
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે આવેલા ગેરકાયદે રીતે ચાલતા ટયૂશન કલાસની બાજુમાં આવેલા ઇલે. ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ પ્રસરી જતા ક્લાસમાં ભણવા આવેલા 50 તરૂણો અને શિક્ષકોમાંથી 20ના કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
બાળકોએ આગ લાગેલા રૂમમાં જ એકબીજાને બાથ ભરી હતી. બાથ ભરેલી લાશો ફાયરબ્રિગેડની ટીમોએ બહાર કાઢી હતી. ચોંકાવનારી બાબત તો એ હતી કે, આ ટયૂશન ક્લાસની બિલ્ડિંગમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમનો અભાવ હતો અને મનપાના તંત્ર દ્વારા તેને નોટિસ આપ્યા બાદ કોઇ પણ પ્રકારના પગલાં ભર્યા નહોતા.

સુરતમાં બનેલી આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, સુરતમાં નિયમો વિરૂદ્ધ ધમધમતા ક્લાસિસમાં બપોર બાદ ધો. 10 અને ધો. 12ના 50 બાળકો ભણી રહ્યા હતા ત્યારે ઇમારતમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આગની લેપેટો પ્રસરી જતા ક્લાસની બહાર નિકળવાનો રસ્તો પણ બંધ થઇ ગયો હોવાથી 15 જેટલા બાળકોએ ચોથા માળેથી જ બચવા માટે નીચે કૂદકા માર્યા હતા. જ્યારે ઘટના સ્થળે પહોંચી ગયેલી ફાયરબ્રિગેડની ટીમો ફાયરના સાધનો અભાવે બહાર ઊભી રહી હતી. તેમની નજર સામે જ બાળકો એક પછી એક કૂદકા મારીને ઘાયલ થતા રહ્યા હતા જ્યારે બીજા બાળકો અને શિક્ષકો ઇમારતીની છત પર ડોમ કરીને બંધાયેલા આ ક્લાસિસમાં ધૂમાડાં અને આગમાં ફસાઇ ગયા હતા. જેમાંથી 15થી વધુ બાળકો અને શિક્ષકો આગથી ભડથું થઇ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમો એક બીજાને બાથ ભરેલી હાલતમાં મ્ાૃતદેહો બહાર કાઢ્યા હતા. જ્યારે આઠથી વધારે ઈજાગ્રસ્તોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ આખી ઘટનામાં ચાર જેટલા બાળકો લાપત્તા બન્યા હતા.
બીજી તરફ આ ઘટનાને પગલે લોકોનાં ટોળાં સ્થળ પર ધસી આવ્યા હતા અને જવાબદાર સંચાલક અને અધિકારીઓ સામે તત્કાળ પગલાં ભરીને તેમની ધરપકડ કરવાની માગણી સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન પ્રચંડ આગ લાગ્યાનો કોલ મળ્યાં બાદ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પૂરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓએ છલાંગ મારતાં જ પાંચથી વધુનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય વિદ્યાર્થીઓના અંદર જ મોત નીપજ્યાં હતાં.

બીજી તરફ આ કરૂણ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુ:ખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું હતું. વડા પ્રધાનના આ ટ્વીટ બાદ તરત જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ અધિકારીઓને તત્કાળ ઘટના સ્થળે જઇને બચાવ કામગીરી ઉપરાંત તપાસ કરવાના આદેશ કર્યા હતા. તેમ જ રાત્રે ઘટનાસ્થળે પહોંચી જઇને સમીક્ષા કરી હતી.


















