CIA ALERT

Alert Archives - CIA Live

August 5, 2026
image-9.png
3min13

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

August 3, 2026
image-8.png
1min40

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 3, 2026
WhatsApp-Image-2026-08-03-at-17.36.03.jpeg
1min29

કર્મચારીઓના પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારોના વાર્ષિક વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને મળે તો વિકાસકાર્યોને મળશે વેગ

સુરત, તા. 3 ઓગસ્ટ :
સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરીને સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં અંદાજે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ એકમોમાં આશરે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલ કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતો પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે. જોકે, ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ આ પ્રકારની વસૂલાત સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાને મળે છે, તો સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગો માટે પણ સમાન નિયમ લાગુ થવો જોઈએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા સત્તા પ્રાપ્ત સ્થાનિક સંસ્થાઓને આ પ્રકારનો વેરો વસૂલવાનો અધિકાર છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના વર્ષ 2010ના એક ચુકાદામાં સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

સોસાયટીએ જણાવ્યું છે કે વર્ષોથી સચીનના ઉદ્યોગોનો વ્યવસાય વેરો રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે, જેના કારણે સ્થાનિક તંત્રને તેની આવકનો લાભ મળતો નથી. જો આ આવક સચીન નોટીફાઈડ એરીયાને મળશે તો રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ મુજબ પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. સચીનમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈ મુજબ વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને સોંપવામાં આવે તો સચીન નોટીફાઈડ એરીયાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.

August 1, 2026
image-1.png
1min22

જૂડોમાં દેશને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહે દેશને આ રમતની મેન્સ કૅટેગરીનો પ્રથમ સુવર્ણ અપાવી દીધો

ભારતની અસ્મિતા ડેએ દેશને કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં જૂડો (JUDO)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત અગાઉ આ રમતની હરીફાઈમાં સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યું હતું, પરંતુ ક્યારેય ગોલ્ડ હાથ નહોતો લાગ્યો, પણ હવે એક કલાકની અંદર બે ગોલ્ડ મળ્યા. અસ્મિતાએ ફાઇનલમાં કૅનેડાની હૈદી ક્વૉચને રોમાંચક અને નાટ્યાત્મક મુકાબલામાં હરાવીને વિજય મેળવ્યો હતો અને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. તે કૉમનવેલ્થની જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. પુરુષોમાં હર્ષ સિંહે પણ પોતાના વર્ગની ફાઇનલ જીતીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તે આ રમતોત્સવની જૂડોમાં ચૅમ્પિયન બનેલો બીજો ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ જૂડોકા બન્યો છે.

23 વર્ષની અસ્મિતા ત્રિપુરાની છે અને તેના પિતા સાઇકલ મિકેનિક છે. તેમણે પુત્રીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. 23 વર્ષનો હર્ષ સિંહ અગાઉ ભારત વતી ગ્રાં પ્રિ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. હર્ષ સિંહની આ પહેલી જ કૉમનવેલ્થ છે. બન્નેએ ગોલ્ડ મેડલ જીતી લેતાં ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા પાંચ ઉપર અને કુલ ચંદ્રકોની સંખ્યા 19 ઉપર પહોંચી હતી.

પુરુષોની 60 કિલો કૅટેગરીમાં ભારતના હર્ષ સિંહે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પરાસ્ત કર્યો હતો. ઑસ્ટ્રેલિયા આ વખતની કૉમનવેલ્થમાં હાઇએસ્ટ 50થી વધુ ગોલ્ડ મેડલ અને કુલ 115 ચંદ્રક જીત્યું છે, પણ હર્ષ સિંહે એના જૂડોકાને આ રમતમાં ગોલ્ડ નહોતો જીતવા દીધો. તેનો આ ઑસ્ટ્રેલિયન હરીફ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે તેમ જ ઑસ્ટ્રેલિયાની નૅશનલ ચૅમ્પિયનશિપ અને ઑસનિયા ચૅમ્પિયનશિપ જીત્યો હતો, પણ હર્ષ સિંહ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું.

