ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે. 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ 15 જૂન પછી તેની પ્રગતિ અટકી ગઈ. દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત નોંધાઈ. નબળું MJO, કમજોર સોમાલી જેટ, રણની ગરમ હવા, ન્યુટ્રલ IOD અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ આ પાંચ પરિબળો જવાબદાર છે. ‘અલ નીનો’ની અસર જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ જોવા મળશે.
ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. જૂન 2026નો મહિનો ભારતીય હવામાન ઇતિહાસમાં વિતેલા 146 વર્ષના સૌથી સૂકા મહિનાઓમાંથી એક સાબિત થયો છે.
કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું હતું, પરંતુ 15 જૂન પછી તે અચાનક અટકી ગયું હતું. આશરે બે અઠવાડિયા સુધી મોનસૂનની પ્રગતિ અટકી જતાં દેશમાં 40 ટકાથી વધુ અને મધ્ય ભારતમાં 60 ટકા જેટલી વરસાદની ભારે અછત નોંધાઈ છે. 23 જૂન પછી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂનની આ ખાધ પુરાવવામાં હજુ સમય લાગશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે કોઈ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ સિસ્ટમ એકસાથે વરસાદની વિરુદ્ધ કામ કરી રહી હતી:
નબળું MJO (મેડન જુલિયન ઓસિલેશન): વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાની આ મોટી લહેર દર 30 થી 60દિવસે પૃથ્વીનું ચક્કર લગાવે છે. તે જૂન મહિનામાં હિંદ મહાસાગર પરથી આગળ વધી જતાં ભારતમાં વરસાદની ગતિ પણ ઘટી ગઈ.
કમજોર સોમાલી જેટ (Somali Jet): આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા રહ્યા છે.
રણ પ્રદેશની ગરમ-સૂકી હવા: ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ મધ્ય ભારત પર એક ‘ઢાંકણ’ જેવી સ્થિતિ સર્જી, જેથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો.
ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD): હિંદ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ (Neutral) રહ્યો, જેથી ચોમાસાને પૂરતી મદદ ન મળી.
બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ: બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ ન બનવાને કારણે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નહીં.
અમેરિકન એજન્સી NOAA દ્વારા જૂનના બીજા અઠવાડિયામાં જ ‘અલ નીનો’ (El Nino) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનની અછતમાં તેની અસર ઓછી હતી, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનો મોટો ખતરો જોવા મળી શકે છે.
હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે અંદાજે 90 ટકા જેટલો જ રહેશે. આ સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા એ પણ વધી છે કે, ગરમ હવા વધુ પાણી સંગ્રહી શકે છે, જેના લીધે લાંબા સૂકા ગાળા પછી અચાનક અત્યંત ભારે વરસાદ (Flash Floods) આવવાનું જોખમ પણ વધી જાય છે.
સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.
દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”
તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.
વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.
પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.
નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા
સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.
અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.
સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને રાહત
કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPGનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, PNG તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.
પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.
નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ LPGના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.
સરકારે માત્ર LPG સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક LPGના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.
નવા PNG કનેક્શન્સ (માર્ચથી અત્યાર સુધી) > 10,00,000થી વધુ કનેક્શન્સ અપાયા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી (ભવિષ્યના કનેક્શન્સ) > 3,22,000 વધારાના કનેક્શન્સ માટે લાઈનો તૈયાર
મે 2026 માં કુલ LPG વપરાશમાં ઘટાડો > 19% નો ઘટાડો (પ્રોવિઝનલ સરકારી ડેટા મુજબ)
સરકારે ભલે LPG સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે LPG પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને PNG પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ PNG પર જ રહેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે PNG નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ PNG તરફ વાળવામાં આવશે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો – ૨૦૨૬’ યોજાશે
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે – ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા
આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૧,૦૦૦થી વધુ બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું અગાઉ ‘વિવનીટ એક્ઝિબિશન’ના નામથી પ્રખ્યાત અને સફળ રહેલ એક્ઝિબિશન હવે ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોના નામથી ઓળખાશે. નામને અર્થસભર બનાવતા ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનો ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ અને ગારમેન્ટ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આ એક્ઝિબિશન થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અગાઉના વિવનીટ એક્ઝિબિશનને મળેલી જબરદસ્ત સફળતાને પગલે આ વર્ષે એક્ઝિબિશનનું પાંચમું એડીશન ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ સુરતના મેન્યુફેક્ચરર્સને માત્ર સુરત કે ભારત પૂરતુ મર્યાદિત ન રાખતા તેમને વૈશ્વિક એટલે કે લોકલ ટુ ગ્લોબલ કરવાનો છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક પણ જોવા મળશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૫૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે એકિઝબિશન મોટા પાયે થવા જઈ રહ્યું છે, ત્યારે એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ટેક્ષ્ટાઈલ મેન્યુફેક્ચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને ક્વોલિટીઓ આપવામાં આ એક્ઝિબિશન મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ શુક્રવારે, તા. ૨૬ જુન ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ (UKM), સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી જયરામ ગામિત ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્લોબલ પ્રેસિડેન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ) શ્રી મૃગન થેન્કોન્ડાર, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને સંસ્થાપક શ્રી અજય અજમેરા, સર્જન ઈન્ટરનેશનલના સંસ્થાપક શ્રી અમિત ડોબરિયા, બોમ્બે ડાઈંગના મેનેજર શ્રી રજનેશ દત્ત અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયાના પીલરલેસ એસી હોલમાં યોજાનાર ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની સાથે ચીનના શેન્ગઝુહો શહેરના મળીને કુલ ૨૦૦ જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ એક્ઝિબિશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઈનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ મેન્યુફેક્યરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ એક્ઝિબિશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઈરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૨૫,૦૦૦થી વધુ બીટુબી બાયર્સ અને વિઝીટર્સ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, ડિજિટલ પ્રિન્ટ અને ફેન્સી પ્રિન્ટ ફેબ્રિક અને ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સ નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડક્ટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો– ર૦ર૬ના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેક્નિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પર્ચેસ કરવાની તક મળશે. સાથે લેટેસ્ટ ટેક્નોલોજીના નવા-નવા સેમ્પલ જોવા મળશે. એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, શીફલી મશીન અને બીડસ એમ્બ્રોઈડરી મશીન્સમાંથી બનાવવામાં આવેલ ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે.
વેનેઝુએલામાં Dated 24 June 2026 બુધવારે સાંજે 7.1 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની કરાકસ સહિત અનેક શહેરો ધ્રુજી ઉઠ્યા હતા, જ્યાં અનેક મકાનો ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. યુએસએ સુનામી એલર્ટ જારી કર્યું છે. ગૃહમંત્રીએ લોકોને ઘરમાં ન જવા અને રાહત કાર્યમાં મદદ કરવા અપીલ કરી છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કૅરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કૅરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
પ્રથમ આંચકો: સાંજે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ વેનેઝુએલાના કેરેબિયન દરિયાકાંઠાના મોરોન શહેર પાસે, રાજધાની કરાકસથી આશરે 168 કિલોમીટર દૂર અને જમીનથી 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.
બીજો આંચકો: પ્રથમ આંચકાની થોડી જ મિનિટો બાદ તેનાથી પણ વધુ તીવ્ર એટલે કે 7.5 ની ક્ષમતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
આ પ્રચંડ ધરતીકંપ બાદ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે દરિયાઈ મોજા ઉછળવાની આશંકાને પગલે પ્યુર્તો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીની ચેતવણી (Tsunami Warning) જારી કરી દીધી છે.
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકો જીવ બચાવવા માટે ઇમારતોમાંથી બહાર ખુલ્લા મેદાન અને રસ્તાઓ તરફ ભાગ્યા હતા. લોકો પોતાની નજર સામે જ દીવાલો ધરાશાયી થતી અને ઘરનો સામાન રસ્તાઓ પર વેરવિખેર થતો જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. કૅરાકસના બે મુખ્ય વ્યાપારી વિસ્તારો, જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને દુકાનોમાં ભારે ભીડ હોય છે, ત્યાં ઇમારતો ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના વિશાળ ગિન્નારો (ગુબાર) ઉડતા જોવા મળ્યા હતા.
વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસ્ડાડો કાબેયોએ જણાવ્યું હતું કે કૅરાકસના અલ્તામીરા (Altamira) વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં સૌથી વધુ મકાનો અને બિલ્ડિંગો તૂટી પડ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અત્યારે ભૂલથી પણ ઘરોની અંદર ન જાય, કારણ કે સતત આવી રહેલા ‘આફ્ટરશોક્સ’ (Aftershocks) ના કારણે નબળી પડેલી ઇમારતો ગમે ત્યારે પડી શકે છે.
