CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 32 of 53 - CIA Live

December 26, 2019
UddhavFadnavis.jpg
1min6210

સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.

આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.

December 26, 2019
modi_temple.jpg
1min6790

તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

December 24, 2019
jharkhand.jpg
1min4890

ભાજપને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સર્વેક્ષણોનાં અનુમાન મુજબ જ ઝટકો લાગ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાજદનાં ગઠબંધને બહુમત મેળવીને ભાજપ પાસેથી સત્તા ખૂંચવીને કબજો જમાવી દીધો છે. મોડી સાંજ સુધીમાં 81 બેઠકો ધરાવતી વિધાનસભામાંથી 3પ બેઠકોનાં પરિણામ જાહેર થયા ત્યારે જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી અને સામે છેડે જેએમએમ-કોંગ્રેસ ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ હતી.’ હેમંત સોરેન 28મીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદેથી રઘુબરદાસે રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસે પરિણામ પછી નાયબ મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવી હતી.

આ સાથે જ ભાજપ માટે વર્ષ 2019 મિશ્ર પરિણામો લાવનારું બની ગયું હતું. એકબાજુ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી તો બીજીબાજુ ઉપરાઉપરી રાજ્યોની ચૂંટણીમાં તેને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં આ વર્ષ જતાં-જતાં તેને ઝારખંડનાં રૂપમાં વધુ એક આંચકો આપતું ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશનો સ્વીકાર કરતાં સાંજે ઝારખંડ મુક્તિ મોરચા અને જેમની સરકાર બનવા જઈ રહી છે તે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતાં. આવી જ રીતે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતું કે, જનાદેશનો આદર છે. તેમણે ટ્વિટરનાં માધ્યમથી ઝારખંડની જનતાનો પણ પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો અને પક્ષ વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યુ હતું. તો તમામ બેઠકોનાં પરિણામો બહાર આવે તે પહેલા જ મુખ્યમંત્રી રઘુબર દાસે પણ હાર કબૂલતા કહ્યું હતું કે, તેઓ અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે પણ જો ભાજપનો પરાજય થાય તો આ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત પરાજય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુબર દાસ પહેલા ઝારખંડ મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પરિણામોમાં જીત લગભગ સુનિશ્ચિત દેખાતા હેમંત સોરેને જનાદેશને વધાવતા કહ્યું હતું કે, તેઓ બધાને ખાતરી આપવા માગે છે કે, કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર તમામ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

રાત્રે 8 કલાકે કુલ 81 બેઠકોમાંથી 37નાં પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપની 13, કોંગ્રેસની 8 અને જેએમએમની 13 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે.

12 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 17 બેઠકો ઉપર જેએમએમ આગળ છે. જો આ વલણ પ્રમાણે જ અંતિમ પરિણામો રહે તો ભાજપ 2પ બેઠકો ઉપર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેએમએમનાં ગઠબંધનને કુલ મળીને 46 બેઠકો મળે તેવી સંભાવના છે. આમ તે બહુમતનો જાદુઈ આંક આસાનીથી પાર કરી લેશે તેવું ટ્રેન્ડ ઉપરથી દેખાય છે.

મુખ્યમંત્રી રઘુબર દાસ 4000 મતે અપક્ષ લડનાર પૂર્વ મુખ્યમંત્રી સર્યુ રોય સામે જમશેદપુર – પૂર્વ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે અને તેમની હાર નિશ્ચિત જણાવાય છે. સામે પક્ષે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠક ઉપરથી જીતી ગયા હતાં અને આ વિજયથી ગદગદ સોરેન સાઈકલ લઈને અભિવાદન ઝીલવા નીકળી ગયા હતાં.

