CIA ALERT

Alert Archives - Page 2 of 519 - CIA Live

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.25.27-1280x445.jpeg
1min37

  • ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા માટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આઈટી મંત્રાલયની વિશેષ વર્કશોપ યોજાઈ
  • દેશના GDPમાં 2.3%નો ફાળો આપતા ટેક્સટાઇલ સેક્ટરને AIથી સજ્જ કરવા કેન્દ્રનો રાષ્ટ્રીય સર્વે પ્રોજેક્ટ
  • MSMEsને સસ્તા અને અસરકારક ટેકનિકલ વેન્ડર્સ સાથે જોડવા કેન્દ્ર સરકાર તૈયાર કરશે ‘MAX’ (MSME AI Exchange) પ્લેટફોર્મ

સુરત, 12 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરસાણા ખાતે ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) મંત્રાલયના ઉપક્રમે ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા અને સ્વીકાર્યતા વધારવા માટે ‘એથેના ઇન્ફોનોમિક્સ’ના વિશેષ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંદેશ આપતાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ભવિષ્યની નહીં પણ વર્તમાન સમયની જરૂરિયાત છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ MSME એકમો જો ‘AI લાઇટહાઉસ’ મોડલ અપનાવશે તો તેમની પ્રોડક્શન કોસ્ટ ઘટી જશે. IT મંત્રાલય દ્વારા દેશની 350 અને ખાસ કરીને સુરત સહિત ટેક્સટાઇલ ક્ષેત્રની 200 ફેક્ટરીઓ પર સર્વે માટે પસંદગી ઉતારવી એ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત માટે સુવર્ણ તક છે. સુરતના ટેક્સટાઇલ MSME ઉદ્યોગકારોએ આનો લાભ લેવો જોઈએ.”

ટેક્સટાઇલ સેક્ટરમાં ઉત્પાદકતા વધારવી અને ખર્ચ ઘટાડવો મુખ્ય લક્ષ્ય
એથેના ઇન્ફોનોમિક્સના AI એડવાઇઝરી એન્ડ સ્ટ્રેટેજી ડાયરેક્ટર શ્રી મહેશ અને પબ્લિક પોલિસી ડાયરેક્ટર શ્રી અંકિત છત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં 350 ફેક્ટરીઓનો સર્વે કરવામાં આવશે, જેમાં સૌથી વધુ 200 ફેક્ટરીઓ એકલા ટેક્સટાઇલ ક્ષેત્રની પસંદ કરાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના GDPમાં 2.3% ફાળો આપે છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ MSME એકમોમાં AIના અમલ દ્વારા પ્રોડક્ટિવિટી વધારવી, કોસ્ટ રિડક્શન (ખર્ચમાં ઘટાડો) કરવો અને ફેક્ટરીના ગ્રાઉન્ડ લેવલના પડકારો (Pain Points) ઉકેલવાનો રોડમેપ તૈયાર કરવાનો છે.”

ગ્રાઉન્ડ લેવલ સોલ્યુશન્સ અને ‘MAX’ પ્લેટફોર્મ: બેઠકમાં યાર્ન બ્રેકેજ (Yarn Breakage) શોધવા લેઝર લાઇટનો ઉપયોગ, ફેબ્રિક ઇન્સ્પેક્શનની ક્ષતિઓ નિવારવી, લેબર ટ્રેકિંગ અને ક્વોલિટી કંટ્રોલ જેવા વિષયો પર ચર્ચા કરાઈ હતી. દરેક ફેક્ટરીની કાર્યપ્રણાલી અલગ હોવાથી AIનો ઉપયોગ પણ કસ્ટમાઇઝ્ડ રહેશે. ઉપરાંત, MSMEsને આધુનિક AI ટેકનોલોજી પૂરી પાડનારા વેન્ડર્સ સાથે સાંકળવા માટે ‘MAX’ (MSME AI Exchange) નામનું સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરવાની યોજના છે, જે ઉદ્યોગકારોને સસ્તા અને અસરકારક ટેકનિકલ ઉકેલો પૂરા પાડશે.

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.18.04-1280x639.jpeg
1min36

કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે બિઝનેસ મેળાનું ઉદ્‌ઘાટન કરાયું

બિઝનેસ મેળાઓ થકી મહિલા સાહસિકોને પગભર થવા અને પોતાની નવીન પ્રોડક્ટ્સ સીધી માર્કેટ સુધી પહોંચાડવામાં મોટી મદદ મળે છે: ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી

સુરત, 12 ઓગસ્ટ 2026: શ્રાવણ માસના પવિત્ર તહેવારોની ખરીદી અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને માહેશ્વરી લક્ઝુરિયાના સંયુક્ત ઉપક્રમે બુધવાર, તા. 12 ઓગસ્ટ અને ગુરુવાર, તા. 13 ઓગસ્ટ 2026ના રોજ દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પાટીયા, આઇ માતા રોડ સ્થિત માહેશ્વરી લક્ઝુરિયા ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના વરદ્ હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “દક્ષિણ ગુજરાતનું આર્થિક માળખું નાના વેપારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોની મહેનત પર નિર્ભર છે. આ બિઝનેસ મેળો સ્થાનિક કળા, નારી સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરી રહ્યો છે. સુરતની જનતા શ્રાવણી તહેવારોની ખરીદી આ મેળામાંથી કરીને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બને તે ઇચ્છનીય છે.”

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વ્યાપાર અને ખાસ કરીને મહિલા ઉદ્યમીઓની કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ મેળો લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને સીધા નવા બજારો સાથે જોડવાનું કાર્ય કરશે.”

