
- ગીરનાર પર્વત ઉપર દુકાનોના છાપરાં, બાંકડા ઉડયા : પાલિતાણામાં દીવાલ પડતાં એક મૃત્યુ
- ઉત્તર ગુજરાતના શણગાલ ગામે 2પ મકાનોના છાપરાં ઉડયા : ચાર પશુના મૃત્યુ
- વેરાવળમાં 14 હોડી ડૂબી, પાંચ ફીશીંગ બોટને નુકસાન : જામનગરમાં 182 વીજ ફીડરને અસર



મેઘાણીનગર વિસ્તારમાં આવેલી કેરાલા રાજ્યની એક ખાનગી ફાયનાન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર બ્રાન્ચ બંધ થઈ ગયા બાદ તમામ સીસીટીવી કેમેરા બંધ કરી પોતાની પાસે રહેલી ચાવીથી તિજોરીઓ ખોલી લોકોએ ધિરાણ પર મુકેલા રૂ. 2.32 કરોડ સોનાના દાગીના અને રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેરેલાની એક ખાનગી ફાઇનાન્સ કંપનીની અમદાવાદ બ્રાન્ચમાં ગ્રાહકોને સોના સામે લોન આપી ગ્રાહકોનું સોનું ખાનગી ફાયનાન્સના લોકરમાં મૂકવામાં આવ્યા હતા.
મેઘાણીનગરની બ્રાન્ચમાં એક મહિના પહેલા અમીધર બારોટ બ્રાન્ચ મેનેજર તરીકે જોડાયો હતો. બંને લોકરની બે-બે ચાવી અમીધર પાસે રહેતી હતી. બ્રાન્ચ મેનેજર અમીધર અને અન્ય કર્મીઓ સાંજના છ વાગ્યાની આસપાસ બ્રાન્ચ બંધ કરીને ઘરે ગયાં હતાં અને બ્રાન્ચનો છેલ્લોે સ્ટોક જે તિજોરીમાં સોનું રાખ્યું હતું તે કુલ 593 પેકેટ બેન્કમાં હતા. સવારના નવ વાગ્યે કર્મીઓ ઓફિસ પહોંચ્યાં ત્યારે બ્રાન્ચનું શટર ખુલ્લું હતું અને બોક્સમાં સોનાનું પેકેટ ન મળતાં ઓફિસમાં તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર અમીધરને આપેલી ચાવીઓ ઓફિસના ટેબલ પર પડી હતી. તે ચાવીઓ વડે બીજી તિજોરી ખોલી તો તેમાં પણ ગ્રાહકોનાં જે સોનાનાં પેકેટ મૂકેલાં હતાં તે પણ ગાયબ હતાં. જેથી કર્મચારીઓએ બ્રાન્ચ મેનેજર અમીધરનો સંપર્ક કર્યો હતો, પરંતુ બ્રાન્ચ મેનેજર અમીધરે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફોબર્સ મેગેઝીને જારી કરેલી વિશ્ર્વની 2000 સૌથી મોટી પબ્લિક કંપનીઓની યાદીમાં ભારતની 57 કંપનીને સ્થાન મળ્યું છે. આ યાદીમાં 61 દેશ આવરી લેવામાં આવ્યાં છે અને તેમાં 575 કંપની સાથે અમેરિકા ટોચ પર છે.
ચીન અને હોંગકોંગ તથા જાપાન અનુક્રમે 309 કંપની અને 223 કંપની સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. એકંદર યાદીમાં સતત સાતમાં વર્ષે ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેન્ક ઓફ ચાઇના (આઇસીબીસી) ટોચના સ્થાને રહી છે.
ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં રોયલ ડચ શેલ કંપની ટોચ પર છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ક્રમ 11મો આવ્યો છે. જ્યારે એકંદર યાદીમાં આ કંપનીએ 71મું સ્થાન મેળવ્યું છે.

એ જ રીતે, ક્ધઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓની વૈશ્ર્વિક યાદીમાં અમેરિકન એક્સપ્રેસ ટોચ પર છે, જ્યારે ભારતની એચડીએફસી આ યાદીમાં સાતમા સ્થાને છે. એકંદર યાદીમાં આ કંપનીનું સ્થાન 332મું છે.
ભારતીય કંપનીઓમાં માત્ર રિલાયન્સે ટોચની 200 કંપનીમા સ્થાન મેળવ્યું છે, જ્યારે એચડીએફસી બેન્ક 209મા, ઓએનજીસી 220મા, ઇન્ડિયન ઓઇલ 228મા સ્થાને છે.
ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એલએન્ડટી, એસબીઆઇ અને એનટીપીસીએ પણ ટોપ-500માં સ્થાન મેળવ્યું છે. ભારતની અન્ય કંપનીઓમાં ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, કોટક મહિન્દ્ર બેન્ક, ભારત પેટ્રો, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, આઇટીસી, ભારતી એરટેલ, વિપ્રો, જેએસડબલ્યુ સ્ટીલ, પાવરગ્રીડ, હિન્દાલ્કો, એચસીએલ ટેકનો, એમએન્ડએમ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ગેઇલ વગેરેનો સમાવેશ હતો.
પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.
ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.
એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.
અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.
જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.

