8 કે 9 માર્ચે ચૂંટણીની તારીખોની ઘોષણા સંભવ
આગામી મે 2019માં નવી કેન્દ્ર સરકારની રચના કરવી હોય તો દેશના ચૂંટણી પંચે હવે પછી ગમે ત્યારે, આજે, કાલે કે ચાલુ સપ્તાહ દરમિયાન મોડામાં મોડું લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવું પડે તેમ છે. ભારત વિશાળ દેશ છે અને અહીં ચૂંટણી ત્રણ-ચાર નહીં પરંતુ 6થી7 તબક્કામાં યોજવી પડે તેમ છે, એક જ દિવસે સમગ્ર ભારતમાં ચૂંટણી કરાવવી શક્ય નથી, પરીણામે કેન્દ્રીય ચૂંટણી પંચે માર્ચના પ્રથમ કે મોડામાં મોડું દ્વિતીય સપ્તાહમાં તો લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી જ દેવી પડે છે.
લોકસભા ચૂંટણીને લઈને હાલ દેશભરમાં માહોલ ગરમ છે. ત્યારે અહેવાલો છે કે 8 માર્ચ કે 9 માર્ચ સુધીમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગૂ પડી જશે.
થોડા સમય પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરી પહેલા બદલીઓની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે.

વર્ષ 29014માં પાંચ માર્ચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જ્યારે વર્ષ 2009માં બીજી માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી. જેથી આગામી ચૂંટણીનો કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજકીય પંડિતો એવું ગણિત માંડી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન એકાદ બે દિવસમાં કેટલીક મહત્વની અને ટેકનિકલ જાહેરાતો કરી દીધા બાદ ચૂંટણી પંચ ગમે તે દિવસે લોકસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા સાથે સમગ્ર દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગૂ કરી દેશે. આ જોઇને જ ગુજરાત સમેત અને રાજ્યોની સરકારોએ પોતાના અધિકારીઓની બદલીઓના ઓર્ડર જારી કરી દીધા છે, ખાસ કરીને પોલીસ તેમજ મહેસૂલી અધિકારીઓ કે જે ચૂંટણીઓ કરાવવા માટે તૈનાત કરવામાં આવશે તેમની બદલીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ એકાદ બે દિવસમાં કેટલીક બદલીઓ થાય તેમજ કેટલીક નીતિ વિષયક ઘોષણાઓ કે જે સમાજના વિશાળ વર્ગને સ્પર્શતી હોય તેવી જાહેરાતો સંભવ મનાય રહી છે. ચૂંટણીની આચારસંહિતા લાગૂ થઇ ગયા બાદ મે મહિનાના અંત સુધી કોઇ નીતિ વિષયક ઘોષણાં, નવું કામ કે તેની જાહેરાત થઇ શક્શે નહીં.
દરમિયાન કોંગ્રેસના નેતા અહેમદ પટેલએ શિવરાત્રીના દિવસે કેટલીક ટ્વીટ કરી હતી એ સૂચક છે કે ચૂંટણીની તારીખોનું એલાન નજીક આવી રહ્યું છે.

ભાજપા તરફથી નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં રેલી કરી રહ્યા છે, તો સામે પક્ષે કોંગ્રેસ રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સમેત અનેક રેલીઓ કરીને ચૂંટણીનો પ્રચાર તો ક્યારનો શરૂ કરી દીધો છે. બન્ને મુખ્ય પક્ષો ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ લોકસભાની ચૂંટણી માટે લગભગ તૈયાર થઇ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી 2019નો મહાસંગ્રામ ભારત માટે નિર્ણાયક બની રહે તો નવાઇ નહીં.