ઉદ્‌ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીએ જણાવ્યું હતું કે, સુરતમાં વેપારી સંસ્થાઓ અને સમાજના સંગઠનો દ્વારા આયોજિત આવા બિઝનેસ મેળાઓ થકી મહિલાઓને પગભર થવામાં મોટી મદદ મળે છે અને તેઓ પોતાની યુનિક પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.

માહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે, બ્રાન્ડ બનાવવાની શરૂઆત નાના પાયાથી જ થાય છે અને સોશિયલ મીડિયાના યુગમાં એક્ઝિબિશન એ ડાયરેક્ટ કસ્ટમર કનેક્ટનો શ્રેષ્ઠ માર્ગ છે. રાષ્ટ્રીય યુવા વક્તા ડો. અંકિતા મુલાણીએ પદ્મશ્રી કલ્પના સરોજના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી મહિલાઓને પગભર બનવા પ્રેરિત કર્યા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ ઉમેર્યું હતું કે ચેમ્બર ‘વોકલ ફોર લોકલ’ અને રોજગારી નિર્માણ માટે સતત પ્રયત્નશીલ છે.

એક જ છત નીચે તહેવારલક્ષી વિશાળ શ્રેણી: ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કરતાં શ્રાવણ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે જણાવ્યું હતું કે, મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ, ડેકોરેશન, સાડીઓ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ કરાઈ છે.

કાર્યક્રમના અંતે લેડિઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટરો સતીષભાઈ મૈસુરીયા, અનિલભાઈ સોજીત્રા, સરોજબેન પટેલ, મનિષાબેન આહીર, હિનાબેન વાછાણી, વિધિબેન રાઠોડ, દિપકભાઈ રબારી અને દિનેશભાઈ રાજપુરોહીત સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

August 11, 2026
image-17.png
1min35

ગુજરાતના વેડિંગ, ઇવેન્ટ, હૉસ્પિટાલિટી અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ ક્ષેત્રને વૈશ્વિક મંચ આપવાનો પ્રયાસ; ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ એક મંચ પર આવશે

સુરત : સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક ફ્લેગશિપ કોન્ફરન્સ **‘Evolve 2.0’**નું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસીય આ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવનો ઉદ્દેશ ઇવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોને એક મંચ પર લાવીને જ્ઞાન, નેટવર્કિંગ, બિઝનેસ તકો અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ વર્ષે Evolve 2.0નો વ્યાપ સાઉથ ગુજરાતથી આગળ વધારીને સમગ્ર ગુજરાતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ‘Local to Global’ થીમ હેઠળ ગુજરાતને વેડિંગ, સેલિબ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, ફેસ્ટિવલ્સ, એક્ઝિબિશન્સ અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ માટે અગ્રણી ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોન્ફરન્સમાં ઇવેન્ટ પ્લાનર્સ, વેડિંગ પ્રોફેશનલ્સ, વેન્યુ માલિકો, હોટેલિયર્સ, હોસ્પિટાલિટી લીડર્સ, કલાકારો, પ્રોડક્શન કંપનીઓ, ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ, સપ્લાયર્સ, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો ભાગ લેશે.

ચાર મુખ્ય અનુભવથી કોન્ફરન્સનું આયોજન

Evolve 2.0માં ‘SGEMA Sangam’ હેઠળ નેટવર્કિંગ સેશન, ‘SGEMA Manthan’ હેઠળ નોલેજ કોન્ફરન્સ, ‘SGEMA Bazaar’ હેઠળ બિઝનેસ શોકેસ અને ‘SGEMA Utsav’ હેઠળ એવોર્ડ્સ, મનોરંજન અને સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે.

‘SGEMA Manthan’માં વેડિંગ અને ડેસ્ટિનેશન ટુરિઝમ, ઇવેન્ટ બિઝનેસ ગ્રોથ, AI અને ટેક્નોલોજી, લક્ઝરી એક્સપિરિઅન્સ, માર્કેટિંગ, ફોટોગ્રાફી-કન્ટેન્ટ ક્રિએશન, ડિઝાઇન-ડેકોર, હોસ્પિટાલિટી, લીડરશિપ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

ગુજરાતના ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો ઉદ્દેશ

Evolve 2.0ને માત્ર પરંપરાગત કોન્ફરન્સ નહીં પરંતુ લર્નિંગ, નેટવર્કિંગ, બિઝનેસ શોકેસ અને સેલિબ્રેશનને એકસાથે જોડતા સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. ગુજરાતની સંસ્કૃતિ, વારસો, ડેસ્ટિનેશન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરી નવી બિઝનેસ તકો અને સહયોગ ઊભા કરવાનો પણ તેનો ઉદ્દેશ છે.

August 11, 2026
aashish_gujarathi-1.jpg
3min41

યાર્નના બેઝિક રો મટિરિયલમાં અસામાન્ય ભાવ વધારોથી સુરતના વીવિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાશે

પોલિએસ્ટર મેલ્ટનો ભાવ એક જ મહિનામાં રૂ.89.59થી વધીને રૂ.102.94 પ્રતિ કિલો : ક્રૂડમાં માત્ર 4.57 ડોલરની તેજી સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો, ગ્રે કાપડ મોંઘું થવાની ભીતિ

સુરતના વિશાળ મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ ક્લસ્ટરમાં યાર્નમાંથી ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વીવર્સ માટે બેઝિક કી-રો મટિરિયલના ભાવમાં થયેલી અસામાન્ય વધઘટ ચિંતાનો વિષય બની છે. પોલિએસ્ટર યાર્નના ઉત્પાદન માટે જરૂરી મૂળભૂત કાચા માલના ભાવમાં એકતરફી તેજી આવતા તેની સીધી અસર યાર્નના ભાવ પર અને ત્યારબાદ વીવર્સ દ્વારા ઉત્પાદિત ગ્રે કાપડની પડતર કિંમત પર પડી રહી છે. પરિણામે ગ્રે કાપડ મોંઘું થવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નિલમ શમી રાવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં થયેલો વધારો ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલી વધઘટની સરખામણીએ અસામાન્ય રીતે વધારે છે. 11 ઓગસ્ટે કરાયેલી રજૂઆતમાં પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં છેલ્લા એક મહિનામાં થયેલા વધારાને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે.

