બોક્સ ઓફિસ ઉપર દિવાળીના તહેવારે ત્રણ મોટી ફિલ્મ હાઉસફૂલ 4, મેડ ઈન ચાઈના અને સાંડ કી આંખ રિલીઝ થઈ છે. ઘણા વર્ષો બાદ બોક્સ ઓફિસ ઉપર નોંધપાત્ર ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં હાઉસફૂલ 4ની વાત કરવામાં આવે તો તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયા મળી છે. પરંતુ કમાણીના મામલે ફિલ્મ સારૂ પ્રદર્શન કરી રહી છે. હાઉસફૂલ 4એ પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મને શુક્રવારે ધનતેરસનો ફાયદો મળ્યો હતો. પહેલા દિવસની ઓપનિંગની વાત કરવામાં આવે તો હાઉસફૂલ સિરિઝની તમામ ફિલ્મમાંથી હાઉસફૂલ 4નું ઓપનિંગ સૌથી સારૂ છે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે, ચંકી પાંડે અને જોની લિવર છે.’
ચંદીગઢમાં કેન્દ્રીય નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મનોહરલાલ ખટ્ટર, દુષ્યંત ચૌટાલા આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર આજરોજ તા.27મી ઓક્ટોબર 2019ને દિવાળીના પર્વે બીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને જેજેપીના દુષ્યંત ચૌટાલા ઉપમુખ્યમંત્રી બનશે. આજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ખટ્ટરે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
બાદમાં ખટ્ટરે કહ્યું હતું કે, આજે રવિવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ થશે. જ્યારે બાકી મંત્રીમંડળના સભ્યો ક્યારે શપથ લેશે તે અંગેની માહિતી આવતીકાલે આપવામાં આવશે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની સાથે ડીલ થઈ ગયા બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આવા કોઈ વિચાર ઉપર કોઈ ચર્ચા થઈ નથી. આ પહેલા ભાજપની વિધાનસભા પક્ષની બેઠકમાં ખટ્ટરને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.’
ભાજપ હાઇકમાન્ડના કહેવા મુજબ તા.26મીની બપોરે બપોરે’ ચંદીગઢના યુપી ગેસ્ટહાઉસમાં બેઠક મળી હતી જેમાં ખટ્ટરને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન, રવિશંકર પ્રસાદ અને ભાજપના મહાસચિવ અરુણ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણામાં 90 સીટોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 40 સીટો મળી છે. જે બહુમતથી છ સીટો ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપે 10 ધારાસભ્યો ધરાવનાર દુષ્યંત ચૌટાલાની જેજેપી અને આઠ અપક્ષોનાં સમર્થન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ગીતિકા આપઘાત કેસમાં આરોપી ગોપાલ કાંડાનું સમર્થન લીધું નથી. મંત્રીઓના શપથને લઇને હજુ સુધી ચિત્ર સ્પષ્ટ નથી. ગઇકાલે સવારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમની વાતચીત થઈ હતી. ખટ્ટરે દિલ્હીમાં સતત બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સાથે શ્રેણીબદ્ધ વાતચીત કરી હતી. કુલ પાંચ અપક્ષ સભ્યો ભાજપને ટેકો આપવા તૈયાર થઈ ગયા હતા. અન્ય ત્રણ પણ ભાજપને ટેકો આપવા માટે તૈયાર થયા હતા. હેવાલ મુજબ અપક્ષ ધારાસભ્યો પુન્ડરીથી રણધીર ગોલન, રાનિયાથી રણજીત સિંહ, મહમથી બલરાજ કુન્ડુ, બાદશાહપુરથી રાકેશ દૌલતાબાદ અને સિરસાથી ગોપાલ કાન્ડા ભાજપને ટેકો આપવા રાજી થઈ ગયા હતા.’ આની સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે સરકાર બનાવવાનો રસ્તો સરળ થઈ ગયો હતો.
