ટેક્સટાઈલ્સની 328 આઈટમો પર આયાત ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. લોકલ ઉત્પાદનને વેગ આપવા અને સસ્તા આયાતી માલ સામે સ્થાનિક એકમોની સુરક્ષા અર્થે આ સંબંધી નાટિફિકેશન નાણાખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પી. રાધાકૃષ્ણને મંગળવારે તા.7 ઓગસ્ટ 2018ના રોજ લોકસભામાં મૂક્યું હતું.

નોટિફિકેશન પ્રમાણે કસ્ટમ એક્ટ – 1962ની કલમ 159 હેઠળ 328 ટેક્સટાઈલ પ્રોડક્ટની કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરાઈ છે. હાલ આયાત ડ્યૂટી ઓછી હોવાથી આયાતી માલ સસ્તા પડે છે તેની લોકલ ઉત્પાદકોને અસર થાય છે.
સરકારના આ પગલાંથી ઉત્પાદન પ્રવૃત્તિ વધવાની સાથે રોજગારમાં વૃદ્ધિ થશે. હાલ ટૅક્સટાઈલ ઉદ્યોગ સીધી કે આડકતરી રીતે 10 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
જુલાઈમાં સરકારે 50 ટૅક્સટાઈલ પ્રોડક્ટો પરની આયાત ડ્યૂટી બમણી કરી હતી અને અમુક આઈટમમાં એડવોલેરમ ડ્યૂટી વધારી હતી તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી)એ નોટીફિકેશન બહાર પાડ્યું હતું.
નિષ્ણાતોના મતે સરકાર ટૅક્સટાઈલ ક્ષેત્રને સીધુ નિકાસ પ્રોત્સાહન આપી શકે નહીં તેથી લોકલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પગલાં લે છે. ટૅક્સટાઈલ યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ આર્ટીકલની આયાત 8.58 ટકા વધી છે, જ્યારે કોટન યાર્ન, ફેબ્રિક્સ, મેઈડઅપ, હેન્ડલૂમ પ્રોડક્ટની નિકાસ 24 ટકા વધી છે.
