કૉમનવેલ્થમાં જૂડોને 1990માં પ્રવેશ મળ્યો ત્યાર બાદ ક્યારેય ભારતીય સ્પર્ધકો ગોલ્ડ મેડલ નહોતા જીત્યા. 36 વર્ષમાં ભારતને આ રમતની સ્પર્ધામાં બ્રૉન્ઝ અને સિલ્વરની સફળતા બાદ પહેલી જ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.

મહિલાઓની જૂડોમાં આ 48 કિલો વર્ગનો મુકાબલો હતો જેમાં અસ્મિતા શરૂઆતમાં હરીફથી ઘણી પાછળ હતી. યુકો કૅનેડિયન જૂડોકાની તરફેણમાં જવા ઉપરાંત અસ્મિતાને પેનલ્ટી પણ અપાઈ હતી. જોકે અસ્મિતાએ જોરદાર કમબૅક કરીને તેને હરાવી દીધી હતી.

ચાર મિનિટના આ મુકાબલામાં એકંદરે અસ્મિતાએ જબરદસ્ત દૃઢતા બતાવી હતી. મુખ્ય મુકાબલાના સમયમાં બન્ને સ્પર્ધક એકસરખી સ્થિતિમાં હતી એટલે મુકાબલો ગોલ્ડન સ્કોર પિરિયડમાં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં પ્રથમ સ્કોરિંગ ઍક્શન પરથી વિજેતા નક્કી થાય છે અને એમાં અસ્મિતા જીતી ગઈ હતી.

અસ્મિતાએ ભયંકર પ્રેશરની સ્થિતિમાં ગજબની પ્રતિબદ્ધતા બતાવી હતી અને કૅનેડિયન હરીફથી પાછળ રહ્યા બાદ તેને માત આપી હતી.

August 1, 2026
image.png
1min41

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’

July 30, 2026
image-69.png
1min51

રાજયસભામાં વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ

આ અંગે ભાજપ સાંસદ  વિનોદ તાવડેએ એકસ પર લખ્યું કે, વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રગીત વંદે માતરમના જય ઘોષે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, પ્રેરણા આપી અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેનું ગર્વથી સ્મરણ કરવું એ આપણા માટે સૌભાગ્ય છે.

મોદી સરકારે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કર્યું 

તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યસભામાં પસાર થયેલ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ- 2026 ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે. 

July 29, 2026
image-67.png
2min44

29 Jul 2026 | 02:02 PM
લોકસભામાં બળપ્રયોગના આદેશો મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેને પગલે વિપક્ષી સાંસદોએ ભારે શોરબકોર કરતા ગૃહમાં અશાંતિ સર્જાઈ હતી. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને તથા તથ્યોના આધારે વાત રજૂ કરવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે અને અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. બીજી તરફ, વિપક્ષી સભ્યો ગૃહમંત્રીના રાજીનામા અને જવાબની માગ સાથે સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સભ્યો દ્વારા સ્પીકરના આદેશોની વારંવાર અવહેલના કરવામાં આવતા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2:30 વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

29 Jul 2026 | 01:53 PM
અખિલેશ યાદવે કહ્યું કે જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.

કિરેન રિજિજૂએ કહ્યું કે, આ અલગ વાત છે. રાહુલ ગાંધીએ સીધું નામ લઈને કહ્યું છે. ઈન્ક્વાયરીની માંગ ઠીક છે, અમે સમજીએ છીએ. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે.

સ્પીકરે કહ્યું કે, રાહુલજી તમે બિલ પર બોલો, તમે ઈન્ક્વાયરીની માંગ કરી શકો છો, પણ આ રીતે વાત ના કરો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સર જ્યારે આતંકીને ગોળી મારવામાં આવે છે, ત્યારે રિજિજૂએ તેમને રોકતા કહ્યું કે, તમે ગૃહ મંત્રીનું નામ લઈને જે શબ્દો વાપર્યા છે, તેના માટે માફી માંગવી પડશે. કાલે કોઈ પણ મેમ્બર ઊઠીને કંઈ પણ બોલશે. તમને કેવી રીતે આ ખબર પડી અને કયા બેસિસ પર તમે બોલી રહ્યા છો? આવું ના કરી શકાય. રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે, અમે અહીં એવું બોલી શકીએ શું? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે. માફી માંગો અથવા બતાવો કે કેમ બોલ્યા, કેવી રીતે બોલ્યા, સદન આ રીતે નહીં ચાલે.