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રીએ ટીવી પર સંબોધન કરતા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ એમ્બ્યુલન્સ અને રાહત સામગ્રી લઈ જતા વાહનોને પ્રાથમિકતાના ધોરણે રસ્તો આપે. પ્રશાસન નિયમોનુસાર બચાવ કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ સંભાળ રાખવા અને કોઈ પરિવાર મદદ વિના ન રહી જાય તે માટે એકબીજાના સંપર્કમાં રહેવા તાકીદ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.જોકે, અમરનાથ યાત્રા જતાં શ્રદ્ધાળુઓ માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.
જેમાં અમરનાથ યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓએ પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. કારણ કે વધુ ઉંચાઇ પર તમને પાણીની તરસ વધુ લાગી શકે છે. તેમજ થાક પણ લાગી શકે છે તેથી પાણી પાસે રાખવું હિતાવહ છે. આ ઉપરાંત જો તમે કોઇ સ્વાસ્થય સબંધી સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો દવા સાથે રાખવી જરૂરી છે.
આ ઉપરાંત પહાડી વિસ્તારમાં યાત્રા દરમિયાન શરીરમાં થાક લાગે છે. જેના લીધે સંભવિત રીતે માથાનો દુ:ખાવો, અને ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આવા સમયે સ્વસ્થ રહેવા માટે શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ.
આ ઉપરાંત પ્રાથમિક સારવાર કીટ, બેન્ડેઝ, પેઇન કીલર, અને હવામાન મુજબ જરૂરી કપડા સાથે રાખવા જરૂરી છે. જયારે યાત્રા દરમિયાન પહાડી પ્રદેશોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા જરૂરી છે.
જયારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા દરમિયાન ચહેરાને સૂર્યપ્રકાશ અને ઠંડા પવનથી બચાવવો જોઈએ. સૂર્ય પ્રકાશથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમજ આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ પહેરવા પણ હિતાવહ છે.
અમરનાથ યાત્રા દરમિયાન અનેક પડાવ આવે છે. તેમજ રાત્રી રોકાણ દરમિયાન અનેક વસ્તુઓની જરૂર પડે છે. તેથી સાથે હેડ લેમ્પ અથવા ફ્લેશ લાઇટ સાથે રાખવી જોઈએ. જે અંધારામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન સાથે ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો જેનાથી ઢોળાવ પર ચઢાણ સરળ બનશે.
આ લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથે ખાટી-મીઠા કેન્ડી, સૂકા ફળો, શેકેલા ચણા અને ચોકલેટ સાથે રાખવી હિતાવહ છે. આ દરમિયાન તમારી માટે મહત્વના એવા મોબાઈલ ફોન માટે ચાર્જર, પાવર બેંક અને નાણા સુરક્ષિત રાખવા માટે વોટર પ્રૂફ કવર સાથે રાખો.
આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને તેમના પ્રવાસ સમયપત્રકનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપી છે. તેમને નિયત કટ-ઓફ સમય પહેલાં કાશ્મીર તરફની તેમની યાત્રા શરૂ કરવા અને સુરક્ષા તપાસ હવામાન સંબંધિત વિલંબ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે. આ યાત્રા બે માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને પ્રમાણમાં ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.
ગરમીથી રાહત, આખો દિવસ ઝરમર-ઝરમર વરસ્યો વરસાદ: નૈર્ઋત્યના ચોમાસાએ દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો: બે દિવસ યલો અલર્ટ
અસહ્ય ગરમીથી ત્રાસી ગયેલા મુંબઈગરાઓ માટે સારા સમાચાર ગણીએ તો ખાસ્સી રાહ જોવડાવ્યા પછી આખરે મંગળવારે મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું હતું. સતત બે દિવસ વરસાદે હાજરી પુરાવ્યા પછી આવેલા નૈર્ઋત્યના ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો હતો અને ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે. આગામી બે દિવસ મુંબઈ-થાણે માટે યલો અલર્ટ હોવાની આગાહી વેધશાળાએ કરી હતી.
સખત તાપમાં શેકાયેલા મુંબઈગરા કાગડોળે ચોમાસાની રાહ જોતા હતા. છેલ્લા બે દિવસથી મુંબઈના અમુક વિસ્તારમાં જોરદાર તો કેટલાક પરિસરમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના વિસ્તારોમાં ઝરમર વરસીને વરસાદે હાજરી પુરાવતાં ગરમીથી થોડી રાહત મળી હતી. વળી, જળાશયોમાં પાણીની સપાટી નીચી જતાં પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મંગળવારે મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસતાં મુંબઈગરાઓએ હાશકારો અનુભવ્યો હતો..
