ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 29 of 53 - CIA Live

May 9, 2020
amit_shah1.jpg
1min4440

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે પોતાના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અફવાઓને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ એકદમ સ્વસ્થ છે. આ ઉપરાંત તેમણે તે પણ કહ્યું છે કે તેઓ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે પોતાની ગૃહ મંત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપતા અમિત શાહે ટ્વિટર પર લખ્યું છે કે, હું સંપૂર્ણ પણે સ્વસ્થ છું અને મને કોઈ રોગ થયો નથી.

May 8, 2020
yogi.jpg
1min6300

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોની સૂચિ માંગી છે અને ખાતરી આપી છે કે તે બધાને ઘરે પાછા લાવવામાં આવશે.

આદિત્યનાથે કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ ટ્રેનો આવી ચુકી છે, જેમાં ૩૦,૦૦૦ મજૂરો આવ્યા છે. ગયા અઠવાડિયે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ૩૦,૦૦૦ થી વધુ મજૂરો બસોમાં પહોંચ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં ૪.૫ લાખ પરપ્રાંતીય મજૂર ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા હતા.

૧ માર્ચથી ૧૫ માર્ચની વચ્ચે રાજ્યમાં બે લાખ મજૂરો પહોંચ્યા છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે, “ઉત્તરપ્રદેશ સરકાર તેના તમામ પરપ્રાંતિય મજૂરોને અન્ય રાજ્યોથી પરત લાવવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેઓની પાસે જિલ્લાવારની સૂચિ માંગવામાં આવી છે. તેમણે કહ્યું, “જે રાજ્યો સૂચિ આપી રહ્યા છે, અમે તરત જ તેમને (સ્થળાંતર કરનારા) પાછા લાવવા પગલાં લઈ રહ્યા છીએ. યોગીએ ગુરુવારે કહ્યું કે, ૨૦ ટ્રેનો ઉત્તરપ્રદેશમાં અન્ય રાજ્યોથી સ્થળાંતર કરનારા મજૂરો સાથે આવી રહી છે જ્યારે શુક્રવારે ૨૫ થી ૩૦ ટ્રેનો આવશે. તેમણે કહ્યું, ‘ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની ૧૦,૦૦૦ થી વધુ બસોને તેમના ઘરે લઈ જવા માટે તહેનાત કરવામાં આવી છે.’ અન્ય રાજ્યોથી આવતા બધા માટે તબીબી તપાસ અને ક્વૉરન્ટાઈન કેન્દ્રો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને ફૂડ પેકેટ અને રૂ ૧૦૦૦ આપવામાં આવશે.

આદિત્યનાથે જણાવ્યું હતું કે, રાજ્ય મજૂરોનો “સ્કીલિંગ ડેટા પણ તૈયાર કરી રહ્યું છે જેથી તેમને તે યોગ્યતા પ્રમાણે નોકરી આપી શકાય.

May 6, 2020
harshvardhan.jpg
1min6390

દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે દેશમાં હાલમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ)ના રોગચાળાનું ‘કમ્યૂનિટી ટ્રાન્સમિશન’ નથી થતું અને કોરોનાના દરદીઓ વધવાનો દર ઓછો થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે લોકો આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે અને હાથ સહિતના શરીરને વધુ ચોખ્ખું રાખી રહ્યા છે, શ્ર્વાસોચ્છ્વાસ પ્રત્યે સરખું ધ્યાન આપી રહ્યા છે અને વાતાવરણને સ્વચ્છ રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ બાબત હવે તેઓ માટે રોજિંદા જીવનનો ભાગ બની જશે અને તેને લીધે ભવિષ્યમાં રોગચાળો નહિ ફેલાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ‘મૅક ઇન ઇન્ડિયા’ને વેગ મળ્યો છે. દેશમાં પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમેન્ટ, એન-૯૫ અને અનેક દવાનું હવે મોટા પાયે ઉત્પાદન કરાઇ રહ્યું છે. હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય સેવા કેન્દ્રો ખાતે સુવિધા વધારાઇ છે.

