ઇન્ડીયા Archives - Page 202 of 217 - CIA Live

January 1, 2019
exports.jpg
1min7120

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

January 1, 2019
hny-1.jpg
1min6290

જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.

મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું

ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.

ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.

December 31, 2018
jan-dhan.jpg
1min9590

જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.

  • સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
  • બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
  • ત્રીજા ક્રમે બિહાર

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.

નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.

December 27, 2018
airport_authority.jpg
1min5210

કેન્દ્ર સરકારે એરપોર્ટ સંચાલન અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સ્થાનિક ભાષાઓને મહત્વ આપીને તેમાં જાહેરાતો કરવા માટે સૂચનાઓ જારી કરી છે. હવેથી દેશના દરેક વિમાનમથકે સ્થાનિક ભાષામાં પણ જાહેરાત કરાશે.

કેન્દ્ર સરકારે બુધવાર, તા.26મી ડિસેમ્બર 2018 પહેલા સ્થાનિક ભાષામાં, ત્યાર બાદ હિંદી અને છેવટે અંગ્રેજીમાં જાહેરાત કરવાના આદેશ દેશના દરેક વિમાનમથકોને આપ્યાં હતાં. જ્યાં જાહેરાત કરવામાં ન આવતી હોય એવા સાઇલન્ટ ઍરપોર્ટ પર આ આદેશનો અમલ નહીં કરવામાં આવે. નાગરી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુના આદેશ પ્રમાણે ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ ઑથોરિટિ ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ પોતાના તાબા હેઠળના બધા જ હવાઇમથકને આ બાબતના આદેશ લેખિતમાં મોકલી આપ્યા છે. નાગરી ઉડ્ડયન મંત્રાલયે પણ ખાનગી ઍરપોર્ટ ઓપરેટરોને આ બાબતની સૂચના મોકલાવી છે.  દેશમાં 100થી વધુ કાર્યરત ઍરપોર્ટ છે.

December 26, 2018
shirdiwale_modi.jpeg
1min11800

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

December 24, 2018
CIA_Live_Logo_New2.jpg
1min6380

ગુજરાત સહિત સમગ્ર દેશની યુનિવર્સિટીઓ અને સાથે જોડાયેલી કૉલેજોમાં છેલ્લા આઠ માસથી અધ્યાપકોની ભરતી પર પ્રતિબંધના કારણે કૉલેજો અને યુનિવર્સિટીઓમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડા પ્રધાન અને માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને ભરતી પરથી પ્રતિબંધ દૂર કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ શિક્ષણમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે.

  • અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી
  • આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થવાની શક્યતાઓ હતી
  • યુજીસીએ આ નિર્ણય રિફરબેક કરવાના પ્રત્યાઘાત સ્વરૂપે સમૂળગો જ પ્રતિબંધ લાદી દીધો હતો

યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના સત્તાવાળાઓ દ્વારા 2018-19ના ચાલુ વર્ષમાં અધ્યાપકોની ભરતી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં અધ્યાપકોની કુલ સંખ્યાના બદલે વિષય આધારિત ભરતીની સૂચના આપવામાં આવી હતી. આ પ્રમાણે ભરતી થાય તો એસ. સી. એસ.ટી.ના ઉમેદવારો સાથે અન્યાય થાય તેવી સ્થિતિના કારણે યુનિવર્સિટીના સેનેટ સભ્યે માનવ સંસાધન પ્રધાન અને એસટી કલ્યાણ વિભાગના ચેરમેનને આ મુદ્દે રજૂઆત કરતા વિભાગ દ્વારા તાકિદે આ પરિપત્ર સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અને આ નિર્ણયની સાથે દેશભરમાં અધ્યાપકોની ભરતી માટેની પ્રક્રિયા પણ સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ નિર્ણયને આઠ માસનો સમય પસાર થઈ ગયો છે પણ અત્યાર સુધી આ મુદ્દે કોઈ નિર્ણય કરવામાં ન આવતા યુનિવર્સિટીમાં અને કૉલેજોમાં શૈક્ષણિક ભરતી થઈ શકતી નથી.

December 24, 2018
mainved.jpg
1min17890

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 23, 2018
ganga.jpg
1min17670

ગંગા નદી જે 39 જગ્યાએથી પસાર થઈ રહી છે તેમાંથી ચોમાસા બાદ માત્ર એક જ જગ્યા એવી છે જ્યાં ગંગાનું પાણી સ્વચ્છ જોવા મળ્યું હતું, એમ સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બૉર્ડ (સીપીસીબી)એ હાથ ધરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે.