સાધારત રીતે મુંબઈમાં 10 જૂને ચોમાસાનું આગમન થાય છે. ગયા વર્ષે તો મેના છેલ્લા સપ્તાહમાં જ ચોમાસાએ દેખા દીધી હતી, પરંતુ આ વર્ષે ચોમાસાએ લાંબી પ્રતીક્ષા કરાવડાવી હતી. ખાસ્સા 13 દિવસ મોડું આગમન થયું હતું. આઈએમડીના રેકોર્ડ અનુસાર ચોમાસું સૌથી વધુ 1974 અને 1958માં લંબાયું હતું. તે વર્ષે છેક 28 જૂને ચોમાસું બેઠું હતું.
આઈએમડીનાં વિજ્ઞાની સુષમા નાયરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવારે મુંબઈમાં બેસેલા ચોમાસાએ છેક દહાણુ સુધીના વિસ્તારને આવરી લીધો છે. મહારાષ્ટ્રના અમુક જ ભાગ ચોમાસાથી વંચિત રહ્યો છે. નૈર્ઋત્યનું ચોમાસું ઝડપભેર ગુજરાત ભણી વધી રહ્યું છે.
મુંબઈ મહાપાલિકાના આંકડા દર્શાવે છે કે મંગળવારની સવારે આઠથી સાંજે સાત વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ શહેરમાં મુંબઈ સેન્ટ્રલમાં 79 મિ.મી. નોંધાયો હતો. ત્યાર બાદ લોઅર પરેલમાં 74.4 મિ.મી., એફ સાઉથ વૉર્ડમાં 72.63 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી.
પશ્ર્ચિમી પરામાં સૌથી વધુ મલાડમાં 61.8 મિ.મી., માલવણીમાં 52.2 મિ.મી. વરસાદ નોંધાયો હતો તો પૂર્વ પરાના માનખુર્દ ખાતે 51.2 મિ.મી. પવઈમાં 37.4 મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે પાણી ભરાવાની કોઈ ફરિયાદો પાલિકાના ક્ધટ્રોલ રૂમને મળી નહોતી. એ સિવાય વરસાદી ઘટનાઓની પણ નોંધ થઈ નહોતી. જોકે રાતે આઠ વાગ્યાની આસપાસ શહેરના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધ્યું હતું.
કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો.
આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને ‘કતાર એનર્જી’ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને એક ‘ટેકનિકલ અકસ્માત’ ગણાવ્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવાઈ છે.
મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું કે, હું આજે મારી જાતને એક એવા સ્થાને ઊભેલી જોઈ રહ્યો છું, જ્યાં મારે કંઈક એવું કરવું પડી રહ્યું છે જેની મેં હંમેશા આશા રાખી હતી કે ક્યારેય ન કરવું પડે. મારે આપણા 13 લોકોના દુઃખદ અવસાનની જાહેરાત કરવી પડી રહી છે, જેઓ ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ સિવાય 66 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે અને તેઓની તબીબી સારવાર ચાલી રહી છે, સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી.
આ વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીથી 70 કિલોમીટર કરતાં વધુ દૂર આવેલા સેન્ટ્રલ દોહામાં પણ તેના આંચકા અનુભવાયા હતા. બ્લાસ્ટના કારણે દોહામાં ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા હતા, જેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઊર્જા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની વૈશ્વિક LNG નિકાસ કામગીરીને કોઈ અસર થઈ નથી.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે, તેમના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.
આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે આ પ્લાન્ટ તાજેતરમાં જ ઈરાન યુદ્ધ દરમિયાન થયેલા ભારે નુકસાનમાંથી રિકવર થઈ રહ્યો હતો. થોડા મહિના પહેલા જ ઈરાનની મિસાઈલોએ રાસ લફાનમાં આવેલા મુખ્ય ગેસ-પ્રોસેસિંગ યુનિટ્સને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું અને ઉત્પાદન ઠપ થઈ ગયું હતું.
આ પ્લાન્ટ ડિસેમ્બર 2025થી મેઇન્ટેનન્સના કારણે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો અને દુર્ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો તથા સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે
AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિભાની માંગને અનુરૂપ નવા અભ્યાસક્રમોનો શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રારંભ થશે
ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (Institute of National Importance) છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.
નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, “બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેકનોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય શ્રીમતી આશા દવેએ જણાવ્યું હતું કે, “IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઊભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઊભી કરશે.“
આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.
આ નવા સોપાનોને ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે. IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.
સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch; ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજુતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia),Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.
35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.
IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ
સુરત, તા.18 તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.
ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.