CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 48 of 53 - CIA Live

October 19, 2018
ayodhyay.jpg
1min5930

uddhav2

તા.19મી ઓક્ટોબર 2018ના રોજ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાયેલી શિવસેનાની પરંપરાગત દશેરારૅલીને સંબોધિત કરતાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરના મુદ્દે કેન્દ્રની NDAએ સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

સાડાચાર વર્ષથી સત્તા પર છો તો એક વખત પણ અયોધ્યા કેમ ન ગયા એવો પ્રશ્ન કરી વડા પ્રધાન પર સીધો હુમલો કરતાં ઉદ્ધવ ઠાકરેએ ૨૫ નવેમ્બરે તેઓ અયોધ્યા જશે એવી જાહેરાત કરી હતી. BJPને પડકારતાં તેમણે કહ્યું હતું કે ‘હવે જોઈએ કે અયોધ્યામાં રામમંદિર કોણ બનાવે છે? તમે કે પછી હું?’

BJP પર તીખા વ્યંગ કરતાં તેમણે કહ્યું હતું કે ‘જો અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત માત્ર ચૂંટણીઢંઢેરો જ હતી તો કેન્દ્રની સરકારને NDAની સરકાર ન કહેતાં એમ કહી શકાય કે સરકારના DNAમાં જ કોઈ ગરબડ છે. મંદિર બાંધવા માટે છપ્પનની છાતીની નહીં પણ મજબૂત મનોબળની જરૂર છે.’

વડા પ્રધાને એક પણ વાર અયોધ્યાની મુલાકાત નથી લીધી એ મુદ્દાને તેમની વિદેશયાત્રા સાથે સાંકળતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમે ચીન, જપાન અને અમે ભૂગોળમાં પણ ક્યારેય નામ ન સાંભળ્યા હોય એવા દેશોમાં જાઓ અને ભારતનું નામ રોશન કરો, પણ એક વાર તમારા મતવિસ્તારની પાડોશમાં આવેલા અયોધ્યાને કઈ રીતે ભૂલી શકો છો?

દશેરારૅલીના ભાષણની શરૂઆત રામમંદિરના મુદ્દાથી કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે વિજયાદશમીએ દર વર્ષે રાવણ ઊભો થાય છે પણ રામમંદિર ઊભું નથી થઈ રહ્યું.

October 16, 2018
rakeshpande1.jpg
1min5090

રાજકારણીઓના નબીરાઓ છાશવારે એવા કૃત્યો કરતા હોય છે કે આખા દેશમાં તેની ચર્ચા થતી રહે છે. ગયા શનિવાર તા.13મી ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ હયાતના મેઇન ગેટ પર બસપાના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડેએ એક યુગલને ધમકાવવા માટે ખુલ્લેઆમ રિવોલ્વોર બતાવીને 15 મિનીટ સુધી તાયફો કર્યો હતો. જોકે ઘટના અંગે હયાત હોટેલના સિક્યુરીટી મેનેજરે પોલીસ ફરીયાદ કરી છે.

જ્યારે ઘટના બની રહી હતી ત્યારે સામાન્ય મુલાકાતીઓની નજરે લખનઉના એક શખ્શે બંદૂક કાઢી ધમકી આપી હતી એવું ચિત્ર હતું. બાદમાં પ્રાપ્ત માહિતી મુજબ બંદૂક કાઢીને ધમકી આપનાર શખ્સ બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર છે. આ ઘટનાનો વીડિયા વાયરલ થયો છે, જેમાં તેમના હાથમાં બંદૂક દેખાઇ રહી છે અને સાથે તેઓ અભદ્ર ભાષાનો પણ પ્રયોગ પણ કરતા હોવાનું જણાયું હતું એટલું જ નહી તેમની મહિલા મિત્ર પણ અપશબ્દો બોલી રહી હતી.

હોટેલના આસિસ્ટન્ટ સિક્યોરિટી મેનેજરની ફરિયાદના આધાર પર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  દિલ્હીના હયાત હોટલમાં પૂર્વ બીએસપી સાંસદ રાકેશ પાંડેના પુત્ર આશીષ પાંડે કંઇક વાત પર એક યુગલ પર ભડકી ગયા હતા. ત્યારબાદ આશીષે તેમની એસયુવીમાંથી બંદૂક કાઢી ગેટ પર હાજર યુગલની સામે તાકી હતી. અને ત્યારબાદ તેમણે યુગલને ગાળો ભાંડી હતી.

