CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - CIA Live

April 27, 2026
image-19.png
1min156

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 27, 2026
guj_gov_logo.png
1min86

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક અને ફેરબદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

આ નવા નિમણૂક પામેલા અધિકારીઓ હવે સંબંધિત જિલ્લાઓમાં વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને ‘વિકાસશીલ તાલુકાઓ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કોને ક્યાં જિલ્લામાં મુકલામાં આવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, એમ. થેન્નારસનને અમદાવાદ, શાલિની અગ્રવાલને સુરત, પી. સ્વરૂપને વડોદરા, વિનોદ રાવને ગાંધીનગર, રાજ કુમાર બેનીવાલને કચ્છ, આરતી કંવરને જામનગર, રણજીત કુમાર જે ને મહેસાણા અને પી. ભારતીને વાવ-થરાદ મુકવામાં આવ્યાં છે. આ આદેશમાં અનેક જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આણંદના અવંતિકા સિંહ ઔલખ, બનાસકાંઠાના પ્રવિણા ડીકે, ભરૂચ જિલ્લાના સંધ્યા ભુલ્લર અને મોરબીના રાજેન્દ્ર કુમારનું નામ પણ સામેલ છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરના આદેશમાં ઉલ્લેખ ન કરાયેલા જિલ્લાઓમાં હાલના પ્રભારી સચિવ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ફેરબદલનો હેતુ વિકાસ કાર્યોની દેખરેખને મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

April 25, 2026
heat-stroke.jpg
1min140

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.

April 13, 2026
image-9.png
1min90

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 12, 2026
electionbond.jpg
1min54

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.

April 6, 2026
image-1.png
1min60

ગુજરાતમાં કારનું વેચાણ વધ્યું છે. નાણાકીય વર્ષ 2026માં ગુજરાતના પેસેન્જર વ્હીકલ માર્કેટમાં 11% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, આ વૃદ્ધિ ક્લીન મોબિલિટી તરફના સંપૂર્ણ ઝુકાવને બદલે વિવિધ પ્રકારના ઈંધણના વિકલ્પો પર વધુ આધારિત રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના રજિસ્ટ્રેશન ડેટા મુજબ, કારનું કુલ વેચાણ નાણાકીય વર્ષ 2025માં 3.47 લાખ યુનિટથી વધીને નાણાકીય વર્ષ 2026માં 3.86 લાખ યુનિટ થયું છે. આ આંકડા ખર્ચ, પર્ફોર્મન્સ અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાતી ગ્રાહકોની પ્રાથમિકતા દર્શાવે છે.

ડીઝલ વાહનો આ વૃદ્ધિમાં સૌથી મોટા ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યા છે. ડીઝલ વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે અંદાજે 11,800 યુનિટનો વધારો થયો છે, જે લગભગ 16% નો ઉછાળો સૂચવે છે. ઉદ્યોગના નિષ્ણાતો આ સ્થિરતા પાછળ SUV અને મોટા વાહનોની સતત માંગને જવાબદાર માને છે, જ્યાં ડીઝલ એન્જિન હજુ પણ શ્રેષ્ઠ ટોર્ક, ઈંધણ કાર્યક્ષમતા અને હાઈવે પર્ફોર્મન્સ આપે છે.

સૂત્રોએ જણાવ્યું કે, SUV પ્રત્યેનો મજબૂત આકર્ષણ ડીઝલની માંગ વધારી રહ્યો છે. જે ગ્રાહકો વારંવાર લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ હજુ પણ ડીઝલને સૌથી વ્યવહારુ વિકલ્પ માને છે. સમગ્ર ગુજરાતમાં SUVની લોકપ્રિયતા વધી રહી છે કારણ કે પરિવારો હવે લાંબા અંતરની સડક મુસાફરીને વધુ પસંદ કરી રહ્યા છે. સેડાન પસંદ કરતા ગ્રાહકો હવે હાઈવે પર વધુ આરામ, જગ્યા અને ડ્રાઈવિંગ કોન્ફિડન્સ માટે SUV પસંદ કરી રહ્યા છે. ઘરોમાં હવે એક SUV પ્રવાસ માટે અને બીજી કાર રોજિંદા ઉપયોગ માટે રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ સ્થિતિમાં, ઊંચી કિંમત હોવા છતાં ડીઝલ SUV લોકપ્રિય પસંદગી બની રહી છે.