December 22, 2019
nrc.jpg
1min10570

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 20, 2019
bjp_logo.png
1min5030

ગુજરાતમાં ઊંઝા ખાતેના ઉમિયા મંદિરમાં લક્ષચંડી મહાયજ્ઞ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમિતભાઈ ગુરુવારે આવવાના હતા, પરંતુ અચાનક તેમનો આ કાર્યક્રમ રદ થતા હવે સ્થાનિક સંગઠનની રચના અંગેનો એજન્ડા પણ દસેક દિવસ પાછો ઠેલાયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી રાજ્યમાં સંગઠન સંરચનાના મહત્ત્વના પાસાં એવા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની આખરી પસંદગી પૂર્વે પ્રદેશ આગેવાનો સાથે મંત્રણા કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખ માટે હવે પછી કોને જવાબદારી સોંપવી, પ્રમુખને બદલવા કે યથાવત્ રાખવા સહિત સંગઠન તથા સરકારમાં ફેરફારોને આખરી ઓપ આપવા બેઠકો યોજાવાની શક્યતા હતી, પણ હવે તેઓ જાન્યુઆરીમાં જ પ્રવાસે આવે તેવી શક્યતા છે.

ગુજરાતના ૪૧ જિલ્લા-મહાનગરોના પ્રમુખ તથા નવા પ્રમુખની પસંદગી પ્રક્રિયાનો મામલો જાન્યુઆરી સુધી પાછો ઠેલાય એવી અટકળો તેજ બની છે. ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે.

નવા રાષ્ટ્રીય પ્રમુખ પદે ડો.જે.પી. નડ્ડાની વિધિવત તાજપોશી થાય એ પહેલાં રાજ્યોના ૬૦ ટકા પ્રમુખોની પસંદગી પૂરી કરવી આવશ્યક છે. આથી કમુરતા ઊતર્યા પછી પ્રક્રિયાઓ પૂરી કરી દેવાશે, તેમ જાણકારોનું કહેવું છે.

December 17, 2019
mamta.jpg
1min5640

પશ્ર્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવા કેન્દ્રને પડકાર ફેંકતાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આક્રમક સૂરમાં કહ્યું હતું કે, એન. આર. સી. અને નાગરિકત્વ સુધારા ધારાનો અમલ રાજ્યમાં કરાશે નહીં અને જો કરવો હશે તો મારી લાશ પરથી પસાર થઈને કરી શકશે.

મમતાએ કોલકતામાં સોમવારે મોટી રેલી યોજી હતી અને આક્ષેપ કર્યો હતો કે જૂજ લોકોને પૈસા આપીને ભાજપની કઠપૂતલી રાજ્યમાં હિંસા ફેલાવે છે.

મુસ્લિમ સમાજના મિત્ર બનીને રાજ્ય બહારનાં તત્ત્વો તોફાન કરે છે, એવો આક્ષેપ કર્યો હતો.

ટીએમસીના કાર્યકરોએ એનઆરસી અને સીએએ નહીં લખેલા બોર્ડ સાથે રેલી કાઢી હતી.

અસાઉદ્દીન ઓવૈસી સાથે મમતાનું શાબ્દિક યુદ્ધ ચાલે છે. તેમનો સીધો ઉલ્લેખ કર્યા

વિના કહ્યું હતું કે, લઘુમતીના મિત્ર બનીને બહારનાં તત્ત્વો હિંસા ફેલાવે છે તેના ટ્રેપમાં નહીં ફસાવા જનતાને કહ્યું હતું.

હું જીવીશ ત્યાં સુધી એનઆરસી અને સીએએનો અમલ રાજ્યમાં કરવા દઈશ નહીં એવી ધમકી આપી હતી. રાજ્ય સરકારને બરખાસ્ત કરો અથવા મને જેલના સળિયા પાછળ ધકેલશે તો પણ કાળો કાયદો અમલી બનાવીશ નહીં.

કેન્દ્ર જો અમલ કરાવશે તો મારી ડેડબોડી પરથી જ કરી શકશે. રાજ્યમાંથી કોઈને બહાર કરાશે નહીં. કાર્યકરોને શાંતિથી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે.

અમુક ટ્રેન બાળવાની ઘટના બન્યા બાદ કેન્દ્રે રાજ્યની ઘણી ટ્રેન સેવા સ્થાગિત કરી છે. કાર્યકરોને લોહીથી પત્ર લખીને રાષ્ટ્રપતિને મોકલવા વિનંતી કરાઈ છે.

પ. બંગાળના રાજ્યપાલે મમતાની રેલીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગણાવી છે.

December 10, 2019
pm_insurance.jpg
1min6510

પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.

તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.