હર્ષ વર્ધને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં અનેક ઠેકાણે દારૂની દુકાનો ખોલવા અપાયેલી પરવાનગીને લીધે ઘણાં રાજ્યમાં ઊભી થયેલી અંધાધૂંધીનાં સંબંધમાં ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ પરિસ્થિતિ જલદી થાળે પડવાની આશા વ્યક્ત કરી હતી.

April 15, 2020
khedawala.jpg
1min6030

ખાડિયા જમાલપૂર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મંગળવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત પોલીસ વડા DGP શિવાનંદ ઝા સાથે મુલાકાત કરી હતી.

ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસની કોરોનાના લક્ષણ દેખાતા હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ અમદાવાદ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં દાખલ થશે.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.

April 13, 2020
Wasim-Rizvi-700.jpeg
1min5080

ઉત્તર પ્રદેશના શિયા વકફ બૉર્ડે પોતાના સભ્યોને જો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જોડાયેલ કોઇ વ્યક્તિ વિશે એમની પાસે માહિતી હોય તો એ તુરંત પોલીસને જણાવવાની સલાહ આપી છે.

બૉર્ડના ચેરમેન વાસીમ રીઝવી

બૉર્ડના ચેરમેન વાસીમ રીઝવીએ કરેલી જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે આ સાથે બધા જ મુતાવલીઓ (હોદ્દેદારો)ને જણાવવામાં આવે છે કે તમારા મસ્જિદ અથવા મદરેસામાં તબલિઘી જમાતના કાર્યક્રમમાં જઇ આવનાર કોઇ વ્યક્તિ આવી હોય અથવા મુસ્લિમ હોવાનું જણાવી ત્યાં છુપાવા માગતી હોય તો એ વિશેની જાણ પોલીસને તુરંત કરવી. આ વિશેની માહિતી બૉર્ડના ઉત્તર પ્રદેશના હૅલ્પલાઇન નંબર પર પણ આપવી.

ભારત અને નેપાળની સરહદ નજીક આવેલા મસ્જિદ અને મદરેસાએ આ મામલે ખાસ ધ્યાન આપવું. જો કોઇપણ મુતાવલી આવા કોઇ દેશદ્રોહીને મદદ કરશે અથવા એને છુપાવા માટે જગ્યા આપશે તો બૉર્ડ એની સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પગલાં લેવાની ભલામણ કરશે.

આ વિશેની માહિતી બધા જ મુતાવલીને આપવાની જવાબદારી ચીફ ઍક્ઝિક્યુટિવ અધિકારી અને બધા જ ઇન્સ્પેક્ટરોને સોંપવામાં આવી છે.

દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે આવા લોકોની બાતમી આપનારા માટે શનિવારે ઈનામ જાહેર કર્યું હતું. આઝમગઢના એસપી ત્રિવેણી સિંહે કહ્યું હતું કે ‘બાતમી આપનારાઓને ૫૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે અને બાતમીદારની ઓળખ ખાનગી રાખવામાં આવશે.

March 24, 2020
shainbaug.jpeg
1min8550

સમગ્ર દેશમાં કોરોના વાઇરસ સ્પ્રેડને અટકાવવા માટે કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન પણ દિલ્હીના શાહીન બાગમાં ધરણા ચાલુ રહેતા આજે તા.24મીએ સવારે દિલ્હી પોલીસે શાહીનબાગનો ધરણાનો ટેન્ટ જ ઉખાડી નાંખ્યો હતો. ધરણા પર બેઠેલી મહિલાઓએ પ્રતિકાર કરવાની કોશીસ કરી હતી પરંતુ, નાકામ રહી હતી. ગઇ તા.15મી ડિસેમ્બર 2020થી દિલ્હીના શાહીનબાગ ખાતે ધરણા યોજાઇ રહ્યા હતા.

