CIA ALERT

Alert Archives - CIA Live

September 14, 2026
Ashok-jirawaa-global-expo-1280x853.jpeg
1min14

રોજ 6 કરોડ મીટર ગ્રે કાપડનું ઉત્પાદન કરતી સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રી પર કોસ્ટિંગનો માર; ફોગવાની વિવરોને 15થી 20% ભાવવધારાની અપીલ

સુરત, તા.14

દેશ-વિદેશના ટેક્સટાઇલ માર્કેટને દરરોજ કરોડો મીટર કાપડ પૂરું પાડતા સુરતના વિવિંગ ઉદ્યોગ સામે હવે ઉત્પાદન વધારવા કરતાં ઉત્પાદન ખર્ચ અને વેચાણભાવ વચ્ચેનું સંતુલન જાળવવાનો પડકાર ઊભો થયો છે. યાર્નના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પ્રોસેસિંગના જોબ ચાર્જમાં પણ વધારો થયો છે, પરંતુ તેની સામે ગ્રે કાપડના વેચાણભાવમાં અપેક્ષિત વધારો નહીં થતાં વિવરોનું માર્જિન સતત દબાઈ રહ્યું છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા વિવિંગ કારખાનેદારો દ્વારા દરરોજ અંદાજે 6 કરોડ મીટર ગ્રે કાપડનું ઉત્પાદન થાય છે. પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ સહિતના યાર્નમાંથી તૈયાર થતું આ ગ્રે કાપડ દેશના વિવિધ ટેક્સટાઇલ કેન્દ્રો ઉપરાંત વિશ્વના અનેક બજારો સુધી પહોંચે છે. સુરતનું વિવિંગ સેક્ટર એટલે માત્ર સ્થાનિક ઉત્પાદનનું કેન્દ્ર નહીં, પરંતુ દેશ અને દુનિયાની ટેક્સટાઇલ સપ્લાય ચેઇનનું એક મહત્વનું હબ છે.

પરંતુ હાલમાં આ જ વિશાળ ઉત્પાદન ક્ષમતા વિવરો માટે પડકાર બની રહી છે. યાર્નના ભાવ વધે ત્યારે તેની સીધી અસર કાપડની કોસ્ટિંગ પર પડે છે. યાર્ન ઉત્પાદન ખર્ચનો મુખ્ય હિસ્સો હોવાથી તેમાં થતો વધારો વિવિંગ યુનિટની સમગ્ર કોસ્ટિંગને ઊંચી લઈ જાય છે. બીજી તરફ બજારમાં તૈયાર ગ્રે કાપડ જૂના ભાવે વેચાતું રહે તો વધેલી કોસ્ટ અને વેચાણભાવ વચ્ચેનું અંતર વિવરોના નફામાંથી જ ભરપાઈ કરવું પડે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા વિવરોને હવે જૂના ભાવે ગ્રે કાપડ નહીં વેચવા અને વધેલા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને 15થી 20 ટકા ભાવવધારો કરીને જ માલ વેચવા અપીલ કરવામાં આવી છે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે યાર્ન સહિતના ઇનપુટ કોસ્ટમાં વધારો થયા બાદ જૂના ભાવે ગ્રે કાપડ વેચવાથી વિવરો માટે ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય ખર્ચ પણ સતત વધી રહ્યા હોય ત્યારે માત્ર યાર્નના ભાવવધારાનો બોજ વિવરો સહન કરી શકે તેવી સ્થિતિ નથી.

વિવરોની મુશ્કેલીમાં વધુ વધારો પ્રોસેસિંગ જોબ ચાર્જમાં થયેલા તાજેતરના વધારાથી થયો છે. ગ્રે કાપડ તૈયાર થયા બાદ પ્રોસેસિંગ માટે ચૂકવવાનો ખર્ચ વધતાં સમગ્ર ઉત્પાદનની અંતિમ કોસ્ટ વધુ ઊંચી થઈ છે. એટલે યાર્નથી લઈને ગ્રે કાપડ અને ત્યારબાદ પ્રોસેસિંગ સુધી ટેક્સટાઇલ ચેઇનના અલગ-અલગ તબક્કે ખર્ચ વધી રહ્યો છે.

