CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 48 of 79 - CIA Live

October 20, 2019
rikshaw.jpg
1min5190

શહેરમાં એક રિક્ષાચાલકને પોતાની રિક્ષા વેચી નાખ્યા બાદ રૂપિયા ૭૬ હજારના ૨૭૫ ઈ-મેમો આપવામાં આવતાં આ રિક્ષાચાલકની હાલત કફોડી થઈ ગઈ હતી. આટલો મોટો દંડ કરાતાં આ રિક્ષાચાલક તેની કૅફિયતની રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પરિવાર સાથે પહોંચ્યો હતો.

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને પોલીસ કમિશનરની કચેરીમાંથી ફોન આવ્યા બાદ તે કચેરીમાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને ૨૫૭ ઈ-મેમો આપ્યા હતા જેમાં કુલ ૭૬,૩૭૫ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે ચાર મહિના પહેલા રૂપિયા ૩૦ હજારમાં રિક્ષા વેચી નાખી હતી. આ તરફ પોલીસ દંડ નહીં ભરાતા પોલીસ રિક્ષા જમા કરવાની તૈયારી કરી રહી છે.

રિક્ષા ખરીદનાર વ્યક્તિ આ દંડ ભરવા માટે દબાણ કરી રહ્યો છે, ત્યારે પોતાના પર આવી પડેલી મુશ્કેલી મામલે આ યુવાન પરિવાર સાથે રજૂઆત કરવા પોલીસ કમિશનર ઑફિસે પહોંચ્યો હતો.

October 18, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6750

સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.

આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.

એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.

મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.

તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.

અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.

સેવા સમાજ ફાઉન્ડેશન

સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.

October 16, 2019
CIA_SGCCI-1280x853.jpg
3min14160

સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.

બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.

RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.

આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં

  • રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
  • નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
  • નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
  • મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
  • રાકેશભાઇ ચૌધરી (પ્રતિભા ગ્રુપ) – રોદણાં રોવાનું બંધ કરીને ડેટા આધારીત રજૂઆતો
  • ભરતભાઇ ગાંધી – RCEP વન-વે છે એક વાર ઘૂસ્યા પછી નીકળવાનો કોઇ રસ્તો નથી
  • ગીરધરગોપાલ મુંદડાજી – ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટની જરૂર શું
  • અશોકભાઇ જીરાવાલા – એક થઇને ઉંચા અવાજે લડીશું નહીં તો પતી જઇશું
  • આશિષભાઇ ગુજરાતી – જીએસટી આઇટીસીમાં વિવર્સ લડ્યા એમ લડવું પડશે
  • મયુરભાઇ ગોળવાલા – RCEP નો ડ્રાફ્ટ પહેલા મેળવો અને પછી લડત નક્કી કરો
  • હિંમતભાઇ પટેલ – સરવાળે નુકસાન કારક છે RCEP
  • હરીભાઇ કથિરીયા – ટેક્સટાઇલના તમામ ઘટકો એ એક થઇને લડવું જરૂરી
  • મનોજભાઇ અગરવાલ – ફોસ્ટા લડતમાં ખભે ખભા મિલાવીને સાથ આપશે
  • ધીરુભાઇ દેસાઇ – યુદ્ધ એ જ કલ્યાણ
  • બંદનાબેન ભટ્ટાચાર્ય – એગ્રેસિવ રિઝલ્ટ ઓરીએન્ટેડ લડત જરૂરી
  • બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
  • લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
  • હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
  • સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું

ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.

ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.

આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.

ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.


October 14, 2019
IMG-20191014-WA0027.jpg
1min11590

સુરતમાં હીરા ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કર્યું ભવ્ય અભિવાદન

સૂરતના હીરા ઉદ્યોગકારોએ આજે ભેગા મળીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો જાહેર અભિવાદન કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન કર્યો હતો. હીરા ઉદ્યોગ પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીના દરો ઘટાડવા સંદર્ભે કેન્દ્ર સરકારમાં પરીણામલક્ષી રજૂઆતો કરવામાં આગેવાની લેવા બદલ સૂરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), સૂરત ડાયમંડ એસોસીએશન તેમજ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઉપક્રમે સૂરતના અમેઝીયા સંકુલમાં આજે તા.14મી ઓક્ટોબર 2019ના રોજ બપોરે 3 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સૂરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટક સંઘો, નવસારીના હીરા ઉદ્યોગકારો, ખંભાતના હીરા ઉદ્યોગકારો સમેત અનેક સંસ્થાઓએ આ પ્રસંગે નીતિન પટેલનું બહુમાન કર્યું હતું.