ક્રૂડમાં રૂ.2ની અસર સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો

રજૂઆત મુજબ છેલ્લા એક મહિનામાં પોલિએસ્ટર મેલ્ટનો ભાવ આશરે રૂ.89.59 પ્રતિ કિલોથી વધીને રૂ.102.94 પ્રતિ કિલો થયો છે. એટલે કે માત્ર એક મહિનામાં રૂ.13.35 પ્રતિ કિલો અથવા લગભગ 15 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ આ સમયગાળામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 8 જુલાઈના આશરે 78.17 ડોલર પ્રતિ બેરલથી વધીને 7 ઓગસ્ટે 82.74 ડોલર થયો હતો. એટલે કે ક્રૂડમાં માત્ર 4.57 ડોલરનો વધારો થયો છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં 5 ડોલર પ્રતિ બેરલના વધારાની સામે પોલિએસ્ટર મેલ્ટમાં અંદાજે રૂ.2.04 પ્રતિ કિલો જેટલી અસર થવી જોઈએ. તેની સામે મેલ્ટના ભાવમાં રૂ.13.35નો વધારો થયો હોવાથી બંને વચ્ચેનો ભાવવધારો અસમાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

PTA અને MEG : યાર્નથી ગ્રે કાપડ સુધીની કડી

પોલિએસ્ટર મેલ્ટના ઉત્પાદન માટે PTA અને MEG મુખ્ય કાચા માલ છે. રજૂઆત અનુસાર હાલમાં આ બંને કાચા માલની સ્થાનિક ઉપલબ્ધતા ડાઉનસ્ટ્રીમ પોલિએસ્ટર ઉદ્યોગની જરૂરિયાતની સરખામણીએ અપૂરતી હોવાના કારણે પુરવઠામાં ખાધ ઊભી થઈ છે.

આ સ્થિતિમાં યાર્ન ઉત્પાદકો પાસે કાચા માલના વૈકલ્પિક સ્ત્રોતો મર્યાદિત રહે છે. પરિણામે ભાવ નક્કી કરવાની સ્થિતિમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગની સોદાકીય શક્તિ ઘટે છે અને કાચા માલના વધેલા ભાવનો બોજ આગળની સમગ્ર ટેક્સટાઇલ ચેઇન પર પડે છે.

PTA + MEG → પોલિએસ્ટર મેલ્ટ → ફાઇબર/યાર્ન → ગ્રે કાપડ → પ્રોસેસિંગ → ગારમેન્ટ/હોમ ટેક્સટાઇલ

આ ચેઇનમાં શરૂઆતના તબક્કે કાચા માલનો ભાવ વધે ત્યારે તેની અસર યાર્નના ભાવ મારફતે સીધી વીવિંગ કારખાનેદારો સુધી પહોંચે છે. વીવર્સ માટે યાર્ન મુખ્ય ઇનપુટ હોવાથી યાર્ન મોંઘું થતાં ગ્રે કાપડની ઉત્પાદન પડતર કિંમતમાં પણ વધારો થાય છે.

વીવર્સની મુશ્કેલી : યાર્ન મોંઘું, ગ્રે કાપડની પડતર વધી

સુરતના વીવિંગ ઉદ્યોગ માટે આ ભાવવધારો માત્ર યાર્નની ખરીદીનો પ્રશ્ન નથી. યાર્નના ભાવમાં વધારો થતાં એક મીટર ગ્રે કાપડ પાછળ આવતો કાચા માલનો ખર્ચ વધે છે. પરિણામે વીવર્સે ઊંચી પડતરે ગ્રે કાપડનું ઉત્પાદન કરવું પડે છે.

બીજી તરફ બજારમાં કાપડની માંગ અને ભાવની મર્યાદા હોવાને કારણે દરેક વખતે વધેલી પડતર પ્રમાણે ભાવ વધારવો શક્ય બનતો નથી. આવી સ્થિતિમાં વીવરનો નફો અને વર્કિંગ કેપિટલ માર્જિન દબાણ હેઠળ આવે છે. રજૂઆતમાં પણ યાર્નના ભાવમાં વધારો, વુવન અને નિટેડ ફેબ્રિકની ઊંચી પડતર, MSMEના વર્કિંગ કેપિટલ માર્જિનમાં ઘટાડો અને નિકાસમાં સ્પર્ધાત્મક ભાવ આપવાની મુશ્કેલી જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

સુરતના હજારો MSME અને લાખો કામદારો પર અસર

રજૂઆતમાં ખાસ કરીને સુરતના MMF ટેક્સટાઇલ ક્લસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં હજારો MSME એકમો અને લાખો કામદારો સસ્તા અને સતત ઉપલબ્ધ પોલિએસ્ટર કાચા માલ પર સીધી કે આડકતરી રીતે નિર્ભર છે.

