કૉંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાયા હતા. સંસ્થાકીય બદલાવ અને પક્ષના દરેક સ્તરે ચૂંટણી કરવી જોઇએ તેવો પત્ર લખનારા ૨૩ નેતાઓના જૂથમાં જિતિન પ્રસાદ પણ હતા. કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ અને ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બાલૂનીની હાજરીમાં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા હતા. તેમણે પત્રકારોને કહ્યું કે જો કોઇ રાજકીય દળ સંસ્થાગત હોય અને સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી હોય તો તે ભાજપ છે. અન્ય પક્ષો વ્યક્તિવિશેષ આધારિત અથવા ખાસ ક્ષેત્રમાં સીમિત હોય છે.
ઉત્તર પ્રદેશના અગ્રગણ્ય બ્રાહ્મણ પરિવારથી આવતા ૪૭ વર્ષીય જિતિન પ્રસાદે કૉંગ્રેસ નેતૃત્વની ટીકા કરવાનું ટાળ્યું હતું. કૉંગ્રેસમાં રહી લોકોની સેવા કરવી અને પ્રજાજનોના હિત જાળવવા શક્ય ના હોવાથી તેમણે પક્ષ છોડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રસાદને ભાજપમાં સામેલ કરાવ્યા બાદ પિયૂષ ગોયલે કહ્યું હતું કે તેઓ પ્રજાજનોમાં મૂળિયા ધરાવનારા નેતા છે. તેમના જોડાવાથી ભાજપ મજબૂત બનશે. ગયા વર્ષે જ્યોર્તિદિત્ય સિંધિંયા ભાજપમાં જોડાયા હતા. તે પછી કૉંગ્રેસના બીજા હાઇપ્રોફાઇલ યુવા નેતાએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો છે.
બુધવારે જિતિન પ્રસાદ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાને મળ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના પ્રજાની સેવા કરવાના ભાજપના ઇરાદાને જિતિન પ્રસાદના જોડાવાથી મક્કમતા મળશે તેવો મને વિશ્ર્વાસ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા. તેમની આ વન ટૂ વન મુલાકાત અંગે અટકળોની આંધી ઉઠતાં તેમણે બચાવ કર્યો કે આમાં ખોટુ શું છે હું વડાપ્રધાનને મળવા ગયો હતો, નવાજ શરીફને નહીં ! રાજકીય રીતે અમે સાથે નથી તેનો અર્થ એ નથી કે અમારા સંબંધો પુર્ણ થઈ ગયા. આમાં છૂપાવવા જેવુ કંઈ નથી. મોદી સાથે મુલાકાત માટે દિલ્હી જતાં પહેલા ઉદ્ધવ એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. દિલ્હીમાં તેમની સાથે ના. મુખ્યમંત્રી અજિત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ઉદ્ધવે કહ્યુ કે વેક્સિનેશનની સંપુર્ણ જવાબદારી હવે કેન્દ્રએ ઉઠાવી લીધી છે ત્યારે મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોને વહેલી તકે વેક્સિન જોઈએ છે. કેન્દ્રએ આ જવાબદારી રાજ્યોને સોંપી હતી પરંતુ કામગીરી યોગ્ય રીતે થઈ નથી.
બેઠકમાં વેક્સિનેશન, મરાઠા અનામત, મેટ્રોના કાર શેડ, જીએસટી વળતર, વાવાઝોડા સહાય જેવા મુદ્દે વાતચીત થયાનું અને વડાપ્રધાને આશ્વાસન આપ્યાનું તેમણે જણાવ્યુ હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે છાશવારે તણખાં ઝરતા રહે છે.
શિવસેના ‘સામના’ના માધ્યમથી કેન્દ્ર સરકારને ઘેરતી રહી છે તેવા સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર સૌની નજર હતી.
કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટરને પત્ર લખી કેન્દ્ર સરકારના ૧૧ મંત્રીઓની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવવા માંગ કરી છે. આ મંત્રીઓમાં ગિરિરાજ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ, થાવરચંદ ગેહલોત, હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.
