CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 31 of 53 - CIA Live

February 1, 2020
opposition.jpg
1min5620

૧૪ વિપક્ષોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદમાં સંયુક્ત સંબોધન દરમિયાન સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં કાળી પટ્ટી પહેરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોહરા, અહમદ પટેલ, અધીર રંજન ચૌધરી, એ. કે. એન્ટોની તથા એનસીપી, સમાજવાદી, ડીએમકે, આરજેડી, સીપીઆઈ, શિવસેના, જેડીએસ, જેએમએમ, નેશનલ કોન્ફરન્સના નેતાઓનો સમાવેશ છે.

રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષોના નેતાઓ સેન્ટ્રલ હોલમાં એક બ્લોકમાં સાથે બેઠા હતા.

રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન સીએએના વખાણ કર્યા હતા. શાસક પક્ષના સભ્યોએ લાંબો સમય તાળી વગાડીને ખુશી દર્શાવી હતી. વિપક્ષોએ શરમ કરોના નારા લગાવ્યા હતા અને બેનર દર્શાવ્યા હતાં. સંસદના સત્ર પહેલા સોનિયા ગાંધીના વડપણ હેઠળ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણને બચાવો એવા પ્લેકાર્ડ દર્શાવાયા હતાં.

વિપક્ષો સંસદની તેમની નિર્ધારિત બેઠક પર બેસવાને બદલે પાછલી બેઠક પર બેઠા હતા. સીએએનો મુદ્દો રાષ્ટ્રપતિના સંબોધનમાં આવરી લીધો તે કમનસીબ બાબત છે, એમ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. સીએએને મોટી સિદ્ધિ ગણાવી હતી.

બેરોજગારી, જીડીપીમાં ઘટાડો, મોંઘવારી વિશે રાષ્ટ્રપતિના સંબોધનમાં કોઈ ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ઘણો વિકાસ થયો છે તે નર્યું જુઠ્ઠાણું હોવાનું વિપક્ષોએ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું ભાષણ સામાન્ય કક્ષાનું હતું.

January 26, 2020
rajasthandvidhansabha.jpg
1min5070

રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.

પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.

‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.

‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5310

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 20, 2020
jpnadda.jpg
1min5960

આજે કેન્દ્રમાં જેની પાસે સત્તા છે એ ભાજપાને અમિત શાહની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા મળ્યા છે. પાર્ટીની હેડ ઓફિસમાં નવા અધ્યક્ષ પદ માટે નોમિનેશન પ્રક્રિયા દરમિયાન ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ સંગઠનના પ્રભારી રાધામોહનસિંહને નવા અધ્યક્ષ માટે નોમિનેશન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને નવા અધ્યક્ષ બનાવવા સંદર્ભે રાજનાથસિંહે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે અન્ય કોઇ નેતા તરફથી ઉમેદવારીનો દાવો કરવામાં આવ્યો ન હતો. છેવટે જે.પી. નડ્ડાને ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ માટે ભાજપાના સુકાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પાર્ટીના નવા અધ્યક્ષનું સન્માન પણ કરવાના છે.

વિદ્યાર્થી સંઘથી નડ્ડાએ રાજકારણની શરુઆત કરી છે. સંગઠનમાં તેમનો દાયકાઓ જૂનો અનુભવ છે, આરએસએસથી તેમની નીકટતા અને સ્વચ્છ છબી તેમની તાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહનસિંહે પાર્ટીના સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન 20 જાન્યુઆરીએ નાખવામાં આવશે અને જરુર પડ્યે બીજા દિવસે ચૂંટણી થશે.

ભાજપમાં અધ્યક્ષ સામાન્ય સહમતિ સાથે ચૂંટવાની પરંપરા છે અને તેની ઓછી સંભાવના છે કે તેના સિવાય અન્ય કોઈ નિર્ણય લેવાય. નવા અધ્યક્ષની પસંદગી સાથે અમિત શાહના સાડા પાંચ વર્ષ કરતા વધુના કાર્યકાળનો પણ અંત આવશે, આ દરમિયાન ભાજપે દેશમાં પોતાના આધારનો વિસ્તાર કર્યો છે. શાહનો કાર્યકાળ ભાજપ માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સર્વશ્રેષ્ઠ હતો, જોકે, પાર્ટીને કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ઝાટકા વાગ્યા છે.

