CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 32 of 53 - CIA Live

December 22, 2019
nrc.jpg
1min10500

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 20, 2019
bjp_logo.png
1min4920

ગુજરાતમાં ઊંઝા ખાતેના ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઈ ગુરુવારે આવવાના હતા, પરંતુ અચાનક તેમનો આ કાર્યક્રમ રદ થતા હવે સ્થાનિક સંગઠનની રચના અંગેનો એજન્ડા પણ દસેક દિવસ પાછો ઠેલાયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી રાજ્યમાં સંગઠન સંરચનાના મહત્ત્વના પાસાં એવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની આખરી પસંદગી પૂર્વે પ્રદેશ આગેવાનો સાથે મંત્રણા કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખ માટે હવે પછી કોને જવાબદારી સોંપવી, પ્રમુખને બદલવા કે યથાવત્ રાખવા સહિત સંગઠન તથા સરકારમાં ફેરફારોને આખરી ઓપ આપવા બેઠકો યોજાવાની શક્યતા હતી, પણ હવે તેઓ જાન્યુઆરીમાં જ પ્રવાસે આવે તેવી શક્યતા છે.

ગુજરાતના ૪૧ જિલ્લા-મહાનગરોના પ્રમુખ તથા નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયાનો મામલો જાન્યુઆરી સુધી પાછો ઠેલાય એવી અટકળો તેજ બની છે. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે.

નવા રાષ્ટ્રીય પ્રમુખ પદે ડો.જે.પી. નડ્ડાની વિધિવત તાજપોશી થાય એ પહેલાં રાજ્યોના ૬૦ ટકા પ્રમુખોની પસંદગી પૂરી કરવી આવશ્યક છે. આથી કમુરતા ઊતર્યા પછી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાશે, તેમ જાણકારોનું કહેવું છે.

December 17, 2019
mamta.jpg
1min5500

પશ્ર્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવા કેન્દ્રને પડકાર ફેંકતાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્રમક સૂરમાં કહ્યું હતું કે, એન. આર. સી. અને નાગરિકત્વ સુધારા ધારાનો અમલ રાજ્યમાં કરાશે નહીં અને જો કરવો હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરી શકશે.

મમતાએ કોલકતામાં સોમવારે મોટી રેલી યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂજ લોકોને પૈસા આપીને ભાજપની કઠપૂતલી રાજ્યમાં હિંસા ફેલાવે છે.

મુસ્લિમ સમાજના મિત્ર બનીને રાજ્ય બહારનાં તત્ત્વો તોફાન કરે છે, એવો આક્ષેપ કર્યો હતો.

ટીએમસીના કાર્યકરોએ એનઆરસી અને સીએએ નહીં લખેલા બોર્ડ સાથે રેલી કાઢી હતી.

અસાઉદ્દીન ઓવૈસી સાથે મમતાનું શાબ્દિક યુદ્ધ ચાલે છે. તેમનો સીધો ઉલ્લેખ કર્યા

વિના કહ્યું હતું કે, લઘુમતીના મિત્ર બનીને બહારનાં તત્ત્વો હિંસા ફેલાવે છે તેના ટ્રેપમાં નહીં ફસાવા જનતાને કહ્યું હતું.

હું જીવીશ ત્યાં સુધી એનઆરસી અને સીએએનો અમલ રાજ્યમાં કરવા દઈશ નહીં એવી ધમકી આપી હતી. રાજ્ય સરકારને બરખાસ્ત કરો અથવા મને જેલના સળિયા પાછળ ધકેલશે તો પણ કાળો કાયદો અમલી બનાવીશ નહીં.

કેન્દ્ર જો અમલ કરાવશે તો મારી ડેડબોડી પરથી જ કરી શકશે. રાજ્યમાંથી કોઈને બહાર કરાશે નહીં. કાર્યકરોને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.

અમુક ટ્રેન બાળવાની ઘટના બન્યા બાદ કેન્દ્રે રાજ્યની ઘણી ટ્રેન સેવા સ્થાગિત કરી છે. કાર્યકરોને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલવા વિનંતી કરાઈ છે.

