CIA ALERT

વાયરલ Archives - CIA Live

March 6, 2026
image-4.png
1min14
  • ભારત સતત બીજી વખત ફાઇનલમાંઃ અમદાવાદમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સાથે ટક્કર
  • સૅમસન લાગલગાટ બીજી વાર મૅચ-વિનરઃ હાર્દિક, અક્ષરના યાદગાર પર્ફોર્મન્સઃ બુમરાહે 500મી વિકેટ લીધી

ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.

ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.

બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.

એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.

અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.

32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.

વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.

March 2, 2026
image-7.png
1min16

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

March 1, 2026
image-1.png
1min15

Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં બોલે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

મેચની 15.5 ઓવરમાં જ્યારે શ્રીલંકાએ 147 રનનો આંકડો વટાવ્યો, તેની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉસ્માન તારિકના બોલ પર દાસુન શનાકાએ એક રન લેતાની સાથે જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર ભાવુક દેખાયા હતા, ખાસ કરીને યુવા બોલર અબરાર પોતાની આંખોમાં આંસુ રોકી શક્યો નહોતો. પાકિસ્તાન બહાર થતા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય થતા હવે કોલકાતા સેમિ ફાઈનલ મેચની યજમાની કરશે. તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાશે.

February 28, 2026
image-36.png
1min15

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 28, 2026
image-34.png
1min15

Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.’

February 26, 2026
image-7.png
1min15

ભારતે (India) વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં અહીં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના બોલર્સની બોલિંગની જોરદાર ધુલાઈ કરી અને આ વખતના વર્લ્ડ કપના સૌથી ઊંચા ટોટલમાં નવો વિક્રમ રચી દીધો. ટીમ ઇન્ડિયાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 256 રન કર્યા અને વેસ્ટ ઇન્ડિઝના ઝિમ્બાબ્વે સામેના 6/254ના સ્કોરના વિક્રમને ઓળંગી લીધો હતો. ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર તમામ છ બૅટ્સમેને ડબલ ડિજિટમાં રન કર્યા હતા અને એક કે એક કરતાં વધુ ફોર તથા સિક્સર ફટકારી હતી.

પાવરપ્લેમાં પાવર બતાડનાર અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ તિલક વર્મા (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ભારતની ઇનિંગ્સના ત્રણ મુખ્ય સિતારા હતા.

ભારતના 256 રનમાં સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર), ઇશાન કિશન (38 રન, 24 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (33 રન, 13 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

ભારતને 12 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત-સાત બોલર ભારતને 256 રનનો રેકૉર્ડ-બે્રક સ્કોર કરતા રોકી નહોતા શક્યા. ખાસ કરીને બે ફાસ્ટ બોલર રિચર્ડ ઍન્ગેરવા (62 રનમાં એક વિકેટ) અને બ્રાડ ઇવાન્સ (બાવન રનમાં વિકેટ નહીં) સૌથી ખર્ચાળ બન્યા હતા.

February 23, 2026
image-26.png
1min36

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-7.png
1min21

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

February 13, 2026
somnath_temple-1280x720.jpg
1min31

મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.

સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.

સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.

February 9, 2026
image-14-1280x768.png
1min34

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.

કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.