સુરતીઓની દુનિયા Archives - Page 61 of 81 - CIA Live

May 26, 2019
Surat-funeral.jpg
1min6120

સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભયાનક આગમાં માર્યા ગયેલા 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર અર્થે સુરતના અશ્ર્વિની કુમાર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા. મૃતક બાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ ચોધાર આસુની સાથે જવાબદાર અધિકારીઓ અને ગેરકાયદેસર ચલતા ટ્યુશન કલાસીસના સંચાલકો સામે રોષ ફેલાયો હતો.

આજે 23માંથી 19 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં સુરત હીબકે ચડ્યું હતું. સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો. સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળ્યા હતાં. આખું સુરત મૃતકોના પરિવારજનોની પડખે ઊભું રહ્યું હતું. આખી રાત સુરતીઓ પરિવારજનોને હુંફ આપવા માટે ખડેપગે રહ્યાં હતાં. આજે શનિવારે વહેલી સવારે જ્યારે હોસ્પિટલમાંથી બાળકોના મૃતદેહ ઘરે લાવવામાં આવ્યા ત્યારે પણ પરિવારજનોના આક્રંદની સાથે આકાશ પણ રડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મૃતક બાળકોના પરિવારજનો અર્ધબેભાન સ્થિતિમાં પોતાના હોશ ગુમાવી બેઠા હતા, ત્યારે સુરતીઓએ પણ દિલ પર પથ્થર મુકીને બાળકોની અર્થી તૈયાર કરવામાં મદદ કરી હતી.

સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડની આગમાં 21 માસૂમ જિંદગીઓનો અકાળે અંત આવ્યો તેના માટે ખરેખર કોણ જવાબદાર તેવો પ્રશ્ર્ન સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે. ભયાનક આગથી બચવા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ઉપરથી કૂદી પડ્યા. કેટલાક તેમાં જીવતા ભૂંજાઈ ગયા તેમ છતાં નઘરોળતંત્રની કુંભકર્ણ નિદ્રા નહિ ઊડે તે હકીકત છે. સરકારે તપાસની જાહેરાત કરી. અગ્રસચિવ, ચીફ ફાયર ઓફિસર અને જાડી ચામડીના રાજકારણીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. એએમસીના તેમ જ ફાયરબ્રિગેડના અધિકારીને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી સરકારી તંત્ર કામ કર્યાની જાહેરાત કરશે, પરંતુ હકીકત એ છે કે આવી ઘટનાઓ માટે જવાબદાર મોટાં માથાઓને છાવરવાની બદલે શું તેમને કઠેડામાં ઊભા કરી કડક સજા કરવાની હિંમત સરકારમાં છે ખરી? થોડા સમય પહેલાં જ સુરતના જ કોચિંગ કલાસમાં આગ લાગી હતી જેમાં એક શિક્ષક અને વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટના બાદ સુરતના તમામ કોચિંગ કલાસીસનું ચેકિંગ તેમ જ ફાયરસેફટીનો મુદ્દો ગરમાયો હતો. એક તારણ પ્રમાણે કોચિંગ કલાસ ફક્ત ગ્રાઉન્ડ ફલોર પર રાખવાનું સૂચન થયું હતું, જેથી તાકીદની પળોમાં જાનમાલનું નુકસાન ન થાય, પરંતુ થોડા સમય બાદ આ તમામ વાતો અને કાર્યવાહી ફકત હવામાં જ રહી ગઈ, પેપરવર્ક પણ થયું નહિ.

