CIA ALERT

Alert Archives - Page 4 of 517 - CIA Live

July 17, 2026
image-18.png
1min63

ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યા છે. અગાઉ પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસા થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ આતંકીઓ ગુજરાતમાં સક્રિય હતા અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની ફિરાકમાં હતા. ATSની આ મોટી સફળતાથી આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

Gujarat ATS Busts Terror Network: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય હતા, જેમને ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.

ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

July 17, 2026
image-17.png
2min78

જયેશ બ્રહ્મભટ્ટ, શિક્ષણ સર્વદા

NEET UG ક્વોલિફાઇંગ કટઓફ સરખામણી કોષ્ટક (2025 vs 2026)

કેટેગરી (Category)2025 ક્વોલિફાઇંગ કટઓફ2026 ક્વોલિફાઇંગ કટઓફકટઓફમાં થયેલો ચોક્કસ વધારો (માર્ક્સમાં)ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ
સામાન્ય / UR / EWS686 – 144 માર્ક્સ715 – 213 માર્ક્સ+69 માર્ક્સનો વધારો50th Percentile
OBC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
SC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
ST143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.16મી જુલાઇના રોજ મોડીરાત્રે રી-નીટ યુજી 2026 પરીક્ષાનું પરીણામ ઘોષિત કર્યું હતું. તા.21મી જૂને લેવાયેલી રી-નીટ યુજી પરીક્ષાના પરીણામનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે કટઓફ મેરીટમાં 69 ટકાથી 64 માર્કનો ધરખમ વધારો 2025ની સરખામણીએ આ વર્ષે થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી નીટ યુજી 2026 પરીક્ષા આપનારા 68,833માંથી ફક્ત 38,146 ક્વોલિફાઇડ થયા. 30 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાય કરી શક્યા નથી, તેનો અર્થ એ થયો કે ન તો તેઓ વિદેશમાં જઇને એમબીબીએસ કરી શકશે કે ન તો દેશભરમાં ક્યાંયે આયુર્વેદિક કે હોમિયોપેથી સુદ્ધાંમાં પ્રવેશ પામી શકશે.

ફક્ત ક્વોલિફાય કટઓફ જેટલા માર્ક લાવીને વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયા, રશિયા, ચીન, કઝાકિસ્તાન જેવા દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવાની યોજના ધરાવતા સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓનું સપનું રોળાયું છે અને હવે આ લેવાની ફરજ પડી છે. વિદેશમાં એમબીબીએસ કરવાની યોજના ધરાવનારા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરીવારજનો નીટ યુજી પરીણામની જ રાહ જોઇ રહ્યા હતા. તેમનો પ્લાન નક્કી હતો, ઉંચા માર્ક નહીં પરંતુ, ક્વોલિફાય થવાય તેટલા માર્ક આવે એટલે વિદેશમાં એડમિશન કન્ફર્મ થઇ જાય. આવા સેંકડો વિદ્યા્થીઓનું સપનું રોળાય ગયું છે.

જયેશ બ્રહ્મભટ્ટ – શિક્ષણ સર્વદા 98253 44944
NEET UG 2026નું ક્વોલિફાઇંગ કટઓફ 69 માર્ક્સ જેટલું મોટું ઉછળીને 213 માર્ક્સ (સામાન્ય વર્ગ માટે) પર પહોંચી ગયું છે. મેડિકલ ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ આંચકાજનક ફેરફારના કારણે વિદ્યાર્થીઓ અને એડમિશન પ્રક્રિયા પર નીચે મુજબની ગંભીર અસરો પડશે એવું શિક્ષણ સર્વદાના તજજ્ઞોનું તારણ છે:

૧. કાઉન્સિલિંગની રેસમાંથી લાખો વિદ્યાર્થીઓ બહાર
• પાત્રતા ગુમાવી: ગયા વર્ષે (2025) સામાન્ય વર્ગ માટે કટઓફ 144 માર્ક્સ હતું, જે હવે 213 થયું છે.
• મોટો આંચકો: જે વિદ્યાર્થીઓને 145 થી 212 ની વચ્ચે માર્ક્સ આવ્યા છે, તેઓ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ અપાત્ર (Disqualified) જાહેર થયા છે.