હીરા ઉદ્યોગને કનડી રહેલા જીએસટીના અતિશય દરોને ઓછા કરવા સંદર્ભની કાર્યવાહી હાથ ધરાય એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમેતના નેતાઓએ કરેલી ધારદાર રજૂઆતોની જાહેર નોંધ લઇને તેમનો જાહેરમાં ઋુણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

હીરા ઉદ્યોગના પ્રશ્નો પરત્વે કેન્દ્રમાં કરેલી રજૂઆતો ફળદાયી નિવડી : દિનેશ નાવડીયા

સમારંભના આરંભમાં જેજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ તમામ મહાનુભાવોને આવકારતા નિખાલસ વાતો કરી હતી. તેમણે કહ્યું કે જેમ જેમ જીએસટીનો અમલ શરૂ થયો તેમ તેમ તેની નકારાત્મક બાબતે સામે આવી હતી. જીએસટી સમેત અન્ય પ્રતિકૂળતાએ જ્યારે સામે આવે ત્યારે જ તેની અસરકારકતાની પ્રતીતિ થાય. સૂરતના હીરા ઉદ્યોગકારો વતી અનેક વખત રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં, સ્થાનિક સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા રજૂઆતો થઇ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ સમગ્ર પ્રશ્નનો સમજ્યો અને પછી કેન્દ્રમાં તેમણે પરીણાલક્ષી રજૂઆતો કરી, જેની ફળશ્રૃતિ રૂપે હીરા ઉદ્યોગ પરથી જીએસટીનો બિનજરૂરી ભાર ઓછો થયો છે.

પોતાના જાહેર અભિવાદન બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ સૂરતના હીરા ઉદ્યોગકારો તેમજ મહાનુભાવોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

આ લોકોએ સમારોહને શાનદાર બનાવ્યો

આ સમારોહને સફળ બનાવવામાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા, જિલ્પાબેન શેઠ તેમજ સમગ્ર કાઉન્સિલ સ્ટાફ ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી બાબુભાઈ કથીરિયા અને તેમની ટીમ તથા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખશ્રી જયંતીભાઈ સાવલીયા તેમજ તેમની ટીમે છેલ્લા દસ દિવસથી ભારે જહેમત ઊઠાવી હતી.

October 12, 2019
rally.jpg
1min17040

સમર્થન ગ્રુપની એકતા પદયાત્રાને સૂરતીઓનો પ્રચંડ પ્રતિસાદ

સૂરત આજરોજ તા.12મી ઓક્ટોબર 2019ના રોજ એવી બિનરાજકીય અને રાષ્ટ્રહિતના સમર્થનમાં નીકળેલી વિરાટ રેલીનું સાક્ષી બન્યુ છે જેમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૂરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ તબીબ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બિનસરકારી સંસ્થા સમર્થન ગ્રુપે રાષ્ટ્ર હિતમાં કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલી કાર્યવાહીને સમર્થન આપવા માટે આજે સવારે 7 વાગ્યે શહેરના કારગીલ ચોક પરથી શરૂ થનારી એક્તા પદયાત્રામાં ઉમટી પડવા માટે કરેલી હાકલને લહેરીલાલા સૂરતીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.

સવારે સાડા છ વાગ્યાથી પીપલોદના કારગીલ ચોક પર લોકો ઉમટવાના શરૂ થઇ ગયા હતા. સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં એકલ દોકલ નહીં પણ લોકો 25-50-100ના ગ્રુપમાં જોડાઇ રહ્યા હતા. જોત જોતામાં સવારે સાતના ટકોરે કારગીલ ચોક પર પંદર હજારથી વધુ લોકો વ્હાઇટ કપડામાં સજ્જ થઇ ગયા હતા.

