પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.
પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’
આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.
નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.
ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.


રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.
❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!
DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”




વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”
@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન
❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.




શુક્રવારની રેલીને આગળ ધપાવતા BSE સેન્સેક્સ સોમવારે સવારે 200 પોઈન્ટ્સ વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો અને નિફ્ટીએ પણ સૌપ્રથમવાર 11,400ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી દીધી હતી. સવારે સેન્સેક્સ 234.56 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા વધીને 37,790.72 પોઈન્ટ્સની નવી ટોચને સ્પર્શી ગયો હતો અને 1 ઓગસ્ટની 37,711.87ની ટોચનો વિક્રમ તોડી નાખ્યો હતો. સોમવારે સવારથી જ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)ની નવી લેવાલી અને અમેરિકન ડોલર સામે રૂપિયાની મજબૂતીને પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતને પગલે આજે સવારથી જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU અને બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી.
નિફ્ટી પણ આજે 1 ઓગસ્ટની 11,390.55 પોઈન્ટ્સની ઊંચી સપાટીને વટાવી ગયો હતો. આજે નિફ્ટીએ 62.80 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 11,423.60 પોઈન્ટ્સની નવી ટોચ રચી હતી.
આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU, બેન્ક, હેલ્થકેર, મેટલ, પાવર, ઈન્ફ્રાસ્ટર્ક્ચર, IT, ટેકનો, ઓટો, FMCG અને ઓઈલ-ગેસ શેર્સ 1.03 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ થવાની ભારતીય હવામાન ખાતાની આગાહી બાદ ગ્રામીણ માંગમાં સુધારાની આશા સાથે સોમવારે શેરબજારમાં મજબૂત હવામાન જોવા મળ્યું હતું.
આજે ICICI બેન્ક, SBI, યસ બેન્ક, વેદાંતા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, હીરો મોટો કોર્પ, ONGC, RIL, M&M, સન ફાર્મા, બજાજ ઓટો, NTPC, TCS, ITC, L&T અને પાવર ગ્રીડના શેર્સ 2.59 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
શુક્રવારે અમેરિકાના શેરબજાર વધીને બંધ રહ્યા બાદ આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ 0.35 ટકા, હોંગકોંહનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડિકેસ 0.14 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયં જળ અભિષેક પામે છે
———-
શ્રાવણ માસ, શનિવારી સોમવારી અમાસ, વૈદ્યૃતિ યોગ અને શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે
દરિયાના ઘુઘવાટા જળથી દિવસમાં બે વાર સ્વયંમ જળ અભિષેક પામી દર્શન કરનારની દ્રષ્ટિથી લીન થતા પ્રત્યેક યુગમાં માહાત્મયકારી દેવાધિદેવ શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા મહિસાગર સંગમ પર સ્થાપિત શ્રી સ્તંભેશ્વરના પુરાણ પ્રસિધ્ધ વિરલ શિવતીર્થ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ધર્મવંદના પામ્યું છે તે કંબોઇ ગામ ગુજરાતના ભરૂચ જિલ્લાના પુરાતન ગામ અને બંદર કાવીથી માત્ર ૩ કિ.મી. અને જંબુસરથી ૩૦ કિ.મી. અંતરે આવેલું છે. કંબોઇ ગામે આવેલા મહિસાગર સંગમ સ્થળે કે જ્યાં મહી નદી અને સાગરનો સંગમ થયેલો છે અને ગુપ્તતિર્થ પણ કહેવાય છે. દરિયા વચ્ચે સ્તંભ સમા બિરાજેલા દરિયામાં સવાર-સાંજ આવતી ભરતીને કારણે આ મહાદેવના શિવલીંગને દરિયો જળાભિષેક કરે છે.