January 20, 2020
Arvind-kejriwal.jpg
1min6040

દિલ્હીમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. તમામ પક્ષે મોટાભાગના ઉમેદવાર જાહેર કરી દીધા છે. હવે ઘોષણાપત્ર જાહેર થશે. આપના વડા અરવિંદ કેજરીવાલે ચૂંટણી ઢંઢેરાના બદલે રવિવારે પક્ષનું ગેરન્ટી કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં ૧૦ ગેરન્ટી/ખાતરી અપાઈ છે,

જેમાં વિદ્યાર્થીઓને મફત બસ સેવા, મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ, ૨૦૦ યુનિટ સુધી મફત વીજળી, મફત આરોગ્ય સવલત, યમુના નદીને ક્લિન કરવી, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સમાવેશ છે. દિલ્હીમાં આપની સરકાર ફરીથી આવશે તો તમામ ખાતરી પરિપૂર્ણ કરાશે, એવી ગેરન્ટી આપી હતી. સર્વગ્રાહી ચૂંટણી ઢંઢેરો એકાદ અઠવાડિયામાં બહાર પડાશે, એમ કહ્યું હતું. વિપક્ષોએ કહ્યું હતું કે આપની સ્કીમ ૩૧ માર્ચ સુધી ચાલશે, પરંતુ અમે ગેરન્ટી કાર્ડ રજૂ કયું છે, જે પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. ગેરન્ટી કાર્ડ પર કેજરીવાલે સહી કરી હતી. દિલ્હી મેટ્રોનું નેટવર્ક લંબાવવાની પણ ખાતરી આપી છે. 

January 10, 2020
kannaiya.jpg
1min5810

JNUમાં 5 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને ગુરુવારના રોજ જેએનયુ વિદ્યાર્થી સંઘ અને JNU શિક્ષક એસોસિએશને વિરોધ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં JNU સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર પોતે પણ સામેલ થયા હતા. દિલ્હીમાં મંડી હાઉસ થી માનવ સંશાધન વિકાસ મંત્રાલય સુધી આ માર્ચ કાઢવામાં આવી હતી. માર્ચ દરમિયાન કનૈયા કુમારે ભાજપ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી અમને ટુકડે ટુકડે ગેંગ કહીને બોલાવે છે. તો હું તેમને માત્ર એટલું કહેવા માટે માંગુ છું કે અમે દેશના નહિ પરંતુ ભાજપના ટુકડા ટુકડા કરીશું 

કનૈયા કુમારે જણાવ્યું હતું કે, JNU કહે છે કે દેશમાં જનતાની પસંદગી કરેલી સરકાર છે. જનતાએ ટેક્સ આપ્યો છે. સરકાર જે ખાનગી સાહસો પર ઉડી રહી છે તે પોતાના દોસ્તોને મોટો ટેકો આપી રહી છે. આજ સરકારની જવાબદારી છે કે તેઓ શિક્ષણ સંસ્થાને બચાવે, રેલવેને બચાવે, રાષ્ટ્રવાદના નામે સરકારની રાષ્ટ્રીય સંપત્તિ વેચવાનું બંધ કરે. શું તમને લાગી રહ્યું છે કે ક્યારેક તમે રિઝર્વેશન ગાળો આપીને,ક્યારેક મેરીટ સુધી માર્ક લાવીને અમારી લડાઈને ગેરમાર્ગે દોરી દેશો. અમે તમારી સાથે ચર્ચા માટે તૈયાર છીએ. મેરીટ એ હોય છે કે જે યુનિવર્સીટીમાં ગરીબથી ગરીબ બાળક પોતાના મેરીટથી અહીંયા આવીને ભણી ગણી શકે. 

કનૈયા કુમારે કહ્યું હતું કે, JNU માત્ર આજની પેઢી માટે લડી રહ્યું નથી પરંતુ તે આવનારી પેઢી માટે પણ લડી રહ્યું છે. તે માત્ર પોતાના માટે જીવવાનું શીખવાડતું નથી. દેશનું બંધારણ દરેક નાગરિકોને વાંચવા માટે તથા સપના જોવાનો અધિકાર આપે છે. તમારે અમારા સપનાઓને મારી નાખવા છે પરંતુ અમે મારવા દઈશું નહિ. તમને ભ્રમ છે કે પોલીસનો માર મારીને તેને રોકી દઈશું.

December 31, 2019
uddhavgovn.jpg
1min6800

હારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પુત્ર, પુત્રી, ભત્રીજો, ભત્રીજી બધા જ મંત્રી બની ગયા છે. સીએમ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, શરદ પવારના ભત્રીજા અજિત પવાર, પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ, પૂર્વ ડિપ્ટી સીએમ અને બીજેપી નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજન મુંડે, કોંગ્રેસ વરિષ્ઠ નેતા એકનાથ ગાયતવાડની પુત્રી વર્ષા ગાયકવાડે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. 

