CIA ALERT

Alert Archives - Page 3 of 511 - CIA Live

May 26, 2026
Cia_business_news-1280x936.jpg
2min125

ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં  વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે  ગૌરવની વાત છે.

વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:

• કુલ થાપણો : ₹4,411.11 કરોડ

કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ

• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ

• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ

બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.

“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.

બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.

May 26, 2026
image-19.png
1min112

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરલમમાં સમયસર પહોંચશે. આ પહેલા કેટલીક એજન્સીઓ દ્વારા ચોમાસું નિર્ધારીત સમયથી પહેલા કરેલમમાં બેસી જશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં આંધી, તોફાન અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના તાપમાનમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.ત્યારબાદ 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે.

25/05/26 અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 39.7 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, દ્વારકામાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ લૂનો પ્રકોપ રહેશે. 28 મેના રોજ વાતાવરણમાં પલટો આવશે. બપોર બાદ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના લખનઊ, વારાણસી અને કાનપુર સહિત અનેક જિલ્લામાં આગામી બે દિવસ ગરમી રહેશે. 27 મેના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે 28 થી 31 મે દરમિયાન 70 કિમીની ઝડપે આંધી-તોફાન આવી શકે છે.

બિહારના અનેક જિલ્લામાં 26 થી 29 મે દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે. તેમજ આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં 30 મે સુધી લૂ નો પ્રકોપ પહેશે. ઝારખંડના અનેક જિલ્લામાં ગરમીથી રાહત મળશે. 26 થી 31 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ સહિત અનેક જિલ્લામાં 28 થી 31 મે સુધી વરસાદ થશે. 29 મેના રો પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 28 અને 29 મેના રોડ હળવા વરસાદ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડશે.

આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, કેરલમ, તમિલનાડુ અને કર્ણાટકના અનેક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે.

May 23, 2026
1min132

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પની હત્યાના એક ખતરનાક કાવતરાનો પર્દાફાશ થયો છે. ઈરાનની સેના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા તાલીમ પામેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પનો જીવ લેવાની સંપૂર્ણ યોજના (પ્લાન) તૈયાર કરી લીધી હતી.

એક રિપોર્ટ મુજબ, આ આતંકવાદી છ વર્ષ પહેલા અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા તેના ગુરુ અને ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો.

સુરક્ષા એજન્સીઓએ ઇવાન્કા ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા આતંકવાદીને પકડી લીધો છે. તેની ઓળખ 32 વર્ષના મહોમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે. તે ઈરાકનો નાગરિક હોવાનું કહેવાય છે.

6 વર્ષ પહેલા બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ એક મોટા ઓપરેશનમાં ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીને મારી નાખ્યો હતો. અલ-સાદી આ હુમલાને પોતાના ગુરુનું મોત માનતો હતો અને ત્યારથી જ તે ટ્રમ્પ પરિવારને બરબાદ કરવાની ફિરાકમાં હતો.

આરોપી અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર, ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાના સોગંદ લીધા હતા. તપાસ દરમિયાન સુરક્ષા દળોને અલ-સાદી પાસેથી ફ્લોરિડામાં આવેલા ઇવાન્કા ટ્રમ્પના આલીશાન ઘરની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ મળી આવી છે. તે ઘણા સમયથી તેમના ઘરની રેકી (જાસૂસી) કરી રહ્યો હતો.

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના ભૂતપૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી એન્તિફાધ કનબરે આ આતંકવાદીના ઇરાદાઓ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘કાસિમ સુલેમાનીના માર્યા ગયા પછી, અલ-સાદી લોકોને કહેતો ફરતો હતો કે આપણે ઇવાન્કા ટ્રમ્પને મારવી પડશે. તે કહેતો હતો કે આપણે ટ્રમ્પના આખા ઘરને એ જ રીતે સળગાવીને રાખ કરી દેવું જોઈએ, જે રીતે તેણે આપણા ઘરને (કમાન્ડર સુલેમાનીને) તબાહ કર્યું હતું.’

May 23, 2026
petrol-diesel-1.jpg
1min121

Dated 23/05/2026

મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે. સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે.

આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે 3-3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા વધીને ₹98.64 થી વધીને ₹99.51 પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 91 પૈસા વધીને ₹91.58 થી ₹92.49 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, પૅનિક બાઇંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવી) થી બચે.”

મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.

May 20, 2026
image-16.png
1min106

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ પણ તે અંગેના સત્તાવાર નવા નિયમો જાહેર કરી દીધા છે. એટલે કે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20 ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરાતું હતું, જોકે હવે નવા નિયમ મુજબ, મિશ્રણ 30 ટકા સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે અગાઉ 15 મે-2026ના રોજ આ અંગેની મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી BISએ પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિશ્રણથી આગળ વધીને હવે 22, 25, 27 અને 30 ટકા સુધી મિશ્રણ વધારવાના સત્તાવાર માપદંડો અને ગુણવત્તા ધોરણો નક્કી કરી દીધા છે.

આ નોટિફિકેશન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારત ઘણા સમયથી પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવા પર ભાર આપી રહ્યું છે. આ નવા નિર્ણયથી મોટો ફાયદો એ છે કે, હવે અન્ય દેશો પર ક્રૂડ ઓઈલની નિર્ભરતા, આયાત અને પ્રદૂષણ ઘટી શકશે. આ ઉપરાંત સ્થાનિક ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થશે. ઑલ ઈન્ડિયા ડિસ્ટલરી એસોસિએશન (AIDA)ને પણ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

AIDAએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને તેને ભારતના ઈથેનોલ પ્રોગ્રામ માટે સમયસર લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. AIDAના અધ્યક્ષ વિજેન્દ્ર સિંહે કહ્યું કે, ‘BIS દ્વારા E22થી E30 ફ્યૂલ્સ માટે જાહેર કરેલા માપદંડો માત્ર એક નોટિફિકેશન નથી, પરંતુ આ નિર્ણય આવનારા સમયમાં ભારતની ઊર્જા સુરક્ષા વધારશે.

May 20, 2026
image-14.png
2min45

ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યાના અહેવાલો છે. દેશભરના 12.5થી 15 લાખ કેમિસ્ટ આ હડતાળમાં જોડાય રહ્યાના દાવો કરવામાં આવી રહ્યો છે. કેમિસ્ટ સંગઠનનો આક્ષેપ છે કે યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ જોખમાયો છે. સાથે જ ઓનલાઇન માધ્યમથી નકલી દવાઓનું વેચાણ વધતાં દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. તાજેતરમાં દેશમાં રૂ.150 કરોડથી વધુની નકલી દવાઓ ઝડપાઈ હોવાથી સરકાર આ અંગે કડક કાયદો ઘડે તેવી મુખ્ય માંગ છે.

આ દેશવ્યાપી હડતાલને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (CDSCO)ના અધિકારીઓએ જણાવ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના સંગઠનોએ આ હડતાલથી અંતર રાખ્યું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ દવાઓની અછત સર્જાવા નહીં દે.

કેમિસ્ટ એસોસિએશનની સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ

AIOCDના રાષ્ટ્રીય પ્રમુખ જે. એસ. શિંદે અને મહાસચિવ રાજીવ સિંઘલના જણાવ્યા અનુસાર, સરકારની વર્તમાન નીતિઓ છૂટક દવા વ્યાપારીઓના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. આ હડતાલ પાછળ સંગઠનની મુખ્ય ત્રણ માંગણીઓ છે:

  • 1. GSR 817 નોટિફિકેશન રદ કરવું: ઓનલાઇન દવાઓના વેચાણને લઈને સરકાર દ્વારા જારી કરાયેલી આઇટી સંબંધી નોટિફિકેશન (GSR 817) તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને નવેસરથી આખું માળખું તૈયાર થાય.
  • 2. કોરોના કાળના નિયમોનો અંત: મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા બે ડ્રાફ્ટ નોટિફિકેશન (જેમ કે GSR 220)ને સરકાર સંપૂર્ણપણે પાછી ખેંચે.
  • 3. ડીપ ડિસ્કાઉન્ટિંગ પર રોક: ઓનલાઇન કંપનીઓ દ્વારા ગ્રાહકોને અપાતા બેફામ ડિસ્કાઉન્ટ પર તાકીદે રોક લગાવવામાં આવે અથવા ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)માં સુધારો કરીને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવામાં આવે જેથી તેઓ બજારની હરીફાઈમાં ટકી શકે.