વૈશ્ર્વિક આર્થિક મંદી અને સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં દેશની જેમ્સ અને જ્વેલરીની નિકાસ ગત નાણાકીય વર્ષની સરખામણીમાં પાંચથી સાત ટકા ઘટે તેવી શક્યતા છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ખાસ કરીને વિકસીત દેશોની માગમાં ઘટાડો થતાં નિકાસ ૫.૩૨ ટકાથી ઘટીને ૩૦.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત સાલ કુલ (ગ્રોસ) નિકાસ અંદાજે ૪૦ અબજ ડૉલરની રહી હતી, પરંતુ આ વર્ષે નિકાસમાં પાંચથી સાત ટકાનો ઘટાડો થવાની શક્યતા કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત કાઉન્સિલના ચેરમેન પ્રમોદકુમાર અગરવાલે સરકારને સ્થાનિક ઉત્પાદકોના હિત જાળવી રાખવા માટે ફિનિશ્ડ જ્વેલરીને આરસીઈપી (રિજિનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ) હેઠળની પ્રસ્તાવિત ટ્રેડ ડીલમાંથી બાકાત રાખવાનો અનુરોધ કર્યો છે. વધુમાં કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સવ્યસાચી રૅએ અત્રે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ ફેસિલિટેશનના ઉદ્ઘાટન પશ્ર્ચાત્ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કાઉન્સિલે ફિનિશ્ડ ડાયમંડ અને રંગીન રત્નો પરની આયાત જકાત જે હાલ ૭.૫ ટકા છે તે ઘટાડીને ૨.૫ ટકા કરવાની માગણી કરી છે, જ્યારે અગરવાલે વધુમાં જણાવ્યું હતું કે આ સેન્ટર ઉત્તર ભારત તરફથી નિકાસ વૃદ્ધિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિવાય કાઉન્સિલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી નવાં કોમન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવાનું શરૂ કર્યુ છે અને આગામી સેન્ટરો દિલ્હી, જયપુર, કોઈમ્બતુર અને કોલકાતા ખાતે ખોલવામાં આવશે.
જોકે આગામી ચારથી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની નિકાસ ૭૫ અબજ ડૉલરની સપાટીએ પહોંચવાની અને હાલમાં રોજગારોની સંખ્યા જે ૫૫ લાખની છે તેમાં ૧૫થી ૨૦ લાખનો ઉમેરો થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નિકાસ વૃદ્ધિ માટે કાઉન્સિલ દેશભરના ક્લસ્ટર્સમાં જ્વેલરી પાર્ક સ્થાપવાની પણ યોજના ધરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું
ગુજરાતના કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઊંધી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ હતી. દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે, જોકે પવનના કારણે સ્થિતિ વણસે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી બાજુ ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને પશ્ર્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં ૧૨૦-૧૩૦ કિમી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ક્યાર દરિયામાં દર ૬ કલાકે ૧૨ કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગીર સોમનાથના ઉનાના દરિયામાં બે બોટે જળસમાધિ લીધી છે. ઉનાના સૈયદ રાજપરાની બે બોટ દરિયામાંથી પરત આવતા સમયે ડૂબી હતી. જ્યારે ભારે પવનના કારણે એક બોટ કિનારે ઊંધી વળી ગઇ હતી. જ્યારે ગિરિમથક સાપુતારામાં પણ તોફાની પવન ફૂંકાયો હતો. સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું છે. સાપુતારામાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.
દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળીનો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, ‘મનના પ્રકાશની જાગૃતિ’ સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દીપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મીઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર તો એકસરખો જ છે આંતરિક પ્રકાશનો આનંદ લેવો.
રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે અને બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઘરઆંગણે રંગોળી, દીવડા તથા રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આજે કાળી ચૌદશ નિમિત્તે શ્રી કાલભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવી હતી. આજે દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાશે અને સૌ કોઈ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરશે જ્યારે સોમવારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાશે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થશે.
દિપોત્સવી પર્વ હિન્દુ સંસ્કૃતિ માટે
મહાપર્વ છે અને આ તહેવારો દરમિયાન ધંધો-રોજગારર્થીઓ તમામ 5-7 દિવસ માટે તો રજાનો
આનંદ માણતા હોય છે. આવી સ્થિતિમાં આવશ્યક સેવાઓ, કાયદો અને વ્યવસ્થા તેમજ આરોગ્ય
લક્ષી સેવાઓની જરૂરીયાત રહેતી હોય છે અને એના માટે જુદા જુદા વ્યવસ્થાતંત્રો
આગોતરું આયોજન કરતા હોય છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટે
દિવાળીની રજાઓ દરમિયાન પી.સી.આર. વાહન સવાર પોલીસ જવાનોને દિવાળીની રજાઓ દરમિયાનના
એકેએક કોલને ગંભીરતાથી લેવા સૂચના આપીને પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા જણાવ્યું છે.
એવી જ રીતે અમદાવાદ મેડીકલ એસોસીએશને પણ એવી વ્યવસ્થા કરી છે કે તા.27મી ઓક્ટોબર
2019થી તા.1લી નવેમ્બર 2019 સુધી આકસ્મિક સંજોગો સર્જાય તો સામાન્ય લોકોને તબીબી
સેવાઓ મળી રહેશે.
