CIA ALERT
29. November 2023

સૌરાષ્ટ્ર Archives - CIA Live

November 27, 2023
weather-forecast.jpg
1min18

રાજ્યભરમાં કમોસમી માવઠાએ જોર પકડ્યું છે, મોટાભાગના જિલ્લાઓ વરસાદ સાથે અસહ્ય ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે, તો ઘણા જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી સાંજે 4.00 વાગ્યા સુધીમાં કુલ 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના ભાભર તાલુકામાં 2 ઈંચ વરસાદ, તો રાજ્યના 8 જિલ્લાઓમાં દોઢ ઈંચ, 17 તાલુકાઓમાં 1 ઈંચ, જ્યારે 65 તાલુકાઓમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

March 25, 2023
private-university.jpg
1min254

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્ય સરકારે ગુજરાતમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે અને ગુજરાત યુનિવર્સિટી (સુધારા) બિલ, 2023 આગામી થોડા દિવસોમાં રાજ્ય વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ યુનિવર્સિટીઓ સાથે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની કુલ સંખ્યા 108 થશે. હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓની સંખ્યા 108 થઇ કેટલીક પ્રાઇવેટ યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં કોલેજો કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

  • 1. અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી
  • 2. અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટી
  • 3. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી
  • 4. વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી
  • 5. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી

રાજ્ય સરકારની મંજૂરી પામનારી નવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં બે યુનિવર્સિટી અમદાવાદમાં છે. જેમાં એક અમદાવાદમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટી અને બીજી અમદાવાદના સાણંદમાં કે.એન. યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં સિગ્મા યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતમાં વાપીમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવી યુનિવર્સિટીઓનું ઇન્સ્પેકશન, વેરિફિકેશન સહિતની પ્રક્રિયાઓ દરમિયાન સરકારી કમિટીએ એવું નોંધ્યું કે પાંચેય સ્થળો પર તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે આથી તેમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાંથી 11 વધુ અરજીઓ છે જે યુનિવર્સિટીનો દરજ્જો ઇચ્છે છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આવતા વર્ષે પણ આ અરજીઓને મંજૂરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટી સાથે સંલગ્ન ગ્રાન્ટ-ઇન-એઇડ અને ખાનગી કોલેજો આ નવી યુનિવર્સિટીઓ સાથે જોડાણ લે તેવી શક્યતા છે.

February 15, 2023
bhavnath-mahdev-view.jpg
1min129

15/02/23: આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળનો પ્રારંભ થશે. જૂનાગઢમાં દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.  તંત્ર દ્વારા આ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મેળા માટે મુખ્યત્વે જવાબદારી હોય તે જ અધિકારી રજા પર ઉતર્યા છે. જુનાગઢ કલેક્ટર રચિત રાજ મેળા પ્રારંભ પૂર્વે જ રજા પર ઉતરતા મેળાના સંચાલનનો સમગ્ર ચાર્ટ ડીડીઓ મીરાંત પરીખના શિરે આવ્યો છે. 

લાખો ભાવિકોના આગમન અને ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દડોવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી હતી. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.

ગિરનાર નેચર સફારી રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી રહેશે બંધ. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

November 9, 2022
election_coverage-1280x1047.jpg
3min236

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ ૩૯ રાજકીય પક્ષોના ઉમેદવારો છે.૩૯ પક્ષોના કુલ ૭૮૮ ઉમેદવારોમાં ૭૦ મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ ૧૦ ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ૫૭ ઉમેદવારો બીએસપી દ્વારા અને ૧૪ ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા ૧૦ ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉબા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે ૩૩૯ ઉમેદવારો છે.જેમાં ૩૫ મહિલાઓ છે અને ૩૦૪ પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના ૮૯ ઉમેદવારોમાં ૯ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના ૮૮ ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકો સામે જ્યાં ૧૮૨૮ ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો સામે ૭૮૮ ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

10/11/22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BJPના ઉમેદવારોની પહેલી યાદી : વાંચો અહીં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી આજે તા.10મી નવેમ્બરે સવારે જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોની ઉમેદવારીપત્રક ભરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

9/11/22: BJP દ્વારા આજથી સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં અગ્રેસર ગુજરાત કેમ્પેન

ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ લોન્ચ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતી કાલે ટેકસટાઇલ માર્કેટમાં Date 9/11/22 કેમ્પઇન શરૂ કરવામાં આવશે.

આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવા આ કાર્યક્રમ છે. ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોને સંકલ્પ પત્રમાં સમાવીશું.

અગ્રેસર ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સુચનપેટીઓ મુકાશે તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મુકવામાં આવશે. જેમાંથી ગુજરાતના નાગરિકોના અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જાણવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરત આવી રહ્યા છે તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ સુરત આવશે તે સચિન વિસ્તારમાં આ કેમ્પઇનમાં ભાગ લેશે.

November 7, 2022
supreme.jpg
1min208

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.

EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે. 

જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે.  ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.

બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.

November 4, 2022
morbi.png
1min190

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.

October 31, 2022
morbi.png
1min346

મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

October 31, 2022
morbi.png
2min200

સોમવાર તા.31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યે અપડેટેડ સમાચાર

રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.

મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી. 

નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું  હતું. રિપેરીંગ માટે  સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. 

૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ  પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.

મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં  મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી. 

ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા  લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી. 

ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.  

સ્થળ પર પહોંચેલા મંત્રી  બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે.  ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે. 

પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો  અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.

બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો

મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.

ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી. 

October 30, 2022
PM_Modi.jpg
1min176

ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.

ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.

October 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min214

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત હીરા કંપની, SRK એક્ષ્પોર્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ કાળમાં આપેલું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગઇ તા.20મી ઓક્ટોબર 2022ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસ.આર.કે. સ્પોર્ટસ પાર્કમાં SRK એક્ષ્પોર્ટના કર્મચારીઓ સાથે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં SRK એક્ષ્પોર્ટ તરફથી તેમના 1000 કર્મચારીઓને રૂફટોપ સોલાર સિસ્ટમ દિવાળી બોનસ તરીકે ભેંટ આપવામાં આવી હતી. SRK એક્ષ્પોર્ટમાં કુલ 6000 કર્મચારીઓ કાર્યરત છે, તેમને તબક્કાવાર સોલાર રૂફટોપની વહેંચણી કરવામાં આવશે.

SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “શ્રી ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”

SRK એક્સપોર્ટ્સના પાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.

શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે: 
“શ્રી ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.  એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં  પગલાં લેવા જોઇએ  તેની માહિતી અને સમજ  પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં  પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ  થાય એ એમની કાયમી ચિંતા હોય છે.