November 26, 2019
scindia.jpg
1min6200

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર બાયો પરથી કૉંગ્રેસનું નામ હટાવી દીધું તે પછી મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. સિંધિયાએ પોતાની ટ્વિટર પ્રોફાઈલ ટૂંકી કરીને ‘જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી’ એમ કરી હતી તે પછી તે કૉંગ્રેસમાં ખુશ નથી તેવી અટકળો વાયુવેગે ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમની વચ્ચેના મતભેદો સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ રહ્યા છે અને સિંધિયા કૉંગ્રેસ છોડશે તેવો પ્રશ્ર્ન સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં રમી રહ્યો છે.

મધ્ય પ્રદેશની ૧૧ મહિના જૂની કૉંગ્રેસ સરકાર ૧૧૫ વિધાનસભ્ય ધરાવે છે અને સાદી બહુમતીમાં એક સભ્ય ઓછો છે. બસપાના બે, એસપીનો એક અને ચાર અપક્ષ વિધાનસભ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. ૪૭ વર્ષીય સિંધિયા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં કમલનાથ સામે પાછા પડ્યા હતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડાનો તાજ પણ તેમને હજુ સુધી મળ્યો નથી.

મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા દીપક વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે પ્રોફાઈલમાં કરાયેલો બદલાવ દર્શાવે છે કે સિંધિયા પક્ષથી ખુશ નથી. રાજ્ય સરકારની કામગીરી સામે સિંધિયા વારંવાર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં સિંધિયા અને તેમના ટેકેદારોને ‘સાઈડલાઈન’ કરવામાં આવી રહ્યા છે. તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા અને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક કરવામાંં આવી નથી. દરમ્યાન મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે “ટ્વિટર હેન્ડલ સ્ટેટસમાં કરાયેલા બદલાવમાં ખોટું શું છે? હવે તે ગુનાના સાંસદ નથી. એક મહિના અગાઉ પ્રોફાઈલ બદલી હતી ત્યારે હવે કેમ અટકળો ચાલી રહી છે? સિંધિયા સાચા અને સમર્પિત નેતા છે જે પક્ષને કોઈ દિવસ છોડશે નહીં.

November 24, 2019
sharad_pawar.jpg
1min5510

એનસીપીએ અજિત પવારને વિધાનમંડળના નેતા પદેથી હાંકી કાઢ્યા હતા અને તેઓ વિધાનસભ્યોને ભાજપના સમર્થનમાં મત આપવાનો આદેશ આપી શકે તેવી સત્તા પણ તેમની પાસેથી લઈ લીધી હતી. અજિત પવારે ભાજપ સાથે જોડાણ કરી નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના આ નિર્ણય સાથે પક્ષ સહમત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરદ પવારે બોલાવેલી પક્ષના વિધાનસભ્યોની બેઠકમાં ૫૪માંથી ૪૯ સભ્ય હાજર હોવાનો દાવો એનસીપીએ કર્યો હતો. ત્રીસમી ઑક્ટોબરે અજિત પવારેને વિધાનમંડળના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હાલમાં આ જવાબદારી પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સોંપવામાં આવી છે.

સવારે થયેલા હાઈ ડ્રામા બાદ પવારે ચાર વાગ્યે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ધનંજય મુંડે સહિત ૪૯ વિધાનસભ્ય હાજર હોવાનું એનસીપીએ જણાવ્યું હતું. અન્ય છ પણ ટૂંક સમયમાં પક્ષનો સંપર્ક સાધશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આ સાથે અજિત પવારની શપથવિધિમાં હાજર બાર વિધાનસભ્યમાંથી નવે શરદ પવાર સાથે હોવાનું જણાવતા અજિત પવાર એકલા પડી ગયા હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિ ભાજપ માટે સંકટ ઊભું કરનારી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ નવ વિધાનસભ્યએ એક જ સૂર પુરાવ્યો હતો કે તેઓ અજિત પવારના આદેશને માન આપી ગયા હતા અને તેમને રાજભવનમાં શપથવિધિ માટે જવાનો કોઈ અણસાર આપવામાં આવ્યો ન હતો. તેમને અંધારામાં રાખી અજિત પવારે શપથ લીધા હતા. આ બેઠકમાં ફડણવીસના અતિ નજીકના માનવામાં આવતા પરલીના વિધાનસભ્ય ધનંજય મુંડેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ બેઠક બાદ ત્રીસમી નવેમ્બરે વિશ્ર્વાસનો મત જીતવો ભાજપ માટે અઘરો બની રહેશે, તેમ માનવામાં આવે છે. જોકે રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ દિવસે ચિત્ર અલગ પણ હોઈ શકે. સંપૂર્ણ દિવસ દરમિયાન અજિત પવારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. તેમને મનાવવા માટે પક્ષના ઘણાં નેતાઓએ પ્રયત્ન કર્યા હતા. કૉંગ્રેસે પણ અજિત પવારને ભૂલ સમજી પાછા આવવા વિનંતી કરી હતી. જ્યારે બીજી બાજુ અજિત પવારે શરદ પવારને સંદેશો મોકલાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેમાં તેમણે પક્ષને બચાવવો હોય તોે ભાજપ સાથે જોડાવવાની વાત કરી હતી. અજિત પવાર પાસે ૩૦થી ૩૬ વિધાનસભ્યનું સમર્થન હોવાનું માનવામાં આવે છે.

