પાંચ રાજયોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ તરફ નજર નાખીએ તો તેલંગણા એક એવું રાજય છે જયાં તેલુગુ દેશમ સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને તેલંગણા જનસમિતિના મહાગઠ બંધનનો સામનો કરી કે. ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ પાર્ટી ફરી વખત તેલંગણામાં સરકાર રચવાની છે. આ સાથે જ તેલંગણામાં ગુલાબી ક્રાંતિ આવી છે. તેલંગણાના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે છ મહિના પૂર્વે જ વિધાનસભાનું વિસર્જન કરી ફરી ચૂંટણીનો નિર્ણય કર્યો હતો.

કેસીઆર પાર્ટીએ ચૂંટણી વિશ્ર્વલેષકોની ગણતરી ખોટી પાડી છે. તેના મુખ્ય કારણમાં ચંદ્રશેખર રાવની પ્રજાની નાડ પારખવાની નીતિ સહાયત બની છે. કેસીઆર પક્ષની પૈસા, શાદી, પાણી અને મકાન ફોર્મ્યુલાએ ચંદ્રશેખર રાવના પક્ષને જવલંત સફળતા અપાવી છે. અન્ય કોઈ ફોર્મ્યુલા પર આધાર રાખવાને બદલે રાવે જનતાના કલ્યાણની યોજના જનતા સમક્ષ મૂકી પ્રજામત મેળવી લીધો છે.
રાવની પાર્ટીએ ખેડૂતોને પ્રતિસિઝન પર એકર રૂ. 4000 રોકડા આપવાની ફોર્મ્યુલા અપનાવી હતી. તેલંગણાની રવી પાક અને ખરીફ પાક એમ બે સિઝનનો પાક લેવા ટેવાયેલા ખેડૂતોને પ્રતિએકર રૂ. 8000 વાર્ષિક મળવાથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
ઉપરાંત તેલંગણાની કેસીઆર સરકારે દીકરીવાળા પરિવાર માટે કલ્યાણ લક્ષ્મી અને શાદી મુબારક (મુસ્લિમ પરિવાર) યોજના અમલમાં મૂકી હતી, જે મુજબ પ્રતિલગ્ન સરકારે રૂ. 1 લાખની સહાય જાહેર કરી હતી.
તેલંગણા રાષ્ટ્ર સમિતિ દ્વારા વૃદ્ધ, વિધવા તથા વિકલાંગો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી. તદ્ઉપરાંત ગરીબ પરિવારો માટે બે બેડરૂમના મકાનની જાહેરાત પણ કરવામાં આવી. જોકે આવાસ યોજના પૂર્ણ થઈ નહતી, પરંતુ ઘર અંગે બાંધકામ શરૂ થઈ ગયા હતા. જેથી પ્રજામાં પણ એક એવો ભરોસો બેઠો કે આવાસ યોજનાની પૂર્ણાહુતિ માટે પણ કેસીઆર સરકારને વિજયી બનાવવી જરૂરી છે. કેસીઆર સરકારે પ્રત્યેક ઘરને વીજળી તથા ચોખ્ખા પાણીનું પણ વચન આપ્યું હતું. મતલબમાં કે. ચંદ્રશેખર રાવની પાર્ટીએ પ્રજાની નાડ પારખી તેમની જરૂરિયાત પરત્વે પ્રજાને પૂરા પેકેજની સહાય જાહેર કરી એ અંતર્ગત કામ પણ કર્યા.
તેલંગણામાં મોટા બેનર અને મોટા રાજકીય નેતાઓના ગઠબંધન વચ્ચે પણ પ્રજાની નાની અને મહત્ત્વની જરૂરિયાતો પૂરી કરનાર કેસીઆર પાર્ટીએ ચૂંટણી નિષ્ણાતોના સમીકરણો ખોટા સાબિત કરી તેલંગણામાં મેદાન મારી લીધું છે.




















