CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 49 of 53 - CIA Live

September 13, 2018
jetli-1-1280x720.jpg
1min7210

વિજય માલ્યાના નિવેદનને આધાર બનાવીને રાહુલ ગાંધી સમેત ભાજપ વિરોધી પાર્ટીના નેતાઓએ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી સામે આકરાં સરશંધાન વ્યક્ત કર્યા છે. આજે તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એક એકથી અણીયારા સવાલો ઉપસ્થિત કરીને મોદી-અમીત શાહને બેકફૂટ પર લાવી દીધા છે. અરુણ જેટલી પોતાનો બચાવ કરી શકતા નથી. આ મામલે હવે ભાજપે ડેમેજ મેનેજમેન્ટ કન્ટ્રોલ હાથ ધરવાની નોબત આવી છે.

રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહ્યું કે વિજય માલ્યા ભાગી જવાના છે એવી ખબર હોવા છતાં અરુણ જેટલીએ તેમની સામે કાર્યવાહી થવા ન દીધી, તેમણે તંત્રવાહકોને એલર્ટ કરી દેવાની જરૂર હતી. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે અરુણ જેટલી 15 મિનિટ સુધી સંસદ ભવનમાં જ વિજય માલ્યાને મળ્યા હતા. સીસી ટીવી ફૂટેજ ચકાસી લઇએ તો બધું ખબર પડી જશે.

દેશની બેંકોના કરોડો રુપિયાનું ફુલેકું ફેરવનાર શરાબના વેપારી વિજય માલ્યાએ અરુણ જેટલી સાથેની મુલાકાતનો ખુલાસો કર્યા બાદ રાજકારણનો માહોલ ગરમાઈ ગયો છે. રાહુલ ગાંધીએ એટલે સુધી જણાવ્યું કે માલ્યા અને જેટલી વચ્ચે સંસદના સેન્ટ્રલ હોલમાં 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે પણ રાહુલ ગાંધીએ માંગ કરી હતી.

તા.13મી સપ્ટેમ્બર 2018ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલે અરુણ જેટલીનું રાજીનામું માંગ્યું હતું. કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર કરેલાં 10 મોટા હુમલા આ પ્રમાણે છેઃ

1. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તા.12મી સપ્ટેમ્બર 2018ના રોજ અરુણ જેટલીએ કબુલ્યુ કે વિજય માલ્યા સાથે એમની સંસદ પરિસરમાં મુલાકાત થઈ હતી. જેટલી લાંબા બ્લોગ લખે છે, પરંતુ આ મામલે કશુંય લખતા નથી. અરુણ જેટલી મુલાકાત અંગે જુઠ બોલી રહ્યા છે. અમારા સાથી પીએલ પુનિયાએ એમને મુલાકાત કરતા જોયા છે.

2. રાહુલ કહ્યું કે, એમાં બે સવાલ પેદા થાય છે. પ્રથમ સવાલ કે નાણાપ્રધાન ભાગેડુ સાથે વાત કરે છે અને એમને લંડન જવા અંગે કહે છે. પરંતુ માલ્યા અંગે અરુણ જેટલીએ કોઈ એજન્સીને કેમ જણાવ્યું નહીં.

3. રાહુલ ગાંધીએ એ પણ પૂછ્યું કે સીબીઆઈ પર દબાણ વધારીને ‘રેસ્ટ્રેન્ડ નોટિસ’ને ‘ઈન્ફોર્મ્ડ’ નોટિસમાં કોણ બદલાવી ? એમણે આરોપ લગાવ્યો કે, નાણાપ્રધાનની મિલીભગત છે. નાણાપ્રધાને રાજીનામું આપવું જોઈએ.

4. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂછ્યું કે નાણાપ્રધાને જણાવવું જોઈએ કે એમણે અપરાધી સાથે મિલીભગત કેમ કરી ? રાહુલે એ પણ પ્રશ્ન કર્યો કે જેટલીએ માલ્યાને ખુદના સ્તર પર ભાગવા જવાનો નિર્ણય કર્યો કે પછી મોદીજીના કહેવાથી આવું કર્યું ?

5. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે લુકઆઉટ નોટિસ તો ફક્ત નાણાપ્રધાન અને વડાપ્રધાન જ બદલાવી શકે છે. નાણાપ્રધાને વિજય માલ્યાને ભાગવ દીધા.

6. કોંગ્રેસ અધ્યક્ષ પોતાની સાથે પીએલ પુનિયાને લઈને આવ્યા હતા. પીએલ પુનિયાએ દાવો ક્યો કે એમણે જેટલી અને માલ્યાને સંસદ પરિસરમાં મુલાકાત કરતા જોયા હતા.

7. પીએલ પુનિયાએ કહ્યું કે બજેટ રજૂ થવાના આગળના દિવસે 1 માર્ચે અરુણ જેટલી અને વિજય માલ્યા વાત કરી રહ્યા હતા. એ લગભગ 15 થી 20 મિનિટ વાત કરતા રહ્યાં. પહેલા બંને ઉભા રહીને અે પછી બંને ત્યાં સેન્ટ્રલ હોલમાં બેસીને વાત કરવા માંડ્યા.

8. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે મેં બે દિવસ પછી વાંચ્યું તો વિજય માલ્યા રવાના થઈ ગયા છે, તો હું હેરાન રહી ગયો. એમણે કહ્યું કે, અમે ઈચ્છીએ કે સંસદના સીસીટીવી ફુટેજની તપાસ થવી જોઈએ તો સત્ય બહાર આવશે.

9. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માલ્યાના નિવેદન બાદ નાણાપ્રધાન જેટલીનું રાજીનામું માગ્યું હતું.

10. એમણે ટ્વીટ કરીને કહ્યું કે માલ્યા તરફથી લગાવેલા આરોપ ગંભીર છે અને વડાપ્રધાને તાત્કાલિક આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. રાહુલે કહ્યું કે, તપાસ પુરી ન થાય ત્યાં સુધી જેટલીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.

September 10, 2018
modi-shah.jpg
1min4680

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘અજેય ભારત, અટલ ભાજપ’ એવું નવું સૂત્ર જાહેર કરીને સત્તાવાર રીતે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી માટેનો દૃઢતાભર્યો મૂડ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શાસન હેઠળ સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ મૂલ્યો માટે તેમ જ દેશની પ્રગતિ તથા વિકાસના માર્ગે લઈ જવા દૃઢ છે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધતી વખતે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને નવા સૂત્ર સાથે હૃદયપૂર્વકની અંજલિ પણ આપી હતી.

‘અજેય ભારત, અટલ ભાજપ’ એ સૂત્રનો અર્થ એવું ભારત જે સદા અપરાજિત રહેશે અને કોઈના પણ વશમાં આવ્યા વગર અડગ અને નિશ્ર્ચયી રહેશે. મોદીએ કહ્યું હતું કે તેમનો પક્ષ આ સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે.

ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન કરનારા વિરોધ પક્ષો વિશે મોદીએ ટકોર કરતા કહ્યું હતું કે ‘જે લોકોને એકમેક સામે જોવાનો વ્યવહાર નથી તેઓ મહાગઠબંધન માટેની મથામણ કરી રહ્યા છે. અમારા કાર્યોનું આ સૌથી મોટું સમર્થન છે. આ લોકોનું એવું મહાગઠબંધન કરવામાં મથ્યા છે જેમાંના નાના પક્ષો સહિત કોઈને પણ કૉન્ગ્રેસની નેતાગીરી સ્વીકાર્ય નથી.’ દરમિયાન, ભાજપના પ્રમુખ અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાનો પક્ષ ફરી સત્તા પર આવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

‘અમિત શાહે કહ્યું છે કે ભાજપ આવતા ૫૦ વર્ષ સુધી સત્તા પર રહેશે. ભાજપ પોતાના પર્ફોર્મન્સને આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતશે અને પછીના ૫૦ વર્ષ સુધી પણ એને કોઈ સત્તાવિમુખ નહીં કરી શકે,’ એવું ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે અહીં પત્રકારોને પક્ષની કારોબારીની બેઠક ખાતે અમિત શાહે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

પ્રસાદે કહ્યું હતું કે ‘આ અંદાજ વિવિધ રાજ્યોમાં ભાજપ-શાસિત સરકારોના તેમ જ કેન્દ્રમાં સરકારનો જે પર્ફોર્મન્સ રહ્યો છે અને કોઈ પણ પ્રકારના અહંકાર વગર જે રીતે કામો થઈ રહ્યા છે એને આધારે વ્યક્ત થયો છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યાર પછી ભાજપે ક્યારેય ચૂંટણીમાં પરાજય નથી જોવો પડ્યો. ભાજપ પોતાના પર્ફોર્મન્સને કારણે જ રાજ્યમાં સત્તા પર રહી છે.’

September 9, 2018
mohan-bhagwat-h_d.jpg
1min5800

હિંદુઓમાં પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. આ સમુદાય જ્યારે સમાજ તરીકે કામ કરશે ત્યારે જ સમૃદ્ધ થશે, એમ જણાવતા આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયના નેતાઓને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એક થવાની હાકલ કરી હતી.

બીજા વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસમાં ભાગ લેનારા આશરે 2,500 પ્રતિનિધિના સમૂહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વને એક ટીમમાં લાવવાના મહત્ત્વના મૂલ્યમાં અહમ્ પર નિયંત્રણ મૂકવું અને સર્વસંમતિ સ્વીકારવાનું શીખવું છે.

1893માં શિકાગો ખાતે સર્વ ધર્મની પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણના 125મા વર્ષે બીજા વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સિંહ જો એકલો હોય તો જંગલી કૂતરાઓ પણ તેને નિશાન બનાવી તેને મારી નાખી શકે છે. આપણે એ ભૂલવું ના જોઇએ. અમે દુનિયાને બહેતર બનાવવા માગીએ છીએ. અમને પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. અમારો પ્રભાવ એ વિજય અને વસાહત સ્થાપવાનું પરિણામ નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

આદર્શવાદની ભાવના સારી છે એમ જણાવતા ભાગવતે ઉમેર્યું હતું કે તેઓ આધુનિકતાના વિરોધી નથી, પરંતુ ભવિષ્યને આવકારનારા છે.

મહાભારતના વિચારોને ટાંકીને ભાગવતે લોકોને સર્વસંમતિથી એક ટીમ બનીને કામ કરવા અપીલ કરી હતી. હિંન્દુઓ તેમના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે, તેથી હેરાન થઇ રહ્યા છે. હિન્દુઓમાં ઘણા વિદ્વાનો છે, ધુરંધરો છે, પરંતુ તેઓ સાથે મળીને કામ કરતા નથી. હિન્દુ કોઇનો વિરોધ કરતા નથી. તેમના વિરોધીઓને પણ તેઓ નુક્સાન નથી પહોંચાડતા, એમ ભાગવતે જણાવ્યું હતું

અધૂરા જ્ઞાન અને અજ્ઞાનતાને કારણે દુનિયાના સૌથી જૂના હિન્દુ ધર્મને ઘણી હાનિ પહોંચી છે એ જોઇને મને ઘણું દુ:ખ થાય છે, એમ અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધન કરનારાઓમાં લેફટ. ગવ. એવલિન સંગુનેટ્ટી, વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા એસ. પી. કોઠારી, સુરિનામના ઉપપ્રમુખ અશ્ર્વિન અધિન અને વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસના વાઇસ ચૅરમેન રાજુ રેડ્ડીનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની અને તાજેતરમાં અવસાન પામેલા લેખક વી. એસ. નાયપોલની સ્મૃતિમાં એક મિનિટ મૌન પાળ્યું હતું.

