CIA ALERT

ઇન્ડીયા Archives - Page 156 of 217 - CIA Live

November 8, 2019
maha_bjp_shiv.jpg
1min4740

મહારાષ્ટ્રમાં જોવા મળતી રાજકીય અસ્થિરતા અને અનિશ્ર્ચિતતાને ધ્યાનમાં રાખતા આવનાર દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી શક્યતાઓ રાજકીય પક્ષો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ૧૦૫ બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવનાર ભાજપે હજુ સુધી સત્તાનો દાવો કર્યો નથી.

બીજી બાજુ ભાજપના મિત્રપક્ષ શિવસેનાએ મુખ્ય પ્રધાનપદની માગ સાથે કોઈ સમાધાન ન કરવાની ભૂમિકા લેતા મહાયુતિની સત્તા રચવાની સંભાવના ઝાંખી થતી જાય છે. શિવસેનાએ પણ કૉંગ્રેસ-એનસીપીની મદદથી સત્તાના દાવાનો કોઈ સંકેત આપ્યો નથી ત્યારે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જઈ રહ્યું હોવાનું જણાય છે. આ અંગે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું હતું કે જો આજે સાંજ સુધીમાં સત્તા રચવાનો દાવો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસનની પૂરી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે આ અંગે નક્કર નિર્ણય કરવો જોઈએ.

જોકે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ન આવતા સ્થિર સરકાર બને, તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો. બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યપાલ ભાજપના દબાણમાં કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના પંદર દિવસ બાદ પણ ભાજપ અને શિવસેનાએ સત્તા સ્થાપવા અંગે કોઈ રસ દાખવ્યો નથી. ભાજપ અને શિવસેનાના પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યા હોવા છતાં રાજ્યપાલે પહેલા અને બીજા ક્રમાંકે આવનારા પક્ષોને સત્તા સ્થાપવા આમંત્રણ આપ્યું નથી ત્યારે રાજ્યપાલ કોના દબાણ હેઠળ છે, તેવો સવાલ કરતા તેમણે ભાજપ તરફ ઈશારો કર્યો હતો. બીજી બાજુ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન આવશે તો તે માટે ભાજપ જવાબદાર હશે, તેમ જણાવ્યું હતું. ભાજપના નેતાઓએ રાજ્યપાલ સમક્ષ સત્તા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો જ નથી. તેઓ ખોટો વિલંબ કરી રહી છે જેથી રાજ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ જાય. જો તેમણે દાવો ન કરવો હોય તો જાહેર કરવું જોઈએ, આથી સેના આગળ વધે, તેમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન ગુરુવારે રાજ્યપાલે મહારાષ્ટ્રના એટર્ની જનરલ આશુતોષ કુંભાકોનીને રાજભવન બોલાવ્યા હતા અને આગળના પગલાં અંગે કાયદાકીય જોગવાઈઓ અંગે વાતચીત કરી હતી. જો કોઈ પણ સત્તા સ્થાપવાનો દાવો ન કરે તે શનિવારે વર્તમાન મુખ્ય પ્રધાનને કાર્યવાહક મુખ્ય પ્રધાન તરીકેની થોડી વધારે મુદ્ત મળે તેવી શક્યતાઓ છે. વિધાનમંડળના ભૂતપૂર્વ સેક્રેટરી અનંત કોલસેએ જણાવ્યું હતું કે જો કોઈ પક્ષ સામે ન આવે તો રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સત્તા સ્થાપવા આમંત્રણ આપી શકે, જો તેઓ અક્ષમતા દર્શાવે તો બીજા ક્રમાંકે આવેલા પક્ષને આમંત્રણ આપી શકે. જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિધાનમંડળનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકાર પ્રસ્તાવ મૂકે તે બાદ રાજ્યપાલ વિધાનસભાનું નવું સત્ર બોલાવે, જેમાં નવા ચૂંટાયેલા વિધાનસભ્યો શપથ લે, તેવી પ્રક્રિયા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંધારણમાં કાર્યવાહક સરકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ કેન્દ્રમાં પણ આ વિકલ્પ અમલમાં મૂક્યો હોવાના દાખલાઓ છે. જો આવી સરકાર બને તો પણ નવી સરકારની શપથવિધિ ટૂકં સમયમાં થવી જોઈએ, તેમ તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ઉમેર્યું હતું. રાજ્યના ભૂતપૂર્વ એડ્વૉકેટ જનરલ શ્રીહરિ એનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શાસન સુધી પહોંચવા પહેલા ઘણાં વિકલ્પો અને પ્રક્રિયાઓ છે. નવમી સુધીમાં નવી સરકાર બની જ જવી જોઈએ, તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.