પેટ્રોલ-CNG વાહનોમાં પણ 14% થી વધુ અથવા 18,000 થી વધુ યુનિટ્સનો મજબૂત વધારો નોંધાયો છે. ઈંધણના ઊંચા ભાવોને કારણે શહેરી અને અર્ધ-શહેરી ગ્રાહકો ઓછા રનિંગ કોસ્ટ માટે CNG તરફ વળી રહ્યા છે. આનાથી ભારતના સૌથી મજબૂત CNG વ્હીકલ માર્કેટ તરીકે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત થયું છે.

હાઈબ્રિડ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ડીઝલ હાઈબ્રિડમાં 55% અને હાઈબ્રિડ EVમાં 36% નો વધારો થયો છે. જોકે, તેમની કુલ સંખ્યા હજુ મર્યાદિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EV અપનાવવામાં આવતા પડકારો વચ્ચે હાઈબ્રિડ વાહનો એક મધ્યમ માર્ગ તરીકે સ્વીકૃતિ મેળવી રહ્યા છે, જોકે ઊંચી કિંમત અને મર્યાદિત મોડેલો હજુ પણ તેના વ્યાપક ઉપયોગને મર્યાદિત કરે છે.

માત્ર પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ડેટા મુજબ ગ્રાહકો ઈલેક્ટ્રિફિકેશન તરફ એકધારો ફેરફાર કરવાને બદલે ખર્ચ અને જરૂરિયાત મુજબ ઈંધણની પસંદગી કરી રહ્યા છે.

April 6, 2026
bad_weather.jpg
1min68

એપ્રિલની શરૂઆતથી જ સમગ્ર દેશમાં હવામાન પલટાયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઝારખંડ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આંધી-વરસાદે કહેર મચાવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, આ સપ્તાહે ઉત્તર પશ્ચિમ ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર 7 અને 8 એપ્રિલે સૌથી વધારે જોવા મળશે. આ દરમિયાન 12 રાજ્યોમાં આંધી-વરસાદની સાથે કરાનું એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે. 8 એપ્રિલથી રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.

ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આંધી-વરસાદની સાથે કરા પડી શકે છે. આઈએમડી અનુસાર 7 અને 8 એપ્રિલે પશ્ચિમ યુપીમાં આંધી-વરસાદ, 8-9 એપ્રિલે પૂર્વ યુપીમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આશરે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં બુધવાર સુધી ભારે વરસાદ અને કરા પડી શકે છે.

બિહારમાં પણ આંધી-વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે, આજથી ત્રણ દિવસ સુધી એટલે કે 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. આ દરમિયાન 50 થી 70 કિમીને ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઉત્તરાખંડમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે 72 કલાક સુધી ભારે પવન સાથે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે. વીજળી પડવાની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે.

પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે. રાજસ્થાનના અનેક હિસ્સામાં છેલ્લા બે દિવસમાં થયેલા વરસાદ-કરાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે. 6-7 એપ્રિલે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પશ્ચિમ તથા પૂર્વ રાજસ્થાનમાં ક્યાંક કરા પડ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, ઝારખંડમાં કેટલીક જગ્યાએ 6 થી 8 એપ્રિલ દરમિયાન કરા, વરસાદની શક્યતા છે. આ દરમિયાન હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક જિલ્લામાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

March 25, 2026
image-11.png
2min43

Uniform Civil Code: 24મી માર્ચ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.’

  • બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
  • ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
  • દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
  • છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
  • કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
  • લિવ-ઇન રિલેશનશિપ
  • ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
  • કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને 17 માર્ચે સુપરત કર્યો હતો, જે બાદ આજે વિધાનસભામાં ચર્ચા કરી બિલને પસાર કરવામાં આવ્યું છે.

March 21, 2026
image-9.png
1min46

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.

March 21, 2026
image-8-1280x853.png
1min55

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.