રેલીના આયોજકો પૈકીના સમર્થન ગ્રુપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, SGCCI પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ડો. મુકુલ ચોક્સી, ભાજપાના સૂરત મહામંત્રી શ્રી મદનસિંહ અટોદરીયા, શિક્ષણ સમિતિ, સૂરતના ચેરમેન શ્રી હસમુખભાઇ પટેલ, સભ્ય શ્રી પરિમલભાઇ ચાસીયા, વકીલ શ્રી નિલકંઠ બારોટ, ડો.કિશોરસિંહ ચાવડા, ડો.કશ્યપ ખરચીયા, શ્રી ઇકબાલ કડીવાલા સમેત અનેક આગેવાનોએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સવારે 7 વાગ્યે શહેરના પોશ વિસ્તારમાં માનવ કિડીયારું ઉમટેલું જોઇને આસપાસના રહેવાસીઓ સમેત વાહનચાલકો, રાહદારીઓમાં કૌતુક સર્જાયું હતું. સુરત ડુમસ રોડ પર દરરોજ વોકીંગ, જોગીંગ કરતા સેંકડો લોકો આજે સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં જોડાઇ ગયા હતા. શહેરની લગભગ 500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. વગેરેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાતા આજની બિનરાજકીય રેલીએ અત્યંત વિશાળ બની જવા પામી હતી.

રેલીમાં સૂરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ ઉપરાંત ભાજપાના નેતા શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, સૂરત મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સમેત અનેક આગેવાનો જોડાયા હતા.

સૂરત શહેર ઉપરાંત સૂરતની બહાર, સૂરત જિલ્લા, વ્યારા, બારડોલી, નવસારી, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સમર્થન ગ્રુપ આયોજિત એક્તા પદયાત્રામાં જોડાયા હતા.

આજની આ રેલી જોઇને શહેરના જાણકારોનું કહેવું છેકે શહેરમાં રાજકીય રેલીઓ કે ધાર્મિક રેલીઓમાં લોકોને ઉમટી પડતા જોયા છે, સામાજિક હિત માટેની રેલીમાં લોકો કિડીયારાની જેમ ઉમટી પડતા જોયા છે પણ આજે રાષ્ટ્રહિતના મુદ્દા પર સમર્થન આપવા માટે સૂરતીઓએ એકતા પદયાત્રાને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગણ્યા ગણાય નહીં એટલા લોકો પદયાત્રામાં જોડાય રહ્યા હતા.

October 10, 2019
ima_gujarat.jpg
1min5870

ઇન્ડિયન મેડીકલ એસો. ગુજરાત 110 બ્રાન્ચ અને 29 હજારથી વધુ તબીબો ધરાવતું સંગઠન

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાતમાં 115 બ્રાન્ચ અને 29000થી વધુ તબીબોનું સંખ્યાબળ ધરાવતા ડોક્ટર્સના એસોસીએશન, એટલે કે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચનું પ્રમુખ પદ આ વખતે સૂરત ઝોનના ફાળે આવ્યું હતું અને સૂરતના તબીબોએ સર્વસંમતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશને લીલીઝંડી આપતા આગામી તા.12મી ઓક્ટોબર 2019ના રોજ દમણની ડેલ્ટીન હોટેલ ખાતે આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ પદે સૂરતના તબીબ ડો. ચંદ્રેશ જરદોશની સત્તાવાર વરણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ઓર્ગન ડોનેશન અને આઇડિયલ મધર કન્ટેસ્ટ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે આઇ.એમ.એ. ગુજરાતના નવા ચેરમેન

