બોજ: અશોક જીરાવાલા

ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “નિયોલ ખાતે યોગ્ય લોડિંગ, અનલોડિંગ અને સ્ટેકિંગ ફેસિલિટી ન હોવાથી વેપારીઓએ પ્રતિ ચોરસ ફૂટ ₹25થી ₹30ના ઊંચા દરે ખાનગી ગોડાઉનો રાખવા પડે છે, જેનાથી પ્રોડક્ટની પડતર કિંમત વધી જાય છે. ફેક્ટરીથી ગોડાઉન અને ગોડાઉનથી રેલવે હેડ સુધી વારંવાર માલની હેન્ડલિંગ પ્રક્રિયામાં લેબર ખર્ચ વધે છે અને માલ ડેમેજ થવાનું જોખમ રહે છે. રેલ સુવિધાના અભાવે વેપારીઓ મોંઘા રોડ ટ્રાન્સપોર્ટ તરફ વળવા મજબૂર બને છે.”

ચેમ્બરની મુખ્ય માંગણીઓ: ચેમ્બર દ્વારા પશ્ચિમ રેલવે સમક્ષ માંગ કરાઈ છે કે નિયોલમાં ડેડિકેટેડ ગુડ્ઝ લૂપ લાઇન્સ, લોંગ-હોલ રેક હેન્ડલિંગ કેપેસિટી, હાઇ-કેપેસિટી કવર્ડ શેડ્સ, પેવ્ડ પ્લેટફોર્મ્સ, હાઇ-માસ્ટ લાઇટિંગ અને મિકેનાઇઝ્ડ મટિરિયલ હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે.

ચેમ્બરના પ્રમુખશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચેમ્બર દ્વારા લોજીસ્ટિક પાર્કની માંગણી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષ 2023-24માં નિયોલ ખાતે વર્લ્ડ ક્લાસ ફ્રેટ ટર્મિનલ બનાવવાનો પ્રસ્તાવ સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો. ચેમ્બરે રેલવે તંત્રને આ દરખાસ્તની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી ટર્મિનલનું કામ શરૂ કરવા તથા રેલવે અધિકારીઓ અને વેપારી સંગઠનો વચ્ચે સંયુક્ત બેઠક યોજી વિઝિબિલિટી સ્ટડી હાથ ધરવા અપીલ કરી છે.

આ રજૂઆતની નકલ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM), ચીફ ફ્રેટ ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CFTM), સીનિયર DOM અને સીનિયર DCMને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.

August 22, 2026
ICAI-ISCA.png
1min27

CA માટે પ્રેક્ટિશનો ઇન્ટરનેશનલ ગેટ-વે ટૂંક સમયમાં ખૂલી જશે

ભારતીય સંસ્થા ICAI અને સિંગાપોરની સંસ્થા ISCA પરસ્પર માન્યતા તરફ આગળ વધી રહ્યા છે

ટૂંક સમયમાં જ ભારતીય CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) સિંગાપોર જેવા આધુનિક અને વિકસિત દેશમાં કોઇપણ જાતના બાધ કે એન્ટ્રીગેટ એક્ઝામ વગર વ્યવયાયિક પ્રેક્ટિસ કરી શકશે, એવા રેફરન્સ સાથે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર અને ભારત વચ્ચે અરસપરસ માન્યતા માટે 2023 વાટાઘાટો ચાલી રહી છે. બંને સંસ્થાઓએ એકાઉન્ટિંગ વ્યવસાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કેપેસિટી બિલ્ડીંગ પર સહયોગ સાધવા માટે પણ અલગથી સંમતિ આપી છે.

જેની ફળશ્રુતિ રૂપે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટૂંક સમયમાં સિંગાપોરમાં વ્યાપક વ્યાવસાયિક માન્યતા મેળવી શકે છે, જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ISCA) સંપૂર્ણ મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA) તરફ આગળ વધી રહ્યા છે.

તાજેતરમાં બંને સંસ્થાઓના અધિકૃત અધિકારીઓએ વ્યાવસાયિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને આવરી લેતા મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રિમેન્ટ તરફ કામ કરવાના તેમના ઇરાદાને દર્શાવતા સહિ સિક્કા કરેલા પત્રોનું ઔપચારિક રીતે આદાનપ્રદાન કર્યું હતું.

પ્રસ્તાવિત MRA બે સંસ્થાઓ વચ્ચે લાયકાતોની માન્યતા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડશે. ભારતીય સીએ માટે, તે કરારના અંતિમ અવકાશ અને શરતોને આધીન, સિંગાપોરમાં વ્યાવસાયિક ગતિશીલતા અને કામ કરવાની તકોમાં સુધારો કરી શકે છે.

