Slider Archives - Page 338 of 491 - CIA Live

June 27, 2019
anil_ambani.jpg
1min4410

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) તરફથી મુંબઈમાં રૂ. 7000 કરોડનો વર્સોવા-બાન્દ્રા સી-લિંક પ્રોજેક્ટનો કૉન્ટ્રેક્ટ મેળવ્યો હોવાનું રિલાયન્સ ઇન્ફાસ્ટ્રકચરે બુધવારે જણાવ્યું હતું. વર્સોવા-બાન્દ્રા સી-લિંક એ 17.17 કિલોમીટરનો મહત્ત્વનો પ્રકલ્પ છે, જેની લંબાઇ બાન્દ્રા-વરલી સી-લિંક કરતા ત્રણ ગણી વધુ છે. બાન્દ્રા-વરલી સી-લિંકની લંબાઇ 5.6 કિલોમીટર છે. 24મી જૂન, 2019ના કરાર કર્યા બાદ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર આ પ્રકલ્પ 60 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું.

આ પ્રકલ્પને કારણે મુંબઈગરાઓ 90 મિનિટનો પ્રયાસ ફક્ત દસ મિનિટમાં કરી શકશે.

31મી માર્ચે કંપની દ્વારા ત્રિમાસિક ખોટ રૂ. 3,301 કરોડ દેખાડી હતી જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં સમાન સમયગાળા દરમિયાન કંપની તરફથી રૂ. 133.66 કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. આ સિવાય 2018-19માં કંપનીએ વાર્ષિક રૂ. 2,426.82 કરોડની ખોટ દેખાડી હતી જ્યારે 2017-18માં કંપનીને વાર્ષિક રૂ. 1,255.50 કરોડનો નફો થયો હતો.

June 27, 2019
modi_vic.jpg
1min5040

રાષ્ટ્રપતિના સંભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર રાજયસભામાં જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પણ કૉંગ્રેસની વિવિધ મુદ્દાઓ પર ટીકા કરી હતી. ભાજપની જંગી જીત, ઇવીએમની ટીકા, એક રાષ્ટ્ર એક ચૂંટણી, રાજયસભામાં વિધેયકો પસાર નહીં થવા દેવાની વિપક્ષની વૃત્તિ, મોબલિન્ચિંગ, આસામ સમજૂતી, જમ્મુ – કાશ્મીર, બિહારમાં મગજનો તાવ સહિત સંખ્યાબંધ વર્તમાન મુદ્દાઓ મોદીએ પોતાના જવાબમાં આવરી લીધા હતા.

ઇવીએમથી હાર્યા છે તેવા વિપક્ષની રજૂઆતને ખોટી ગણાવતા મોદીએ શેર ટાંકયો હતો.

‘તાઉમ્ર યહી ભૂલ કરતા રહા, ધૂલ ચેહરે પર થી, આયના સાફ કરતા રહા.’ તેમણે કહ્યું હતું કે, એનડીએની જીત એટલે દેશની હાર, લોકશાહીની હાર’ તેવું કૉંગ્રેસનું કથન ‘ઘમંડની પરાકાષ્ઠા’ છે.

આ નિવેદનથી લોકશાહીનું, જનતા જનાર્દનનું મોટું અપમાન થયું છે, તેમ તેમણે કહ્યું હતું. કૉંગ્રેસ કહે છે કે તમે જીત્યા અને દેશ હારી ગયો તો શું વાયનાડમાં (રાહુલ ગાંધીની જીત), રાયબરેલીમાં (સોનિયા ગાંધીની જીત) અને અન્ય સ્થળોમાં (જ્યાં કૉંગ્રેસ જીત્યું છે), તમિળનાડુમાં શું દેશ, લોકશાહીની હાર થઈ છે તેવો પ્રશ્ર્ન પૂછી કૉંગ્રેસના ઘમંડી કથન પર પલટવાર કર્યો હતો. 55-60 વર્ષ સુધી દેશ પર રાજ કરનારો પક્ષ (કૉંગ્રેસ) 17 રાજયમાં એક બેઠક પણ નહીં મેળવી શકયો.

