સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.
પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.



