સુરતનું તક્ષશિલા આર્કેડ આવું જ ગેરકાયદે હતું. અહીં ચોથે માળે બનાવેલા ડોમની હાઈટ ફક્ત છ ફૂટ જ હતી, આટલું જ નહિ ત્રીજા અને ચોથા માળે જવા માટેનાં પગથિયાં ફાયબર અને લાકડાના હતાં જે આગ ફેલાવવામાં કારણભૂત બન્યા અને વિદ્યાર્થીઓ માટે કાળ. હોલની સીલિંગ થર્મોકોલથી ડેકોરેટ કરાયેલી હતી, તો બેસવા માટે ગાદલા અને તેની ઉપર ટાયર મૂકવામાં આવ્યા હતાં. આગ લાગતા ટાયર સળગ્યાં અને તેમાંથી ગંધક નીકળતાં વિદ્યાર્થીઓના શ્ર્વાસમાં જતાં તેઓ ગૂંગળાઈ મર્યા. આ બિલ્ડિંગને મંજૂર કરાવવા અહીંના એક વગદાર અને રાજકારણીએ બિલ્ડર સાથે મિલીભગત કરી 2011માં ઈમ્પેક્ટ ફી હેઠળ વરાછા ઝોનમાં મંજૂરી માટે પ્લાન મૂકયો હતો. એ સમયના અધિકારીઓ, વગદાર વ્યક્તિ અને પાલિકાના એન્જિનિયરની મિલીભગતને કારણે ગ્રાઉન્ડ પ્લસ બેને ઈમ્પેક્ટ ફીમાં મંજૂરી મળી, ત્યાર બાદ ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે બન્યા, તેમ છતાં પાલિકા, ફાયરબ્રિગેડ અને અહીંના સ્થાનિક રાજકારણીઓની ઊંઘ ઊડી નહોતી. એવું કહેવાય છે કે વરાછા ઝોનમાં 70 ટકાથી વધુ બાંધકામને પરવાનગી મળી નથી.

એક મહિના પહેલાં જ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટીના મુદ્દે નોટિસ આપી હતી. પાલિકાના ભ્રષ્ટ તંત્રએ પણ ત્રીજા અને ચોથા માળની તપાસ કરી પોતાના ખિસ્સાં ભર્યાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ફાયરબ્રિગેડને આગની જાણ કરાઈ, ત્યાર બાદ આવવામાં ઘણો વિલંબ થયો અને આવ્યા ત્યારે ફકત દોઢ માળ સુધી પહોંચે તે લેડરનું હાઈડ્રોલિક જ ચાલુ થયું નહિ. આ ઉપરાંત ફાયરબ્રિગેડ વિભાગ ઉપરથી કૂદતા વિદ્યાર્થીઓને ઝીલનારી સેફટી નેટ જ લાવવાનું ભૂલી ગયા. આમ ફાયરબ્રિગેડની અક્ષમ્ય ભૂલને કારણે જાનહાનિનો આંક વધી ગયો. એએમસી પાસે 10 માળ સુધી પહોંચે તેવી હાઈડ્રોલિક લેડર છે, પરંતુ તે મુખ્યાલયમાં હોવાને કારણે અહીં સુધી ટ્રાફિકમાં લાવી શકાય તે શક્ય જ નહોતું. કટોકટીની પળોમાં માનવ-જાનમાલને બચાવવા જે આયોજન જોઈએ તેનો અહીં સદંતર અભાવ હતો.

તક્ષશિલા આર્કેડને અડીને આવેલા વીજળીના થાંભલામાં શોર્ટસર્કિટ થઈ અને જોતજોતામાં થાંભલા પર લગાડેલું જાઈન્ટ હોર્ડિંગ તેની ઝપેટમાં આવી ગયું જે બિલ્ડિંગ પર પડતાં ત્રીજા અને ચોથા માળના ફાયબરના અને લાકડાના પગથિયાં તેની ઝપટમાં આવતાં જ વિદ્યાર્થીઓ માટે કાળ પુરવાર થયું. આ ઉપરાંત બીજા માળની મીઠાઈની દુકાનનું એસી ફાટતાં તેના કોમ્પ્રેશરની હવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ તેમ જ થર્મોકોલની સીલિંગ અને બળતા ટાયરના ગંધકથી વિદ્યાર્થીઓ ગૂંગળાઈ મર્યા. હવે જોવાનું એ છે કે શું આ કરુણ ઘટના માનવીય સંવેદનાને ઝંઝોડી નીંભર તંત્રને હકીકતમાં સેફટીના પગલાં ભરવાની બુદ્ધિ આપશે? કે પછી બે દિવસ મીડિયામાં હાઈલાઈટ્સ બની આ સમાચાર ફરી આવી ઘટના બને ત્યાં સુધી કચરાની ટોપલીમાં જતા રહેશે.