પ. બંગાળના રાજ્યપાલે મમતાની રેલીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગણાવી છે.

December 10, 2019
pm_insurance.jpg
1min6360

પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.

તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.

November 26, 2019
scindia.jpg
1min6060

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર બાયો પરથી કૉંગ્રેસનું નામ હટાવી દીધું તે પછી મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. સિંધિયાએ પોતાની ટ્વિટર પ્રોફાઈલ ટૂંકી કરીને ‘જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી’ એમ કરી હતી તે પછી તે કૉંગ્રેસમાં ખુશ નથી તેવી અટકળો વાયુવેગે ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમની વચ્ચેના મતભેદો સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ રહ્યા છે અને સિંધિયા કૉંગ્રેસ છોડશે તેવો પ્રશ્ર્ન સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં રમી રહ્યો છે.

મધ્ય પ્રદેશની ૧૧ મહિના જૂની કૉંગ્રેસ સરકાર ૧૧૫ વિધાનસભ્ય ધરાવે છે અને સાદી બહુમતીમાં એક સભ્ય ઓછો છે. બસપાના બે, એસપીનો એક અને ચાર અપક્ષ વિધાનસભ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. ૪૭ વર્ષીય સિંધિયા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં કમલનાથ સામે પાછા પડ્યા હતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડાનો તાજ પણ તેમને હજુ સુધી મળ્યો નથી.

મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા દીપક વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે પ્રોફાઈલમાં કરાયેલો બદલાવ દર્શાવે છે કે સિંધિયા પક્ષથી ખુશ નથી. રાજ્ય સરકારની કામગીરી સામે સિંધિયા વારંવાર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં સિંધિયા અને તેમના ટેકેદારોને ‘સાઈડલાઈન’ કરવામાં આવી રહ્યા છે. તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા અને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક કરવામાંં આવી નથી. દરમ્યાન મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે “ટ્વિટર હેન્ડલ સ્ટેટસમાં કરાયેલા બદલાવમાં ખોટું શું છે? હવે તે ગુનાના સાંસદ નથી. એક મહિના અગાઉ પ્રોફાઈલ બદલી હતી ત્યારે હવે કેમ અટકળો ચાલી રહી છે? સિંધિયા સાચા અને સમર્પિત નેતા છે જે પક્ષને કોઈ દિવસ છોડશે નહીં.

November 24, 2019
sharad_pawar.jpg
1min5380

એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

November 14, 2019
bjp_vs_congress.jpg
1min8530

ભાજપે 2018-19 વચ્ચે અત્યાર સુધીમાં કુલ્લ 800 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. સત્તારૂઢ પક્ષ અંગે આ જાણકારી ચૂંટણી પંચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો પરથી મળી હતી. કોંગ્રેસને માત્ર 146 કરોડ ધન મળ્યું છે.

કેસરિયા પક્ષને સૌથી વધુ 356 કરોડ રૂપિયા દાન દેશનાં પ્રતિષ્ઠિત ટાટા જૂથ તરફથી મળ્યું છે. ટાટા ગ્રુપ સંચાલિત સંસ્થા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આ દાન આપ્યું છે.

ભારતનાં સૌથી ધનવાન ટ્રસ્ટ ધ પ્રૂડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા દાન રૂપે આપ્યા છે. આ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટો કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ, ડી.એલ.એફ., જે. કે. ટાયર્સ, જુબિલિયેંટ ફૂડ વર્કસ જેવાં ઉદ્યોગ જૂથોનું સમર્થન છે.
કોંગ્રેસને મળેલા 146 કરોડમાંથી 98 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળ્યા છે, તો ભાજપને 800 કરોડમાંથી લગભગ 470 કરોડ રૂપિયા ઇલેકટોરલ ટ્રસ્ટે આપ્યા છે.

આદિત્ય બિરલા જૂથના જનરલ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 28 અને કોંગ્રેસને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.

