આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાના હાહાકાર અને બેકાબૂ સ્થિતિ માટે નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના અભાવને જવાબદાર ઠરાવ્યા છે. રાજને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહેલી લહેર બાદ દેશમાં ઊભી થયેલી આત્મમુગ્ધતાની પણ ભારતે આજે કિંમત ચૂકવવી પડી છે.’ ભારતમાં રોજ કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણ ડામવા માટે સરકાર પર કડક લોકડાઉન લગાવવાનું દબાણ છે, પણ સરકાર હજી સુધી તેનો ઈન્કાર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી રહી ચૂકેલા રાજને બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દુનિયામાં અન્ય સ્થળોએ,ખાસ કરીને બ્રાઝિલમાં’ જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને તમારે સમજી જવું જોઈતું હતું કે, વાયરસની વાપસી થઈ રહી છે અને તે અગાઉથી પણ વધુ ખતરનાક થઈ ગયો છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે, તેનો ખતરો ઓછો થયો નથી. ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ભારતને લાગ્યું કે, વાયરસનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે. સરકાર સમયસર ચેતી ગઈ હોત તો દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત. અત્યાર સુધીમાં ભારતને 14 દેશની મદદ મળી
તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી. આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.
File Photo
અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.
પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીના પરિણામની રવિવારે જાહેરાત બાદ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આસામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક), પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તા પર આવે એવી પૂરી શક્યતા છે.
આસામમાં ભાજપ, તમિળનાડુમાં દ્રમુક, પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં એલડીએફને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે અથવા તેની નજીક છે. પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, પરંતુ તેનાં વડાં અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં.
નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીને ૧૭૩૭ મતના તફાવતથી હરાવ્યાં હતાં.
પ. બંગાળમાં ભાજપને દોઢસો જેટલી બેઠક મળવાની આશા હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.
તૃણમૂલ કૉંગ્રેસે ફરી સત્તા પર આવવા જરૂરી બેઠક જીતી લીધી છે.
મમતા બેનરજીએ પોતાના પક્ષના વિજય બાદ જણાવ્યું હતું કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અંકુશમાં લેવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે.
પક્ષના વિજયનો સંપૂર્ણ યશ મમતા બેનરજીએ રાજ્યની જનતાને આપ્યો હતો.
પક્ષના કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે આ બંગાળનો વિજય અને માત્ર બંગાળ જ આ કરી શકે છે.
કોરોનાને અંકુશમાં લેવો એ જ અમારી પ્રાથમિકતા છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં નહીં આવે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીની અસર પૂરી થયા બાદ જ કોલકતામાં મહા વિજય સરઘસ કાઢવામાં આવશે.
પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ તેમણે કહ્યું હતું કે આજે બંગાળે ભારતને ઉગારી લીધું છે.
દેશના પ્રત્યેક નાગરિકને વૅક્સિન મફત આપો અન્યથા અમે વિરોધપ્રદર્શન કરીશું, એમ મમતા બેનરજીએ કહ્યું હતું.
રાજ્યમાં એલડીએફની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું.
જોકે તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોરોના વ્યાપકપણે ફેલાઈ રહ્યો હોવાને કારણે આ ઉજવણીનો સમય નથી. કોરોના સામેની લડત ચાલુ રાખવાનો આ સમય છે. કેરળમાં રવિવારે કોરોનાના નવા વધુ ૩૧,૯૫૦ કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયાં હતાં.
કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાનો મટ્ટાનુર મતદારક્ષેત્રમાંથી વિક્રમજનક ૬૦,૯૬૩ મતથી વિજય થયો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમન ચાન્ડી (કૉંગ્રેસ-યુડીએફ)નો પુથુપલ્લી મતદારક્ષેત્રમાંથી ૯૦૪૪ મતથી વિજય થયો હતો.
પ્રથમ જ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બનવા માટે સજ્જ થયેલા દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને પક્ષના વિજય બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને જનતા માટે કામ કરવાની બાંયધરી આપી હતી.
દરમિયાન, તમામ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ પ્રકારના અવરોધ વિના ઑક્સિજનનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા પર ધ્યાન આપવાની વિપક્ષે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.
કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરી અસંતોષજનક હોવાનું હાઈ કૉર્ટે મંગળવારે કહ્યું હતું.
કોરોનાની મહામારી સામે લડવા લૉકડાઉન ઉકેલ નથી એમ જણાવી કૉર્ટે લૉકડાઉન લાગુ ન કરવાની ગુજરાત સરકારને સલાહ આપી હતી. કોરોનાની પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ જ ડૉક્ટરો દરદીઓ પાસે હાજર ન થતા હોવાને કારણે હૉસ્પિટલની બહાર દરદીઓનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાની બાબતની પણ કૉર્ટે નોંધ લીધી હતી.
માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા દરદીઓને જ નહીં, પરંતુ અન્ય વાહનોમાં આવતા કોરોનાના દરદીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપવા હાઈ કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી. ડી. કારિયાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે અમે એમ નથી કહી રહ્યા કે સરકાર કે અમદાવાદ મહાનગરપાલિકા કશું જ નથી કરી રહી, પરંતુ જે રીતે પરિસ્થિતિને હાથ ધરવામાં આવી રહી છે તે સંતોષજનક, પારદર્શક નથી અને તેથી જ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.
કોરોનાને કારણે ગુજરાતમાં નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને સૂઓમોટો હાથ ધરતાં ખંડપીઠે ઉપરોક્ નીરિક્ષણ કર્યું હતું.
ગુજરાતમાં છેલ્લાં થોડાંક અઠવાડયાથી કોરોનાના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે.
