ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માટે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠીની બેઠક છોડી દેવામાં આવી છે.
માયાવતીએ કહ્યું કે જનહિત અને દેશભક્તિ માટે અમે 1995નો ગેસ્ટાહાઉસ કાંડ ભૂલાવી દીધો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઈમાની કરીને સરકાર બનાવી છે. બાદમાં અમે પેટાચૂંટણીથી જ ભાજપને રોકવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારથી જ ભાજપને રોકવા સપા-બસપા સાથે આવે તેવી ચર્ચા શરૂ થઈ હતી. દલિતો, પછાત, ગરીબો, અલ્પસંખ્યકોના હિતની ઉપેક્ષા થતા અમે ગેસ્ટહાઉસ કાંડ ભૂલીને ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.
તો અખિલેશ યાદવે આ ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો. અખિલેશે કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓએ માયાવતી માટે અશોભનીય કમેન્ટ કરી હતી ત્યારથી જ ગઠબંધન કરવાની ઈચ્છા હતી. ભાજપે આવું બોલનાર સામે પગલાં લેવાને બદલે મંત્રી બનાવીને ઈનામ આપ્યું. ત્યારથી જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું. સાથે જ અખિલેશ યાદવે આ ગઠબંધન કાયમી રહેશે અને લાંબું ચાલવાનો પણ દાવો કર્યો છે.




















