સુરતીઓની દુનિયા Archives - Page 62 of 79 - CIA Live

April 18, 2019
mitish_modi_poster.jpg
1min10880

પોઝિટીવીટીમાં માનતા મિતિષ મોદી કહે છે કે સુરતના ઉદ્યોગોને ઝીરો એરર ટેક્સેશન અને અપગ્રેડેશનની તાતી જરૂરીયાત, જે પૂરી કરવા માટે કટિબદ્ધ છું

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષ મોદીને ઉદ્યોગપતિઓ તેમજ શહેરના વ્યવસાયિકોના જૂથો દ્વારા ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે.

અઢી દાયકાથી શહેરમાં જાણિતા ટેક્સ કન્સલ્ટન્ટ ઉપરાંત એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે ખ્યાતિપ્રાપ્ત મિતિષ મોદીની લિડરશીપ સુરતના જુદા જુદા ઉદ્યોગો જેવા કે ડાયમંડ, ટેક્સટાઇલ, કન્સ્ટ્રકશન, કેમિકલ્સ વગેરેને નવી દિશા આપી શકશે. તમામ ઉદ્યોગોને કનડતો સૌથી મોટો પ્રશ્ન ટેક્સેશન અને જીએસટી આધારિત છે, તેમાં મિતિષ મોદી ઉંડું જ્ઞાન ધરાવે છે એવી જ રીતે ભાવિ પડકારોને સ્થાનિક ઉદ્યોગો પહોંચી વળે તે માટે અપગ્રેડેશન પછી એ ટેક્નોલોજી બેઝ્ડ હોય કે ક્વોલિટી બેઝ આ તમામ વ્યવસ્થા ઉદ્યોગોને ચેમ્બર મારફતે પૂરી પાડવા માટેનું વિઝન મિતિષ મોદી ધરાવી રહ્યા છે.

મિતિષ મોદીનું માનવું છે કે સુરત એક ધંધાકીય શહેર છે, ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ શહેરની સુખ-સાહ્યબી તેના ઉદ્યોગ-ધંધા પર નિર્ભર હોય ત્યારે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની લિડરશીપ થકી આ ઉદ્યોગો માટે કેટલાક કાયમી માઇલસ્ટોન વિકસિત કરવાની તાતી જરૂરિયાત છે.

મિતિષ મોદી સાથે તેમના સમર્થકોની વિશાળ ટીમ હાલ તો ચેમ્બરના ઉદ્યોગપતિ મતદારોમાં ઘનિષ્ઠ પ્રચાર કરી રહી છે. દરેક સ્થળે મિતિષ મોદીને આવકાર મળી રહ્યો છે કેમકે ટેક્સ એક્સપર્ટ સી.એ. તરીકે તેમની દીર્ઘકાલિન સેવાઓને કારણે ઉદ્યોગપતિઓ સાથે તેઓ વર્ષોથી નહીં દાયકાઓથી ઘરોબ ધરાવી રહ્યા છે.

April 17, 2019
mitish_modi_pic.jpg
1min13300

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ માટે આગામી તા.21મીએ યોજાનારી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષકુમાર સન્મુખલાલ મોદી શહેરના ઉદ્યોગોને કનડતા પ્રશ્નો, સમસ્યાઓ ખાસ કરીને જીએસટીને સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટે ટ્રબલ શૂટર બની શકે તેમ છે. ટેક્સેશન વિષયમાં એક્સપર્ટ તરીકે જાણીતા મિતિષ મોદી ટેક્સટાઇલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, ફૂડ એન્ડ એગ્રો, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, રીયલ એસ્ટેટ, બાંધકામ ઉદ્યોગ વગેરેની ભૂતકાળની સમસ્યાઓ દરમિયાન પણ ઉપયોગી સૂચનો કરી ચૂક્યા છે. આમેય હાલમાં મિતિષ મોદી સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તંત્રવાહકો વચ્ચે સમજૂતિ માટે કડીરૂપ બની રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન મિતિષ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. તેઓ માને છે કે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બરએ અલગ ભાત પાડી છે હવે સમય આવી ગયો છે કે ચેમ્બરના વહીવટને આંતર રાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં આવે અને તે માટે હું સતત પ્રયાસો કરીશ.

મિતિષ મોદીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેઓ ક્યારેય કોઇપણ વિવાદમાં આવ્યા નથી. બિનવિવાદી વ્યક્તિત્વ, મૃદુભાષી એવા મિતિષભાઇ મોદી માટે કહેવાય છે કે સ્વયંભુ ઉદ્યોગપતિઓ સમર્થન આપી રહ્યા છે. 1992માં મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં મેનેજિંગ કમિટીમાં જોડાયા બાદ સતત સક્રિય રહ્યા અને ગત તા.17-18 વર્ષ માટેની ચેમ્બરની ટેક્સેશન કમિટીમાં તેઓએ ચેરમેન તરીકે અનેક મુદ્દાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સ્પષ્ટ વક્તા હોવાના કારણે મિતિષ મોદી સૌને સ્વીકાર્ય બની રહ્યા છે. સૌને સાથે લઇને ચાલવાની કાબેલિયત અને ક્ષમતા ધરાવતા મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તમામ ઉદ્યોગોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આયોજનબદ્ધ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પદ માટે ના મજબૂત ઉમેદવાર શિક્ષિત – વિઝનરી – ડેડીકેટેડ -સૌને સાથે લઈને ચાલનારા – નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મીતીશ એસ. મોદી ના ચૂંટણી કાર્યાલયનું ચેમ્બરના સભ્યો ની હાજરીમાં એક માત્ર જંગી બહુમતીના એજન્ડા ના ઉદઘોષ સાથે દીપ પ્રાગટ્ય એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું.