આ સંજોગોમાં ફોગવાનો ભાવવધારાનો સંદેશ સ્પષ્ટ છે—કોસ્ટ વધે અને ભાવ ન વધે તો ઉત્પાદનનું પ્રમાણ મોટું હોવા છતાં નફો બચતો નથી. રોજ 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતી ઇન્ડસ્ટ્રીમાં વિવરોને માત્ર મશીનો ચલાવવાનો નહીં, પરંતુ આર્થિક રીતે ટકાઉ ભાવે ઉત્પાદન કરવાનો અવકાશ મળવો જરૂરી છે.

સુરતના વિવિંગ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ગ્રે કાપડના ભાવમાં સુધારો થાય છે કે નહીં તે મહત્વનું બની રહેશે. કારણ કે યાર્ન અને અન્ય ઇનપુટના ભાવમાં વધારો ચાલુ રહે અને ગ્રે કાપડના ભાવ સ્થિર રહે તો તેની સીધી અસર વિવિંગ યુનિટોના માર્જિન પર પડશે. બીજી તરફ ભાવવધારો બજાર સ્વીકારશે તો વધેલા ઉત્પાદન ખર્ચને સરભર કરવાની વિવરોને રાહત મળી શકે છે.

છ કરોડ મીટર દૈનિક ઉત્પાદન કરતું સુરતનું વિવિંગ સેક્ટર દેશ-વિદેશની ટેક્સટાઇલ જરૂરિયાત પૂરી કરી રહ્યું છે, પરંતુ હવે આ ઉત્પાદનની પાછળ રહેલા વિવરો માટે “વોલ્યુમ” કરતાં “વાજબી માર્જિન” વધુ મોટો પ્રશ્ન બની ગયો છે.

September 12, 2026
mbbs.jpg
1min30

NMCની મંજૂરીથી દેશમાં 13,186 MBBS બેઠકોનો વધારો, કુલ બેઠકો 1.40 લાખને પાર; ગુજરાતમાં કુલ MBBS સીટ 7,800 થઈ

નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા 2026 માટે દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં MBBSની 13,186 નવી બેઠકોને મંજૂરી આપવામાં આવી છે. આ વધારા બાદ દેશમાં MBBSની કુલ બેઠકો વધીને 1,40,214 થઈ ગઈ છે. મેડિકલ શિક્ષણમાં બેઠકો વધારવાનો આ નિર્ણય NEET-UG પછી મેડિકલ પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ વધારામાં ગુજરાતને 250 નવી MBBS બેઠકો મળી છે. પરિણામે ગુજરાતમાં MBBSની કુલ બેઠકો વધીને 7,800 થઈ ગઈ છે. ગુજરાતમાં થયેલો વધારો કર્ણાટક, તમિલનાડુ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોની સરખામણીએ ઓછો છે, પરંતુ રાજ્યના મેડિકલ એજ્યુકેશન ક્ષેત્ર માટે આ વધારો મહત્વપૂર્ણ છે.

રાજ્યવાર આંકડા પ્રમાણે કર્ણાટકમાં સૌથી વધુ 1,650 MBBS બેઠકો વધારવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ MBBS બેઠકોની સંખ્યા 15,745 થઈ છે. કર્ણાટક બાદ તમિલનાડુમાં 1,250, બિહારમાં 1,240 અને ઉત્તર પ્રદેશમાં 1,200 બેઠકોનો વધારો થયો છે.

રાજસ્થાનમાં 1,100 અને તેલંગાણામાં 1,010 MBBS બેઠકો ઉમેરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 975, છત્તીસગઢમાં 645 અને મહારાષ્ટ્રમાં 550 બેઠકોનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં NMCની મંજૂરી બાદ 250 MBBS બેઠકોનો વધારો થયો છે. હવે રાજ્યમાં કુલ 7,800 MBBS બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકોમાં વધારો થવાથી NEET-UGમાં મેડિકલ પ્રવેશ મેળવવા ઇચ્છતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરકારી તેમજ અન્ય મેડિકલ કોલેજોમાં પ્રવેશની તકોમાં વધારો થવાની શક્યતા છે.