આ પગલું ફેબ્રુઆરી 2023 માં ISCA દ્વારા લેવામાં આવેલા અગાઉના પગલા પર આધારિત છે, જ્યારે તેણે ‘માન્ય વ્યાવસાયિક લાયકાત’ ની તેની યાદીમાં ICAI લાયકાત ઉમેરી હતી. આનાથી સિંગાપોરમાં લાયક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ISCA એસોસિયેટ સભ્યો બનવાની મંજૂરી મળી. સંપૂર્ણ MRA પારસ્પરિક સભ્યપદ માન્યતા માટે એક વ્યાપક માળખું પૂરું પાડીને આ હાલની વ્યવસ્થાથી આગળ વધશે.

August 21, 2026
image-27.png
1min26

જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં Dt.21/08/2026 સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.

જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર

બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.

August 19, 2026
sgcci-yarn-expo-26-1280x449.jpeg
1min32
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાર્ન એક્સ્પોની 8મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન: ચીન સહિત દેશભરમાંથી 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે
  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા આયોજન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે
  • કોટન, સિલ્કથી લઈને ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ સ્પેશ્યાલિટી યાર્નનું એક જ છત નીચે પ્રદર્શન
  • સુરતના વિવર્સ નવા યાર્નમાંથી ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ બનાવી એક્સપોર્ટ વધારી શકશે: ગિરધરગોપાલ મુંદડા

સુરત, 19 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ બાયર્સ અને 88 એક્ઝિબિટર્સની સહભાગિતા: અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થાય અને ઉત્પાદકોને યાર્ન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે તે આ એક્સ્પોનો મુખ્ય આશય છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત મિ. કોન્ટે અલાસ્સેન તેમજ બાંગ્લાદેશ સ્થિત સોલ સોર્સિંગ લિ.ના સીઈઓ મિ. શમીન અહેમદ તેમજ માર્કેટીંગ હેડ મિ. અબુ સોહેલ રસીલ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે.”

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્સ્પોની આઠમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો અને સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર આવશે. આ એક્સ્પોમાં નેચરલ તથા બ્લેન્ડેડ યાર્ન જેમ કે, કોટન, વુલ, સિલ્ક, લિનન અને રેમી તેમજ મેન-મેડ તથા બ્લેન્ડેડ યાર્નમાં રિજનરેટેડ અને સિન્થેટિક યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફેન્સી અને સ્પેશ્યાલિટી યાર્નમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્સચર્ડ અને સ્લબ યાર્ન સહિતની વિવિધ પ્રોડક્ટસ પણ જોવા મળશે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને યાર્ન ક્ષેત્રના ઉત્પાદકોને ખરીદદારો સાથે જોડવાનો તથા નવા વેપારી સંબંધો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્‌ઘાટન
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉત્તર પ્રદેશ સરકારના નેશનલ ઇન્ટિગ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી (IAS) શ્રી હીરા લાલ પટેલ, એલાયન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી કુલદીપ પટેલ તેમજ રિગન ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ ધનકાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેસ-ટુ-ફેસ નેટવર્કિંગ અને બિઝનેસ ગ્રોથ
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત ઉપરાંત તિરુપુર, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ મિટિંગ્સથી નવા વેપારી સંબંધો બંધાશે. માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે ઉમેર્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેન મેઈડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચુરાઈઝ્ડ યાર્ન, ડોપ ડાઈડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિસએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ય્ચુરાઈઝ્ડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઈનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઈનહેરન્ટ એન્ટી બેક્ટેરિયલ યાર્ન વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

બજેટ-ફ્રેન્ડલી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ
ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.

યાર્ન એક્સ્પો-2026ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, પ્યોર સિલ્ક અને વૂલ જેવા મોંઘા ફેબ્રિક્સ સામે પોલિએસ્ટર અને કેટોનિક યાર્ન ઉત્તમ વિકલ્પ બન્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગાર્મેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. સુરતના વિવર્સ આ પ્રદર્શિત યાર્નમાંથી નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીને સુરતથી રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટમાં વધારો કરી શકશે.

August 19, 2026
image-25.png
1min35

ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

August 7, 2026
image-12.png
1min53

ગુજરાતના ફરવાલાયક સ્થળો પર દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગૂગલ મેપ અને નકલી વેબસાઇટ્સ મારફતે હોટેલ બુકિંગના નામે ઠગાઈ કરતી એક નવી સાઇબર ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ગેંગ વિવિધ પ્રખ્યાત પર્યટક સ્થળો, હોટેલ્સ અને ટ્રસ્ટની અસલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટો બનાવીને સામાન્ય નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા આરોપીઓએ કાવતરું ઘડીને આ છેતરપિંડી આચરી હતી. સાયબર હેલ્પલાઇન પર મળેલી વિવિધ અરજીઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિત 24 જેટલી ભળતા નામવાળી ફેક વેબસાઇટ્સ તૈયાર કરી હતી. આ વેબસાઇટ્સને ગૂગલ સર્ચ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી, પોતે હોટેલના અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતા હતા.