ગુજરાતમાં પણ ઓનલાઇન દવાના વેચાણ સામે અગાઉ અપાયેલા અલ્ટિમેટમ બાદ અમદાવાદ અને રાજ્યભરના કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે. ‘ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ના જણાવ્યા અનુસાર, આ બંધના કારણે સમગ્ર ગુજરાતમાં નાની-મોટી 35 હજારથી વધુ દવાની દુકાનો બંધ રહેશે. એકલા અમદાવાદ શહેરમાં જ 3 હજારથી વધુ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 6 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સના શટર અંધ રહેશે. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

હડતાલ દરમિયાન કટોકટીના સમયે દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

  • હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં દવાખાનાઓ કે હોસ્પિટલ પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવશે.
  • ગામડાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા: જે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી હોસ્પિટલો કે દવાખાના નથી, ત્યાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રાખવામાં આવશે.
  • સરકારી કેન્દ્રો ખુલ્લા રહેશે: દેશભરમાં તમામ ‘પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ પર દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.

જોકે, કર્ણાટકના કેટલાક ભાગોમાં 20 હજારથી વધુ કેમિસ્ટ અને મધ્ય પ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો આ બંધમાં સક્રિય હોવાથી ત્યાં મોટી અસર જોવા મળી શકે છે. તેલંગાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા છે તેમજ એપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા છે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેમિસ્ટોની વાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.

May 19, 2026
petrol-diesel-1.jpg
1min57

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થતી મોટી વધ-ઘટ અને પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. દેશની સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધુ વધારો કરી દીધો છે.

સામાન્ય જનતા માટે આ બમણો ફટકો છે, કારણ કે ગયા શુક્રવારે (15 મે) જ તેલ કંપનીઓએ પ્રતિ લીટર આશરે 3 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. એક જ અઠવાડિયાની અંદર ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં આ બીજો મોટો વધારો છે.

બજારના વિશ્લેષકો (એનાલિસ્ટ) અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજદ્વારી અને લશ્કરી કટોકટીનું સીધું પરિણામ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી ખેંચતાણ તેમજ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) દરિયાઈ માર્ગ પર સપ્લાય ખોરવાઈ જવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ને વટાવી ગઇ છે.

જેના કારણે ભારતની રિફાઇનિંગ કંપનીઓને રોજ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે થયેલા 3 રૂપિયાના વધારાથી કંપનીઓના નુકસાનમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના મોટા તફાવતને સરભર કરવા માટે આ નવો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક કટોકટી જલ્દી શાંત નહીં થાય, તો આવનારા દિવસોમાં ટુકડે-ટુકડે આવો હજી વધુ ભાવવધારો જોવા મળી શકે છે.

દિલ્હીમાં હવે પેટ્રોલ પ્રતિ લીટર 98.64 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જેમાં 87 પૈસાનો વધારો થયો છે; જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 91 પૈસા વધીને 91.58 રૂપિયા થઈ ગઈ છે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 91 પૈસા વધીને પ્રતિ લીટર 107.59 રૂપિયા અને ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 94.08 રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં પેટ્રોલ 96 પૈસા વધીને પ્રતિ લીટર 109.70 રૂપિયા થઈ ગયું છે; જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 96.07 રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને પ્રતિ લીટર 104.49 રૂપિયા અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને પ્રતિ લીટર 96.11 રૂપિયા થઈ ગઈ છે

એક જ અઠવાડિયામાં ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં કુલ મળીને આશરે 4 રૂપિયાના વધારા (Cumulative Hike) કારણે સામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સૌથી વધુ અને સીધી અસર પડશે. ડીઝલ મોંઘું થવાથી દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને રોજિંદા સામાનના પરિવહનનો ખર્ચ વધી જશે, જેના લીધે આવનારા અઠવાડિયામાં છૂટક મોંઘવારી (Retail Inflation)માં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી શકે છે.

