ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 2,00,000 જેટલા વિદેશીઓના બિઝનેસ અને ટુરિઝમ વિઝા રદ કરવાની તૈયારી કરી રહ્યું છે જેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય માટે અરજી કરી છે અથવા હાલમાં આશ્રય માંગી રહ્યા છે, જે યુએસ ઇતિહાસમાં સૌથી મોટો સિંગલ માસ વિઝા રદબાતલ બની શકે છે.
રાજ્ય વિભાગ આગામી અઠવાડિયામાં આ પગલાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, સિવાય કે યોજનાને પડકારવામાં આવે અથવા તેમાં સુધારો કરવામાં આવે. તેમાં 2016 અને 2026 વચ્ચે જારી કરાયેલા B1 અને B2 વિઝાનો સમાવેશ થશે જેમણે આશ્રય માંગ્યો છે અથવા હાલમાં આશ્રયનો પ્રયાસ કરી રહ્યા છે, સમાચાર એજન્સી એપીએ રાજ્ય વિભાગના દસ્તાવેજો અને યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે.
અમે DHS સાથે સંકલન કરી રહ્યા છીએ જેથી એવા વિદેશીઓના નોન-ઇમિગ્રન્ટ વિઝા ઓળખી શકાય અને રદ કરી શકાય જેઓ ટૂંકા ગાળાના મુલાકાતીઓ હોવાનો દાવો કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવ્યા છે, પરંતુ પછી અહીં કાયમી રહેવા માટે આશ્રય માટે ફાઇલ કરે છે, એમ રાજ્ય વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું.
પિગોટે રદ કરી શકાય તેવા વિઝાની સંખ્યાની પુષ્ટિ કરી ન હતી, તેમણે કહ્યું હતું કે “કારણ કે પ્રક્રિયા ચાલુ રહેશે, રદ કરવાની સંખ્યા ગતિશીલ રહેશે અને તે ક્રમિક ધોરણે કરવામાં આવશે.”
અધિકારીઓએ જણાવ્યું હતું કે રદ કરવાથી આપમેળે તાત્કાલિક દેશનિકાલ થશે નહીં. જે લોકો આશ્રયના કેસ બાકી છે તેઓ તે દાવાઓને આગળ ધપાવવાની ક્ષમતા જાળવી શકે છે પરંતુ તેઓ વ્યવસાય અથવા પ્રવાસન મુલાકાતી તરીકેનો તેમનો દરજ્જો ગુમાવશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો બીજો કાર્યકાળ શરૂ કર્યો ત્યારથી વહીવટીતંત્ર દ્વારા યુએસ વિઝા અને ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાનો આ પગલું છે. સરકારે અરજદારોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણી વધારી છે, વિઝા બોન્ડ આવશ્યકતાઓ રજૂ કરી છે અને ચોક્કસ દેશોના નાગરિકોને વિઝા આપવાનું પ્રતિબંધિત કર્યું છે.
B1 વિઝા સામાન્ય રીતે વ્યવસાયિક મુસાફરી માટે જારી કરવામાં આવે છે, જ્યારે B2 વિઝા પ્રવાસન, કુટુંબની મુલાકાતો અને તબીબી સારવારને આવરી લે છે. તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી કે કેટલા વર્તમાન અથવા ભૂતપૂર્વ B1 અને B2 વિઝા ધારકોએ આશ્રય માંગ્યો છે અને આયોજિત કાર્યવાહીથી તેઓ પ્રભાવિત થશે.
વહીવટીતંત્રે છેલ્લા ૧૮ મહિનામાં લગભગ ૧,૭૫,૦૦૦ વિઝા રદ કર્યા છે, જેમાં દારૂ પીને વાહન ચલાવવા, બળાત્કાર અને લૂંટ જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા અથવા આરોપીઓ તેમજ જાહેરમાં યુએસ નીતિઓનો વિરોધ કરનારા કેટલાક લોકોનો સમાવેશ થાય છે.
દેશભરમાં આગામી મહિનાથી બૅંક કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવા જઈ રહ્યા છે, જેના કારણે બૅંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે. યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (UFBU) એ પરફોર્મન્સ લીન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) અને 5 દિવસના બૅંકિંગ કામકાજના દિવસો(5-Day Banking)ની માંગ સાથે હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે બૅંક ગ્રાહકોને સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મચારીઓ અને અધિકારીઓના મુખ્ય સંગઠન UFBU એ ત્રણ તબક્કામાં દેશવ્યાપી હડતાળ યોજવાનું આયોજન કર્યું છે.