કોંગ્રેસનું કહેવું છે કે, આ તમામ ટ્વિટર પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરીને બનાવટી ટૂલકીટ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. આ તમામના સંબંધિત ટ્વિટની લિંક પણ આ પત્ર સાથે જોડવામાં આવી છે. પત્રમાં ટ્વિટર સાથે આ બાબતે અગાઉ થયેલા પત્રવ્યવહારનો હવાલો અપતાં લખવામાં આવ્યું કે, ટ્વિટરે ટ્વિટ્સના જે યુઆરએલ માંગ્યા હતા, તે અપાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હી અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડાં પાડ્યાં હતાં. આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની બે ટીમે દિલ્હીના લાડો સરાય અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાના કાર્યાલયો પર રેડ કરી હતી.
નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કથિડ કોવિડ-૧૯ ટૂલકિટના મામલે એક તપાસના સંદર્ભમાં ટ્વિટરને એક નોટિસ પણ મોકલી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ૧૮મી મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ કોંગ્રેસનો એક કથિત લેટરહેડ ટ્વિટ કર્યો હતો. જેમાં સરકારને ઘેરવા માટે સોશિયલ મીડિયા પર કેવા ટ્વિટ કરવા તેની માહિતી હતી. જેને પગલે ભાજપે કોંગ્રેસ પર વિશ્વમાં દેશની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો.
બીજી બાજુ, કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને તદ્દન બનાવટી કહી ભાજપના નેતાઓ સામે પોલીસ કેસ પણ દાખલ કર્યો હતો. જ્યારે ટ્વિટરે સંબિત પાત્રા દ્વારા કરાયેલા ટ્વિટને મેનિપ્યુલેટેડ મીડિયા તરીકે વર્ગીકૃત કરતાં આ વિવાદ વધુ વકર્યો હતો. સરકારે ટ્વિટરના આ પગલા સામે રોષ વ્યક્ત કરી ટ્વિટરને મેનિપ્યુલેટેડ મીડિયાનું ટેગ દૂર કરવા જણાવ્યું હતું.
ગુજરાતના કામરેજના ભાજપના ધારાસભ્ય વિણુભાઇ ઝાલાવડિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતે ઇન્જેક્શન આપતાં જોવા મળી રહ્યાં છે. લગભગ પાંચમું ધોરણ પાસ કામરેજના ધારાસભ્ય વિણુભાઇ ઝાલાવડિયાએ સુરતના સરથાણા સ્થિત કોવિડ સેન્ટરમાં પોતે જ રેમડેસિવિરનું ઇન્જેક્શન ભરીને લગાવતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. જે બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોવાના પણ સવાલો થઇ રહ્યાં છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન પોતાના વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતાં ધારાસભ્ય વી. ડી. ઝાલાવડીયાએ સરથાણા વિસ્તારમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. ધારાસભ્ય પોતાના કોવિડ સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન આપવા માટેની તૈયારી કરતા હોય તેવા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થતા વિવાદમાં આવ્યા છે.
રાજકારણીઓને કૅમેરા સામે રૂપિયા લેતા દર્શાવતા નરાડા સ્ટિંગ કેસને મામલે સીબીઆઈએ સોમવારે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ત્રણ નેતાની ધરપકડ કરી હતી.
ટીએમસીના ત્રણ નેતા સહિત ચાર રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણી કરતી સીબીઆઈની અરજીને ગવર્નર જયદીપ ધનકરે ૭ મેએ જ મંજૂરી આપી દીધી હતી. નરાડા સ્ટિંગ કેસને મામલે હવે સીબીઆઈ ટીએમસીના ત્રણ નેતા સહિત અન્યો વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરશે.