આ કાર્યક્રમ સમયે કેટલાક વિરોધીઓના જૂથે વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસની કાર્યવાહીને ટૂંક સમય માટે ખોરવી નાખી હતી. વિરોધીઓ સ્લોગન ઉચ્ચારી રહ્યા હતા અને ભારતની ધાર્મિક લઘુમતીઓ સામે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાર્મિક નેતાઓને જણાવ્યું હતું. સ્થાનિક પોલીસ દળ દ્વારા બે મહિલા વિરોધીની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવટી ઓળખપત્ર બનાવી વિરોધીઓ કાર્યક્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમની મધ્યમાં સ્લોગન ઉચ્ચારવા માંડ્યા હતા અને આરએસએસ પાછા જાવની નારેબાજી કરવા માંડ્યા હતા.

 

September 8, 2018
shades.jpg
1min5310

મનમોહન સિંઘે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના પુસ્તક ‘શેડ્સ ઓફ ટ્રુથ’ના વિમોચન સમયે સમારોહ સંબોધિત કરતા જણાવ્યું કે સરકાર બધા જ મોરચે નિષ્ફળ રહી છે અને તે 2014માં કરેલા વાયદાઓને પુરા કરી શકી નથી.

મનમોહન સિંઘે પુસ્તકની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પુસ્તક ઘણી શોધ બાદ લખવામાં આવ્યું છે. આ પુસ્તક મોદી સરકારનું સમગ્ર વિશ્લેષણ છે. આ સરકારની નિષ્ફળતાને બતાવે છે. પુસ્તક દર્શાવે છે કે સરકારે જે વાયદાઓ કર્યા હતા તે પૂરા નથી થઇ શક્યા.
આ પ્રસંગે કપિલ સિબ્બલે જણાવ્યું કે જીએસટી ઉતાવળમાં લાગુ કરી દેવાયો અને તેનાથી વેપારીઓને નુકસાન થયું છે. મહાન નેતાએ 2014 પછી આપણને નોટબંધી આપી જેનાથી 1.5 ટકા જીડીપીનું નુકશાન થયું હતું. જો કોઈ અન્ય દેશમાં આવું બન્યું હોત તો તેમણે રાજીનામું આપવું પડ્યું હોત.
તેમણે જણાવ્યું કે હવે દેશમાં વૈકલ્પિક વિમર્શ પર વિચાર કરવાની અને તેને અપનાવવાની જરૂર છે. આ સરકારમાં ખેડૂતો અને યુવાન પરેશાન છે. દલિતો અને અલ્પસંખ્યકોમાં અસુરક્ષાનો માહોલ છે. દેશમાં કૃષિ સંકટ છે. ખેડૂતો પરેશાન છે અને આંદોલન કરી રહ્યા છે. બે કરોડ યુવાનો નોકરીઓની રાહ જોઈ રહ્યા છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રગતિ અટકી ગઇ છે.
September 7, 2018
rekhamodi.jpg
1min4140

બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીના સંબંધીઓના ઘેર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીની ટીમ ગુરુવારે રેખા મોદીના પટના સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. જોકે, સુશીલ મોદીએ કહ્યું કે, રેખા મોદી મારી સગી બહેન નથી.

બીજી તરફ ઈન્ટકટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે કોઈ કશુંય બોલાવ તૈયાર નથી. મીડિયા અહેવાલ અનુસાર રેખા મોદીની અન્ય મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક ચર્ચા અનુસાર ઈન્કમટેક્સ એ સૃજન ઘોટાલા મામલે કાર્યવાહી હાથ ધરી છે. રેખા મોદી પર આરોપ છે કે સૃજન સંસ્થાના સંચાલિક થકી આભૂષણોની ખરીદી કરી હતી.

બિહારના બહુચર્ચિત સૃજન ઘોટાળામાં ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખા મોદીનું નામ બહાર આવતાં ની સાથે રાજકીય હંગામો શરુ થઈ ગયો છે. સાથે વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે સુશીલ મોદી પોતાના સંબંધીઓને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના ભાગલપુર જિલ્લામાં સૃજન નામની એનજીઓ મહિલાઓને રોજગાર આપવા શરુ કરાઈ હતી. જેમાં ૧૦ કરોડ રુપિયાના સરકારી ચેક બાઉન્સ થાય બાદ એનજીઓમાં ઘોટાળા થયો હોવાની ઘટના બહાર આવી હતી. તપાસમાં ખબર પડી કે ડીએમની બોગસ સહીથી બેંકમાંથી સરકાર પૈસાને એનજીઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઘોટાળાની તપાસ હજુ ચાલું છે.

