
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.

ગુજરાતમાં ચોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્ય નિયામકે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થતો હોય છે. ત્યારે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થતા ચોમાસુ સારું રહેવાની હવામાન ખાતએ અગાહી કરી હતી. બેઠકમા ઇસરો દ્વારા ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનો લાભ આ વખતે લેવાશે, તેમ જણાવવવામાં આવ્યું હતું. બેઠકમાં એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં ૪૭ જવાનો ધરાવતી કુલ ૧૫ ટીમો વડોદરા અને ગાંધીનગર ખાતે સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમ જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

રાજ્યની રાય, પારૂલ આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહિ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર. કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ સંદર્ભે વર્ષ ૨૦૧૬થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવ્યા ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.
એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.
ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.
મુંબઈ: દેશમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર થતા અગાઉ શેરબજારમાં શોર્ટ કવરિંગથી શુક્રવારે 537 પોઈન્ટ્સનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. આજે સવારથી જ ઓટો, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 38,001.13 અને નીચામાં 37,415.36 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 537.29 પોઈન્ટ્સ (1.44%)ના ઉછાળા સાથે 37,930.77 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,426.15 અને નીચામાં 11,259.85 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 150.05 પોઈન્ટ્સ (1.33%) વધીને 11,407.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.11 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે મારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને અનુસરે છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું હતું ત્યાં પંચધાતુની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરીશું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે હું હવે પછી ડમડમમાં જાહેરસભાને સંબોધવા જવાનો છું, પરંતુ પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી મારા હેલિકૉપ્ટરને ત્યાં ઊતરવા દેશે કે નહિ એ ખબર નથી.

મોદીએ અહીં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ઘણાં સમયથી (મમતા)દીદીનું (ખરાબ) વલણ જોતા હતા, પરંતુ હવે દેશ જોઇ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની વિચારધારાને સમર્પિત છે અને કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ જે સ્થળે તેમનું પૂતળું તોડ્યું છે ત્યાં અમે પંચધાતુની બનેલી તેમની પ્રતિમા બેસાડીશું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે તૃણમૂલ કૉંગ્રેસના ગુંડાઓએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડશો વખતે ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી હતી અને આ કૃત્ય કરનારા લોકોને કડક સજા થવી જોઇએ.
મોદીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ર્ચિમ મિદનાપોર અને ઠાકુરનગરમાંની મારી અગાઉની ચૂંટણીસભાઓ વખતે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ અરાજકતા ફેલાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે કૂચ બિહારમાં મારી જાહેરસભા માટે જ્યાં મંચ બંધાવાનો હતો ત્યાં મમતા બેનરજીએ પોતાના પક્ષ માટે મોટો મંચ બાંધી દીધો હતો.
ચૂંટણી પંચે એની વિશ્ર્વસનીયતા અને સ્વાતંત્ર્ય ગુમાવી દીધા છે, એવો આક્ષેપ કરીને કૉંગ્રેસે કહ્યું હતું કે આ પંચની નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.
શું આચારસંહિતા હવે ‘મોદીની આચારસંહિતા’ બની ગઈ છે? એવું પૂછાતાં કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં ૨૦ કલાકનો કાપ મૂકવાનો ચૂંટણી પંચનો આદેશ ભારતીય લોકશાહી પરનો તેમ જ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર ‘ઘેરો ધબ્બો’ છે.
કોલકતામાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો વચ્ચે હિંસા ફાટી નીકળતાં ચૂંટણી પંચે બુધવારે બંધારણની કલમ ૩૨૪ લાગુ કરીને પશ્ર્ચિમ બંગાળની નવ બેઠકોમાં ચૂંટણીના પ્રચારકાર્યને ગુરુવારે રાત્રે ૧૦.૦૦ વાગ્યે (સમયપત્રક મુજબની સમયમર્યાદા કરતાં ૨૪ કલાક પહેલાં) થંભાવી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.

સૂરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચૂંટણી પંચમાં થતી નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. શું આ પંચ શાસક પક્ષ સાથે સંલગ્ન વિભાગ બની રહેવો જોઈએ કે આપણી લોકશાહી માટે જરૂરી અને ન્યાયી તથા પારદર્શક પ્રક્રિયાથી નિયુક્ત થયેલી બંધારણીય સંસ્થા બની રહેવી જોઈએ? કૉંગ્રેસ એક જવાબદાર રાજકીય પક્ષ છે અને એણે ક્યારેય બંધારણીય સંસ્થાઓ સામે કારણ વગર આંગળી નથી ચીંધી. જોકે, અમારે ઊંડા ખેદપૂર્વક કહેવું પડે છે કે ચૂંટણી પંચે એની સ્વાયત્તતા ગુમાવી દીધી છે.’
સૂરજેવાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ‘ચૂંટણી પંચની પગલાં પરથી લાગે છે કે એ વડા પ્રધાન મોદી તથા ભાજપ માટેની વિદાય સમયની ભેટ છે. પંચનું એક પગલું આ માટે સૂચક છે. આ પગલાંમાં ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળમાં પ્રચારકાર્યને ૨૪ કલાક વહેલો સમેટી લેતો આદેશ આપ્યો એમાં મોદીની અગાઉથી જાહેર થયેલી મથુરાપુરા તથા ડમ ડમ ખાતેની રૅલીને નથી આવરી લેવાઈ. બીજી રીતે કહીએ તો આ બે રૅલીને ઊની આંચ ન આવે એ મુજબનો પ્રતિબંધ લાગુ કરાયો છે.’
સૂરજેવાલાના મતે ‘મોદીજીની ખુરસી, તેમની પ્રતિષ્ઠા અને ચૂંટણી પંચ તથા લોકશાહીનું સ્વાતંત્ર્ય, આ ત્રણેય બાબતો અત્યારે ખતરામાં છે. આ દેશની પ્રજા અંતિમ નિર્ણય લેનારી છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે બધુ નિષ્ફળ જતું હોય ત્યારે લોકશાહી સફળ રહેતી હોય છે. ચૂંટણી પંચ ભાજપના પ્રમુખ અમિત શાહના ગુંડાઓ અને તોફાનીઓને સજા કરવાને બદલે લોકશાહીને હાનિ પહોંચાડી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકવા સમર્થ નથી એવું કબૂલીને પ્રજામાં એક પ્રકારનો હાઉ પેદા કરી રહ્યું છે. કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ મોદી તથા અમિત શાહની વિરુદ્ધમાં ૧૧ કરતાં વધુ ફરિયાદો કરી છે. અમને તો ચૂંટણી પંચમાં સ્પષ્ટપણે નારાજગી દેખાઈ રહી છે. પંચ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શરણે થઈ ગયું છે.’

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.
ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.
આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.
પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.
પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.
ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.
કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.
પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.
કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.
વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.