CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 20 of 53 - CIA Live

April 28, 2021
rupani-1280x789.jpg
1min400

કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરી અસંતોષજનક હોવાનું હાઈ કૉર્ટે મંગળવારે કહ્યું હતું.

કોરોનાની મહામારી સામે લડવા લૉકડાઉન ઉકેલ નથી એમ જણાવી કૉર્ટે લૉકડાઉન લાગુ ન કરવાની ગુજરાત સરકારને સલાહ આપી હતી. કોરોનાની પરિસ્થિતિને હાથ ધરવાની ગુજરાત સરકારની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમ જ ડૉક્ટરો દરદીઓ પાસે હાજર ન થતા હોવાને કારણે હૉસ્પિટલની બહાર દરદીઓનાં મૃત્યુ થઈ રહ્યાં હોવાની બાબતની પણ કૉર્ટે નોંધ લીધી હતી.

માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા દરદીઓને જ નહીં, પરંતુ અન્ય વાહનોમાં આવતા કોરોનાના દરદીઓને પણ હૉસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપવા હાઈ કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બી. ડી. કારિયાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે અમે એમ નથી કહી રહ્યા કે સરકાર કે અમદાવાદ મહાનગરપાલિકા કશું જ નથી કરી રહી, પરંતુ જે રીતે પરિસ્થિતિને હાથ ધરવામાં આવી રહી છે તે સંતોષજનક, પારદર્શક નથી અને તેથી જ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

કોરોનાને કારણે ગુજરાતમાં નિર્માણ પામેલી પરિસ્થિતિ અંગે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને સૂઓમોટો હાથ ધરતાં ખંડપીઠે ઉપરોક્ નીરિક્ષણ કર્યું હતું.

ગુજરાતમાં છેલ્લાં થોડાંક અઠવાડયાથી કોરોનાના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે.

જો તમારી પાસે વધુ વ્યવહારુ, વિચારશીલ અને અર્થપૂર્ણ યંત્રણા હોત તો પરિસ્થિતિ કંઈ જુદી જ હોત. આ કટોકટી આટલી ઘેરી ન હોત, એમ ખંડપીઠે કહ્યું હતું.

ડૉક્ટરોની અનુપસ્થિતિને કારણે હૉસ્પિટલની બહાર જે રીતે લોકોનાં કસમયે મૃત્યુ થઈ રહ્યા છે તે ન થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

અમદાવાદમાં માત્ર ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં આવતા કોરોનાના દરદીઓને જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ખાનગી વાહનોમાં આવતા કોરોનાના દરદીઓની અવગણના કરવામાં આવતા હોવા અંગે કૉર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.

૧૦૮ ઍમ્બ્યુલન્સમાં ન આવતા દરદીઓને હૉસ્પિટલમાં સારવાર આપવાનું ડૉક્ટરો ન નકારી શકે અને દરદીઓને મરવા ન દઈ શકે, એમ કૉર્ટે કહ્યું હતું.

કોરોનાનો દરદી ક્યા વાહનમાં આવે છે એ બાબતને અવગણીને દરેક દરદી પર ધ્યાન આપી તેમને સારવાર આપવામાં આવવી જોઈએ, એમ કૉર્ટે કહ્યું હતું.

કોરોનાના દરદીને રેમડેસિવિર ઈન્જેક્શનનો ડૉઝ મળી રહે તેની ખાતરી કરવા કૉર્ટે ગુજરાત સરકારને જણાવ્યું હતું.

ત્રણ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની આગામી સુનાવણી માટે કૉર્ટે ૪ મે મુકરર કરી હતી.

આ અરજીમાં જરૂરિયાતમંદ દરદીઓ માટે ઑક્સિજનના પુરવઠો તાકીદે પૂરો પાડવાની માગણી કરવામાં આવી હતી.

April 20, 2021
mamtamodirahul.jpg
1min668
राहुल की रैलियां रद्द, ममता की हुईं कम...बीजेपी 'अपना बूथ कोरोना मुक्त' के  भरोसे - west bengal election rahul gandhi after mamata banerjee not poll  campaign in kolkata rising coronavirus bjp amit

કોરોનાની બીજી લહેરથી દેશમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. બંગાળમાં પાંચ તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે અને ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચારમાં કાપ મૂક્યો છે. રાહુલ ગાંધી અને તે પછી મમતા બેનરજી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓ પણ ઘટાડવામાં આવી છે.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની તમામ જાહેરસભાઓ રદ કર્યા બાદ આજે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની રેલીઓમાં કાપ મૂકયો હતો.