ઇન્ડીન મેડીકલ એસોસીએશન, આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે સૂરતના તબીબ ડો.ચંદ્રેશ જરદોશ વરાયા છે. તેઓ શનિવારથી વિધિવત રીતે આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી લેશે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે તેઓ તબીબોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સતત પ્રયાસો કરશે સાથે આઇ.એમ.એ. જેવી મહત્વની સંસ્થાના નેતૃત્વ દરમિયાન ઓર્ગન ડોનેશન તેમજ આઇડીયલ મધર કન્ટેસ્ટ જેવી ઇવેન્ટ નિયમિત રીતે યોજશે.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશનને સમગ્ર ગુજરાતમાં 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. દર વર્ષે કોઇ એક ઝોનમાંથી પ્રેસિડેન્ટની નિમણૂંક થાય તેવો ધારો અમલમાં છે. આ વખતે દક્ષિણ ઝોનનો વારો હતો. સૂરતમાં અનેક તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ માટે દાવેદાર હતા. પરંતુ, તબીબોએ અંદરોઅંદર સમજૂતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશનું નામ ફાઇનલ કર્યું હોવાની વિગતો જાણવા મળી હતી.

સૂરતના 3 તબીબો આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે

અગાઉ સૂરતના ત્રણ તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેમાં ડો.આર.કે. દેસાઇ, ડો. વિનોદ શાહ અને ડો.પ્રજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.

તબીબી જગતને સ્પર્શતા હકારાત્મક સમાચારો, ઇવેન્ટસ, ક્રિટીકલ ઓપરેશન્સ વગેરેની માહિતી અમને મોકલી શકો છો Email: cialive@yahoo.com

October 9, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5280

GJEPC, ડાયમંડ એસોસીએશન અને  સુરત જ્વેલરી મેન્યુ. એસો.ના ઉપક્રમે ઋુણ સ્વીકાર કાર્યક્રમ

છેલ્લા ઘણાં સમયથી જુદા જુદા પ્રશ્નો પરત્વે ઉપેક્ષિત થતાં આવેલા હીરા ઉદ્યોગને તાજેતરમાં હીરા જોબવર્કને લગતા જી.એસ.ટી.ના દરોમાં નોંધપાત્ર ઘટાડો કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને હીરા ઉદ્યોગે આવકારી લીધી હતી. હીરા ઉદ્યોગને હીરાના જોબવર્ક પર લાગતા જીએસટીના દર ઘટાડવા માટે હીરા ઉદ્યોગની તરફે કેન્દ્રમાં મક્ક્મ રજૂઆતો કરીને પરીણામદાયી નિવેડો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવાનો કાર્યક્રમ સુરતના હીરા ઉદ્યોગકારોના જુદા જુદા સંગઠનો દ્વારા યોજવામાં આવ્યો છે.

હીરા ઉદ્યોગને જીએસટીમાં રાહત મળે એ માટે પરીણામદાયી રજૂઆતો કરનાર ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનું સુરતમાં જાહેર અભિવાદન કરશે હીરા ઉદ્યોગપતિઓ (ફાઇલ ફોટો)

વધુ માહિતી આપતા જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયા, સુરત ડાયમંડ એસોસીએશના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જંયતિભાઇ એ જણાવ્યું હતું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીન પટેલે હીરા જોબવર્ક પર અમલી જીએસટીના દરોમાં ઘટાડા અંગે હીરા ઉદ્યોગની પડખે રહીને કેન્દ્રમાં પરીણામદાયી રજૂઆતો કરી હતી. સુરતનો હીરા ઉદ્યોગ તેમનો ઋુણ સ્વીકાર કરવા માટે આગામી તા.14મી ઓક્ટોબરના રોજ બપોરે અઢી વાગ્યે એક કાર્યક્રમ યોજી રહ્યું છે.

સુરત સ્થિત જીજેઇપીસી, સુરત ડાયમંડ એસોસીએસન તેમજ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના નેજા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ખંભાતના હીરા ઉદ્યોગકારો પણ જોડાશે. તમામ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલને બહુમાનિત કરશે. પરવટ પાટીયા સ્થિત અમેઝિયા ખાતે યોજાનારા કાર્યક્રમ આમંત્રિતો માટે મર્યાદિત છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ઉપરાંત મેયર ડો.જગદીશ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી કિશોર કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

October 9, 2019
diwalibonus-1280x720.jpg
1min6540

દિવાળી આખર તારીખમાં, એવું પણ બને કે અનેક નોકરીયાતોને દિવાળી પહેલા પગાર (એડવાન્સમાં) ન પણ મળે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

