રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યાના એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના નેતા જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતા ચકચાર મચી ગઇ હતી.
જય દલાલ ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે. તેઓ ઉધના વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની નજીક ગણાતા અને તેમની સાથે રાજકીય-સામાજિક કાર્યોમાં સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર હતા. જાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે જય દલાલ પર તૂટી પડ્યા હતા. ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત થયું હતું.
મૃતકના માતાએ કહ્યું, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો. મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા હતા. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને તેમણે તેના પુત્ર પર હુમલો કરીને તેને રહેંસી નાખ્યો હતો.
બે દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકાના બગુમરા ખાતે આવેલી મહાદેવ પેલેસ સોસાયટીના એક ફ્લેટમાંથી 22 વર્ષીય યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યુવતી સાથે લિવ ઈનમાં રહેતો શિવમ નામનો યુવક ફરાર થઈ જતાં પોલીસે હત્યાની આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના સ્થળેથી કેટલી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી, જેના કારણે યુવતી સાથે દુષ્કર્મ કે અન્ય કોઈ અજુગતું બન્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
આ પહેલા મે મહિનાના બીજા અઠવાડિયામાં લિંબાયતના ગણેશનગર પાસે બાઈક અથડાવા જેવી નજીવી બાબતે રાહુલ જોગી નામના રીઢા ગુનેગારે 17 વર્ષના કિશોરની ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ભેસ્તાન વિસ્તારમાં એક ભંગારના વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ઉધના/ભેસ્તાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
એપ્રિલના અંતમાં સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વિશાલ સાવલી નામના પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીની હત્યા કરી દીધી હતી. પાપ છુપાવવા માટે તેણે પત્નીની લાશને લાકડાની પેટીમાં મૂકી ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર (ચણતર) કરી દીધું હતું અને ૫ દિવસ સુધી ઘરમાં જ રહ્યો હતો. અંતે પુત્રને ચિઠ્ઠી આપીને તે ફરાર થઈ ગયો હતો, જે બાદ આખો મામલો ખૂલ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણી કરવા બદલ ફિલ્મસર્જક અનુરાગ કશ્યપ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ સુરત કોર્ટે આપ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. કશ્યપે 19 માર્ચ, 2025ના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અણછાજતી ટિપ્પણી કરી હતી.
આ માટે વકીલે 14 મહિના સુધી કાયદાકીય સંઘર્ષ કર્યો હતો અને હવે કોર્ટે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી હવે કશ્યપે સુરત કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે ડિરેક્ટર વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા જણાવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તા.૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ગરિમામય અવસરની શરૂઆત તા.૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેક્ટર ડો.સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો/એમ.નાગરાજન દ્વારા રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ
તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૫૦ મિનિટની આ ભવ્ય સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ના.મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
મુકેશ દલાલ: સુરત લોકસભા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા સાંસદ
મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી
હર્ષ સંઘવી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
પુરુષોત્તમ રૂપાલા, સાંસદ
પ્રફુલ પાનશેરિયા, મંત્રી, ગુજરાત રાજ્ય
કનુભાઈ દેસાઈ, નાણા અને ઉર્જા મંત્રી
અરવિંદ રાણા: સુરત પૂર્વ
કાંતિભાઈ બલર: સુરત ઉત્તર
કુમાર કાનાણી: વરાછા રોડ
પ્રવિણ ઘોઘારી: કરંજ
સંગીતા પાટીલ: લિંબાયત
હર્ષ સંઘવી: મજુરા
વિનુ મોરડિયા: કતારગામ
પૂર્ણેશ મોદી: સુરત પશ્ચિમ
મુકેશ પટેલ: ઓલપાડ
સંદીપ દેસાઈ: ચોર્યાસી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભાજપાએ 120માંથી 115 બેઠકો કબજે કરીને આમ આદમી પાર્ટીએ જ્યાંથી ગુજરાતમાં પગપસારો કર્યો હતો એ જ સ્થળેથી તેમનો સફાયો કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારના નભૂતો ન ભવિષ્યતિ વિજયમાં સુરત શહેર ભાજપા સંગઠનના સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ (પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન), મહામંત્રીઓ વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલીયા અને દુર્ગાપ્રસાદ પાંડે, ખજાનચી શૈલેષ જરીવાલા સમેત સમગ્ર સંગઠનની ટીમનો સિંહફાળો રહ્યો છે.