May 25, 2019
smc.jpg
1min12660

સુરતના વરાછાના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર તા.24મી મે 2019ના રોજ સર્જાયેલી આગ કરુણાંતિકામાં ઘટનાસ્થળે પહોંચવાથી લઇને બચાવ રાહત કામગીરીમાં ઢીલું વલણ અખત્યાર કરનાર ફાયર બ્રિગેડ તંત્ર સામે ભારે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. ખુદ સરકાર તેમજ લોકોએ વિડીયોમાં ફાયર બ્રિગેડની કામગીરી જોઇને ભારોભાર ટીકા કરી હતી.

મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનું ભારે દબાણ હતું. આજે તા.25મી મે 2019ને શનિવારે મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસને વરાછાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર  એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી ફરજ મૌકુફી (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન કચેરીના કેટલાક ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ છે. ખાસ કરીને તક્ષશિલા આર્કેડમાં જે ટ્યુશન ચાલી રહ્યા હતા એ ટ્યુશન ક્લાસીસના બાંધકામ સંદર્ભે પાલિકાના ચોક્કસ અધિકારીઓ અને કર્મચારીઓએ આંખ આડા કાન કર્યા હોવાનું જણાય આવે છે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21740

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ
May 25, 2019
Surat1-1.jpg
1min6800

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં ચાલતા એક ડ્રોઈંગ ક્લાસમાં એકાએક લાગેલી ભયાનક આગમાં 21 વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયા જ્યારે 19 જેટલા લોકો ઘાયલ થયા છે. સુરતની આ હૃદયદાવક ઘટનામાં એવી ચોંકાવનારી વાત જાણવા મળી રહી છે કે, ફાયર બ્રિગેડની ગંભીર બેદરકારીને કારણે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને અન્યોને બચાવવામાં મોડું થયું અને મૃતકોનો આંકડો વધી ગયો. દરમિયાનમાં ડ્રોંઈગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર હરસુખ વેકરિયા સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. FSLની ટીમ ઘટનાની તપાસ કરશે અને તેમના રિપોર્ટના આધારે જવાબદારો સામે પણ પગલાં લેવામાં આવશે તેવી પણ માહિતી મળવા પામી છે.

કેટલાક ટીવી રિપોર્ટ મુજબ, ક્લાસીસમાં આગ લાગ્યાની જાણ કરાયા બાદ ફાયર બ્રિગેડ અડધો કલાક જેટલી મોડી આવી હતી અને એટલું જ નહીં, આગ બૂઝાવવાની કામગીરી દરમિયાન પાણી પણ ખૂટી ગયું હતું. જેના કારણે બચાવ કામગીરીમાં મોડું થયું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા પહોંચવામાં મોડું કરાતા અને તે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો લઈને ન આવી હોવાથી બચાવ કામગીરીમાં મોડું થયું હતું અને જેના કારણે મૃત્યુઆંક વધી ગયો હતો તેવો લોકોનો આક્ષેપ છે.

જાણવા મળ્યા મુજબ, એસી ડક્ટ્સ અને કોમ્પ્રેસરમાં આગ લાગી હતી, જે ધીમે-ધીમે આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, બાળકો ક્લાસમાંથી બહાર નીકળી દાદર તરફ પણ જઈ શકે તેમ નહતા. એટલે, કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ત્રીજા માળે આવેલા ક્લાસિસની બારીમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. જેમાં બે બાળકોનો મોત થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા એ વાતથી જ સમજી શકાય છે કે, આગથી બચવા 9 જેટલા વિદ્યાર્થીઓએ ત્રીજા માળેથી કૂદકો મારી દીધો હતો. ફાયર બ્રિગેડના આઠ ટેન્કરો આગ બૂઝાવવા પહોંચ્યા હતા. ઘટના સ્થળે એમ્બુલન્સોનો પણ ખડકલો કરી દેવાયો હતો. જણાવાયા મુજબ, જ્યાં આગ લાગી ત્યાં રમત-ગમતના સાધનો અને ટાયરો પણ હતા, જેના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો.

દરમિયાનમાં આ ક્લાસિસમાં જેમના બાળકો હતા તે વાલીઓ પણ ઘટનાની જાણ થતાં ત્યાં દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

May 25, 2019
suratfire.jpg
1min12030

સુરતના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આવેલા એક કલાસમાં પ્રચંડ આગમાં 20થી વધુ વિદ્યાર્થીઓના મોત થતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગની દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ અર્થે તાત્કાલિક શહેરી વિકાસ અગ્ર સચિવને સુરત ખાતે મોકલી ત્રણ દિવસમાં દુર્ઘટનાનો રીપોર્ટ આપવાના આદેશો કર્યા હતા અને જવાબદાર સામે પગલાં લેવાના પણ આદેશો આપ્યા હતા.

