
તા.19મી ઓક્ટોબર 2018ના રોજ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયેલી શિવસેનાની પરંપરાગત દશેરારૅલીને સંબોધિત કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરના મુદ્દે કેન્દ્રની NDAએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
સાડાચાર વર્ષથી સત્તા પર છો તો એક વખત પણ અયોધ્યા કેમ ન ગયા એવો પ્રશ્ન કરી વડા પ્રધાન પર સીધો હુમલો કરતાં ઉદ્ધવ ઠાકરેએ ૨૫ નવેમ્બરે તેઓ અયોધ્યા જશે એવી જાહેરાત કરી હતી. BJPને પડકારતાં તેમણે કહ્યું હતું કે ‘હવે જોઈએ કે અયોધ્યામાં રામમંદિર કોણ બનાવે છે? તમે કે પછી હું?’
BJP પર તીખા વ્યંગ કરતાં તેમણે કહ્યું હતું કે ‘જો અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત માત્ર ચૂંટણીઢંઢેરો જ હતી તો કેન્દ્રની સરકારને NDAની સરકાર ન કહેતાં એમ કહી શકાય કે સરકારના DNAમાં જ કોઈ ગરબડ છે. મંદિર બાંધવા માટે છપ્પનની છાતીની નહીં પણ મજબૂત મનોબળની જરૂર છે.’

વડા પ્રધાને એક પણ વાર અયોધ્યાની મુલાકાત નથી લીધી એ મુદ્દાને તેમની વિદેશયાત્રા સાથે સાંકળતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમે ચીન, જપાન અને અમે ભૂગોળમાં પણ ક્યારેય નામ ન સાંભળ્યા હોય એવા દેશોમાં જાઓ અને ભારતનું નામ રોશન કરો, પણ એક વાર તમારા મતવિસ્તારની પાડોશમાં આવેલા અયોધ્યાને કઈ રીતે ભૂલી શકો છો?
દશેરારૅલીના ભાષણની શરૂઆત રામમંદિરના મુદ્દાથી કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વિજયાદશમીએ દર વર્ષે રાવણ ઊભો થાય છે પણ રામમંદિર ઊભું નથી થઈ રહ્યું.





