કાચા માલના ભાવમાં અસામાન્ય વધારો ચાલુ રહે તો તેની અસર માત્ર યાર્ન ઉત્પાદકો સુધી મર્યાદિત રહેતી નથી. વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલ સહિતની સમગ્ર ડાઉનસ્ટ્રીમ ચેઇનની ઉત્પાદન પડતર વધી શકે છે.

વીવર્સની સરકાર સમક્ષ મુખ્ય માંગ

આ ભાવવધારાને નિયંત્રિત કરવા પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા સરકાર સમક્ષ PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે. વૈકલ્પિક રીતે સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી બંને કાચા માલની ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરવાની માંગ છે.

સાથે સાથે PTA અને MEGના સ્થાનિક ઉત્પાદન, આયાત, ઉપલબ્ધતા અને ભાવની પારદર્શક દેખરેખ માટે મોનિટરિંગ મિકેનિઝમ ઊભું કરવા તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચેના તફાવતની સમયાંતરે સમીક્ષા કરવાની પણ માંગ કરાઈ છે.

એક તબક્કાનો ભાવવધારો સમગ્ર ચેઇનને મોંઘી બનાવે છે

રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં એક મહિનામાં થયેલો રૂ.13.35 પ્રતિ કિલોનો વધારો અંતે ફાઇબર, યાર્ન અને ગ્રે કાપડ સુધી પહોંચે છે. ત્યારબાદ આ વધેલી પડતર પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલના ઉત્પાદનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

અર્થાત્, બેઝિક કાચા માલનો ભાવ વધે છે → મેલ્ટ મોંઘો થાય છે → યાર્ન મોંઘું થાય છે → વીવર્સની ગ્રે કાપડની પડતર વધે છે → બજારમાં કાપડ મોંઘું થાય છે.

આથી સુરતના વીવિંગ ઉદ્યોગ માટે હાલનો મુદ્દો માત્ર યાર્નના ભાવનો નહીં પરંતુ સમગ્ર MMF ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનની કોસ્ટ-કોમ્પિટિટિવનેસનો બની ગયો છે.

સરકાર સમક્ષ કરાયેલી મુખ્ય માંગ

  • PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક 0 ટકા કરવામાં આવે.
  • સ્થાનિક પુરવઠો સામાન્ય થાય ત્યાં સુધી ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરાય.
  • PTA અને MEGના ભાવમાં અસામાન્ય વધઘટ પર નજર રાખવા પારદર્શક મોનિટરિંગ સિસ્ટમ બનાવાય.
  • સ્થાનિક પુરવઠો અને ઉદ્યોગની માંગ વચ્ચે મોટો તફાવત હોય ત્યારે ટેરિફ સ્ટ્રક્ચરની સમીક્ષા કરાય.
  • 6થી 12 મહિના માટે કામચલાઉ ડ્યૂટી-ફ્રી વિન્ડો પર વિચાર કરવામાં આવે.
  • ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઇલ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ભાવે કાચો માલ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.

August 11, 2026
cyber-Surat.jpg
1min33

સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝારખંડ અને બિહારમાં 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી, પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે. આ ગેંગ ₹8,000માં ખરીદેલી APK ફાઇલ ₹70,000 સુધીમાં વેચી 336 નકલી ફાઇલો દ્વારા 5,613 લોકોના ₹125.39 કરોડથી વધુ પડાવ્યા હતા.

Surat Cyber Crime Jamtara Patna Gang Arrest: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક અત્યંત શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ડેવલપર પાસેથી માત્ર ₹8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને ₹10,000થી લઈને ₹70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.

આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે ₹125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત Google Play Store કે App Store પરથી જ ડાઉનલોડ કરવી. RTO ચલણ, KYC અપડેટ કે બેંક પ્રોફાઇલ સુધારવાના નામે મોકલેલી લિંક્સ પર ક્લિક કરવું નહીં. OTP, PIN, કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી. છેતરપિંડી થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો.

August 11, 2026
image-15-1280x1280.png
1min44

કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી સર્જી છે. પશ્ચિમી કોલંબિયામાં આવેલા આ ભૂકંપમાં 132 લોકોના મોત થયા છે અને 570થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. 1,575 મકાનો ધરાશાયી થયા છે, જ્યારે 6 એરપોર્ટ પર ફ્લાઈટ્સ ઠપ થઈ ગઈ છે. સરકારે ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી રાહત કાર્ય શરૂ કર્યું છે. વૈશ્વિક નેતાઓએ સહાનુભૂતિ વ્યક્ત કરી મદદની ખાતરી આપી છે.

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 132 પર પહોંચી ગયો છે, જ્યારે 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે.

કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી.

કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મરનજીક જમીનમાં 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વૈશ્વિક નેતાઓએ વ્યક્ત કરી સહાનુભૂતિ અને મદદની ખાતરી
આ મુશ્કેલ સમયમાં વિશ્વભરના અગ્રણી નેતાઓએ કોલંબિયાના લોકો પ્રત્યે સંવેદના અને પૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,

કોલંબિયામાં આવેલા ભયાનક ભૂકંપના સંદર્ભમાં, હું ફ્રાન્સ વતી કોલંબિયાના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. મારી સંવેદના પીડિતો, તેમના પરિવારો, ઈજાગ્રસ્તો અને આ હોનારતથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે છે. આ મુશ્કેલ સમયમાં, કોલંબિયા ફ્રાન્સની દોસ્તી અને સમર્થન પર ભરોસો રાખી શકે છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ ટ્વિટ કરીને વિશ્વભરના દેશોને મદદ માટે આગળ આવવા હાકલ કરી.