મોડી રાતથી સુરત આવેલા અગ્ર સચિવએ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાને સુરતના ટ્યુશન કલાસીસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોતની દુખદ ઘટના પર અત્યત દુ:ખની લાગણી વ્યક્ત કરી તાકીદે સુરત જવા રવાના થયા હતા અને દુર્ઘટનાને પગલે મુખ્ય પ્રધાને આ આગ લાગવાની ઘટનાના કારણોની, ફાયરબ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા શહેર મનપાની કામગીરી બાબતે સંપૂર્ણ તપાસ કરવા રાજ્ય સરકારે તાકીદે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને તાબડતોબ સુરત મોકલી દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની કડક આદેશો આવ્યા હતા. મુખ્ય પ્રધાને દુર્ઘટનાનો ભોગ બનનારના પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારોને રૂપિયા ચાર લાખની સહાયની મુખ્ય પ્રધાનના રાહત નિધિમાંથી કરવાની જાહેરાત કરી હતી. ઘટનાને પગલે વડા પ્રધાન

નરેન્દ્ર મોદીએ, કૉંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કૉંગે્રસના નેતા શક્તિસિંહ, કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલે વિદ્યાર્થીઓના મોતની ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત હતી.

May 25, 2019
modi_varacha-1280x497.jpg
1min5710

બીજી તરફ આ કરૂણ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુ:ખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું હતું. વડા પ્રધાનના આ ટ્વીટ બાદ તરત જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી ઉપરાંત તપાસ કરવાના આદેશ કર્યા હતા. તેમ જ રાત્રે ઘટનાસ્થળે પહોંચી જઇને સમીક્ષા કરી હતી.

May 25, 2019
surat_fire.jpg
1min10050

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે આવેલા ગેરકાયદે રીતે ચાલતા ટયૂશન કલાસની બાજુમાં આવેલા ઇલે. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ પ્રસરી જતા ક્લાસમાં ભણવા આવેલા 50 તરૂણો અને શિક્ષકોમાંથી 20ના કમકમાટીભર્યાં મોત થયાં હતાં.

બાળકોએ આગ લાગેલા રૂમમાં જ એકબીજાને બાથ ભરી હતી. બાથ ભરેલી લાશો ફાયરબ્રિગેડની ટીમોએ બહાર કાઢી હતી. ચોંકાવનારી બાબત તો એ હતી કે, આ ટયૂશન ક્લાસની બિલ્ડિંગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમનો અભાવ હતો અને મનપાના તંત્ર દ્વારા તેને નોટિસ આપ્યા બાદ કોઇ પણ પ્રકારના પગલાં ભર્યા નહોતા.

surat fire માટે છબી પરિણામ

સુરતમાં બનેલી આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં નિયમો વિરૂદ્ધ ધમધમતા ક્લાસિસમાં બપોર બાદ ધો. 10 અને ધો. 12ના 50 બાળકો ભણી રહ્યા હતા ત્યારે ઇમારતમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આગની લેપેટો પ્રસરી જતા ક્લાસની બહાર નિકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હોવાથી 15 જેટલા બાળકોએ ચોથા માળેથી જ બચવા માટે નીચે કૂદકા માર્યા હતા. જ્યારે ઘટના સ્થળે પહોંચી ગયેલી ફાયરબ્રિગેડની ટીમો ફાયરના સાધનો અભાવે બહાર ઊભી રહી હતી. તેમની નજર સામે જ બાળકો એક પછી એક કૂદકા મારીને ઘાયલ થતા રહ્યા હતા જ્યારે બીજા બાળકો અને શિક્ષકો ઇમારતીની છત પર ડોમ કરીને બંધાયેલા આ ક્લાસિસમાં ધૂમાડાં અને આગમાં ફસાઇ ગયા હતા. જેમાંથી 15થી વધુ બાળકો અને શિક્ષકો આગથી ભડથું થઇ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમો એક બીજાને બાથ ભરેલી હાલતમાં મ્ાૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે આઠથી વધારે ઈજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ આખી ઘટનામાં ચાર જેટલા બાળકો લાપત્તા બન્યા હતા.

