વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો.
સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો.
પહેલીવાર આવું થયું
બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો હોય, શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તારીખ ૬ જુલાઇના સાંજે પાંચ કલાકે શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર ૧૦૦ ટકા ભરાઈને છલકાઈ ગયો હતો. આ ચોમાસાની સિઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો હતો, જે સારા વરસાદનો સંકેત છે. ડેમ ભરાઈ જતાં, પાણીના નિયમન માટે તેના ૫૯ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાં હાલ પણ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે.
ડેમના દરવાજા ખોલવામાં આવતા, નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પાલિતાણા અને તળાજા તાલુકાના ૧૭ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. નદી કિનારે રહેતા લોકોને અને માછીમારોને સાવચેત રહેવા તથા નદીમાં ન જવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ
રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.
ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.
પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.
ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અમેરિકાની કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તેની રૂ. 4843 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે 3 જુલાઈના રોજ એક વચગાળાનો આદેશ આપતાં જેન સ્ટ્રીટ ગ્રૂપ અને તેની પેટા કંપનીઓ – JSI ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લિ., JSI2 ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ., જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા.લિ. અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિ. પર સ્ટોક માર્કેટ ગતિવિધિઓ કરવા પર રોક મૂકી છે.
સેબીએ જણાવ્યું હતું કે, ઇકોસિસ્ટમમાં એકંદર વિશ્વાસ જાળવવા અને રોકાણકારોનું રક્ષણ કરવા માટે આ મહત્વપૂર્ણ છે. સેબીના વચગાળાના આદેશ અનુસાર, આ સંસ્થાઓ પર ઇક્વિટીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખરીદી, વેચાણ અથવા અન્ય કોઈપણ વ્યવહાર કરવા પર પ્રતિબંધ છે.
આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, જેએસ ગ્રૂપની સંસ્થાઓ દ્વારા કથિત રૂપે ગેરરીતિ આચરી કરવામાં આવેલી રૂ. 4843 કરોડની કમાણીને જપ્ત કરવામાં આવશે. આ રકમ જમા કરવા માટે ભારતની કોમર્શિયલ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવા નિર્દેશ આપ્યો છે. સેબીની મંજૂરી વિના આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી શકાશે નહીં.
ડિપોઝિટરીને આદેશ આપવામાં આવ્યો છે કે, સેબીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ ડેબિટ કરવામાં આવે નહીં. બેન્કો, કસ્ટોડિયન, ડિપોઝિટરીને તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી કરવા આદેશ છે. સેબીએ પોતાના આદેશમાં અમેરિકાની કંપનીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનાની અંદર કોન્ટેક્ટ બંધ કરી દે. જ્યાં સુધી એસ્ક્રો એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં નહીં આવે ત્યાં સુધી કંપની ભારતમાં પોતાની કોઈપણ સંપત્તિમાં કાર્યવાહી કે ટ્રાન્સફર કરી શકશે નહીં.
એપ્રિલ, 2024: સેબીએ મીડિયા રિપોર્ટ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં જેન સ્ટ્રીટ ગ્રૂપ સાથે સંકળાયેલા કાયદાકીય વિવાદનો ઉલ્લેખ હતો. તેના પર ભારતીય ઈક્વિટી માર્કેટમાં પોતાની માલિકીની રણનીતિઓનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ હતો.
23 જુલાઈ, 2024: એનએસઈને કોઈપણ માર્કેટનો દુરૂપયોગ થયો હોવા મામલે JS ગ્રૂપની ટ્રેડિંગ ગતિવિધિઓની તપાસ કરવા આદેશ આપ્યો હતો.
ઓગસ્ટ, 2024: સેબીએ 20 ઓગસ્ટના જેએસ ગ્રૂપ સાથે વાતચીત કરી અને જેએસ ગ્રૂપે 30 ઓગસ્ટે પોતાની ટ્રેડિંગ કામગીરી વિશે માહિતી આપી હતી.