કેસને મામલે સીબીઆઈએ ટીએમસીના નેતા ફિરહાદ હકીમ, સુબ્રતા મુખરજી અને મદન મિત્રા તેમ જ પક્ષના ભૂતપૂર્વ નેતા સોવન ચેટરજીની સોમવારે સવારે ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૪માં જ્યારે આ ગુનો આચરવામાં આવ્યો હતો તે સમયે આ ચારે પ્રધાન હતા, એમ સીબીઆઈએ કહ્યું હતું.
પક્ષના પ્રધાનોની ધરપકડના તુરંત બાદ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીબીઆઈના કાર્યાલયે પહોંચ્યાં હતાં અને તેમને છોડી મૂકવાની માગણી કરી હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર મમતા બેનરજીનું આ પગલું કોલકાતા હાઈ કૉર્ટ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી તપાસની કામગીરીમાં દખલગીરી કરવા બરાબર છે.
તાજેતરમાં જ પૂરી થયેલી પ. બંગાળની ચૂંટણીમાં હકીમ, મુખરજી અને મિત્રા ફરી ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપમાં જોડાવા ટીએમસી સાથે છેડો ફાડનાર ચેટરજી બંને પક્ષ સાથે કડી ધરાવે છે.
એઆઇએનઆરસીના નેતા એન. રંગાસ્વામીએ અત્રે રાજ નિવાસ ખાતે શુક્રવારે એક સાદગીભર્યા સમારોહમાં મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. લેફ્ટ. ગવર્નર તામિલિસાઇ સુંદરરાજને તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. તેઓ ભાજપ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવશે. રંગાસ્વામીએ તમિળમાં શપથગ્રહણ કર્યા હતા. અન્ય પ્રધાનો ટૂંક સમયમાં શપથગ્રહણ કરશે. દક્ષિણ ભારતના માત્ર કર્ણાટક રાજ્યમાં ભાજપની સરકાર છે.
હવે પુડુચેરીના કેન્દ્રશાસિત પ્રદેશની કેબિનેટમાં સ્થાન પામીને ભાજપને દક્ષિણના અન્ય રાજ્યમાં પગપેસારો કરવાની તક મળશે. જોકે, તમિળનાડુમાં પણ ભાજપે સારો દેખાવ કર્યો હતો. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં દ્રાવિડોના હૃદયસમાન ગણાતા વિસ્તારોમાં ભાજપે ચાર બેઠક જીતી હતી.
સ્ટેલિન બન્યા તમિળનાડુના સીએમ
વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ઝળહળતો વિજય અપાવનાર દ્રાવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના પ્રમુખ મુથ્થુવેલ કરુણાનિધિ સ્ટેલિને શુક્રવારે તમિળનાડુના મુખ્ય પ્રધાન પદના શપથગ્રહણ કર્યા હતા.
ચેન્નઇમાં રાજભવન ખાતે રાજ્યના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે એક સાદગીભર્યા સમારંભમાં ૬૮ વર્ષીય સ્ટેલિનને મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
સફેદ રંગના શર્ટ અને ધોતીમાં સજ્જ સ્ટેલિને રાજ્યપાલ પુરોહિતને તેમની કેબિનેટની ઓળખ પણ કરાવી હતી. સ્ટેલિનના પત્ની દુર્ગા અને ટ્રિપ્લિકેન-ચેપોક મતદારક્ષેત્રમાંથી વિજયી થનાર તેમના પુત્ર ઉધયાનિધિએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.ડીએમકેના સાથીદાર પક્ષ કૉંગ્રેસના પી. ચિદમ્બરમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રાવિડ મુનેત્ર કઝગમના ટોચના નેતા ઓ. પનિરસેલ્વમ, એમડીએમકેના વડા વૈકો અને રાજ્યના ટોચના અધિકારીઓએ આ શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો.
કોરોનાની મહામારીમાં મેડિકલ સુવિધા પુરતા પ્રમાણ મળતી નથી, લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનો પ્રજાની સાથે રહેવાના બદલે દૂર ભાગી રહ્યા છે. પ્રજાની ચિંતા કરવાના બદલે નેતાઓ રાજકારણ ખેલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો પર હુમલા અંગે ધરણા યોજી રહ્યા છે. પોલીસ સહિતનું સરકારી તંત્ર પણ કઠપુતળી હોય તેમ તમાસો જોઇ રહ્યું છે. પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમના ભંગ અંગે કોઇ કાર્યવાહી કરતું નથી.
