કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે. બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.
યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.
બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે. આ સાથે જ કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની 2020માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશ કુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયાના 85 દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું મંગળવારે વિસ્તરણ થયું છે. મંત્રીમંડળમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપના 9 ધારાસભ્યો તેમજ જેડીયુના 8 સભ્યોએ શપણ લીધા છે. નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા 13 મંત્રીઓ છે જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે. જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે. બપોરે 12.30 કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.
સૌપ્રથમ ભાજપના એમએલસી શાહનવાઝ હુસૈને થપણ ગ્રહણ કર્યા હતા. તેમણે ઉર્દૂમાં શપણ લીધા હતા. ત્યારબાદ ભાજપના નીતિન નવીન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન, પ્રમોદ કુમાર, જનકરામ અને નારાયણ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત જેડીયુમાંથી શ્રવણ કુમાર, મદન સૈની, લેસી સિંહ, મહેશ્વરી હજારી, સંજય કુમાર ઝા, જમા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનીલ કુમારે શપથ ગ્રહણ કર્યા હતા.
ફક્ત જીત નહીં, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરીને એક નવો રેકોર્ડ બનાવો : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ઝંઝાવતી પ્રચારની શુભ શરૂઆત કરાવતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા ખાતે બે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.
ઉતરાણ અને સરથાણા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાતાઓ કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. 9050 બેઠકો માટે આશરે બે લાખ કરતાં વધુ કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરી હતી. ટિકિટની ફાળવણી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સુમેળભર્યા વાતાવરણમાં ટિકિટની ફાળવણી થઈ સૌ કાર્યકર્તાઓએ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
ભાજપમાં કાંકરીચાળો સુદ્ધા નથી થયો જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત હોવા છતાં પણ ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં તોડફોડ થઈ, ધમાલ થઈ, કોંગ્રેસ કાર્યાલયોને તાળા મારી દેવાની શરમજનક ઘટના સામે આવી. આ ફરક છે ભાજપા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં. ભાજપાનો શિસ્તબદ્ધ કાર્યકતા જ ભાજપાની સાચી મૂડી છે.
જીત નિશ્ચિત છે પરંતુ જીત ભવ્ય કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યુંકે સો ટકા બેઠકો જીતવામાં આપણે બબ્બે વખત રેકોર્ડ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 99 માંથી 98 બેઠકો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો રેકોર્ડ છે. પરંતુ હવે જીત નહીં પરંતુ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને સુરત ભાજપના કાર્યકર્તાઓએ એક નવો રેકોર્ડ બનાવવો જોઇએ. હવે ફક્ત જીતથી સંતોષ માનવાનો નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરીને જીતને ભવ્ય બનાવવી જોઈએ. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સ્વીકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ અને અનુભવી હોવાં છતાંય ટિકિટ ફાળવવાની મર્યાદાના કારણે જ સક્ષમ હોવા છતાં પણ ઘણાં ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી શકાઇ નથી તે બદલ હું તમામ કાર્યકર્તાઓને માફી માગું છું.
સુરતના વિકાસ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યુંકે, સુરતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને સુરત શહેરની જનતાને આભારી છે ત્યારે સુરતના વધુ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી અનિવાર્ય છે. આથી આગામી ૨૧મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સુરત શહેરની જનતાને ખાસ અનુરોધ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાનું સૂત્ર ગૂંજી ઉઠશે
તા.21મીએ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં અને તા.28મીએ ગ્રામીણ વિસ્તારોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યન ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતનું સત્તાવાર સૂત્ર લોંચ કરી દીધું છે.
‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’. ભાજપાનું આ સૂત્રો હવે પછીના 20 દિવસ ગુજરાતભરમાં ગૂંજી ઉઠશે. સૂત્રની સાથે સાથે ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાનું ચૂંટણીલક્ષી સોંગ પણ લોંચ કરી દીધું છે.
ચૂંટણી અભિયાન માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારોને રિઝવવા માટે 40 શોર્ટ ફિલ્મો, 20 એડ ફિલ્મો, 19 જીઆઈએફ અને 22 અલગ-અલગ હોર્ડિંગ્સ પણ તૈયાર કરાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાનો ઘનિષ્ઠ પ્રયાસ આદરી દીધો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રસંગે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના ઘણા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા યોજના, રામ મંદિર અને અન્ય મુદ્દાઓમાં સાથે આવી હતી. આ તમામ નિર્ણયો દેશવાસીઓના હિતમાં છે. આગામી ચૂંટણીમાં અમે સ્લોગન, એન્થમ અને હોર્ડિંગ્સ દ્વારા તમામ લોકોને આ નિર્ણયોની ઝાંખી કરાવીશું.
ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.
સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.
અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.
ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.
અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
લોકસભાનું બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 1પ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આ વિશે જાણકારી આપતાં લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદનાં પહેલા ચરણમાં 12 બેઠકો થશે અને બીજો તબક્કો 8 માર્ચથી 8 એપ્રિલ સુધીનો રહેશે. જેમાં 21 બેઠકો થશે. આ ઉપરાંત વારંવાર જે બાબતે લોકરોષ ઉઠતો રહે છે તેવા સંસદની કેન્ટીનનાં સસ્તા ભોજન વિશે તેમણે કહ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનમાં ભોજન ઉપર અપાતી સબસિડીને સદંતર ખતમ કરી નાખવામાં આવી છે.