May 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min51

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો અને યુદ્ધની દહેશત વચ્ચે આજે તા.18મી મે 2026ને સોમવારે વૈશ્વિક શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો છે. અમેરીકાના ડાઉ જોન્સથી લઇને જાપાનના નિક્કેઇ અને ભારતના સેન્સેક્સ નિફ્ટી સમેત દુનિયાનું કોઇ એવું શેરબજાર નથી જે આજે પ્લસમાં હોય. તમામ શેરબજારો એટલા માટે ક્રેશ થાય છે કેમકે ફરીથી અમેરીકા અને ઇરાન વચ્ચે યુદ્ધની ભીંતી સેવાય રહી છે.

દુનિયાભરના શેરબજારો ફરી એકવાર ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેલના કુવા અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર સતત થઈ રહેલા હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધીના બજારોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે યુએસ શેરબજારો (US Stock Market) મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા, જ્યારે આજે તા.18મી મે 2026ને સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેરબજારોમાં ભારે કોહરામ મચી ગયો છે.

હોર્મુઝ સંકટ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) નો ભાવ પ્રતિ બેરલ $111 ની સપાટીને વટાવી ગયો છે. વધતી જતી ઉર્જા કટોકટી અને મોંઘવારીના ભયથી બ્રિટન, જાપાન અને હોંગકોંગ સહિતના તમામ મોટા દેશોના શેરબજારોમાં રોકાણકારો વચ્ચે નાસભાગ મચી ગઈ છે. તમામ મોટા ઇન્ડેક્સ લાલ રંગના નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અબજો ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે.

વૈશ્વિક મંદી અને કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ભારતીય બજાર માટે અતિ મહત્ત્વનો સંકેત ગણાતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) 18 મે 2026ને સોમવારે સવારે ખુલતાની સાથે જ ગગડી ગયો હતો. સમાચાર લખાયા ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી આશરે 195 પોઈન્ટ ના મોટા ગાબડા સાથે 23550 ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. સામાન્ય રીતે ગિફ્ટ નિફ્ટીમાં આવો મોટો ઘટાડો સ્થાનિક બજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE Sensex) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE Nifty) માટે પણ ભારે કડાકાના સંકેતો આપે છે. નિષ્ણાતોના મતે મોંઘા થઈ રહેલા ક્રૂડ ઓઈલના કારણે આગામી દિવસોમાં ભારતીય બજાર પર દબાણ વધુ વધી શકે છે.

May 17, 2026
image-10.png
1min49

અમદાવાદ ના શહેરીજનો માટે પરિવહન ક્ષેત્રે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ મેટ્રો સેવાઓનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. આગામી સોમવારથી નવા સમયપત્રકનો અમલ થશે.

રાજ્ય સરકારની અપીલ અને મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધી દોડશે. જાહેર પરિવહનને (Public Transport) વધુ પ્રોત્સાહન આપવા અને મોડી રાત્રે મુસાફરી કરતા નોકરિયાતો તેમજ નાગરિકોની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લી ટ્રેનનો સમય 11 વાગ્યા સુધી વધારી દેવાયો

વસ્ત્રાલ ગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે ઉપડતી હતી. જેને હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવાઈ છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે. એપીએમસીથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રે 10.10 વાગ્યે ઉપડતી હતી, જેને હવે 11.10 વાગ્યા સુધી જયારે કોટેશ્વરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી વધારી દેવાયો છે.

ઇંધણ બચાવવા સરકારન નિર્ણય

કોટેશ્વરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેન અગાઉ સાંજે 7.43 વાગ્યે હતી, જેને હવે રાત્રે 9.20 વાગ્યા સુધી લંબાવાઈ છે. તે જ રીતે મહાત્મા મંદિરથી કોટેશ્વર અને એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણયથી અપડાઉન કરનારા તેમજ વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને ફાયદો થશે. ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વસ્ત્રાલગામથી હાલમાં છેલ્લી ટ્રેન રાત્રિના 10 કલાકે ઊપડતી હોય છે. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે વસ્ત્રાલ ગામથી ઉપડીને થલતેજ ગામ જશે. તો થલતેજ ગામથી છેલ્લી ટ્રેન રાત્રે 10 કલાકે ઊપડતી હતી, જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે.

