CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 35 of 53 - CIA Live

August 13, 2019
Babita-Phogat.jpg
1min7780

કુસ્તીબાજ બબિતા ફોગાટ અને તેના પિતા મહાવીરસિંહ ફોગાટ સોમવારે ભાજપમાં જોડાયા હતા. નવી દિલ્હીમાં કેસરિયા પક્ષના વડામથકે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુની હાજરીમાં બન્નેને પક્ષમાં સામેલ કરાયા હતા.

ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ સમાચારને સમર્થન અપાયું હતું. રિજીજુએ કહ્યું હતું કે, ફોગાટ પિતા-પુત્રીના જોડાવાથી પક્ષ આનંદની લાગણી અનુભવે છે. મહાવીરસિંહ ફોગાટની પ્રશંસા કરતાં કેન્દ્રીય પ્રધાને તેમને સમાજ માટે રોલમોડેલ ગણાવ્યા હતા. એક નાનકડા ગામમાંથી જે રીતે તેમણે ચેમ્પિયન બનાવ્યા, હું તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું, તેવું રિજીજુએ કહ્યું હતું.

August 11, 2019
soniya.jpg
1min6810

સોનિયા ગાંધીને શનિવારે રાત્રે કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ ૨૦ મહિના બાદ ફરી આ ગાદી પર બિરાજમાન થઈ રહ્યાં છે.

અગાઉ, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ દેખાવ બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના દ્વારા પચીસમી મેએ પ્રમુખપદેથી અપાયેલા રાજીનામા અંગે ફેરવિચારણા કરવાની વિનંતિને નકારી કાઢી હતી. પક્ષના અનેક નેતાઓ તથા સાંસદોએ રાહુલ ગાંધી જ પ્રમુખપદે ચાલુ રહે એવો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાહુલ રાજીનામું આપવા મક્કમ જ હોવાથી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ શનિવારની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરી હતી. એઆઇસીસી નવા પ્રમુખ ચૂંટશે ત્યાં સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે રહેશે, એમ પક્ષના પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું.

રાહુલના અનુગામી તરીકે પાંચ જૂથે સૂચવેલા નામો અંગે ચર્ચાવિચારણા કરવા સમિતિની બેઠક રાતે ૮ વાગ્યે ફરીથી બોલાવાઇ હતી. સોનિયા ગાંધીની નિયુક્તિની થોડી મિનિટો અગાઉ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હોવાથી કૉંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવાના મુદ્દે થોડા સમય માટે ચર્ચા મુલતવી રાખવામાં આવી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ પક્ષના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે અગાઉ પક્ષના પ્રમુખપદે રહી ચૂક્યા હોવાથી અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઇને અમારી વગ વાપરવા નથી માગતા.

અહીં કૉંગ્રેસ મહાસભાના વડા મથક ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પક્ષનાં મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, અહેમદ પટેલ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ અને પી. ચિદમ્બરમ સહિતના અગ્રણી નેતા મળ્યા હતા.

કૉંગ્રેસ કારોબારી સમિતિએ પક્ષના દેશભરના નેતાઓની સાથે ચર્ચાવિચારણા કરવા માટે પાંચ ક્ષેત્ર – ઇશાન, પૂર્વ, ઉત્તર, પશ્ર્ચિમ અને દક્ષિણના જૂથ રચ્યા હતા.

ઇશાન ભારતના જૂથમાં અહેમદ પટેલ, અંબિકા સોની, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતનો સમાવેશ થતો હતો. પૂર્વના જૂથમાં કે. સી. વેણુગોપાલ, તરુણ ગોગોઇ અને કુમારી શૈલજાનો, ઉત્તરના જૂથમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પી. ચિદમ્બરમનો અને પશ્ર્ચિમના જૂથમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખર્ગે, એ. કે. એન્ટની અને મોતીલાલ વોરાનો સમાવેશ કરાયો હતો.

દક્ષિણના જૂથમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનો સમાવેશ થતો હતો.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામીએ પણ નવા પ્રમુખની પસંદગી માટેની ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો.

કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અનેક નેતાની સાથે ફૉન પર વાત કરાઇ હતી.

