૧૪ વિપક્ષોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદમાં સંયુક્ત સંબોધન દરમિયાન સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં કાળી પટ્ટી પહેરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, મોતીલાલ વોહરા, અહમદ પટેલ, અધીર રંજન ચૌધરી, એ. કે. એન્ટોની તથા એનસીપી, સમાજવાદી, ડીએમકે, આરજેડી, સીપીઆઈ, શિવસેના, જેડીએસ, જેએમએમ, નેશનલ કોન્ફરન્સના નેતાઓનો સમાવેશ છે.

રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિપક્ષોના નેતાઓ સેન્ટ્રલ હોલમાં એક બ્લોકમાં સાથે બેઠા હતા.
રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન સીએએના વખાણ કર્યા હતા. શાસક પક્ષના સભ્યોએ લાંબો સમય તાળી વગાડીને ખુશી દર્શાવી હતી. વિપક્ષોએ શરમ કરોના નારા લગાવ્યા હતા અને બેનર દર્શાવ્યા હતાં. સંસદના સત્ર પહેલા સોનિયા ગાંધીના વડપણ હેઠળ મહાત્મા ગાંધીની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણને બચાવો એવા પ્લેકાર્ડ દર્શાવાયા હતાં.
વિપક્ષો સંસદની તેમની નિર્ધારિત બેઠક પર બેસવાને બદલે પાછલી બેઠક પર બેઠા હતા. સીએએનો મુદ્દો રાષ્ટ્રપતિના સંબોધનમાં આવરી લીધો તે કમનસીબ બાબત છે, એમ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું. સીએએને મોટી સિદ્ધિ ગણાવી હતી.
બેરોજગારી, જીડીપીમાં ઘટાડો, મોંઘવારી વિશે રાષ્ટ્રપતિના સંબોધનમાં કોઈ ઉલ્લેખ નહીં હોવાનું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ ઘણો વિકાસ થયો છે તે નર્યું જુઠ્ઠાણું હોવાનું વિપક્ષોએ કહ્યું હતું. રાષ્ટ્રપતિનું ભાષણ સામાન્ય કક્ષાનું હતું.



