રાજ્યમાં રાજકીય અસ્થિરતાનો માહોલ જોતા આજનો દિવસ ઘણો મહત્ત્વનો બની રહ્યો છે આ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શું ભૂમિકા લે છે, તેના પર સૌની નજર છે.

November 8, 2019
ayodhya-2.jpg
1min5510

૧૭મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. ૭૮ મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૭૮ મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે. (પીટીઆઇ)

વીએચપીએ રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર વિશેનો ચુકાદો આવવાની તૈયારીમાં છે, ત્યારે વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ ૧૯૯૦ બાદ પહેલી વખત રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું છે.

વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે બધા જ મૂર્તિકારો પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. કોતરણીનું કામ થોભાવવાનો નિર્ણય વીએચપીના વરિષ્ઠ નેતાઓએ લીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠ ૧૭મી નવેમ્બરે ગોગોઇ નિવૃત્ત થાય એ અગાઉ અયોધ્યા મામલાનો નિર્ણય જાહેર કરવાની છે.

શર્માએ જણાવ્યું હતું કે અમે પથ્થરનું કોતરકામ બંધ કર્યું છે અને ફરીથી એ ક્યારે શરૂ કરવું એનો નિર્ણય રામ જન્મભૂમિ ન્યાસ લેશે.

અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વિવિધ પ્રવૃત્તિઓને લગતા બધા જ પ્રસ્તાવિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં વીએચપીએ ૧૯૯૦માં પથ્થરોની કોતરણીનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યારથી મૂર્તિકારો દ્વારા કોતરણીનું કામ સતત ચાલું રહ્યું હતું. આ પહેલી વખત કામ થોભાવવામાં આવ્યું છે.

વીએચપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થરની કોતરણી થઇ ગઇ છે, જે પ્રસ્તાવિત મંદિરનો પહેલો માળ બનાવવા માટે પર્યાપ્ત છે. બાકીનું મંદિર બાંધવા માટે ૧.૭૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થર કોતરવાના બાકી છે.

વીએચપીના કેન્દ્રીય ઉપ-પ્રમુખ ચંપત રાઇએ પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ ચુકાદો હિંદુ કે મુસ્લિમનો ન હોવો જોઇએ. આ સત્ય સ્વીકારવા વિશેનો છે. આ કારણસર વિજ્યોત્સવ ન મનાવતા કે અન્યોને ટોણાં ન મારતાં.

વકીલોની દલીલો અને જજોની ટિપ્પણી પરથી એવું લાગે છે કે ચુકાદો સત્યની તરફેણમાં આવશે અને એ સાંભળીને સમાજમાં ખુશીની લાગણી ફેલાશે. (પીટીઆઇ)

અયોધ્યાના ચુકાદા અગાઉ બેંગલુરુ પોલીસે સતર્કતાના પગલાં લીધા

બેંગલુરુ: અયોધ્યાનો ચુકાદો આવે એ વખતે કોઇ અઘટિત ઘટના ન બને એ માટે બેંગલુરુની પોલીસે અગાઉથી સતર્કતાના પગલાં લીધા હોવાની માહિતી પોલીસ કમિશનર ભાસ્કર રાવે આપી હતી.

રાવે જણાવ્યું હતું કે એમણે સતર્કતાની દૃષ્ટિએ બધા જ પગલાં લીધાં છે. એમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં તેઓ ડીસીપી રેન્કના અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.