August 10, 2019
congress.jpg
1min10500

કૉંગ્રેસમાં નિર્ણયો લેનારી સર્વોપરી બોડી – કારોબારી સમિતિ દ્વારા આવતી કાલે નવા પક્ષપ્રમુખની પસંદગી કરવામાં આવશે. ટોચના નેતા સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે મળેલી આગેવાનોની બેઠક પછી સૂત્રોએ આ માહિતી આપી હતી.
વિદાય લેતા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીના અનુગામી તરીકે જેઓના નામ બોલાય છે તેમાં દલિત નેતા મુકુલ વાસનિકનું નામ મોખરે છે. રાહુલ ગાંધીએ ગત મે માસમાં લોકસભાની ચૂંટણીમાં પરાભવનું કારણ આગળ ધરીને પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. આગામી થોડા સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં રાહુલ ગાંધી પોતાની વિશ્વસનીયતાનું જોખમ લેવા ઈચ્છતા નથી. વધુમાં તેઓ પક્ષને પાયાના સ્તરે મજબૂત બનાવવા માગે છે. આ પહેલાં પણ દલિત નેતાઓ સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેનાં નામો પક્ષપ્રમુખપદ માટે ચર્ચામાં હતાં. આમ છતાં મોવડીઓએ બિનવિવાદાસ્પદ અને પક્ષમાં બધાં જૂથોનો ટેકો ધરાવતા 59 વર્ષીય મુકુલ વાસનિકના નામ ઉપર પસંદગી ઉતારી હોવાનું મનાય છે.

August 7, 2019
sushma.jpg
1min5370

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા સુષમા સ્વરાજનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા.

એક સમયના દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુષમા સ્વરાજ બાહોશ વિદેશ પ્રધાન હતાં. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે થોડા મહિનાઓ પહેલાં જ રાજકારણથી દૂર થઈ ગયાં હતાં. તેમણે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં નબળી તબિયતને કારણે જ ઝુકાવવાનું ટાળ્યું હતું. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

સુષમા સ્વરાજના નિધન સાથે ભારતીય રાજકારણમાં એક ગૌરવશીલ યુગનો અંત આવી ગયો છે. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી હતાં. તેઓ વિદેશ પ્રધાનપદે આવનારાં સ્વ. ઇન્દિરા ગાંધી પછીનાં બીજા મહિલા હતાં. તેઓ એક સમયે હરિયાણામાં પ્રધાન પણ હતાં.

તેમને ગઈ કાલે રાત્રે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં. 

અનેક વરિષ્ઠ પ્રધાનો એઇમ્સમાં દોડી આવ્યા હતા.

————

સુષમાજીએ સાંજે મોદીને ટ્વીટમાં કાશ્મીરના મુદ્દે અભિનંદન આપેલાં!

વડા પ્રધાનને શુભેચ્છામાં લખેલું, ‘થૅન્ક્યૂ વેરી મચ.’

નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી, પરંતુ સોમવારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્વાયત્તતા આપતી ૩૭૦મી કલમ કાઢી નાખવાની તેમ જ એને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, એમ બે કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાની રાજ્ય સભામાં જે જાહેરાત કરી હતી એને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.

ગઈ કાલે લોકસભામાં પણ આ સંબંધિત ખરડો પસાર થયો હતો. ગઈ કાલે સાંજે સુષમા સ્વરાજે ટ્વિટર પર નરેન્દ્ર મોદીને કાશ્મીર મુદ્દે અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. સ્વરાજે ટ્વીટમાં લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, થેન્ક્યુ પ્રાઇમ મિનિસ્ટર. થૅન્ક્યુ વેરી મચ. હું આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.’

અનેક પ્રધાનો, સંસદસભ્યો તેમ જ ભાજપના અને કૉંગ્રેસના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન વિશે શોક વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મીડિયા પર પાઠવ્યા હતા.

સુષમા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને પુત્રી બાસુંરીનો સમાવેશ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન વિશે પીટીઆઇને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘સુષમાજી ખૂબ જ સારા વક્તા અને અસાધારણ સંસદસભ્ય હતા. સમગ્ર પક્ષમાં તેમ જ સમગ્ર દેશમાં તેઓ લોકપ્રિય હતાં.’

August 5, 2019
dhara_370_jk_.jpg
1min16000

ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.

અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી. 

અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે. 

અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.