સુરત શહેર ભાજપા સંગઠનના હોદ્દેદારોએ બિલકુલ વિવાદમાં આવ્યા વગર, ચર્ચામાં રહ્યા વગર શાંત ચિત્તે કામ કરતી રહી અને આજે તેમની સફળતાએ એવો શોર મચાવી મૂક્યો છે કે ન પૂછો વાત. કેટલાક લોકો સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ, વિરલ ગીલીટવાલા, કરશન ગોંડલિયા, દુર્ગાપ્રસાદ પાંડેની ટીમને બિનઅનુભવી માનતા હતા અને આ ચૂંટણીમાં ભાજપા 2021 કરતા પણ ઓછી બેઠકો લાવશે એવી આગાહીઓ પીઠ પાછળ કરતા હતા, આજે આવી તમામ નકારાત્મક વાતો ફેલાવનારા ભાજપની અંદરના અને બહારના તમામ લોકોને પરચો મળી ગયો છે કે સુરત શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ કુનેહપૂર્વક કામગીરી બજાવીને આજે ભારતના સૌથી પહેલા નંબરના સ્માર્ટ સિટી સુરતમાં ભાજપાને ઝળહળતી સફળતા અપાવી લાવ્યા છે.
પરેશ પટેલ અને તેમની ટીમને નવા નિશાળીયા કહેવાવાળા ભેરવાયા
સુરત શહેર ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલના ખાસ વિશ્વાસુ મનાતા પરેશ પટેલની નિયુક્તિ પછી પરેશ પટેલે તેમની ટીમ બનાવી હતી. ત્રણ મહામંત્રીઓ નિમાયા અને એ પછી સંગઠનનું આખું માળખું રચાયું હતું. મોટા ભાગે 50 વર્ષથી ઓછી વયના લોકોને ભાજપના સંગઠનના પદો ફાળવવામાં આવ્યા ત્યારે ભાજપના જ કેટલાક બડબોલા સિનિયર નેતાઓ બોલી રહ્યા હતા કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખબર પડી જશે કે નવા નિશાળીયાઓને કારણે ભાજપાને કેટલું નુકસાન થશે, છેક મતદાન પૂરું થયું ત્યાં સુધી અનેક લોકોએ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને તેમની યંગસ્ટરની ટીમો સામે આકરાં સરશંધાન વવ્યક્ત કરવામાં કોઇ કચાશ છોડી નહતી. પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે ભાજપાના ફાળે 120માંથી 115 સીટો આવતા પરેશ પટેલ સામે બોલનારા તમામ નેતાઓના મોઢા સિવાય ગયા હતા અને પૂર્વ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના સમય કરતા પણ જોરદાર દેખાવ પરેશ પટેલના પ્રમુખપણા હેઠળ નોંધાયો છે.
1995થી શરૂ થયેલો સિલસિલો યથાવત્ જાળવી રાખ્યો પરેશ પટેલ અને તેમની ટીમે
સુરત મહાનગરપાલિકામાં 1995થી શરૂ થયેલો ભાજપા શાસનનો દબદબો 2026માં આજે 7મી વખત પણ યથાવત્ રહ્યો. સુરત મહાનગરપાલિકાની 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો ગુમાવવી પડી હતી. પરંતુ, આજે 2026ની ચૂંટણીની થયેલી મતગણના અંતે 120માંથી 115 બેઠકોની થમ્પિંગ મેજોરિટી સાથે સુરત મહાનપાલિકાએ સતત સાતમી વખત સુરત મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ભાજપા કરતા પણ ચૂંટણીની સભાઓ વધુ ગજવનાર આમ આદમી પાર્ટીએ ગઇ ચૂંટણીની 27 બેઠકો પૈકી 23 ગુમાવવી પડી છે અને આ વખતે આપ પાર્ટીના ફાળે માત્ર 04 બેઠકો જ્યારે કોંગ્રેસ માટે જેટલો વકરો તેટલો નફો, સમ ખાવા પૂરતી 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજય બની શક્યા હતા. સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડની 120 બેઠકોનું સરવૈયુ ચકાસીએ તો 115 ભાજપા, 04 આપ અને 01 બેઠક પર જ કોંગ્રેસ સિમીત બનીને રહી ગઇ છે.