કોલંબિયામાં આવેલા ભયાનક ભૂકંપના સમાચાર અત્યંત દુઃખદ છે, જેની અસર પડોશી દેશ ઇક્વાડોર પર પણ પડી છે. જેઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે તમામ પરિવારો પ્રત્યે અમારી સંવેદના. કોઈ પણ જીવ ગુમાવવો એ દુઃખદ છે. અમે કોલંબિયાના લોકો અને આ હોનારતથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે પૂર્ણ સમર્થન અને એકતા સાથે ઊભા છીએ. અમે વિશ્વભરના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે જેઓ અત્યારે આ પ્રભાવિત લોકો અને દેશોને મદદ કરી શકે છે તેઓ આગળ આવે અને સહાય કરે.

ઈટાલીના વડાંપ્રધાન મેલોનીએ પણ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું, કે હું કોલંબિયામાં આવેલા હિંસક ભૂકંપના અપડેટ્સ ચિંતાપૂર્વક જોઈ રહી છું. આ મુશ્કેલ સમયમાં, ઈટાલી કોલંબિયાના લોકો, અસરગ્રસ્ત પરિવારો અને બચાવ તથા સહાય કામગીરીમાં જોડાયેલા તમામ લોકો સાથે એકતા દર્શાવે છે.

August 10, 2026
WhatsApp-Image-2026-08-10-at-16.56.30-1280x355.jpeg
1min35

  • માત્ર સર્વિસ પર્યાપ્ત નથી, IT કંપનીઓએ સોલ્યુશન અને પ્રોડક્ટ મોડલ અપનાવ્યે છુટકો: વત્સલ શાહ
  • AIને કારણે કોડિંગ પદ્ધતિઓ બદલાઈ: IT સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે તૈયાર કરવા વત્સલ શાહનું આહ્વાન
  • મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’થી સુરતે દેશનું ધ્યાન ખેંચ્યું: AI ડિસ્રપ્શનથી બચવા કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અપનાવવા સૂચન

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના ઉપક્રમે પ્રમુખ શ્રી અશોક જીરાવાલાના માર્ગદર્શન હેઠળ સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘Restructuring IT Companies’ વિષય પર વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં બિઝનેસ કેટાલિસ્ટ, સીઇઓ કોચ અને મેજેન્ટો એસોસિએશનના બોર્ડ ડિરેક્ટર શ્રી વત્સલ શાહે IT કંપનીઓના રી-સ્ટ્રક્ચરિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જાણીતા બિઝનેસ કોચ શ્રી વત્સલ શાહે જણાવ્યું હતું કે, “અત્યારે IT ઇન્ડસ્ટ્રી પોતાના સૌથી મોટા ટ્રાન્સફોર્મેશનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. હવે માત્ર ‘સર્વિસ’ પૂરી પાડવાથી નહીં ચાલે, કંપનીઓએ ‘સોલ્યુશન’ અને ‘પ્રોડક્ટ’ મોડલ તરફ વળવું પડશે. AIને કારણે પરંપરાગત કોડિંગની પદ્ધતિઓ બદલાઈ રહી છે. તેથી કંપનીઓએ પોતાના સ્ટાફને ‘ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ એન્જિનિયર’ તરીકે રી-સ્કિલ કરવા જોઈએ, જે ક્લાયન્ટના બિઝનેસને સમજીને AI ના માધ્યમથી ઝડપી અને સચોટ સોલ્યુશન આપી શકે.”

સુરતની તકો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, સુરત હવે માત્ર ટેક્સટાઇલ અને ડાયમંડ હબ નથી, પરંતુ મોટા વરાછા જેવી ‘ડિજિટલ વેલી’ને કારણે IT ક્ષેત્રે પણ દેશભરમાં આગળ વધી રહ્યું છે. જો કંપનીઓ સમય સાથે બદલાશે નહીં, તો ગ્લોબલ રિસેસન અને AI ડિસ્રપ્શનને કારણે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તેમણે તમામ IT કંપનીઓને 90 દિવસનો રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન અને ‘પ્રોફિટ-ફોકસ’ બિઝનેસ મોડલ અપનાવવા સલાહ આપી હતી.

IT કંપનીઓમાં રી-સ્ટ્રક્ચરીંગ બિઝનેસ મોડેલ એન્ડ માર્કેટીંગ, ઓફરિંગ/સર્વિસ, જીટીએમ સ્ટ્રેટર્જી, ઓર્ગનાઈઝેશન સ્ટ્રક્ચર, લીડરશીપ, ઓપરેટિંગ સિસ્ટમ, ફોક્સ એન્ડ પ્રોસેસ, સંસ્થાપકનો રોલ જેવા ક્ષેત્રમાં જરૂરી છે. રી-સ્ટ્રક્ચરીંગ દ્વારા રેવન્યુ ક્વોલિટી, માર્જિન ડિસિપ્લિન, પ્રાઈઝીંગ પાવર, ક્લાયન્ટ એકાઉન્ટ ગ્રોથ, કેશ ફ્લો કન્ટ્રોલ, લીડર્સ ઓનરશીપમાં સુધારો લાવવાનો મુખ્ય હેતુ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી સાથે રી-સ્ટ્રક્ચરિંગ કરનારી IT કંપનીઓ 15 થી 25% નો વાર્ષિક વિકાસ દર (Annual Growth Rate) હાંસલ કરી શકે છે. ચેમ્બરના ગ્રુપ ચેરમેન શ્રી ગણપત ધામેલિયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

સમગ્ર સેશનનું સંચાલન IT એન્ડ કોમ્યુનિકેશન કમિટીના ચેરમેન શ્રી રોમિત ગાબાણીએ કર્યું હતું, જ્યારે કમિટીના સભ્ય શ્રી મૌલિક વોરાએ વક્તાનો પરિચય આપ્યો હતો. અંતમાં ઉપસ્થિતોના પ્રશ્નોત્તરી સેશન બાદ કમિટીના કો-ચેરમેન શ્રી પૂર્વિન જયાણીએ આભાર વિધિ આટોપી હતી.