August 3, 2019
indian_politics.jpg
1min8810

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે રાજસ્થાનના પ્રધાનોના વેતનમાં (સુધારિત) બિલ મૌખિક મતદાનથી પાસ થયું હતું. જેનો ભાજપે વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ પ્રધાનો તેમની મુદત પૂર્ણ થયાના બે માસ પછી પણ સરકારી બંગલો ખાલી કરશે નહીં તો રોજના રૂ. ૧૦,૦૦૦ની ચુકવણી કરવી પડશે. એવી બિલમાં જોગવાઈ છે. હાલ ભૂતપૂર્વ પ્રધાને રોજના રૂ. ૫૦૦૦ ચૂકવવા પડે છે. આ બિલ કાયદો બન્યા બાદ તેઓએ રૂ. ૩ લાખ ચૂકવવા પડશે.

સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે કહ્યું હતું કે નવા પ્રધાનોને સમયસર રહેઠાણ મળી રહે તે માટે આ બિલ લવાયું છે. ભૂતપૂર્વ પ્રધાનો નિર્ધારિત સમયગાળા બાદ સરકારી રહેઠાણ ખાલી કરતા નથી. કૉંગ્રેસ સરકાર ગત ડિસેમ્બરમાં સત્તામાં આવી હતી.

ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે રોજની રૂ. ૧૦૦૦૦ની પેનલ્ટી ઘણી ઊંચી છે.

August 1, 2019
loksabha.png
1min4720

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના પ્રધાનો અને પ્રથમ વારના લોકસભાના સભ્ય- અમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીને યુપીએના વડા સોનિયા ગાંધી સાથે નીચલા ગૃહમાં પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજી હરોળની તેમની બેઠક જાળવી રાખી છે. બુધવારે સ્પીકરે સીટની ફાળવણી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય પ્રધાનો-નીતિન ગડકરી, સદાનંદ ગોવડા, નરેન્દ્ર સિંહ તોમાર, અર્જુન મુંડા અને અરવિંદ સાવંતને પ્રથમ હરોળમાં બેઠક મળી છે. 

વિરોધ પક્ષમાંથી કૉંગ્રેસના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ અને ડીએમકેના નેતા ટી. આર. બાલુને પણ પ્રથમ હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે. 

સ્મૃતિ ઇરાની અગાઉ રાજ્યસભાના સભ્ય હતા. તેમને લોકસભામાં પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

July 30, 2019
ncp.jpg
1min7140

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.

July 26, 2019
azamkhan.jpg
1min5680

સમાજવાદી પક્ષના વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. બિહારની સાંસદ રમાદેવી સામે આઝમ ખાને ભદ્ર અને અશ્ર્લીલ ટિપ્પણી કરતાં ગુરુવારે લોકસભામાં ધાંધલ ધમાલ થઈ હતી.

શુક્રવારે મહિલા સાંસદોએ આઝમ ખાન લોકસભામાં માફી માગે એવી માગણી કરી હતી. શૂન્યકાળ દરમિયાન ટેક્સ ટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન આઝમ ખાને જે અશ્ર્લીલ ભાષા વાપરી તેનાથી પુરુષ સહિત તમામ લેજિસ્લેટર માટે કલંક સમાન છે. આપણે આ બાબતમાં મૌન રહી શકીએ નહીં. આપણે બધાએ એક અવાજે બોલવું જોઈએ કે તેમનું નિવેદન અસ્વીકાર્ય છે.

કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે સ્મૃતિ ઈરાનીને સમર્થન આપતા કહ્યું હતું કે, આઝમ ખાન ગૃહમાં માફી માગે અથવા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અનેક મહિલા સાંસદોએ નારાજગી દર્શાવી હતી. સ્પીકરે કડક પગલાં લેવા જોઈએ, એવી માગણી કરાઈ છે.

એનસીપીના સુપ્રિયા સૂળે, ટીએમસીના કલ્યાણ બેનરજી, બીજેડીના બી. મહેતાબે આઝમ ખાનના નિવેદનને વખોડ્યું હતું. કૉંગ્રેસના ગૃહ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, મહિલાઓ સાથે નીચાજોણું થાય તેવા કોઈપણ નિવેેદન કરનારા સામે પગલાં લેવા જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આઝમ ખાનના નિવેદનને વખોડી કાઢ્યું હતું. 

મહિલા સાંસદ પર લૈગિંક ટિપ્પણી : આઝમ ખાન ફરી વિવાદમાં

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને લોકસભામાં કાર્યવાહી સમયે ભાજપના સાંસદ રમા દેવી સામે લૈંગિક ટિપ્પણી કરી ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભાજપે તેમની પાસે માફીની માગણી કરી છે. 

નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ) અને દિલ્હી કમિશન ફોર વુમન (ડીસીડબ્લ્યુ)એ ખાનની ટિપ્પણીને નિંદાજનક અને અપમાનજનક ગણાવી વખોડી કાઢી છે. 

ટ્રિપલ તલાક બિલ પરની ચર્ચામાં ભાગ લેતા ખાને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ‘તું ઇધર ઉધર કી બાત ના કર.’

આ સમયે કાર્યવાહીનું અધ્યક્ષપદ કરનાર રમા દેવીએ ખાનને આમ તેમ ના જોતા અધ્યક્ષને સંબોધન કરવા કહ્યું હતું. આ સમયે ખાને અધ્યક્ષ સામે લૈંગિક ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. 

રમા દેવીએ બાદમાં આ ટિપ્પણીને કાર્યવાહીમાંથી કાઢી નાખવા જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની નાની બહેન જેવા છે. 

ખાનની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને અર્જુન રામ મેઘવાલે ખાનને માફી માગવા જણાવ્યું હતું. રમા દેવીએ જ્યારે ખાનને માફી માગવા કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનું અપમાન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો અને રમા દેવી તેમની બહેન સમાન હતા. 

વિવાદ અને આઝમ ખાન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે પણ આઝમ ખાનની જીભ વારંવાર લપસતી હતી. 

અભિનેત્રી અને ભાજપના સભ્ય જયા પ્રદા સામે લૈંગિક ટિપ્પણી કરી તેઓ વિવાદમાં ફસાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરવામાં આવી હતી. એસપીના વડા અખિલેશ યાદવ તેમની મદદે આવ્યા હતા.

July 17, 2019
income_tax.png
1min8090

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઇન્કમટેક્સ વિભાગે રાજ્યના ભાજપા અને કોંગ્રેસના સંખ્યાબંધ ધારાસભ્યોને નોટિસ ફટકારીને એ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે 2017ની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલી આવક અને તેમના ઇન્કમટેક્સમાં જાહેર કરેલી આવક વચ્ચે વિસંગતતા કેમ છે, ઇન્કમટેકસ વિભાગે બારીકાઇથી શોધી કાઢ્યું છે કે અનેક ધારાસભ્યોની આવકની રકમમાં મોટો તફાવત છે. ભાજપા અને કોંગ્રેસ બન્નેના ધારાસભ્યોને આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે વરુણીમાં લીધા છે.

ગુજરાતના પોલિટિકલ તખ્તે છેલ્લા કેટલાક દિવસોથી ભારે દોડધામ જોવા મળી રહી છે. મોટું માથું ગણાતા અનેક ધારાસભ્યો તેમને મળેલી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસને રફેદફે કરવા માટે સી.એ. તેમજ અન્ય એક્સપર્ટસની કચેરીના ફેરા મારતા જોવા મળી રહ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત વિધાનસભાના ભાજપા અને કોંગ્રેસ બન્ને મળીને 50થી વધુ કરોડપતિ ધારાસભ્યોને આવકની વિસંગગતા બાબતે નોટિસ ફટકારી છે.

આવકવેરા વિભાગે ધારાસભ્યોને 2017 વિધાસભા ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અફિડેવિટમાં આવકની બાજુએ દર્શાવેલી રકમ અને એ પછી ધારાસભ્યો દ્વારા સબમિટ કરાયેલી આઈટી રિટર્નની આવકમાં મોટી રકમનો તફાવત છે અને આવું કેમ ઇન્કમટેક્સ વિભાગના આ પ્રશ્નોનો જવાબ આપવામાં અનેક ધારાસભ્યોની બેનંબરી આવક છતી થઇ જાય તેમ છે.

પહેલી વખત એવું જણાય રહ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગ ગુજરાત સર્કલ દ્વારા પોલિટિકલ લેવલ પર 50થી વધુ ધારાસભ્યોને ઇન્કમટેક્સ અંગે નોટિસ આપીને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

એવી પણ માહિતી મળી છે કે ચૂંટણી પંચે ઇન્કમ ટેક્સ વિભાગને કેટલીક માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું છે કે ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી તેમની આવક સાથે ઇન્કમ ટેક્સ રિટર્નની આવકની બાજુ મેચ થાય છે કે કેમ, ઇન્કમટેક્સ વિભાગે એ પછી હાથ ધરેલી કાર્યવાહીમાં મોટા ગજાના અનેક ધારાસભ્યોની આવકમાં વિસંગગતા સપાટી પર આવી છે.