ચુકાદો આવશે ત્યારે બધા જ અધિકારીઓ હાજર રહેશે. અર્ધલશ્કરી દળ અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવશે.

ભાઇચારો વધારવાના હેતુથી લઘુમતી અને બહુમતી કોમના વિવિધ જૂથો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. તેઓ બધા જ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા માટે સહમત થયા છે.

રાવે જણાવ્યું હતું કે ચુકાદો જાહેર થયા બાદ તેઓ નિરાશા વ્યક્ત નહીં કરે કે ફટાકડાં ફોડીને અથવા એકબીજા પર રંગ ઉડાડીને આનંદ વ્યક્ત નહીં કરે. પોતાના વિચારો જાહેર કરવા કોઇ જાતનો સૂત્રોચ્ચાર પણ નહીં કરવામાં આવે.

November 7, 2019
ayodhya-2.jpg
1min5470

અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદના વિવાદના કેસનો ચુકાદો નજીકના ભવિષ્યમાં આવવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બહુસ્તરીય ઉપાયો કરવામાં આવ્યા છે. જડબેસલાક બંદોબસ્તના ભાગરૂપે વરિષ્ઠ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. સંવેદનશીલ ઇલાકામાં સામાન્ય કરતાં વધારે પોલીસ ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 

૧૭ નવેમ્બરે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની નિવૃત્તિ પૂર્વે અયોધ્યા કેસના ચુકાદાની સંભાવવાને કારણે મુંબઈ શહેરના દરેક વિસ્તારમાં ગયા રવિવારે અને ત્યારપછી મહોલ્લા કમિટીઓની બેઠકો યોજવાની સૂચના વિવિધ પોલીસ સ્ટેશનોના સિનિયર ઇન્સ્પેક્ટર્સ અને અસિસ્ટન્ટ કમિશનર્સને આપવામાં આવી હતી. પોલીસ જવાનોની આઠ કલાકની ડ્યુટી લંબાવીને બાર કલાકની કરવામાં આવી છે. અફવાઓ અને અનિચ્છનીય ઘટનાઓ ટાળવા માટે સોશ્યલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવે છે.

November 7, 2019
indiavsbangla.jpg
1min5300

રાજકોટમાં આજરોજ તા.7મી નવેમ્બર 2019ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીની બીજી મેચ રમાશે. એક તરફ વરસાદનું વિધ્ન આવ્યું છે, અને બીજી તરફ ભારત આ મેચ માટે દબાવમાં છે.ૉ

રાજકોટમાં મહા વાવાઝોડાની ઇફેક્ટસને લીધે બુધવારે રાત્રે વરસાદ પડતા ગ્રાઉન્ડમાં પાણી ભરાય જવા પામ્યા છે. રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.

બાંગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જો કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.’ તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બાટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જોરદાર રહ્યો હતો. બીજી બાજુ પીચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે, વિતેલાં વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળનાં કારણે હંમેશાં ચર્ચામાં રહી છે. બોલ બાટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે.

November 7, 2019
housing.jpg
1min6050

સરકારે અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટને આર્થિક સહાય કરવા માટે બુધવારે રૂપિયા ૨૫,૦૦૦ કરોડ ફાળવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર આ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ આપશે, જ્યારે એસબીઆઇ (ભારતીય સ્ટેટ બૅન્ક) અને એલઆઇસી (ભારતીય જીવન વીમા નિગમ) રૂપિયા ૧૫,૦૦૦ કરોડ આપશે એટલે કુલ મળીને રૂપિયા ૨૫,૦૦૦ કરોડ થશે.તેમણે જણાવ્યું હતું કે દેશભરમાંના અટકી પડેલા ૧,૬૦૦ હાઉસિંગ પ્રૉજેક્ટના ૪.૫૮ લાખ હાઉસિંગ યુનિટને આ આર્થિક લાભ મળશે.સરકારે બાંધકામ ક્ષેત્રે રોજગારી ઊભી કરવા અને સિમેન્ટ, લોખંડ તેમ જ સ્ટીલની માગ વધારવા આ પગલું ભર્યું છે.કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નૉન-પરફૉર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંના હાઉસિંગ પ્રૉજેક્ટ્સને રૂપિયા ૨૫,૦૦૦ કરોડના ઑલ્ટરનેટ રિયલ એસ્ટેટ ફંડનો લાભ મળશે.

ઑલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં સૉવરિન એન્ડ પેન્શન ફંડ પણ જોડાવાની આશા હોવાથી તેની રકમ વધી શકે છે.

November 5, 2019
homes.jpg
1min7060

દેશના મુખ્ય નવ મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સરવે દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે ગત જુલાઈ-સપ્ટેમ્બર દરમ્યાન રહેણાંકના આવાસો, ઘરોનું વેચાણ ૯.૫ ટકા ઘટયું છે. ઈકોનોમિક સ્લોડાઉનની અસરરૂપે માંગ ઓછી રહી છે. કેશ લિક્વીડિટીની પણ મોટી કટોકટી પણ છે. ખરીદનારા ઘટયા છે એમ પ્રોપ ઈક્વિટીના અહેવાલમાં જણાવાયું છે. ઘર ખરીદનારા હાલ ખરીદવાનો નિર્ણય પાછળ ઠેલી રહ્યા છે. બજારમાં પ્રવાહિતાની સ્થિતિ રહી છે. મોટાભાગના ગ્રાહકો તૈયાર મિલકત ખરીદવાને પ્રાધાન્યતા આપી રહ્યા છે. બીજું હવે ગ્રાહકો સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડરો-ડેવલપરને જ પસંદ કરે છે.

હાઉસિંગ વેચાણમાં ઘટાડો દર્શાવતો આ ચોથો રિપોર્ટ છે. હાઉસિંગ ક્ષેત્રની મોટી બ્રોકરેજ કંપનીના અહેવાલમાં જણાવાયું છે કે જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરોનું વેચાણ ૨૫ ટકા જેટલું ઘટયું છે. રીયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટના અહેવાલમાં પણ વેચાણ ઘટયું હોવાનું નોંધ્યું છે.

પ્રોપ ઈક્વિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે નવ મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ઘટીને ૫૨૮૫૫ યુનિટનું રહ્યું છે જે અગાઉના વર્ષે ૫૮૪૬૧ યુનિટ હતું.

નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં ૨૪ ટકાનો ઘટાડો જોવાયો છે. વેચાયા વિનાના ઘરોની સંખ્યા છ લાખથી વધુ છે. નવ શહેર પૈકી ૭માં ઘરોનું વેચાણ ઘટયું છે. ફક્ત બે શહેરમાં સાધારણ વધ્યું છે. ચેન્નઈમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં ઘરોનું વેચાણ ૨૫ ટકા ઘટયું છે. મુંબઈમાં ૨૨ ટકા, હૈદરાબાદ ૧૬ ટકા, કોલકાતા ૧૨ ટકા, નોઈડામાં ૧૧ ટકા, બેંગલુરુમાં ૯ ટકા અને થાણેમાં ૯ ટકા ઘટયું છે. પુણેમાં એક ટકા અને ગુરુગ્રામમાં ૭ ટકા વેચાણ વધ્યું છે.

November 5, 2019
lic_logo.jpg
1min9370

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ પૉલિસીધારકોને તેમની બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ (પ્રીમિયમ નહીં ભરવાથી રદ થયેલી) થયેલી પૉલિસી રિવાઈવ કરવાની છૂટ આપી છે. જે પૉલિસી બે વર્ષથી વધુ સમય અગાઉ લેપ્સ થઈ ગઈ હતી જેને અગાઉ ફરી શરૂ કરવાની છૂટ ન હતી તેવી પૉલિસી પણ હવે પુનર્જીવિત થઈ શકશે તેવું એલઆઈસીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું.