દિવાળી એવો તહેવાર હોય છે કે આ
તહેવારોમાં તબીબો પણ રજા લઇને વ્યસ્ત જીવનમાંથી પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતા હોય
છે. મોટા ભાગના તબીબો દિવાળી પર ટૂર પર નીકળી જતા હોય છે. પરંતુ, અમદાવાદ મેડીકલ
એસોસીએશન દ્વારા દિવાળીના તહેવારોમાં આકસ્મિક સંજોગો માટે તબીબો સાથે પરસ્પર સમજૂતિ
કરી છે.
અમદાવાદમાં ફટાકડા તેમજ અકસ્માત જેવા
ઈમરજન્સીના કેસો માટે હવે ખાનગી તબીબોની સેવા ઓનકોલ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ મેડિકલ
અસોસિએશને (AMA)ફેમિલી ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ સાથે ટાઈ અપ કર્યું છે જેથી તેઓ
તહેવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે
અમદાવાદ મેડીકલ એસોસીએશન AMAના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ મિડીયા માધ્યમોને જણાવ્યું હતું કે ડોક્ટરની ઓન કોલ રહેવાની આ પહેલ છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે જેને શહેરીજનો દ્વારા પણ સારો સપોર્ટ મળી રહ્યો છે. ‘આ દિવાળીમાં તો ડેન્ગ્યુ સહિતની બીમારીએ લોકોને ભરડામાં લીધા છે. ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઓછી હોવા છતાં ઘણાં દર્દીઓ ડોક્ટર પાસે ફોલો અપ માટે આવશે’.
અમદાવાદના લોકોને ડોક્ટરોની માહિતી તેમની
ઓફિશ્યલ વેબસાઈટ અને ફેસબુક પેજ પર મળી રહેશે. સિસ્ટમ તા. 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે.
આ પહેલના કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ
વાછરાજાનીએ કહ્યું કે, ડોક્ટર્સ ઓન કોલ પહેલને દર વર્ષે 500 જેટલા કોલ મળે છે. ‘મોટાભાગના કેસો દાજી જવાને લગતા, શ્વાસસંબંધિત તકલીફ તેમજ અકસ્માતોના કેસો હોય છે. આ વર્ષે, અમે મચ્છરજન્ય રોગો પર પણ ધ્યાન રાખી રહ્યા છે’ તેમ તેમણે કહ્યું.
AMAના અધિકારીઓએ કહ્યું કે આંબાવાડી, નારાણપુરા, નવરંગપુરા, ચાંદખેડા, પાલડી, સેટેલાઈટ-શ્યામલ, સરખેજ, શ્રેયસ ચાર રસ્તા, બાપુનગર, ચાંદલોડિયા, ઘોડાસર, ખોખરા, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં જ ડોક્ટરો ઉપલબ્ધ રહેશે.
સૂરતમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની નવી ટીમે તાજેતરમાં જ પદગ્રહણ કર્યા છે ત્યારે સૂરતના તબીબો પણ આવી પહેલ કરો તો સૂરતવાસીઓને પણ દિવાળીના તહેવારોમાં ઓન કોલ તબીબની સુવિધા ઇમરજન્સીમાં મળી શકે એમ છે.
મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની યુતિ સરકાર રચાવા તખ્તો તૈયાર થઈ ચૂકયો છે ત્યારે શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે (29)ને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવાય તેવી બૂમરાણ મચાવીને સરકારની આસાન દેખાતી રચનાને કઠીન બનાવી દીધી છે. પક્ષનેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો મોટો હિસ્સો આવી માગણી કરી રહ્યો હોવાના અહેવાલ છે. જો શિવસેનાની અસંભવ લાગતી આ માગણી સંતોષવામાં આવે તો આદિત્ય, રાજ્યના સૌથી યુવા સીએમ બની શકે છે. જોકે, વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે નાયબ સીએમનું પદ આદિત્યને ઓફર કરવાને પોતે રાજી છે. આમ બન્ને પક્ષ વચ્ચે મડાગાંઠ સર્જાય તેવી શક્યતા છે. શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ જણાવ્યું હતું કે આદિત્ય આપણા નવા સીએમ બને તેમ અમે ઈચ્છીએ છીએ. આ અમારી પ્રથમ અને પ્રમુખ માગણી છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અમારો પક્ષ, ફિફટી-ફિફટીની સત્તાવહેંચણીની ફોર્મ્યુલા બાબત સહમત થયો હતો, તેનો શબ્દાર્થ અને ભાવાર્થમાં અમલ અમે ઈચ્છીએ છીએ. ભાજપી મોવડીમંડળ સાથેની વાટાઘાટમાં પક્ષવડા ઉદ્ધવજી તે માગણીને વળગી રહેશે તેવો અમને આત્મવિશ્વાસ છે. પક્ષપ્રમુખ આ બારામાં જે પણ નિર્ણય લેશે તેને અમે માન્ય રાખશું એમ પક્ષના અન્ય ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
આદિત્યને સીએમ બનાવવા જોઈએ એમ જણાવી પક્ષના સીનિયર નેતા સંજય રાઉતે’ ઉમેર્યું’ હતું કે શિવસેના મહારાષ્ટ્ર માટે જરૂરી છે. અમે આદિત્યને સીએમ પદે જોવા ઈચ્છીએ છીએ. પક્ષના અન્ય નેતા સંજય ગુપ્તાએ ય આવી જ’ લાગણીનો પડઘો પાડયો હતો. મહારાષ્ટ્ર ચૂંટણીના ‘જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 10પ અને શિવસેનાને પ6 બેઠકો મળવા સાથે તેમના જોડાણને સ્પષ્ટ બહુમતિ મળી છે.