તેમણે કહ્યું કે, જે લોકો હારી ગયા છે, જેમનો ઘમંડ તૂટ્યો છે. તેઓ જનતાનો આભાર નહીં માનશે પણ હું તો જનતા જનાર્દનનો આભાર માનું છું. એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા કરવા તો આવો તેમ તેમણે કહ્યું હતું. ચૂંટણીકીય સુધારાઓ કરવા જોઈએ અને થતા રહેવા જોઈએ. જે લોકો પોતાની ખામીઓ બાબતમાં વિચાર નથી કરવા માગતા તેઓ ઈવીએમને દોષ દઈ રહ્યા છે. તમે વિજય પચાવી નથી શકતા અને હાર સ્વીકારી નથી શકતા, તે દર્શાવે છે કે તમારામાં કંઈક ખામી છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણીથી લોકોમાં ગૂંચવાડો ઊભો થતો નથી તેવું સમજાવતા તેમણે કહ્યું હતું કે, ઓડિશામાં વિધાનસભામાં અને લોકસભામાં જુદા જુદા પક્ષ જીત્યા છે.

તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિવેદન યાદ અપાવ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વિપક્ષને વિરોધ કરવાનો હક્ક છે, પણ ગૃહનું કામકાજ ખોરવી કાઢવાનો હક્ક નથી. મોદીએ કહ્યું કે, રાજયસભામાં કાર્યવાહી ખોરવી નાખનારાઓને પ્રજાએ સજા (મત નહીં આપવીને) આપી છે. કૉંગ્રેસના એક નેતાએ રાજયસભામાં કહ્યું હતું કે, ‘અમને ન્યૂ ઈન્ડિયા નહીં પણ ઑલ્ડ ઈન્ડિયા’ આપો તેનો જવાબ આપતા મોદીએ સામો પ્રશ્ર્ન કર્યો કે, ‘જ્યાં કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણય પત્રકાર પરિષદમાં ફાડી નાખવામાં આવતા હતા. સંરક્ષણ સોદાઓમાંથી મળેલા લાભથી પિકનિક થતી હતી શું તેવું ‘ઑલ્ડ ઈન્ડિયા’ જોઈએ છે? ઝારખંડમાં મોબલિન્ચિંગથી માર્યા ગયેલા યુવાન બાબતમાં દુ:ખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, ગુનેગારોને કડક સજા થશે પણ સમગ્ર ઝારખંડને દોષ આપવો જોઈએ નહીં.

‘આસામ કરાર’ દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન (એનઆરસી) સ્વીકાર કર્યો હતો તે યાદ અપાવતા મોદીએ કહ્યું કે, આ મુદ્દો અમારે માટે રાષ્ટ્રીય સુરક્ષાનો છે, વૉટબેંકનો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બનતે તો કાશ્મીરનો પ્રશ્ર્ન નહીં રહેતે તેવું યાદ અપાવતા મોદીએ કહ્યું કે, સરદાર કૉંગ્રેસના નેતા હતા આથી કૉંગ્રેસના સભ્યોએ ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની મુલાકાત એક વાર તો લેવી જ જોઈએ. બિહારમાં ‘મગજના તાવ’થી બાળકોના મૃત્યુ બાબતમાં તેમણે કહ્યું હતું કે, તે ખૂબ જ દુ:ખદ છે અને શર્મનાક છે.

June 27, 2019
sandesara.jpg
1min8240

નાઈજિરિયામાં ઓઈલરિગ, જહાજ, જેટ વિમાન અને લંડનમાં ફ્લેટ સહિતની 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ પર ઈડી દ્વારા ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેક સામેના મનિલોન્ડરિંગ કેસના સંબંધમાં ટાંચ મૂકવામાં આવી હતી.