લગભગ બે મિનિટી સુધી આશીષ અને તેમની સાથે હાજર યુવતીએ યુગલને ધમકાવ્યા હતા. યુગલને ધમકાવ્યા બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જોકે આશીષ યુગલને કેમ ધમકાવી રહ્યો હતો તે હજું સ્પષ્ટ થયું નથી.આશીષનાં ભાઇ આંબેડકર નગરના જલાલપુર વિસ્તારના ધારાસભ્ય છે અને તેમના કાકા પવન પાંડે પણ ધારાસભ્ય છે. આશીષ દારૂનો વ્યવસાય કરે છે. દિલ્હીના આર કે પુરમ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે

October 12, 2018
gd_agarwal.jpeg
1min6540

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 11, 2018
nitishkumar.jpg
1min6140

અનામતનો વિરોધ કરીને યુવકે કાર્યક્રમમાં નીતિશ પર ચપ્પલ ફેંક્યું, જો કે ચપ્પલ દૂરથી ફેંકાયું હોવાથી નીતિશ કુમાર સુધી પહોંચ્યું નહીં

બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પર પટનામાં એક કાર્યક્રમ દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી છે. નિતીશ જેડીયુના યૂથ વિંગના એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. ચપ્પલ ફેંકનારા આરોપી વિદ્યાર્થિએ અનામતને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ઘટના દરમિયાન પ્રશાંત કિશોર પણ નિતીશ કુમારની સાથે હતા. મીડિયાના રિપોર્ટ્સ મુજબ ચપ્પલ ફેંકાવાની ઘટનાથી ગુસ્સામાં આવીને જેડીયુના કાર્યકર્તાઓએ આરોપી વિદ્યાર્થીને ઢોર માર મારી, પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી છે.

આરોપી વિદ્યાર્થી ઔરંગાબાદનો રહેવાસી છે. પ્રાપ્ત માહિતી મુજબ યુવકે જણાવ્યું કે, અનામતને લઇને તે ચિંતિત છે અને ઉચ્ચ જાતિના હોવાને કારણે તેને નોકરી પણ મળતી નથી. આ વાતથી તે નાખુશ હતો.

October 6, 2018
Election_Commission.jpg
1min10690

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતા દેશના રાજકીય તખ્તે ચહલપહલ જોવા મળી હતી.

ચીફ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે કરેલી જાહેરાત મુજબ ચૂંટણીની તારીખો આ મુજબ છે.

મધ્ય પ્રદેશ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 7 જાન્યુઆરી 2019, કુલ 230 બેઠકો 

રાજસ્થાન અને તિલંગાના

  • મતદાન તા.7 ડિસેમ્બર શુક્રવાર,
  • વિધાનસભા વિસર્જન તા. 20 જાન્યુઆરી 2019, કુલ 200 બેઠકો

છત્તીસગઢ

  • ફર્સ્ટ ફેઝ 18 બેઠકો, 16 ઓક્ટોબર નોટિફિકેશન, મતદાન 12 નવેમ્બર 2018 સોમવાર
  • ફેઝ ટુ, 72 બેઠકો 26 ઓક્ટોબર નોટિફિકેશન, 20 નવેમ્બર 2018, મંગળવાર  
  • વિધાનસભા વિસર્જન તા. 5 જાન્યુઆરી 2019, કુલ 90 બેઠકો

મિઝોરમ

  • મતદાન તા.28 નવેમ્બર 2018, બુધવાર
  • વિધાનસભા વિસર્જન તા. 15 ડિસેમ્બર 2018, કુલ 40 બેઠકો

 

  • મતગણતરી દરેક રાજ્યોમાં 11 ડિસેમ્બર 2018ના રોજ હાથ ધરાશે.

ચૂંટણીની તારીખોની ઘોષણા સાથે જ મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગૂ કરી દેવામાં આવી છે.