અભિનેતા સલમાન ખાન અને ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાની જોડીએ છ હિટ ફિલ્મો આપી છે અને ફરી તે કિકની સિકવલ માટે સાથે કામ કરી રહ્યા છે. કિક-2નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. જોકે, તે અગાઉ પણ આ બંને જોડાયા છે. સાજીદની ફિલ્મ હાઉસફૂલ-4 રજૂ થઈ રહી છે અને તેમાં સલમાનની ડિસેમ્બર મહિનામાં રજૂ થનારી ફિલ્મ દબંગ-3નું ટ્રેલર દેખાડવામાં આવશે. હાઉસફૂલ-4માં અક્ષય કુમાર સાથે બોબી દેઓલ, રિતેશ દેશમુખ જેવા કલાકારો છે.’
નોંધનયી છે કે સાજીદ સલમાન અને અક્ષય બંને સાથે સારી મિત્રતા ધરાવે છે. અક્ષય અને તે એક જ સ્કૂલમાં ભણ્યા હતા તથા એક જ બસમાં સાથે જતા હતા. જયારે 1990ના દાયકામાં સાજીદ અને સલમાનના લગ્ન એક જ તારીખે નક્કી થયા હતા.’ બાદમાં સલમાનના લગ્ન રદ્ થયા હતા અને તે સાજીદના લગ્નમાં હાજર રહ્યો હતો. સલમાન અને અક્ષયે અત્યાર સુધી બે ફિલ્મો મુજ સે શાદી કરોગી અને જાને મનમાં સાથે અભિનય કર્યો છે. સાજીદે કહ્યું કે, આ બંનેને સાથે જોવા એક લહાવો છે. અત્યારે તો બંને પોતપોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. પરંતુ જો મારી પાસે એવી પટકથા આવી તો હું સલમાન અને અક્ષયને સાથે લઇશ.
114 વર્ષ જૂના રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે 7 દીકરીઓ લેવાય છે દત્તક
રાજકોટમાં ગોંડલ રોડ સ્થિત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં જુદી પરિસ્થિતિ જોવા મળે છે. એક સદી જૂના આ બાલાશ્રમમાંથી દર 3 દીકરા સામે આશરે 7 દીકરીઓ દત્તક સંતાન તરીકે દંપતીઓ સ્વીકારે છે. હાલમાં અનેક મામલે દીકરીઓ સવાયી સાબિત થઈ રહી છે ત્યારે નિ:સંતાનોના ઘરનો ખિલખિલાટ બનવામાં પણ કન્યા રત્ન આગળ રહ્યું છે.
આ સંસ્થામાંથી બાળકો દત્તક લેવા દેશ અને વિદેશના દંપતીઓ અગ્રિમતા આપે છે. બાલાશ્રમમાં એક સમયેં ધૂલ કા ફૂલ તરીકે નિરાધાર-તરછોડાયેલા 3પ0 જેટલા બાળકો હાલ સ્પેન, જર્મની, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશોમાં સન્માન સાથેનું ઉચ્ચ કક્ષાનું જીવન જીવી રહ્યા છે.