લોકો જ્યારે હોટેલ કે ધર્મશાળા બુકિંગ માટે આ નકલી વેબસાઇટ્સ કે તેમાં આપેલા સંપર્ક નંબરો પર કોલ કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે યુપીઆઈ કે અન્ય ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પૈસા મળ્યા બાદ આ ગેંગ બુકિંગ ન આપતી, ખોટી માહિતી આપતી કે ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખતી હતી. આ રીતે દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે નાની-નાની રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

August 7, 2026
image-10.png
1min60

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બજરંગદાસજી સીતારામ આશ્રમ સનાતન સંસ્થા બગદાણા દ્વારા બજરંગદાસ બાપાના વાસ્તવિક સ્વરૂપ, પવિત્રતા અને આશ્રમની અધિકૃત પરંપરાઓની જાળવણી અર્થે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત આવેદનાત્મક આવેદન જાહેર કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી પૂજ્ય બાપાના કલ્પનિક ફોટા, બનાવટી દ્રશ્યો અને મનઘડંત વાર્તાઓ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી રહી છે, જે અંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભારે ચિંતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

​સંસ્થાન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે બાપાનું સમગ્ર જીવન રામનામના જપ, સાદગી, સરળતા અને માનવતાની પરમ સેવામાં જ આધારિત રહ્યું છે. તેમણે ક્યારેય ચમત્કારોના દાવો કર્યા નથી પરંતુ પોતાની ઉચ્ચ સાધનાના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

આવા સમયે AI વડે તૈયાર કરાતી ખોટી સામગ્રી પૂજ્ય બાપાના પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે. જો આ કલ્પનિક સામગ્રીને તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી સાચા ઇતિહાસથી વંચિત રહી જશે અને AI દ્વારા જનરેટ થયેલા વિકૃત ચિત્રોને જ સત્ય માની લેશે.

​આ પરિસ્થિતિને ધ્યાને રાખી ગુરુ આશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળ, મેનેજર અને સ્વયંસેવકો દ્વારા તમામ ભક્તોને અવાસ્તવિક AI ફોટા કે રીલ્સ આગળ શેર ન કરવા, તેને પ્રોત્સાહન ન આપવા અને જે લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા ફોટા મૂક્યા હોય તેને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક સૂચના સાથે વિનંતી કરવામાં આવી છે. પૂજ્ય બાપાના મૂળ ચિત્રો અને સાચા વિચારોને જાળવી રાખીને આવનારી પેઢી સુધી સાચો વારસો પહોંચાડવો એ જ સાચી ભક્તિ હોવાનું આશ્રમ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

August 6, 2026
WhatsApp-Image-2026-08-06-at-07.48.10.jpeg
1min82
  • CA હોય કે CMA કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ RCI જ બેસ્ટ
  • વિદ્યાર્થીઓએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ બંને પરીક્ષાઓમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યા

જૂન 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા લેવામાં આવેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાઓના પરિણામો આજે જાહેર કરાયા હતા. સુરત કે ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર ભારતમાં સી.એ. હોય કે સીએમએ કે અન્ય સર્ટિફિકેશન કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ જ બેસ્ટ છે એ દરેક પરીણામ વખતે પુરવાર થઇ રહ્યું છે. તા.5મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એમ.એ.ના પરીણામોમાં પણ રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ, સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રેન્ક હાંસલ કરીને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સફળતાએ માત્ર સુરતને જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશને ગૌરવ અપાવ્યું છે.

ઘોડ-દોડ રોડ પર સ્થિત CA રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટ (RCI) ના છ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
CMA ફાઇનલ પરીક્ષામાં, પ્રથમ ચૌરાવાલાએ 800 માંથી 603 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 5 મેળવ્યો. દરમિયાન, મહેક જૈન – મૂળ રાજસ્થાનના શ્રીડુંગરગઢના રહેવાસી – 549 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 33 મેળવ્યો. વધુમાં, ક્રિશ મહેતાએ 527 ગુણ મેળવીને ફાઇનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં, હર્ષ જૈન – મૂળ બિકાનેરના – 621 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવ્યો; દિયા ખલાસીએ 614 ગુણ સાથે 7મો ક્રમ મેળવ્યો; પાર્થ અગ્રવાલ – મૂળ અલવર, રાજસ્થાનના – 600 ગુણ સાથે 13મો ક્રમ મેળવ્યો; અને સંકેત રુંગટાએ 571 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 30 મેળવ્યો છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર, 25 માંથી 18 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઇનલ પરીક્ષા પાસ કરી, જ્યારે સંસ્થાના 55 થી વધુ વિદ્યાર્થીઓ સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સફળ થયા.

સંસ્થાના મેનેજમેન્ટે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી, નોંધ્યું કે આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શનનું પરિણામ છે.

August 3, 2026
image-8.png
1min90

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 1, 2026
image.png
1min74

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’