CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - CIA Live

August 19, 2026
image-25.png
1min34

ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

August 7, 2026
image-12.png
1min52

ગુજરાતના ફરવાલાયક સ્થળો પર દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગૂગલ મેપ અને નકલી વેબસાઇટ્સ મારફતે હોટેલ બુકિંગના નામે ઠગાઈ કરતી એક નવી સાઇબર ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ગેંગ વિવિધ પ્રખ્યાત પર્યટક સ્થળો, હોટેલ્સ અને ટ્રસ્ટની અસલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટો બનાવીને સામાન્ય નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા આરોપીઓએ કાવતરું ઘડીને આ છેતરપિંડી આચરી હતી. સાયબર હેલ્પલાઇન પર મળેલી વિવિધ અરજીઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિત 24 જેટલી ભળતા નામવાળી ફેક વેબસાઇટ્સ તૈયાર કરી હતી. આ વેબસાઇટ્સને ગૂગલ સર્ચ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી, પોતે હોટેલના અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતા હતા.

લોકો જ્યારે હોટેલ કે ધર્મશાળા બુકિંગ માટે આ નકલી વેબસાઇટ્સ કે તેમાં આપેલા સંપર્ક નંબરો પર કોલ કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે યુપીઆઈ કે અન્ય ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પૈસા મળ્યા બાદ આ ગેંગ બુકિંગ ન આપતી, ખોટી માહિતી આપતી કે ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખતી હતી. આ રીતે દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે નાની-નાની રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

August 7, 2026
image-10.png
1min58

પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી બજરંગદાસજી સીતારામ આશ્રમ સનાતન સંસ્થા બગદાણા દ્વારા બજરંગદાસ બાપાના વાસ્તવિક સ્વરૂપ, પવિત્રતા અને આશ્રમની અધિકૃત પરંપરાઓની જાળવણી અર્થે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત આવેદનાત્મક આવેદન જાહેર કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી પૂજ્ય બાપાના કલ્પનિક ફોટા, બનાવટી દ્રશ્યો અને મનઘડંત વાર્તાઓ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી રહી છે, જે અંગે આશ્રમ ટ્રસ્ટ દ્વારા ભારે ચિંતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

​સંસ્થાન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે બાપાનું સમગ્ર જીવન રામનામના જપ, સાદગી, સરળતા અને માનવતાની પરમ સેવામાં જ આધારિત રહ્યું છે. તેમણે ક્યારેય ચમત્કારોના દાવો કર્યા નથી પરંતુ પોતાની ઉચ્ચ સાધનાના બળે કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

આવા સમયે AI વડે તૈયાર કરાતી ખોટી સામગ્રી પૂજ્ય બાપાના પવિત્ર સ્વરૂપ સાથે મોટો અન્યાય છે. જો આ કલ્પનિક સામગ્રીને તાત્કાલિક ધોરણે અટકાવવામાં નહીં આવે તો આવનારી પેઢી સાચા ઇતિહાસથી વંચિત રહી જશે અને AI દ્વારા જનરેટ થયેલા વિકૃત ચિત્રોને જ સત્ય માની લેશે.

​આ પરિસ્થિતિને ધ્યાને રાખી ગુરુ આશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળ, મેનેજર અને સ્વયંસેવકો દ્વારા તમામ ભક્તોને અવાસ્તવિક AI ફોટા કે રીલ્સ આગળ શેર ન કરવા, તેને પ્રોત્સાહન ન આપવા અને જે લોકોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા ફોટા મૂક્યા હોય તેને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક સૂચના સાથે વિનંતી કરવામાં આવી છે. પૂજ્ય બાપાના મૂળ ચિત્રો અને સાચા વિચારોને જાળવી રાખીને આવનારી પેઢી સુધી સાચો વારસો પહોંચાડવો એ જ સાચી ભક્તિ હોવાનું આશ્રમ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

July 5, 2026
rain-alert.png
1min56

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અપાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

5/7/206: 8 જિલ્લામાં રેડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ ‘હાઇ વેવ એલર્ટ’ એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

June 9, 2026
image-6.png
1min97

સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ચાલી રહેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં Date 7 June 2026 રવિવારે સ્ટેજ પાસે આવીને કેટલાક લોકો ધૂણતા તેમ જ એક મહિલાએ ધૂણતાં- ધૂણતાં આસપાસમાં ઊભેલા લોકો પર હુમલો કરતાં હોબાળો થયો હતો અને વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં લોકો ધૂણતા હોય એવા વિડિયો વાઇરલ થયા હતા જેના કારણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. આ મુદ્દે વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી.