આમાં અજિત પવારે રેકોર્ડ ચૌથી વાર ડિપ્ટી સીએમ પદના શપથ લીધા. કહી શકાય કે 37 દિવસમાં બે વાર ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવામાં અજિત પવાર સફળ રહ્યા. 

મહારાષ્ટ્ર સીએમ ઠાકરેના મંત્રીમંડળે  વિસ્તરણ પછી રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિસ્તરણને હજુ કેટલાક કલાકો વિત્યા છે અને આ મુદ્દે કોંગ્રેસી નેતાઓમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજકારણના સૂત્રો મુજબ કેબિનેટ વિસ્તરણથી કોંગ્રેસના અમુક નેતાઓ નાખુશ છે, તેમનું માનવુ છે કે મંત્રીમંડળ વિસ્તરણને લઇને કોંગ્રેસ હાઇકમાનને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. 

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ આ મામલે પાર્ટી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંત્રીમંડળમાં યોગ્ય અને વફાદાર ધારાસભ્યોની અવગણના કરાઇ હોવાના આરોપ લગાવ્યા હતા. માહિતી મુજબ નાખુશ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ હતા. 

December 26, 2019
UddhavFadnavis.jpg
1min6050

સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.

આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.

December 26, 2019
modi_temple.jpg
1min6690

તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

December 24, 2019
jharkhand.jpg
1min4820

ભાજપને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સર્વેક્ષણોનાં અનુમાન મુજબ જ ઝટકો લાગ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાજદનાં ગઠબંધને બહુમત મેળવીને ભાજપ પાસેથી સત્તા ખૂંચવીને કબજો જમાવી દીધો છે. મોડી સાંજ સુધીમાં 81 બેઠકો ધરાવતી વિધાનસભામાંથી 3પ બેઠકોનાં પરિણામ જાહેર થયા ત્યારે જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી અને સામે છેડે જેએમએમ-કોંગ્રેસ ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ હતી.’ હેમંત સોરેન 28મીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદેથી રઘુબરદાસે રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસે પરિણામ પછી નાયબ મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવી હતી.

આ સાથે જ ભાજપ માટે વર્ષ 2019 મિશ્ર પરિણામો લાવનારું બની ગયું હતું. એકબાજુ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી તો બીજીબાજુ ઉપરાઉપરી રાજ્યોની ચૂંટણીમાં તેને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં આ વર્ષ જતાં-જતાં તેને ઝારખંડનાં રૂપમાં વધુ એક આંચકો આપતું ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશનો સ્વીકાર કરતાં સાંજે ઝારખંડ મુક્તિ મોરચા અને જેમની સરકાર બનવા જઈ રહી છે તે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતાં. આવી જ રીતે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતું કે, જનાદેશનો આદર છે. તેમણે ટ્વિટરનાં માધ્યમથી ઝારખંડની જનતાનો પણ પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો અને પક્ષ વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યુ હતું. તો તમામ બેઠકોનાં પરિણામો બહાર આવે તે પહેલા જ મુખ્યમંત્રી રઘુબર દાસે પણ હાર કબૂલતા કહ્યું હતું કે, તેઓ અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે પણ જો ભાજપનો પરાજય થાય તો આ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત પરાજય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુબર દાસ પહેલા ઝારખંડ મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પરિણામોમાં જીત લગભગ સુનિશ્ચિત દેખાતા હેમંત સોરેને જનાદેશને વધાવતા કહ્યું હતું કે, તેઓ બધાને ખાતરી આપવા માગે છે કે, કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર તમામ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

રાત્રે 8 કલાકે કુલ 81 બેઠકોમાંથી 37નાં પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપની 13, કોંગ્રેસની 8 અને જેએમએમની 13 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે.

12 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 17 બેઠકો ઉપર જેએમએમ આગળ છે. જો આ વલણ પ્રમાણે જ અંતિમ પરિણામો રહે તો ભાજપ 2પ બેઠકો ઉપર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેએમએમનાં ગઠબંધનને કુલ મળીને 46 બેઠકો મળે તેવી સંભાવના છે. આમ તે બહુમતનો જાદુઈ આંક આસાનીથી પાર કરી લેશે તેવું ટ્રેન્ડ ઉપરથી દેખાય છે.

મુખ્યમંત્રી રઘુબર દાસ 4000 મતે અપક્ષ લડનાર પૂર્વ મુખ્યમંત્રી સર્યુ રોય સામે જમશેદપુર – પૂર્વ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે અને તેમની હાર નિશ્ચિત જણાવાય છે. સામે પક્ષે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠક ઉપરથી જીતી ગયા હતાં અને આ વિજયથી ગદગદ સોરેન સાઈકલ લઈને અભિવાદન ઝીલવા નીકળી ગયા હતાં.