પ્રથમ તબક્કો (11 સપ્ટેમ્બર): દેશભરમાં 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ રહેશે. આ સમયગાળા દરમિયાન શનિવાર અને રવિવારની રજાઓ આવતી હોવાથી બૅંકો સતત 3 દિવસ બંધ રહેશે.
બીજો તબક્કો (28, 29 અને 30 સપ્ટેમ્બર): સપ્ટેમ્બરના અંતમાં કર્મચારીઓ સતત 3 દિવસ હડતાળ પર રહેશે. શનિવાર-રવિવારની રજાઓ ઉમેરીને બૅંકો સતત 5 દિવસ માટે બંધ રહેશે.
ત્રીજો તબક્કો (26 ઑક્ટોબરથી): જો સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.
5 દિવસનું બૅંકિંગ (5-Day Banking Week): 8 માર્ચ 2024ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં સોમવારથી શુક્રવાર સુધી રોજનો કામકાજનો સમય 40 મિનિટ વધારીને 5 દિવસનું બૅંકિંગ લાગુ કરવા સહમતિ બની હતી. જોકે, હજુ સુધી સરકારની મંજૂરી બાકી છે.
સંશોધિત PLI સ્કીમનો વિરોધ: યુનિયનોનો આરોપ છે કે, નવી PLI (Performance Linked Incentive) સ્કીમમાં મોટા અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે મોટો તફાવત રાખવામાં આવ્યો છે, જે ભેદભાવપૂર્ણ છે.
રાષ્ટ્રીયકૃત બૅંકની વિવિધ બ્રાન્ચના કામકાજ પર અસર પડી શકે તેમ હોવાથી ગ્રાહકોને પોતાના જરૂરી કામ સમયસર પતાવી લેવા વિનંતી કરવામાં આવી છે.
જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.
5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસ(Sourav Das)ના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, ‘અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.’
પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.
CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, ‘1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.’
નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.
CA માટે પ્રેક્ટિશનો ઇન્ટરનેશનલ ગેટ-વે ટૂંક સમયમાં ખૂલી જશે
ભારતીય સંસ્થા ICAI અને સિંગાપોરની સંસ્થા ISCA પરસ્પર માન્યતા તરફ આગળ વધી રહ્યા છે
ટૂંક સમયમાં જ ભારતીય CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) સિંગાપોર જેવા આધુનિક અને વિકસિત દેશમાં કોઇપણ જાતના બાધ કે એન્ટ્રીગેટ એક્ઝામ વગર વ્યવયાયિક પ્રેક્ટિસ કરી શકશે, એવા રેફરન્સ સાથે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિંગાપોર અને ભારત વચ્ચે અરસપરસ માન્યતા માટે 2023 વાટાઘાટો ચાલી રહી છે. બંને સંસ્થાઓએ એકાઉન્ટિંગ વ્યવસાય માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કેપેસિટી બિલ્ડીંગ પર સહયોગ સાધવા માટે પણ અલગથી સંમતિ આપી છે.
જેની ફળશ્રુતિ રૂપે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટૂંક સમયમાં સિંગાપોરમાં વ્યાપક વ્યાવસાયિક માન્યતા મેળવી શકે છે, જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (ISCA) સંપૂર્ણ મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ (MRA) તરફ આગળ વધી રહ્યા છે.
તાજેતરમાં બંને સંસ્થાઓના અધિકૃત અધિકારીઓએ વ્યાવસાયિક લાયકાતોની પારસ્પરિક માન્યતાને આવરી લેતા મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રિમેન્ટ તરફ કામ કરવાના તેમના ઇરાદાને દર્શાવતા સહિ સિક્કા કરેલા પત્રોનું ઔપચારિક રીતે આદાનપ્રદાન કર્યું હતું.
પ્રસ્તાવિત MRA બે સંસ્થાઓ વચ્ચે લાયકાતોની માન્યતા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડશે. ભારતીય સીએ માટે, તે કરારના અંતિમ અવકાશ અને શરતોને આધીન, સિંગાપોરમાં વ્યાવસાયિક ગતિશીલતા અને કામ કરવાની તકોમાં સુધારો કરી શકે છે.
