ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 28 of 53 - CIA Live

June 22, 2020
bharatsing_congress-1.jpg
1min5560

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ગુજરાતના રાજકીય તખ્તે ભારે ગડમથલભરી સ્થિતિ ઉદભવી છે. ચાર દિવસ અગાઉ રાજ્યસભાની ચૂંટણી વખતે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોઇ, તમામ હવે કોરોન્ટાઇન થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય ઊર્જા મંત્રી છે. ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વડોદરા શહેરની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ગયા સપ્તાહાંતે જ રાજ્ય સભાની ચૂંટણીમાં હાર્યા છે અને આ દરમિયાન તેઓ અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ બધાંને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા.  તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.

કૉંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ ગોહિલ એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની ચર્ચા પણ છે અને તેમણે અનેક ઇન્ટરવ્યુ સાથે પણ આપ્યા હતા ચૂંટણી દરમિયાન તેઓ હજારોની સંખ્યામાં નેતાઓ અને કાર્યકરોને મળ્યાં હતાં. એટલું જ નહીં પોતે ઉમેદવાર હોવાથી તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યાં હતાં. આ જ કારણે હવે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની પરેશાની વધી છે.

June 20, 2020
rs_gujarat.jpg
2min5630

ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણયે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, બીટીપીના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ જ મતદાનથી અળગા રહીને કૉંગ્રેસની જીત પર પાણી ફેરવી દીધું હતું, જ્યારે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે ક્રોસ વોટીંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ થતાં જ કૉંગ્રેસે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ધારાસભ્ય પદના પદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સબજ્યુડીશ તરીકે તેમનો મત અલગ રાખવાની અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બીમાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને ભાજપે શંકરસિંહ ચૌધરીને સાથે રાખીને વોટ અપાવ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને તેમનો મત પણ રદ કરવાની માંગણી કરતા ગણતરી વિલંબમાં પડી હતી.

રાજ્યમાં ત્રણ મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયાં બાદ ભાજપે તેના ૧૦૩ ના સંખ્યા બળને પ્રમાણે બે ઉમેદવારોને બદલે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ત્યારે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતના સંકેત આપ્યા હતા. તેમ છતાં કૉંગ્રેસને જીતની આશા હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણી મુલતવી રહ્યાં બાદ ચૂંટણીની નવી તારીખે જાહેર કર્યા બાદ બીજા ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જોકે આખરે એક અપક્ષ અને બે બીટીપીના ધારાસભ્યોના મતનો વિશ્ર્વાસ હતો.

આખરે શુક્રવારે યોજાયેલા મતદાનમાં બીટીપીના બન્ને ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સ મતાધિકારને કારણે સંખ્યા બળ પ્રમાણ જીત્યા હતા. કુલ ૧૭૦ મત પડ્યા હોવાથી દરેક ઉમેદવારે જીતવા માટે ૩૪ મતની જરૂર પડી હતી. આ પહેલા બીટીપીના બે ધારાસભ્યને ગણીને ૧૭૨ મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને ૩૪.૪૦ મતની જરૂર હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કૉંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટતા હતા.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની રાજ્યસભાની બે બેઠક પર કૉંગ્રેસનો તો એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીનો રાજ્યસભાની ચારેય બેઠક પર વિજય થયો હતો. તેના ઉમેદવાર સુભાષચંદ્ર બોઝ, મોપીદેવી વેંકટા રામન્ના, અલ્લા અયોધ્યારામી રેડ્ડી અને પરિમલ નટવાણી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

મેઘાલયની બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીપીનો વિજય થયો હતો. એનપીપીના ઉમેદવાર ડબ્લ્યુ. આર. ખારલુખીનો મેઘાલયની રાજ્યસભાની બેઠક પર વિજય થયો હતો. એનપીપીને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ એમડીેના તમામ ભાગીદારોનો આભાર માન્યો હતો.

મણિપુર રાજ્યસભાની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

વિધાનસભામાં પ્રવેશવા પર હાઈ કૉર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિધાનસભાના સ્પીકરે કૉંગ્રેસના ત્રણ બળવાખોર વિધાનસભ્યને મતદાનમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.

રાજીનામું આપનારા ભાજપના ત્રણ વિધાનસભ્યએ મતદાન નહોતું કર્યું.

ટેકો પાછો ખેંચી લેનાર એનપીપીના ચાર પ્રધાને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એઆઈટીસીના એકમાત્ર ધારાસભ્ય મતદાનની પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. અગાઉ, રાજ્યસભાની ૧૯ બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે શુક્રવારે સવારે નવ વાગે શરૂ થયું હતું અને સાંજે ચાર વાગે પૂરું થઈ ગયું હતું.