સ્પીકરે કહ્યું કે તમે જે રીતે વાત બોલી છે, એવા શબ્દો સદનની અંદર અને સદનની બહારની કાર્યવાહીમાં ના જવા જોઈએ.

29 Jul 2026 | 01:48 PM
પ્રધાન નહીં, RSS ચલાવી રહ્યું હતું શિક્ષણ મંત્રાલય : લોકસભામાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પરીક્ષાનું પેપર તૈયાર કરવાથી લઈને તેને પહોંચાડવા અને ચેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે ‘આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. રાજનાથ સિંહે અગાઉ કહ્યું હતું કે, આ UPA સરકાર નથી અને અહીં મંત્રીઓ રાજીનામા નથી આપતા, છતાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે અને તે જ પરીક્ષાઓ યોજી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણ વ્યવસ્થા પર કબ્જો જમાવી લીધો છે અને વાસ્તવમાં ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે ગૃહમંત્રીને ગાડીઓના કાફલામાં જોયા હતા, પણ તેઓ ક્યાં છે? તેમનામાં ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી.’ આ વાત પર સ્પીકરે સ્પષ્ટતા કરી હતી કે, અત્યારે જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી અહીં હાજર જ છે. આજે ગૃહ મંત્રાલય પર ચર્ચા નથી થઈ રહી અને જે વિષય પર ચર્ચા હોય તેના જ મંત્રી ગૃહમાં બેસે તેવી સંસદીય પરંપરા છે.

ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી. તેમના આ નિવેદનને કારણે લોકસભામાં ભારે અફડાતફડી અને હંગામો મચી ગયો હતો.

સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજૂએ આ વાતનો સખત વિરોધ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અત્યંત અયોગ્ય વાત કહી છે અને આવું નિવેદન આપી શકાય નહીં. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી?

ગૃહમાં શાસક પક્ષ તરફથી રાહુલ ગાંધી માફી માગે તેવી માંગણી ઊઠી હતી, જ્યારે સામે પક્ષે વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રીના રાજીનામા અને માફીની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.

29 Jul 2026 | 01:38 PM
લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાનું ચાલુ રાખવા કહ્યું અને પૂછ્યું કે જો તેઓ બોલવા ન માગતા હોય તો બીજા વક્તાને બોલાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ ગૃહમાં આવા પ્રસંગો જોયા છે જ્યારે તમે નેતા સદનને બોલવા દીધા નહોતા.

આ અંગે કિરન રિજિજૂએ કહ્યું કે સારી ચર્ચા ચાલી રહી છે, તમે આવી પરિસ્થિતિ ઊભી ન કરો. વડાપ્રધાનને કેટલીય વાર બોલવા દેવાયા નહોતા. આજે તમે અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે. માત્ર તમારા શબ્દ સામે વાંધો છે, તમે ભાવુક ચહેરો બતાવીને ગુમરાહ કરી શકો નહીં.

આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ શબ્દનો પ્રયોગ કોઈના માટે નથી કર્યો, માત્ર જે છે તેની કેટેગરી બતાવી છે. જો તમે લોકો ઇચ્છતા હોવ કે અહીં માત્ર ભાજપ જ બોલે તો હું ચૂપ થઈને બેસી જાઉં છું, કોઈ વાંધો નથી. હું જ્યારે પણ બોલું છું ત્યારે રિજિજૂજી ઊભા થઈ જાય છે અને તમે તેમને તક આપી રહ્યા છો.

સ્પીકરે આ બાબતે કહ્યું કે ગૃહમાં સારી વ્યવસ્થાઓ અને મર્યાદાઓ રહી છે. આપણે સારી મર્યાદા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહમાં જે મર્યાદા અને તર્ક સાથે બોલે છે, દેશ તેને સાંભળે છે અને સન્માન પણ કરે છે. શબ્દોની પસંદગી સંસદીય મર્યાદાને અનુકૂળ હોવી જોઈએ.