November 14, 2019
bjp_vs_congress.jpg
1min8610

ભાજપે 2018-19 વચ્ચે અત્યાર સુધીમાં કુલ્લ 800 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. સત્તારૂઢ પક્ષ અંગે આ જાણકારી ચૂંટણી પંચમાં જમા કરાવાયેલા દસ્તાવેજો પરથી મળી હતી. કોંગ્રેસને માત્ર 146 કરોડ ધન મળ્યું છે.

કેસરિયા પક્ષને સૌથી વધુ 356 કરોડ રૂપિયા દાન દેશનાં પ્રતિષ્ઠિત ટાટા જૂથ તરફથી મળ્યું છે. ટાટા ગ્રુપ સંચાલિત સંસ્થા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આ દાન આપ્યું છે.

ભારતનાં સૌથી ધનવાન ટ્રસ્ટ ધ પ્રૂડેંટ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 67 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 39 કરોડ રૂપિયા દાન રૂપે આપ્યા છે. આ ટ્રસ્ટને ભારતી ગ્રુપ, હીરો મોટો કોર્પ, ઓરિએન્ટ સિમેન્ટ, ડી.એલ.એફ., જે. કે. ટાયર્સ, જુબિલિયેંટ ફૂડ વર્કસ જેવાં ઉદ્યોગ જૂથોનું સમર્થન છે.
કોંગ્રેસને મળેલા 146 કરોડમાંથી 98 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટમાંથી મળ્યા છે, તો ભાજપને 800 કરોડમાંથી લગભગ 470 કરોડ રૂપિયા ઇલેકટોરલ ટ્રસ્ટે આપ્યા છે.

આદિત્ય બિરલા જૂથના જનરલ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 28 અને કોંગ્રેસને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં છે.

ટ્રિમ્ફ ઇલેકટોરલ ટ્રસ્ટે ભાજપને 5 કરોડ, હાર્મોનિ ગ્રુપે 10 કરોડ, જનહિત ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને ન્યૂ ડેમોક્રેટિક ઇલેકટોરલ ટ્રસ્ટે અઢી-અઢી કરોડ રૂપિયા કેસરિયા પક્ષને દાન રૂપે આપ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન ભાજપને અત્યાર સુધીમાં કુલ 800 કરોડનું અનુદાન મળેલું છે. ભાજપે ચૂંટણીપંચમાં જમા કરાવેલા દસ્તાવેજોમાં આ વિશે જાણકારીઓ બહાર આવેલી. જો કે આની વિગતો આવ્યા પછી રાજ્યસભાનાં ભાજપનાં જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનાં પક્ષ સામે સવાલોનો દારૂગોળો દાગી દીધો છે.’ સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તાતા તરફથી ભાજપને ભારે મોટી ધનરાશિ દાનમાં આપવામાં આવેલી છે. હવે જો સરકાર એરઈન્ડિયાની કમાન તાતાનાં હાથમાં સોંપે તો આ હિતોનો ટકરાવ ગણાશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને સૌથી મોટું દાન તાતા સમૂહ દ્વારા નિયંત્રિત સંસ્થા પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળ્યું છે. તેનાં તરફથી ભાજપને કુલ 3પ6 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવેલું છે.