April 17, 2019
dinesh_navadia_pic.jpg
1min7100

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદ માટે આગામી તા.21મી એપ્રિલે યોજાઇ રહેલા મતદાન પૂર્વે હીરા ઉદ્યોગપતિ એક વિઝનરી લિડર તરીકે ઉભરી રહ્યા છે. ભવિષ્યમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) કેવી રીતે વર્કિંગ કરશે એ અંગે સ્પષ્ટ વિઝન સાથે તેઓ મતદારોને મળી રહ્યા છે. દિનેશ નાવડીયા હાલમાં જીજેઇપીસીના ચેરમેન છે, અગાઉ તેઓ ડાયમંડ એસોસીએશન ઉપરાંત વરાછાની અનેક મોટી સંસ્થાઓમાં વહીવટકર્તા રહી ચૂક્યા છે. આમ એક સંસ્થાને લિડરશીપ પૂરી પાડવાનો અનુભવ દિનેશ નાવડીયાને એક વિઝનરી વ્યક્તિત્વ તરીકે પ્રોજેક્ટ કરે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે બાંધકામ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચોક્કસ દિશા આપવામાં તેમની વિચારધારા અને ભાવી રણનીતિ ચેમ્બરના ઉદ્યોગપતિઓને પ્રભાવિત કરી રહી છે.

ઉમેદવારી અંગે ભ્રામક સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની યોજાઇ રહેલી ચૂંટણીમાં એક એવી હવા ઉભી કરવામાં આવી છે કે તટસ્થ ઉમેદવાર દિનેશ નાવડીયાની મેનેજિંગ કમિટીની મિટીંગોમાં પૂરતી હાજરી ન હોઇ, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. હકીકતમાં આ મુદ્દા પર હજુ સુધી ચૂંટણી કમિટીએ કોઇ નિર્ણય લીધો નથી પરંતુ, દિનેશ નાવડીયા સામે ઇરાદાપૂર્વક એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. હકીકતમાં તેમનું ઉમેદવારીપત્ર ચૂંટણી કમિટીએ કાયદેસર રીતે મંજૂર કર્યું છે. નીતિન ભરૂચાએ દિનેશ નાવડીયા સામે કરેલી ફરીયાદ પરત્વે ચૂંટણી કમિટીએ હજુ સુધી કોઇ જ નિર્ણય કર્યો નથી. દિનેશ નાવડીયા ખેલદીલીપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે અને એ અટલ ઉમેદવાર તરીકે છેવટ સુધી લડી લેશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં તટસ્થ ઉમેદવાર તરીકે જાણીતા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા માટે હાલ અનુકૂળ વાતાવરણ સર્જાય રહ્યું છે. હીરા ઉદ્યોગ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્ર વગેરેમાંથી આગેવાનો તેમના સમર્થનમાં અને પ્રચારમાં મંડી પડ્યા છે.

તા.17મી એપ્રિલ 2019ની સવારે ચેમ્બર ઓફ કોમર્સની ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાએ પોતાના સમર્થકોની સાથે ઈચ્છાનાથ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.

મંગળવાર, તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી, વરાછા રોડ, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાના સમર્થનમાં જાહેર સભા મળી હતી.

જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, રીયલ એસ્ટેટ તેમજ અન્ય ધંધા – ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શ્રી દિનેશભાઈ નાવડિયાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સભામાં વિવિધ ઉદ્યોગના અગ્રણી હાજર રહ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે.

• ટેક્ષટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી ભરતભાઈ ગાંધી – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી પ્રફૂલ્લભાઈ શાહ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી રસિકભાઈ કોટડિયા

શ્રી અશોકભાઈ જીરાવાલા – ફોગવાના પ્રમુખ

શ્રી પ્રવિણભાઈ ડોંગા – માંગરોળ તાલુકા ઇન્ડ. એસો.ના મંત્રી

શ્રી સંજયભાઈ દેસાઈ

શ્રી મહેન્દ્રભાઈ રામોલિયા – સચીન ઇન્ડ. સોસા.

• રીયલ એસ્ટેટ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી વેલજીભાઈ શેટા – નેશનલ ક્રેડાઈના પ્રતિનિધિ

શ્રી જસમતભાઈ વિડીયા – સુરત ક્રેડાઈના ચેરમેન

શ્રી વિજયભાઈ ધામેલિયા – સુરત ક્રેડાઈના મંત્રી

શ્રી કેયુરભાઈ ખેની – અગ્રણી બિલ્ડર

• ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી સી.પી. વાનાણી – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

શ્રી દેવશીભાઈ ભડિયાદરા – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

• ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ

શ્રી બી. એસ. અગ્રવાલ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી કાનજીભાઈ ભાલાળા – વરાછા કો.ઓપ. બેંકના ચેરમેન

શ્રી હરિભાઈ કથિરીયા – લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ

શ્રી નિખિલભાઈ મદ્રાસી – માજી માનદ્ મંત્રી

શ્રી રમેશભાઈ વઘાસીયા

શ્રી મનિષભાઈ કાપડિયા

શ્રી કમલેશભાઈ ગજેરા

શ્રી જયંતીભાઈ સાવલિયા

શ્રી ગણપતભાઈ ધામેલિયા

શ્રી પરેશભાઈ લાઠિયા

શ્રી ભરતભાઈ સોની

શ્રી અંકિત કલથિયા

• સામાજિક અને રાજકીય મહાનુભાવો

શ્રી જનકભાઈ બગદાણાવાલા – માજી ધારાસભ્ય શ્રી

શ્રી વજુભાઈ માવાણી – માજી ડેપ્યુટી મેયર શ્રી

શ્રી દિલીપભાઈ બુહા – જય જવાન નાગરિક સમિતિ

ડૉ. છગનભાઈ વાઘાણી

ડૉ. સંજય નાકરાણી

શ્રી ફારૂકભાઈ ચાંદીવાલા

માનનીય સંત શ્રી સુફી બાવા

નિખિલ મદ્રાસી

નિખિલ મદ્રાસીએ શું અપીલ કરી

તાકાત હોય તો સામી છાતીએ લડીને બતાવો. કાયદાનો આધાર લઈને તમારી અશક્તિને છતી નહિ કરો.

આપ સૌ જાણો છો તેમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી રવિવાર, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ ના સમયગાળા દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાવાની છે.

ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડિયાની ઉમેદવારીને કાયદાકીય રીતે પડકારવામાં આવી રહી છે. છેલ્લી ૩ મેનેજીંગ કમિટીમાં આ મુદ્દો જોરશોરથી હું એટલે કે નિખિલ મદ્રાસી અને સંજય પંજાબીએ ઉઠાવ્યો હતો. પરંતુ છેલ્લી સભામાં અમોને એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ૩ મિટીંગથી સતત જે મેનેજીંગ કમિટીના સભ્ય ગેરહાજર રહ્યા હોય તેનું મેનેજીંગ કમિટીનું સભ્યપદ બંધારણ મુજબ, આપોઆપ રદ થઈ જાય તેવી જોગવાઈનો વ્યવહારુ અમલ શક્ય નથી.

જો આ કલમનો અમલ કરવો જ હતો તો જયારે આ માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેનો અમલ કેમ નહિ કર્યો? અને જયારે આજે હાર દેખાઈ રહી હોય ત્યારે આવા ત્રાગા કરવા એ શોભતું નથી.

વર્તમાન પરિસ્થિતિમાં શહેરના બે મહત્વના ઉદ્યોગો ડાયમંડ અને ટેક્ષટાઈલ, અનેક વિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોય તેવા સમયે આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ અને બાહોશ ઉદ્યોગપતિની જ જરૂરિયાત છે. તે વાત સૌએ સમજી લેવી જરૂરી છે. શહેરના તટસ્થ ૧૭ ઉદ્યોગપતિઓએ બોલાવેલી સમાધાન મિટીંગમાં આ વર્ષે શ્રી દિનેશભાઈ નાવડિયા ચૂંટણી લડે તેવો નિર્ણય લેવાતા અનેકના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ વિઘ્ન સંતોષી બનીને વાતાવરણ દોહળાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવા તત્વોને સૌએ ઓળખી લેવાની જરૂર છે અને કોઈ પણ સક્ષમ સત્તાધીશ સમક્ષ ચેમ્બરની રજૂઆત અસરકારક રીતે કરી શકે તેવા લીડર શ્રી દિનેશભાઈ નાવડિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેની હું નમ્ર અપીલ કરું છું.

આભાર – નિખિલ મદ્રાસી

April 14, 2019
Darshna.jpg
1min5720

ચૂંટણી પંચની ઉમેદવારોના ખર્ચાઓ પર બારીક નજર

દેશના ચૂંટણી પંચે તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી છે કે લોકસભાની ચૂંટણીમાં મની પાવરથી કોઇપણ મતદાતાને પ્રભાવિત કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને નિયમિત રીતે ઉમેદવારોના ચૂંટણી ખર્ચની તપાસણી કરવી. એ મુજબ ગઇ તા.4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ મુદતના એક સપ્તાહ બાદ તા.12મી એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્રએ સુરત સંસદીય મત વિસ્તાર પર ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોને તેમણે કરેલા ખર્ચની વિગતો બિલ સમેત રજૂ કરવાની સૂચના આપી હતી. જે મુજબ સુરત બેઠકના તમામ ઉમેદવારોએ પોતાના હિસાબો રજૂ કર્યા હતા.

સુરત સંસદીય મત વિસ્તારમાં સ્વાભાવિક છે કે સીધો જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે દેખાઇ રહ્યો છે. પ્રચાર શરૂ થયાના પહેલા સાત દિવસમાં ભાજપાના ઉમેદવાર દર્શના જરદોષે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તેમણે રૂ.11.01 લાખનો ખર્ચ કર્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ રૂ.5.39 લાખનો ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું છે. ચૂંટણી પંચે તેમના હિસાબો ગ્રાહ્ય પણ રાખ્યા છે. સુરત બેઠક પર દર્શના જરદોષે અત્યાર સુધી કરેલા ખર્ચ પરથી એ તારણ નીકળી રહ્યું છે તે દર્શના જરદોષ પ્રતિદિન રૂ.1.57 લાખનો સરેરાશ ખર્ચ કરી રહ્યા છે જેની સામે કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા દૈનિક સરેરાશ રૂ.77 હજારનો ખર્ચ કરી રહ્યા છે.