ઈડી દ્વારા આ પ્રકારની સંપત્તિ પર ટાંચ મૂકવાનો સૌથી મોટો ઓર્ડર છે, જેનું કુલ મૂલ્ય 9778 કરોડ રૂપિયા છે. મોટા ભાગની સંપત્તિ વિદેશમાં છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે નાઈજિરિયામાં ચાર ઓઈલરિગ, ઓએમએમ 143 નામનું ઓઈલફિલ્ડ, પનામામાં નોંધાયેલા ચાર જહાજ તુલજાભવાની, વરિન્ડા, ભાવ્યા અને બ્રહ્માણિટેક, અમેરિકામાં નોંધાયેલું ગલ્ફસ્ટ્રીમ જેટ અને લંડનમાં એક ફ્લેટ વિગેરે પર ટાંચ મૂકવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મનિલોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડીએ ટાંચ મૂકવા અંગેનો પ્રોવિઝનલ ઓર્ડર બહાર પાડ્યો હતો. કંપનીની વિદેશમાંની સંપત્તિ સહિત 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ ટાંચમાં મૂકવામાં આવી છે. આંધ્ર બૅંક સહિત બૅંકોના એક જૂથ પાસેથી કંપનીએ 5000 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી અને તે લોન એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) બની હતી એટલે કે ચૂકવવામાં આવી ન હતી. આ રકમ 8100 કરોડ રૂપિયા જેટલી થઈ છે. સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટના આધાર પર ઈડીએ કથિત બૅંક ફ્રોડ કૌભાંડના સંબંધમાં ક્રિમિનલ કેસ કર્યો હતો. વડોદરાના સાંડેસરા ભાઈઓ કંપનીના પ્રમોટર છે.

સાંડેસરાઓ સામે કેટલાક હાઈપ્રોફાઈલ રાજકારણીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવા અંગે પણ ઈડી અને સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સાંડેસરાભાઈઓએ નાઈજિરિયામાં આશ્રય લીધો છે અને ભારત તેમના પ્રત્યર્પણ માટે પ્રયત્ન કરી રહ્યું છે.

June 25, 2019
englandvsaus.jpg
1min12070

ઓઇન મોર્ગનની ટીમ તેની છેલ્લી મેચની નિષ્ફળતા બાદ તેના કટ્ટર હરીફ ઑસ્ટ્રેલિયા સામે મંગળવારે અહીં રમાનારી મેચમાં પોતાના વર્લ્ડ કપના સંગ્રામને ફરી વિજયના માર્ગે લાવવાના પ્રયાસમાં રમશે.

એશિઝ સિરીઝનાં બે હરીફ રાષ્ટ્રો વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાનારી આ મેચ પર બધાની મીટ હતી, પણ ઈંગ્લેન્ડની ટીમના શ્રીલંકા સામે ૨૦ રનથી થયેલા પરાજય બાદ તેની મહત્ત્વતા વધી ગઈ છે.

england vs ausi world cup માટે છબી પરિણામ

શ્રીલંકા વિરુદ્ધ હેડીંગલી ખાતેની મેચમાં વિજય માટે ૨૩૩ રન કરવાના સાધારણ લક્ષ્ય સામે અંગ્રેજ ટીમના બધા ખેલાડી ૨૧૨ રનમાં આઉટ થઈ ગયા હતા.

ઈંગ્લેન્ડ આ અગાઉ પાકિસ્તાન સામે પણ તેની વિભાગીય મેચમાં હારી ગયું હતું અને શ્રીલંકા વિરુદ્ધ તેની બીજી નિષ્ફળતા છતાં, આયોજક રાષ્ટ્રની ટીમે પોઈન્ટ-કોષ્ટકમાં ટોચની ચાર ટીમમાં પોતાનું સ્થાન સેમી-ફાઈનલ તબક્કામાં પ્રવેશ માટે જાળવી રાખ્યું હતું.

છતાં, વર્લ્ડ કપ પહેલી વાર જીતવાના પ્રયાસમાં ઈંગ્લેન્ડને હવે તેની બાકીની વિભાગીય મેચમાં કોઈ વધુ નિષ્ફળતા ભારી પડી શકે છે.

ઈંગ્લેન્ડની ટીમની ઑસ્ટ્રેલિયા પછી ભારત અને ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમાવાની બાકી છે જે બધી ટીમ સ્પર્ધા જીતવા ફેવરિટ ગણાય છે અને જેઓને અંગ્રેજ ખેલાડીઓએ ૧૯૯૨ પછી વર્લ્ડ કપમાં ક્યારેય પરાજય આપ્યો નથી.

૨૦૧૫ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાંથી બાકાત થઈ જવાની નિરાશા પછી ઈંગ્લેન્ડની ટીમની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટના રેન્કિંગમાં ચઢતી મુખ્યત્વે તેની આક્રમક બૅટિંગના પ્રતાપે છે.