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 22 એપ્રિલે માલદા અને મુર્શિદાબાદ તથા 24 એપ્રિલના ભવાનીપુર અને બીરભૂમમાં યોજાનારી પીએમની રેલીઓ હવે 23 એપ્રિલે એક જ દિવસે યોજાશે. આ તમામ રેલીઓ એક જ દિવસે 23 એપ્રિલના યોજવામાં આવશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે પીએમ મોદીની બંગાળમાં આ અંતિમ રેલીઓ હશે જેમાં અન્ય ચરણોમાં મતદાનવાળા સ્થળોને આવરી લેવામાં આવશે.
દરમ્યાન, ચૂંટણીપંચે પણ નવા દિશાનિર્દેશો જારી કર્યા હતા જે અનુસાર હવે મતદાનના 72 કલાક અગાઉ ચૂંટણીપ્રચાર પર રોક લાગી જશે એટલે કે 26 એપ્રિલે યોજનારા મતદાન માટે હવે ચૂંટણીપ્રચાર 23મીએ જ બંધ થઈ જશે. આ પહેલાં પંચે મતદાનના 24 કલાક પહેલાં પ્રચાર પર રોક લગાવી હતી.

મમતાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને આદેશ આપ્યો છે કે કોઇપણ રેલી અડધા કલાકથી વધારે સમયની ના હોવા જોઇએ. હવે તેઓ માત્ર 26મી એપ્રિલના એક સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં હજી 22, 26 અને 29 એપ્રિલના રોજ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા ચરણમાં 43, સાતમા ચરણમાં 36 અને આઠમા ચરણમાં 35 સીટો પર હજી મતદાન બાકી છે.
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ રેલીઓ રદ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ તમામ રાજકીય નેતાઓને સલાહ આપી હતી કે આવી સ્થિતિમાં મોટી જનસભાઓ કરવાના પરિણામનો વિચાર કરી લો.

April 19, 2021
c_r_patil.jpg
1min448
It's Patil vs. Patel in Gujarat - India Today Insight News

 કોરોના સામેની લડાઈમાં હવે ભાજપના પ્રદેશ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે Sunday, 18/4/21 વેબીનાર યોજીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદ્દેદારોને સરકારની મદદ માટે આગળ આવવા આદેશ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા પણ કહ્યું છે.

સીઆર પાટીલે સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપતા અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ કોવિડ સેન્ટર બનાવવા અનુરોધ કર્યો, જેથી સરકારી હોસ્પિટલો પર ભાર ઘટી શકે. તેમણે ખાનગી તબીબો અને ભાજપના ડોક્ટર સેલને સાથે રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. સાથે જ પ્રદેશ હોદેદારો અને જિલ્લા- શહેર પ્રમુખોની હોમ આઇસોલેટ દર્દીઓ માટે ટિફિન સેવા અને દવા અંગે મદદ કરવા સૂચના આપી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે, પ્રદેશ સ્તરેથી કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવા અંગે પણ જણાવ્યું. આ હેલ્પ સેન્ટર સાથે જિલ્લા-શહેરના હેલ્પસેન્ટર જોડાયેલા રહેશે, જેના દ્વારા લોકોને સીધી મદદ પહોંચાડી શકાશે તેમ જણાવાયું છે.

આ ઉપરાંત હોમ ક્વોરન્ટાઈન લોકોને ભોજન પહોંચડાવાની વ્યવસ્થા કરાવ પણ કહેવાયું છે. તેમજ રાજ્યમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે, કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે, તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ સંગઠનને જણાવાયું છે.

April 16, 2021
gujarat_highcourt.jpg
1min451

ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.

તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.

ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.