મોટા ભાગનો ખર્ચ ચા-પાણી નાસ્તો અને પેટ્રોલ-ડિઝલ પાછળ

સુરત સંસદીય મત વિસ્તારમાં પહેલા સપ્તાહ દરમિયાન ઉમેદવારોએ કરેલા ચૂંટણી ખર્ચના હિસાબો ચકાસતા ઉડીને આંખે વળગે એવી વાત એ સામે આવી છે કે ઉમેદવારોનો મોટા ભાગનો ખર્ચ પ્રચારમાં તેમની સાથે જોડાતા કાર્યકર્તાઓ કે કાર્યાલયો પર ચા, પાણી, નાસ્તો તેમજ પેટ્રોલ ડિઝલ પાછળ થઇ રહ્યો છે. મોટા ભાગના ઉમેદવારોએ સોશ્યલ મિડીયા માર્કેટિંગ કે જેના પર ચૂંટણી પંચની નજર છે તેના પર થયેલા ખર્ચની કોઇ જ વિગત રજૂ કરી નથી.

કેટલાક ઉમેદવારોએ તો ફક્ત ઉમેદવારીની ડિપોઝીટ જેટલો જ ખર્ચ કર્યો છે

સુરત સંસદીય મત વિસ્તારમાં પહેલા સપ્તાહમાં કરેલા ખર્ચના હિસાબો રજૂ કરવા માટે સ્થાનિક ચૂંટણી અધિકારીની સૂચના બાદ રજૂ થયેલા ખર્ચ તપાસતા જાણવા મળે છે કે કેટલાક ઉમેદવારોએ પહેલા સપ્તાહમાં કોઇ જ ખર્ચ પ્રચાર માટે કર્યો નથી. આવા ઉમેદવારોએ ફક્ત ઉમેદવારી કરતી વખતે જમા કરવી પડતી ડિપોઝિટની રકમ જ ખર્ચ તરીકે દર્શાવી છે.

સુરત લોકસભા બેઠકના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચ રૂ.માં

અશોક પટેલ (અધેવાડા) (કોગ્રેસ) 5,39,992

દર્શના જરદોશ (ભાજપ) 11,01,874

વિજય શેણમારે (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા) 97.720

ગૌતમરાજ હિન્દુસ્તાની (યુવા સરકાર) 32.450

અમિષા જોગીયા (સંયુક્ત વિકાસ પાર્ટી) 27.000

પિયુષ ધામેલીયા (રીયલ ડેમોક્રેસી પાર્ટી) 27.900

કેપ્ટન રીટા ( પિરામીડ પાર્ટી ઓફ ઈન્ડિયા) 29.905

તુલસી ડાખરા (અપક્ષ) 25000

દિનેશ પ્રજાપતી (અપક્ષ) 28.175

દિપક ગાંગાણી (અપક્ષ) 27000

નટવર માહ્યાવંશી (અપક્ષ) 12700

પરસોતમ બારૈયા (અપક્ષ) 25312

સંતોષ સુરવાડે (અપક્ષ) 16750

તા 12 ના રોજ તમાંમ ઉમેદારો દ્વારા પ્રથમ વખત હિસાબ રજુ કરવામાં આવ્યો હતો. હિસાબની ચકાસણી ચૂંટણી નિરિક્ષકોની હાજરીમાં થઈ હતી. સવારે 10.30 કલાકે શરૂ થયેલ ચકાસણી સાંજે સાત કલાક સુધી ચાલુ રહી હતી હવે આગામી તા 16 ના રોજ ફરીથી હિસાબ રજુ કરવાના રહેશે મોટા ભાગના ઉમેદારવારો દ્વારા માત્ર ડિપોઝીટની રકમ જમા કરાવવા સાથે સામાન્ય ખર્ચ દર્શાવો છે.

વાણી વિલાસ બદલ સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે પણ ચૂંટણી પંચની સ્યુઓમોટો ફરીયાદ

બાબુ રાયકાએ ભાજપના નેતાઓને સંબોધીને હરામખોર શબ્દ પ્રયોગ કર્યો હતો

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક બીજાને ભાંડવા બેસે છે ત્યારે કોઇ મર્યાદા નથી રાખતા, પરંતુ, ચૂંટણી પંચ રાજકીય નેતાઓને મર્યાદામાં રહેવા માટે તેમનો કાન જરૂર આમળે છે.

સુરત શહેરમાં અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસના નેતાઓને સંબોધીને તેમને હરામજાદાઓ કહ્યા હતા, આ મુદ્દો હજુ ચર્ચામાં છે ત્યારે હવે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાનો વાણી વિલાસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

થોડા દિવસ અગાઉ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ ભાજપના નેતાઓને ઉદ્દેશીને હરામખોર જેવો શબ્દ પ્રયોગ એક ચૂંટણી સભાને સંબોધતા કર્યો હતો. આ ચૂટણી સભામાં બાબુ રાયકાના વાણી વિલાસનો વિડીયો ખુદ કોંગ્રેસી નેતાઓએ જ વાઇરલ કર્યો અને એટલો વાઇરલ કર્યો કે કોંગ્રેસના હરીફ ભાજપા તરફથી કોઇપણ પ્રકારની ફરીયાદ આ અંગે બાબુ રાયકા સામે કરવામાં આવી નથી, આમ છતાં સ્થાનિક ચૂંટણી પંચના આચારસંહિતા જાળવણી વિભાગે સ્વયં બાબુ રાયકા સામે ફરીયાદ દાખલ કરી છે.