૨. સરકારી કોલેજો (MBBS/BDS) માટે કટઓફ આકાશ આંબશે
• હરીફાઈમાં ભારે વધારો: ક્વોલિફાઇંગ માર્ક્સ આટલા ઊંચા જવાનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ જ સારો સ્કોર કર્યો છે.
• નવો સેફ સ્કોર: સરકારી મેડિકલ કોલેજમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) અથવા સ્ટેટ ક્વોટા દ્વારા MBBS સીટ મેળવવા માટે હવે 540 થી 560+ થી વધુ માર્ક્સ મેળવવા અનિવાર્ય બનશે.

૩. પ્રાઇવેટ અને મેનેજમેન્ટ ક્વોટાની સીટોના ભાવ વધશે
• ડિમાન્ડમાં ઉછાળો: ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેમને સરકારીમાં એડમિશન નહીં મળે, તેઓ પ્રાઇવેટ કોલેજો તરફ વળશે.
• સીટો મોંઘી થશે: પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓની સીટો માટે ભારે ખેંચતાણ થશે, જેના કારણે મેનેજમેન્ટ ક્વોટાની ફી અથવા કટઓફ ઊંચા જઈ શકે છે.

૪. આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) પર અસર
• વૈકલ્પિક કોર્સમાં મુશ્કેલી: અગાઉ ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ BAMS કે BHMS માં સરળતાથી એડમિશન મેળવી લેતા હતા. હવે 213 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પણ એડમિશન ફોર્મ ભરી શકશે નહીં.

૫. ‘ડ્રોપ’ લેનારા (Repeaters) વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
• ફરીથી તૈયારી: લાખો વિદ્યાર્થીઓ જેઓ માત્ર થોડા માર્ક્સ માટે અપાત્ર ઠર્યા છે અથવા જેમને મનપસંદ કોલેજ નથી મળી રહી, તેઓ આવતા વર્ષ માટે ફરીથી ડ્રોપ લઈને તૈયારી કરવાનું પસંદ કરશે. આનાથી આવતા વર્ષે (2027) સ્પર્ધા હજુ વધુ કડક બનશે.

July 16, 2026
WhatsApp-Image-2026-07-16-at-16.10.53-1280x876.jpeg
1min111

CiA Live ન્યુઝ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સહયોગથી આજે (16મી જુલાઇ 2026)ના રોજ એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે કાર્યાન્વિત કર્યો છે. આ એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુરત કલેક્ટર તેજસ પરમાર તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. એસવીએનઆઇટીના ડિરેક્ટર પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, સાથે એએમએનએસના વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. અને એડમિનિસ્ટ્રેશન આશુતોષ તેલંગ, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.

વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે સુરત કલેક્ટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”

પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.

આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

July 16, 2026
image-16-1280x854.png
1min81

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

July 16, 2026
image-15.png
1min65

મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા FIFA વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 55મી મિનિટે ઇંગ્લેન્ડના એન્થની ગોર્ડને ગોલ કરી લીડ અપાવી હતી. જોકે, મેસીના કરિશ્માથી 85મી મિનિટે એન્ઝો ફર્નાન્ડીઝે અને ઇન્જરી ટાઇમમાં લાઉતારો માર્ટિનેઝે ગોલ ફટકારી રોમાંચક જીત અપાવી. હવે ફાઇનલમાં આર્જેન્ટિના સ્પેન સામે ટકરાશે.

ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી પરાજય આપી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો.

બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઇંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે 39 વર્ષીય લિયોનેલ મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. 85મી મિનિટે મેસીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં મેસીએ વધુ એક સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર 7 મિનિટમાં સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી. હવે ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે.

July 15, 2026
India-uk-fta.jpg
1min59

CiA Live ન્યુઝ વેબ

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.

GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.

GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.

July 14, 2026
WhatsApp-Image-2026-07-14-at-17.19.57-1280x853.jpeg
1min75
  • દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
  • ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
  • 1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
  • ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.

દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.

CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા
ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.

ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી

એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.

આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min52

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન

ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.

આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.

