નેપાળમાં ભારતના વધુ બે પર્વતારોહકોનાં મૃત્યુ, એક લાપતા
એક લશ્કરી જવાન સહિત ભારતના વધુ બે પર્વતારોહકોનાં નેપાળમાં પર્વતારોહણ દરમિયાન મૃત્યુ થયા છે અને ત્રીજો પર્વતારોહક લાપતા છે. બુધવારે નેપાળના કાંચનજંગા પર્વત પર બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયાં હતાં એ જોતાં ભારતીયોનો મરણાંક શુક્રવારે ચાર ઉપર પહોંચ્યો હતો. બુધવારે ચિલીનો એક પર્વતારોહક કાંચનજંગા પર્વત પર ગુમ થઈ ગયો હતો.
શુક્રવારે મળેલા અહેવાલ મુજબ ૨૮ વર્ષીય લશ્કરી સૈનિક રવિ ઠાકર વિશ્ર્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સવારે આ જ સર્વોચ્ચ શિખર પરના કૅમ્પ-૪ ખાતેના તેના તંબુમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે નારાયણ સિંહ વિશ્ર્વના પાંચમા ક્રમના સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુની ૮,૪૮૫ મીટરની ઊંચાઈએથી નીચે ઉતરતી વખતે ગુરુવારે રાત્રે કૅમ્પ-૪ ખાતે મૃત્યુ પામ્યો હતો. આ માહિતી પર્વતારોહણના આયોજકે આપી હતી.
સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ લશ્કરી જવાન રવિ ઠાકરનું મૃત્યુ
કોલકતાનો બાવન વર્ષીય દીપનકર ઘોષ માઉન્ટ મકાલુ પર્વત પરથી પાછા આવતી વખતે કૅમ્પ-૪ની ઉપરના ભાગમાં ગુમ થઈ ગયો હતો, એમ સેવન સમિટ ટ્રેક્સના ચૅરમૅન મિન્ગમા શેરપાએ જણાવ્યું હતું.
ઘોષને શોધવા એક સર્ચ-ટીમે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તે નહોતો મળ્યો. ઘોષ ૨૦૧૧ની સાલમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયો હતો. એ ઉપરાંત તેણે માઉન્ટ કાંચનજંગા સહિત બીજા ચાર ઊંચા પર્વતો પણ સર કર્યા હતા.
લશ્કરી જવાન ઠાકર ઊંચાઈ પરના વાતાવરણમાં માંદો પડી ગયો હતો અને તેની માંદગી વધતી ગઈ હતી અને સંભાવના મુજબ તેણે શુક્રવારે સવારે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તે આઠ મેમ્બરોવાળી ટુકડીનો સભ્ય હતો. એ ટીમનું નેતૃત્વ આયર્લેન્ડના જાણીતા પર્વતારોહક નોએલ રિચર્ડ હૅન્નાએ સંભાળ્યું હતું. ઠાકર સહિત તમામ આઠ જણે ગુરુવારે સવારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.
દરમિયાન, આયર્લેન્ડનો સીમસ શૉન લૉલેસ નામનો પર્વતારોહક એવરેસ્ટ પરથી પાછા આવતી વખતે પર્વતની એક ધાર પરથી નીચે પડ્યો હતો અને ત્યાર બાદ સાથીઓને તેની ભાળ નહોતી મળી શકી.
બુધવારે કાંચનજંગા પર્વત પર માંદગીને લીધે મૃત્યુ પામેલા બે ભારતીયોમાં કોલકતાના ૪૮ વર્ષીય બિપ્લબ બૈદ્યનો અને ૪૬ વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો.
દરમિયાન, પશ્ર્ચિમ બંગાળ સરકાર બિપ્લબ અને કુંતલના મૃતદેહ મેળવવા બે મેમ્બરોની એક ટુકડીને મોકલી રહી છે. જોકે, એક અહેવાલ મુજબ બન્નેના મૃતદેહ ૮૫૮૬ મીટર ઊંચે કંચનજંગા પર્વત અને કૅમ્પ-૪ વચ્ચે ક્યાંક પડ્યા છે. જો બે દિવસમાં તેમના મૃતદેહ નહીં મળે તો એ શોધવાનું અભિયાન સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં લેતાં લગભગ એક વર્ષ માટે મુલતવી રાખવું પડશે.
વિશ્ર્વના કેટલાક સૌથી ઊંચા પર્વતો નેપાળમાં છે અને એ સર કરવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પર્વતારોહકો નેપાળ આવતા હોય છે. તેઓ ખાસ કરીને વસંત ઋતુ (માર્ચથી જૂન)માં પર્વતારોહણ કરતા હોય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now