29 Jul 2026 | 01:29 PM
લોકસભામાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદન સામે આકરો વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો, આ નિયમો અમે નથી બનાવ્યા. જો તમે સંસદીય મર્યાદા જાળવી રાખશો તો જ તમારું ભાષણ સાંભળવામાં આવશે. હું રાહુલજીને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારના શબ્દો ટાળીને પોતાનું વક્તવ્ય ફરી શરૂ કરે. ભૂતકાળમાં તમે પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરી છે જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ પૂરું કરી શક્યા નહોતા, પરંતુ હવે તમે આ રીતે લાગણીશીલ થઈને ગૃહને ગુમરાહ કરી શકો નહીં.’

29 Jul 2026 | 01:22 PM
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું સ્ટુડન્ટને વ્યાખ્યાયિત કરી રહ્યો છું. સ્ટુડન્ટ સત્યની પાછળ દોડતો રહે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, ઘરની બારી તમામ પ્રકારની હવા માટે ખુલ્લી રહેવી જોઈએ. મેં એક વિદ્યાર્થીનીને પૂછ્યું કે ઈડિયટ વિશે તમારી શું રાય છે? જે સ્ટુડન્ટ નથી, તેના વિશે શું? વિદ્યાર્થીએ કહ્યું કે, સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.’ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હંગામો શરૂ થઈ ગયો હતો, જેના પર કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.

29 Jul 2026 | 01:18 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.

29 Jul 2026 | 01:10 PM
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.’ તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.’

29 Jul 2026 | 01:07 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી અને દેશના યુવાનોનું સન્માન થવું જ જોઈએ. આજે દેશના વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની નોબત આવી છે, જ્યારે કે તેઓ જ આપણા દેશનું ભવિષ્ય છે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજે છે કે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને જ્ઞાનનું મહત્ત્વ સૌથી વધુ છે.

29 Jul 2026 | 12:38 PM
પૂર્નિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે RTI અને ઓડિટ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ બાબતોને તમામ પ્રકારની ગડબડીઓથી દૂર કરી દેવામાં આવી છે, ત્યારે આખરે જવાબદારી કોની નક્કી થશે? NTA ના ચેરમેનને કેમ હટાવવામાં આવ્યા નથી, તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે 2018માં જેમને NTA માં લાવવામાં આવ્યા હતા તેઓ અગાઉ મધ્ય પ્રદેશના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. કરોડો ઉમેદવારોના ફોર્મના કરોડો રૂપિયા NTA ને શા માટે આપવામાં આવે છે અને તેની તપાસ કોણ કરશે? રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાયા હોવાનો આક્ષેપ કરતા તેમણે NTA સામે યોગ્ય તપાસ કમિટી અને SIT ની માંગણી કરી હતી અને સંજીવ મુખિયાને છોડી મૂકવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.

29 Jul 2026 | 12:20 PM
લોકસભામાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર બીજા દિવસની ચર્ચાનો પ્રારંભ થઈ ગયો છે. ચર્ચાની શરૂઆત બિહારના સુપૌલથી JDU સાંસદ દિલેશ્વર કામતે કરી હતી. તેમણે આ બિલનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, આ વિધેયક NDA સરકાર પ્રત્યે જનતાના વિશ્વાસને દર્શાવે છે અને દેશના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

29 Jul 2026 | 12:17 PM
લોકસભામાં આજે પણ એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધશે. બિલ પર વિપક્ષ તરફથી મોટો પ્રહાર કરવાની તૈયારી છે.

29 Jul 2026 | 12:16 PM
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બપોરે 12:30 વાગ્યે એન્ટી પેપર લીક બિલ પર પોતાના વિચાર રજૂ કરશે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

29 Jul 2026 | 12:15 PM
બુધવારે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ જોરદાર હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને બપોરે 12 વાગ્યા સુધી ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