July 14, 2026
image-13.png
1min232

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min305

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • પીએમ મિત્રા પાર્ક માટે ગ્લોબલ ટેન્ડર જાહેર, સુરત-નવસારી ટેક્સટાઇલ બેલ્ટને મળશે વૈશ્વિક ગતિ
  • ૧,૧૪૨ એકરમાં મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક વિકસાવવા માસ્ટર ડેવલપરની પસંદગી પ્રક્રિયા શરૂ; ફાઇબરથી ફેશન અને નિકાસ સુધીની સમગ્ર ઇકોસિસ્ટમ એક જ કેમ્પસમાં ઉભી થશે, સુરતના ઉદ્યોગને મળશે લાંબા ગાળાનો મોટો લાભ

કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી PM MITRA (Mega Integrated Textile Region and Apparel) યોજના હેઠળ નવસારી જિલ્લાના વાંસી ખાતે ૧,૧૪૨ એકરમાં વિકસનારા મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક માટે સોમવારે વૈશ્વિક ટેન્ડર (RFP) જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મિત્રા પાર્ક ગુજરાત લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ પાર્કના વિકાસ, સંચાલન અને જાળવણી માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ માસ્ટર ડેવલપરની પસંદગી કરવામાં આવશે. આ સાથે રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે વર્ષોથી રાહ જોવાતો સૌથી મોટો ઔદ્યોગિક પ્રોજેક્ટ હવે અમલીકરણના મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યો છે.

ટેન્ડર પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ છે. 27 જુલાઈએ પ્રી-બિડ કોન્ફરન્સ યોજાશે, ઓનલાઈન ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ અને ભૌતિક દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર (DBFOT) મોડલ પર અમલમાં મૂકવામાં આવશે.

સુરત દેશનું સૌથી મોટું મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ હબ છે. દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન, હજારો વીવિંગ યુનિટ, પ્રોસેસ હાઉસ, ડાઇંગ-પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ગારમેન્ટ અને વિશાળ ટ્રેડિંગ નેટવર્ક ધરાવતું સુરત અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં વિખરાયેલા ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. PM MITRA પાર્ક આ સમગ્ર મૂલ્ય શૃંખલાને (Value Chain) એકીકૃત કરવાની દિશામાં સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉદ્યોગકારોના મતે પાર્કમાં સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, રેડીમેડ એપેરલ, લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ લેબ, ડિઝાઇન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ અને એક્સપોર્ટ સુવિધાઓ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનશે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને પણ એક જ સ્થળે સંપૂર્ણ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ થશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પાર્ક માત્ર નવા ઔદ્યોગિક પ્લોટ્સ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ “ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફોરેન માર્કેટ” સુધીની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. ખાસ કરીને ગારમેન્ટ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં રોકાણ વધવાથી સુરતની ઓળખ ગ્રે અને પ્રોસેસ્ડ ફેબ્રિકથી આગળ વધી તૈયાર વસ્ત્રોના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સુરતમાંથી મોટા પ્રમાણમાં ફેબ્રિક દેશભરમાં મોકલાય છે, જ્યારે ગારમેન્ટિંગ અને બ્રાન્ડિંગનું મૂલ્યવર્ધન અન્ય રાજ્યોમાં થાય છે. PM MITRA પાર્ક કાર્યરત બન્યા બાદ આ વેલ્યુ એડિશન ગુજરાતમાં જ થવાની સંભાવના છે, જેના કારણે રોજગારી, નિકાસ અને રોકાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પાર્ક સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમગ્ર ઔદ્યોગિક પટ્ટા માટે ગ્રોથ એન્જિન સાબિત થઈ શકે છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, નજીકના બંદરો, એરપોર્ટ અને રેલ-રોડ કનેક્ટિવિટીના કારણે નિકાસ આધારિત ઉદ્યોગોને પણ સીધો લાભ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓને કારણે દેશ-વિદેશના મોટા રોકાણકારોને પણ આકર્ષવાની અપેક્ષા છે.

ઉદ્યોગજગતનું માનવું છે કે જો ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે અને માસ્ટર ડેવલપર ઝડપથી નિયુક્ત થશે તો આગામી વર્ષોમાં PM MITRA પાર્ક સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી વૈશ્વિક ઓળખ આપવાની સાથે ગુજરાતને વિશ્વના અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.