સ્કંદપુરાણની કથા પ્રમાણે તારકાસુર રાજાએ ઘોર તપ કર્યું. શિવજીના કહેવાથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું. સાત દિવસના બાળક સિવાય તેને કોઇ મારી શકે નહી ! બસ, પછી તો છકી ગયો અને પછી સર્જ્યો હાહાકાર ! તેથી દેવોએ તારકાસુરનો સામનો કરવા શંકર-પાર્વતિના મિલનથી એક દિવ્ય બાળક પ્રાપ્ત કર્યું જેને છ મસ્તક, બાર હાથ અને બાર આંખો હતી આ બાળક તે જ કુમાર કાર્તિકેય અથવા સ્કંદ ! તે પાંચ દિવસનો થયો ત્યારે તેને તેના જન્મનો હેતુ સમજાવવામાં આવ્યો, હવે (બે દિવસમાં જ તારકાસુરને મારવો પડે તેમ હતો નહી તો તે વરદાનને ગેરલાભ ઉઠાવી શકત) કુમાર કાર્તિકેયને દેવોના સેનાપતિ બનાવવામાં આવ્યો, તેણે અતિ પરાક્રમ દાખવી તારકાસુરને માર્યો, દેવો-ૠષિ-મુનીઅો અને ભક્તો ભારે આનંદમાં આવી ગયા પણ કાર્તિકેયના મન પર ભારે બોજ રહેવા લાગ્યો, ગમે તેવો તોય તારકાસુર મારા પિતાનો ભક્ત હતો ! અરે ! મારા હાથે શિવભક્તનો વધ થયો ! ! આથી દેવોએ કાર્તિકેયના મનની ગ્લાનિને દૂર કરવા તારકાસુરને હણ્યો ત્યાં કુમારેશલિંગ(સ્તંભેશ્વર) ની સ્થાપનાનું સુચન ર્ક્યુ. શિવપરિવાર, બ્રહમા, વિષ્ણુ, દેવો ૠષિઅોના આર્શિવાદ આ સ્તંભેશ્વરતીર્થ પર ઉતર્યા …….. પરંતુ સ્તંભેશ્વરતીર્થ ગુપ્ત / અજાણ્યું કેમ બની ગયું ? કહે છે કે બ્રહ્માજી ની સભામાં બધા જ તીર્થ દેવો એક સાથે પધાર્યા તેથી પ્રશ્ન થયો કોની પૂંજા પહેલી કરવી ? કોઇ તીર્થ પોતાની મહત્તા સ્વયં કહેવા તૈયાર નહોતું પણ વીસ હજાર છસો નદીઅોનું જળ જ્યાં મહી નદી રૂપે વહે છે તે મહિ સાગર સંગમ (સ્તંભેશ્વર) તીર્થે પોતાના પ્રથમ પૂજનના અધિકારી ગણાવવાથી અથવા પોતાની મહત્તા જાતે રજૂ કરવાથી તેમા બ્રહ્માજીના પૂત્ર ધર્મદેવને અવિવેક લાગ્યો તેથી ધર્મદેવે આ તિર્થને ગુપ્ત થઇ જવાનો શ્રાપ આપ્યો ! પરંતુ
કાર્તિકેય અને નારદજીએ વચ્ચે પડી ધર્મદેવજીને આ શ્રાપમાં છૂટછાટ મૂકવા કહેવાથી તેમણે વરદાન આપ્યુ –
@ શનિવારની અમાસે મહિસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસ વારની, પુષ્કરની સાત વાર, અને પ્રયાગની આઠ વાર યાત્રા કર્યાનું ફળ મળશે જા કે આજે પણ આ તીર્થ દિવસમાં બે વાર દરિયાના પાણીમાં ઢંકાઇને ગુપ્ત થઇ જાય છે.
કંબોઇ આશ્રમના પૂ. વિદ્યાનંદજી મહારાજ ધ્વારા સ્કંદ પુરાણ સહિત વિવિધ પુરાણોનો અભ્યાસ કરી આ સ્થળે મહારૂદ્રયજ્ઞ ર્ક્યો. પ્રાધ્યાપક શ્રી બિપીનચંદ્ર ત્રિવેદીએ ‘‘યજ્ઞ સ્મરણિકા’’ અને ‘‘સ્તંભેશ્વર પરિચય’’ પ્રદિપ પુસ્તક, ‘‘સ્તંભેશ્વરરાય રેડિયો’’ નાટિકા, ભજન સંગ્રહ સીડી તૈયાર કરી. સ્તંભેશ્વર આશ્રમે યજ્ઞ શાળા, અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌ શાળાનું નિર્માણ થયું અને કંબોઇ ગાજતું થયું.
યાદ રહે કે આ તીર્થ વિજયક્ષેત્ર, સ્કંદક્ષેત્ર, ઉપરક્ષેત્ર, બ્રક્ષેત્ર, કપિલક્ષેત્ર, ગુપ્તક્ષેત્ર એમ વિવિધ નામે જાણીતું અને સુપ્રસિધ્ધ બન્યું છે. કપિલમુનિ, અોજસ મુનિ, યાજ્ઞવલ્ક્ય, દધીચિૠષિ અહીં થયા !
આજે તો શ્રાવણ માસે, કાર્તિક માસે, શનિવારી-સોમવારી અમાસ, વૈદ્યૃતિયોગ, શિવરાત્રીએ ભક્તોની ભારે ભીડ જામે છે.
સ્તંભેશ્વરતીર્થ પહેલા જ્યાં ધૂળીયો-સાંકડો એપ્રોચ રોડ હતો ત્યાં છેક સુધી પાકો ડાંમર રસ્તો થઇ ગયો છે, કેલેન્ડર, ટી.વી., આકાશવાણી, સમાચારપત્રોમાં સ્તંભેશ્વરતીર્થનો મહિમા આવે છે.
પૂ. વિદ્યાનંદજી મહારાજના જણાવ્યા મુજબ મહિસાગર સંગમતીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરના પરમ પરાક્રમી પૂત્ર કાર્તિકેય સ્વામી ધ્વારા સ્થાપિત શિવલીંગ, સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી વ્યક્તિ આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્ત થાય છે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.