September 11, 2026
image-9.png
1min31

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS Summit 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. પુતિન શુક્રવારે દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચવા પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિક વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું. તેઓ BRICS Summitમાં ભાગ લેવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે. છેલ્લા 9 મહિનામાં પુતીનનો આ બીજો ભારત પ્રવાસ છે. આની પહેલા તેઓ 5 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા.

પુતિનના દિલ્હી પહોંચતા પહેલા જ સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ ભારત મંડપમ જવાના તેમના રસ્તાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

પુતિનના રોકાવાની શક્યતા હોય તેવી હોટેલમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ અને તેની આસપાસ અનેક સ્તરો પર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રશિયન સુરક્ષા ટીમ પણ અગાઉથી જ દિલ્હી પહોંચી ચૂકી છે. આ ટીમે હોટેલ અને આસપાસના વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.

September 9, 2026
ahmedabad-airport.png
1min35

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 7/9/26 મોડી રાતથી વહેલી સવાર સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં વિદેશથી આવેલા પેસેન્જરને દાણચોરીની કથિત મદદગારી કરવા બદલ બે કસ્ટમના સુપરિટેન્ડન્ટ અને બે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર કસ્ટમ વિભાગમાં ફફડાટ અને ચર્ચા જામી હતી.

અમદાવાદના એરપોર્ટ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાની હેરાફેરી ફોરેન કરન્સી અને સોનાના દાગીનાની દાણચોરી વધી ગઈ હતી અને કસ્ટમ વિભાગે પેસેન્જરોને પકડી ગુના પણ દાખલ કરીને ધરપકડ કરી હોવાના કિસ્સા પણ નોંધાયા હાત. તેમ છતાં ઉચ્ચકક્ષાએ કસ્ટમના અધિકારીઓને શંકા હતી કે એરપોર્ટ ઉપર કેટલાક અધિકારીઓ કસ્ટમ વિભાગના નિયમોનું પાલન કરતા નથી. જેના આધારે કેટલાક પુરાવા કસ્ટમને મળ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ્સના બે સુપરિટેન્ડન્ટ કુલદીપ પાલિવાલ અને વિનય અરોરા તેમજ બે કસ્ટમ ઇન્સ્પેક્ટર ભરત મલ મીના અને કૌશલ કિશોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

એરપોર્ટ ઉપર જે હાઇવોલ્ટેજ ડ્રામા થયો તેના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખી હકીકત જાણી શકાય છે. અમદાવાદ કસ્ટમના ટોચના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા હોવાનું જણાવીને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કસ્ટમના અધિકારીઓએ ફરજ દરમિયાન બોડીવોર્ન કેમેરા લગાવ્યા ન હતા તેવું કારણ બતાવ્યું હતું, પરંતુ બોડી વોર્ન કેમેરા નહીં લગાવવાથી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી વાત ગળે ઉતરે તેમ નથી. કસ્ટમના અધિકારીઓનું ચોક્કસપણે માનવું છે કે કેટલાક અધિકારીઓ દાણચોરી કરવામાં પેસેન્જરની મદદગારી કરી રહ્યા હતા.

હવે નજીકના દિવસોમાં વધુ કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ એક પેસેન્જર દાણચોરીનું સોનું લઈને બહાર નીકળી ગયો હતો અને એરપોર્ટ સર્કલ પાસે બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેનું અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં પણ કસ્ટમના અધિકારીઓની મદદ વગર આ પ્રકારે ગોલ્ડ બહાર નીકળવું અશક્ય હોવાનું કસ્ટમ વિભાગ માની રહ્યું છે.

September 8, 2026
SDA-1280x576.jpeg
1min36

ચાલુ વર્ષની ટર્મના તમામ હોદ્દેદારોને આગામી વર્ષ માટે પણ જવાબદારી સોંપવાનો કારોબારી મિટીંગમાં નિર્ણય

ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓના સૌથી મોટા સંગઠન સુરત ડાયમંડ એસોસીએશનની કારોબારી મિટીંગ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઇ હતી. મિટીંગમાં એસોસીએશનના વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષની ટર્મમાં ફરજ બજાવી રહેલા તમામ હોદ્દેદારોને આગામી ટર્મ માટે પણ રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.