સુરતમાં ભાજપના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવીને’ ધરણા કર્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમમાં જોડાવવા અપીલ કરાઇ હતી. પણ તેની અપીલ પણ માન્ય ન રાખીને શાસક પક્ષના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતાં એટલુ જ નહી પણ તૃણમુલ કોંગ્રેસ સામેના’ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં આવેલા મેયર હેમાલી બોધાવાલા સામે પણ હાય રે મેયર હાય ના નારા લગાવ્યા હતાં. તેના કારણે હેમાલી બોધાવાલા વિરોધ પ્રદર્શન કરવાનું છોડીને ચાલ્યા ગયા હતાં.
કોરોનાને દેશભરમાં અજગર ભરડો લીધો છે. તેના પગલે લોકડાઉન સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા, માસ્ક પહેરેવા, વારંવાર હાથ ધોવા, મોટી સંખ્યામાં એકત્ર ન થવુ સહિતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પણ આ સૂચનાઓ માત્ર સામાન્ય માણસો માટે જ હોય તેમ પ્રજાની પરેશાનીમાં સાથે અપવાના બદલે પ્રજા મુશ્કેલીમાં મૂકાય તેવા કાર્યક્રમ ભાજપ સહિતના રાજકીય પક્ષો દ્વારા યોજાઇ રહ્યા છે.આ કાર્યક્રમોમાં કોરોનાની ગાઇડ લાઇનનું’ ઉલ્લંઘન થતુ રહે છે પણ પગલાં લેવા કોઇ હિંમત બતાવતું નથી.
રાજકીય કઠપુતળી બનીને નાચતા સરકારી તંત્ર દ્વારા પણ અવારનવાર વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે. સત્તાધારી પક્ષના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમનો છડે ચોક ભંગ થતો હોવા છતાં કોઇ પગલાં લેવાતા નથી પણ વિરોધપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તો કાયદાના ભંગના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ શહેરમાં ભાજપ-કોંગ્રેસના ધરણાના કાર્યક્રમ પરથી મળે છે.
બંગાળની ચૂંટણી બાદ થયેલા હિંસક તોફાનમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હોય તેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધરણાના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ’ સહિતના નિયમોનો છડેચોક ભંગ થયો હતો. આમ છતાં કોઇ પગલાં લેવાયા ન હતાં.ધરણા યોજવા માટે ભાજપને પોલીસે મંજુરી આપી હતી. તેની સામે કોંગ્રેસ દ્વારા પણ ધરણાનો કાર્યક્રમ યોજાયા હતાં.પણ કોંગ્રેસને ધરણાનાકાર્યક્રમ માટે મંજુરી આપવામાં આવી ન હતી. એટલુ જ નહી પણ મંજુરી વગર ધરણાનો કાર્યક્રમ યોજનાર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. તેના કારણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભાજપના કાર્યક્રમને મંજુરી અને કોંગ્રેસને મંજુરી નહી આપીને પોલીસ સહિતના સરકારી તંત્રે વહાલા દવલાની નીતિ અપનાવી હોય તેવું સામે આવ્યું હતું.