ટ્રિમ્ફ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 5 કરોડ, હાર્મોનિ ગ્રુપે 10 કરોડ, જનહિત ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને ન્યૂ ડેમોક્રેટિક ઇલેકટોરલ ટ્રસ્ટે અઢી-અઢી કરોડ રૂપિયા કેસરિયા પક્ષને દાન રૂપે આપ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન ભાજપને અત્યાર સુધીમાં કુલ 800 કરોડનું અનુદાન મળેલું છે. ભાજપે ચૂંટણીપંચમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં આ વિશે જાણકારીઓ બહાર આવેલી. જો કે આની વિગતો આવ્યા પછી રાજ્યસભાનાં ભાજપનાં જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનાં પક્ષ સામે સવાલોનો દારૂગોળો દાગી દીધો છે.’ સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તાતા તરફથી ભાજપને ભારે મોટી ધનરાશિ દાનમાં આપવામાં આવેલી છે. હવે જો સરકાર એરઈન્ડિયાની કમાન તાતાનાં હાથમાં સોંપે તો આ હિતોનો ટકરાવ ગણાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને સૌથી મોટું દાન તાતા સમૂહ દ્વારા નિયંત્રિત સંસ્થા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યું છે. તેનાં તરફથી ભાજપને કુલ 3પ6 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવેલું છે.

November 12, 2019
arvind_shivsena.jpg
1min6490

કેન્દ્રમાં એનડીએ સરકારમાં શિવસેનાના પ્રધાન અરવિંદ સાવંતે 11-11-2019 સોમવારે રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ સિવાયની સરકાર સ્થાપવાની હોવાથી કેન્દ્રમાં પ્રધાન તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી, એમ કહ્યું હતું. એનડીએમાં કોઈ વિશ્ર્વાસ રહ્યો નથી.

રાજ્ય સરકારમાં સરખી ભાગીદારી માટે ભાજપે આપેલા વચનનો ભંગ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ – શિવસેના વચ્ચે થયેલા સરખી ભાગીદારી કરાર થયા હોવાનો ભાજપે ઈનકાર કરીને જુઠ્ઠાણું ચલાવ્યું છે, એવું પણ તેમણે કહ્યું હતું. મારા પક્ષ શિવસેનાની લાગણી દુભાવી છે. એનડીએમાં વિશ્ર્વાસ નહીં રહેતા એનડીએ છોડું છું. કેન્દ્રમાં ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે અરવિંદ સાવંત હતા તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજીનામું સુપરત કર્યું હતું. મહારાષ્ટ્ર શિવસેના અન્ય પક્ષો સાથે સરકાર સ્થાપી રહી છે. ભાજપ વિપક્ષમાં બેસશે, ત્યારે એનડીએમાં રહેવાનું યોગ્ય નથી.

November 10, 2019
Ayodhya_verdict_live_updates.jpg
1min4910

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે સત્ય અને ન્યાયનો વિજય થયો છે. કોઈની જીત કે હારની દૃષ્ટિએ આ ચુકાદાને ગણાવો જોઈએ નહીં. આ જીત સત્ય અને ન્યાયની છે, એવું તેમણે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપતાં તેમણે આવકાર્યંુ હતું.

તમામે હવે દાયકા જૂના વિવાદને ભૂલીને રામ મંદિર બાંધવાના કામમાં સાથે મળીને લાગી જવું જોઈએ. સત્ય અને ન્યાય જળવાઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

મથુરા અને વારાણસીનો પ્રશ્ર્ન ઉઠાવાશે? એ પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે આર.એસ.એસ.નું કામ આંદોલન કરવાનું નથી, પરંતુ ચરિત્ર ઊભું કરવાનું છે.

ઘણા જમણેરી સંગઠનો અયોધ્યા જેવું આંદોલન મથુરા અને વારાણસી માટે કરવા પ્રયાસ કરી રહ્યા છે.

November 8, 2019
maha_bjp_shiv.jpg
1min4700

મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય પક્ષો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ૧૦૫ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી.

બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કૉંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ.

જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો. બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઓ ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન ગુરુવારે રાજ્યપાલે મહારાષ્ટ્રના એટર્ની જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઓ અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઓ છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઓ અક્ષમતા દર્શાવે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઓ છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વૉકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહોંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રક્રિયાઓ છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.

રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહ્યો છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.