એસોસીએશન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વર્ષ 2026-27 માટે પણ હાલના હોદ્દેદારો જ પોતાની જવાબદારી સંભાળશે. આ નિર્ણયથી એસોસીએશનની વર્તમાન ટીમ પર કારોબારી સભ્યો દ્વારા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વર્ષ 2026-27 માટેની હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઇ પી. ખુંટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ એમ. પટેલ, મંત્રી તરીકે ધીરુભાઇ પી. સવાણી, સહમંત્રી તરીકે શ્રીકિર્તીકુમાર એલ. શાહ તથા ખજાનચી તરીકે શાંતિલાલ વી. ધાનાણીની જવાબદારી યથાવત્ રાખવામાં આવી હોવાનું એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.

એસોસીએશનની કારોબારી મિટીંગમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને પગલે આગામી વર્ષ દરમિયાન પણ સંગઠનની કામગીરી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે હાલની ટીમ જ આગેવાની કરશે. હોદ્દેદારોની પુનઃવરણી અંગેનો નિર્ણય એસોસીએશનની સતત કામગીરી અને વર્તમાન ટીમના અનુભવને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મિટીંગની વિગતો પરથી સ્પષ્ટ થાય છે.

September 8, 2026
FSTL8172.JPG-1280x853.jpeg
1min71
  • સુરતના હીરા ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતા કુત્રિમ હીરાના ઉત્પાદકો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિમાં
  • મંદીનો માહોલ નથી છતાં પોલિશ્ડ લેબગ્રોનના ભાવ વધતા નથી, બીજી તરફ લેબગ્રોન રફ ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે

તા.7, આજે સોમવારે સાંજે કતારગામ, આંબાતલાવડી સ્થિત પાટીદાર વાડી ખાતે યોજાયેલા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્પાદકો, કટ એન્ડ પોલિશ્ડ કરતા કારખાનેદારો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિ વચ્ચે પોલિશ્ડ (તૈયાર) લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો સામૂહિક અને સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ તા.8મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે પોલિશ્ડ લેબગ્રોન ખરીદનારા વેપારીઓ, ઝવેરાત ઉત્પાદકોને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધારા અંગે વિધિવત રીતે જાણ કરવામાં આવશે.

લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના સ્નેહ મિલન કમ જાહેર મિટીંગમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાગાણી, ઉપપ્રમુખ હરેશ નારોલા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ રફ લેબગ્રોન ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે અને ચીનથી આયાત થતાં રફ ડાયમંડમાં તો છાશવારે વધારો થાય છે. બીજી તરફ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી. આગેવાનોએ ત્યાં સુધી કહ્યું કે એવું પણ નથી કે બજારમાં લેબગ્રોનની ડિમાંડ નથી કે મંદીનો માહોલ છે. કોઇપણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિ ન હોવા છતાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી, તેની પાછળ રહેલા કારણોની આ મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે એવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કરવો. જે તે કેરેટ, ક્લેરિટી, પ્યોરિટી, કલર વગેરે જોઇને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સરવાળે 20 ટકાનો વધારો કરવો.

લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને સંગઠન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની તાકીદે જાણ કરવી. લેબગ્રોન ડાયમંડ એસોસીએશને હીરાની દલાલી કરતા વ્યવસાયિકોને પણ અપીલ કરી હતી કે જ્યારે પણ તેઓ ગ્રાહકને પોલિશ્ડ લેબગ્રોન બતાવવા જ્યાર ત્યારે ભાવમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી નહીં અને બજારભાવ કરતા 20 ટકા ભાવ વધારીને જ કિંમત કહેવી.

અન્ય મહત્વના નિર્ણય અંગે લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી અને હરેશ નારોલાએ જણાવ્યું કે હાલમાં જે 7 ટકા વટાવનો ધારો ચાલી આવે છે તે પણ વેચનારાઓ માટે નુકસાની સમાન છે. 7 ટકા વટાવને બદલે હવેથી માત્ર 4 ટકા વટાવ કાપવાનો ધારો તાત્કાલિક અસરથી અમલી બનાવવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક આગેવાનો સર્વ બાબુભાઇ વાઘાણી, પ્રમુખ, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, હરેશ નારોલા, ઉપપ્રમુખ લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, જયેશ લાઠીયા, અજય દરેડ, પિયુષ સુદાણી, મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ), કેશુભાઇ ગોટી, ચિરાગ શાહ સહિતના આગેવાનોએ વર્તમાન પરિસ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને ટકાવી રાખવા સંતુલન જાળવી રાખવા માટે શું કરવું એ અંગે જુદા જુદા વિષયો પર ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