જો કે લોકસભા સ્પીકર બિરલાએ કેન્ટીન સબસિડીનાં આર્થિક પાસાઓ વિશે વધુ કોઈ જાણકારીઓ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં તમામ દળોનાં સદસ્યોએ એકમતે કેન્ટીન સબસિડી સમાપ્ત કરવાં ઉપર સહમતી વ્યક્ત કરી હતી. હવે સંસદની કેન્ટીનમાં નિર્ધારિત દરે સબસિડી વિના જ ભોજન મળશે.
પ્રતિવર્ષ સંસદની કેન્ટીન માટે 17 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી. લોકસભાનાં બજેટ સત્રની તૈયારી વિશે વિગતો સાંપડતા બિરલાએ એ પણ જણાવ્યું હતું કે, હવે સંસદની કેન્ટીનનું સંચાલન ઉત્તર રેલવેને બદલે આઈટીડીસી દ્વારા કરવામાં આવશે. સંસદનાં સત્ર પહેલા તમામ સાંસદોને કોરોના ટેસ્ટ માટે અનુરોધ કરવામાં આવશે. સંસદનાં પરિસરમાં જ 27-28 જાન્યુઆરીએ આરટી-પીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
રાજસ્થાનમાં ડુંગરપુરા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી બીટીપીના ઉમેદવારને એક મતે મ્હાત આપી હતી. આ ઘટના બાદ બીટીપીએ ગુજરાતમાં કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. બીટીપીના સુપ્રીમો અને ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે આદિવાસીઓ સાથે ગદ્દારી કરી છે, ભાજપ-કોંગ્રેસ બન્નેવ એક સિક્કાની બે બાજુ છે, એક પાર્ટી સાંપ્રદાયિક તો બીજી બિન સાંપ્રદાયિકતાની વાત કરી દેશની જનતાને લડાવવાનું કામ કરે છે.
JDU1:JD(U) chief and MP Sharad Yadav (right) with JD9U) Gujarat president Chhotu Vasava in Vadodara Thursday. Express Photo.
છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસને મત આપીને મરવાની વાત કરવા કરતાં એમાંથી છુટકારો મેળવવા એ બન્નેવ પક્ષોને તિલાંજલિ આપવી જોઈએ. ગુજરાતમાં BTP અને AIMIM ગઠબંધનના એવા પ્રયાસ રહેશે કે યુવાનોને નોકરી મળે બેરોજગરીથી છુટકારો મળે, દેશના લોકોનું-આદિવાસીઓનું અને SC, ST, OBC, માયનોરીટીનું શાસન બને. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસે ભેગા મળી દગો કરી અમને સત્તા પરથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી એકલે હાથે ચૂંટણી લડે છે કે કોઈક સાથે ગઠબંધન કરીને લડે છે એ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈશીની AIMIM સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સંવિધાનને બચાવવા તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં બિટીપી અને AIMIM ગઠબંધન કરી ચૂંટણી લડશે. અમારા હાથમાં સત્તા આવશે એટલે લોકોના હાથમાં સત્તા હશે, ચૂંટણી જીતવાની રણનીતિ બાબતે હાલ વિચારી રહ્યા છીએ. AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશીને હું ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપું છું. ભાજપ-કોંગ્રેસને હરાવવાની અમારા ગઠબંધનની મુખ્ય ભૂમિકા હશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસની સરકાર હતી, એમાં અમે દુઃખી હતા અને ભવિષ્યમાં જો એમની સરકાર આવે તો દુઃખી થવાના જ છે તો એવી સરકારનું શુ કામ છે.
જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ની ચૂંટણીમાં ર80 બેઠકોમાં 3 બેઠકો સાથે ભાજપે પહેલીવાર ખાતુ ખોલ્યુ છે. જો કે મતગણતરી ટ્રેન્ડમાં ગુપકાર ગઠબંધન આગળ રહયું છે. છેલ્લી સ્થિતિએ ભાજપ 75માં અને ગુપકાર 103 બેઠકો પર આગળ છે.
જમ્મુ ક્ષેત્રમાં ભાજપ 10 જિલ્લામાંથી 6મા આગળ છે. ગુપકાર ગઠબંધન રાજૌરીમાં આગળ રહયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 8 બેઠકો જીતી છે અને 48માં આગળ છે. ગુપકાર ગઠબંધનના નેતાઓ જાહેર થયેલા ટ્રેન્ડથી ખુશ છે. પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીની પાર્ટી પીડીપીના નેતા વહીદ પારાએ કહયું કે કેટલાક દિવસ પહેલા એનઆઈએએ ધરપકડ કરી હતી. વિજયથી ઉત્સાહિત ગુપકાર ગઠબંધને કહયું કે આ કલમ 370 પર જનમત સંગ્રહ છે.’
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં નવા ત્રણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી અને ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા દેખાવ દરમિયાન ૨૦ કિસાનના મૃત્યુ થયા હોવાનો આક્ષેપ કર્યો હતો.
દિલ્હી વિધાનસભાને સંબોધન કરતા કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે આ નવા કાનૂન ભાજપને રાજકીય ભંડોળ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે, એમાં કિસાનોનું કશું ભલું થવાનું નથી.
ભાજપશાસિત નગર નિગમોમાં ૨,૪૦૦ કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીની કેજરીવાલ સરકારે વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું હતું, જે દરમિયાન તેમણે કૃષિ કાયદાની નકલ ફાડી હતી.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.
તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.
પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં
અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.
તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.
તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે
સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.
આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.