ગંગા નદી જ્યાંથી પસાર થાય છે તે 41માંથી 37 જગ્યાએ ચોમાસા અગાઉના સમયગાળામાં હળવાંથી લઈને ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું બાયોલોજિકલ વૉટર ક્વૉલિટી અસેસમેન્ટ ઑફ રિવર ગંગા (2017-18)ના સીપીસીબી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સુપ્રીમ કૉર્ટના આદેશને પગલે સીપીસીબી દ્વારા આ અહેવાલ તૈયાર કરી જાહેર કરવામાં આવ્યો હતો.

ચોમાસા અગાઉના સમયગાળામાં 41માંથી માત્ર ચાર જ જગ્યાએ ગંગા નદીનું પાણી સ્વચ્છ કે આંશિક પ્રદૂષિત હોવાનું જોવાં મળ્યું હતું તો ચોમાસા બાદ 39માંથી માત્ર એક જ જગ્યાએ ગંગાનું પાણી સ્વચ્ચ જોવા મળ્યું હતું.

ચોમાસા અગાઉ અને બાદ લેવામાં આવેલા ગંગા નદીનાં પાણીનાં નમૂનાઓનું પૃથ્થકરણ કર્યા બાદ તેને ગુણવત્તાની અલગ અલગ પાંચ શ્રેણી (સ્વચ્છ, આંશિક પ્રદૂષિત, હળવું પ્રદૂષિત, ભારે પ્રદૂષિત અને ભયંકર પ્રદૂષિત)માં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ચોમાસા અગાઉ 34 જગ્યાએ ગંગાનું પાણી હળવું પ્રદૂષિત તો ત્રણ જગ્યાએ ભયંકર પ્રદૂષિત હોવાનું જણાઈ આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની બે ઉપનદી (પાન્ડુ અને વરુણા)ઓ ગંગા નદીમાં પ્રદૂષણ વધારી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જોકે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ જ્યાંથી પસાર થાય ત્યાં કોઇ પણ જગ્યાએ ભયંકર પ્રદૂષણ જોવા નહોતું મળ્યું.

મોટાભાગનાં સ્થળોએ હળવું પ્રદૂષણ જોવા મળ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

December 23, 2018
morari_bapu-1280x720.jpg
1min8240

ગુજરાતના રામાયણી સંત અને જાણીતા કથાકાર મોરારી બાપુ અયોધ્યામાં ચાલી રહેલી રામકથામાં મુંબઇથી પહોંચેલી કેટલીક સેક્સ વર્કર્સ મહિલાની ઉપસ્થિતિના મુદ્દે અયોધ્યા સમેત ઉત્તર પ્રદેશમાં ભારે વિવાદ થયો છે. યુપીના કેટલાક રાજકીય, સામાજિક નેતાઓએ મોરારી બાપૂ સામે મુખ્યમંત્રી આદિત્યનાથ સુધી ફરીયાદો કરી છે.

એક તરફ મુંબઇથી અયોધ્યા પહોંચેલી સેકસ વર્કર્સ મહિલાઓ પોતાને કાર્યક્રમમાં આમંત્રિત કરાયાને બહુમાન સમજી રહી છે ત્યારે બીજી તરફ દક્ષિણપંથી જુથોએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી દીધી. તેમનું કહેવું છે કે તેનાથી અયોધ્યાની છબિ ખરાબ થઈ રહી છે.

મોરારી બાપુએ શનિવારે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મુંબઈથી અયોધ્યા ગયેલી 200 સેક્સ વર્કર્સને પ્રવચન આપ્યું હતુ. તેમણે તુલસીદાસની માનસ ગણિકા સંભળાવી હતી. આ વાત પર ડંડિયા મંદિરનાં મહંત ભારત વ્યાસે વિરોધ કરતા કહ્યું હતું કે ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સ વર્કર આવતા ખોટો સંદેશ જશે. આ પવિત્ર શહેરમાં શ્રદ્ધાળુઓ પોતાના પાપ ધોવા આવે છે.

