CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 6 of 81 - CIA Live

March 30, 2026
image-13.png
1min71

ભારતમાં સતત મેટ્રો સેવાનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ મેટ્રો સેવાથી જોડાઈ ગયું છે. ત્યારે હવે મેટ્રો સેવા રાજ્યના ડાયમંડ સિટીમાં પણ મેટ્રો સેવાના પગરણ મંડાયા છે. સુરત શહેરના ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થતા આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશનો વચ્ચેના 8.5 કિમી લાંબા એલિવેટેડ વાયડક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે, જે શહેરના પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.

મેટ્રો અધિકારીઓના જણાવ્યા મુજબ, સિસ્ટમ ટેસ્ટિંગના ભાગરૂપે આ રૂટ પર અંદાજે 500 કલાક સુધી ટ્રાયલ ઓપરેશન ચલાવવામાં આવશે. આ કોરિડોર પર ટ્રેક બિછાવવાનું કામ અને ટ્રેક્શન પાવર માટે જરૂરી ‘થર્ડ રેલ સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરવાનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા તમામ સાત સ્ટેશનોનું માળખાકીય કામ પૂરું થઈ ગયું છે, જ્યારે હાલમાં એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સહિતની અન્ય ફિનિશિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

હવે પછીના તબક્કામાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) અને કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (CMRS) દ્વારા સુરક્ષા અને કામગીરીની સજ્જતાની કડક તપાસ કરવામાં આવશે. આ સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ, આ કોરિડોરને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

March 12, 2026
ઓટો-એક્ષ્પો-1280x879.jpg
2min138

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬’નું તા. ૧૩ માર્ચથી ૧૬ માર્ચ ર૦ર૬ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ–વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્ષ્પો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૩ માર્ચ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, સરસાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસા ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ્‌ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોના ઉદ્‌ઘાટન પ્રસંગે રાજ્ય સભાના માનનીય સાંસદશ્રી અને એસઆરકે ગૃપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયા અને કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂકભાઇ પટેલ મુખ્ય મહેમાનો તરીકે સ્થાન શોભાવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવ અતિથિ વિશેષ તરીકે શોભા વધારશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં એક જ છત નીચે સંપૂર્ણ ઓટો સોલ્યુશન મળી રહેશે. અહીં માત્ર વાહનો જ નહીં, પરંતુ ઓટો એસેસરીઝ, સ્પેરપાટ્‌ર્સ અને ખાસ કરીને ઇલેકિટ્રક વ્હીકલ્સ (EV) તથા હાઇબ્રીડ વ્હીકલ્સ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેનું એકિઝબિટર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ વર્ષે મુલાકાતીઓ માટે સ્થળ પર જ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો પસંદગીના વાહનનો અનુભવ કરી ત્વરિત ખરીદી કરવાનો નિર્ણય લઈ શકશે.

એક્ષ્પોની મુખ્ય વિશેષતાઓ અને બ્રાન્ડ્‌સ

ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્‌સ ભાગ લઈ રહી છે.

ટુ–વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એન્ફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેકિટ્રક, બજાજ ચેતક, કેટીએમ, ટ્રાયમ્ફ યામાહા, ટીવીએસ તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ મઝદાના અને મહિન્દ્રાના વાહનો જોવા મળશે.

ખાસ આકર્ષણ

૧૦ જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્ષ્પોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૧૦ નવા પેસેન્જર વ્હીકલ્સનું અને ૩ કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઈલિંગ આ એક્ષ્પોમાં કરવામાં આવશે. તદુપરાંત, સ્ટંટ બાઈક શો અને ઓફ–રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.

ઓટો એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી કનુભાઇ મોદી અને શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સને ઓટો એક્ષ્પોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઇલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એકસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

February 17, 2026
societynews-1280x1040.jpg
1min113

કલાસંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્‌ટ્‌સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.

સમાજમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો ચેમ્બરનો પ્રયાસ

આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.

કલાકારો માટે ભાગ લેવા તક

કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.

આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

February 11, 2026
image-16.png
1min83

Surat Metro: સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલની મુશ્કેલ કામગીરી આખરે પુરી થઈ છે. TBM(ટનલ બોરિંગ મશીન) જમીનમાંથી નિર્ધારિત જગ્યાએ બહાર આવતા એન્જિનિયરો- કર્મચારીઓ અને કામદારો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહેલી સુરત મેટ્રોની કામગીરીનો સંવેદશીલ તબક્કો આજે પૂર્ણ થયો છે. શહેરનો કોટ વિસ્તાર સુરતનો સૌથી જુનો વિસ્તાર હતો. અંડરગ્રાઉન્ડ ટનલ માટે જમીનની નીચે 12 મીટર પર TBM મશીન દ્વારા કામ થઈ રહ્યું હતું. જે મેટ્રો માટે મોટો પડકાર હતો. કામગીરી કોઈ વિધ્ન વગર સપન્ન થતાં ઉજવણી કરાઈ હતી.

મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મશીન જમીન સપાટીની અત્યંત નજીક હોવાથી અને વાઇબ્રેશનના કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસની મિલકત ખાલી કરાવવામાં આવી હતી. મિલકત પર સંભવિત ખતરો જોતા સ્થાનિકોમાં ભારે ઉચાટ હતો પરંતુ આજે કોઈ પણ જાતની નુકસાન વગર મશીન જમીનમાં બહાર આવ્યું હતું. જેથી સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ના જણાવ્યા અનુસાર, ‘કોરિડોર-1 (સરથાણા થી ડ્રીમ સિટી) પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. ડાઉનલાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. આજે 10 ફેબ્રુઆરીએ જે બ્રેક થ્રુ મળ્યું તે સુરત મેટ્રોના ફેઝ-1 માટે ખૂબ જ મહત્વનું છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે’

TBM બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

January 29, 2026
laxmi-diamond-raid.png
1min180

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો પર 28 જાન્યુઆરી બુધવારના રોજ વહેલી સવારથી આવકવેરા વિભાગે સુરતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

આવકવેરા વિભાગની DDI (ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ઇન્વેસ્ટિગેશન) વિંગ પાસે આ ગ્રુપના વ્યવહારો અંગે અગાઉથી જ સચોટ માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી. 

અધિકારીઓએ ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આઇટી વિભાગ દ્વારા લેટેસ્ટ ‘હવાલા નેટવર્ક’ના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ગજેરા પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારો પર પણ તંત્રએ ગાળિયો કસ્યો હતો. જેમાં અનિલ બગદાણા, તરુણ ભગત અને પ્રવિણ ભૂતના રહેણાક મકાનો, ઓફિસો અને રિયલ એસ્ટેટના સાઈટ પ્રોજેક્ટ્સ સહિત અનેક સ્થળોએ ટીમો દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

ગજેરા પરિવાર જેવી મોટી હસ્તીઓ પર આઈટીના દરોડા પડતા જ સુરતના હીરા બજાર અને બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, આ તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી પકડાઈ શકે તેવી શક્યતા છે. 

ગજેરા પરિવાર પર આઈટીના દરોડાને રાજકીય એન્ગલથી પણ જોવામાં આવી રહ્યો છે. કારણ કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા રાજકીય સંબંધો માટે જાણીતા છે. અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે નિશાન સાધતા હોવાથી સતત ચર્ચામાં રહ્યા છે. આ સંજોગોમાં આઈટી વિભાગની કાર્યવાહીએ બિઝનેશ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

January 28, 2026
Cia_business_news-1280x936.jpg
1min95

77મા ગણતંત્ર દિવસના અવસરે સુરત–તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)ને ભારત સરકારના નાણાં મંત્રાલયના આવક વિભાગ હેઠળના CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, સુરત કમિશનરેટ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સન્માન આર્થિક વર્ષ 2024–25 દરમિયાન GST રિટર્ન સમયસર ફાઇલ કરવા તેમજ GST ની નિયમિત ચુકવણી બદલ આપવામાં આવ્યું છે.