સુરત મહાનગપાલિકાની ચૂંટણીમાં જેમ જેમ ભાજપાના ઉમેદવારોની આખે આખી પેનલોની જીતની જાહેરાતો થતી ગઇ હતી તેમ તેમ સુરત ભાજપાના 12 ધારાસભ્યોની બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ બદલાતો જોવા મળ્યો હતો. મત ગણતરી પૂર્વે સુધી કોઇ ધારાસભ્યો છાતી ઠોકીને કહી શકતા ન હતા કે તેમના ઉમેદવારો જીતી રહ્યા છે પરંતુ, આજે જ્યારે મતગણતરીની પ્રક્રિયામાં ભાજપાના ઉમેદવારોને મળી રહેલા મતોના ઢગલા જોઇને ધારાસભ્યોના કોલર ઉંચા થઇ જવા પામ્યા છે. આ વખતે ભાજપાના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના શાસનકાળમાં પહેલી વખત ધારાસભ્યો પાસેથી ઉમેદવારોનું લિસ્ટ માગીને મોટા ભાગના કિસ્સામાં ટિકીટ ફાળવવામાં આવી હતી અને ધારાસભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારી આપવામાં આવી હતી. આજે ભાજપાના 115 ઉમેદવારોનો વિજય થતાં ભાજપાના ધારાસભ્યોનો હરખ સમાતો ન હતો. અનેક ધારાસભ્યો પોતાને મળેલી જવાબદારી પૂર્ણ કરી હોવાના દાવાઓ મિડીયા ઇન્ટરવ્યુમાં કરી રહ્યા હતા.
ગઇ તા.26મીએ યોજાયેલા ચૂંટણી મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી સુરતના મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 30 વોર્ડની મતગણતરી માટે 10 હોલમાં 3 સેટમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષો અને અપક્ષોના કાઉન્ટિંગ એજન્ટોથી આખું ગાંધી કોલેજ કેમ્પસ ભરાયેલું રહ્યું હતું. પહેલા રાઉન્ડની મતગણના શરૂ થવાની સાથે જ ભાજપના ઉમેદવારો દરેકે દરેક રાઉન્ડમાં લીડ મેળવતા જણાયા હતા અને જોતજોતામાં તો એક પછી એક પહેલા સેટમાં 10 વોર્ડની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઇ ત્યારે 40 સીટોમાંથી 39 સીટો પર ભાજપા અને 01 સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. પહેલા સેટથી જ એવો ટ્રેન્ડ જોવાયો હતો કે આ વખતે પણ સુરત મહાનગરપાલિકામાં ભાજપાની ક્લીન સ્વીપ જોવા મળશે. પહેલા સેટમાં જ આમ આદમી પાર્ટીના મેયર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા મનોજ સોરઠીયા હારી ગયા હતા, જેને કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અણસાર આવી ગયા હતા કે હવે ભાજપાના ઉમેદવારો દરેકેદરેક વોર્ડમાં સફાયો બોલાવી દેશે.
અપેક્ષા મુજબ કોટ વિસ્તારમાં વોર્ડ નં.12 નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર અરસદ જરીવાલા 20769 મત મેળવીને ચોથા ક્રમે ઓપન કેટેગરીની સીટ પર વિજેતા નિવડ્યા હતા. આ સિવાય પહેલા સેટમાં 40માંથી 39 સીટો પર ભાજપાના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા.