April 10, 2021
vijay_rupani_pti-sixteen_nine.jpg
1min544

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિનું આંકલન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર કરાયો નથી. નાના વેપારીઓ તેમનો રોજગાર-વ્યવસાય ચલાવી શકે એટલે જ રાત્રિ કફર્યૂ નખાયો છે. કેસ ઘણા વધ્યા છે ત્યારે લોકો બિનજરૂરી ઘર બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે એ આવશ્યક છે. આ મારો પણ અનુરોધ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં બેડ, રેમડેસિવીર ઇન્જેકશન, ટેસ્ટીંગ, મૃત્યુઆંક વિશે પૂછાયેલા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સમિક્ષા બેઠક માટે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના આવ્યા હતા અને શહેરના ડોકટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકો ચિંતા કરે નહી, સાવચેત રહે. અત્યારે સરકારના મુખ્ય ધ્યેય સંક્રમણ વધતું અટકાવવામાં લોકો સહકાર આપે અને વધુને વધુ પ્રમાણમાં રસીકરણ કરાવે તે જરૂરી છે. સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ અને એસોસિએશનો સ્વેચ્છાએ લોકડાઉન પાળી શકે છે. તેમજ લોકો બિનજરૂરી બહાર ન નીકળે અને સ્વેચ્છાએ લોકડાઉન પાળે તેવો અનુરોધ કર્યો હતો. આ સાથે ટેસ્ટીંગ વધારવા અને કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાવ્યું હતુ.

વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર કે જિલ્લા સહિત રાજ્યમાં ક્યાંય બેડની અછત નહિ પડવા દેવાય. રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવા માટે જરૂરી સુચના આપી દેવામાં આવી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં અત્યારે 4200 જેટલા બેડ છે અને આગામી ત્રણ દિવસમાં બેડની સંખ્યા 6631 સુધી લઈ જવામાં આવશે તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. વધુમાં નાના નર્સિંગ હોમને કોવિડ સેન્ટરમાં ફેરવવા માટે પણ ડોક્ટરોને કહેવામાં આવ્યું છે. આ સિવાય જુદા જુદા સમાજની વાડીઓમાં ઓછી અસર ધરાવનારા કોરોનાના દર્દીઓને રાખવામાં આવનાર છે.
રાજકોટમાં મૃત્યુઆંક વધવા અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, કોરોનાની બીજી લહેર વધારે ઘાતક છે. ત્યારે સમસ્યા વધે સ્વાભાવિક છે. કોરોના પોઝિટિવ અને મૃત્યુ પામનાર દરદીઓનો આંક છુપાવવામાં આવતો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ નામ જાહેર કરવા શક્ય નથી. જે સરકારી રજીસ્ટર થાય છે તે સરકાર જાહેર કરે છે. અત્યારની પરિસ્થિતિએ નકારાત્મક વિચારને બદલે જરૂરી વ્યવસ્થા પર ધ્યાન આપવું વધુ યોગ્ય છે. પહેલા માત્ર 35 વાર ટેસ્ટ થતા હતા જેમાં હવે ટેસ્ટિગ વધારવું એવો નિર્ણય કરાયો છે. અત્યારે દરરોજ સવા લાખ ટેસ્ટ કરી ટ્રીટમેન્ટ અને ટ્રાસિંગ વધારવામાં આવ્યું છે. ટેસ્ટીંગ સંદર્ભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 11 મશીન ખરીદ્યા છે. રાજકોટમાં આરટી-પીસીઆર ટેસ્ટ માટે વેઇટિંગ છે, આ જરૂરિયાતને સમજીને રાજકોટને આવતીકાલે વધુ એક મશીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ રેમડેસિવીરની અછત સંદર્ભે જણાવ્યું હતુ કે, અત્યારે રેમડેસીવીરની અછત વર્તાય છે તેની પાછળ બે કારણો છે. છેલ્લા 10 દિવસમાં કેસ વધ્યા છે એટલે ડિમાન્ડ વધી છે. માટે ગુજરાત સરકારે 3 લાખ ઇન્જેક્શન ખરીદી ઓર્ડર આપ્યો છે. છેલ્લા 5 દિવસમાં રાજકોટને 15000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. હવે આ ઇન્જેક્શન કોઇ વ્યક્તિને નહિ પણ સીધા હોસ્પિટલને જ આપવામાં આવશે. સગા સંબંધીએ ઇન્જેક્શન માટે હેરાન ન થવું પડે માટે આ નિર્ણય લેવાયો છે. તેમાંય બિનજરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન લેવાથી લીવર અને કિડની પર અસર પહોંચે છે. જેથી લોકો સાવચેત રહે અને વધુ પેનીક થઈને ડોક્ટરની સલાહ વગર રેમડેસિવીર ન લે તે જરૂરી છે.