પહેલી જાન્યુઆરી ૨૦૧૪ પછી જેમણે પૉલિસી લીધી હતી તેવી યુનિટ-લિન્કડ પૉલિસી ત્રણ વર્ષમાં અને યુનિટ લિન્ક નહીં હોય તેવી પૉલિસી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરી શકાશે. એલઆઈસીના મેનેજિંગ ડિરેકટર વિપિન આનંદે કહ્યું હતું કે કોઈ કારણવશ પ્રીમિયમ નહીં ભરી શકાયું હોય અને પૉલિસી રદ થઈ જતી હોય તો તે પૉલિસી રિન્યૂ કરવાની છૂટ મળે તે સારી બાબત છે. તેમણે કહ્યું કે જીવન વીમા પૉલિસી લેવાનો નિર્ણય જીવનના સારા નિર્ણયોમાંથી એક છે. અમે અમારા દરેક પૉલિસીધારકની કદર કરીએ છીએ અને જીવન વીમા છત્ર અમારી સાથે ચાલુ રાખવાની તેમની ઈચ્છાને અમે સન્માન આપવા માગીએ છીએ.

ભૂતકાળમાં જે પૉલિસીઓ રિન્યૂ નહીં કરી શકાય હતી પણ હવે કરી શકાય છે તે એક પૉલિસીધારકો માટે સારી તક છે તેવું તેમણે કહ્યું હતું.

November 4, 2019
UddhavFadnavis-1.jpg
1min6290

મહારાષ્ટ્રના રાજકારણનું ડહોળાયેલું ચિત્ર આજે થોડુંઘણું સ્પષ્ટ થવાના સંકેતો છે. દિલ્હી ખાતે આજે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે બેઠક થનારી છે. આ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આજે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવાના છે.

રાજ્યમાં એનસીપીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠક મળી હોવાથી આ બન્ને પક્ષ મળી સત્તા સ્થાપી શકે તેમ નથી, પરંતુ ભાજપ (૧૦૫) અને શિવસેના (૫૬) વચ્ચે સોગઠું ન ગોઠવાતા શિવસેનાને સમર્થન આપી સત્તામાં આવવાના દ્વાર બન્ને પક્ષ માટે ખુલ્યા છે અને તેથી આજની આ બેઠક પર સમગ્ર દેશની નજર છે. પવાર અને ગાંધી દેશની આર્થિક સ્થિતિની ચર્ચા કરવા આજે મળશે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવે છે.

બીજી બાજુ સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ફડણવીસ રાજ્યમાં સર્જાયેલા લીલા દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી મદદ માટે શાહને મળી રહ્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ અંગે શાહને અવગત કરશે. દિલ્હીમાં થઈ રહેલી આ બે મુલાકાત રાજ્યમાં નવી સરકાર અંગેના ચિત્રને સ્પષ્ટ કરે તેવી સંભાવના છે.

November 3, 2019
indiavsbangla.jpg
1min5220

ટીમ ઇન્ડિયા આજે તા.3 નવેમ્બર 2019ને રવિવારે સાંજે નવી દિલ્હી સ્થિત ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ ખાતે બાંગલાદેશ સામે પહેલી ટી-20 મેચમાં ટકરાશે, મેચ માચે ભારતે યુવા ખેલાડીઓ ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમમાં સ્થાન આપ્યું છે.

દિવાળી બાદ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું છે ત્યારે જ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના આયોજને સવાલ સર્જ્યા છે. બી.સી.સી.આઇ.એ છેલ્લી ઘડીએ અન્યત્ર આયોજનનો ઇન્કાર કરી દીધો હતો.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં જેને કપ્તાની સોંપાઇ છે એ રોહિત શર્માને નેટ પ્રેક્ટિસ દરમ્યાન સાથળમાં દડો વાગી ગયો હતો પણ તેની ઇજા ગંભીર નથી. ટીમ ઇન્ડિયા ફેવરિટ તરીકે ઊતરશે. આગામી વરસે ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડકપ પૂર્વે ટીમ ઇન્ડિયાએ 20 જ મેચ રમવાની છે ત્યારે ભારતીય ટીમ યોગ્ય સંયોજન મેળવી લેવા માટે પ્રયત્નશીલ છે.