ભારતમાં મી ટૂ ઝુંબેશ હેઠળ નોંધાવવામાં આવેલો પહેલો કેસ ઊંધા માથે પછડાયો છે અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ફરિયાદ ખોટી હોવાનો અહેવાલ રજૂ કરતાં હવે આ આખા પ્રકરણે નવો વળાંક લીધો છે. એકટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા મીટૂ ઝુંબેશ હેઠળ નાના પાટેકર સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં રીતસરની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગુરુવારે ઓશિવારા પોલીસ સ્ટેશન દ્વારા અંધેરી કોર્ટમાં ‘બી-સમરી’ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સામે કોઈપણ પુરાવા મળ્યા ન હોવાને પગલે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, આવો અહેવાલ દાખલ કરવામાં આવ્યાના બાદ તનુશ્રીના વકીલ નીતિન સાતપુતેએ કહ્યું હતું કે ‘પોલીસે કોર્ટમાં બી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે કે સી-સમરી રિપોર્ટ રજૂ કર્યો છે તે અંગેની સ્પષ્ટતા હજી સુધી થઈ
નથી. અમારી પાસે ટૂંક સમયમાં આ અહેવાલની નકલ આવશે અને પછી મુંબઈ હાઈ કોર્ટમાં આ અહેવાલને પડકારતી રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.’
તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ‘પોલીસ આરોપીને બચાવવાના પ્રયાસો કરી રહી છે. તનુશ્રી દત્તા તરફથી જે 10 સાક્ષીના નામ આપવામાં આવ્યા હતાં એમાંથી એકેયને પૂછપરછ પણ કરવામાં આવી નથી તો ક્યા આધારે આ અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે? અમે અંધેરી કોર્ટમાં પહેલાં અમારો જવાબ નોંધાવીશું અને જો અદાલતને અમારી રજૂઆત યોગ્ય લાગશે તો તેઓ પોલીસને ફરી તપાસનો આદેશ આપી શકશે.’
સાતપુતેએ કહ્યું હતું કે ‘આ કેસમાં તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે અને અન્ય કોઈ તપાસ એજન્સીને તપાસ સોંપવાની માગણી કરવામાં આવશે.’
બીજી તરફ નાના પાટેકરના વકીલ અનિકેત નિકમે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા અહેવાલનું સમર્થન કરતાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારથી અમે કહેતા હતા કે ફરિયાદ ખોટી છે. આખરે સત્ય બહાર આવ્યું છે. મારો અસીલ (નાના પાટેકર) નિર્દોષ છે અને ન્યાય મળશે.’
શું બન્યું હતું?
2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન નાના પાટેકરે અણછાજતું વર્તન કર્યું હોવાની ફરિયાદ એકટ્રેસ તનુશ્રી દત્તાએ ઑક્ટોબર-2018માં સોશ્યલ મીડિયા પર મીટૂ ઝૂંબેશ હેઠળ કરી હતી. આ ફરિયાદ બાદ ખળભળાટ ફેલાયો હતો અને નાના પાટેકરને કેટલીક ફિલ્મોમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
શું છે ‘બી-સમરી’ રિપોર્ટ?
જ્યારે કોર્ટમાં ખાનગી ફોજદારી કેસ દાખલ કરવામાં આવે ત્યારે અદાલત પોલીસને કેસની તપાસ સોંપે છે અને આવા કેસમાં પોલીસ દ્વારા જે અહેવાલ સોંપવામાં આવે તેની ત્રણ શ્રેણી છે જેને એ, બી અને સીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદમાં તથ્ય છે અને કેસ ચલાવવામાં આવે. બી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે ફરિયાદ ખોટી છે અને કેસ ચલાવવા યોગ્ય નથી. અને સી-સમરી રિપોર્ટનો અર્થ એવો થાય છે કે પોલીસને આ કેસમાં હજી સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને અદાલતે નિર્ણય લેવો કે કેસ ચલાવવો કે નહીં.
છેલ્લા 11 વર્ષમાં રૂ. 2.05 લાખ કરોડની રકમના લગભગ 50 હજારથી વધુ કૌભાંડ થયા છે. સૌથી વધુ કૌભાંડના કેસ સ્ટેટ બૅંક, એચડીએફસી બૅંક અને આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે, એમ રિઝર્વ બૅંકના આંકડામાં જણાવાયું છે. 2008-09થી 2018-19 દરમિયાન 53334 કૌભાંડના કેસ નોંધાયા છે. તે પૈકી 6811 કેસ આઈસીઆઈસીઆઈ બૅંકમાં થયા છે જેમાં રૂ. 5033.81 કરોડના કૌભાંડ થયા છે.
સ્ટેટ બૅંકમાં રૂ. 23734.74 કરોડના 6793 કૌભાંડના કેસ છે. એચડીએફસી બૅંકમાં રૂ. 1200.79 કરોડના કૌભાંડ થયા છે.
આરટીઆઈ દ્વારા કરાયેલ અરજીના સંદર્ભમાં રિઝર્વ બૅંકે માહિતી આપી હતી. બૅંક ઑફ બરોડામાં કૌભાંડના 2160 કેસ છે જેમાં રૂ. 12962.96 કરોડની રકમ છે. પીએનબીમાં રૂ. 28700.74 કરોડના 2047 કૌભાંડ થયા છે. એક્સિસ બૅંકમાં રૂ. 5301.39 કરોડ, બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 12358.20 કરોડ, સિન્ડિકેટ બૅંકમાં રૂ. 5820.85 કરોડ, સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 9041.98 કરોડના કૌભાંડ થયા છે.
આઈડીબીઆઈ બૅંકમાં રૂ. 5978.96 કરોડના 1264 કૌભાંડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બૅંકમાં રૂ. 1221.41 કરોડના 1263 કૌભાંડ, કેનેરા બૅંકમાં રૂ. 5113.38 કરોડના 1254 કેસ, યુનિયન બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 11830.74 કરોડના 1244 કૌભાંડ, કોટક મહિન્દ્રા બૅંકમાં રૂ. 430.46 કરોડના 1213 કેસ નોંધાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅંકમાં રૂ. 12644.70 કરોડ, ઓરિયેન્ટલ બૅંકમાં રૂ. 5598.23 કરોડ, યુનાઈટેડ બૅંક ઑફ ઈન્ડિયામાં રૂ. 3052.34 કરોડના કૌભાંડ થયા છે. ખાનગી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. ભારતમાં કાર્યરત વિદેશી બૅંકમાં પણ કૌભાંડ થયા છે. અમેરિકન એક્સપ્રેસ બૅંકમાં રૂ. 86.21 કરોડ, સિટી બૅંકમાં રૂ. 578.09 કરોડ, એચએસબીસીમાં રૂ. 312.10 કરોડ, રોયલ બૅંક ઓફ સ્કોટલેન્ડમાં રૂ.12.69 કરોડના કૌભાંડ થયા છે. બૅંકોમાં વધી રહેલા કૌભાંડ વિશે સરકારે શ્ર્વેતપત્ર બહાર પાડવું જોઈએ, એવી માગણી કૉંગ્રેસે કરી છે.
ભારતીય જનતા પક્ષે બુધવારે સંસદીય પાર્ટી કારોબારી કમિટીની રચના કરી હતી, જેમાં લોકસભાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નાયબ નેતા નીમવામાં આવ્યા છે. રાજયસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોટ ગૃહના નેતા અને પીયૂષ ગોયલની નાયબ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે.

