CIA ALERT

ગુજરાત Archives - CIA Live

September 9, 2026
image-7.png
1min37

ગુજરાતમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, 2020’ (OSH&WC Code) અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે 10 કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલા શ્રમ સેતુ પોર્ટલ https://shramsetu.gujarat.gov.in મારફતે અરજી કરવાની રહેશે. આ જોગવાઈ મુજબ, નવી સ્થપાતી સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસની અંદર ‘ફોર્મ-1 ‘ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે.

જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી હાલની ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના 180 દિવસની અંદર ‘ફોર્મ-1 ‘ ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે.

આ ઉપરાંત, તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે. સંબંધિત કાર્યક્ષેત્રની તમામ સંસ્થાઓ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શ્રમ આયુક્તની કચેરીની યાદીમાં જણાવાયું છે.

September 9, 2026
ahmedabad-airport.png
1min32

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 7/9/26 મોડી રાતથી વહેલી સવાર સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં વિદેશથી આવેલા પેસેન્જરને દાણચોરીની કથિત મદદગારી કરવા બદલ બે કસ્ટમના સુપરિટેન્ડન્ટ અને બે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર કસ્ટમ વિભાગમાં ફફડાટ અને ચર્ચા જામી હતી.

અમદાવાદના એરપોર્ટ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાની હેરાફેરી ફોરેન કરન્સી અને સોનાના દાગીનાની દાણચોરી વધી ગઈ હતી અને કસ્ટમ વિભાગે પેસેન્જરોને પકડી ગુના પણ દાખલ કરીને ધરપકડ કરી હોવાના કિસ્સા પણ નોંધાયા હાત. તેમ છતાં ઉચ્ચકક્ષાએ કસ્ટમના અધિકારીઓને શંકા હતી કે એરપોર્ટ ઉપર કેટલાક અધિકારીઓ કસ્ટમ વિભાગના નિયમોનું પાલન કરતા નથી. જેના આધારે કેટલાક પુરાવા કસ્ટમને મળ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ્સના બે સુપરિટેન્ડન્ટ કુલદીપ પાલિવાલ અને વિનય અરોરા તેમજ બે કસ્ટમ ઇન્સ્પેક્ટર ભરત મલ મીના અને કૌશલ કિશોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

એરપોર્ટ ઉપર જે હાઇવોલ્ટેજ ડ્રામા થયો તેના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખી હકીકત જાણી શકાય છે. અમદાવાદ કસ્ટમના ટોચના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા હોવાનું જણાવીને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કસ્ટમના અધિકારીઓએ ફરજ દરમિયાન બોડીવોર્ન કેમેરા લગાવ્યા ન હતા તેવું કારણ બતાવ્યું હતું, પરંતુ બોડી વોર્ન કેમેરા નહીં લગાવવાથી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી વાત ગળે ઉતરે તેમ નથી. કસ્ટમના અધિકારીઓનું ચોક્કસપણે માનવું છે કે કેટલાક અધિકારીઓ દાણચોરી કરવામાં પેસેન્જરની મદદગારી કરી રહ્યા હતા.

હવે નજીકના દિવસોમાં વધુ કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ એક પેસેન્જર દાણચોરીનું સોનું લઈને બહાર નીકળી ગયો હતો અને એરપોર્ટ સર્કલ પાસે બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેનું અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં પણ કસ્ટમના અધિકારીઓની મદદ વગર આ પ્રકારે ગોલ્ડ બહાર નીકળવું અશક્ય હોવાનું કસ્ટમ વિભાગ માની રહ્યું છે.

August 30, 2026
modi-sir.png
1min51

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેમાં વડોદરા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર પીએમ મોદી 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ જશે, જ્યાં તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે. તેઓ સ્થળ પર એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

વડોદરામાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી બપોરે 3 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી જવાના છે. નવસારીમાં, તેઓ જિલ્લા ભાજપની નવી ઓફિસ, નમો કમલમનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે 4 વાગ્યા પછી નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે અને પછી સુરતથી મુંબઈ જવા રવાના થશે. જોકે તેમના કાર્યક્રમોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને નવસારી લોકસભા સાંસદ સીઆર પાટીલે શનિવારે પ્રધાનો, પક્ષ સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.

દરમિયાન, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ શનિવારે સાંજે વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસ ખાતે વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પીએમ મોદી 4 જુલાઈએ ગુજરાત આવ્યા હતા. જ્યારે તેમણે સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

August 29, 2026
image-32-1280x720.png
1min47

મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે સ્પેશિયલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેના સમાંતર હાઈ અથવા સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની પણ રેલવેએ તૈયારીઓ હાથ ધરી દીધી છે, જે લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.

પશ્ચિમ રેલવેએ મુંબઈથી ઉપડતી 23 આવતી જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આ ટ્રેનોની મુસાફરી વધુ ઝડપી બનવાની છે અને કેટલાક રૂટ પર મુસાફરોનો 45થી 60 મિનિટ સુધીનો સમય બચી શકે છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેની મંજૂરી બાદ આ સ્પીડ અપગ્રેડ કરાઈ છે. આ નિર્ણયનો લાભ મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદ્રા ટર્મિનસથી દોડતી એલએચબી ટ્રેનોને મળશે. આ ટ્રેનોમાં 22 એલએચબી કોચ હશે અને તેમને 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ મંજૂર ઝડપે દોડવાની પરવાનગી આપવામાં આવી છે.