જ્યોતિષ શોધ સંસ્થાનાં પ્રમુખ પ્રવીણ શર્માએ સીએમને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે, “મે મોરારી બાપુની ફરિયાદ સીએમને કરી છે. જો તેઓ સેક્સ વર્કર્સનાં જીવનમાં બદલાવ ઇચ્છે છે તો તેમને રામકથા પર ખર્ચ કરવાની જગ્યાએ તેમની વચ્ચે પૈસા વહેંચવા જોઇએ.” ધર્મ સેના પ્રમુખ અને બાબરી મસ્જિદ ઘટનાનાં આરોપી સંતોષ દુબેએ કહ્યું કે મોરારી બાપુ શહેરની પવિત્રતા ભ્રષ્ટ કરે છે.

December 22, 2018
gst.jpg
1min5490
  • 32 ઈંચ સુધીના ટીવી, કમ્પ્યૂટર્સ સહિતની 7 વસ્તુઓને 28 ટકાના સ્લેબમાંથી બહાર કરીને 18 ટકાના સ્લેબમાં
  • 28% GST એરટેડ કોલ્ડડ્રિંક્સ, સિગારેટ, બિડી, તમાકુ ઉત્પાદો, પાન મસાલા, સ્મોકિંગ પાઈપ્સ, ઓટોમોબાઈલ્સ, એરક્રાફ્ટ્સ, યોટ્સ, રીવોલ્વર્સ અને પિસ્તોલ, લોટરી
  • ઓટો પાર્ટ્સ તેમજ સીમેન્ટને બાદ કરતા કુલ 7 વસ્તુઓને 18 ટકા સ્લેબમાં
  • સિનેમા ટિકિટ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર જીએસટી દરમાં ઘટાડો
  • રૂ. 100 સુધીની મૂવી ટિકિટ પર 18 ટકાને બદલે હવેથી 12 ટકા તેમજ રૂ. 100થી ઉપરની મૂવી ટિકિટ પર 18  જીએસટી

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે ભારતના નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સામાન્ય ઉપયોગની 33 ચીજવસ્તુઓ પર GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એવી ચીજો છે જેના પર અત્યાર સુધી 18 ટકા દર વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે તેના પર 12 ટકા જીએસટી લગાવવામાં આવશે. જ્યારે કેટલીક આઇટમ્સને 12 ટકા GSTના દરથી નીચે 5 ટકાની શ્રેણીમાં લાવવામાં આવી છે.

વિપક્ષોની માગ અનુસાર 34 આઇટમ્સને છોડીને બાકી તમામને 18 અથવા તેથી ઓછા જીએસટી દર હેઠળ લાવવામાં આવી છે.

આજે તા.22મી ડિસેમ્બર 2018ના રોજ મળેલી બેઠક જીએસટી કાઉન્સિલની 31મી બેઠક હતી. આજે આખો દેશ આ કાઉન્સિલમાં લેવામાં આવનારા નિર્ણય પર મીટ માંડીને બેઠો હતો.

જીએસટી કાઉન્સિલ છેલ્લા કેટલાક સમયથી 28 ટકાના સ્લેબને સતત ઘટાડી રહી છે. આજે પણ અપેક્ષા હતી કે 28 ટકાના સ્લેબમાંથી અન્ય ઘણી ચીજોને હટાવવામાં આવી શકે છે. લિસ્ટમાં સૌથી ઉપર સિમેન્ટનું નામ હતું, જેના પર અત્યારે 28 ટકા ટેક્સ લાગે છે. જણાવી દઇએ કે અત્યાર સુધીમાં 39 વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગતો હતો, જેની સંખ્યા હવે ઘટાડીને 34 કરી દેવામાં આવી છે. એટલે કે 5 અન્ય ઉત્પાદનોને 28 ટકા કે તેથી વધુના GST દરની બહાર કરવામાં આવી છે.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 99 ટકા વસ્તુઓ જીએસટીના 18 ટકા કે તેનાથી નીચેના દર હેઠળ લાવી દેવામાં આવે. જીએસટી કાઉન્સિલ જો આવો કોઈ નિર્ણય લેશે તો તમને ઘણી ચીજોના ભાવમાં રાહત મળી શકે છે. એક ખાસ વાત એ પણ છે કે જીએસટી નેટવર્કની સરકારી ઓનરશિપની કંપનીમાં સ્થાનાંતરણના મુદ્દે હાઇબ્રિડ કારો પર હાલના 28 ટકાના જીએસટી દર ઓછા કરવા પર પણ વિચાર થઈ શકે તેવી અપેક્ષા છે.