રાજકોટમાં કોરોનાના સંક્રમણ અંગે સમિક્ષા કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલોમાં 500 જેટલા બેડ વધારવા માટે તબીબોએ તૈયારી દશાર્વી છે. વધુમાં નવી હોસ્પિટલોને નડતો ફાયર એનઓસીનો પ્રશ્ન પણ એક મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય સ્થગિત થતાં નવી કોવિડ હોસ્પિટલો કાર્યરત થઇ શકશે અને સિવિલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો ઉપરનું ભારણ ઘટશે. ફાયર એનઓસી નહીં હોય તેવી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં માઇલ્ડથી માઇનોર કોરોના ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. સિવિલ કે અન્ય હોસ્પિટલામાં આવા દરદીઓ હશે તો તેમને આવી હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે.

April 8, 2021
modi_2nd_dose-1280x900.jpg
1min423

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.

April 6, 2021
voting.jpg
1min513
Assembly elections in 5 states: Stage set for high-stakes battle before  2019 LS polls - The Economic Times

પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.

કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.

આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.

તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.

કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.

આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.

April 5, 2021
anil_deshmukh.jpg
1min788

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની ફરજ પડી છે. તા.૫મી એપ્રિલે મહારાષ્ટ્ર હાઇકોર્ટે ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે પોતાની ખુરશી જતી કરવી પડી હતી.

મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખે વાઝેને દર મહિને 100 કરોડ રુપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો ઘટસ્ફોટ કરતાં સીબીઆઈની તપાસની માગ પણ કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે પરમવીર સિંહની અરજી પર સુનાવણી કરતા આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી છે, અને પોતાનો રિપોર્ટ 15 દિવસમાં સોંપવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, દેશમુખ પોતે ગૃહમંત્રી છે ત્યારે તેમની વિરુદ્ધ પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. કોર્ટે પોતાની સામે તપાસનો આદેશ આપતા અનિલ દેશમુખે નૈતિકતાનું કારણ આગળ ધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેઓ એનસીપીના નેતા છે, અને હાલ મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મોરચા સરકારમાં એનસીપીના ક્વોટામાંથી કેબિનેટ મંત્રી હતા.

સમગ્ર ભારતમાં બહુચર્ચિત કેસ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો ભરેલી ગાડી મળ્યા બાદ મુંબઈ પોલીસના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની શંકાસ્પદ ભૂમિકા અને તેની સાથે દેશમુખની સાંઠગાંઠના આક્ષેપો થતાં તેઓ ભીંસમાં આવી ગયા હતા.

April 3, 2021
asam.jpg
1min506

આસામમાં જામેલા ચૂંટણી સંગ્રામ વચ્ચે કરીમગંજ જિલ્લામાં ભાજપ’ ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળી આવતાં ભારે રાજકીય ઘમસાણ મચી ગયું છે. ચૂંટણીપંચે ચાર મતદાન અધિકારીઓને ફરજમોકૂફ કરી નાખ્યા છે.આ વિવાદમાં અમિત શાહે કહ્યું હતું કે તેમને કોઈ વિસ્તૃત જાણકારી નથી. તેમજ ફોન ઉપર જાણકારી મેળવશે અને ચૂંટણી પંચને એક્શન લેતા કોઈએ રોક્યું નથી તેમ પણ કહ્યું હતું.

EVM found in BJP candidate's car in Assam, EC explains what happened | Top  developments - Elections News

પાથરકાંડી વિધાનસભા બેઠક પરથી લડી રહેલા કેસરિયા પક્ષના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની બોલેરો જીપકારમાંથી ઇવીએમ મળતાં કોંગ્રેસે તરત જ ભાજપ પર પ્રહારની તક ઝડપી લીધી હતી.’ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બોલેરોમાં ઇવીએમ મળવાની ઘટનાનો વીડિયો ટ્વિટ કરીને સવાલ ઊઠાવ્યો હતો કે જ્યારે પણ કોઇ ખાનગી ગાડીમાં ઇવીએમ મળે છે, તો તે ભાજપ નેતાની જ કેમ હોય છે ? રાજકીય ઘમસાણ સાથે બબાલ વધી જતાં ચૂંટણીપંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી સમગ્ર મામલાનો વિસ્તૃત અહેવાલ માગ્યો છે. દરમ્યાન, ચૂંટણીપંચે આખી ઘટના પર કેટલાક તર્ક આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇવીએમ લઇ જઇ રહેલી ગાડી ખરાબ થઇ જતાં મદદ માગી હતી અને જે બોલેરોમાં ઇવીએમ ખસેડાયું તે ભાજપ ઉમેદવારની છે, તેવી ખબર પાછળથી પડી હતી. બોલેરોને રસ્તે રોકી, મતદાન ટીમના સભ્યોને સ્થાનિક લોકોએ નીચે ઉતારી દીધા હતા અને ભીડ હિંસા પર પણ ઊતરી આવી હતી. ચૂંટણીપંચના અહેવાલમાં જણાવાયું હતું કે મળેલું ઇવીએમ સલામત છે, કોંગ્રેસ વતી પ્રિયંકા ગાંધીએ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી હતી.’