આઠ રાજ્ય (ગુજરાત-૦૪, આંધ્ર પ્રદેશ ૦૪, રાજસ્થાન ૦૩, ઝારખંડ ૦૨, મેઘાલય અને મિઝોરમ પ્રત્યેકમાં ૦૧ બેઠક) પર એકસાથે જ મતદાન યોજવામાં આવ્યું હતું.

કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નિયમિત તૈયારી ઉપરાંત સૅનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.

જુદા જુદા ઍન્ટ્રી અને ઍક્ઝિટ ગૅટની પણ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી હતી.

થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ધારાસભ્યોને મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજ્યસભાની પંચાવન બેઠકનો હિસ્સો એવી ૧૯માંથી ૧૮ બેઠક અગાઉ આ વરસે ખાલી પડી હતી.

પંચાવનમાંથી ૩૭ બેઠક ચૂંટણી વિના જ ભરાઈ ગઈ હતી.

બાદમાં ચૂંટણી પંચે કણાટકની ચાર, મિઝોરમ અને અરુણાચલ પ્રત્યેકની એક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.

તાજેતરમાં જ વિદેશથી પાછા ફરેલા કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભામાં કરેલા મતદાન અંગે ભાજપે શુક્રવારે એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે તેમણે ક્વૉરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો હતો.

મિઝોરમમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યએ મતદાન નહોતું કર્યું. આ બેઠક પર એનડીએનો સાથી પક્ષ એમએનએફ ત્રિકોણીય જંગમાં સંડોવાયેલો હતો જે બાબતે મુખ્ય પ્રધાન ઝોરામથાન્ગાને એમ કહેવા પ્રેર્યા હતા કે બંને પક્ષ વચ્ચેનું જોડાણ મુદ્દા આધારિત છે અને હાલની બાબતોને ધ્યાનમાં લઈને જવાબ ‘હા કે ના’ આપવાનો પક્ષને અધિકાર છે. પક્ષના રાજ્ય એકમના પ્રમુખ વાન્લાલ્હમુઆકાના જણાવ્યાનુસાર બુદ્ધધન ચકમા મતદાનમાં ગેરહાજર રહ્યા હતા કેમ કે ભગવા પક્ષનો કોઈ ઉમેદવાર જ નહોતો.

June 18, 2020
election_voting.jpg
1min4750

રાજ્યમાં આવતીકાલે 19 June 2020 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને ભારતના બે મોટા રાજકીય પક્ષો અને પ્રતિસ્પર્ધી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યો અને મતદારોને કેવી રીતે વોટિંગ કરવું એ અંગે ગંભીરતાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષો ભૂતકાળમાં પોતાના જ સભ્યોએ કરેલી ભૂલોને કારણે મત ગુમાવી ચૂક્યા છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો 2017ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જ્યારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો 2017ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

June 16, 2020
rupani-1280x789.jpg
1min5050

ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. ૧ જૂનથી અનલોક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે. ઉદ્યોગધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.

June 5, 2020
brijesh-a-merja.jpg
1min5400

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.

મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.

ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.


June 4, 2020
bjp-vs-congress-620x413.jpg
1min4740

ગુજરાત કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ અને કપરાડાંના જીતુ ચૌધરીએ રાજીનામા આપી દેતા ગુજરાતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પણ રાજકીય ઉત્તેજના વ્યાપી છે.

વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણાં. આ ઉપરાંત ઠાસરાના કાંતિ સોઢા અને પણ સવાર સુધી કોંગ્રેસના સંપર્કમાં ન હતા અને આગામી સમયમાં વધુ રાજીનામાં પણ પડે તેવી શક્યતાઓએ કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કરજણ અને કપરાડાંના કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાં તેમને મળ્યા હોવાની જાહેરાત કરી હતી.

ગુજરાત સહિત દેશની રાજ્યસભાની ખાલી પડેલી ૧૮ બેઠકો માટે ૧૯ જૂનના રોજ યોજાનારી ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ તેજ થઇ છે. કોરોના મહામારીના કારણે ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકુફ રખાઇ હતી. ચાર બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારો ઊભા રાખ્યા છે. આને કારણે મતના અંકગણિતમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ખેરવે તો જ જીત શક્ય છે એ સંજોગોમાં માર્ચ મહિનામાં કોંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેમાં લીમડીના સોમા ગાંડાભાઇ પટેલ, ધારીના જે.વી. કાકડીયા, અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારું અને ડાંગના મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.  