July 28, 2026
image-62.png
1min46

કતાર ફ્રી ઝોન્સ ઓથોરિટી (QFZ)એ કતાર ડાયમંડ એક્સચેન્જ (QDE)ને વિશ્વની સેવામાં સમર્પિત કર્યું છે. કતાર ડાયમંડ એક્ષચેન્જ હીરા અને (પ્રેસિયસ સ્ટોન્સ) કિંમતી પથ્થરોના વેપાર માટે એક નવું પ્લેટફોર્મ છે. આ નેટવર્ક કતારમાં આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગ માટે એક નવું કેન્દ્ર બનાવે છે. જેમાં સુરક્ષિત ટ્રેડિંગ ફ્લોર, ખાનગી વાટાઘાટો સ્યુટ અને સ્થળ પર સુરક્ષા અને દેખરેખનો સમાવેશ થાય છે, આ પ્રિમાઇસીસમાં કસ્ટમ્સ અને પ્રમાણપત્ર સુવિધાઓ પણ પૂરી પાડે છે. 2021 માં, કતાર કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) નું સંપૂર્ણ સભ્ય બની ચૂક્યું છે.

July 28, 2026
image-61.png
1min39

સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે, નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો તાબડતોબ દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા.

આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે.

આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી પાડવાનું આખો પ્લાન ઘડ્યો હતો.

સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વનિયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાઇરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતાં જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા.

ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.

પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા!

દાગીના ગાયબ હોવાની જાણ થતાં જ ફરિયાદી રમેશ વાઘાણી, તેમના પત્ની અને પરિવારજનો તા. 14 જુલાઈ, 2026ના રોજ નક્ષત્ર સેફ વોલ્ટ ખાતે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી હતી. બપોરથી સાંજ સુધી CCTV તપાસવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સેફના કાઉન્ટર પર બેસતા પૂર્વઆયોજિત કાવતરાના મુખ્ય સૂત્રધારોમાંથી એક આરોપી હર્ષ દિયોરા એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેણે ફરિયાદીને એવું કહીને ધમકાવ્યા કે, બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે! આટલું કહી તેણે સીસીટીવી બતાવવાના બંધ કરી દીધા હતા અને હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાના ઉડાઉ જવાબો આપ્યા હતા. આથી ફરિયાદીને શંકા જતાં તેમણે તાત્કાલિક સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી. કામળીયા દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસઘાત), 316 (5) અને પૂર્વઆયોજિત કાવતરા અંગેની કલમ 61 (2) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે જ સિંગણપોર પોલીસે પિતા મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણા દિયોરાની ધરપકડ કરી છે.

પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર અને લોકર બ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત વરાછા બ્રાન્ચમાં પણ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આ રીતે લોકર તોડીને ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસની વિશેષ ટીમો ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

July 26, 2026
Diamond.jpg
2min34

અમેરિકા પરની નિર્ભરતાનો અંત: હવે વિશ્વના બિન-યુએસ બજારોમાં સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગનો આક્રમક પ્રવેશ
જાપાનથી યુરોપ, હોંગકોંગ, થાઇલેન્ડ અને યુએઈ સુધી યોજાનારા મેગા જ્વેલરી શોમાં સુરતના ઉત્પાદકો-નિકાસકારો તૈયારીઓમાં વ્યસ્ત; સેમ્પલ્સ, નવી ડિઝાઇન, પ્રાઇસલિસ્ટ અને બ્રોશર્સ સાથે નવા ગ્રાહકો મેળવવા પર ફોકસ

સુરત:

છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક વેપારના બદલાયેલા સમીકરણોએ સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગની નિકાસની દિશા જ બદલી નાખી છે. એક સમય એવો હતો જ્યારે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગનો મોટો આધાર અમેરિકન બજાર પર હતો, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. અમેરિકામાં વધતા ટેરિફ, વૈશ્વિક વેપારની અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય પડકારો વચ્ચે સુરતના ઉત્પાદકો અને નિકાસકારોએ બિન-અમેરિકન બજારોને વિકાસનું નવું કેન્દ્ર બનાવી દીધા છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં પણ નિકાસના વૈવિધ્યીકરણ (Export Diversification) પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત જેમ એન્ડ જ્વેલરી શો અને એક્સ્પો જાપાન, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, થાઇલેન્ડ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાવાના છે. આ તમામ પ્રદર્શનોમાં સુરતના હીરા અને જ્વેલરી ઉત્પાદકો, ઉત્પાદકો અને નિકાસકારો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ અનેક કંપનીઓમાં નવા કલેક્શનના સેમ્પલ્સ, કેટલોગ, બ્રોશર્સ, ડિજિટલ પ્રેઝન્ટેશન, પ્રાઇસલિસ્ટ, કોસ્ટિંગ શીટ, પેકેજિંગ, સર્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ તેમજ વિવિધ દેશોના ગ્રાહકોને અનુરૂપ ડિઝાઇન તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. યુરોપિયન, જાપાનીઝ, મધ્યપૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કલેક્શન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે હવે સુરતના ઉદ્યોગકારો માત્ર ઓર્ડરની રાહ જોતા નથી, પરંતુ નવા બજારોમાં પોતાનું બ્રાન્ડિંગ, સીધી B2B બેઠક, ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક અને લાંબા ગાળાના વેપારી સંબંધો ઉભા કરવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યા છે.

