દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન
BJPને હરાવવા માટે વિપક્ષી એકતા સાધવાનો સંકલ્પ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથેની ગઈ કાલની મુલાકાત વખતે જાહેર કર્યો હતો. ચંદ્રબાબુ સાથે વિપક્ષી એકતા વિશે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો લોકતાંત્રિક બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે કાર્ય કરશે. વિરોધ પક્ષો બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ નાબૂદ કરવા અને રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચાર સહિતના મહત્વના મુદ્દા પર સાથે મળીને કામ કરશે.’
લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ છે. એ ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ખરેખર શું બન્યું? એ બધા પૈસા ક્યાં ગયા અને ભ્રષ્ટાચાર કોણે કર્યો એ મુદ્દા પર હું ભાર મૂÊકું છું. રાષ્ટ્ર એ બધું જાણવા માગે છે.’
વિપક્ષી એકતાની ઉત્સુકતા દર્શાવતાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અમે એક મંચ પર આવીને ભાવિ વ્યૂહ ઘડીશું. તમને ઉમેદવારો વિશે જાણવાની ઉત્સુકતા છે અને અમને રાષ્ટ્રનું હિત જાળવવામાં રુચિ છે.’

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીને મળતાં પહેલાં નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુક અબદુલ્લા તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ ત્રણ નેતાઓએ BJP સામે લડવા અને રાષ્ટ્રના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન રચવાની તૈયારીરૂપે ચર્ચા કરી હતી.
ચંદ્રબાબુ નાયડુએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘રોજબરોજ દેશની પરિસ્થિતિ વણસતી જાય છે. આ મહાન રાષ્ટ્રે આપણને ઓળખ આપી છે. એથી આપણે એના ભાવિનું રક્ષણ કરવું અનિવાર્ય છે. અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી. અમે અહીં ખુરસીઓ કે સત્તા માટે ભેગા નથી થયા. અમારી રુચિ ફક્ત રાષ્ટ્રના હિતમાં છે. અમારો પ્રયાસ તમામ BJPવિરોધી પક્ષોને એક મંચ પર લાવીને ભવિષ્યનો વ્યૂહ ઘડવાનો છે. આજે CBI અને RBI ઉપરાંત ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દબાણ હેઠળ છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યોના ગવર્નર્સ પણ છૂટથી કામ નથી કરી શકતા.’
કેટલાક મહિના પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાન્યસથી છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ પવાર અને અબદુલ્લા સાથેની મુલાકાત પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને BJPના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાને મળ્યા હતા.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા BJPનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. કોલસાકૌભાંડ સહિત ચાર હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડોમાં વિવાદિત મધુ કોડા ગઈ કાલે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના કૉન્ગ્રેસના મુખ્યાલયમાં પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ડૉ. અજય કુમારની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયા હતા. મધુ કોડાનાં પત્ની અને રાજ્યના જગન્નાથપુરનાં વિધાનસભ્ય ગીતા કોડા ૧૧ ઑક્ટોબરે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં.