મોંઘીદાટ બ્રાન્ડેડ કરતા મંડળોએ બનાવેલી મીઠાઈઓ રક્ષાબંધને વધુ ઉપડી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રક્ષાબંધન હવે મોટા ભાગે મીઠાઇઓનો તહેવાર બની ગયો છે અને હાલ મંદીનો માહોલ છે ત્યારે આ વખતે 2019ના રક્ષાબંધન પર્વે સૌથી વધુ જો કોઇ મીઠાઇએ વેચાઇ હોય તો એ મોંઘીદાટ બ્રાન્ડેડ નહીં પણ અનબ્રાન્ડેડ એટલે કે ગૃહ ઉદ્યોગની, સોસાયટી, મંડળ, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ વધુ વેચાઇ હોવાના અહેવાલો મળ્યા છે.
શહેરમાં જુદી જુદી ક્લબ, સોસાયટીઓ, મંડળો, સંગઠનો, ગ્રુપ્સ વગેરે દ્વારા પહેલા ઘારી પોતાના સભ્યો માટે બનાવવાનો રિવાજ હતો, પરંતુ, મંદીના માહોલમાં મધ્યવર્ગીય, ગરીબ પરિવારોને સસ્તાદરે, સારી ક્વોલિટીની મીઠાઇઓ મળી રહે તે માટે આ રક્ષાબંધન જુદી જુદી મીઠાઇઓ બનાવીને વેચવા મૂકી હતી અને સૌના આશ્ચર્ય વચ્ચે મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ ધૂમ ઉપડી હતી.
બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા ગૃહ ઉદ્યોગ સ્વરૂપે સોસાયટીઓ, મંડળો, સંગઠનોએ બનાવેલી મીઠાઇઓ રૂ.150થી રૂ.300 સુધી પ્રતિ કિલોએ સસ્તી પડી હતી. બજારમાં બ્રાન્ડેડ મીઠાઇ શોપવાળાઓએ કાજુ ફેન્સીનો ભાવ રૂ.800 પ્રતિ કિલોથી સ્ટાર્ટ કરી દીધો હતો, જ્યારે આ બ્રાનડેડ મીઠાઇઓ કરતા પણ સારી ક્વોલિટીની, તાજી બનાવેલી મીઠાઇઓ સોસાયટીઓ, મંડળોએ રૂ.625થી રૂ.650 પ્રતિ કિલોના ભાવે વેચી હતી. એવી જ રીતે જુદી જુદી જાતના હલવા અને બરફી તેમજ પેંડા પણ હોમ મેડ ખૂબ ઉપડ્યા હતા.
શહેરના લાલદરવાજા ખાતે કાર્યરત યુવક મંડળે 1600 કિલો જેટલી ચોકલેટ બરફી બનાવી હતી, તેમણે જણાવ્યું કે કમસેકમ 2000 ફેમિલીઓએ તેમની બનાવેલી ચોકલેટ બરફીથી મ્હો મીઠું કરાવીને બળેવ ઉજવી હતી. સંસ્થાના કાર્યકર્તા બળવંત પટેલે જણાવ્યુ કે તેમણે બે દિવસ પૂર્વે બનાવી હતી મીઠાઇ, અગાઉથી 1200 કિલોનો ઓર્ડર બુક થઇ ગયો હતો. રક્ષાબંધની પૂર્વ સંધ્યાએ મીઠાઇ ખલ્લાસ થઇ ગઇ હતી અને લોકોને વધુ કમસેકમ 300 કિ.ગ્રા. મીઠાઇ જોઇતી હતી એટલી ડીમાંડ નીકળી હતી.
એવી જ રીતે અંબાજી રોડ પર વયસ્કોના એક ગ્રુપએ કાજુકતરી તૈયાર કરી હતી. પોતાના મેમ્બર્સ માટે અંદાજે 1000 કિ.ગ્રા. બનાવવાનું પ્લાનિંગ હતું પરંતુ, જેમ જેમ બુકિંગ અંગે લોકોને ખબર પડતી ગઇ આ ગ્રુપએ 2500 કિ.ગ્રા.થી વધુની કાજુકતરી બનાવવી પડી. રૂ.650 પ્રતિ કિલોએ તેમણે બનાવેલી કાજુકતરી લેવા માટે છેક ભરૂચ અને વલસાડથી લોકો આવ્યા હતા.
સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર થતી મીઠાઇઓ ફ્રેશ, ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવની હોય છે
હાલ જે રીતે મંદીનો માહોલ છે અને સુરતના બજારોમાં કેટલીક બ્રાન્ડેડ કહેવાતી મીઠાઈ શોપ્સના માલિકોએ જાણે રાતોરાત બંગલા બાંધી દેવાના હોય એ રીતે મીઠાઇઓના ભાવો વધારી દીધા છે, આવી સ્થિતિમાં મધ્યમવર્ગે આ રક્ષાબંધન પર્વની ઉજવણી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલી મીઠાઈઓથી ઉજવી હતી.
જે રીતે રક્ષાબંધને બ્રાન્ડેડ મીઠાઇઓ કરતા સ્વૈચ્છીક સંસ્થાઓએ બનાવેલી મીઠાઇઓની બજારમાં ભારે માંગ હતી અને લગભગ દરેક મંડળો, સંગઠનોએ બનાવેલી તમામ મીઠાઇઓ આ વખતે વેચાઇ ગયા પછી પણ ડિમાંડ નીકળી હતી એ જોતા હવે આગામી તહેવારોની મોસમમાં ખાસ કરીને ચંદી પડવાએ અને દિવાળીના તહેવારોમાં પણ મધ્યમવર્ગીય સુરતીઓ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મીઠાઇઓ જ ખરીદશે એમ મનાય છે.
હા, એ વાત ચોક્કસ છે કે કેટલાક હાઇફાઇ લોકોએ બ્રાન્ડેડ મીઠાઇઓવાળાને ત્યાં મીઠાઇના આકર્ષક પેકેટસ ખરીદવા માટે પડાપડી કરી હતી, પરંતુ, એ પણ ફક્ત જ્યાં દેખાડો કરવાનો છે એ માટે જ. મોટા ભાગના બ્રાન્ડેડ મીઠાઇવાળાઓ આકર્ષક પેકિંગમાં દિવસો પહેલા તૈયાર કરી દેવાતી મીઠાઇઓ તહેવારોની ભીડમાં લોકોને પધરાવી દેતા હોય છે. એટલા માટે જ સુરત મહાનગરપાલિકાએ રક્ષાબંધન પર્વ અગાઉ શહેરની કહેવાતી બ્રાન્ડેડ મીઠાઇઓની દુકાનો પર ચેકિંગ કરીને સેમ્પલો લીધા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now