જ્યારે ચૂંટણી પંચ સામે ચાલીને કોઇ નેતા સામે આચારસંહિતાના ભંગની ફરીયાદ દાખલ કરે ત્યારે તેને સ્યુઓમોટો ફરીયાદ કહેવાય છે. ચૂંટણી પંચે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે કેટલાક વાંધાજનક ઉચ્ચારણો બદલ આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ કરી છે. ચૂંટણી અધિકારીઓ પાસે બાબુ રાયકાના વાણી વિલાસના વિડીયો છે આમ છતાં જે વિસ્તારમાં ચૂંટણીસભા યોજાઇ હતી એ વિસ્તારના ચૂંટણી અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે.

April 14, 2019
police-votes.jpeg
1min6000

સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ આજે સુરત જિલ્લાના કામરેજના ઘલુડી સ્થિત પોલીસ હેડક્વાર્ટસ ખાતે ખાસ પોલીસ જવાનો, હોમગાર્ડસના જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સ્પેશ્યલ મતદાન મથક ઉભું કરીને મતદાનની વ્યવસ્થા કરી હતી. સુરત જિલ્લાના કુલ 1770 મતદારો એવા હતા જેઓ પોલીસ તેમજ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. આ જવાનો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5 ના ટકોરે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં કુલ 83 ટકા પોલીસ જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો હતો.

Mumbai Police inside Ryan International School at Kandivili. Express Photo by Amit Chakravarty. 11.09.2017. Mumbai.

કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ જવાનોએ 83 ટકા જેટલું ઉંચુ મતદાન કરીને સામાન્ય જનતાને એક સંદેશ આપ્યો છે કે આગામી તા.23મી એપ્રિલના રોજ યોજનારા મતદાનમાં પ્રત્યેક મતદાતા પોતાની પવિત્ર ફરજ સમજીને મતાધિકારનો પ્રયોગ કરે. આજે સુરત જિલ્લાના પોલીસ જવાનો માટે ખાસ મતદાનની વ્યવસ્થામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ જ હતી કે પોલીસ જવાનો મતદાન માટે ઉત્સાહિત હતા અને સતત મતદાન મથકે જવાનો આવતા ગયા હતા અને આખો દિવસ મતદાન મથક વ્યસ્ત જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ કામરેજ ખાતે ખાસ પોલીસ જવાનો માટે આજનો એક દિવસ પૂરતું ઉભા કરવામાં આવેલા મતદાન મથક માટે કુલ 1770 મતદારો નોંધાયો હતા. આ મતદારોમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ હોમગાર્ડસનો સમાવેશ થાય છે. સાંજે પાંચના ટકોરે મતદાન પૂર્ણ થયું ત્યારે 1484 જવાનોએ મતદાન કર્યું હતું.

પોલીસ જવાનોના મતદાનમાં સૌથી વધુ મતદાન બારડોલી બેઠક માટે કુલ 1221, સુરત માટે કુલ 224 અને નવસારી બેઠક પર કુલ 39 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું.

ટોટલ 1770

મતદાન 1484

બારડોલી 1221

સુરત 224

નવસારી 39

April 12, 2019
SGCCI.jpg
1min8200

ચેમ્બરના ઉપપ્રમુખપદે મેરીટવાળો ઉમેદવાર નહીં, મામકાને બેસાડવાના પ્રયાસો

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં હાલ આગામી વાઇસ પ્રેસિડેન્ટ માટેનો ઉમેદવાર નક્કી કરવા માટે લોકશાહીની પ્રક્રિયા ચૂંટણી નહીં અને મેરીટ્સવાળો ઉમેદવાર પણ નહીં બલ્કે મામકાને બેસાડવા માટે રીતસર લોબિંગ ચાલી રહ્યું છે. 16-16 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ફોર્મ નહીં ખેંચીને એ બાબત નિશ્ચિત કરી દીધી છે કે તેમણે ગમે તે સંજોગોમાં લડી લેવા માટે ઉમેદવારી નોંધાવી છે, આમ છતાં, ચેમ્બર ઓફ કોમર્સમાં કેટલાક લોકો હજુ પણ એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય અને બે અથવા ત્રણ ઉમેદવારો બાકી રહે. ચૂંટણી જ જો કરવાની હોય તો 2 વચ્ચે થાય કે 16 વચ્ચે શું ફરક પડશે ચેમ્બરને..

અનેક મિટીંગો વિફળ રહ્યા પછી, વાઇસ પ્રેસિડેન્ટ કેતન દેસાઇના પ્રયાસો નિષ્ફળ રહ્યા પછી તા.12મી એપ્રિલએ બપોરે બે વાગ્યે ફરીથી તમામ ઉમેદવારોની મિટીંગ યોજવામાં આવી છે અને તેમાં 16 પૈકી મોટા ભાગના બેસી જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાણકારો કહે છે કે કેટલાક લોકો એવા પ્રયાસો કરી રહ્યા છે કે 16 પૈકી મોટા ભાગના બેસી જાય જેમને 5-25 મતો મળવાના છે, તેવા ઉમેદવારો બેસી જાય તો બાકીના બે-ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજી શકાય.

એ બાબત પણ મીનમેખ છે કે જે લોકો પહેલા ચૂંટણીમાં ઉભા રહ્યા અને હવે કોઇકની વાતમાં આવીને, કોઇકની સમજાવટમાં આવીને ફોર્મ પરત ખેંચશે તો તેમની વેલ્યુ 5-25 વોટની થશે.

હકીકતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) માં બે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થાય તેવું ચેમ્બરમાં કેટલાક મહારથીઓ કે જેઓ નજીકના ભવિષ્યમાં 10-15 વર્ષ સુધી પ્રમુખ બની શકે તેવી સ્થિતિમાં નથી તેઓ જ ગતકડાં ચલાવી રહ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સને મેરિટ ધરાવતા વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર નથી જોઇતા પરંતુ, જે ગતિવિધિઓ થઇ રહી છે એ જોતા કેટલાક બની બેઠેલા ઉદ્યોગપતિ નેતાઓ પોતાના ઉમેદવારને વી.પી. બનાવવા માટે લોબિંગ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે સુરત બેઠક પર જે સ્થિતિ સર્જાઇ હતી એ સુરતી વર્સિઝ ઓલ, હવે આ જ સ્થિતિમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટના ઇલેકશન-સિલેેકશનના મુદ્દે આવીને ઉભી છે.

એક તરફ મૂળ સુરતી ઉમેદવાર તરીકે આશિષ ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને ચેમ્બરની ગતિવિધિઓથી વાકેફ છે. સામે પક્ષે દિનેશ નાવડીયા કે જેઓ સૌરાષ્ટ્રવાસી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાને નોનસુરતી, હિન્દીભાષી ગ્રુપના બી.એસ.અગ્રવાલ અને તેમના ગ્રુપના લોકો સપોર્ટ કરી રહ્યા છે. આમ એવો માહોલ છે કે મૂળ સુરતી વર્સીઝ ઓલનો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે પરંતુ, કન્ડીશન એ છે કે 16 પૈકી 13-14 ઉમેદવારો તેમની ઉમેદવારી 20મી એપ્રિલ સુધીમાં ખેંચી લે.

આ ઉમેદવારોનું હળાહળ અપમાન થઇ રહ્યું છે

નિખીલ મદ્રાસી

સી.એ. મિતીશ મોદી

જનક પચ્ચીગર

મૃણાલ શુક્લ

આશા દવે

ભદ્રેશ શાહ

સુનિલ જૈન

હિરેન શાહ

નીતિન ભરૂચા (કદાચ ખસી જાય)

વિજય મેવાવાલા

બંદના ભટ્ટાચાર્ય

હિમાંશુ બોડાવાલા

હરીવદન રાણા

મહેશ વાણાવાલા

રાજેન્દ્ર લાલવાલા

દિપક શેઠવાલા

નિખિલ મદ્રાશી

આ ઉમેદવારો પોતાને સ્વયં રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, તેમના માટે કદાચ કોઇ ગ્રુપ પ્રોજેક્શન કે લોબિંગ ન કરતું હોય, એનો અર્થ એવો નથી કે તેમને બેસાડી દેવાની વૃતિ અમલી બનાવવામાં આવે. ઇલેકશન થશે અને જેને જેટલા મત મળશે તેના આધારે ચેમ્બર ઓફ કોમર્સના આગામી વાઇસ પ્રેસિડેન્ટ નક્કી થવા જોઇએ.

પણ હાલમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે એ જોતા એવું જણાય રહ્યું છે કે બે-ત્રણ બળિયા ઉમેદવારોને શોધીને ઉપરોક્ત નામોને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણવાની પેરવી ચાલી રહી છે.

ચૂંટણી જ જો કરવાની હોય તો 3 ઉમેદવાર વચ્ચે કરો કે 16 વચ્ચે કરો, લોકશાહીના મૂલ્યો જળવાય રહેશે

કોઇપણ ભોગે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉભા રહેલા 16 પૈકી 13-14 ઉમેદવારોને યેનકેન પ્રકારે બેસાડી દેવા માટે કેટલાક ઉદ્યોગપતિ નેતાઓ મરણિયા બન્યા છે. ચેમ્બર અસ્તિત્વમાં આવી ત્યારથી તેની સાથે સંકળાયેલા લોકો કહે છે કે ચૂંટણી બે-ત્રણ ઉમેદવારો વચ્ચે થાય કે 16 વચ્ચે થાય. હવે જ્યારે કોઇ બેસવા માટે તૈયાર નથી તો સમાધાનના નામે કોઇ પોતાની ખીચડી પકાવી રહ્યું છે. સમાધાન નહીં પણ સોદાબાજી ચાલી રહી હોવાનું પ્રથમદર્શી નજરે જણાય આવે છે. ઉમેદવારી ખેંચી લેવાના બદલામાં કોઇકને કોઇક કમિટીની ચેરમેનશીપ ઓફર થઇ રહી છે તો કોઇકને કંઇ બીજું પદ. એના કરતા તો ચૂંટણી થવી જોઇએ અને જેને જેટલા મત મળશે એના આધારે દરેક ઉમેદવારને પોતાનું સ્થાન પણ ખ્યાલ આવી જશે.

કોઇ ઉમેદવારે ઉમેદવારી પત્ર નોંધાવીને વિના કારણે લંગર નાખ્યું હશે તો પણ ચૂંટણી મતદાનમાં તેને ખબર પડી જશે કે તેને વોટ આપનારા કેટલા, ભવિષ્યમાં આ રીતે લંગર નાંખવાવાળા પણ ચેતી જશે.

April 8, 2019
bjp_vs_congress.jpg
1min8390

કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ

લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગ માટે આજે ફોર્મ ચકાસણીના અંતે ૧૩ ઉમેદવારોના ફોર્મ મંજુર થયા હતા. તા.૮મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો ખેંચવાની આખરી દિવસે કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આ ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આગામી ૨૩મી એપ્રિલે મતદાન યોજાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2014ની ચૂંટણીમાં સુરત બેઠક પરથી 8 ઉમેદવારો મેદાનમાં ઝુકાવ્યું હતું.