બાલાશ્રમના પ્રમુખ તરીકે એપ્રિલ ર019થી પદભાર સંભાળનાર હરેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે હાલમાં અહીંયા 1 દિવસના બાળકથી માંડીને રર વર્ષ સુધીના યુવક-યુવતી મળી કુલ આશ્રિતોની સંખ્યા 180 જેટલી છે. દર વર્ષે સરેરાશ 10થી 1ર બાળકો કોઈ મુકી જાય છે જેની સામે 10થી 1ર બાળકો દેશ-વિદેશમાં દત્તક આપવામાં આવે છે. રર વર્ષથી વધુની વયના યુવક-યુવતીને સ્પે. હોમ ફોર બોયઝ-ગર્લ્સમાં આશ્રય અપાય છે.
આ સંસ્થામાંથી દાયકાઓ પહેલા વિદેશના દંપતી દ્વારા દત્તક લેવાયેલા કેટલાક બાળકો આજે ડોક્ટર, એન્જિનિયર બની ગયા છે. તેઓ હજુ પણ આ સંસ્થાની મુલાકાત લેવા તેમના પત્ની-પરિવાર સાથે આવે છે અને અહીંયા આવીને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. બાલાશ્રમમાં આશ્રિત એવી બે સગી બહેનોને સ્પેનના દંપતીએ દત્તક લીધી હતી. આ બન્ને બહેનો તાજેતરમાં જ બાલાશ્રમની મુલાકાતે આવી હતી. એક સમયે તરછોડાયેલા અને આજે વિદેશમાં સમૃધ્ધિમાં મ્હાલતા હોવાથી અહીંના પૂર્વ આશ્રિત બાળકો માત્ર મુલાકાત લઈને જતા નહીં રહેતા અન્ય બાળકોના જતન માટે અનુદાન પણ આપતા જાય છે.
ક્રિપ્ટો કરન્સીના નામે કરોડોની ઠગાઇ કરવાના આરોપસર રાજકોટના પાંચ શખસની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રાજકોટના પાંચ ઉપરાંત વડોદરાના એક મળી કુલ છ શખસને ઉઠાવી લેવાયા છે.
બોગસ ક્રિપ્ટો કરન્સીના નામે ઠગાઇ કરવા અંગે સાધુ વાસવાણી રોડ પર સંકલ્પ-2માં રહેતાં દેવેન્દ્ર ધીરજલાલ મદાણી, જામનગર રોડ પર વિનાયક વાટીકાના’ કિરીટસિંહ તેજુભા જાડેજા, ગીત ગુર્જરી સોસાયટીના’ સ્વાગત એપાર્ટમેન્ટના ભોગીલાલ પ્રભુદાસભાઇ શાહ, આલાપ ગ્રીન સીટી પાસેના જીનિયસ હાઇટસના ધીરજલાલ મોહનલાલ જોગિયા સહિત પાંચ તથા વડોદરાના હરણી રોડ પર રહેતાં જયેશ શાંતિલાલ દલવાડીની સીઆઇડી ક્રાઇમની ટીમે અટકાયત કરી હતી.
સીઆઇડી ક્રાઇમમાં થયેલી ફરિયાદ અરજી પરથી ગુનો નોંધવામાં આવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા, આઇજી’ શમશેરસિંઘ, અધિક્ષક’ રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના ડીવાયએસપી બી.એમ. ટાંક અને પીઆઇ રાકેશ’ ઘરસંડિયાની ટીમે ગુપ્ત રાહે રાજકોટમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસના અંતે પાંચ શખસને ઉઠાવી લેવાયા હતાં. સીઆઇડી ક્રાઇમના વર્તુળના જણાવ્યા પ્રમાણે વડોદરાના જયેશ દલવાડીના ઘેર કરાયેલી તપાસમાં લેપટોપ, ચેકબુક અને 48 જેટલા સમજુતી કરાર મળી આવ્યા હતાં. આ ટોળકી દ્વારા આરબીઆઇની મંજુરી લીધા વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવતું હતું. આ ટોળકીએ પ્રથમ કોઇનનું લોન્ચીંગ કરીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં” એ કોઇન બંધ કરી પાવર બીપી નામનો કોઇન લોન્ચ કર્યો હતો. તેના મારફતે 50.46 કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 17.65 કરોડ ચુકવવામાં આવ્યા હતા. રૂ. 32.79 કરોડની રકમ ચુકવવાની બાકી હતી.’ બાદમાં આ ગેંગની કંપનીએ પાવર યાત્રા નામની સ્કીમ રજુ કરીને 7592 જેટલા આઇડી બનાવીને રૂ. 11.91 કરોડ એકત્ર કરાયા હતાં. તેમાંથી રૂ. 1.52 કરોડ ચુકવવામાં આવ્યા હતાં. આ રીતે કરોડોની રકમ એકત્ર કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં’ અમદાવાદ અને વડોદરાના શખસોની સંડોવણી છે તેને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.