મહારાષ્ટ્રના નવા ચૂંટાયેલા ૪૮ સાંસદમાંના ૩૪ સાંસદે મરાઠીમાં શપથ લીધા હતા. અમુક બિનમરાઠી સાંસદોએ પણ મરાઠીમાં શપથ લીધા હતા, પરંતુ કેટલાક મરાઠી સાંસદે અંગ્રેજી કે હિંદીમાં શપથ લેતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહારાષ્ટ્રના ત્રણ સાંસદે સંસ્કૃતમાં સાંસદ તરીકેના સોગંદ લીધા હતા.
ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલ અને અમરાવતીનાં સાંસદ નવનીતકૌર રાણા બિનમરાઠી ભાષી હોવા છતાં તેઓએ મરાઠીમાં શપથ લીધા હતા.
આમ છતાં, રાષ્ટ્રવાદીનાં સાંસદ સુપ્રિયા સુળેએ હિંદીમાં, ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ સુજય વિખે પાટીલ અને રાષ્ટ્રવાદીના સાંસદ ઉદયનરાજે ભોસલેએ અંગ્રેજીમાં સોગંદ લીધા હતા. આ પ્રકરણમાં અનેક લોકોએ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. હિંદીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુપ્રિયા સુળે ઉપરાંત પૂનમ
મહાજન, હીના ગાવિત, સુધાકર શ્રુંગારે અને ગોપાલ શેટ્ટીનો સમાવેશ થાય છે.
અંગ્રેજીમાં શપથ લેનારા મહારાષ્ટ્રના સાંસદોમાં સુજય વિખે પાટીલ ઉપરાંત ઉદયનરાજે ભોસલેનો સમાવેશ થાય છે.
સંસ્કૃતમાં શપથ લેનારા મહારાષ્ટ્રના ત્રણે સાંસદ – સુનીલ મેંઢે, ગિરીશ બાપટ અને ઉન્મેશ પાટીલ ભારતીય જનતા પક્ષના જ છે.
સોનિયા ગાંધીએ હિન્દી ભાષા પસંદ કરી
લોકસભામાં ચૂંટાયેલા તમામ સાંસદોની શપથવિધિ ૧૭-૧૮ જૂન દરમિયાન પૂર્ણ થઈ છે. મંગળવારે સોનિયા ગાંધી, મુલાયમસિંહ યાદવ, સુખબીરસિંહ બાદલ સહિત ૨૦૦થી વધુ સાંસદોએ શપથ લીધા હતા. બાદલે વાહેગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી દે ફતેહ સૂત્ર પોકારીને શપથ લીધા હતા. ભગવંત માને શપથના અંતે “ઇન્કલાબ ઝીન્દાબાદ બોલતા ગૃહમાં હંગામો થયો હતો.
ભાજપના સાંસદ અને લોકસભામાં સ્પીકર પદના ઉમેદવાર ઓમ બિરલા શપથ લેવા આવ્યા હતા ત્યારે તાળીઓનો ગળગળાટ થયો હતો. સની દેઓલે ભારત માતા કી જય બોલીને શપથ લીધા હતા.
પી. ચિદમ્બરમે સ્પીકરની ગેલેરીમાં બેસીને પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ની શપથવિધિ નિહાળી હતી. સોનિયા ગાંધીએ હિન્દીમાં સોગંધ લીધા હતા. રાહુલ ગાંધીએ આ પળને મોબાઈલમાં ઉતારી હતી. મેનકા ગાંધીએ શપથ લીધા બાદ દેરાણી-જેઠાણીએ એકબીજાને હાથ જોડ્યા હતા.
મુલાયમસિંહે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. આરોગ્યના કારણસર તેમને પ્રાધાન્યતા અપાઈ હતી. ભાજપના અમુક સભ્યોએ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ટીએમસીના સાંસદોએ જય દુર્ગા અને જય હિન્દના નારા લગાવ્યા હતા.
ઔવેસીએ જય ભીમ, જય મીમ, અલ્લાહો અકબરનો અને જય હિંદના નારો લગાવ્યો હતો. હેમા માલિનીએ રાધે રાધે બોલીને શપથ લીધા હતા. જે સભ્યોના શપથ બાકી છે તેમને બુધવારે સોગંધ લેવડાવાશે.