September 3, 2018
patni.jpg
1min9340

હરીયાણા ભાજપના બે ધારાસભ્યોએ પત્નીપીડિત પતિ-મહાશયો અંગે ચિંતા વ્યકત કરી તેમની મદદે આવવાનું નક્કી કર્યું છે, બન્ને ધારાસભ્યોએ મહિલાઓની સુરક્ષા માટે ઘડવામાં આવેલી કલમોના થતા દુરુપયોગ અને મહિલાઓ દ્વારા પુરુષ તથા તેમના પરિવારોને કરવામાં આવતી માનસિક હેરાનગતિને દૂર કરવા રાષ્ટ્રીય પુરુષ પંચની સરકાર પાસે માગણી કરી છે.

હરિયાણાના રાજભર-ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર તથા અંશુલ વર્મા-સસંદ સભ્ય હરદોઇએ પુરુષ આયોગ અંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લીધો છે.

પુરુષ આયોગ કાર્યક્રમમાં બન્ને ધારાસભ્યો પુરુષ સલામતી અંગે વક્તવ્ય આપશે. રાજભારે પત્રકારોને જણાવ્યું છે કે દરેક મહિલા ખોટી હોય છે એવું તેમનુ કહેવાનું નથી, તેઓ દરેક પુરુષને સાચો પણ નથી માનતા પણ અત્યાચાર સામે રક્ષણાર્થે ઘડેલા સ્ત્રી તરફેણના કાયદાઓને કારણે ઘણીવાર નિર્દોષ પુરુષે પણ સહન કરવું પડે છે. નેશનલ કમિશન ફોર વુમનની જેમ જ નેશનલ કમિશન ફોર મેન પણ હોવું જરૂરી છે. તેમણે સંસદમાં પણ પુરુષોની તકલીફ અંગે અવાજ ઉઠાવ્યો હતો.

અશુંલ વર્માએ પણ પોતે જેના સભ્ય છે એ પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મુદ્દો રજૂ કર્યો હતો. અંશુલ વર્માએ દહેજ વિરોધી ધારા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પુરુષોની થતી કનડગત સંદર્ભે કમિટીનું ધ્યાન દોર્યું હતું. તેમણે આ કલમો (૪૯૮એ)માં જરૂરી બદલાવ લાવવા સૂચન કર્યું.

તેમણે ઉમેર્યું હતું કે ૪૯૮ એ કલમ પુરુષ વિરોધનું શસ્ત્ર સમાન સાબિત થઇ રહી છે. ૧૯૯૮થી ૨૦૧૫ સુધીમાં કલમ હેઠળ ૨૭ લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અંશુલે સ્ત્રી-પુરુષ સમાનતાના ધોરણ પર ભાર મૂક્યો છે.

જ્યારે નેશનલ કમિશન ફોર વુમનના ચેરપર્સન રેખા શર્માએ હકારાત્મક અભિગમ દાખવી જણાવ્યું છે કે મહિલાઓના અવાજને વાચા આપવા કમિશનની રચના કરવામાં આવી છે, એ જ રીતે પુરુષોની માગણીને ધ્યાનમાં રાખી નેશનલ કમિશન ફોર મેન પણ રચાય તો કઇ ખોટુ નથી. પરંતુ તેમણે તેમના તરફથી આવા કોઇ કમિશનની જરૂર નહીં હોવાની સ્પષ્ટતા પણ કરી હતી.

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય મંત્રી મેનકા ગાંધીએ પણ તેમની પાસે પુરુષો પરના અત્યાચારની ફરિયાદો આવી હોવાનું જણાવ્યું હતું.

