CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 18 of 53 - CIA Live

August 10, 2021
obc.jpg
1min447

અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવા સરકારે સોમવારે લોકસભામાં કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ડ ખરડો ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યો હતો.  

સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન વીરેન્દ્રકુમારે કન્સ્ટિટ્યુશન (૧૨૭મો સુધારા)ખરડો ૨૦૨૧ સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.  આ ખરડામાં ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી.  
દેશનું સ્વાયત્ત માળખું જાળવી રાખવા તેમ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (સોશિયલ ઍન્ડ ઈકોનોમિકલી બૅકવર્ડ ક્લાસ) એસઈબીસીની પોતાની યાદી જાતે તૈયાર કરી તેને જાળવી રાખી શકે  તે માટે બંધારણની કલમ ૩૪૨એ, ૩૩૮બી અને ૩૬૬માં સુધારો કરવાની જરૂર છે. 

વર્ષ ૨૦૧૮ના કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઍક્ટમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૩૮બી નેશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસના માળખા, ફરજ અને સત્તા સાથે કામ પાર પાડે છે.  બંધારણની કલમ ૩૪૨એ ચોક્કસ કોમની એસઈબીસી તરીકે નોંધણી કરવાની રાષ્ટ્રપતિની સત્તા અને યાદીમાં ફેરફાર કરવાની સંસદની સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૬૬ (૨૬સી) એસઈબીસીની વ્યાખ્યા કરે છે. 

૧૦૨ કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટે નોકરી અને પ્રવેશમાં એસઈબીસીની નોંધણી કરવાની રાજ્યની સત્તા છીનવી લીધી હોવાનું જણાવતા પાંચમી મેએ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી. 

ઓબીસીને ઓળખી કાઢી તેની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકાર અને સ્વાયત્ત માળખા પર કેન્દ્ર સરકાર હુમલો કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. 

જોકે, કુમારે ગયા મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતો તેમ જ કાયદા ખાતા સાથે સલાહમસલત કરી રહી છે અને ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારનું રક્ષણ કરવાના વિકલ્પોની ચકાસણી કરી રહી છે. 

ન્યાયાધીશ અશોક ભૂષણના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચમી મેએ મરાઠાઓને આરક્ષણ આપતા મહારાષ્ટ્ર લૉને સર્વાનુમતીથી બાજુએ મૂકી દીધો હતો અને અનામતમાં પચાસ ટકા ટોચમર્યાદા રાખવાના વર્ષ ૧૯૯૨ના મંડલના ચુકાદાને ધ્યાન પર  લેવાનું નકારી કાઢ્યું હતું. 

આ અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ભારે ધાંધલધમાલ વચ્ચે લોકસભામાં સોમવારે ચર્ચા વિના જ ગણતરીની મિનિટોમાં મહત્ત્વના ત્રણ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી હતી. 

ધ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ કન્સ્ટિટ્યુશન (શિડ્યુઅલ ટ્રાઈબ) ઑર્ડર (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ એમ ત્રણ મહત્ત્વના ખરડાને સોમવારે લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ ખરડા મંજૂરી માટે રજૂ કર્યા હતા. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧માં લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઍક્ટ ૨૦૦૮માં સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી. 

આ ખરડાનો મુખ્ય આશય નાના અને મોટા ભાગીદારો વચ્ચે વેપાર કરવાનું સરળ બનાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું. 

ડીઆઈસીજીસી એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧ તરીકે પણ જાણીતા ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ૨૦૨૧ ખરડામાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સની કામગીરીમાં સુધારો આવી શકે તે માટે ત્રણ મહત્ત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 
દરમિયાન, પૅગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ અંગે વિપક્ષે સોમવારે પણ ધાંધલધમાલ ચાલુ રાખતા રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. કૉંગ્રેસ, ટીએમસી અને દ્રમુકે વૉકઆઉટ કર્યો હતો.

July 26, 2021
Yediyurappa.jpg
1min664

કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.

ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

July 19, 2021
Modi-Parliament.jpg
1min487

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા છે. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો. વડાપ્રધાને કહ્યું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવુ ના થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી.

વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બન્યા તે વાત અમુક લોકોને રાસ ના આવી. માટે તેમનો પરિચય પણ નથી આપવા દેતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને ફટકાર લગાવી. તેમણે જણાવ્યું કે, પાછલા 24 વર્ષના સંસદના ઈતિહાસમાં તેમણે આવુ ક્યારેય નથી જોયું. સંસદની પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

July 19, 2021
parliament.jpg
1min477

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.  સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે. 

સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.

૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી  વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.

કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.   

July 17, 2021
modipawar.jpg
1min427

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

July 14, 2021
rg_pk.jpg
1min413

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ હાજર હતા. પંજાબની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચનાની જવાબદારી પહેલાથી જ પ્રશાંત કિશોર પાસે છે અને હવે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.

13/7/21 રાજધાની દિલ્હીમાં રાહુલના નિવાસે જઈને પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી. આ પહેલા પ્રશાંત એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા. જેને પગલે એવી ચર્ચા છેડાઈ છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિકલ્પ માટે મોરચો તૈયાર કરવાના હેતુથી આજે મુલાકાત ગોઠવાઈ હતી.

બીજીબાજુ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ વચ્ચે રાહુલ અને પ્રિયંકા સાથે પ્રશાંતની આજની બેઠકને મહત્ત્વની ગણાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. પંજાબમાં તો કોંગ્રેસની સરકાર છે પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ પોતે ગુમાવેલો આધાર પરત મેળવવા માટેના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા બેનરજીની સત્તાવાપસીમાં પ્રશાંતની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી.

પ્રિયંકા ગાંધી લખનઉનાં પ્રવાસે જવાનાં હતાં પણ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ પ્રશાંત કિશોર સાથેની આજની બેઠકનાં કારણે જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોઈ શકે છે. પ્રિયંકા હવે 14ના બદલે 16મી જુલાઈએ લખનઉ જવાનાં છે.

July 8, 2021
pm_modi_scindhiya.jpg
1min457

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7/7/2021, બુધવારે પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સરબાનંદ સોનાવાલા અને નારાયણ રાણેને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું તો આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, આઈટી અને કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત ૧૨ પ્રધાનને પડતા મૂક્યા હતા. 

PM Modi Cabinet reshuffle Live News Updates: Narendra Modi Cabinet  Expansion Latest News, Full list of ministers in the Modi Cabinet

મે ૨૦૧૯માં બીજી મુદત માટે વડા પ્રધાનપદનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંડળમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં નવા ચહેરાઓ સહિત ૧૫ કૅબિનેટ પ્રધાન અને ૨૮ રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે.  

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં યોજવામાં આવેલા શપથગ્રહણ સમારોહમાં નવા ચહેરા સહિત ૧૫ કૅબિનેટ પ્રધાનને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. 

રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૬૯ વર્ષના નારાયણ રાણેએ સૌપ્રથમ શપથગ્રહણ કર્યા હતા. રાણે બાદ ૫૮ વર્ષના સોનાવાલાએ શપથગ્રહણ કર્યા હતા. 
કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૅબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

મધ્ય પ્રદેશના તિકમગઢથી લોકસભાના સાંસદ વીરેન્દ્રકુમાર, ઓડિશાથી રાજ્યસભાના સાંસદ અશ્ર્વિની વૈષ્ણવ, બિહારથી રાજ્યસભાના સાંસદ અને જનતા દળ (યુ)ના નેતા આર.સી.પી સિંહ, બિહારના લોકસભાના સાંસદ હાજીપુર પશુપતિકુમાર પારસે પણ કૅબિનેટના પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા. 

કિરણ રિજિજુ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જી. કિસન રેડ્ડી અને અનુરાગ ઠાકુરની પણ કૅબિનેટ સ્તરે બઢતી કરવામાં આવી હતી. 