September 2, 2026
himanshu-bodawala.jpeg
1min47

ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વધુ એક મહત્વની જવાબદારી: હિમાંશુ એચ. બોડાવાલાની ફિયાસ્વી મુંબઈના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી

સુરતના અગ્રણી ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ હિમાંશુ બોડાવાલાને ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી (ફિયાસ્વી)ના વર્ષ 2026-27 માટે ચેરમેનની જવાબદારી

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના માજી પ્રમુખ હિમાંશુ એચ. બોડાવાલાની ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી (FIASVI)ના ચેરમેન તરીકે વર્ષ 2026-27 માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ જવાબદારી તરીકે જોવામાં આવી રહી છે.

ફિયાસ્વી, મુંબઈની 02 સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈ ખાતે યોજાયેલી 49મી વાર્ષિક સામાન્ય સભામાં આ વરણી કરવામાં આવી હતી. ધ સિન્થેટિક એન્ડ આર્ટ સિલ્ક મિલ્સ રિસર્ચ એસોસિએશન (SASMIRA)ના બોર્ડરૂમ ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં મિહિર મહેતા પ્રમુખ, હિમાંશુ એચ. બોડાવાલા ચેરમેન અને અમિતાબેન યવલે વાઇસ ચેરમેન તરીકે વર્ષ 2026-27 માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

લાંબા સમયથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સક્રિય જોડાણ

હિમાંશુ એચ. બોડાવાલા લાંબા સમયથી ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. તેઓ અગાઉ ફિયાસ્વીના વાઇસ ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં ધી સુરત આર્ટ સિલ્ક ક્લોથ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SASM)ના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં લાંબા સમયથી સક્રિય રહેલા બોડાવાલાનું ઉદ્યોગ સાથેનું જોડાણ માત્ર વ્યવસાય પૂરતું મર્યાદિત નથી રહ્યું. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓમાં જવાબદારી સંભાળીને તેમણે સંગઠનાત્મક સ્તરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના આ અનુભવને ધ્યાનમાં લેતા ફિયાસ્વીના ચેરમેન તરીકેની નવી જવાબદારી ટેક્સટાઇલ ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને પડકારોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં ઉપયોગી બની શકે છે.

હિમાંશુ એચ. બોડાવાલાની ફિયાસ્વીના ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી બદલ સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ તરફથી તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા બોડાવાલાને હવે આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રીની રાષ્ટ્રીય સ્તરની સંસ્થા FIASVIનું નેતૃત્વ કરવાની તક મળી છે. તેમની નવી જવાબદારી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ ગૌરવની બાબત બની છે.

September 2, 2026
fostta-vs-processors-1280x1114.jpeg
1min36

આજે બુધવાર, તા.2 સપ્ટેમ્બર 2026ના રોજ, FOSTA બોર્ડરૂમ ખાતે શહેરની વિવિધ ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારીઓની મિટીંગ મળી હતી. આ મિટીંગની મુખ્ય કાર્યસૂચિ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા પ્રસ્તાવિત દર વધારા પર ચર્ચા વિચારણા કરીને વ્યાપારીક હિત જળવાય તેવી કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવાનો હતો.

મીટિંગ દરમિયાન, વેપારીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા લેવાયેલો નિર્ણય વ્યાજબી નથી. વેપારીઓનો આગ્રહ હતો કે આ પ્રકારનો નીતિ વિષયક નિર્ણય લેતા પહેલા, પ્રોસેસર્સ એસોસિએશને FOSTA અને વેપારીઓ સાથે પરામર્શ કરવો જોઇતો હતો. ટેક્સટાઇલ વેપારીઓ પણ ઇન્ડસ્ટ્રીઝના એક મહત્વના સ્ટેક હોલ્ડર છે અને તેમની પરિસ્થિતિઓને સમજી યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકાયું હોત. પણ કમનસીબે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવાયો છે જે દુખદ છે.