August 9, 2026
WhatsApp-Image-2026-08-09-at-17.32.48-1280x625.jpeg
1min49

CiA Live ન્યુઝ વેબ, તા.9 ઓગસ્ટ 2026

આજે તા.9મી ઓગસ્ટે રવિવાર હોવા છતાં ડુમસ રોડ પર અદ્વૈતા બેંકવેટ ખાતે યોજાયેલી ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસીએશન (ફોસ્ટા)ની વાર્ષિક કાર્યકારીણીમાં 2500થી વધુ વેપારીઓ, આમંત્રિતો પહોંચ્યા હતા. વિતેલા 3 વર્ષ દરમિયાન કૈલાશ હાકીમના નેતૃત્વમાં થયેલી કામગીરીનો હિસાબ આપવામાં આવ્યો હતો જ્યારે નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સ અને નવા હોદ્દેદારોએ સત્તાવાર રીતે પદગ્રહણની ઔપચારીકતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ વેપાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોને અપીલ કરી હતી કે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી નવી ઔદ્યોગિક પોલિસી તેમજ ગુજરાત ટેક્સટાઇલ પોલિસીનો લાભ નાનામાં નાના વેપારી, કારખાનેદાર, ઉદ્યમી સુધી પહોંચાડો, તેની માહિતી તેમને આપો એ જ ખરા અર્થમાં સેવા ગણાશે.

ફોસ્ટાએ આજે એજીએમની સાથે વ્યાપાર વિકાસ મહોત્સવ એમ બેવડું આયોજન કર્યું હતું. વ્યાપાર વિકાસ મહોત્સવમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શૂન્યમાંથી સર્જન કરનારા પાંચ જુદીજુદી ટેક્સટાઇલ બ્રાન્ડના આગેવાનો જેમાં એપલ બ્રાન્ડના દિપક શેટા, સિગ્નેચર મશીનરીના અશોક અડવાણી, XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરા, ફોર બટન્સના ચારેય સ્થાપક અને રીઘન ફેશન્સના મહિલા ઉદ્યમી કરીશ્મા દિનેશ ધનકાનીએ પોતપોતાની બ્રાન્ડનું શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું તેના અનુભવો શ્રોતાઓ સાથે શેર કર્યા હતા.

એપલના દિપક શેટાએ સુરત ટેક્સટાઇલ ક્લસ્ટરમાં જે ચાલી રહ્યું છે તેનું ઓબ્ઝર્વેશન રજૂ કરતા કહ્યું હતું કે કોસ્ટ-કિંમતની જગ્યાએ ક્વોલિટી પર ભાર મૂકીને સુરતના ઉદ્યમીઓ આગળ વધે તો સુરત દેશ દુનિયાને અનેક બ્રાન્ડ આપી શકે તેમ છે. જે રીતે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગળાકાપ સ્પર્ધા થાય છે તેના પર અંગૂલી નિર્દેશ કરતા તેમણે અંગ્રેજીમાં કહ્યું કે, Do Not Compete, but Complete Each Other. જેનો મર્મ એ જ છે કે એક બીજા સાથે સ્પર્ધા કર્યા વગર એક બીજાને પૂર્ણતામાં મદદગાર બનવું જોઇએ.

XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરાએ કહ્યું કે તેમના પરીવાર પાસે બધું જ હોવા છતાં તેમના પિતાએ જે રીતે પરવરીશ કરી અને કઇ રીતે ખર્ચા પર અંકુશ રાખીને ધંધો વિકસાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેઓ આજે દૈનિક 1 લાખ અન્ડરવેયરનું વેચાણ ઓનલાઇન કરી રહ્યા છે.

રિઘન ફેશનના કરિશ્મા દિનેશ ધનકાનીએ સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં સાવચેતીપૂર્વક કેવી રીતે વ્યાપાર કરી શકાય અને કેવી રીતે તેમણે તેમના પરીવાર સાથે મળીને રિઘન બ્રાન્ડ ડેવલપ કરી તેના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે વુમન એમ્પાવરમેન્ટ તેઓ પોતે જ એક મિસાલ છે.

August 8, 2026
msmed.png
4min40

સરકારી કંપનીઓ પાસેથી પેમેન્ટ મેળવવું સરળ બનશે, વિવાદના ઝડપી ઉકેલની સમયમર્યાદા નક્કી થશે અને 6 મહિના કેસ લંબાય તો ઓછામાં ઓછા 50 ટકા રકમ મળવાનો માર્ગ ખુલશે

દેશના કરોડો નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે લાંબા સમયથી સૌથી મોટી સમસ્યા પૈસાની વસૂલાતની રહી છે. માલ સપ્લાય કરી દીધો, સેવા પૂરી પાડી દીધી, બિલ પણ આપી દીધું, પરંતુ પેમેન્ટ સમયસર ન મળે તો નાના ઉદ્યોગકારની મૂડી બજારમાં ફસાઈ જાય છે. પરિણામે કાચો માલ ખરીદવા, કર્મચારીઓનો પગાર ચૂકવવા કે નવો ઓર્ડર લેવા માટે પણ નાણાંની અછત ઊભી થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Micro, Small and Medium Enterprises Development (Amendment) Bill, 2026 સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. રાજ્યસભાએ 3 ઑગસ્ટે અને લોકસભાએ 7 ઑગસ્ટે બિલ મંજૂર કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ MSME ક્ષેત્રમાં પેમેન્ટમાં થતો વિલંબ ઘટાડવો, વિવાદોનો ઝડપી નિકાલ કરવો અને વ્યવસાય કરવાનું સરળ બનાવવાનો છે.