પ્રધાનમંડળમાં સ્થાન પામેલા નેતાઓની સરેરાશ ઉંમર ૫૮ થી ૬૧ વર્ષ જેટલી છે.

July 6, 2021
bjp-Maharashtra.jpg
1min410

મહારાષ્ટ્ર વિધાનસભાનાં ચોમાસું અધિવેશનનાં આજે પ્રથમ દિવસે જ ઓબીસી અનામત મુદ્દે ભારે ધમાલ મચી ગઈ હતી અને હંગામો કરનારા ભાજપનાં 12 વિધાયકોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં. પહેલા ભાજપનાં ધારાસભ્યોએ સદનનાં દાદરે બેસીને નારાબાજી કરી હતી અને પછી સ્પીકરનાં કક્ષમાં જઈને અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરીને દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેને પગલે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.

Maharashtra: 12 BJP MLAs suspended for one year, uproar in the assembly

રાજ્યનાં સંસદીય કાર્યમંત્રી અનિલ પરબે ભાજપનાં આ વિધાયકોને સસ્પેન્ડ કરવાની માગણી કરતો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો અને તેને ધ્વનિમતથી પસાર કરી નાખવામાં આવ્યો હતો. જે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સંજય કુટે, આશીષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટકલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, યોગેશ સાગર, જયકુમાર રાવત, નારાયણ કુચે, રામ સતપુતે અને બંટી ભાંગડિયાનો સમાવેશ થાય છે. આ તમામને હવે એક વર્ષ સુધી મુંબઈ અને નાગપુરમાં વિધાનમંડળ પરિસરમાં પ્રવેશની અનુમતિ પણ મળશે નહીં.

આ ધમાચકડી પછી રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, વિપક્ષી સદસ્યોની સંખ્યા ઘટાડવા માટે આ ખોટો આરોપ મૂકાયો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે સરકારનું જૂઠાણું ઉજાગર કર્યુ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેનાનાં ધારાસભ્યોએ જ અપશબ્દો વાપર્યા હતાં. ફડણવીસે આગળ કહ્યું હતું કે, તેઓ પોતે જ ભાજપનાં વિધાયકોને સ્પીકરની ચેમ્બરમાંથી બહાર લઈ આવ્યા હતાં. ભાજપનાં કોઈ વિધાયકે પીઠાસન અધિકારીને અપશબ્દો કહ્યા નથી. શેલારે માફી માગી લીધા બાદ મામલો સમાપ્ત થઈ ગયો હતો. આ પહેલા એનસીપીનાં નેતા અને મંત્રી નવાબ મલિકે ભાજપનાં સદસ્યો ઉપર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે વિધાનસભાની કાર્યવાહી પણ ચાર વખત સ્થગિત રહી હતી.

July 5, 2021
mohan-bhagwat-h_d.jpg
1min560

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, લિન્ચિંગ કરનારા લોકો હિન્દુત્વના વિરોધી છે.

સંઘ પ્રમુખ ભાગવતે કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, હિન્દુ મુસ્લિમ એકતા ભ્રામક છે. કારણ કે તેઓ અલગ નહી પણ એક છે. પૂજા કરવાની રીતના કારણે લોકો વચ્ચે અંતર ગણી શકાય નહી. અમુક કામ એવા છે જે રાજનીતિ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એક કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર બની શકતી નથી.

કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, એ સિદ્ધ થઈ ચુક્યું છે કે છેલ્લા 40,000 વર્ષથી એક જ પુર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના ડીએનએ એક જેવા છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નહી. એકજુથ થવા માટે કંઈ નથી. બન્ને પહેલાથી જ એક છે. કાર્યક્રમ માટે ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાઝા ઈફ્તિખાર અહેમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન માટે ગયા હતા.’ તેઓએ સમન્વય-એક પહેલ નામથી પુસ્તક લખ્યું છે.

June 25, 2021
bjp_vs_congress.jpg
1min512

બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.

રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.