આ યાદીમાં દાદર-એકતા નગર એક્સપ્રેસ, બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભુજ, બાંદ્રા-ઓખા, દાદર-ભગત કી કોઠી, દાદર-શ્રીગંગાનગર, વેરાવળ-બાંદ્રા, ઈન્દોર-હિસાર અને ઓખા-જયપુર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. લાંબા અંતરના રૂટ પર મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવાથી મુસાફરોને મુસાફરીના કુલ સમયમાં નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જોકે, આ ટ્રેનો સમગ્ર મુસાફરી દરમિયાન સતત 130 કિમી પ્રતિ કલાકની ઝડપે નહીં દોડે. ટ્રેકની સ્થિતિ, સિગ્નલિંગ, સ્ટેશન પરના સ્ટોપ, કાયમી અને અસ્થાયી સ્પીડ પ્રતિબંધો સહિતના ઓપરેશનલ કારણોસર ટ્રેનની વાસ્તવિક ઝડપ સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાશે. તેથી 45થી 60 મિનિટનો સમય બચવાનો અંદાજ છે અને ચોક્કસ કેટલો સમય બચશે તે પશ્ચિમ રેલવે દ્વારા સુધારિત સમયપત્રક જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.

આ ઉપરાંત અમદાવાદ-પટના એક્સપ્રેસ (19421/22)ને પણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેનના કોચની સંખ્યા પણ 20થી વધારીને 22 કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી એલએચબી કોચની ઉપયોગિતા વધુ સારી રીતે થશે અને સુધારિત સમયપત્રક અમલમાં આવ્યા બાદ મુંબઈથી દોડતી અનેક ટ્રેનોની મુસાફરી અગાઉ કરતાં ઝડપી બનશે તેનાથી પ્રવાસીઓના સમયની પણ બચત થશે.

August 7, 2026
image-12.png
1min60

ગુજરાતના ફરવાલાયક સ્થળો પર દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગૂગલ મેપ અને નકલી વેબસાઇટ્સ મારફતે હોટેલ બુકિંગના નામે ઠગાઈ કરતી એક નવી સાઇબર ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ગેંગ વિવિધ પ્રખ્યાત પર્યટક સ્થળો, હોટેલ્સ અને ટ્રસ્ટની અસલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટો બનાવીને સામાન્ય નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા આરોપીઓએ કાવતરું ઘડીને આ છેતરપિંડી આચરી હતી. સાયબર હેલ્પલાઇન પર મળેલી વિવિધ અરજીઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિત 24 જેટલી ભળતા નામવાળી ફેક વેબસાઇટ્સ તૈયાર કરી હતી. આ વેબસાઇટ્સને ગૂગલ સર્ચ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી, પોતે હોટેલના અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતા હતા.

લોકો જ્યારે હોટેલ કે ધર્મશાળા બુકિંગ માટે આ નકલી વેબસાઇટ્સ કે તેમાં આપેલા સંપર્ક નંબરો પર કોલ કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે યુપીઆઈ કે અન્ય ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પૈસા મળ્યા બાદ આ ગેંગ બુકિંગ ન આપતી, ખોટી માહિતી આપતી કે ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખતી હતી. આ રીતે દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે નાની-નાની રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

July 28, 2026
image-61.png
1min70

સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે, નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો તાબડતોબ દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા.

આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે.

આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી પાડવાનું આખો પ્લાન ઘડ્યો હતો.

સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વનિયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાઇરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતાં જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા.

ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.

પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા!

દાગીના ગાયબ હોવાની જાણ થતાં જ ફરિયાદી રમેશ વાઘાણી, તેમના પત્ની અને પરિવારજનો તા. 14 જુલાઈ, 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી હતી. બપોરથી સાંજ સુધી CCTV તપાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સેફના કાઉન્ટર પર બેસતા પૂર્વઆયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંથી એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે, બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે! આટલું કહી તેણે સીસીટીવી બતાવવાના બંધ કરી દીધા હતા અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. આથી ફરિયાદીને શંકા જતાં તેમણે તાત્કાલિક સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી. કામળીયા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસઘાત), 316 (5) અને પૂર્વઆયોજિત કાવતરા અંગેની કલમ 61 (2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણા દિયોરાની ધરપકડ કરી છે.

પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર અને લોકર બ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આ રીતે લોકર તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસની વિશેષ ટીમો ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

July 17, 2026
image-18.png
1min88

ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યા છે. અગાઉ પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસા થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ આતંકીઓ ગુજરાતમાં સક્રિય હતા અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની ફિરાકમાં હતા. ATSની આ મોટી સફળતાથી આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

Gujarat ATS Busts Terror Network: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય હતા, જેમને ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.

ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

July 16, 2026
image-16-1280x854.png
1min162

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

July 14, 2026
image-13.png
1min251

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

July 8, 2026
image-12.png
1min102

છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.

ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે.
ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.

પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.