સ્ટેજ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક બોલી રહ્યા હતા એ દરમ્યાન સ્ટેજની સામે કેટલીક મહિલાઓ, પુરુષો અને બાળક આવીને ધૂણવા માંડ્યાં હતાં. ધૂણતાં-ધૂણતાં કેટલાક લોકો ચીસો પાડતા હતા તો કેટલાક લોકો રડતા હતા. એટલું જ નહીં, કેટલાક જમીન પર આળોટતા હતા. ધૂણતા લોકોના વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર હુમલો કર્યો હતો. એક પત્રકાર પર પણ આ મહિલાએ હુમલો કર્યો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો. જોકે લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતમાં ગેરકાયદે છે : પુરુષોત્તમ પીપળિયા

રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતના પ્રવર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે છે તો શા માટે પોલીસ નથી રોકતી એને? શા માટે પ્રશાસન નથી રોકતું? શા માટે કલેક્ટર તંત્ર સરકારનું ધ્યાન દોરતી નથી? અને આવા ડખાળા થવા દે છે.’

બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું : મંગેશ દેસાઈ

કથાના આયોજકો પૈકીના મંગેશ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા મંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપ્યું નહોતું ધૂણવા માટે.’

April 27, 2026
image-19.png
1min253

હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.

કયા જિલ્લાઓમાં એલર્ટ?

26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.

27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.

તાપમાનનો પારો ક્યાં પહોંચશે?

IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.

યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

26/04/2026 ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 43.0 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 40.4 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 42.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 32.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 39.5 ડિગ્રી સેલ્સિયસ,, નલિયામાં 38.0 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 39.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 44.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 34.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

April 27, 2026
guj_gov_logo.png
1min128

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રભારી સચિવોની નિમણૂક અને ફેરબદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

આ નવા નિમણૂક પામેલા અધિકારીઓ હવે સંબંધિત જિલ્લાઓમાં વહીવટી કામગીરી અને વિકાસલક્ષી કાર્યોનું નિરીક્ષણ કરશે. ખાસ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ અને ‘વિકાસશીલ તાલુકાઓ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કોને ક્યાં જિલ્લામાં મુકલામાં આવ્યાં

વિગતે વાત કરવામાં આવે તો, એમ. થેન્નારસનને અમદાવાદ, શાલિની અગ્રવાલને સુરત, પી. સ્વરૂપને વડોદરા, વિનોદ રાવને ગાંધીનગર, રાજ કુમાર બેનીવાલને કચ્છ, આરતી કંવરને જામનગર, રણજીત કુમાર જે ને મહેસાણા અને પી. ભારતીને વાવ-થરાદ મુકવામાં આવ્યાં છે. આ આદેશમાં અનેક જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓના નામ સામેલ છે. આણંદના અવંતિકા સિંહ ઔલખ, બનાસકાંઠાના પ્રવિણા ડીકે, ભરૂચ જિલ્લાના સંધ્યા ભુલ્લર અને મોરબીના રાજેન્દ્ર કુમારનું નામ પણ સામેલ છે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તાજેતરના આદેશમાં ઉલ્લેખ ન કરાયેલા જિલ્લાઓમાં હાલના પ્રભારી સચિવ વ્યવસ્થા ચાલુ રહેશે. આ ફેરબદલનો હેતુ વિકાસ કાર્યોની દેખરેખને મજબૂત બનાવવા અને જિલ્લા સ્તરે સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

April 25, 2026
heat-stroke.jpg
1min221

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.

April 13, 2026
image-9.png
1min156

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 12, 2026
electionbond.jpg
1min83

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.