ચાર વર્ષના સમય દરમિયાન ઈંગ્લેન્ડે આ સ્તરે સૌથી વધુ જુમલો નોંધાવવાનો બે વાર વિશ્ર્વવિક્રમ કર્યો છે જેમાં ફક્ત ૧૨ મહિના અગાઉ ટ્રેન્ટ બ્રીજ ખાતે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે છ વિકેટે ૪૮૧ રનના સ્કોરનો પણ સમાવેશ છે કે જે વર્તમાનમાં વર્લ્ડ રેકોડર્ રહે છે. પણ, શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડની બૅટિંગ સમસ્યારૂપ બની હતી જેમાં મોઈન અલીએ તેની ૧૦૦મી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં રમવાની ઉજવણીમાં છગ્ગો ફટકાર્યા બાદ ફરી બીજા બોલમાં તે ફટકો મારવાના પ્રયાસમાં તે આઉટ થઈ જતા ઈંગ્લેન્ડે ૧૭૦ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

June 25, 2019
mobile_driving.jpg
1min4950

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી હતી જેને સાંભળીને નવાઇ લાગશે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તે લોકો યોગ્ય ખુલાસો ન કરે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે.

driving and mobile phone માટે છબી પરિણામ

મહેસાણા આરટીઓ દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. અકસ્માતમાં 14 લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. હવેથી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રનો લોખંડી પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે. જેના ભાગરૂપે મહેસાણામાં બે લોકો ચાલુ વાહને ફોન પર વાત કરતા તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા હતા અને સાથે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ યોગ્ય ખુલાસો કરે તો જ નવા લાયસન્સ બનશે.

મહેસાણા આરટીઓએ 30 લોકોને લાયસન્સ રદ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ હતી. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો લાઇસન્સ આજીવન રદ કરી દેવા પણ તંત્રએ તૈયારીઓ બતાવી હતી.

June 25, 2019
vidaadhar.jpg
1min12990

બૅંક ખાતા ખોલવા અને મોબાઈ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે ‘આધાર’નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ 2016માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડૅટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યક્તિની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, 60 કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક ‘વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર’ પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડૅટા રિપોઝિટરીમાં રહેલો ડૅટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડૅટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

June 25, 2019
income-tax_-refund.jpg
1min4650

લોકસભામાં સોમવારે એક પ્રશ્ર્નના લેખિત ઉત્તરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 2019ના 1, એપ્રિલથી 18 જૂન સુધીમાં આવકવેરા વિભાગે રૂ. 64700 કરોડના રિફન્ડ ઈસ્યુ કર્યા છે. 2018-19ના નાણાંકીય વર્ષમાં રૂ. 1.61 લાખ કરોડ છૂટા કરાયા હતા.

2018-19ના એસેસમેન્ટ વર્ષ માટે 6.49 કરોડ ઈ-રીટર્ન સુપરત થયા છે. જે અગાઉના વર્ષ કરતા 18.65 ટકા વધુ છે. સરકારે નાના કરદાતા સહિત તમામ કરદાતાના રિફન્ડ ઈસ્યૂને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે.

0.5 ટકાથી પણ ઓછા આઇટી રિટર્ન સ્ક્રૂટીની માટે પસંદ કર્યા છે. મોટાભાગના રિટર્નનું પ્રોસેસિંગ ઝડપી થયું છે અને રિફન્ડ ઈસ્યુ થયા છે. કરદાતાને 26.9 કરોડ એસએમએસ અને ઈ-મેઈલ મોકલાયા હતા.