સુરત ચૂંટણી તંત્રની માહિતી મુજબ સુરત બેઠક પર જે 13 ઉમેદવારો મેદાનમાં છે તેની નામાવલી આ મુજબ છે.

 

April 6, 2019
Ukai-1.jpg
1min9070

ગુજરાતમાં આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે અને જિલ્લાઓમાં પીવાના પાણીને લઈને પોકારો શરૂ થઈ ગયા છે. ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદને લઈને રાજ્યના અને ડેમો તળાઓ અને કૂવાઓના તળિયા દેખાઈ રહ્યા છે. લોકો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ પાણી માટે અત્યારથી વલખાં મારવા પડે છે જેને લઈને અનેક અછતગ્રસ્ત જિલ્લાઓમાં હિજરત શરૂ થઈ ગઈ છે. આવી જ હાલત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની પણ સર્જાઈ છે.

હાલમાં સુરત જિલ્લાના જ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે એના પ્રમાણમાં ગત બુધવારે સવારે સપાટી 294.62 ફૂટ નોંધાઇ હતી. હાલમાં ડેમમાં એની કુલ ક્ષમતાનું માત્ર 23 ટકા પાણીનો જ સંગ્રહ છે. જેને લઈ જિલ્લા અને શહેરને પૂરા પાડતા પીવાના પાણીની આવનાર દિવસોમાં ઘેરા સંકેતો સાપડી રહ્યા છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘેરા પાણીના સંકેતો ઊભા થયા છે. અનેક જિલ્લાના જળાશયો જેવા કે તળાવો, કૂવાઓ, વાવો, ડેમ અને બોરોના તળિયા નીચા જતા પીવાના પાણીની હાલમાં અનેક જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં ઓછો વરસાદ થતાં ડેમ તળાવો અને કૂવામાં ચાલુ વર્ષે પાણીનો સંગ્રહ નહિવત નોંધાયો હતો ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં અને જિલ્લામાં થયેલા અપૂરતા વરસાદને લઈને પાણી ડેમમાં ઓછું સંગ્રહિત થયું હતું. તેમજ તાલુ વર્ષે ઉનાળાએ પણ આક્રમક રૂપ ધારણ કરતા જે સંગ્રહિત પાણી હતુ તે પણ બાષ્પીભવન થતાં હાલમાં સુરત જિલ્લાના જ ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમિયાન ઉકાઈ ડેમની કુલ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે એના પ્રમાણમાં ગત બુધવારે સપાટી 294.62 ફૂટ નોંધાઇ હતી.

April 5, 2019
ashok_adhewada_mp.jpg
1min7250

ભણેલા-ગણેલા લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટણીમાં ઝંપલાવતા હોતા નથી. રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રીઝવી શકે તેવા નહીં પરંતુ, પોતાના સમીકરણોમાં સેટ થાય તેવા ઉમેદવારોની જ પસંદગી કરતી હોય છે. કોંગ્રેસે સુરત સંસદીય બેઠક માટે જે ઉમેદવાર પસંદ કર્યા છે એ અશોક અધેવાડાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવતા એફિડેવિટ પણ રજૂ કરી હતી. એ એફિડેવિટમાંથી મળતી વિગતો મુજબ અશોક અધેવાડાની શૈક્ષણિક લાયકાત ફક્ત ધો.9 પાસ છે. અશોક અધેવાડાએ તેમનો મુખ્ય વ્યવસાય ખેતી ગણાવ્યો છે અને તેમની પાસે જંગમ મિલક્તો રૂ.38.32 લાખની છે. વાહનોમાં એક કાર અને એક બાઇક ધરાવતા અશોક અધેવાડા પાસે હાથ પર રોકડ રૂ.25 લાખની હોવાનો એકરાર સોગંદનામાંમાં કરવામાં આવ્યો છે. તેઓ દોઢ કરોડની વેલ્યુ ધરાવતી મિલકતના માલિક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

સુરત બેઠક પર 22 ઉમેદવારોએ ઝુકાવ્યું, મુખ્ય લડાઇ ભાજપ-કોંગ્રેસ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.23મી એપ્રિલ એ ગુજરાતમાં યોજાનારા મતદાન પૂર્વે આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદતે સુરત લોકસભા સીટ પર કુલ 22 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. સુરત બેઠક માટે કુલ 32 ઉમેદવારી પત્રો ભરાયા છે. જોકે, સુરતમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ જોવાય રહ્યો છે.

અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદનમાં આજે સવારથી જ ભીડભાડ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિન હોઇ, ભાજપ-કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

દર્શના જરદોષના ડમી તરીકે અજય ચોક્સીએ ફોર્મ ભર્યું

ભાજપાના સત્તાવાર ઉમેદવાર દર્શના જરદોષએ તા.3 એપ્રિલના રોજ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું હતું, આજે તેઓ પાર્ટીના મેન્ડેટ સાથે અને હજારો કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા. દર્શનાબેન જરદોષના ડમી તરીકે પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સીએ ફોર્મ ભર્યું હતું.

અશોક અધેવાડાના ડમી તરીકે ભારતી પટેલએ ફોર્મ ભર્યું

એવી જ રીતે કોંગ્રેસ તરફે અશોક અધેવાડાએ પણ છેક વરાછા રોડથી અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન સુધી હજારો કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને વાજતે ગાજતે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. અશોક અધેવાડાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ સાથે ઉમેદવારી નોધાવી હતી. અશોક અધેવાડાના ડમી તરીકે ભારતીબેન પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.