તેમણે રાષ્ટ્રીય મહિલા પંચને જ પુરુષોની ફરિયાદ વિશે વિચારણા કરવાનું અને પુરુષોને પણ તેમની રજૂઆત એનસીડબલ્યુના પ્લેટફોર્મ દ્વારા કરવા દેવા અનુરોધ કર્યો હતો.

તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા જૂઠા કેસ સંદર્ભે પુરતી તપાસ માટે પણ અપીલ કરી હતી.

જોકે રાષ્ટ્રીય મહિલા પંચના રેખા શર્માએ પૂરતી વિગતો અને તપાસ વગર મેનકા ગાંધીના સૂચનનો અમલ કરવો શક્ય ન હોવાનું જણાવ્યું છે.

August 31, 2018
rahul.jpg
1min5670

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાફેલ યુદ્ધ વિમાનોના સોદા અને નૉટબંધીને મુદ્દે આકરી ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે રાફેલ લડાયક વિમાનના સોદામાં વિમાનની કિંમત અંદાજે રૂપિયા 520 કરોડથી વધીને રૂપિયા 1,600 કરોડ (લગભગ ત્રણ ગણી) કઇ રીતે થઇ ગઇ?

તેમણે જણાવ્યું હતું કે મોદીએ નૉટબંધીનું મોટું કૌભાંડ કર્યું હતું અને સામાન્ય માણસો પાસેથી નાણાં લઇને તે ‘મૂડીવાદી મિત્રો’ને અપાયા હતા. વડા પ્રધાને આ સંબંધમાં ખુલાસો કરવો જોઇએ.દરમિયાન, કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે રાફેલ સોદાનો મુખ્ય હેતુ મોદીના મિત્ર અનિલ અંબાણીને મદદ કરવાનો હતો. અનિલ અંબાણીએ આ સોદાના 12 દિવસ પહેલાં જ એક નવી કંપની શરૂ કરી હતી.

દરમિયાન, રાફેલ સોદામાં અબજો ડૉલરના અયોગ્ય લાભના આક્ષેપનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ જૂથે કૉંગ્રેસના અનેક નેતાને કાનૂની નૉટિસ મોકલી હતી.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે અમે આવી નૉટિસથી નથી ડરતા અને તેનાથી અમને ચૂપ કરાવી નહિ શકાય. આ નૉટિસ જ ‘ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને કૉપૉર્રેટ વિશ્ર્વ વચ્ચેના સંબંધ’નો પુરાવો છે.

કૉંગ્રેસના પ્રમુખે રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ યોજવાની માગણી કરી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે તમે રૂપિયા 520 કરોડનું વિમાન રૂપિયા 1,600 કરોડમાં શું કામ ખરીદો? તમે (મોદી) શું કામ (કોઇને) લાભ કરાવવા પ્રયાસ કરી રહ્યા છો?

રાહુલે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી પણ આ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવા કંઇ નથી બોલતા.

ડેસ્સોલ્ટ એવિયેશન દ્વારા ફ્રાંસના બે એન્જિનવાળા અને બહોળી ભૂમિકા ભજવી શકતા રાફેલ યુદ્ધ વિમાનોની ડિઝાઇન તૈયાર કરાય છે અને તેઓનું નિર્માણ કરવામાં આવે છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે નવેસરથી કરેલા રાફેલ સોદામાં ભારતને રૂપિયા 41,000 કરોડનું નુકસાન થયું છે.

કૉંગ્રેસના પ્રમુખે નૉટબંધીને લગતા ભારતીય રિઝર્વ બૅન્કના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે નૉટબંધી પછી પણ બેકારી અને ઓછું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) જેવા મહત્ત્વના મુદ્દે વણઉકેલાયેલા છે. મોદીએ આ સંબંધમાં સ્પષ્ટતા કરવી જોઇએ અને દેશની જનતાને જવાબ આપવો જોઇએ.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે નૉટબંધી કોઇ ભૂલ નહોતી, પરંતુ તે જનતા પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો હતો.

