ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.
GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.
તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.
GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.
સુરત, 15 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મંગળવાર, તા. 14 જુલાઈ 2026ના રોજ રિયાધ (સાઉદી અરેબિયા) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. આ ઓનલાઇન મીટમાં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી (કોમર્સ) શ્રી વિપુલ બાવા અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવા અને સાઉદી અરેબિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની નવી તકો શોધવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય મજબૂત ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાઓ રજૂ કરી હતી.
બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેચરલ ફાઇબર, કોટન અને સિન્થેટિક કાપડ ક્ષેત્રે સુરતના મોનોપોલી સમાન સ્થાનની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં સુરતના કાપડની નિકાસ સરળતાથી વધારી શકાય તે માટેના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.
રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વિપુલ બાવાએ સાઉદી અરેબિયામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો વ્યાપાર વધે તે માટે સાઉદીના વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ત્યાંના બજારની માહિતી મેળવવા ચેમ્બરના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ચેમ્બરનું આ ડેલિગેશન જ્યારે સાઉદી આવશે ત્યારે દૂતાવાસ દ્વારા તેમની બેઠકો ‘નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ – રિયાધ’, ‘ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સાઉદી અરેબિયા)’ અને ‘સાઉદી ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના ટોચના હોદ્દેદારો અને બાયર્સ સાથે ગોઠવવામાં આવશે.
શ્રી બાવાએ સાઉદી અરેબિયાના ‘વિઝન-2030’ અંતર્ગત ટેક્સટાઇલ્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ક્ષેત્રે સાઉદી સરકાર દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો, સબસિડી અને લિબરલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.
અંતમાં ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સાઉદી અરેબિયાના બાયર્સને સુરતના આગામી પ્રદર્શનોમાં લાવવા અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.
દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.
CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.
ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી
એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.
આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન
ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.
આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.
7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ
ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.
ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.
ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.
સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.
મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”
ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:
1.એસોસિએશનો મારફતે: વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
2.સીધી રજૂઆત: જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
એકમનું નામ:
સરનામું:
GST નંબર:
ઉદ્યોગનું ક્ષેત્ર:
MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.
આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.
અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.
અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.
રિંગરોડથી સારોલી સુધી અનેક માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યાં; લાખોના સાડી-ડ્રેસ મટિરિયલના સ્ટોકને નુકસાન, પ્રાથમિક સર્વે બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે
CiA Live ન્યુઝ વેબ
સુરતમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના રિંગરોડ, કમેલા દરવાજા, લિંબાયત, પરવટ પાટિયા, સારોલી, પૂણા સહિતના ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં આવેલી અસંખ્ય માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સટાઇલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર સાડીઓ, ડ્રેસ મટિરિયલ તથા અન્ય કાપડના મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા સ્ટોક પાણીમાં પલળી જતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે નુકસાનનું વાસ્તવિક ચિત્ર આવતીકાલથી સ્પષ્ટ થશે, જ્યારે વેપારીઓ બેઝમેન્ટમાંથી પલળેલો માલ બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.
વેપારી સંગઠનોના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસભર વિવિધ માર્કેટોના બેઝમેન્ટમાંથી પમ્પ દ્વારા ડી-વોટરિંગ કરીને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. અનેક સ્થળોએ કલાકો સુધી પાણી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે. હાલ તંત્ર તેમજ વેપારી સંસ્થાઓ માટે સૌથી પ્રથમ પ્રાથમિક સર્વે કરાવવો જરૂરી બન્યો છે, જેથી કઈ માર્કેટમાં કેટલી દુકાનો અને ગોડાઉનોને અસર થઈ છે તથા કુલ નુકસાનનો અંદાજ મેળવી શકાય.