જો તમારી પાસે વધુ વ્યવહારુ, વિચારશીલ અને અર્થપૂર્ણ યંત્રણા હોત તો પરિસ્થિતિ કંઈ જુદી જ હોત. આ કટોકટી આટલી ઘેરી ન હોત, એમ ખંડપીઠે કહ્યું હતું.
ડૉક્ટરોની અનુપસ્થિતિને કારણે હૉસ્પિટલની બહાર જે રીતે લોકોનાં કસમયે મૃત્યુ થઈ રહ્યા છે તે ન થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
અમદાવાદમાં માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા કોરોનાના દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ખાનગી વાહનોમાં આવતા કોરોનાના દરદીઓની અવગણના કરવામાં આવતા હોવા અંગે કૉર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.
૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ન આવતા દરદીઓને હૉસ્પિટલમાં સારવાર આપવાનું ડૉક્ટરો ન નકારી શકે અને દરદીઓને મરવા ન દઈ શકે, એમ કૉર્ટે કહ્યું હતું.
કોરોનાનો દરદી ક્યા વાહનમાં આવે છે એ બાબતને અવગણીને દરેક દરદી પર ધ્યાન આપી તેમને સારવાર આપવામાં આવવી જોઈએ, એમ કૉર્ટે કહ્યું હતું.
કોરોનાના દરદીને રેમડેસિવિર ઈન્જેક્શનનો ડૉઝ મળી રહે તેની ખાતરી કરવા કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.
ત્રણ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની આગામી સુનાવણી માટે કૉર્ટે ૪ મે મુકરર કરી હતી.
આ અરજીમાં જરૂરિયાતમંદ દરદીઓ માટે ઑક્સિજનના પુરવઠો તાકીદે પૂરો પાડવાની માગણી કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરથી દેશમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. બંગાળમાં પાંચ તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે અને ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચારમાં કાપ મૂક્યો છે. રાહુલ ગાંધી અને તે પછી મમતા બેનરજી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓ પણ ઘટાડવામાં આવી છે.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની તમામ જાહેરસભાઓ રદ કર્યા બાદ આજે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની રેલીઓમાં કાપ મૂકયો હતો.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 22 એપ્રિલે માલદા અને મુર્શિદાબાદ તથા 24 એપ્રિલના ભવાનીપુર અને બીરભૂમમાં યોજાનારી પીએમની રેલીઓ હવે 23 એપ્રિલે એક જ દિવસે યોજાશે. આ તમામ રેલીઓ એક જ દિવસે 23 એપ્રિલના યોજવામાં આવશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે પીએમ મોદીની બંગાળમાં આ અંતિમ રેલીઓ હશે જેમાં અન્ય ચરણોમાં મતદાનવાળા સ્થળોને આવરી લેવામાં આવશે. દરમ્યાન, ચૂંટણીપંચે પણ નવા દિશાનિર્દેશો જારી કર્યા હતા જે અનુસાર હવે મતદાનના 72 કલાક અગાઉ ચૂંટણીપ્રચાર પર રોક લાગી જશે એટલે કે 26 એપ્રિલે યોજનારા મતદાન માટે હવે ચૂંટણીપ્રચાર 23મીએ જ બંધ થઈ જશે. આ પહેલાં પંચે મતદાનના 24 કલાક પહેલાં પ્રચાર પર રોક લગાવી હતી.
મમતાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને આદેશ આપ્યો છે કે કોઇપણ રેલી અડધા કલાકથી વધારે સમયની ના હોવા જોઇએ. હવે તેઓ માત્ર 26મી એપ્રિલના એક સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં હજી 22, 26 અને 29 એપ્રિલના રોજ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા ચરણમાં 43, સાતમા ચરણમાં 36 અને આઠમા ચરણમાં 35 સીટો પર હજી મતદાન બાકી છે. રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ રેલીઓ રદ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ તમામ રાજકીય નેતાઓને સલાહ આપી હતી કે આવી સ્થિતિમાં મોટી જનસભાઓ કરવાના પરિણામનો વિચાર કરી લો.
કોરોના સામેની લડાઈમાં હવે ભાજપના પ્રદેશ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે Sunday, 18/4/21 વેબીનાર યોજીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદ્દેદારોને સરકારની મદદ માટે આગળ આવવા આદેશ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા પણ કહ્યું છે.
સીઆર પાટીલે સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપતા અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ કોવિડ સેન્ટર બનાવવા અનુરોધ કર્યો, જેથી સરકારી હોસ્પિટલો પર ભાર ઘટી શકે. તેમણે ખાનગી તબીબો અને ભાજપના ડોક્ટર સેલને સાથે રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. સાથે જ પ્રદેશ હોદેદારો અને જિલ્લા- શહેર પ્રમુખોની હોમ આઇસોલેટ દર્દીઓ માટે ટિફિન સેવા અને દવા અંગે મદદ કરવા સૂચના આપી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખે, પ્રદેશ સ્તરેથી કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવા અંગે પણ જણાવ્યું. આ હેલ્પ સેન્ટર સાથે જિલ્લા-શહેરના હેલ્પસેન્ટર જોડાયેલા રહેશે, જેના દ્વારા લોકોને સીધી મદદ પહોંચાડી શકાશે તેમ જણાવાયું છે.
આ ઉપરાંત હોમ ક્વોરન્ટાઈન લોકોને ભોજન પહોંચડાવાની વ્યવસ્થા કરાવ પણ કહેવાયું છે. તેમજ રાજ્યમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે, કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે, તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ સંગઠનને જણાવાયું છે.
ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.
બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.
તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.
ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.
વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.
રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે. રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.
રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
Vaccination is among the few ways we have, to defeat the virus.
કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.
નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.
પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.
કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.
આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.
તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.
કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.
આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.