નાગરિકતા સુધારા કાયદો (CAA) સામે 15 ડિસેમ્બરથી શાહીન બાગમાં ધરણાં કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલીસે હટાવી દીધા છે. દિલ્હી અને નોઈડાને જાડતા આ રોડ પર લાગેલા ટેન્ટને પણ પોલીસે ઉતારી લીધો છે.

કોરોના વાયરસનો ખતરો હોવા છતાં લોકો ધરણા પર ઉતર્યા હતા. કોરોનાના કારણે દિલ્હી સહિત ભારતભરમાં લોકડાઉન છે. આમ છતાં મંગળવારે મહિલાઓ ફરી એકઠી થઈ. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને હટાવવા માટે ટેંટ ઉખાડી નાખવામાં આવ્યો. સાથે જ કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી. શાહીન બાગમાં મહિલાઓ પાછલા 100 દિવસથી ધરણા પર બેઠી હતી.

March 20, 2020
kamalnath-2.png
1min4700

આજે તા.20મી માર્ચ 2020ની બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી કમલનાથે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દેતા મધ્યપ્રદેશની પોલિટીકલ ક્રાઇસીસનો અંત આવ્યો હતો. આ સાથે જ દોઢ વર્ષ જૂની મધ્યપ્રદેશ સરકારનું પતન થયું હતું.

હવે રાજ્યપાલ સંભવતઃ ભાજપને સરકાર રચવાનું નિમંત્રણ આપે એમ મનાય છે.

March 14, 2020
Gandhinagar-Gujarat.jpg
1min17850

ગુજરાતમાં ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ત્રણ ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીન અને કૉંગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જોકે, આ તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા. આમ ચાર સીટની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

ભાજપે જૂનાં કૉંગ્રેસી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ જૂના કૉંગ્રેસી ગોત્રના અને વષો પહેલા ભાજપમાં જોડાયેલાં નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કૉંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારતા ભાજપે તેમની સામે પાટીદાર ધારાસભ્યોને આકર્ષવા નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે.

ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ ભાજપ પાસે ત્રીજા ઉમેદવારને જીતાડી શકાય તેટલા મતોમાં આઠ મત ખૂટે છે, પરંતુ કૉંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવીને અમીનને જીતાડવા માટેની પંરપરાંત બની ગયેલી પોતાની રણનીતિ ભાજપે અપનાવી છે.

March 13, 2020
tokyo.jpg
1min5940

મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને ૧૬મી માર્ચના રોજ વિશ્ર્વાસનો મત લેવા નિર્દેશ આપ્યા હતા.

શનિવારે મધ્ય રાત્રિએ ગવર્નરનો એક પત્ર મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્ર્વાસનો મત લેવાનું કાર્ય પૂરું થવું જોઇએ અને તેમાં વિલંબ અથવા મોકૂફ રાખવાનું થવું જોઇએ નહીં. ગવર્નરના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨ વિધાનસભ્યાએેે તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે અને આ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેમાં જાણ કરી છે. બંને મીડિયા પર આ અંગેનું કવરેજ મેં ધ્યાનપૂર્વક વાંચ્યું છે અને જોયું છે.

૧૦મી માર્ચે તેમણે મને પત્ર પણ લખ્યો છે અને સ્પીકરને રાજીનામું આપતી વખતે વિધાનસભ્યોએ સુરક્ષાની પણ માગ કરી છે. આર્ટિકલ ૧૭૪ અને ૧૭૫ (૨) હેઠળ હું નિર્દેશ આપું છું કે વિધાનસભાનું સત્ર ૧૬ માર્ચે ૧૧ કલાકે મારા અભિભાષણથી ચાલુ કરવામાં આવશે અને તે પછી એકમાત્ર કામ વિશ્ર્વાસના મત પર મતદાન કરવાનું રહેશે. ડિવિઝન પ્રક્રિયા દ્વારા વિશ્ર્વાસનો મત લેવાનો રહેશે અને વિધાનસભાએ સ્વાયત્ત પ્રક્રિયા દ્વારા સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. કમલનાથની ભલામણને આધારે અને સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા હોવાના આધારે છ પ્રધાનોની હાકલપટ્ટી કરી હતી જેનો ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો. તમે તમારા ૧૩ માર્ચના પત્રમાં લખ્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે તમે તૈયાર છો અને ભાજપ પાસેથી પણ આ અંગે મને પત્ર મળ્યો છે. ઉપર જણાવેલી હકીકતોને આધારે પ્રથમદર્શી નજરે હું માનું છું કે તમારી સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવ્યો છે અને લઘુમતીમાં આવી ગઇ છે. આથી મારા અભિભાષણ પછી તમારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવો જરૂરી છે.