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ નિયમિત અને જવાબદાર કર પાલનને રાષ્ટ્રના મજબૂત અને સ્થિર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે માન્યતા આપવામાં આવી છે. પ્રમાણપત્ર કમિશનર (IRS) ડૉ. મનપ્રીત અરોરા દ્વારા તા. 26 જાન્યુઆરી 2026ના રોજ એનાયત કરવામાં આવ્યું હતું, જે સુમુલ ડેરી તરફથી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.એ. અરુણ પુરોહિત એ સ્વીકાર્યું હતું. આ સન્માન સુમુલ ડેરીની મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક શાસન અને જવાબદાર સહકારી કાર્યશૈલીનું પ્રતિબિંબ છે. સુરત અને તાપી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તથા ગ્રાહકોને સેવા આપતી સુમુલ ડેરી સહકારી મૂલ્યો સાથે દેશની અર્થવ્યવસ્થામાં સતત યોગદાન આપી રહી છે.

સહકાર આધારિત કાર્યપદ્ધતિ અને ખેડૂતોની ભાગીદારીથી સંચાલિત સુમુલ ડેરી “સહકારથી સમૃદ્ધિ” ના મૂળમંત્રને સાર્થક કરતી આગવી સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે.

January 18, 2026
image-7.png
1min165

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે અને આજે રવિવારે 18/01/26 સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા સુરત એરપોર્ટ પર ફ્લાઇટના આવાગમનને ઘેરી અસર થઈ હતી.

મળતી માહિતી મુજબ આજે 18/01/26 સવારે એક વાગ્યા સુધીની કમ સે કમ 6 ફલાઈટ અને પરત ફરનારી 6 મળીને 12 ફ્લાઈટોના એરાઇવલ તથા ડિપાર્ચરમાં ભારે વિલંબ થયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની સવારે 8:25 કલાકે સુરત આવનારી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

આજે 18/1/26 લેટ થયેલી ફ્લાઈટની વાત કરીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત સમય 7:30 કલાકનો હતો તેને બદલે એ ફ્લાઈટ 10.17 સુરત એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. એવી જ રીતે હૈદરાબાદથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત એરાઇવલ ટાઈમ સવારે 7.50 કલાકનો છે, તેની જગ્યાએ એ ફ્લાઈટ આજે રવિવારે બપોરે 12.09 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી સુરત આવતી સવારે 8:00 કલાકની ફ્લાઈટ બપોરે 12:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ચેન્નાઈ થી સવારે 11:25 કલાકે સુરત આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ એક કલાક મોડી પહોંચી હતી.
એરાઇવલ ફ્લાઈટોમાં જે રીતે વિલંબ થયો હતો તેવો જ વિલંબ ડિપાર્ચરમાં પણ થયો હતો. સુરતથી બેંગ્લોર, દિલ્હી, બેંગકોક, દુબઈ અને પુને જનારી લાઇટોમાં એકથી ત્રણ કલાક જેવો વિલંબ થયો હતો.

આજે સુરત એરપોર્ટ પર ફ્લાઇટોનું સમયપત્રક વાતાવરણ તેમજ કેટલાક ટેકનિકલ ઇશ્યુને કારણે ખોરવાયું હતું જેને કારણે સુરત એરપોર્ટ પરથી આવાગમન કરનારા સેંકડો મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

January 2, 2026
cia_multi-1280x1045.jpg
1min265

2026નો આરંભ સુરતની એરકનેક્ટિવિટી માટે નકારાત્મક રહ્યો છે. તા.1લી જાન્યુઆરી 2026થી જ સુરતના ઉદ્યોગપતિઓએ શરૂ કરેલી પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટ કે જે ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સર્વિસ (આર.સી.એસ.) અન્વયે કાર્યરત હતી તેની તમામ ફ્લાઇટ્સ અચોક્કસ મુદત માટે રદ કરી દેવામાં આવી છે. વેન્ચુરા એરકનેક્ટ સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જેવા ગુજરાતના ડેસ્ટિનેશન્સ પર ટચૂકડા વિમાનો ઉડાડતી હતી.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમની અવધિ પૂર્ણ થઇ ચૂકી છે અને વેન્ચુરા એરકનેક્ટનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હોવાના કારણે સુરતના ઉદ્યોગપતિઓની પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના ઓપરેશન્સને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એવી માન્યતા સેવાય રહી છે કે ગુજરાત સરકાર સંભવતઃ વેન્ચુરા એરકનેક્ટને મુદત વધારીને ઓપરેશન શરૂ કરવાની પરવાનગી આપી શકે છે અથવા તો નવેસરથી ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરી શકે છે. જોકે, આ અંગે ન તો ગુજરાત સરકાર તરફથી ન તો વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન તરફથી સત્તાવાર રીતે કોઇપણ પ્રકારની માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી.

વેન્ચુરા એરકનેક્ટના કસ્ટમર કેર પર પૂછપરછ કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે જાન્યુઆરી 2026ના મહિના માટે વેન્ચુરા એરકનેક્ટની કોઇ ફ્લાઇટ શિડ્યુલ કરવામાં આવી નથી એટલે જાન્યુઆરી 2026ની ફ્લાઇટ્સના બુકિંગ વેબસાઇટ પર બતાવવામાં આવતા નથી.

વેન્ચુરા એરકનેક્ટ પ્રાઇવેટ એરલાઇનના પ્રમોટર તરીકે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકીયા અને લવજી બાદશાહ છે.

December 31, 2025
Cia_business_news-1280x936.jpg
3min112

દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ વર્તમાન ચેરમેન દિનેશ નાવડીયાએ આઇડીઆઇની કરેલી કાયાપલટને બિરદાવી

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયૂટ (IDI ) વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત અને છેલ્લા 48 વર્ષો થી જેમ્સ અને જ્વેલરી ટ્રેડ માટે તાલીમ આપતી ભારતની અગ્રગણી સંસ્થાછે ઉપરાંત સંસ્થાની IDI-GEM TESTING LABORATORY દ્વારા ડાયમંડ જ્વેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate , કલર સ્ટોન ટેસ્ટીંગ Certificate અને મોઝેનાઇટ ટેસ્ટીંગ Certificate આપવામાં આવે છે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકીકરણ અંતર્ગત નવિનીકરણ પામેલ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી,ઓડિટોરિયમ તેમજ સુવિધાસંપન્ન વહીવટી ઓફિસ અને બોયસ હોસ્ટેલ , કેડ (CAD) જ્વેલરી ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન મેન્યુઅલ અને પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગના ઉદ્ઘાટન સમારોહનું આયોજન તારીખ 30 ડિસેમ્બર, મંગળવારે સવારે 10: 30 કલાકે રાખવામાં આવ્યું હતુ.
આ સમારોહમાં માનનીય સાંસદ(રાજ્યસભા)અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ માનનીય સાંસદ(રાજ્યસભા), ભારતસરકાર તથા શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા નવિનીકરણ પામેલ સુવિધાઓની તકતીનું અનાવરણ કરી પ્રતિકાત્મક ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી દ્વારા નવનિર્મિત જેમલોજિકલ લેબોરેટરીનું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

નવનિર્મિત કેડ(CAD) ડિપાર્ટમેન્ટ (જ્વેલરી) નું ઉદઘાટન શ્રી મુકેશભાઈ કારગર (SMD Rays ) દ્વારા કરવામાં આવ્યું હતુ.
જ્વેલરી ડિઝાઇન (મેન્યુઅલ) ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા અને ભૂતપૂર્વ રિજિયોનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

ત્યારબાદ સંસ્થાના નવનિર્મિત પોલિશ્ડ ડાયમંડ ગ્રેડિંગ ડિપાર્ટમેન્ટ નું ઉદઘાટન ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાની બોયઝ હોસ્ટેલ નું ઉદઘાટન ડો. વજુભાઈ માવાણી, પ્રમુખશ્રી, શ્રી તાપીબ્રહ્મચર્યાશ્રમ સભા સુરત દ્વારા કરવામાં આવ્યું હતુ. સંસ્થાના ઓડિટોરિયમનું ઉદઘાટન શ્રી મુકેશભાઈ પટેલ, ગ્રીન લેબ દ્વારા કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમની શરુઆત સંસ્થાના ઓડિટોરિયમમાં પ્રાર્થનાથી થઇ હતી અને મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ.