એપીએમસીથી અત્યારે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઊપડતી હોય છે જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 10:10 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે એપીએમસીથી ઉપડીને કોટેશ્વર સુધી જશે. કોટેશ્વરથી છેલ્લી ટ્રેન રાત્રે 10:05 કલાકે ઊપડતી હતી. જે લંબાવીને હવે છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે જે અન્વયે વધારાની 3 સર્વિસ રાત્રે 10:20, 10:40 અને 11 કલાકે કોટેશ્વરથી ઉપડીને એપીએમસી સુધી જશે.

May 15, 2026
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min71

ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડૉલરની સરખામણીએ ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જોવા મળી રહી છે.

આજે એટલે કે 15 મે 2026ના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે રૅકોર્ડબ્રેક નબળો પડીને ₹96.02ના સ્તરે પહોંચી ગયો છે. અગાઉના દિવસે એટલે કે 14 મેના રોજ રૂપિયો ₹95.76 પર બંધ થયો હતો, જેની સરખામણીએ આજે વધુ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2022થી અત્યાર સુધીના ગ્રાફ પર નજર કરીએ તો રૂપિયામાં સતત મૂલ્યહ્રાસ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં (YTD Change) રૂપિયામાં 13.2% જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ કડાકા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત ઉપાડ અને અમેરિકન ડૉલરની વૈશ્વિક બજારમાં મજબૂતી માનવામાં આવી રહી છે.

રૂપિયો નબળો પડવાને કારણે વિદેશથી આયાત કરવામાં આવતી વસ્તુઓ જેવી કે ક્રૂડ ઓઇલ, ઈલેક્ટ્રોનિક્સ અને ખાદ્ય તેલ મોંઘા થશે. આનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે, જે આખરે મોંઘવારીમાં વધારો કરશે. આ ઉપરાંત, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસ પર જનારા લોકો માટે પણ ખર્ચમાં મોટો ઉછાળો આવશે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને હોર્મુઝ નાકાબંધી: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. યુદ્ધના ડરથી રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે ડૉલર તરફ વળ્યા છે.

ક્રૂડ ઓઇલ ₹107 ડૉલરને પાર: ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ આયાત કરે છે. બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલને પાર કરી જતાં ભારતનું આયાત બિલ વધ્યું છે, જેના કારણે ડૉલરની માંગ વધી અને રૂપિયો ઘટ્યો.

મજબૂત ડૉલર ઇન્ડેક્સ: વૈશ્વિક સ્તરે ડૉલર ઇન્ડેક્સ 99.05 પર પહોંચી ગયો છે. જ્યારે પણ ડૉલર આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થાય છે, ત્યારે રૂપિયો અને અન્ય એશિયન કરન્સી નબળી પડે છે.

FII દ્વારા આક્રમક વેચવાલી: વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. માત્ર બુધવારે જ FII એ ₹4,700 કરોડની વેચવાલી કરી હતી.

આયાતી ફુગાવાનો ખતરો: જથ્થાબંધ મોંઘવારી દર (WPI) સાડા ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો છે. તેલ મોંઘું થવાથી દેશમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધવાની ભીતિ છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસ: આયાત મોંઘી થવાથી પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થઈ શકે છે.

ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ: મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સના આયાતી પાર્ટ્સ મોંઘા થતા તેની કિંમતો વધશે.

વિદેશી શિક્ષણ અને પ્રવાસ: જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણે છે અથવા જે લોકો વિદેશ પ્રવાસે જવાનું આયોજન કરી રહ્યા છે, તેમણે હવે ડૉલર ખરીદવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

રોજિંદી વસ્તુઓ: ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાથી શાકભાજીથી લઈને પ્લાસ્ટિક અને અન્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનો મોંઘા થશે.