સૌથી મોટો ફાયદો : સરકારી કંપની પાસેથી પેમેન્ટ મેળવવાની નવી વ્યવસ્થા

નાના ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની જોગવાઈ TReDS સાથે જોડાયેલી છે.

હવે દરેક Central Public Sector Enterprise (CPSE)એ MSME પાસેથી ખરીદેલા માલ કે સેવાઓના તમામ ઇન્વૉઇસનું સેટલમેન્ટ TReDS મારફતે કરવાનું રહેશે.

સરળ ભાષામાં સમજીએ તો—

તમે સરકારી કંપનીને ₹10 લાખનો માલ આપ્યો → ₹10 લાખનું બિલ બન્યું → પેમેન્ટની રાહ જોવાને બદલે TReDS મારફતે એ ઇન્વૉઇસના આધારે નાણાં મેળવવાની વ્યવસ્થા થઈ શકે છે.

TReDS RBI દ્વારા નિયંત્રિત ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી MSME પોતાના બાકી ઇન્વૉઇસ સામે ફાઇનાન્સ મેળવી શકે છે.

એટલે નાના ઉદ્યોગકાર માટે શું ફાયદો?

પૈસા બજારમાં ફસાયેલા રહેવાની સમસ્યા ઘટશે અને વર્કિંગ કેપિટલની ઉપલબ્ધતા વધશે.

ખાસ કરીને નાના મેન્યુફેક્ચરર, કોન્ટ્રાક્ટર, સપ્લાયર અને સર્વિસ પ્રોવાઇડર માટે આ મહત્વની જોગવાઈ બની શકે છે.

વિવાદ થાય તો હવે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે

નાના ઉદ્યોગકાર અને ખરીદદાર વચ્ચે પેમેન્ટને લઈને વિવાદ થાય તો હાલની પ્રક્રિયા લાંબી બની શકે છે. નવા સુધારામાં આ પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મધ્યસ્થી માટે 90 દિવસ

વિવાદનું મેડિએશન (મધ્યસ્થી) કરવામાં આવે તો પ્રથમ હાજરી માટે નક્કી થયેલી તારીખથી 90 દિવસની અંદર મેડિએશન પૂર્ણ કરવાનું રહેશે.

મેડિએશન નિષ્ફળ જાય તો 30 દિવસમાં આર્બિટ્રેશન

જો મધ્યસ્થીથી વિવાદ ઉકેલાય નહીં તો મેડિએશન પૂર્ણ થયાની તારીખથી 30 દિવસની અંદર આર્બિટ્રેશન માટે રેફરન્સ કરવાનું રહેશે.

આર્બિટ્રેશનનો નિર્ણય પણ સમયબદ્ધ

પક્ષકારોની દલીલો અને દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 90 દિવસની અંદર આર્બિટ્રેશન એવોર્ડ આપવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

નાના ઉદ્યોગકાર માટે તેનો સીધો અર્થ

“મારા પૈસા અટવાયા છે, પણ કેસ કેટલાં વર્ષ ચાલશે તેની ખબર નથી” — એવી સ્થિતિ ઘટાડવાનો પ્રયાસ.

સૌથી મહત્વની સુરક્ષા : 6 મહિના કેસ લંબાય તો 50% રકમ

આ જોગવાઈ નાના ઉદ્યોગકાર માટે ખાસ મહત્વની છે.

જો એવોર્ડ સામેનો કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહે, તો કોર્ટને સપ્લાયર MSMEને ઓછામાં ઓછા 50 ટકા એવોર્ડની રકમ ચૂકવવાનો આદેશ આપવો પડશે.

ઉદાહરણથી સમજીએ

માનો કે કોઈ નાના ઉદ્યોગકારને ₹20 લાખ મળવાના હતા અને તેના પક્ષમાં એવોર્ડ આવ્યો.

ખરીદદાર કોર્ટમાં ગયો અને કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહ્યો.

નવી જોગવાઈ હેઠળ ઓછામાં ઓછા ₹10 લાખ MSME સપ્લાયરને મળવાનો માર્ગ ખુલશે.

નાના ઉદ્યોગકાર માટે આ માત્ર કાનૂની જોગવાઈ નથી, પરંતુ વર્કિંગ કેપિટલ બચાવવાની વ્યવસ્થા બની શકે છે.

MSME તરીકે નોંધણી હવે વધુ સરળ બની શકે

નવા બિલમાં MSMEની નોંધણી માટેની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે.

હાલની વ્યવસ્થામાં અલગ-અલગ પ્રકારના MSME માટે મેમોરેન્ડમ ફાઇલ કરવાની જોગવાઈ છે. સુધારા બિલમાં તમામ MSME માટે આ ફાઇલિંગ સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર ડિજિટલ પ્લેટફોર્મ નક્કી કરી શકશે. રાજ્ય સરકારો પણ પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ નોટિફાઇ કરી શકશે.

એટલે નાના ઉદ્યોગકાર માટે ફાયદો શું?

કાગળની પ્રક્રિયા ઘટશે અને ડિજિટલ માધ્યમથી વ્યવસાયની નોંધણી તથા સરકારી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.

MSMEની વ્યાખ્યામાં પણ મોટો ફેરફાર

નવા બિલમાં MSMEનું વર્ગીકરણ માત્ર પ્લાન્ટ, મશીનરી કે સાધનોમાં કરવામાં આવેલા રોકાણના આધારે કરવાની હાલની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ છે.