આગામી બે મહિનાના મુખ્ય આંતરરાષ્ટ્રીય જ્વેલરી શો

  • Japan Jewellery Fair – ટોક્યો (26-28 ઓગસ્ટ)
  • Jewellery Show London – લંડન (2-3 સપ્ટેમ્બર)
  • Bijorhca Who’s Next – પેરિસ (5-7 સપ્ટેમ્બર)
  • Vicenza Oro – ઇટાલી (5-9 સપ્ટેમ્બર)
  • Bangkok Gems & Jewellery Fair – થાઇલેન્ડ (8-12 સપ્ટેમ્બર)
  • Jewellery & Gem World Hong Kong – હોંગકોંગ (15-21 સપ્ટેમ્બરના વિવિધ તબક્કા)
  • Jewellery Industry Fair – સિડનીWatch & Jewellery Middle East Show – શારજાહ (30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર)

આ પ્રદર્શનોમાં વિશ્વભરના હજારો ખરીદદારો, બ્રાન્ડ્સ, રિટેલ ચેઇન્સ, હોલસેલર્સ અને ડિઝાઇનર્સ ભાગ લેતા હોવાથી સુરત માટે નવા ઓર્ડર મેળવવાની મોટી તક ઉભી થઈ છે.

તાજેતરના સમયગાળામાં ભારતે યુરોપ, ઓશનિયા સહિત વિવિધ દેશો સાથે વેપાર સંબંધો મજબૂત કરવાની દિશામાં લીધેલા પગલાં પણ ઉદ્યોગ માટે સકારાત્મક સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગ સંસ્થાઓના મતે નવા બજારોમાં શૂન્ય અથવા ઓછા શુલ્કની સુવિધા મળવાથી ભારતીય ઉત્પાદકોની સ્પર્ધાત્મકતા વધશે અને અમેરિકા પરની નિર્ભરતા વધુ ઘટશે.

સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર હોવાના કારણે અહીં વિકસિત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, ઝડપી ડિલિવરી, કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન અને લેબ-ગ્રોન ડાયમંડ સહિતના નવા સેગમેન્ટ્સ પણ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને આકર્ષી રહ્યા છે. પરિણામે સુરત હવે માત્ર ઉત્પાદન કેન્દ્ર નહીં, પરંતુ વૈશ્વિક જ્વેલરી સપ્લાય ચેઇનના મહત્વપૂર્ણ હબ તરીકે પોતાની નવી ઓળખ મજબૂત કરી રહ્યું છે.

મહત્વના મુદ્દા

  • અમેરિકા પરની એકમાત્ર નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો.
  • યુરોપ, જાપાન, હોંગકોંગ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વમાં નવા ગ્રાહકો મેળવવા પર ભાર.
  • સેમ્પલ્સ, બ્રોશર્સ, પ્રાઇસલિસ્ટ, ડિજિટલ કેટલોગ અને નવી ડિઝાઇનની તૈયારીઓ તેજ.
  • B2B મીટિંગ્સ દ્વારા લાંબા ગાળાના નિકાસ કરારો મેળવવાનો પ્રયાસ.
  • વૈશ્વિક વેપારના બદલાયેલા માહોલમાં ‘માર્કેટ ડાયવર્સિફિકેશન’ સુરતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે સૌથી મોટી વ્યૂહરચના બની રહી છે.