જયેશ બ્રહ્મભટ્ટ
લોકો અને કાર્યકરોમાં જોમ-જુસ્સો ઓસરી ગયા પછી આજે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર થશે
સુરત સંસદીય મત વિસ્તાર જેવી સલામત બેઠક પર ભાજપાની કેન્દ્રીય નેતાગીરીએ તા.2લી એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી કોઇ ઉમેદવાર જ ઘોષિત નહીં કરતા સુરત ભાજપાના કાર્યકરોના નૈતિક બળ પર ઘેરી અસર થઇ છે. સ્થાનિક નેતાગીરી પણ અચંબામાં પડી જવા પામી છે. ખુદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શુક્રવારે સુરત ખાતે કહ્યું હતું કે મોડામાં મોડું શનિવાર, તા.30મી માર્ચે સાંજ સુધીમાં સુરતના ઉમેદવાર ઘોષિત થઇ જશે. પરંતુ, કેન્દ્રીય મોવડી મંડળ કયા પરિબળોને કારણે સુરત બેઠક પર ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ કરી રહી છે એ બાબત અકળ બની છે સાથે જ સ્થાનિક કાર્યકરોના જોમ-જુસ્સાને શાંત કરનારી નિવડી છે. બેશક આની સીધી અસર ભાજપાના પ્રચાર પર પડી શકે તેમ છે.
રોજેરોજ ભાજપાના ઉમેદવારો અંગે નવી નવી અટકળો બહાર આવે છે. તા.2 એપ્રિલ 2019ના રોજ સવારથી આ અટકળોમાં નીતિન ભજીયાવાળાના નામ સાથે દર્શના જરદોષ, અજય ચોક્સી, હેમાલી બોઘાવાલા, દર્શિણી કોઠીયા સિવાય નવું નામ આવ્યું અને એ પૂર્વ એમ.એલ.એ. જનક બગદાણાવાળાનું. મંગળવાર તા.2 એપ્રિલના રોજ સાંજે ક્લીયર થઇ જશે કે ભાજપાનો સત્તાવાર ઉમેદવાર સુરતની બેઠક પર કોણ હશે.
નીતીન ભજીયાવાળા કે જનક બગદાણાવાળા કે સ્કાલલેબ

Nitin Bhajiyawala with PM Narendra Modi at airport once upon a time
દરમિયાન એવી પણ વાતો ઉડી છે કે સુરત બેઠક પર નીતિન ભજીયાવાળાની સાથે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાનું નામ કેન્દ્રીય પાર્લામેન્ટમાં ચર્ચાયું છે અને અત્યાર સુધી તેમનું નામ ક્યાંયે પીકચરમાં ન હતું પરંતુ, છેલ્લી ઘડીએ જનક બગદાણાવાળાનું નામ ફેવરીટ લિસ્ટમાં આવી ચૂક્યું છે. વધુમાં સુરતની બેઠક પર તા.2જી એપ્રિલ 2019ના રોજ સુરત સમેત ગુજરાતની તમામ બાકી બેઠકો પર ભાજપા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે

Janak Bagadna, Ex MLA Gujarat
સુરત બેઠક માટે ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં કોંગ્રેસને મૂંઝવણ ઉભી થઇ શકે તે વાત માની શકાય પરંતુ, ભાજપા માટે સલામત ગણાતી સીટ પર કેન્દ્રીય મોવડીઓ વિલંબ કરી રહ્યા છે એ વાતે સ્થાનિક નેતાગીરીનો વિશ્વાસ પણ ડગી ગયો છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ જે ત્રણ નામો મોકલ્યા છે, સિટીંગ એમ.પી. દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા અને સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સી, આ ત્રણ નામો પૈકીના જ એક હોય તો એવું કયું કારણ છે કે તેમાંથી કોઇ એક નામ જાહેર થઇ શકતું નથી.
ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ થવા ઉપરાંત સ્થાનિક નેતાગીરી પૈકી કોઇને પણ કોઇ બાબતે વિશ્વાસમાં લેવાતા નથી, જેનો સીધો અર્થ એ થાય કે કેન્દ્રીય નેતાગીરી સામે સ્થાનિક નેતાઓની કોઇ વાત ચાલતી નથી, તેમને કોઇ મહત્વ અપાતું નથી. કેન્દ્ર માંથી જે આદેશ આવે તેનું જ સીધું પાલન જ કરવાનું, આવી સ્થિતિને પગલે સ્થાનિક ભાજપાના ઘણાં નેતાઓ પરેશાન છે પણ કોઇ કશું બોલી શકે તેટલા સક્ષમ નથી.
સુરત ભાજપામાંથી કોઇ નેતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને સીધો ફોન કરવાની હિંમત કરી શકે નહીં પરંતુ, સુરતના બિલ્ડર ગમે તે ઘડીએ અમીત શાહને ફોન કરીને ટિકીટની માગણી કરી શકે છે.