બીજી તરફ આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં સ્થળ પર ધસી આવ્યા હતા અને જવાબદાર સંચાલક અને અધિકારીઓ સામે તત્કાળ પગલાં ભરીને તેમની ધરપકડ કરવાની માગણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન પ્રચંડ આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પૂરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓએ છલાંગ મારતાં જ પાંચથી વધુનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના અંદર જ મોત નીપજ્યાં હતાં.

બીજી તરફ આ કરૂણ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુ:ખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું હતું. વડા પ્રધાનના આ ટ્વીટ બાદ તરત જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી ઉપરાંત તપાસ કરવાના આદેશ કર્યા હતા. તેમ જ રાત્રે ઘટનાસ્થળે પહોંચી જઇને સમીક્ષા કરી હતી.

May 21, 2019
gseb.png
1min9870

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે માર્ચ 2019ની ધો.10 એસએસસીની પરીક્ષાનું પરીણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધો.10નું પરીણામ સરેરાશ દર વર્ષે આવે છે તેટલું જ છે પરંતુ, સુરતનું પરીણામ સુરત માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે ન ભૂતો ન ભવિષ્યતી જેવું છે.

સુરત જિલ્લાનું પરીણામ 2018માં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ હતું અને 2019માં આ વખતે પણ સુરત જિલ્લાનું પરીણામ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે.

સૌથી મહત્વની વાત એ છે કે એ-વન ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા. સુરત શહેર જિલ્લામાંથી કુલ 1009 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ હાંસલ કર્યો છે.

કોઇ એક જિલ્લાની એ વન ગ્રેડની સંખ્યા ચાર આંકડામાં આવી હોય તેવો આ પહેલો બનાવ ગુજરાત બોર્ડના ઇતિહાસમાં બન્યો છે. સુરતે અત્યાર સુધી અનેક વખત રેન્કર્સ આપ્યા છે પરંતુ, આજનું પરીણામ વાસ્તવમાં જ છપ્પર ફાડ પરીણામ છે.

જોઇએ બોર્ડ અને સુરતના પરીણામની સરખામણી

સુરતમાંથી કુલ 82,781 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી

  • એ-વન ગ્રેડ          1,009,
  • એ-ટુ ગ્રેડ             5,734,
  • બી-વન ગ્રેડ      10,577,
  • બી-ટુ ગ્રેડ         16,831,
  • સી-વન ગ્રેડ      19,676,
  • સી-ટુ ગ્રેડ         11,382,
  • ડી-ગ્રેડ                  707

ગુજરાતનું પરીણામ

ગ્રેડ       2018            2019
A1        6378            4974
A2       33956        32375
B1        72739        70677
B2       127110     129629
C1        172350    187607
C2       113932     119452
D            6937        6288

May 16, 2019
fire_safty.jpg
1min6700

શહેરમાં ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારે જ સપાટો બોલાવ્યો હતો અને શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા ૧૬ કોમર્શિયલ કોમ્પલેક્ષ સીલ કરી દીધા હતા. આ ઘટનામાં શહેરની ૧૦૦૦થી વધુ દુકાનો સીલ કરાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવને ધ્યાને લઈને ફાયર વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં મ.ન.પા.ની કામગીરીથી દુકાન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર સેફ્ટીને લઈ આગામી દિવસોમાં કામગીરી ચાલુ રહેશે તેવી વાત પણ કહેવામાં આવી હતી. શહેરના તમામ ઝોનમાં કામગીરી હાથ ધરાઇ રહી છે. થોડા દિવસ અગાઉ ૧૬ એવા કોમ્પલેક્ષને નોટિસ પાઠવવામાં આવી હતી, જ્યાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી.

જોકે નોટિસ બાદ પણ કોઈ પગલાં ન લેવાતાં બુધવારે વહેલી સવારે આ તમામ કોમ્પલેક્ષ સીલ કરી દેવામાં આવ્યા હતા. સીલ કરેલા આ ૧૬ કોમ્પલેક્ષમાં અંદાજે ૧૦૦૦થી વધુ દુકાનો આવેલી છે.