મતગણતરીના બીજા સેટમાં 10 સીટોની 9 વોર્ડની 36 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે મતગણતરીના બીજા સેટમાં વોર્ડ નં.17 પૂણા પૂર્વમાં ચારેય બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજેતા નિવડ્યા હતા. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીના અસ્મિતા નિલેશ ધોરાજીયા, રચના અંકુર હીરપરા, પંકજ વ્રજલાલ ચાવડા અને ધર્મેશ ભંડેરી વિજેતા નિવડ્યા હતા.
આંજણા વોર્ડમાં જ્યાં કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાના પુત્ર વિજેતા બનશે તેવા દાવાઓ બિલકુલ પોકળ નિવડ્યા હતા. આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર ભાજપાના ઉમેદવારો મોટી લીડથી વિજેતા બન્યા હતા. એવી જ રીતે ઉધના, લિંબાયત વિસ્તારમાં ભાજપાના અમિતસિંહ રાજપૂત કે દિનેશ રાજપૂરોહિત જેવા નેતાઓ સામે લોકરોષ હોઇ, તેઓને જીતવામાં તકલીફ પડી જશે તેવી ચૂંટણી પૂર્વે વહેતી થયેલી વાતોનો આજે છેદ ઉડી ગયો હતો અને આજે આ વિસ્તારમાં તમામ બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો જ સારામાં સારી લીડથી વિજય થયો હતો.
મજૂરાગેટ સ્થિત કાઉન્ટિંગ સેન્ટર પર આજે બપોરે બાર વાગ્યાથી જ ભાજપાના ઉમેદવારોના વિજય સરઘસ નીકળવાના શરૂ થયા હતા. વિજેતા ઉમેદવારોને વિજય સરઘસ, રેલી કાઢવા માટે પરવાનગી મળી જાય તે માટે ગાંધી કોલેજના કેમ્પસમાં જ મંજૂરી આપનાર અધિકારીને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને એક પછી એક ભાજપાના ઉમેદવારો જેમ જેમ વિજેતા બનીને બહાર આવતા હતા એ તમામ વિજય સરઘસ સાથે પોતાના મત વિસ્તારોમાં રવાના થયા હતા.
1995માં સુરત મહાનગરપાલિકામાં ભાજપાએ ક્લીન સ્વીપ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી 2000, 2005, 2010, 2015 અને છેલ્લા 2021માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ ક્લીન સ્વીપ મેળવી હતી. અને એ વાતનું પુનરાવર્તન આજે સતત 7મી વખત 2026ની ચૂંટણીઓમાં પણ થયેલું જોવા મળ્યું હતું.
સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં લૂંટ ચલાવવાની ઘટના બની છે. આજે 27/04/2026 સોમવારે ધોળાદિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા(SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બૅન્કમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બૅન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બૅન્કના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી. જે બાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૅન્કે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લૂંટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની પ્રબળ શક્યતા છે.
કયા જિલ્લાઓમાં એલર્ટ?
26 એપ્રિલ: સુરત, પાટણ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી.
27 એપ્રિલ: અમદાવાદ અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને કચ્છમાં પણ ગરમીનું મોજું ફરી વળશે.
તાપમાનનો પારો ક્યાં પહોંચશે?
IMD ના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ થી 40ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આજે ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.
યલો એલર્ટ હેઠળ, હવામાન વિભાગે સામાન્ય જનતા માટે ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, નાના બાળકો, વૃદ્ધો અને બીમારી ધરાવતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ જણાવ્યું છે. સત્તાવાળાઓએ રહેવાસીઓને નીચે મુજબની સલાહ આપી હતી. જે મુજબ આવા લોકોએ વધારે સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ, હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને પુરતા પ્રમાણમાં પાણી પીવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે 24 એપ્રિલે મોડી રાત્રે પોલીસ મથક બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ટોળાએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. અંતે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં રહેતી એક સગીરા જ્યારે ઘરે જઈ રહી હતી, ત્યારે એક વિધર્મી શખ્સે તેની છેડતી કરી હતી. આ બાબતની જાણ સગીરાએ પોતાના પરિવારને કરતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરી સાથે થયેલી આ અશોભનીય ઘટનાને પગલે પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તુરંત જ લોકો ન્યાયની માંગ સાથે એકઠા થવા લાગ્યા હતા.
ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં અલથાણ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોની માંગ હતી કે નરાધમ વિધર્મી યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનની બહાર ‘જય શ્રી રામ’ના નારા અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભીડ એટલી વધી ગઈ હતી કે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાત્રે પોલીસ સ્ટેશન પાસે ઉમટેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવટના પ્રયાસો કર્યા હતા, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. ટોળું વધુ ઉગ્ર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતી જોઈ પોલીસે અંતે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા છેડતી કરનાર વિધર્મી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતની અગ્રણી સહકારી બેેંકોની યાદીમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઇ ચૂકી છે. આજે નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી પહેલી મિટીંગમાં વરાછા કો.ઓ. બેંકના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મનજીભાઇ કુકડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે બેંકના વાઇસ ચેરમેન તરીકે સી.એ. હરેશ ધીરુભાઇ કાપડીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ પ્રપોઝલને આખરી મંજૂરી અર્થે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવશે અને એ પછી વરાછા બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વિતેલા સપ્તાહે તા.5મી એપ્રિલે વરાછા બેંકની ચૂંટણી યોજાઇ હતી અને તા.7મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવી હતી. એ પછી વિજેતા ઉમેદવારોને વરાછા કો.ઓ. બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલી જાહેર કરવામાં આવ્યા હતા. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદીને નવી દિલ્હી સ્થિત સક્ષમ સત્તામંડળ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અને વિજેતાઓની યાદી પર મંજૂરીની મહોર લાગતા આજે તા.14મી એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારી શ્રી વાઘેલાની ઉપસ્થિતિમાં વરાછા બેંકની વડી કચેરી ખાતે વરાછા કો.ઓ. બેંકના નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ડિરેક્ટર નરેન્દ્ર કુકડીયાની નવા ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ કાપડીયાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ચૂંટણી અધિકારી હવે આ નિર્ણય પર આખરી મંજૂરીની મહોર મારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરશે. રિઝર્વ બેંક તેના પર મંજૂરીની મહોર મારશે. આ એક ઔપચારીક કાર્યવાહી પૂર્ણ કરવાની બાકી રહે છે.
સુરત, મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી ૫૫ વર્ષીય અંગદાતાશ્રી અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.
ઘટના અનુસાર તા. ૧૦ એપ્રિલ’૨૦૨૬ ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા બાદ, આશરે ૨:૩૦ વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતાને ત્યાજ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી.
અંગદાન સમગ્ર પ્રક્રિયામાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, દીલીપદાદા દેશમુખ (અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ), બાબુભાઈ વિરડીયા (સમાજ સેવક), દિનેશભાઈ નાવડિયા(ડાયમંડ હોસ્પિ), વલ્લભભાઈ ચોથાણી, ડો. કેતન કાનાણી, ડો. હર્ષિતા સાવલિયા, ડો. શિવાની ડાંખરા, ડો. કિરણ પરમાર, ડો. જેનિશ ત્રપસીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. મીરાલી જસાણી, ટીમ જીવનદીપના અનેક સભ્યો નીતિનભાઈ ધામેલીયા, જસ્વીનભાઈ કુંજડીયા, બીપીનભાઈ તળાવીયા, આશિષભાઈ સાવલિયા, વૈજુલ વિરાણી, વિપુલભાઈ કોરાટ, અભિષેક સોનાણી, સાગર કોરાટ, રાજ ગોધાણી, સ્મિત ઠુંમર, યુગ તળાવીયા, જીત ડોબરીયા, સતીશ ભંડેરી, ચૈતન્ય ત્રિવેદી અને ક્રિશ પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હૃદય: યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા: KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની: IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ- ૭ દર્દીઓને નવજીવન મળ્યું છે.
પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.
“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન” “એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે” “જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત સંપર્ક:- ૯૯૭૮૪ ૪૧૦૦૦ / ૯૯૦૪૪ ૪૧૦૦૦
સોશ્યલ મિડીયાને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં હાઇપ્રોફાઇલ બનેલી વરાછા કો.ઓ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં આજે યોજાયેલી મતગણતરીના અંતે સત્તાધારી પક્ષની સહકાર પેનલના તમામ 12 ઉમેદવારોનો ખાસ્સા માર્જિનથી વિજય થયો હતો. સોશ્યલ મિડીયામાં ચૂંટણી જીતવાનો દાવો કરનારા 4 ઉમેદવારો મતગણતરીના પહેલા રાઉન્ડથી સતત પછડાતા ગયા હતા અને છેલ્લા પાંચ હજાર કરતા વધુ મતોના માર્જિનથી તમામ ચારેય ઉમેદવારોએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 31 વર્ષ પૂર્વે સ્થપાયેલી વરાછા મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંકના વહીવટમાં અત્યાર સુધી જેમનો દબદબો હતો એવા બેંકના સ્થાપક પીબી ઢાકેચા અને કાનજી ભાલાળા જેવા આગેવાનો હવે વહીવટની બહાર થઇ ગયા હોવાની ચર્ચાઓ પણ વરાછામાં વ્યાપક પણે શરૂ થવા પામી છે.
ગઇ તા.5મી એપ્રિલને રવિવારે વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાલી પડેલી 12 બેઠકો માટે મતદાન યોજાયું હતું અને એ પછી આજે મંગળવારે સવારે 8ના ટકોરે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 9766 મત પડ્યા હતા, જે પૈકી આજે 10 ટકા એટલે કે 981 મતો રદ બાતલ જાહેર કરવામાં આવ્યા હતા. રદ કરાયેલા મતો એવા હતા કે જેમાં કોઇક મતદારે 12ની જગ્યાએ વધુ સંખ્યામાં અને કેટલાક મતદારોએ તો તમામ 18 ઉમેદવારોને મત આપ્યા હતા. કેટલાક મતો યોગ્ય રીતે ચોકડી નહીં મારવાના કારણે રદ કરવામાં આવ્યા હતા. આજે કુલ ત્રણ રાઉન્ડની મતગણતરી હાથ ધરવામા આવી હતી. જેમાં પહેલા જ રાઉન્ડથી સત્તાધારી પક્ષની સહકાર પેનલના ઉમેદવારોને 75 ટકા મતો મળતા ગયા હતા. ચૂંટણી મતદાન પૂર્વે બે ઉમેદવારોએ સત્તાધારી પક્ષની સહકાર પેનલના સમર્થનમાં નામ પાછું ખેચી લીધું હતું, આમ છતાં સરકારના ચૂંટણીના નિયમો મુજબ એ ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને એ ઉમેદવારોને પણ 1 હજારથી વધુ મતો મળ્યા હતા. સહકાર પેનલમાં સૌથી વધુ મતો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા બાબુભાઇ રાદડીયાને 7926 મળ્યા હતા. વીવીંગ ઉદ્યોગના આગેવાન હરીભાઇ કથિરીયાને 7692 જ્યારે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીને 7621 મતો મળ્યા હતા.
અત્રે એ નોંધનીય છે કે 31 વર્ષના વરાછા બેંકના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી યોજવી પડી છે અને આ ચૂંટણીમાં પણ પહેલીવહેલી વખત સ્થાપક પીબી ઢાકેચા કે વરાછા બેંકનું અત્યાર સુધી નેતૃત્વ કરનાર કાનજી ભાલાળાનું નામ ક્યાંય ચર્ચામાં નહતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.