ભારતે આ સિરીઝ માટે અનેક યુવાઓનો સમાવેશ કર્યો છે ત્યારે મુંબઇનો ઓલરાઉન્ડર શિવમ દુબે, મુંબઇનો જ શાર્દૂલ ઠાકુર અને રાજસ્થાનના દીપક ચહર જેવા ખેલાડીઓ તક ઝડપી લેવા આતુર છે. સ્પિનર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ મોકો મળ્યે પ્રતિભા બતાવવા મથશે.

November 2, 2019
FMGE_logo.jpeg
2min11330

વિદેશમાં મેડીકલ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે ‘શિક્ષણ સર્વદા’ એ રજૂ કરી ઉપયોગી માહિતી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં, ગુજરાતમાં મેડીકલ કોલેજોની અપૂરતી સગવડને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ધો.12 બાયોલોજી ગ્રુપ પાસ કર્યા બાદ ડોક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે વિદેશોમાં ખાસ કરીને ચીન, રશીયા, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ, જ્યોર્જિયા વગેરે દેશોમાં આવેલી મેડીકલ કોલેજોમાં પ્રવેશ લઇને ભણવા માંડે છે. આ પ્રકારે વર્ષે દહાડો 200 કરોડથી વધુ ભારતીય ચલણ ફોરેનમાં ઘસડાય જઇ રહ્યું છે. ખેર અહીં મુદ્દો એ નથી પણ અહીં એક અગત્યની વાત પર દિશા નિર્દેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વિદેશની યુનિવર્સિટીમાં સસ્તુ છે એટલે, સારું છે એટલે મળ્યું એટલે પ્રવેશ લઇ લેવાની મનોવૃતિ છોડીને વિદેશની કઇ યુનિવર્સિટીના મેડીકલ ગ્રેજ્યુએટ ભારતમાં ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ પાસ કરી શકે છે એ જોઇને પ્રવેશ લેવો જોઇએ.

ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામ

ભારતમાં મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નિયમ બનાવ્યો છે કે ફોરેનમાં અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને કેનેડા દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએટ કરીને આવેલા હોય એવા ઉમેદવારો સિવાય બાકીના કોઇપણ દેશમાંથી મેડીકલ ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારતમાં તબીબી પ્રેક્ટીસ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડી કરવા ઇચ્છતા ઉમેદવારોએ ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એકઝામ આપવી ફરજિયાત છે. રશીયા, ચાઇના, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, નેપાળ, વેસ્ટ ઇન્ડીઝ વગેરેથી મેડીકલ ગ્રેજ્યુએશન કરીને આવેલા તબીબો માટે આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કહેવાય છે.

2015-2018 સુધીમાં કેટલા FMGE પાસ કરી શક્યા? વાંચો અહીં

ભારતમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામ NBE (એન.બી.ઇ.) દ્વારા FMGE એફ.એમ.જી.ઇ. પરીક્ષા લેવામાં આવે છે અને આ એફ.એમ.જી.ઇ. પરીક્ષામાં ગત 2015થી લઇને 2018 એટલે કે ગયા વર્ષ સુધી ફિલિપાઇન્સ, રશીયા, ચાઇના અને કઝાકિસ્તાનની કઇ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા? અને તેમાંથી કેટલા પાસ થયા? તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં મેડીકલ ભણવા માટે ફોરેન જવાનું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી ડેટા સાબિત થશે જે નિર્ણય લેવામાં પણ સહાયભૂત નિવડશે.

ચીનની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

રશીયાની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં

ફિલિપાઇન્સની કઇ યુનિ.ના કેટલા ભારતીય વિદ્યાર્થીઓ FMGE પાસ કરી શક્યા વાંચો અહીં


વિદેશ અભ્યાસ કે ભારતમાં કોર્સ, યુનિવર્સિટી સંબંધી અગર કારર્કિદી માર્ગદર્શન માટે મળી શકાય, અમે સૂરતમાં મળી શકીએ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 98253 44944