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાના હાહાકાર અને બેકાબૂ સ્થિતિ માટે નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના અભાવને જવાબદાર ઠરાવ્યા છે. રાજને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પહેલી લહેર બાદ દેશમાં ઊભી થયેલી આત્મમુગ્ધતાની પણ ભારતે આજે કિંમત ચૂકવવી પડી છે.’ ભારતમાં રોજ કોરોનાના સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણ ડામવા માટે સરકાર પર કડક લોકડાઉન લગાવવાનું દબાણ છે, પણ સરકાર હજી સુધી તેનો ઈન્કાર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી રહી ચૂકેલા રાજને બ્લૂમબર્ગ ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યૂમાં દુનિયામાં અન્ય સ્થળોએ,ખાસ કરીને બ્રાઝિલમાં’ જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને તમારે સમજી જવું જોઈતું હતું કે, વાયરસની વાપસી થઈ રહી છે અને તે અગાઉથી પણ વધુ ખતરનાક થઈ ગયો છે. તમારે એ સમજી લેવાની જરૂર છે કે, તેનો ખતરો ઓછો થયો નથી. ગયા વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડા બાદ ભારતને લાગ્યું કે, વાયરસનો ખરાબ સમય વીતી ગયો છે અને હવે બધું ખોલવાનો સમય આવી ગયો છે. સરકાર સમયસર ચેતી ગઈ હોત તો દેશમાં પરિસ્થિતિ આટલી ખરાબ ન હોત. અત્યાર સુધીમાં ભારતને 14 દેશની મદદ મળી
તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી. આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.
File Photo
અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.
પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીના પરિણામની રવિવારે જાહેરાત બાદ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આસામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક), પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તા પર આવે એવી પૂરી શક્યતા છે.
આસામમાં ભાજપ, તમિળનાડુમાં દ્રમુક, પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં એલડીએફને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે અથવા તેની નજીક છે. પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, પરંતુ તેનાં વડાં અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં.
નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીને ૧૭૩૭ મતના તફાવતથી હરાવ્યાં હતાં.
પ. બંગાળમાં ભાજપને દોઢસો જેટલી બેઠક મળવાની આશા હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.
તૃણમૂલ કૉંગ્રેસે ફરી સત્તા પર આવવા જરૂરી બેઠક જીતી લીધી છે.
મમતા બેનરજીએ પોતાના પક્ષના વિજય બાદ જણાવ્યું હતું કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અંકુશમાં લેવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે.
પક્ષના વિજયનો સંપૂર્ણ યશ મમતા બેનરજીએ રાજ્યની જનતાને આપ્યો હતો.
પક્ષના કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે આ બંગાળનો વિજય અને માત્ર બંગાળ જ આ કરી શકે છે.
કોરોનાને અંકુશમાં લેવો એ જ અમારી પ્રાથમિકતા છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં નહીં આવે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીની અસર પૂરી થયા બાદ જ કોલકતામાં મહા વિજય સરઘસ કાઢવામાં આવશે.
પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ તેમણે કહ્યું હતું કે આજે બંગાળે ભારતને ઉગારી લીધું છે.
દેશના પ્રત્યેક નાગરિકને વૅક્સિન મફત આપો અન્યથા અમે વિરોધપ્રદર્શન કરીશું, એમ મમતા બેનરજીએ કહ્યું હતું.
રાજ્યમાં એલડીએફની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું.
જોકે તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોરોના વ્યાપકપણે ફેલાઈ રહ્યો હોવાને કારણે આ ઉજવણીનો સમય નથી. કોરોના સામેની લડત ચાલુ રાખવાનો આ સમય છે. કેરળમાં રવિવારે કોરોનાના નવા વધુ ૩૧,૯૫૦ કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયાં હતાં.
કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાનો મટ્ટાનુર મતદારક્ષેત્રમાંથી વિક્રમજનક ૬૦,૯૬૩ મતથી વિજય થયો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમન ચાન્ડી (કૉંગ્રેસ-યુડીએફ)નો પુથુપલ્લી મતદારક્ષેત્રમાંથી ૯૦૪૪ મતથી વિજય થયો હતો.
પ્રથમ જ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બનવા માટે સજ્જ થયેલા દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને પક્ષના વિજય બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને જનતા માટે કામ કરવાની બાંયધરી આપી હતી.
દરમિયાન, તમામ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ પ્રકારના અવરોધ વિના ઑક્સિજનનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા પર ધ્યાન આપવાની વિપક્ષે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.