માર્કેટમાં હાલ અંડરટોન મંદી તરફી છે, નાણાંભીડની અભૂતપૂર્વ સ્થિતિ હોવાની દશેરાના તહેવારોની નબળી ખરીદીએ પ્રતીત કરાવી દીધું છે. સુરત વ્યાપારીક શહેર છે, ઉદ્યમીઓથી ભરેલું શહેર છે, નાના-મધ્યમ વર્ગના ધંધાર્થીઓ, કારખાનેદારોથી ભરેલું શહેર છે. બેથી 15-20 કર્મચારીઓ ધરાવતા કારખાનેદારો, વ્યાપારીઓની સંખ્યા અહીં લાખો છે. આવી સ્થિતિમાં દિવાળી આ વખતે બરાબર મહિનાની આખર તારીખમાં આવી રહી છે.

વ્યાપારીઓ-કારખાનેદારોએ ગત સપ્ટેમ્બર 2019 મહિનાનો પગાર નવરાત્રીના તહેવારો દરમિયાન કારીગર-કર્મચારીઓને ચૂકવી દીધો છે અને હવે દિવાળી આખર તારીખમાં હોઇ, ચાલુ ઓક્ટોબર 2019નો પગાર પણ દિવાળી પહેલા ચૂકવવો પડશે અને તેની સાથે જે ધંધાર્થીઓ કર્મચારીઓ, કારીગરો, કામદારોને બોનસ ચૂકવતા હોય તો એ પણ ચાલુ મહિને જ ચૂકવવું પડે તેવી નોબત આવી છે. સુરતમાં ઘણાં વેપારીઓ આ સ્થિતિને પામી ચૂક્યા છે અને તેમના નવરાત્રીના તહેવારોમાં દિવાળીની કેશ મેનેજમેન્ટનું ટેન્શન થઇ ગયું હતું.

Symbolic Photo

માર્કેટ મિડીયમ ચાલતું હોત તો આ ખર્ચા નીકળી શક્યા હોત, પણ મંદી છે એટલે મોટી મુશ્કેલી

23 જણાનો સ્ટાફ ધરાવતા ટેક્સટાઇલ કારખાનેદાર રતીલાલે જણાવ્યું કે દિવાળીના તહેવારોમાં બે વખત (10-12 દિવસ એડવાન્સ) પગાર ચૂકવવો પડે તેવા સંજોગો ભૂતકાળમાં પણ સર્જાયા હતા પણ એ વખતે માર્કેટમાં ઘરાકી હતી અને થોડું જોર લગાડીને એડવાન્સ પગાર માટેની કેશની ગોઠવણ થઇ જતી હતી. પણ આ વખતે માર્કેટમાં મંદી છે અને એ આજકાલની નથી, ઘણા મહિનાઓથી ટર્ન ઓવર નીચું થઇ રહ્યું છે એટલે આ દિવસો કેમ જશે એ સમજાતું નથી.

કોર્પોરેટ સિસ્ટમમાં કદાચ ઓક્ટોબરનો એડવાન્સ પગાર ન પણ થાય

શહેરના જાણીતા લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગ, ધંધાઓ કોર્પોરેટ સિસ્ટમથી ચાલે છે. માર્કેટમાં હાલ મંદીનો માહોલ છે અને એવું પણ બને કે 5થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ન પણ ચૂકવે. બોનસ કે કેશ જે સંસ્થઆની પરંપરા હોય તે અનુસાર કામદાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઇ નહીં. અનેક એકમોમાં કર્મચારીઓ, કામદારો આ સિસ્ટમથી વાકેફ છે અને તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહીં મળે તો પારિવારીક તકલીફ પડશે એવી અનૂભુતિ કરી રહ્યા છે.

હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સ્ટેન્ડ આગામી દિવસોમાં ક્લીયર થશે

દિવાળી આખર તારીખમાં આવી રહી હોઇ, કામદારો, કર્મચારીઓને એડવાન્સમાં ઓક્ટોબર મહિનાનો પગાર દિવાળી પહેલા ચૂકવવો જોઇએ કે કેમ એ અંગે દશેરાનો પર્વ પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં શહેરના બે મોટા ઉદ્યોગ હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો, કારખાનેદારો નિર્ણય લેશે કે શું કરવું. માર્કેટની પરિસ્થિતિ જોતા સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ બે મહિનાનો પગાર અને સાથે દિવાળીમાં પેશગી, બોનસ કે એકમમાં જે શિરસ્તો ચાલતો હોય એ ત્રણેયને ભેગા કરવામાં આવે તો કારખાનેદારો અને કામ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે તેમ છે.

સૌથી મોટી મુશ્કેલી કામદાર-કર્મચારી વર્ગને

કામદાર કર્મચારીઓને પણ એ વાતનો અણસાર આવી ગયો છે કે આ વખતે દિવાળી આખર તારીખમાં છે અને માર્કેટમાં મંદીના ટોનને લઇને જો ઓક્ટોબર 2019નો પગાર એડવાન્સમાં નહીં મળે તો દિવાળીના તહેવારની ઉજવણી ફિક્કી પડે તેમ છે. મધ્યમવર્ગીય પરીવાર તેમજ નોકરીયાત વર્ગે પોતાના સેવિંગ્સમાંથી કરકસરપૂર્વક દિવાળીના ખર્ચા કરવા પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

મૂડી-બચત ઘસાય, લોન ધિરાણ કે ઉછીના પાછીનાથી દિવાળીનું સેટિંગ થશે

જાણકારો કહે છે કે આ વખતે મંદીના માહોલમાં દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે દરેક વર્ગના લોકો પોતાના રિર્ઝવ, સેવિંગ્સ, કેપિટલ જે રસ્તો સૌથી અનૂકુળ રહે તે અપનાવશે. ભૂતકાળમાં પણ આવા સંજોગો બન્યા હતા એના પરથી જ લોકો આ વર્ષે પણ દિવાળીનો રસ્તો કાઢશે. એવું બને કે મોટા કારખાનેદારો, વ્યાપારીઓ રેવન્યુ ખર્ચને પહોંચી વળવા માટે પોતાની મૂડી કેપિટલમાં થોડો ઘસારો વેઠે, મધ્યવર્ગીય પરિવારો, નોકરીયાતો સેવિંગ્સમાંથી દિવાળીને કેટલાક અનિવાર્ય ખર્ચાઓ કાઢે પણ ખરા, ઘણાં લોકો એવા પણ હશે કે દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવીને પણ દિવાળીના તહેવારનું સેટિંગ કરશે એમ મનાય છે.

October 8, 2019
r3-1280x853.jpg
2min11610

સુરતીઓ મિની વાવાઝોડાને ખમી શક્યા, રાવણ ખમી શક્યો નહીં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે કરી હતી. અનેક વૃક્ષો વરસાદે પાડી દીધા, અનેક છાપરાં ઉડાડ્યા. લોકો સમજે વિચારે એ પહેલા રહેણાંકોના બારી બારણા અથડાવા માંડ્યા હતા. માહોલ તો એવો રચાયો કે જાણે પૃથ્વીલોકના સૌથી મોટા રાક્ષસને ખરેખર વધ થવાનો હોય. અને હા એવું થયું પણ ખરું. સુરતમાં વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આજે લિંબાયત વિસ્તારમાં નિલગીરી સર્કલ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ સુરતના લિંબાયતના નિલગીરી વિસ્તારમાં રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રાવણને ફટાકડાથી ભરીને, આતશબાજીઓથી શણગારીને 60 ફૂટ ઉંચાઇ જેટલો તાજોમાજો કરી દેવાયો હતો. દહન પહેલા રાવણની તસ્વીરો પણ સોશ્યલ મિડીયામાં ફરતી કરી દેવામાં આવી હતી. પરંતુ, એ પછી કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. અને સુરતમાં વિજયાદશમીની સમી સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું. આ મિની વાવાઝોડાથી લોકો બચવા માટે પ્રયાસો કરી રહ્યા હતા, પણ જબરદસ્ત હાઇટ ધરાવતો રાવણ મિની વાવાઝોડાને ખમી શક્યો નહીં અને જમીનદોસ્ત થઇને પડ્યો હતો.