હવે સરકાર રોકાણ ઉપરાંત ટર્નઓવરને પણ ધ્યાનમાં રાખીને MSMEનું વર્ગીકરણ કરી શકશે. તેની ચોક્કસ મર્યાદા સરકાર નોટિફિકેશન દ્વારા નક્કી કરશે.

નાના ઉદ્યોગકાર માટે તેનો અર્થ

વ્યવસાય વધે, ટર્નઓવર વધે અને ઉદ્યોગકાર આગળ વધે ત્યારે MSME વર્ગીકરણને વર્તમાન અર્થતંત્ર અને વ્યવસાયના કદ પ્રમાણે વધુ લવચીક બનાવવાનો પ્રયાસ થશે.

ખરીદદાર માટે પણ જવાબદારી વધશે

MSME પાસેથી માલ કે સેવા લીધા પછી ચૂકવણી બાકી હોય તો ખરીદદાર દ્વારા તેની જાણ કરવાની જવાબદારી સંબંધિત જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા બિલમાં પ્રથમ ભૂલ માટે ચેતવણી, બીજી વખત માટે ₹10,000થી ₹50,000 સુધી દંડ અને ત્યારબાદની ભૂલ માટે ₹50,000થી ₹1 લાખ સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આથી નાના ઉદ્યોગકારની બાકી રકમને માત્ર “વેપારી પક્ષો વચ્ચેનો મામલો” માનીને લાંબા સમય સુધી અવગણવાની સ્થિતિ પર દબાણ વધવાની શક્યતા છે.

ખોટી માહિતી આપનાર માટે પણ નિયમોમાં ફેરફાર

MSME નોંધણી વખતે જાણપૂર્વક ખોટી માહિતી આપવી અથવા અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી હોય તો પ્રથમ વખત ચેતવણી અને ત્યારબાદ ₹1,000થી ₹50,000 સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અર્થાત્ બિલનો એક હિસ્સો કાયદાકીય ગુનાહિતીકરણ ઘટાડીને દંડાત્મક-પ્રશાસકીય વ્યવસ્થા તરફ જવાનો પણ છે.

August 8, 2026
WhatsApp-Image-2026-08-08-at-18.07.40.jpeg
1min38

ગુજરાત સરકારના સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. વેપાર વ્યવસાય ઉત્પાદન કે નાનકડો ગૃહ ઉદ્યોગ હાલ કાર્યરત હોય કે નવો શરૂ કરવાની ઈચ્છા હોય તેવા ઉદ્યોગ સાહસિક મિત્રો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનો આયોજન થયું હતું.

૧૦૦૦ થી વધુ યુવા ભાઈ-બહેનો ઉત્સાહભેર નવી જાણકારી માટે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ જમનાબા વિધાર્થી ભવન ખાતે એકત્ર થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ધંધા વેપારના વિકાસ માટે વિપુલ તકો છે. તેને ઓળખી ટેકનીકલ જ્ઞાન મેળવી જો સાહસ કરવામાં આવે તો સફળતા ઝડપથી મળે છે. આ પ્રસંગે એપલ લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝના દીપકભાઈ શેટાએ સુરતના કાપડ ઉદ્યોગમાં ધંધા વેપાર વિકાસની લોકોને જાણકારી આપી હતી. સુરતમાં બ્રાન્ડીંગ અને નવા ક્રિએશનની ખૂબ જરૂર છે. કોઈપણ નાના-મોટા વેપાર કે ઉદ્યોગ માટે માર્ગદર્શન આપવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શરૂ કરેલા પ્રયાસ નેબિરદાવ્યો હતો. ધંધા વ્યવસાય ની જાણકારી સફળતાનો મોટો આધાર છે.

આગામી 24મી ઓગસ્ટ થી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના વર્ગો શરૂ થનાર છે. જે ગુજરાત સરકારના CED તરફથી શરૂ થનાર વર્ગો અંગે નોંધણી શરૂ છે. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જમનાબા વિદ્યાર્થી ભવન અભ્યાસ અને નોકરી માટે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે સુવિધા પૂરી પાડે છે. તે ઉપરાંત નવા ધંધા વેપાર માટે યુવાનોને માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનો પણ પ્રયાસ શરૂ કર્યો છે. ટૂંક સમયમાં પાટીદાર નોલેજ સેન્ટર પણ શરૂ કરવા વિચારણા છે.

સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટના રિજ્યોનલ હેડ અવનીષભાઈ હિરપરા તથા અંબુજા ફાઉન્ડેશનના ટી. એન. સંદીપે સરકારશ્રી તરફથી યોજાતા વિવિધ કાર્યક્રમો વર્ગો અને કૌશલ્ય તાલીમ અંગે માહિતી આપી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત નોકરી શોધવા ક્ષમતા આપવા ઉપરાંત નોકરીના સર્જક બનવા તાલીમ અંગે માર્ગદર્શન આપવાનું કામ કરશે તે માટે યુવાનોની ટીમ કાર્યરત બની છે. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ટ્રસ્ટી ભવનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, યુવા ભાઈ-બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ કે વેપાર ધંધાના વિકાસ માટે પ્રગતિ કરે તે માટે તાલીમ વર્ગો યોજવામાં આવનાર છે. કિરણભાઈ ઠુંમર, ડો. હરેશભાઈ બલર, સી.એ કૌશિક ભાલાળા, જુગલભાઈ હિરપરાએ વિનુભાઈ બગદાણા અને સભ્યોએ સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અજય દેસાઈએ કર્યું હતું.