May 15, 2019
jain-religion.png
1min9130
સુરતમાં તા.30ના સવારે 7-30 કલાકે શ્રીમદ વિજય મુકિતપ્રભસુરિશ્વરજી મહારાજ તથા શ્રી શ્રેયાંસપ્રભસુરીજી મહારાજ આદીઠાણાની નિશ્રામાં રાજકોટની દીકરી મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહ સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ કાર્યક્રમ સુરતમાં ફોનીકસ ટાવર રત્નજયોતિ સર્કલ વીઆઇપી રોડ વેસુ ખાતે યોજાશે. જેમાં ભાવિક મહેતા જતીન બીદ કાર્યક્રમનું સંચાલન કરશે. તા.28 થી 30 યોજાનારા દીક્ષા મહોત્સવમાં જૈન જૈનેતરો ઉમટી પડશે. અંકિતાકુમારીની સાથે સુરતના મુમુક્ષુરત્ના દેવીકુમારી પ્રફુલ્લભાઇ શાહ પણ દીક્ષા અંગીકાર કરશે.
મુમુક્ષુ કુ.અંકિતાકુમારીના દીક્ષા ગ્રહણ નિમિતે રાજકોટમાં રૈયા રોડ જૈન સંઘના આંગણે તા.23 થી 25 એમ ત્રિદિવસીય જીનેન્દ્રભકિત મહોત્સવનું આયોજન કરાયું છે.
તા.23 થી 25 સુધી યોજાનારા મહોત્સવમાં શ્રેયરૂકરી નિશ્રા શ્રીમદ વિજય હર્ષશીલ સુરિશ્વરજી મહારાજ આદિઠાણા તથા શ્રી સ્વયંપ્રભશ્રીજી મ.આદિઠાણા પ્રદાન કરશે.
તા.23ના સવારે નવ વાગ્યે રૈયા રોડ દેરાસરની સાલગિરિ નિમિતે સતરભેદી પૂજા તથા ધ્વજા રોહણ સાંજે 7 વાગ્યે શિતલનાથ જીન પ્રસાદમાં પરમાત્માને ભવ્ય અંગ રચના દીપ રોશની, પુષ્પ શણગાર સહિતની મહાપૂજા થશે.
તા.24ના સવારે આઠ વાગ્યે વરસીદાન યાત્રા બપોરે 3-30 થી 5-30 બહેનોની સાંજી, રાત્રે 8 કલાકે સંયમ સંવેદના તથા વિદાય સમારંભ યોજાશે. તા.25મીએ સવારે 8 કલાકે પરમાત્મા ભકિત સ્વરૂપ શ્રી દશવિધ પતિધર્મ પૂજા ભણાવાશે તેમ દીલીપભાઇ વસાએ જણાવ્યું છે.
દીક્ષા નિમિત્તે યોજાશે સેવાકિય કાર્યો
રાજકોટની દીકરી મુમુક્ષુ કુ.અંકિતાકુમારી તા.30ના સંયમનો શણગાર ધારણ કરી સંસારના તમામ સુખોનો ત્યાગ કરશે. ત્યારે રૈયા રોડ જૈન સંઘ દ્વારા રાજકોટમાં વિવિધ સંસ્થાઓમાં આશરો લેતા લોકોને નિ:શુલ્ક સાડી, ટ્રેકશુટ, લેડીઝ ડ્રેસનું વિતરણ કરાશે. સાથોસાથ ભોજન પણ કરાવાશે. આ માટે મુંબઇના દાતાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
મુમુક્ષુનો પરિચય
મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહનો જન્મ મોટી પાનેલીમાં થયો છે. માતાનું નામ જયશ્રીબેન છે. તેઓએ માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કોલ છે. જ્ઞાન સાધનામાં પંચ પ્રતિક્રમણ સુત્ર સાર્થ, પ્રકરણ ભાસ્યા કર્મ ગ્રંથ, સંસ્કૃત બેબુક, પ્રાકૃત, વૈરાગ્ય, શતક, ઇન્દ્રિય પરાજય શતક, તર્ક સંગ્રહ, વિસીરણ સ્તોત્ર વગેરેનો અભ્યાસ કર્યો છે. 3 વાર સમ્મેત શિખરજીની યાત્રા, સિધ્ધગિરીના 99 યાત્રા તથા જીરાવાલા આદિ અનેક પ્રાચીન તીર્થોની સ્પર્શના કરેલ છે.