ભાજપના વિરષ્ઠ નેતા એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, અરુણ જેટલી અને સુષમા સ્વરાજ કારોબારી સમિતિમાં સભ્ય નથી.
ચીફ વ્હીપ તરીકે જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. મહિલા સાંસદોને ધ્યાનમાં રાખી પ્રથમવાર ભાજપે ત્રણ મહિલા વ્હીપની નિમણૂક કરી છે. વિવિધ રાજયોના સંસદ સભ્યો માટે બીજા 15 વ્હીપની નિમણૂક કરવામાં આવી છે. લોકસભાના
નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, અર્જુન મુન્ડા, નરેન્દ્રસિંહ તોમર અને જુઆલ ઓરમને સંસદીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે લેવામાં આવ્યા છે. રાજયસભામાં જે. પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવશે.
ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ધીયની ભાજપ સંસદીય ઓફિસના ઈનચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જયારે બાલાસુબ્રમણિયમ કુમારસુને સચિવ નીમવામાં આવ્યા છે.
સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા અગાઉ 16 જૂને 3.30 કલાકે કારોબારીની પ્રથમ બેઠક બોલાવવામાં આવશે.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડાને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ માછીમારી માટે ના જવાની સૂચના આપાઈ છે. વાવાઝોડુ હવે ગુજરાતથી 350 કિલોમીટર કરતા જેટલા અંતરે છે, જે સતત દીવ અને વેરાવળ તરફ ધસી રહ્યું છે.

ગુજરાતના દરિયા કિનારા પર કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે સ્થાનિકોને છેલ્લા 24 કલાકથી સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દરિયામાં થઈ રહેલી હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવામાં દરિયા કિનારે ફરવા ગયેલા પ્રવાસીઓ વાવાઝોડાનો શિકાર ના બને તે માટે પણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. દીવ, દ્વારકા, કચ્છ વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા દરિયા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, આજે બપોર પછી દરિયા કિનારા પર ના જવું.
વાવાઝોડાના કારણે વેરાવળ, દીવ, જાફરાબાદ, મહુવા, સોમનાથ વગેરે દરિયા કિનારા પર અસર જોવા મળી રહી છે. અને આ તોફાન દરમિયાન કોઈ જાનહાની ના થાય તે માટે પણ દરિયા કિનારા પર વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.