13 નવેમ્બર, 2024: JS ગ્રૂપ ટ્રેડિંગ એક્ટિવિટી પર એનએસઈ તપાસ રિપોર્ટ રજૂ કર્યો
ડિસેમ્બર, 2024: સેબીએ સાપ્તાહિક ઈન્ડેક્સ ઓપ્શન એક્સપાયરીના દિવસે ગેરરીતિ પકડી પાડી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, અમુક કંપનીઓ ટ્રેડિંગમાં ગેરરીતિ આચરી રહી છે. જે અન્ય ટ્રેડર્સ માટે જોખમ ઉભુ કરી રહી હતી.
4 ફેબ્રુઆરી, 2025: અધિકારીઓેને જાણ થઈ હતી કે, જેએસ ગ્રૂપ સેબીના નિયમો વિરૂદ્ધ ટ્રેડિંગ કરી રહ્યું છે.
6 ફેબ્રુઆરી, 2025: સેબીના નિર્દેશાનુસાર, એએસઈએ જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રા. લિ. અને તેની સંબંધિત કંપનીઓને શૉ કૉઝ નોટિસ પાઠવી હતી.
ફેબ્રુઆરી, 2025: જેએસ ગ્રૂપે 6 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 2025ના રોજ નોટિસનો જવાબ આપ્યો હતો.
15 મે, 2025: જેએસ ગ્રૂપે એનએસઈ દ્વારા શૉ કૉઝ નોટિસને અવગણતાં ઈન્ડેક્સ ઓપ્શન્સમાં મોટા પ્રમાણમાં રોકડ સાથે હેરાફેરી કરતાં જોવા મળી હતી. આરોપો સાબિત થતાં સેબીએ કાર્યવાહી હાથ ધરી હતી.
ભારતીય રેલવેએ સૌથી મોટી જાહેરાત કરી છે. રેલવે બોર્ડે ટ્રેનના રિઝર્વેશન ચાર્ટને આઠ કલાક પહેલા તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હવે રેલવેએ નિવેદન આપ્યું છે. રેલવેએ કહ્યું છે કે રેલવે બોર્ડ ટ્રેન રવાના થયાના આઠ કલાક પૂર્વે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે બપોરના બે વાગ્યાના સુમારે પ્રસ્થાન કરનારી ટ્રેન માટે ચાર્ટ અગાઉના દિવસે રાતના નવ વાગ્યાથી તૈયાર કરવામાં આવશે.
નવા નિયમોની વિગતો જાણો
રેલવે બોર્ડે વિસ્તૃતમાં જણાવ્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર થશે. બપોરના 2 વાગ્યા પહેલાં રવાના થતી ટ્રેનનો ચાર્ટ આગલા દિવસે રાતના 9 વાગ્યે તૈયાર કરાશે. આ ઉપરાંત, પહેલી જુલાઈથી IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ પર માત્ર પ્રમાણિત યુઝર્સ જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે. જુલાઈ 2025ના અંતથી તત્કાલ બુકિંગ માટે OTP આધારિત પ્રમાણીકરણ ફરજિયાત થશે, જેમાં ડિજિલૉકરમાં રજિસ્ટર્ડ આધાર (નંબર) અથવા અન્ય સરકારી IDનો ઉપયોગ થશે.
કાંટા લગા… ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી.
તેમનો પાર્થિવ દેહ રાતે લગભગ 12:30 વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફીસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.
આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે.
કાંટા લગા સોંગને કારણે પ્રસિદ્ધિ મળી હતી
શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.
શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમનો અહીં મંગળવારે શરમજનક પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે (ENGLAND) 371 રનનો પડકારરૂપ લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ સાથે, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનમાં હાર સાથે આરંભ કર્યો છે, જ્યારે બ્રિટિશરોએ 373/5ના સ્કોર સાથે વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી છે. બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની પ્રથમ મૅચ પોતાના નામે કરી લીધી. બીજા દાવમાં બેન ડકેટ (149 રન) તેમ જ સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (53 અણનમ), કૅપ્ટન બેન સ્ટૉક્સ (33 રન) અને વિકેટકીપર જૅમી સ્મિથ (44 અણનમ)ના સૌથી મોટા યોગદાન હતા. સ્મિથે વિનિંગ સિક્સર ફટકારી હતી.