વિજયાદશમીની સમી સાંજે સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ રાવણને આ રીતે ઢાળી દીધો હતો. ઃ તસ્વીર આસિફ એચ. મલેક

રામાયણના રામ બનેલા પાત્ર રાવણ પર તીર છોડે એ પહેલા મિની વાવાઝોડાએ રાવણને જમીનદોસ્ત કરી દીધો હતો.

રાવણ દહનનો કાર્યક્રમ લોકો માણી શકે એ માટે કરવામાં આવેલી બેઠક વ્યવસ્થા પણ વેરણ છેરણ ઃ તસ્વીર આસીફ એચ. મલેક

સુરતના પત્રકાર તેજસ મોદીએ મિની વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલા રાવણનો જોવા જેવો વિડીયો શેર કર્યો છે

https://www.youtube.com/watch?v=Cv0Pe5IJ28U&feature=youtu.be&fbclid=IwAR1rVp9lCsU9VjmWw3AynX_aFE0vVbY-VKCXQzGIJfJvUheiTd9s9qOdLFs

October 8, 2019
cp4-1280x853.jpg
2min10720

સુરતવાસીઓની રક્ષા કાજે અને કાયદો વ્યવસ્થા જાળવવા સુરત શહેર પોલીસ સુસજ્જ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિજયા દશમીએ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે શસ્ત્રનું પૂજન કરવામાં આવે. પ્રાચિન કાળમાં શસ્ત્રો જ માનવીની રક્ષા કરતા, આજના કાળમાં હવે ઔજારો શસ્ત્રનું કામ કરે છે. હવે એવો ટ્રેન્ડ છે કે અર્થોપાર્જનમાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સની પૂજા વિજયા દશમી એટલે કે આજના દશેરના પર્વે થાય છે. તાજેતરમાં જ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળનાર શ્રી આર.બી.બ્રહ્મભટ્ટએ આજે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાને જાળવતા શસ્ત્ર પૂજન કર્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેર પોલીસના ઉપક્રમે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ પાસે ઉપલબ્ધ દરેક પ્રકારના શસ્ત્રોને પૂજા સ્થળે ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. સુરત શહેરના લોકોની રક્ષા માટેના આ શસ્ત્રોનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધીથી કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે સુરત પોલીસ બેડા પાસે ઉપલબ્ધ દરેક પ્રકારની પિસ્તોલ, બંદૂક, મશીનગન્સ વગેરે પ્રકારના શસ્ત્રોને તિલક કરીને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સુરત શહેરમાં જુદા જુદા પદો પર ફરજ બજાવી રહેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરી રહેલા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ તસ્વીર સૌજન્ય આસિફ એચ. મલેક

ચાપલધરા વિભાગ રાજપૂત સમાજે પોતાની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું

સુરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના જાણિતા રાજપૂત સમાજ, ચાપલધરા વિભાગ રાજપૂત સમાજના ઉપક્રમે આજરોજ ગુજરાતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં રાજપૂત સમાજની પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન વિધિ તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમી પર્વે થતી શસ્ત્ર પૂજન વિધિનું અનેરુ મહત્વ છે. આ પરંપરા ચાપલધરા વિભાગ રાજપૂત સમાજ હરહંમેશ જાળવીને વિધિ વિધાન અનુસાર શસ્ત્ર પૂજન કરે છે.

શહેરના જાણિતા પત્રકાર નિલકંઠ શાસ્ત્રી વર્ષોથી તેમના શસ્ત્રનું પૂજન કરે છે

સુરત શહેરના સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ગાર્ડિયનમાં ક્રાઇમ રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહેલા સુરતના જાણિતા પત્રકાર શ્રી નિલકંઠ શાસ્ત્રી પોતે લાઇસન્સ વેપન ધરાવે છે. તેઓ પણ વર્ષોથી પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કરે છે. આજે વિજયા દશમીના પર્વે તેમણે પોતાના લાઇસન્સ વેપન તેમજ જે કલમ (બોલપેન) થી તેઓ ફરજ બજાવે છે તેનું પૂજન કર્યું હતું. નિલકંઠ શાસ્ત્રીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં દશેરા પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા તેઓ જ્યારથી સમજણા થયા ત્યારથી જાળવી રહ્યા છે.