તેમણે જણાવ્યું હતું કે મને બદનક્ષીના કેસનો ડર નથી. નૉટબંધીએ દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તેનાથી બેકારી વધી છે. મોદીએ દેશના યુવાનોને તો તેઓના સવાલોના જવાબ આપવા જ જોઇએ.

કૉંગ્રેસ સવાલ કર્યો હતો કે રાફેલ સોદામાં સરકારી એરૉસ્પેસ કંપની એચએએલનો સમાવેશ શું કામ નહોતો કરાયો?

August 29, 2018
Dirty-Politics.jpg
1min4420

અપરાધી નેતાઓને ચૂંટણી નહીં લડવા દેવાના અને બરતરફ કરવાના મામલે તા.28મી ઓગસ્ટ 2018ના રોજ કરેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે કોર્ટનો ઇરાદો રાજનીતિને સ્વચ્છ કરવાનો છે પરંતુ કાયદાકીય દૃષ્ટિએ સુપ્રીમ કોર્ટને સંસદની રચનામાં દખલગીરીનો અધિકાર નથી.

ચૂંટણી ઉમેદવારોના ગુનાખોરીના ઈતિહાસ કે ભૂતકાળને જાણવાનો મતદારોને અધિકાર છે અને ચૂંટણી પંચને રાજકીય પક્ષોને એવો આદેશ આપવાનું કહી શકાય કે અપરાધીઓને તેમની ચૂંટણી ટિકિટ પર ચૂંટણી લડવા ન દેવાય, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી પિટિશનમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા અપરાધીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે, તદુપરાંત જેની પર રેપ, લાંચ-રુશ્ર્વત, ભ્રષ્ટાચાર તથા હત્યા અંગેના કેસ ચાલી રહ્યા હોય તેવા ધારાસભ્યને બરતરફ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જોકે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ સુનાવણી દરમિયાન જૂઠી ફરિયાદો અને આરોપનો ઉલ્લેખ કર્યો હતો. એટર્ની જનરલે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસમાં રાજકારણીઓ છૂટી જતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે આ નીતિ વિષયક છે જેમાં કોર્ટ દખલગીરી ન કરે.

ચીફ જસ્ટિસે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે કોર્ટ કાયદાની કે રાજકીય પક્ષની માન્યતાની વાત નથી કરી રહી.

અગાઉ કરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે જેની પર કોઈ પણ જાતના કેસ હોય તેવો રેકોર્ડ ધરાવનાર ઉમેદવારને ચૂંટણી નિશાન ન આપી શકાય એવી કોઈ સત્તા ચૂંટણી પંચને છે કે નહીં ?

જોકે સરકારે તેનો વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે ચૂંટાયેલા ઉમેદવાર જ એ અંગેનો નિર્ણય કરી શકે છે.

એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને દોષી કહી શકાતો નથી. તેથી પણ કોર્ટે નિર્ણય કર્યા પહેલા વિચારવું જરૂરી છે. સુનાવણીની સામસામી દલીલો બાદ પાંચ જજની ખંડપીઠે સુનાવણી મુલતવી રાખી હતી.

August 28, 2018
sharad.jpeg
1min9670

એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચર્ચા કરી શકાય, પરંતુ પહેલા ભાજપને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦૪ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.

પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.

August 27, 2018
socialmedia1-900px.jpg
1min13640

માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના પ્રધાન રવિશંકર પ્રસાદે આર્જેન્ટિનાના સલાટા ખાતે ‘જી-૨૦ ડિજિટલ ઇકૉનૉમી મિનિસ્ટરિયલ મિટિંગ’માં જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહોંચાડવા નહિ દેવાય.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રસાદે ‘જી-૨૦’ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફૉર્મ્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરૂરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્ર્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ૪૫ કરોડ

સ્માર્ટફૉન સહિત ૧.૨૧ અબજ મૉબાઇલ ફૉન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રૉડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર ‘આધાર’ અને કૉમન સર્વિસીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શક્તિ ઘણી વધી છે.