ઉમેદવારોના સોગંદનામામાં માગવામાં આવતી વિગતોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફેરફાર કરવામાં આવ્યો હોવાનું ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું. દરેક વિધાનસભા મત વિસ્તારમાં રૂ.28 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું છે એ પૈકી ત્રણ રાજ્યોમાં હાલમાં ભાજપાની સરકાર જ્યારે મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે. આજે ચૂંટણીની તારીખોની ઘોષણા થાય એ પહેલા ભાજપના બે દિગ્ગજ નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં અને બીજેપીના નેશનલ પ્રેસિડેન્ટ અમીત શાહ મધ્ય પ્રદેશમાં ચૂટણી સભાને સંબોધન કર્યું હતું.

 

October 3, 2018
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min12240

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી સૌથી વધુ બેઠકો મળે એવી ગણતરી સાથે કેન્દ્રીય ભાજપના નેતાઓ ગુજરાત પર મોટો દાવ રમી રહ્યા છે એવા સંજોગોમાં ગુજરાતમાં ભાજપા પાસે જીત (જીતુ વાઘાણી) અને વિજય (વિજય રૂપાણી) બન્ને છે આમ છતાં નરેન્દ્ર મોદી અને અમીત શાહ બન્ને ગુજરાતના આ જીત અને વિજયથી નાખુશ છે અને સંભવ એ પણ છે કે કોઇક મોટા નો ભોગ પણ લેવાય જાય.

વાત જાણે એમ બની કે

વડાપ્રધાન મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાત આવ્યા હતા એ પછી તાબડતોડ ભાજપ સેન્ટ્રલ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને દિલ્હી તેડાવ્યા હતા. આ દરમિયાન ચર્ચા હતી કે પીએમ મોદીના કાર્યક્રમમાં કાર્યકરો અને પ્રજાની પાંખી હાજરી કેમ હતી, ખુરશીઓ, બેઠકો ખાલી હતી. ખુદ મોદીને આ વાત અપમાનજનક લાગી હતી. આ બાબતથીથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ એ વાત જાહેર થઇ ગઇ કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ મામલે સ્થાનિક નેતાઓનો ઉધડો લીધો અને આવું કેમ થયું તેની તપાસ શરૂ કરાવડાવી છે. એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં ભાજપ અને સંગઠનની કામગીરીથી નારાજ પીએમ મોદીએ અમિત શાહને ધ્યાન દોરતા શાહે ભાજપના નેતાઓને યોગ્ય કાર્યવાહી માટે કડકાઈ સૂચના આપી છે એ જોતા આગામી દિવસોમાં એકાદ બે નેતાઓની જવાબદારી લઇને બીજા કોઇ નેતાને સુપરત કરવામાં આવે.

જાણકારોનું કહેવું છે કે ગુજરાત ભાજપના નેતાઓની દિલ્હી મુલાકાત બાદ હવે આગામી દિવસોમાં ગુજરાત ભાજપામાં સંગઠન સ્તરે અને રાજ્ય સરકારમાં પરિવર્તનની વકી સ્પષ્ટ છે.

ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ પર નિર્ભર

નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન મળેલી નિષ્ફળતાનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ચાર દિવસ માટે ગુજરાત મોકલ્યા છે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મોદીના મુલાકાતના સ્થળો અને તે જિલ્લામાં ભાજપની સ્થિતિ અને ભાજપ અંગે પ્રજાનો વિશ્વાસ અને રોષ કેવો છે તે અંગેનો તાગ મેળવીને રિપોર્ટ કરશે. ભૂપેન્દ્ર યાદવના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે.

નારાજગીનો સૂર તો પહેલેથી છે જ

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણી અને મંત્રીમંડળની કામગીરી સામે ભાજપના જ ધારાસભ્યોની નારાજગી વારતહેવારે સામે આવી ચૂકી છે. તો મંત્રીઓ વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાથી કામગીરી અટકતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખ અને જિલ્લા અને શહેર પ્રમુખ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાથી સરકારની કામગીરી પ્રજા સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. આમ ભાજપ સંગઠન અને સરકારમાં સંકલનના અભાવ અને પ્રજા સાથે સંપર્ક કરવામાં ભાજપ ઉણો ઉતરતાં હાઈકમાન્ડે પણ તેની ગંભીર નોંધ લીધી છે.

