દિલ-દિમાગમાંથી સૌરાષ્ટ્રવાસીઓ દિલની પસંદગી કરતા હોય : SMC કમિશનર બંછાનિધી પાની
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર દિવાળી હોય છે અને દિવાળીના તહેવાર પૂર્વે જ સૂરત શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાનીએ ખુશીઓના પટારા એક એવું અભિયાન છેડ્યું કે જેમાં સૂરતવાસીઓને હાકલ કરી હતી કે સારી ગુણવત્તાની કોઇપણ ચીજવસ્તુઓ સૂરતવાસીઓ ઇચ્છે તો અન્ય ગરીબ, મજદૂર વર્ગમાં એ ખુશીનું કારણ બની શકે. સૂરત મહાનગરપાલિકાના ખુશીઓના પટારાને જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાના ખુશીઓના પટારા અભિયાનની જાણ સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનને ગણતરીના દિવસો પૂર્વે થઇ અને સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના વેપારીઓએ ખૂબ ટૂંકાગાળાની નોટિસમાં પોતાની દુકાનોમાંથી બિલકુલ નવા, ફ્રેશ સ્ટોકમાંથી સાડી અને ડ્રેસ મટિરીયલ્સ કાઢી કાઢીને સૂરત મહાનગરપાલિકા પ્રેરિત ખુશીઓના પટારા અભિયાન માટે આપવા માંડ્યા.
સૂરત બારડોલી રોડ પર સારોલી નજીક રાધા-રમણ ટેક્ષટાઇલ માર્કેટમાં સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોશીએશનની હાકલથી ખુશીઓના પટારા માટે એકત્રિત કરવામાં આવેલી બિલકુલ નવી સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સનો ઢગલો થઇ ગયો અને જોતજોતામાં 3000 હજાર આર્ટિકલ્સ ગરીબોની દિવાળી સાર્થક કરવા માટે સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ વેપારીઓએ આપ્યા.
સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી હિંમતભાઇ ભાતીયા, શ્રી શૈલેષભાઇ ગાંગાણી તેમજ અન્યોએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને ખુશીઓના પટારા અભિયાન અંગે થોડી વહેલી ખબર પડી હોત તો તેઓ હજુ વધુ પ્રમાણમાં બિલકુલ નવી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ એકત્રિત કરીને વિતરીત કરી શક્યા હોત. આગામી વર્ષે બિલકુલ તૈયાર કીટ કે જેમાં લેડીઝ, જેન્ટસ અને કીડ્સના કપડા ઉપરાંત મીઠાઇનું બોક્સ પણ હશે.
1500-2000 સુધીની સાડીઓ ખુશીઓના પટારામાં જોઇને કમિશનર પણ અચરજ પામ્યા

દિનેશ નાવડીયાએ STTAના વેપારીઓ અને સૂરત મહાનગરપાલિકા વચ્ચે કડીરૂપ ભૂમિકા
સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા એકત્રિત થયેલા સાડી, ડ્રેસ મટિરિયલને સૂરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવાના એક પ્રતિકાત્મક કાર્યક્રમમાં સૂરતના મેયર ડો.જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની તેમજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેેશભાઇ નાવડીયાને તેડાવાયા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ STTAના વેપારીઓ અને સૂરત મહાનગરપાલિકા વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમની હાજરીમાં કમિશનર શ્રી બંછાનિધીએ સૌરાષ્ટ્રવાસી ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોશીએશન દ્વારા આપવામાં આવેલી બિલકુલ નવી સાડીઓ, નવા ડ્રેસ મટિરિયલ્સ જોઇને અચરજ વ્યક્ત કર્યું હતું. આ સ્ટોકમાં રૂ.1500થી 2000ની એવી અનેક સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ પણ હતા. તેની સાથે વેપારીઓએ નાનખટાઇના બોક્સ પણ આપ્યા હતા.
દિલ-દિમાગમાંથી પસંદગી કરવાની હોય તો સૌરાષ્ટ્રવાસી દિલની પસંદગી કરતા હોય છે
સૌરાષ્ટ્રવાસી ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા પાલિકા પ્રેરિત ખુશીઓનો પટારો અભિયાન માટે આપવામાં આવેલી ચીજવસ્તુઓનો સ્વીકાર કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાનીએ જણાવ્યું કે લાખો રૂપિયાનો માલ આ પ્રકારે ગરીબો માટે સૌરાષ્ટ્રવાસી જ આપી શકે. તેઓ દિલથી કામ લેતા હોય છે. દિલ અને દિમાગની પસંદગી કરવાની હોય તો સૌરાષ્ટ્રવાસીઓ દિલની પસંદગી કરતા હોય છે.
સારોલી સ્થિત રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને સૌરાષ્ટ્રવાસી અગ્રણી મનીષભાઇ કાપડીયાએ કર્યું હતું.





