આ પગલું ફેબ્રુઆરી 2023 માં ISCA દ્વારા લેવામાં આવેલા અગાઉના પગલા પર આધારિત છે, જ્યારે તેણે ‘માન્ય વ્યાવસાયિક લાયકાત’ ની તેની યાદીમાં ICAI લાયકાત ઉમેરી હતી. આનાથી સિંગાપોરમાં લાયક ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ISCA એસોસિયેટ સભ્યો બનવાની મંજૂરી મળી. સંપૂર્ણ MRA પારસ્પરિક સભ્યપદ માન્યતા માટે એક વ્યાપક માળખું પૂરું પાડીને આ હાલની વ્યવસ્થાથી આગળ વધશે.
જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં Dt.21/08/2026 સવારના સમયે જ્યારે CJP ના કાર્યકરો શાળાની જર્જરિત હાલત જોવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. થોડા સમય બાદ CJP પ્રવક્તા આશુતોષ રાંકા ખુદ શાળાએ પહોંચ્યા, જ્યાં તેમની સામે પણ ભારે નારેબાજી થઈ હતી. ધીમે ધીમે મામલો એટલો તંગ બની ગયો કે ધક્કામુક્કી શરૂ થઈ અને ગ્રામજનોએ કાર્યકરોને દોડાવીને માર માર્યો હોવાના અહેવાલ છે. આ દરમિયાન કાર્યકરોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા અને તેમના પર રેતી તેમજ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા અભિજિત દીપકે લખ્યું કે રાજસ્થાનમાં આશુતોષ પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો છે અને પોલીસે આ બધું મૂકપ્રેક્ષક બનીને થવા દીધું. આશુતોષ રાંકાએ પણ આરોપ લગાવ્યો કે વિરોધ કરનારા લોકો વાસ્તવમાં ગ્રામજનો ન હતા, પરંતુ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલા અસામાજિક તત્ત્વો હતા. આશુતોષે જણાવ્યું કે આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કમલ પ્રધાન છે, જે ગરીબોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે બાળકો ભેંસના તબેલામાં ભણે તે ભાજપને મંજૂર છે, પરંતુ શાળા સુધારવાના પ્રયાસો તેમને ક્યારેય ગમતા નથી.
જર્જરિત શાળા માટે 12 લાખનું બજેટ માત્ર કાગળ પર
બીજી તરફ ગામની શાળાની હાલત ખરેખર દયનીય છે. ગ્રામજન વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે 1999 માં બનેલી આ શાળાની ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. હાલ 2 શિક્ષકો આશરે 20 થી 30 બાળકોને એક મોટા મકાનના 2 ઓરડામાં ભણાવવા મજબૂર છે. સ્થાનિક ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ શાળા માટે 9 લાખ રૂપિયાનું બજેટ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું. વધુમાં સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું બજેટ પણ પાસ કરાયું હોવા છતાં જમીન પર કોઈ જ કામગીરી શરૂ થઈ નથી.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા આયોજન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે
કોટન, સિલ્કથી લઈને ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ સ્પેશ્યાલિટી યાર્નનું એક જ છત નીચે પ્રદર્શન
સુરતના વિવર્સ નવા યાર્નમાંથી ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ બનાવી એક્સપોર્ટ વધારી શકશે: ગિરધરગોપાલ મુંદડા
સુરત, 19 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગ્લોબલ બાયર્સ અને 88 એક્ઝિબિટર્સની સહભાગિતા: અશોક જીરાવાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થાય અને ઉત્પાદકોને યાર્ન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે તે આ એક્સ્પોનો મુખ્ય આશય છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત મિ. કોન્ટે અલાસ્સેન તેમજ બાંગ્લાદેશ સ્થિત સોલ સોર્સિંગ લિ.ના સીઈઓ મિ. શમીન અહેમદ તેમજ માર્કેટીંગ હેડ મિ. અબુ સોહેલ રસીલ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે.”
આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્સ્પોની આઠમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો અને સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર આવશે. આ એક્સ્પોમાં નેચરલ તથા બ્લેન્ડેડ યાર્ન જેમ કે, કોટન, વુલ, સિલ્ક, લિનન અને રેમી તેમજ મેન-મેડ તથા બ્લેન્ડેડ યાર્નમાં રિજનરેટેડ અને સિન્થેટિક યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફેન્સી અને સ્પેશ્યાલિટી યાર્નમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્સચર્ડ અને સ્લબ યાર્ન સહિતની વિવિધ પ્રોડક્ટસ પણ જોવા મળશે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને યાર્ન ક્ષેત્રના ઉત્પાદકોને ખરીદદારો સાથે જોડવાનો તથા નવા વેપારી સંબંધો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉત્તર પ્રદેશ સરકારના નેશનલ ઇન્ટિગ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી (IAS) શ્રી હીરા લાલ પટેલ, એલાયન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી કુલદીપ પટેલ તેમજ રિગન ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ ધનકાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ફેસ-ટુ-ફેસ નેટવર્કિંગ અને બિઝનેસ ગ્રોથ ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત ઉપરાંત તિરુપુર, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ મિટિંગ્સથી નવા વેપારી સંબંધો બંધાશે. માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે ઉમેર્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેન મેઈડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચુરાઈઝ્ડ યાર્ન, ડોપ ડાઈડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિસએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ય્ચુરાઈઝ્ડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઈનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઈનહેરન્ટ એન્ટી બેક્ટેરિયલ યાર્ન વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.
બજેટ-ફ્રેન્ડલી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.
યાર્ન એક્સ્પો-2026ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, પ્યોર સિલ્ક અને વૂલ જેવા મોંઘા ફેબ્રિક્સ સામે પોલિએસ્ટર અને કેટોનિક યાર્ન ઉત્તમ વિકલ્પ બન્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગાર્મેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્સ સુધી વિસ્તર્યો છે. સુરતના વિવર્સ આ પ્રદર્શિત યાર્નમાંથી નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીને સુરતથી રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટમાં વધારો કરી શકશે.
ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી એશિયામાં સૌથી વધુ શેરડી પીલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલી ભાજપપ્રેરિત ‘સહકાર પેનલ’ નો આ ચૂંટણીમાં કારમો પરાજય થયો છે અને ‘કિસાન પરિવર્તન પેનલ’ નો ઝળહળતો વિજય થયો છે. સહકાર પેનલની 1 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની બેઠકો માટે યોજાયેલા મતદાનમાં તેમના ઉમેદવારોનો 263 થી 564 મતોના મોટા અંતરથી પરાજય થયો હતો.
ધારાસભ્ય ઈશ્વર પરમાર અને ભાજપના પદાધિકારીઓ હાર્યા
શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. (બારડોલી સુગર) ની ચૂંટણીમાં 10 વર્ષથી સત્તા સંભાળતા અને સહકાર પેનલના મોવડી સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ તેમજ સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને માજી કેબિનેટ મંત્રી તથા બારડોલીના ભાજપ ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના તમામ ડિરેક્ટરો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે, મુકેશ પટેલની નેતૃત્વ હેઠળની કિસાન પરિવર્તન પેનલે ભાજપ સમર્થિત તમામ દિગ્ગજ નેતાઓને પરાજય આપી મિલમાં સત્તાપરિવર્તન આણ્યું છે.
બારડોલી સુગર ફેક્ટરીમાં જ નોકરી કરીને 20 વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદ વિનોદચંદ્ર પટેલે અમેરિકાથી આવીને પરિવર્તન પેનલમાં બારડોલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સહકાર પેનલના ગિરીશ પટેલ સામે 403 મતોની મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં પણ દર વખતની જેમ વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલ ૧૭૨માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ભારત પાસે અઢળક કુદરતી સંશાધનો છે. અને વિશાળ જન સમૂહ છે. જો માનવબળ વધુ પ્રગતિશીલ બને તો ભારત વિકસિત રાષ્ટ્ર ઝડપથી બની શકે છે. તા. ૧૩/૦૮/૨૦૨૬ ગુરૂવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૧૭૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ, સાધનો અને પડકારો વિશે વાત કરતા કાનજીભાઈ એ જણાવ્યું કે, આવક, સંપત્તિ, સુવિધાઓ ઉપરાંત લોકોનું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન વિકસિત રાષ્ટ્રની ઓળખ છે. અર્થાત વિકાસ માત્ર અર્થતંત્રનો નહિ પરંતુ માનવજીવનની ગુણવત્તાનો પણ થવો જોઈએ.