ભારતીય ટીમમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં બે એમ કુલ મળીને પાંચ સેન્ચુરી થઈ હોવા છતાં ભારતે પરાજય જોવો પડ્યો. ભારતની અસરહીન બોલિંગ પહેલી જ મૅચમાં ઉઘાડી પડી ગઈ. બેઉ દાવમાં ભારતે નીચલી હરોળમાં ધબડકો (પ્રથમ દાવમાં 41 રનમાં સાત વિકેટ અને બીજા દાવમાં 31 રનમાં છ વિકેટ) જોયો જે છેવટે પરાજય માટેનું મોટું કારણ બન્યો. ભારતીય (INDIA) ટીમે ઇન્ફૉર્મ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને અવગણીને ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ પર ભરોસો રાખ્યો, પણ તેઓ મૅચમાં કુલ મળીને માંડ બે-બે વિકેટ લઈ શક્યા. શાર્દુલ બૅટિંગમાં પણ કામ ન લાગ્યો. તેણે મૅચમાં કુલ પાંચ જ રન કર્યા હતા. કરુણ નાયર પણ ફ્લૉપ રહ્યો અને તેના સ્થાને નીતીશ રેડ્ડીને લીધો હોત તો તે બોલિંગમાં પણ પાર્ટ-ટાઇમ બોલર તરીકે કામ લાગ્યો હોત.
પહેલા દાવમાં યશસ્વી, જાડેજાએ કુલ ચાર કૅચ છોડ્યા હતા. બુમરાહની બોલિંગમાં કૅચ છૂટ્યા એમ છતાં તેણે પાંચ વિકેટ લીધી હતી, પણ એ પર્ફોર્મન્સ પર પણ પાણી ફરી વળ્યું. રિષભ પંતની બન્ને દાવની સેન્ચુરી એળે ગઈ. મંગળવારે પણ યશસ્વીથી એક કૅચ છૂટ્યો હતો. કૅચ છોડવાની હારમાળાએ ભારતની હારને નોતરું આપી દીધું એમ કહીએ તો પણ ખોટું નથી.
ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ.
હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો.
ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
રાઉન્ડ 14: આપે જંગી લીડ મેળવી, ગોપાલ ઇટાલિયા 12000 વોટથી આગળ
વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.
13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.
રાઉન્ડ 12: કડીમાં આપે હાર સ્વીકારી, જાણો વિસાવદરની સ્થિતિ?
કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.
રાઉન્ડ 10: કડીમાં ભાજપ આગળ, વિસાવદર આપ આગળ
દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે
વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ
રાઉન્ડ 9: વિસાદરમાં આપનો દબદબો યથાવત, ગોપાલ ઇટાલિયા આગળ
વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.
નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.
નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
રાઉન્ડ 8: વિસાવદરમાં બાજી પલટાઇ
વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.
રાઉન્ડ 7: જાણો કડી-વિસાવદરમાં ભાજપ-આપની સ્થિતિ?
સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.
રાઉન્ડ 6: જાણો કડી-વિસાવદરની સ્થિતિ?
વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.
છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.
રાઉન્ડ 5: વિસાવદરમાં સતત ઉથલ-પાથલ
વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે.
કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.
રાઉન્ડ 3: કડી-વિસાવદરમાં ભાજપની મજબૂત સ્થિતિ
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.
ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.
રાઉન્ડ 2: જાણો ભાજપ-આપ અને કોંગ્રેસની સ્થિતિ?
બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ
ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે
જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ
પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?
પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.
ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ (જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.
આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.
ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.
આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે. પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.
આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.