June 25, 2019
bjp_candidates.jpg
1min4790

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી માટે ભાજપે પોતાના બંને ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં એક નામ છે વિદેશ મંત્રી એસ. જયશંકર અને બીજુ નામ છે જુગલજી ઠાકોરનું. આ બંને ઉમેદવારો મંગળવારે બપોરે ચૂંટણી ફોર્મ ભરશે. આ બન્ને ઉમેદવારો જોગાનુંજોગ એક જ રાશી, મકર રાશીના છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો લોકસભાની ચૂંટણીમાં વિજય થતા ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. આ બંને બેઠકો પર 5 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ભાજપે જે બે ઉમેદવારો જાહેર કર્યા તેમાં એસ. જયશંકરને પીએમ મોદીએ કેબિનેટમાં સ્થાન આપી વિદેશ મંત્રી બનાવ્યા છે. જેમણે કોઈ ચૂંટણી લડી નહોવાથી તેમને ગુજરાતની બેઠક પરથી રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવશે તેવી શક્યાતા હતી જે હવે સાચી ઠરી છે. બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં તેમની સારી પકડ છે. સાથે ઠાકોર સમાજના આગેવાન ગણવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની પસંદગીનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. જોકે એવી પણ બાબતો સામે આવી રહી છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર આ ચૂંટણી લડવા માટે તૈયાર નથી.

June 24, 2019
gseb.png
1min7350

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5990

1 FB

નામ બડે ઔર દર્શન છોટે ને ચરિતાર્થ કરતી વધુ એક ઘટના રવિવારે બની છે. મોટા ગજાના બિલ્ડરો દાન પૂણ્ય માટે લખલૂંટ રૂપિયા જાહેરામાં વેડફતા હોય છે પરંતુ, મહેનત કરતા લોકોનું એટલી હદે શોષણ કરે છે કે શોષણનો ભોગ બનેલા લોકો છેક આત્મહત્યા સુધીનું આત્યાંતિક પગલું ભરી બેસતા હોય છે. સુરતના જમીન દલાલ અમૃત સોનવણેએ નવસારીના ફાર્મ હાઉસમાં ગળેફાંસો આ જ કારણોસર ખાઇને પોતાનું જીવન પૂરું કરી દીધું હતું.

આત્મહત્યા કરવા અગાઉ અમૃત સોનવણેએ ફેસબુક પર વિડીયો શૅર કરીને પોતાની કથની સુણાવી હતી. તેણે સુરતના ચાર બિલ્ડર્સ વિરુદ્ધ વળતર અને દલાલીના રુપિયા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેણે મોટા ગજાના ચાર બિલ્ડરો પર આરોપ લગાડ્યો હતો કે તેણે મહેનત કરી પણ રૂપિયા ચૂકવાયા ન હતા. લેવાના બાકી રહેતા રુપિયા અને જમીનના સોદાની વિગતો પણ લખી હતી.

આ સુસાઈડ નોટમાં અમૃત સોનવણેએ માલિકના નામ લખીને તેમની પર એવા આરોપ લગાવ્યાં હતાં કે તેનો પગાર 25000 હતો અને કંપનીના કામ સબબ બહાર જવાનું થતું હોવાના કારણે તેમાં જ 12થી 15 હજારનો ખર્ચો થઈ જતો હતો. આ ઉપરાંત માલિકો સામે એવો પણ આક્ષેપ મૂક્યો છે કે તેને પૂરતી દલાલીના પણ રુપિયા આપવામાં આવતાં નહોતાં. જેથી તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો અને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી.

અમૃત સોનવણે છેલ્લા ત્રણ દિવસથી પરિવાર સાથે કોઈ જ સંપર્કમાં નહોતો અને ગળેફાંસો ખાતા પહેલા વિડીયોમાં સ્થળનો પણ ઉલ્લેખ કર્યો હતો. એવું પણ અનુમાન છે કે આર્થિક સંકડામણના કારણે અમૃત સોનવણેએ આત્મહત્યા કરી હતી. આ મામલે વાઈરલ થયેલા વિડીયોમાં ચારથી પાંચ વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત

અમૃત સોનવણેએ આત્મહત્યા કરતા પહેલાં ત્રણ વિડીયો બનાવ્યા હતાં. પહેલા વિડીયોમાં તેણે પોતાના ફ્રેન્ડ્સની માફી માગી હતી જ્યારે અન્ય વિડીયોમાં તેણે પત્ની, બાળકો અને જીજાજીને સંબોધન કરતાં કહ્યું હતું કે, “જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારાથી ભૂલ થઈ ગઈ આઇ એમ સોરી, આ લોકોએ મારા પર એટલો ત્રાસ ગુજાર્યો કે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો, હું આવો નહોતો. બાળકો હું જઈ રહ્યો છું, આવજો. આવતા જન્મમાં મળીશું, ભાવના મને માફ કરી દેજે”