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીર જોશી દ્વારા સર્વ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાની શરૂઆત 13 મે 1978 થી કરવામાં આવી હતી અને એનો ઉદ્દેશ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કારીગરોને સ્કીલ ડેવલપમેન્ટ અને તાલીમ પૂરો પાડવાનો હતો અને 1992- 93 થી સંસ્થામાં જ્વેલરી નો કોર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. આ રીતે સંસ્થા નિરંતર ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી ને માનવબળ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે.

દિનેશભાઈ નાવડિયા દ્વારા માનનીય સાંસદ(રાજ્યસભા)શ્રી ગોવિંદભાઈ ધોળકિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરભાઈ જોશી દ્વારા કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી વલ્લભભાઈ લાખાણી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી અનિમેષ શર્મા દ્વારા ગ્રીન લેબ ના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

IDI ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સુભાષ પારિક દ્વારા ધર્મનંદન ડાયમંડ ના ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ટ્રેનિંગ કોઓર્ડીનેટર શ્રી જયેશભાઈ દ્વારા જેમ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયાએ અતિથિઓ તથા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીના આગેવાનોને સીએસઆર ફંડ અંતર્ગત આઈડીઆઈને એના વિવિધ ડિપાર્ટમેન્ટ અને લેબોરેટરીના આધુનિકીકરણ માટે ફંડ માટે અપીલ કરવામાં આવી હતી દેશ અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ જેમ્સ અને જ્વેલરી ટ્રેડમાં જ્ઞાન મેળવવા માટે આઈડીઆઈમાં આવે છે તો એમને સારી સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રકચર મળી રહે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ માટે દાનની શરૂઆત શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના આગેવાનો અને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું હતું. શ્રી દિનેશભાઈ દ્વારા સુરત જ્વેલરી એસોસિએશનના શ્રી અમિતભાઈ કોરાટ તથા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી જયંતીભાઈ સાવલિયા નો આભાર માનતા જણાવ્યું હતું કે એમના દ્વારા જે ROOTZ એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું હતું ત્યાં પણ IDI ના નેચરલ, લેબગ્રોન, જેમસ્ટોન વગેરે સર્ટિફિકેટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ગ્લોસ્ટાર ના ચેરમેન શ્રી કેશુભાઈ ગોટી એ સંસ્થાના ચેરમેન શ્રી દિનેશભાઈ અને એમની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આશરે ૩૫000થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી તાલીમ લઈ પગભર થયા છે. તેમણે જણાવ્યું હતું કે દિનેશભાઈ સંસ્થાનો જે વિકાસ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે પરંતુ હજુ વધુ વિકાસની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે સ્કિલ ડેવલપમેન્ટ સૌથી વધુ સૌથી મોટું કાર્ય છે કારણ કે કૌશલ્ય પ્રાપ્તિથી માણસ દ્વારા જ ઘર સમાજ કે દેશનો વિકાસ થઈ શકે છે.

માનનીય સાંસદ(રાજ્યસભા) શ્રી ગોવિંદભાઈ ધોળકિયા પોતાના ઉદબોધનમાં શ્રી દિનેશભાઈ નાવડીયા અને એની ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે IDI ને નવિનીકરણ કરી જૂનામાંથી એકદમ નવું બનાવી દીધું છે. એમણે જણાવ્યું હતું કે હાલમાં પાયાના પથ્થર તરીકે ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન દરેક હાજર છે. જ્યારે આઈડીઆઈ 47 વર્ષ પહેલાં બન્યું ત્યારે પાયામાં જે લોકો સાક્ષી છે તેઓને ખૂબ જ વધારે આનંદ થયો છે જે રીતે નવિનીકરણ થયું છે અને નવી ટેકનોલોજી દ્વારા ભારતના ભાવિ ને વધુમાં વધુ ન્યાય મળે એવું સક્ષમ બને. દરેક વસ્તુ સિક્કાની બે બાજુ છે એમ પહેલા IDI ને નવિનીકરણ કરી સંપૂર્ણ આધુનિકીકરણ કરવું તો સારી સુવિધા મળવાથી વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સંસ્થા ઉત્તરો ઉત્તર ખૂબ જ પ્રગતિ કરશે અને જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીને પણ તેનો લાભ મળશે.