ટેક્સટાઇલ વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા વીમા સુરક્ષાની છે. વર્ષ 2006ના ઐતિહાસિક પૂર બાદ મોટાભાગની વીમા કંપનીઓએ બેઝમેન્ટમાં આવેલી નવી દુકાનો અને ગોડાઉનો માટે વીમા કવર આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. પરિણામે 2006 પછી વિકસેલી અનેક નવી ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં વ્યવસાય કરતા વેપારીઓ પાસે હાલમાં વરસાદી નુકસાન સામે કોઈ વીમા સુરક્ષા ઉપલબ્ધ નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ 2006 પહેલાં જેમના બેઝમેન્ટના વીમા પોલિસી ચાલુ હતા અને જેમણે સતત તેનું રિન્યૂઅલ કરાવ્યું છે, તેઓ નુકસાનના ક્લેઇમ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી શકશે. પરંતુ ત્યારબાદ બનેલી માર્કેટોમાં બેઝમેન્ટ માટે વીમાની જોગવાઈ ન હોવાથી આવા વેપારીઓને થયેલું સમગ્ર નુકસાન પોતાના ખર્ચે સહન કરવું પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બેઝમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે તૈયાર સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય કાપડના મોટા જથ્થાના સંગ્રહ માટે થાય છે. એક જ ગોડાઉનમાં લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો માલ રાખવામાં આવતો હોવાથી પાણી ભરાવાની ઘટનામાં નુકસાનનું પ્રમાણ પણ ખૂબ ઊંચું રહે છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર આંકડા સર્વે પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
વેપારી સંગઠનોએ તંત્ર સમક્ષ અસરગ્રસ્ત તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સંયુક્ત સર્વે હાથ ધરવાની માંગ કરી છે, જેથી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ અથવા સહાય જાહેર કરવામાં આવે તો તેનો લાભ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચી શકે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા અને બેઝમેન્ટ સુરક્ષા માટે લાંબા ગાળાના આયોજનની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.
છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.
ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે. ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.
છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.
હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.
આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.
બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.
પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.
નોટિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામેની 3જી T20 મેચમાં ભારતને 125 રને શરમજનક હાર મળી. ઇંગ્લેન્ડે 201 રન કર્યા, જેમાં સોલ્ટના 70 અને કરનના 41 રન હતા. જવાબમાં ભારત માત્ર 76 રનમાં ઓલઆઉટ થયું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ T20 ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર છે, જેનાથી શ્રેણી જીતવાની આશા સમાપ્ત થઈ.
IND vs ENG 3rd T20I: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી શરમજનક અને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રને હરાવીને 5 મેચોની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે, હવે ભારત માત્ર આ શ્રેણી ડ્રો કરાવી શકે તેમ છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર ફિલ સોલ્ટની દમદાર 70 રનની (44 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) ઇનિંગ અને કેપ્ટન જોસ બટલરના 36 રનની મદદથી ઝડપી શરૂઆત કરી હતી. અંતિમ ઓવરોમાં સેમ કરને 24 બોલમાં અણનમ 41 રન ફટકારીને ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 201 રન સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી.
202 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પેસ એટેક સામે માત્ર 11.4 ઓવરમાં જ 76 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 2019માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું હતું. આ ઉપરાંત, 76 રન એ ભારતનો T20માં બીજો સૌથી ઓછો સ્કોર છે (સૌથી ઓછો સ્કોર 2008માં 74 રન છે).
ભારતનો કોઈ પણ બેટ્સમેન 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશીએ 5 બોલમાં 2 છગ્ગા સાથે 13 રન અને ઇશાન કિશને 13 રન બનાવ્યા હતા. કેપ્ટન અય્યર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. આર્ચરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. હવે શ્રેણીની આગામી મેચો 9 અને 11 જુલાઈએ રમાશે.
મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.
મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.
સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.
ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ
મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.
IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.
IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદના કારણે મુંબઈ બન્યું ‘વર્ચ્યુઅલ ટાપુ’! ત્રણ તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ, હાઈવે બંધ
મહારાષ્ટ્રમાં 3 દિવસના ભારે વરસાદે મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ NDRF ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્ય હાઈવે ઠપ્પ કરોડોના ખર્ચે બનેલી ‘મિસિંગ લિંક’ પર ભૂસ્ખલન
સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર કાં તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે: માત્ર બે મહિના પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ 2 ના એક્ઝિટ પાસે ભારે ભૂસ્ખલન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ ન હોવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘અભૂતપૂર્વ’ ગણાવી હતી, કારણ કે ત્યાં અંદાજે 100 ટન જેટલો કાટમાળ ખડકાયો હતો. જો કે, મોડી સાંજે આ રૂટ ફરી શરૂ કરાયો હતો.
મુંબઈ-અમદાવાદ હાઈવે: ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.
કોંકણ રૂટ: નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.
ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર માઠી અસર પડી છે. પુણે અને મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી છે, જેથી મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.
આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (૮૦૦ વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.
હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. નાસિકમાં મંગળવારે ‘ક્લાઉડબર્સ્ટ’ (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર ૮ જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન અને BMC ના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પર્યટન સ્થળો કે ધોધ નજીક ન જવા અપીલ કરાઈ છે. ખાનગી ઓફિસોને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) આપવા સલાહ અપાઈ છે, જ્યારે બિન-જરૂરી સરકારી કચેરીઓમાં હાફ-ડે જાહેર કરાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.