ટોક્યો ઑલિમ્પિક્સની જ્યોત પ્રજવળીત

જાપાનના ટોક્યોમાં ૨૦૨૦માં રમાનારી ઑલિમ્પિક્સની જ્યોત ગુરુવારે ગ્રીસના પ્રાચીન શહેર ઑલિમ્પિયા ખાતે પૌરાણિક પરંપરા અને વિધિસર પ્રગટાવાઇ હતી.

વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ટોક્યોમાં ઑલિમ્પિક્સ યોજાશે કે નહિ તે અંગે હજી શંકા સેવાઇ રહી છે. પૌરાણિક ગ્રીક પહેરવેશમાં સજ્જ એક અભિનેત્રીએ સૂર્યકિરણોનું અંત:ગોળ કાચથી ઝીલીને ઑલિમ્પિક્સની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે દર્શકો પર પ્રતિબંધ મુકાયો હતો.

ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકોને ૧૯મી માર્ચે આ જ્યોત સોંપાશે, પરંતુ તેની પહેલાં ગ્રીસમાં એક અઠવાડિયા સુધી ઑલિમ્પિક્સની મશાલને ફેરવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચે જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સ જ્યોતની જાપાન સુધીની સફર શરૂ થઇ છે. જાપાનના ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી થવાનું છે. આયોજનના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં તેને નિર્ધારિત સમયે જ યોજવી કે થોડા મહિના પાછળ મુલતવી રાખવી તે અંગે શંકા સેવાઇ રહી છે. ચીન, જાપાન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાઇરસનો ચેપ મોટા પાયે ફેલાયો છે અને તેના દુનિયાભરમાં કુલ એક લાખથી વધુ દરદી છે.

March 12, 2020
bjp_logo.png
1min5690

રાજ્યસભાની ૧૭ રાજ્યની ૫ંચાવન બેઠક માટે ૨૬મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપે મધ્ય પ્રદેશ માટે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત પોતાના નવ ઉમેદવારના નામ બુધવારે જાહેર કર્યા હતા. ભાજપમાં જોડાવાના કલાકોમાં સિંધિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે જાહેર કરેલા અન્ય ઉમેદવારમાં આસામ માટે ભુવનેશ્ર્વર કલીતા, બિહાર માટે વિવેક ઠાકુર, મહારાષ્ટ્ર માટે ઉદ્યનરાજે ભોસલે, રાજસ્થાન માટે રાજેન્દ્ર ગેહલોતના નામ જાહેર કર્યા હતા.

આ સિવાય, ગુજરાત માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા, ઝારખંડ માટે દિપક પ્રકાશ અને મણિપુર માટે લેઇશેમ્બા સાનાજાઓબાના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપે જણાવ્યું હતું કે એમણે બે બેઠક પોતાના સાથી પક્ષના દલિત નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેને મહારાષ્ટ્રમાંથી ફરીથી ચૂંટાઇ આવે એ માટે અને આસામના બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટના બિશ્ર્વજીત ડાઇમેરીને ફાળવી છે.

આ બધાય રાજ્યોમાં ભાજપની બહુમતિ હોવાથી નવેનવ ઉમેદવાર જીતે એવી પૂરી શક્યતા છે.