3 વાગ્યા સુધીમાં ફોર્મ મેળવ્યા અને ભરવાની વિધી 4.30 સુધી ચાલી

આજે ઉમેદવારી પત્ર નોંધાવવાની અંતિમ મુદતે તમામ ઉમેદવારો એક સાથે જ ફોર્મ ભરવા આવ્યા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર મેળવી લેનાર ઉમેદવાર કામકાજના કલાક પૂર્ણ થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકે. પરીણામે 3 વાગ્યે ફોર્મ મેળવનાર ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે 4.30 વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી. જિલ્લા કલેક્ટરેટના અધિકારી-કર્મચારીઓએ ચુસ્ત પણે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરાવ્યું હતું.

એક ઉમેદવાર 3.10 કલાકે ફોર્મ ભરવા આવ્યો

સુરતના ચોર્યાસી પ્રાતંની કચેરીમાં આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ મુદત બપોરે 3 વાગ્યા પછી એટલે કે બપોરે 3.10 કલાકે એક ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યો હતો. જોકે, મુદત પૂર્ણ થઇ ચૂકી હોઇ, સિટી પ્રાંત અધિકારી શ્રી પી.આર. જાનીએ નિયમાનુસાર એ ઉમેદવારને ફોર્મ નહીં ભરી શકે એમ જણાવી દીધું હતું.

સુરત બેઠક પર કુલ 22 ઉમેદવારો મેદાનમાં

દર્શના જરદોષ

અજય ચોક્સી

અશોક અધેવાડા

ભારતી પટેલ

ગૌતમ રાજ હિન્દુસ્તાની

સુરવાડે સંતોષ અવધુત

તુલસીભાઇ ડાંખરા

વિજય જયકિશન તાલીયા

અશોક વલ્લભ પટેલ

દિનેશ ચતુરભાઇ જીકાદરા

જોગીયા અમિષા વિક્રમભાઇ

અશોક રમેશભાઇ સોલંકી

સુરેનું ગોપાલસિંગ અરોરા

મો.અલાઉદ્દીન શેખ

એક ઉમેદવાર ડિપોઝીટ વગર ફોર્મ ભરી ગયો

સુરત સંસદીય મત વિસ્તારમાં આજે મો. અલાઉદ્દીન શેખએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ચૂંટણી તંત્રવાહકોએ આપેલી માહિતી મુજબ આ અપક્ષ ઉમેદવારી ઉમેદવારીપત્ર સાથે જમા કરવાની થતી ડિપોઝીટની રકમ જમા કરાવી ન હતી.

ચૂંટણી પંચના નિયમાનુસાર ઉમેદવાર કોઇપણ રીતે ફોર્મ આપી જાય તો તેને સ્વીકારી લેવું. આ રૂએ સ્થાનિક તંત્રએ મો. અલાઉદ્દીન શેખનું અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર સ્વીકારી લીધું હતું. પરંતુ, હવે તા.5મી એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન ડિપોઝીટ વગર ભરવામાં આવેલું ઉમેદવારીપત્ર રદ બાતલ કરી દેવામાં આવશે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણી અને 8મીએ બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે

તા.23મીએ યોજનારા મતદાન પૂર્વે ઉમેદવારી પ્રક્રિયા યોજાય છે. આજે ઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ હવે આવતીકાલ તા.5 એપ્રિલ 2019ના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે તા.8મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.

 

April 4, 2019
b2-1280x720.jpg
1min14840

જુઓ વિડીયો

આજરોજ તા.4 એપ્રિલ 2019ના રોજ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદતના ત્રણ કલાક પહેલા સુરત કલેક્ટરેટ ખાતે ઉમેદવારી કરવા પહોંચેલા ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવેલા કાર્યકરો વચ્ચે કોઇક મુદ્દે બબાલ થઇ હતી અને જોતજોતામાં બન્ને પાર્ટીના કાર્યકરો મારામારી પર ઉતરી આવ્યા હતા. મારા મારી એટલી હદે થઇ હતી કે મહિલા કાર્યકરો સમેત અનેક લોકોના કપડા પણ ફાટી જવા પામ્યા હતા. બન્ને પાર્ટીના કાર્યકરોએ એક બીજાને જે આવ્યું તે મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન મચેલી ધમાચકડીમાં ભાજપા અને કોંગ્રેસના અનેક મોટા નેતાઓ મામલો થાળે પાડવા માટે વચ્ચે પડ્યા હતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. પોલીસના જવાનોએ વચ્ચે પડીને બાખડી રહેલા બન્ને પાર્ટીના કાર્યકર્તાઓને છૂટા પાડ્યા હતા.

ઘટનાને પગલે કલેક્ટરેટ ખાતે વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઘટના બાદ સુરત શહેર ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલાએ પત્રકારોન ેસંબોધતા કોંગ્રેસીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્યકરો પર પહેલા કોંગ્રેસીઓએ હુમલો કર્યો હતો. તેમણે પોલીસને વિડીયો શૂટિંગના આધારે પગલાં ભરવા માટે પણ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસે ભાજપાના બે કાર્યકરોને આ મામલામાં જીપમાં બેસાડવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ભાજપાના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને મામલો ગરમ કરી મૂક્યો હતો. શહેર ભાજપા પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલા, નવસારીના ઉમેદવાર  સી.આર. પાટીલ સમેત આગેવાનોએ મામલો શાંત પાડ્યો હતો. આમ છતાં બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ એક બીજા સામે ઘૂરકીયા કરતા જણાયા હતા. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં પણ કલેક્ટરેટ સંકુલમાં મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો હતો.