March 27, 2021
bengal.png
2min631

પ. બંગાળ અને અસમમાં આજે વહેલી સવારથી વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો શરું થઈ ગયો છે. કેટલીક ઘટનાને બાદ કરતા રાજ્યમાં મોટાભાગના સ્થળે શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સંવેદનશીલતાને ધ્યાને લેતા ખૂબ જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બંને રાજ્યોમાં સવારથી શરું થયેલા મતદાનમાં મહિલાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક બહાર નકળી છે. પ્રથમ બે કલાકમાં અસમમાં 8.84 અને બંગાળમાં 7.72 ટકા મતદાન નોંધાયું છે.

West Bengal Election 2021 Dates: Polls to Be Held in 8 Phases, Results on  May 2

પશ્ર્ચિમ બંગાળમાં શનિવારે પહેલા તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને ૩૦ બેઠક માટે ૭૩ લાખ મતદારો મતદાન કરી રહ્યા છે.

૭૦૬૧ સ્થળે ૧૦,૨૮૮ મતદાન કેન્દ્રની સુરક્ષા માટે ચૂંટણીપંચે કેન્દ્રીય દળની ૬૮૪ ટુકડી તહેનાત કરાઇ છે. આ સિવાય, મહત્ત્વના સ્થળોએ સ્થાનિક પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.

મોટાભાગના વિસ્તારો એક જમાનાના નક્સલવાદીઓના અડ્ડા ગણાતા જંગલમાં આવેલા છે.

પહેલા તબક્કાની ૩૦ બેઠક માટેની ચૂંટણી માટે ૧૯૧ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. મતદાન દરમિયાન કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તાથી પાલન કરવામાં આવી રહ્યું છે.

પહેલા તબક્કામાં પુરલીયાની નવ બેઠક, બાનકુરાની ચાર બેઠક, ઝારગ્રામની ચાર બેઠક, પશ્ર્ચિમ મિદનાપુરની છ બેઠક, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની હૉમપીચ ગણાતી પૂર્વ મિદનાપુરની સાત બેઠકનો સમાવેશ થાય છે.

આ બેઠકો માટે ટીએમસી અને ભાજપ બંનેએ પોતાના ૨૯ ઉમેદવાર અને ડાબેરી-કૉંગ્રેસ-આઇએસએફ જોડાણે બધી જ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા કર્યા છે.

ઝારગ્રામમાં બૂથદીઠ ૧૧ સંસદીય કર્મચારીની નિયુક્તિ કરવામાં આવશે, જે રાજ્ય માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ઝારગ્રામના ડાબેરી કટ્ટરવાદીઓના ગણાતા વિસ્તારોમાં ૧૩૦૭ બૂથની સુરક્ષા માટે અમે ૧૨૭ કેન્દ્રીય ટુકડી તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) તરીકે વધુ ૧૪ ટુકડીનો ઉપયોગ કરવામાં આવશે, સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા માટે એક ટુકડી અને અન્ય બે ટુકડી રિઝર્વ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.

ઝારગ્રામમાં કુલ ૧૪૪ ટુકડી તહેનાત કરવામાં આવશે.

અન્ય જિલ્લાઓમાં સરેરાશ પ્રતિ બૂથ છ અર્ધલશ્કરી દળના જવાનને તહેનાત કરવામાં આવશે.

સૌથી વધુ ૧૮૫ ટુકડી પુરલિયામાં ૨૪૩૭ બૂથ માટે તહેનાત કરવામાં આવશે.

બાનકુરામાં ૮૩ ટુકડી ૧૩૨૮ બૂથ માટે તહેનાત કરવામાં આવશે. દરેક ટુકડીમાં ૧૦૦ જવાન રહેશે.

પહેલા તબક્કાના મતદાન માટે ૨૨૦૯૨ પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવશે.