સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે.
સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.
તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.
૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.
કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.
વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.
મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક યોજીને રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ કરી દીધી છે. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી.વેણુગોપાલ પણ હાજર હતા. પંજાબની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચનાની જવાબદારી પહેલાથી જ પ્રશાંત કિશોર પાસે છે અને હવે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.
13/7/21 રાજધાની દિલ્હીમાં રાહુલના નિવાસે જઈને પ્રશાંત કિશોરે મુલાકાત કરી હતી. આ પહેલા પ્રશાંત એનસીપીના વડા શરદ પવારને પણ મળ્યા હતા. જેને પગલે એવી ચર્ચા છેડાઈ છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપના વિકલ્પ માટે મોરચો તૈયાર કરવાના હેતુથી આજે મુલાકાત ગોઠવાઈ હતી.
બીજીબાજુ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક ખટરાગ વચ્ચે રાહુલ અને પ્રિયંકા સાથે પ્રશાંતની આજની બેઠકને મહત્ત્વની ગણાવવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુર અને ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. પંજાબમાં તો કોંગ્રેસની સરકાર છે પણ અન્ય રાજ્યોમાં કોંગ્રેસ પોતે ગુમાવેલો આધાર પરત મેળવવા માટેના પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મમતા બેનરજીની સત્તાવાપસીમાં પ્રશાંતની ભૂમિકા ચાવીરૂપ બની રહી હતી.
પ્રિયંકા ગાંધી લખનઉનાં પ્રવાસે જવાનાં હતાં પણ હવે એવી ચર્ચા થઈ રહી છે કે કદાચ પ્રશાંત કિશોર સાથેની આજની બેઠકનાં કારણે જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોઈ શકે છે. પ્રિયંકા હવે 14ના બદલે 16મી જુલાઈએ લખનઉ જવાનાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7/7/2021, બુધવારે પ્રધાનમંડળમાં ધરખમ ફેરફાર કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા, સરબાનંદ સોનાવાલા અને નારાયણ રાણેને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું તો આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, આઈટી અને કાયદા ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ તેમ જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત ૧૨ પ્રધાનને પડતા મૂક્યા હતા.
મે ૨૦૧૯માં બીજી મુદત માટે વડા પ્રધાનપદનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રધાનમંડળમાં પ્રથમવાર ફેરફાર કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંડળમાં જેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં નવા ચહેરાઓ સહિત ૧૫ કૅબિનેટ પ્રધાન અને ૨૮ રાજ્ય કક્ષાના પ્રધાનનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલમાં યોજવામાં આવેલા શપથગ્રહણ સમારોહમાં નવા ચહેરા સહિત ૧૫ કૅબિનેટ પ્રધાનને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.
રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૬૯ વર્ષના નારાયણ રાણેએ સૌપ્રથમ શપથગ્રહણ કર્યા હતા. રાણે બાદ ૫૮ વર્ષના સોનાવાલાએ શપથગ્રહણ કર્યા હતા. કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ કૅબિનેટ પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
મધ્ય પ્રદેશના તિકમગઢથી લોકસભાના સાંસદ વીરેન્દ્રકુમાર, ઓડિશાથી રાજ્યસભાના સાંસદ અશ્ર્વિની વૈષ્ણવ, બિહારથી રાજ્યસભાના સાંસદ અને જનતા દળ (યુ)ના નેતા આર.સી.પી સિંહ, બિહારના લોકસભાના સાંસદ હાજીપુર પશુપતિકુમાર પારસે પણ કૅબિનેટના પ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.
કિરણ રિજિજુ, આર. કે. સિંહ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, જી. કિસન રેડ્ડી અને અનુરાગ ઠાકુરની પણ કૅબિનેટ સ્તરે બઢતી કરવામાં આવી હતી.
પ્રધાનમંડળમાં સ્થાન પામેલા નેતાઓની સરેરાશ ઉંમર ૫૮ થી ૬૧ વર્ષ જેટલી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનાં ચોમાસું અધિવેશનનાં આજે પ્રથમ દિવસે જ ઓબીસી અનામત મુદ્દે ભારે ધમાલ મચી ગઈ હતી અને હંગામો કરનારા ભાજપનાં 12 વિધાયકોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતાં. પહેલા ભાજપનાં ધારાસભ્યોએ સદનનાં દાદરે બેસીને નારાબાજી કરી હતી અને પછી સ્પીકરનાં કક્ષમાં જઈને અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરીને દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેને પગલે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.
રાજ્યનાં સંસદીય કાર્યમંત્રી અનિલ પરબે ભાજપનાં આ વિધાયકોને સસ્પેન્ડ કરવાની માગણી કરતો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો અને તેને ધ્વનિમતથી પસાર કરી નાખવામાં આવ્યો હતો. જે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સંજય કુટે, આશીષ શેલાર, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભટકલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, યોગેશ સાગર, જયકુમાર રાવત, નારાયણ કુચે, રામ સતપુતે અને બંટી ભાંગડિયાનો સમાવેશ થાય છે. આ તમામને હવે એક વર્ષ સુધી મુંબઈ અને નાગપુરમાં વિધાનમંડળ પરિસરમાં પ્રવેશની અનુમતિ પણ મળશે નહીં.