સંસ્થાની જેમ ટેસ્ટીંગ લેબોરેટરીના નવા ડિઝાઇન કરેલા નેચરલ ડાયમંડ જ્વેલરી, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી, લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન ) ટેસ્ટીંગ Certificate તથા કલરસ્ટોન ટેસ્ટીંગ Certificate માટે ભારત સરકારના રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ”વાળા નવા સર્ટીફીકેટનું અનાવરણ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીશ્રી ના વિઝનને અનુલક્ષી“મેક ઇન ઇન્ડિયા” ને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની “ટેસ્ટ ઇન ઇન્ડિયા”પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકારના માધ્યમથી ભારતનું રાષ્ટ્રીય ચિન્હ “અશોક સ્તંભ” સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મુખ્યઅતિથિ અને અતિથિવિશેષશ્રીઓ દ્વારા માનવંતા તમામ દાતાશ્રીઓનું અભિવાદન કરી અને સ્મૃતિચિન્હ અર્પણ કરી આભાર માનવામાં આવ્યો હતો.

સમારંભના અંતમાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સમીરકુમાર જોશી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

December 20, 2025
Cia_business_news-1280x936.jpg
1min257

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્તમાન પ્રેસિડેન્ટ નિખીલ મદ્રાસીએ વિદેશોમાં સુરતના ઉદ્યોગપતિઓનું નેટવર્ક વિકસે એ માટે કરેલા પ્રયાસો ફળદાયી નિવડી રહ્યા છે. ગત નવેમ્બર 2025માં સુરતના દિગ્ગજ ઉદ્યોગકારોને લઇને બોત્સવાના ગયેલા નિખિલ મદ્રાસીએ ચિંન્ધેલા રસ્તે હવે સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ ફારૂખ પટેલ બોત્સવાનામાં સોલાર પાવર પ્લાન્ટ વિકસાવવા જઇ રહ્યા છે અને આ માટે જંગી રકમનું મૂડીરોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. આ અંગે બોત્સવાના મંત્રી અને ફારુખ પટેલની કંપની કે.પી. વચ્ચે એમ.ઓ.યુ. સાઇન થયા હોવાનું જાણવા મળે છે.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરતના ઉદ્યોગકારોનું બિઝનેસ ડેલિગેશન પણ તા. 10-14 નવેમ્બર દરમ્યાન બોત્સ્વાનાની મુલાકાતે ગયું હતું. આ અત્યંત ફળદાયી મુલાકાત હવે ભારત-બોત્સવાના જ નહીં પણ ગુજરાત-બોત્સવાના વચ્ચે સહયોગની દિશામાં આગળ વધી રહી છે અને તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

ચેમ્બર દ્વારા જાન્યુઆરી 2026માં ગ્લોબલ વિલેજની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉદ્‌ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે બોત્સવાનાના રાષ્ટ્રપતિ માનનીય એડવોકેટ દુમા ગીડિયોન બોકો તેમનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે તા. 22થી 25 જાન્યુઆરી 2026 દરમ્યાન સુરત પધારી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બરની મુલાકાત દરમ્યાન બોત્સવાના રાષ્ટ્રપતિના કાર્યાલય ખાતે ચેમ્બરના  પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી સહિતના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઇ હતી, જેમાં રાષ્ટ્રપતિ એડવોકેટ દુમા ગીડિયોન બોકો તથા ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના મંત્રી, પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ધ પ્રેસિડેન્ટ, બોત્સવાનાના ભારત સ્થિત હાઈ કમિશનર, BITC ના સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ બોત્સવાના રાષ્ટ્રપતિ તથા મંત્રી મંડળને સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. 24થી 26 જાન્યુઆરી, 2026 દરમ્યાન યોજાનારા SGCCI ગ્લોબલ વિલેજ 2026 માટે આમંત્રણ આપ્યું હતું. જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. તેમની સુરત મુલાકાતની પુષ્ટિ થઈ છે અને તેના અનુસંધાને બોત્સવાનાના ઊર્જા મંત્રી તેમજ ભારત સ્થિત બોત્સ્વાનાના રાજદૂત તથા ઉચ્ચ અધિકારી સાથે બુધવારે તા. 17 ડિસેમ્બરના રોજ ચેમ્બરના હોદ્દેદારો સાથે મીટિંગ કરીને રાષ્ટ્રપતિની સુરત મુલાકાતના કાર્યક્રમો અને એજન્ડાને આખરી ઓપ આપ્યો હતો.