ટેક્સટાઇલ વેપારીઓએ વધુમાં ટિપ્પણી કરી હતી કે યોગ્ય પરામર્શ અને સર્વસંમતિ વિના દર વધારો એક સરમુખત્યારશાહી વલણ દર્શાવે છે, જે વ્યવસાયિક હિત માટે હાનિકારક છે.

મીટિંગમાં હાજર વેપારીઓએ FOSTAને આ બાબતે પ્રોસેસર્સ એસોસિએશન સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેમણે વિનંતી કરી હતી કે 7 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત પ્રસ્તાવિત દર વધારાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવે, જેથી સર્વસંમતિના આધારે નિર્ણય લેવા માટે તમામ હિસ્સેદારો વચ્ચે યોગ્ય ચર્ચા થઈ શકે.

FOSTA એ પ્રોસેસર્સ એસોસિએશનને પણ પત્ર લખ્યો હતો, જેમાં ભાર મૂક્યો હતો કે આવા નિર્ણયો બંને ક્ષેત્રો વચ્ચે સતત પરસ્પર સંકલન સુનિશ્ચિત કરવા માટે સંગઠન સાથે પરામર્શ કરીને લેવા જોઈએ.

September 2, 2026
Web-logo-Anantpost.jpg
1min60

વૈશ્વિક બજારમાં વ્યાજદરો, ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ફેરફારોને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાતા રોકાણકારોમાં ધ્રાસકો પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બંને કિંમતી ધાતુઓમાં 6% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 151729.00 હતો. આજે સોનું 150033.00 ના ભાવ પર ઓપન થયું હતું અને ટ્રેડિંગ દરમિયાન 149665.00 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન સોનામાં ₹2,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદી (Silver December Future): ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 235441.00 હતો. આજે ચાંદી 232536.00 ની નીચી સપાટી પર ઓપન થઈ હતી અને ઘટાડો વધીને 231914.00 ના લેવલ સુધી પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં ₹3,500 થી વધુનો કડાકો નોંધાયો હતો.

સોના-ચાંદીના ભાવ ઘટવાના મુખ્ય કારણો

યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો: અમેરિકી ડોલર ઇન્ડેક્સ 99 ની ઉપર પહોંચી ગયો છે અને 10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.80% ને વટાવી ગઈ છે. સોનું અને ચાંદી નોન-યીલ્ડીંગ એસેટ હોવાથી, બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં ખેંચી રહ્યા છે.

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ફુગાવાની ચિંતા: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ (WTI Crude) $96 પ્રતિ બેરલને વટાવી ગયા છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારી) વધવાની ભીતિ સર્જાઈ છે.

વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની આશંકા: સતત વધી રહેલા ફુગાવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં ઝડપી ઘટાડો નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની છે. લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાની ધારણાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.

સેફ-હેવન માગ પર મજબૂત ડોલર ભારે પડ્યો: સામાન્ય રીતે ભૌગોલિક તણાવ સમયે સોનામાં સુરક્ષિત રોકાણ (Safe-Haven Demand) વધતું હોય છે, પરંતુ અત્યારે મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડનો પ્રભાવ એટલો વધારે છે કે સેફ-હેવન ખરીદી પણ ભાવને તૂટતા રોકી શકી નથી.

August 30, 2026
modi-sir.png
1min56

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેમાં વડોદરા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર પીએમ મોદી 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ જશે, જ્યાં તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે. તેઓ સ્થળ પર એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

વડોદરામાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી બપોરે 3 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી જવાના છે. નવસારીમાં, તેઓ જિલ્લા ભાજપની નવી ઓફિસ, નમો કમલમનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે 4 વાગ્યા પછી નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે અને પછી સુરતથી મુંબઈ જવા રવાના થશે. જોકે તેમના કાર્યક્રમોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને નવસારી લોકસભા સાંસદ સીઆર પાટીલે શનિવારે પ્રધાનો, પક્ષ સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.

દરમિયાન, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ શનિવારે સાંજે વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસ ખાતે વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પીએમ મોદી 4 જુલાઈએ ગુજરાત આવ્યા હતા. જ્યારે તેમણે સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.