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10210

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 20, 2018
hardik_jindal.jpg
1min5500

જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે

hardik patel

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ કરનાર  હાર્દિક પટેલ હવે  ટ્રિટમેન્ટ માટે બેંગાલુરુ પહોંચ્યો છે. બેંગાલુરુની જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં હાર્દિક પટેલ નેચરોપથીની ટ્રિટમેન્ટ લઈ રહ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. આ સાથે જોગીંગ કરતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બેંગાલુરુની આ એ જ જિંદાલ નેચરલ કેર સેન્ટર છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ નેચરોપથીની સારવાર મેળવી હતી. આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર નેતાઓ પણ પોતાની હેલ્થ સાચવવા આ નેચરલ કેર સેન્ટરના દર્દી બન્યા છે. હાર્દિક પટેલ  28 તારીખ સુધી આ સેન્ટરમાં ટ્રિટમેન્ટ લેશે. ત્યારબાદ પરત ગુજરાત ફરશે.

September 19, 2018
agusta.jpg
1min19010

વચેટિયાના પ્રત્યાર્પણનો આદેશ, કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી

HELICOPTER

3600 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે ભારતને મોટી સફળતા મળી છે. દુબઈની અદાલતે આ વિવાદિત ડીલમાં કથિત બ્રિટિશ વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ મિશેલના પ્રત્યાર્પણની શક્યતા વધી ગઈ છે. જો કે આ મામલે સવાલોના ઘેરામાં રહેલી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલાક સમય પહેલા ભારતે દુબઈને ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ માટે રજૂઆત કરી હતી. ભારત સરકારની અપીલ સીબીઆઈ અને ઈડી તરફથી કરાયેલી તપાસને આધારે કરાઈ હતી.

સૂત્રો મુજબ દુબઈના અદાલતનો આદેશ અરબી ભાષામાં કરાયેલો છે, એટલે વિસ્તૃત આદેશ તો આજે જાણી શકાશે. ભારતીય પ્રશાસન આ આદેશનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યું છે. મિશેલના પ્રત્યાર્પણના આદેશને સીબીઆઈ અને ઈડી માટે મોટી સફળતા મનાઈ રહી છે. ઈડીએ મિશેલ વિરુદ્ધ જૂન, 2016માં દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં તેણે 225 કરોડ રૂપિયાની દલાલી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2017માં મિશેલની યુએઈમાંથી ધરપકડ કરાઈ હતી. મિશેલના વકીલનો આરોપ છે કે સીબીઆઈ તેના ક્લાયન્ટ પર દબાણ કરી રહી છે. જો કે તપાસ એજન્સીઓએ આ આરોપો નકારી દીધા હતા.

September 14, 2018
paswan.jpg
1min9170

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે જ મોરચો માંડ્યો છે

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની પુત્રી આશા પાસવાને પિતા સામે જ મોરચો માંડ્યો છે. આશા પાસવાને ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું કે તે પોતાના પિતા વિરુદ્ધ આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડશે. આશા પાસવાને કહ્યું જો રાજદ ટિકિટ આપશે તો તે હાજીપુરથી પિતા સામે જ લડશે. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવને આશા પાસવાને કાકા ગણાવ્યા તો તેજસ્વી અને તેજપ્રતાપને પોતાના નાના ભાઈ કહ્યા.

આશાનો આરોપ છે કે તેમના પિતા હંમેશા ભાઈ ચિરાગ પાસવાનની કારકિર્દી જ આગળ વધારી રહ્યા છે, પુત્રી વિશે ક્યારેય નથી વિચાર્યું. પિતા પુત્રી સાથે ભેદભાવ કરતા હોવાનો પણ આશા પાસવાને આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રામ વિલાસ પાસવાનને બે લગ્ન કર્યા છે. આશા પાસવાનની માતા રામ વિલાસ પાસવાનની પહેલી પત્ની છે. જે બિહારમાં પાસવાનના વતનમાં રહે છે. તો ચિરાગ પાસવાન રામ વિલાસ પાસવાનની બીજી પત્નીના એકમાત્ર પુત્ર છે.

આશા પાસવાને પોતાના પિતા અને ભાઈ પર આરોપ લગાતા કહ્યું કે બંને પોતાની મનમાની કરે છે. રામવિલાસ પાસવાન દલિતોના નહીં પરંતુ સવર્ણોના નેતા બની ચૂક્યા છે. સાથે જ આશા પાસવાને પિતા પર પોતાનું જ નહીં તમામ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.