સ્તંભેશ્વર દાદાના દર્શન દરિયાની ભરતી વિરમી જાય ત્યારે થઇ શકે છે
જેની જાણકારી નીચે પ્રમાણે છે
#તિથિ
દર્શનનો સમય
એકમ
૦૯ઃ૪૫ થી ૧૫ઃ૪૫
૨૧ઃ૪૫ થી મળશ્કે ૦૩ઃ૪૫
બીજ
૧૦ઃ૩૦ થી ૧૬ઃ૩૦
૨૨ઃ૩૦ થી મળશ્કે ૦૪ઃ૩૦
ત્રીજ
૧૧ઃ૩૦ થી ૧૭ઃ૧૫
૨૩ઃ૧૫ થી મળશ્કે ૦૫ઃ૧૫
ચોથ
૧૨ઃ૦૦ થી ૧૮ઃ૦૦
મધ્યરાત્રી થી ૦૬ઃ૦૦
પાચમ
સૂર્યોદય થી ૦૭ઃ૦૦
૧૩ઃ૦૦ થી ૧૯ઃ૦૦
છઠ
સૂર્યોદય થી ૦૭ઃ૪૫
૧૩ઃ૪૫ થી ૧૯ઃ૪૫
સાતમ
સૂર્યોદય થી ૦૮ઃ૩૦
૧૪ઃ૩૦ થી
આભાર – નિહારીકા રવિયા ૨૦ઃ૩૦
આઠમ
સૂર્યોદય થી ૦૯ઃ૧૫
૧૫ઃ૦૦ થી ૨૧ઃ૧૫
નોમ
સૂર્યોદય થી ૧૦ઃ૦૦
૧૬ઃ૦૦ થી ૨૨ઃ૦૦
દશમ
સૂર્યોદય થી ૧૦ઃ૪૫
૧૬ઃ૪૫ થી ૨૨ઃ૦૫
અગિયાસર
૦૫ઃ૩૦ થી ૧૧ઃ૩૦
૧૭ઃ૩૦ થી ૨૩ઃ૩૦
બારસ
૦૬ઃ૩૦ થી ૧૨ઃ૩૦
૧૮ઃ૩૦ થી મધ્યરાત્રી ૦૦ઃ૩૦
તેરસ
૦૭ઃ૧૫ થી ૧૩ઃ૧૫
૧૯ઃ૧૫ થી મધ્યરાત્રી ૦૧ઃ૧૫
ચૌદશ
૦૮ઃ૦૦ થી ૧૪ઃ૦૦
૨૦ઃ૦૦ થી મધ્યરાત્રી ૦૨ઃ૦૦
પુનમ-અમાવાસ્યા
૦૯ઃ૦૦ થી ૧૫ઃ૦૦
૨૧ઃ૦૦ થી મળશ્કે ૦૩ઃ૦૦
– ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(સ્ત્રોત… જિલ્લા માહિતી કચેરી ભરૂચ)




શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ
શ્રાવણ મહિનાનો પ્રારંભ તા.૧૨ ઓગસ્ટના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ચાર સોમવાર આવી રહ્યાં છે. તેમાં પણ શ્રાવણના છેલ્લા સોમવારે જન્માષ્ટમીનો સંયોગ પણ તા.૩ સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યો છે. એટલે કે આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ સવારે શિવભક્તિ અને રાત્રે કૃષ્ણભક્તિ કરશે.
તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે, આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.
દેવાધિદેવ મહાદેવજી, શનિ અને પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ એટલે શનૈશ્ચરી અમાસ. અષાઢી અમાસ શનિવારે આવી રહી છે. સાથોસાથ આ દિવસે ચતુર્ગ્રહી યોગનો પણ સમન્વય થઈ રહ્યો છે. કર્ક રાશિમાં સૂર્ય-ચંદ્ર ઉપરાંત બુધ અને રાહુ પણ સાથે આવી રહ્યાં છે. આ અમાસ અને ચતુર્ગ્રહી યોગમાં જ ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનું છે, જોકે તે ભારતમાં દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું નથી.

સામાન્ય રીતે કોઈપણ મહિનાની અમાસનાં દિવસે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચનનું સવિશેષ મહત્ત્વ હોય છે અને પિતૃકાર્ય પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે અષાઢી અમાસ શનિવારે આવે છે, તેથી શનૈશ્ચરી અમાસ થાય છે. જ્યારે કર્ક રાશિમાં ચાર ગ્રહો હોવાથી ચતુર્ગ્રહી યોગ સર્જાય છે અને મંગળ સાથે કેતુ મકર રાશિમાં છે. જોકે, આ દિવસે અમાસ બપોરે ૩.૨૯ સુધી જ રહેશે.
અષાઢી શનૈશ્ચરી અમાસ, ચતુર્ગ્રહી યોગની સાથે જ તા.૧૯મી ઓગસ્ટ સુધી બુધ વક્રી છે, તા.૨૭મી ઓગસ્ટ સુધી મંગળ વક્રી છે અને તા.૬ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી છે એટલે કે ત્રણ ગ્રહો વક્રી પણ છે. આ બધી જ સ્થિતિઓને જોતાં પ્રજાને માથે ભાર વધે તેવી ઘટનાઓ આકાર લે અને તેને કારણે સંઘર્ષ-ઘર્ષણની સ્થિતિઓનું પણ નિર્માણ થતું જોવા મળે. આ સમય ગાળા દરમિયાન રાજકીય ક્ષેત્રે સંકળાયેલા સત્તાધીશોએ હિતશત્રુઓથી સંભાળવું હિતાવહ બની રહે.
તા.૧૧મી ઓગસ્ટના રોજ અષાઢી અમાસ છે. માટે જ આ દિવસે ‘દિવાસો’, એવ્રત-જીવ્રત વ્રતની ઉજવણી પણ કરવામાં આવશે. જ્યારે આ દિવસ શ્રાવણ માસના પ્રારંભની અમાસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ અમાસથી અમાસ સુધી એક મહિનાનું વ્રત પણ કરતાં હોય છે. તેઓ માટે પણ શિવપૂજન માટે મહત્ત્વનો દિવસ બની રહેશે.