આ ધમાચકડી પછી રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, વિપક્ષી સદસ્યોની સંખ્યા ઘટાડવા માટે આ ખોટો આરોપ મૂકાયો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે સરકારનું જૂઠાણું ઉજાગર કર્યુ હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવસેનાનાં ધારાસભ્યોએ જ અપશબ્દો વાપર્યા હતાં. ફડણવીસે આગળ કહ્યું હતું કે, તેઓ પોતે જ ભાજપનાં વિધાયકોને સ્પીકરની ચેમ્બરમાંથી બહાર લઈ આવ્યા હતાં. ભાજપનાં કોઈ વિધાયકે પીઠાસન અધિકારીને અપશબ્દો કહ્યા નથી. શેલારે માફી માગી લીધા બાદ મામલો સમાપ્ત થઈ ગયો હતો. આ પહેલા એનસીપીનાં નેતા અને મંત્રી નવાબ મલિકે ભાજપનાં સદસ્યો ઉપર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ મુદ્દે વિધાનસભાની કાર્યવાહી પણ ચાર વખત સ્થગિત રહી હતી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, લિન્ચિંગ કરનારા લોકો હિન્દુત્વના વિરોધી છે.
સંઘ પ્રમુખ ભાગવતે કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, હિન્દુ મુસ્લિમ એકતા ભ્રામક છે. કારણ કે તેઓ અલગ નહી પણ એક છે. પૂજા કરવાની રીતના કારણે લોકો વચ્ચે અંતર ગણી શકાય નહી. અમુક કામ એવા છે જે રાજનીતિ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એક કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર બની શકતી નથી.
કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, એ સિદ્ધ થઈ ચુક્યું છે કે છેલ્લા 40,000 વર્ષથી એક જ પુર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના ડીએનએ એક જેવા છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નહી. એકજુથ થવા માટે કંઈ નથી. બન્ને પહેલાથી જ એક છે. કાર્યક્રમ માટે ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાઝા ઈફ્તિખાર અહેમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન માટે ગયા હતા.’ તેઓએ સમન્વય-એક પહેલ નામથી પુસ્તક લખ્યું છે.
બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.
રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.
વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.
પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.
અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.
સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે. પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.
‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.
લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી. આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.
એલજેપીના બે જૂથ વચ્ચેનો ઝઘડો મંગળવારે વધુ તિવ્ર બન્યો હતો અને બંને જૂથ પક્ષની સત્તા લેવાના માર્ગે આગળ વધ્યા હતા. ચિરાગ પાસવાને પાંચ બળવાખોર સાંસદને પક્ષમાંથી કાઢી મુકયા હતા તો પારસના જૂથે ચિરાગને જ પક્ષ પ્રમુખપદેથી હટાવ્યો હતો. પોતાના કાકા પારસ દ્વારા પ્રમુખપદેથી હટાવાયા બાદ ચિરાગે આપેલી પહેલી પ્રતિક્રિયામાં પક્ષને પોતાની માતા ગણાવી હતી અને એનો દ્રોહ ન થાય એમ જણાવ્યું હતું. બિહાર યુનિટના કાર્યકારી પ્રમુખ રાજુ તિવારીએ જણાવ્યું હતું કે લોકસભાના એમના છ સાંસદમાંથી પાંચ સાંસદે પારસનો પક્ષ લીધો હતો, ચિરાગ પાસવાનની આગેવાનીવાળા જૂથે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીણી વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી અને એમાં ૭૬માંથી ૪૧ સભ્યએ ભાગ લીધો હતો. પક્ષ વિરોધી ગતિવિધી બદલ પાંચ વિદ્રોહી સાંસદને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. પારસના જૂથે એવો દાવો કર્યો હતો કે ‘એક વ્યક્તિ, એક પદ’ના સિદ્ધાંત અનુસાર ચિરાગ પાસવાનને પક્ષ પ્રમુખપદેથી હટાવવાનો નિર્ણય રાષ્ટ્રીય કારોબારીની ઇમરજન્સી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ટ્વિટર પર પાસવાને જણાવ્યું હતું કે એણે પોતાના પિતાએ સ્થાપેલા પક્ષને એકજૂથ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સફળતા ન મળી.
સુરતમાં આમ આદમી પાર્ટીને પાલિકા ચૂંટણીમાં મોટી જીત મળ્યા પછી તે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કમર કસી રહી છે.
વતીકાલ તારીખ 14 જુનના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની આ મુલાકાત પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનોને હું મળીશ’.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાણ બાદ દિલ્હી જવા રવાના થયા છે અને 15મી જુને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે. એવામાં આવતીકાલ તા. 14મીએ આપના અધ્યક્ષ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે. સુરતની સફળતા બાદ હવે આપ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી જીતવા તૈયારી કરી રહી છે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા રાજકીય માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે. કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. તેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.