સામાન્ય રીતે રાષ્ટ્રને ત્રણ ભાગ પાડવામાં આવે છે. પછાત, વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર. અમેરિકા, જર્મન, જાપાન, સિંગણપોર, દક્ષીણ કોરિયા અને સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશો વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યામાં આવે છે. તો સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય છે કે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? વિકસિત રાષ્ટ્રની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ વર્લ્ડ બેંક રાષ્ટ્રોની કેટેગરી નક્કી કરવામાં માપદંડ નક્કી કર્યા છે. તેમાં જે રાષ્ટ્રની વાર્ષિક માથાદીઠ આવક ૧૪૩૭૫ ડોલર એટલે કે રૂપિયા ૧૪ લાખ વાર્ષિક આવક હોય એ વિકસિત રાષ્ટ્ર ગણવા માટે એક માપ છે. અંતરીક્ષ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ભારતની માથાદીઠ આવક હજુ ૨૬૫૦ ડોલર એટલે કે વાર્ષિક રૂ. ૧૯૩૪૮૦/- છે.
વિકસિત રાષ્ટ્રના લક્ષણો જોઈએ તો ઉંચી માથાદીઠ આવક, ઉચ્ચ માનવ વિકાસ, ઉત્તમ શિક્ષણ – આરોગ્ય, વધુ ઉત્પાદન અને રોજગાર, ટેકનોલોજીનો ઉપયોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની સારી ગુણવત્તા છે. ભારત દેશ પાસે વિકસિત રાષ્ટ્ર બનવાના ઘણા સંજોગો છે. ઝડપી વિકસિત મોટી અર્થવ્યવસ્થા છે. વિશાળ માનવબળ, ભારત યુવાનોનો દેશ છે. જે રાષ્ટ્રની મોટી તાકાત બની શકે છે. ડીઝીટલ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સામે ઘણા મોટા પડકારો પણ છે. માથાદીઠ ઓછી આવક અને આર્થિક અસમાનતા, બેરોજગારી, ભ્રષ્ટાચાર, માનવવિકાસ આંકમાં ભારત ઘણું પાછળ છે. શિક્ષણ અને આરોગ્યમાં ઘણા પ્રશ્નો છે. સુસારૂ શાસન અને જાગૃત નાગરિક પણ વિકાસ માટે મોટા પરિબળો છે.
વિકસિત ભારતના સ્વપ્નને કેન્દ્રમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની ખરી મૂડી છે. વધુ સારી માથાદીઠ આવક એ વિકસિત રાષ્ટ્રનું પ્રથમ લક્ષણ છે. જયારે આવક-આરોગ્ય સેવા અને માનવવિકાસ એ વિકસિત રાષ્ટ્ર બનવા માટે શરતો છે. જયારે વર્તમાન સમયે બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર એ વિકસિત ભારત સામેના મોટા પડકારો છે.
નાગરિક એ રાષ્ટ્રની તાકાત છે. ત્યારે સારા નાગરિક બનવા પંચામૃત : ૧. જાગૃત અને જવાબદાર નાગરિક બનો. ૨. પ્રગતિશીલ રહો. ૩. રાષ્ટ્રહિત હંમેશા રાખો. ૪. તંદુરસ્ત રહો. ૫. સારા માણસ બનો.
વિકસિત ભારત માટે વિકસિત માનસિકતા જરૂરી છે. – સંજયસિંહ ગુર્જર
સુરત રીજીયનના પ્રોવિડંડફંડ કમિશ્નર સંજયસિંહ ગુર્જરે વિકસિત ભારત માટે જાગૃત નાગરિક આધાર વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત એટલે માત્ર વ્યક્તિગત વિકાસ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ માત્ર રોડ રસ્તા, બિલ્ડીંગ કે ભૌતિક સુવિધાઓ નહી,પરંતુ માનવીય વિકાસ અને જીવનની ગુણવત્તા પણ જરૂરી છે. વિકસિત ભારત માટે સૌ પ્રથમ દરેક નાગરિકની વિકસિત અને જવાબદાર માનસિકતાનો વિકાસ કરવો ખુબ જરૂરી છે. જાતિવાદ, અમીર-ગરીબ વચ્ચેનો ભેદભાવ દુર કરવો એ વિકસિત ભારતનું પ્રથમ પગથીયું છે. વિકસિત ભારત માટે “મારૂ પણું” છોડીને “આપણું” વિચારવું ખુબ જરૂરી છે. રાષ્ટ્રભક્તિ માટે નાગરિકે સીમા પર લડવા જવું જરૂરી નથી જ્યાં છીએ ત્યાં રહીને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ યોગદાન આપવું વધુ જરૂરી છે.
દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક ફરજ છે કે તે પોતાના સંતાનોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેયની જવાબદારી શીખવે છે. દરેક નાગરિક પોતાના હકોની સાથે જવાબદારીનું કર્તવ્ય સમજે તે પણ વિકસતા ભારત બનાવવા જરૂરી છે.
જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર જરૂરી છે. – જૈનીલ દેસાઈ (IFS)
વર્ષ ૨૦૨૩ માં UPSC ની IFS પરીક્ષામાં સફળતા મેળવી હાલ ડાંગના જંગલ વિભાગના આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફિસર જૈનીલ જગદીશભાઈ દેસાઈ વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના જીરા ગામના વતની અને અભ્યાસ સુરતમાં કરી તેઓ IFS થયા તથા વધુમાં UPSC પરીક્ષા ૨૦૨૪ પણ પાસ કરી છે. પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, માણસ માત્ર આર્થિક રીતે સદ્ધર કે શિક્ષિત બનવાથી જાગૃત નાગરિક બનતો નથી. જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર ખુબ જરૂરી છે. સેન્સ ઓફ ઓનરશીપ એટલે કુદરતી કે રાષ્ટ્રની સંપત્તિને પોતાની સમજવી તે છે. વિચારોનું વાવેતર કાર્યક્રમ પણ જાગૃત નાગરિકતા વિકસાવવા માટેનું એક ઉત્તમ પરિબળ છે. જરૂરિયાતમંદ લોકોને તેને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી તે પણ જાગૃત નાગરિકતાની એક મહત્વપૂર્ણ નિશાની છે.
આ પ્રસંગે જૈનીલ દેસાઈના પિતા જગદીશભાઈ, માતા દક્ષાબેન તથા દાતાટ્રસ્ટી હસમુખભાઈ સાવલિયા તથા કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ તાલુકામાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. વિવેક ભૂવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડ બાબતે તેમનું માર્ગદર્શન જમનાબા ભવન ખાતે લોકોને મળશે.
ગત ગુરૂવારના વિચાર ધર્મેશ ચોવટિયાએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંકલન ડો. અજય દેસાઈ તથા અંકિત સુરાણીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વોને સુરત મહાનગરપાલિકા યુવા મોરચા તરફથી ઉપસ્થિત દરેકને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મેન-મેડ ટેક્સટાઇલ્સ રિસર્ચ એસોસિએશન (મંત્રા)ની ૪૬મી વાર્ષિક સામાન્ય સભા (Annual General Meeting -A.G.M.) આજે તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬, ગુરુવારના રોજ મંત્રા ખાતે યોજાઈ હતી.
સભાની શરૂઆતમાં મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા દ્વારા પ્રેસિડેન્ટ એડ્રેસ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસ્થાની વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાનની કામગીરી તથા વિવિધ પ્રવૃત્તિઓ અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.
મંત્રાના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ ગાંધી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના ઓડિટેડ હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
સભા દરમિયાન પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલાએ વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કાઉન્સિલ મેમ્બર્સની યાદી પણ રજૂ કરી હતી. ઉપરાંત, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓડિટરની નિમણૂક કરવા તથા ઓડિટરની ફી નક્કી કરવાની સત્તા કાઉન્સિલને આપવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સામાન્ય સભા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.
આ વાર્ષિક સામાન્ય સભામાં મંત્રાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ ઝવેરી, સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્ર જરીવાલા, ડિરેકટર ડૉ. પંકજ ગાંધી, ઉપરાંત સંસ્થાના સભ્યો તથા મંત્રાના સ્ટાફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રા દ્વારા મેન-મેડ ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ, પરીક્ષણ તથા ટેક્નિકલ સેવાઓના માધ્યમથી ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે. વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સંસ્થાની આગામી કામગીરીને વધુ અસરકારક બનાવવા તથા ટેક્સટાઇલ ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
સભાના અંતે ઉપસ્થિત તમામ સભ્યો, પદાધિકારીઓ તથા સ્ટાફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.