June 2, 2020
adesh-tiwari.jpg
1min5050

ભાજપ સાંસદ અને એક્ટર મનોજ તિવારીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મનોજ તિવારીને હટાવી આદેશ ગુપ્તાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે. આની સાથે છત્તીસગઢના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા હોવાની સત્તાવાર ઘોષણાએ ભાજપમાં ચર્ચાઓ જગાડી છે.

May 30, 2020
mamta_benerji.jpg
1min6720

મોટા પ્રમાણમાં શ્રમિકો સ્થળાંતર કરીને રાજ્યમાં આવ્યા હોવાને કારણે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનો દાવો કરી પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જૂન મહિનાથી લૉકડાઉનમાં શ્રેણીબદ્ધ રાહત આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી.

તેમણે જાહેરાત કરી હતી કે પહેલી જૂનથી ધાર્મિક સ્થળો ખોલી શકાશે તેમ જ સરકારી તેમ જ ખાનગી કાર્યાલયોમાં પૂરા સ્ટાફ સાથે કામ કરી શકાશે.

સરકાર સાથે ચર્ચાવિચારણા કર્યા વિના છેલ્લાં થોડા દિવસથી મોટા પ્રમાણમાં શ્રમિકોને રાજ્યમાં પાછા લાવવા શરૂ કરવામાં આવેલી ટ્રેનસેવાની ટીકા કરી રહેલાં મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વિના જ રેલવે દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું. શું રેલવે શ્રમિક સ્પે. ટ્રેનને બદલે કોરોના એક્સપ્રેસ ટે્રન દોડાવી રહ્યું છે? એવો પ્રશ્ર્ન તેમણે કર્યો હતો.

May 12, 2020
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min8060

ગુજરાતના શિક્ષણ અને કાનૂન વિભાગના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2017માં ધોળકા વિધાનસભાથી જીતેલી ચૂંટણીને આજે ગુજરાત હાઇકોર્ટે ગેરકાનૂની ગણાવીને ચૂંટણી રદ કરી દીધી છે. હવે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધારાસભ્ય તરીકે એક પણ કામ કરી શકશે નહીં.

2017માં વિધાનસભા ધોળકાની ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર ભૂપેન્દ્ર ચુડાસમાએ 327 મતની સાંકડી સરસરાઇથી મેળવેલી જીતને હરિફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ એ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી.

ધોળકા બેઠકની મત ગણતરીમાં ગડબડ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. કોર્ટમાં મતગણતરી કેન્દ્રના સીસીટીવી ફુટેજ પણ દર્શાવાયા હતા. જેમાં ધોળકા વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની નિયમો વિરુદ્ધ મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ પર વાતો કરતા જોવા મળ્યા હતા.

May 11, 2020
RUPALA.jpg
1min6570

કેન્દ્રમાં મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ ગુજરાત પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાએ ખાનગીમાં સનદી અધિકારીઓ વિરુદ્ધ કરેલો વાણી વિલાસ છાપરે ચઢીને પોકાર્યો છે. રૂપાલાએ અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા અમરેલીના ખાંભા ખાતે કોરોન્ટાઇન સેન્ટર સંદર્ભે ભાજપના સ્થાનિક નેતા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં આઇએએસ અધિકારીઓ વિરુદ્ધ બફાટ કર્યો હતો. તેમને કલ્પના પણ ન હતી કે તેમણે ખાનગીમાં કરેલો આ વાણી વિલાસ છાપરે ચઢીને સમગ્ર દેશમાં પોકારશે.

ભાજપના જ સિનિયર નેતા અને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રુપાલાએ IAS અધિકારીઓ માટે ‘અક્કલ વગરના’ જેવો શબ્દપ્રયોગ કર્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. એટલું જ નહીં, આ ક્લિપમાં તેઓ સ્થાનિક નેતાને IAS અધિકારીઓ સામે લોકોને ભેગા કરવા પણ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સૌરાષ્ટ્રના એક સ્થાનિક નેતા અને રુપાલા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની છે. જેમાં રુપાલા આઈએએસ અધિકારીઓને અક્કલ વગરના કહે છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે લોકોને પડી રહેલી હાલાકી માટે પણ તેમને જવાબદાર ગણાવે છે. રુપાલા તેમાં એમ પણ કહે છે કે, ‘IAS અધિકારીઓને લાગે છે કે રાજકીય નેતાઓ મગજ વગરના છે.’