બોત્સવાનાની મુલાકાત દરમ્યાન ચેમ્બરે ટ્વિન સિટીનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો જેમાં શહેરી વિકાસ, ટેકનોલોજી અને ટેલેન્ટ એકસચેન્જ, મેડિકલ ટુરિઝમ, શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે એકસચેન્જ કાર્યક્રમ અને બિઝનેસ પ્રતિનિધિમંડળોની નિયમિત આપલે તથા પ્રદર્શનો વિગેરે ક્ષેત્રોની ચર્ચા થઇ હતી. આ પ્રસ્તાવનો પણ સકારાત્મક પ્રતિસાદ આપતા બોત્સ્વાનાના રાષ્ટ્રપતિની સુરત મુલાકાત દરમ્યાન જ સુરત અને ગેબરોન ટ્વીન સિટી માટે સમજૂતી થવાની અપેક્ષા છે. આમ ગુજરાત અને બોત્સ્વાના વચ્ચે નવા આર્થિક સહયોગ અને વધુ ગાઢ સંબંધોનાં નિર્માણમાં ચેમ્બર અગ્ર સંસ્થા તરીકે ઊભરી રહી છે. થોડા સમય પહેલાં જ ચેમ્બરના નિમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ સુરતની મુલાકાતે આવ્યા હતા.

KP Group દ્વારા બોત્સ્વાનામાં  36,000 કરોડનું મેગા રોકાણ

5 ગિગાવોટ સોલાર પ્રોજેક્ટથી ઝીરો એમિશન તરફ મોટું પગલું

ચેમ્બરનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ નવેમ્બરમાં બોત્સ્વાનાની મુલાકાતે ગયું તેમાં સુરતના કેપી ગ્રુપના ડૉ. ફારૂક જી. પટેલનો પણ સમાવેશ થતો હતો. આ વિઝિટની પહેલી ફળશ્રુતિ લેખે પહેલું કહી શકાય તેવું વિન્ડ-સોલાર સહિત રિન્યુએબલ એનર્જી રોકાણ સુરતથી થયું છે. કેપી ગ્રુપ બોત્સ્વાનાની ઝીરો એમિશન પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા માટે બોત્સવાનાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં રૂ. 36000 કરોડનું રોકાણ કરશે.  કેપી ગ્રૂપે 4 બિલિયન યુએસડી (રૂ. 36000 કરોડ)નાં રોકાણ માટે બોત્સવાના સરકાર સાથે એમઓયુ કર્યા છે. બોત્સવાનાનાં ખનિજ અને ઊર્જા મંત્રી સુશ્રી બોકોલો જોય અને કેપી ગ્રુપ વચ્ચે થયેલા આ એમઓયુ મુજબ બોત્સવાનાનું ઊર્જા અને ખનિજ મંત્રાલય કેપી ગ્રુપ સાથે સંયુક્ત રીતે રિન્યુએબલ એનર્જી  વિકસાવશે અને બોત્સવાનાની સ્વચ્છ ઊર્જાને 5 ગિગાવોટ સુધી લઈ જશે.  આ પ્રોજેક્ટ 5 વર્ષમાં તબક્કાવાર હાથ ધરાશે જેમાં 2027માં 500 મેગાવોટ, 2028માં 2500 અને 2030 સુધીમાં 5 ગિગાવોટ પૂર્ણ થશે. આનાથી પ્રોજેક્ટ દરમ્યાન 7000 અને પ્રોજેક્ટ બાદ 1500થી વધુ લોકોને રોજગાર મળશે અને 1 લાખ ઘરોને સોલર વીજળી મળશે. આ માટે 25000 એકર જમીન બોત્સવાના સરકાર આપશે અને ભારત સરકાર રોકાણને સુરક્ષિત કરશે. સમજૂતીના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાનાના નાગરિકોને વર્ષે 30 સ્કોલરશિપ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે આપશે.